Opinion Magazine
Number of visits: 9578199
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ટેચ્યૂની પેલે પાર શું છે?

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

"એક વ્યક્તિનો નાયક બીજાનો ખલનાયક હોઈ શકે છે". મૂર્તિપૂજક રાજનીતિની તાસિર વર્ણવતી આ ટેગ લાઇન છે, જેના અંતર્ગત તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નિર્ણયના નામે વિવિધ રાજકીય સ્ટેચ્યૂઓને તોડવાના કે દૂર કરવાના પુરાવા મળે છે. યુનિવર્સિટીના કેટલાક શિક્ષણવિદો, પ્રોફેસરોના કહેવાથી ઘાનામાં મો.ક. ગાંધીની પ્રતિમાને દૂર કરવાનો નિર્ણય આ યાદીમાં વધુ એક ઉમેરો છે. યુનિવર્સિટીના મકાનમાંથી બંને દેશોની સરકારો અનુસાર, આ પ્રતિમા ૨૦૧૬માં ભારતથી આફ્રિકાની પ્રથમ ટ્રાઇ-નૅશન પ્રેસિડેન્સિયલ ટૂરની ઉજવણીનું પ્રતીક છે, જ્યારે કેટલાક સામાન્ય ઘાનાવાસીઓ માટે ગાંધીનું રાજકીય વ્યક્તિત્વ અન્ય ‘જાતિવાદી’ સામ્રાજ્યવાદી કરતાં અલગ નથી. હકીકતમાં, ભારતના રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાતને ત્યાં ઊજવવા માટે ૨૦૧૫માં મલાવીમાં બીજી પ્રતિમાનું બાંધકામ અટકાવવા સાથે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રતિમાઓ છેલ્લા થોડા સમયથી સંસ્થાનવાદ વિરોધી, જાતિવાદ વિરોધી અને પ્રચલિત માન્યતાઓનું ખંડન કરવા(આઇકોનોક્લાઝમ)નો ભાગ બની ગઈ છે. પરંતુ, આ બધા કેસોમાં વિચિત્ર બાબત એ છે કે જે સરકારોએ આ પ્રતિમાઓને દ્વિપક્ષીય સંબંધોનાં પગલાં રૂપે જણાવી હતી, તેથી તેની જાહેર નિંદા થતી નહોતી. પણ હવે જો સરકારોનું વલણ ગાંધી વિરુદ્ધ જાતિવાદના આરોપને માન્ય કરતું હોય, તો પછી રાજકીય પ્રતિમાનું ઔચિત્ય શું છે?

જ્યારે ગાંધીનું સંતચરિત્ર(અને તેથી તેમની મૂર્તિ તરીકે પ્રતિમા)ને ભારત અને આફ્રિકા એમ બંને માટે સૉફ્ટ-પાવર પોલિટિક્સને માફક આવતા અનુકૂળ વ્યૂહરચના તરીકે માન્યતા આપવામાં આવે છે, ત્યારે તે સરકારોને ‘નૅશન સ્ટેટ’ની અભિવ્યક્તિનું કાર્ડ રમવાની પણ જગ્યા કરી આપે છે. ઉદાહરણ તરીકે, ઘાના સ્ટેટ માટે, ‘જાતિવાદ’ને તત્કાળ ‘સંસ્થાનવાદ’ તરફ દોરી જવામાં આવે છે, જે ‘નૃવંશવાદ’(અકાન સામ્રાજ્યો દ્વારા અન્ય વંશોની ગુલામી)ના અસુવિધાજનક સ્થાનિક ઇતિહાસને છૂટા પાડે છે, વર્તમાન સમયના અકાન/બિનઅકાન ‘જાતિ’ઓમાં મતોનું ધ્રુવીકરણ અને છેવટે રાજકીય કલંક અને તકની કથિત પ્રાદેશિક એકાગ્રતામાં પરિણમે છે. જો કે, વંશીય પ્રદેશથી દેશના વધુ કૉસ્મોપોલિટન કે આર્થિક રીતે અનુકૂળ વિસ્તારો(મોટે ભાગે દક્ષિણમાં)માં ભારે સ્થળાંતર, વંશીય જોડાણને અંકે કરવાની પરંપરાગત રાજકીય વ્યૂહરચનાઓને અપનાવે છે. ઉપરાંત, એ પણ દલીલ થઈ કે આજે ખાસ કરીને મોટા ભાગે ૨૫-૩૦ વર્ષની વયના સરેરાશ ઘાનાવાસી આ સ્થાનિક વારસાથી પ્રભાવિત છે કે તેનાથી ઓળખાય છે. આ પાસાંઓએ દેશના ચૂંટણીલક્ષી લોકશાહીમાં વંશીય/સાંસ્કૃતિક પરિબળની નિર્ણાયકતાને નબળી બનાવી છે, પરંતુ તેને સમાપ્ત કરી શક્યાં નથી.

તેથી જ તો, બે પ્રભાવશાળી રાજકીય પક્ષો, નૅશનલ ડેમોક્રેટિક કૉંગ્રેસ (એન.ડી.સી.) અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી (એન.પી.પી.)ની રાજકીય વિચારધારા વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજકીય વારસા અને વિચારધારાઓમાં તેમની વચ્ચે સ્વયંસિદ્ધ તફાવત હોવા છતાં, બંને પક્ષો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની નિયો-ઉદારવાદી ભલામણોને અનુસરતા હોવાના કારણે, વિકાસશીલતાના માપદંડમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વૃદ્ધિ-લક્ષિત સંસ્કરણમાં વધતી કાયદેસરતાને ધ્યાનમાં રાખીને અને આ વિકાસને આગળ વધારવા માટે ખાનગી કે વિદેશી રોકાણો માટે અનુકૂળતા ઊભી કરવાની હોડમાં છે. ઝાંખા ભેદ સાથે, ઘાનામાં રાજકારણ મુદ્દા આધારિત બનવાને બદલે સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત અને જૂથો માટે તાત્કાલિક સહયોગ સામગ્રીનાં વચનો સાથે વ્યક્તિત્વ આધારિત બની ગયું છે. આ પરિસ્થિતિમાં ‘યુવા’ મતદારોની ચૂંટણીમાં મત માટે નેતાની પસંદગી મોટા ભાગે તેમની ચિંતાઓ(સામાજિક-આર્થિક)ને પ્રતિબિંબિત કરે ‘સ્કર્ટ અને બ્લાઉઝ’ (એક જ બેઠકમાં બે વિરોધી પક્ષોના રાષ્ટ્રપતિ અને સંસદીય ઉમેદવારોની પસંદગી)ના મતદાન તરફ દોરી જાય, તેવી ધારણાના રાજકારણી કે સરકારની બની રહી છે.

આવી અનિશ્ચિતતા ચૂંટણીની સફળતાઓમાં રાજકીય અસ્તિત્વની ભૂમિકાને ઘટાડે છે. સાથેસાથે, તે પેટ્રોન-ક્લાયન્ટ સંબંધો માટેના દરવાજા ખોલી આપે છે. શહેરી વિસ્તારોમાં શહેરી ગૌરવમાં સરકારની કાયદેસરતા તેની ક્ષમતા (અથવા તેની છાપ) સાથે અર્થતંત્રને ‘વૃદ્ધિ’ પુનઃસ્થાપિત કરવા માટે ‘મેનેજ’ કરે છે, ખાસ કરીને જી.ડી.પી.ને વેગ આપવાના હાલના તબક્કામાં ફુગાવાના પરત-ફરવાના, પાવર-શૉર્ટેજના અને ઑઇલ ક્ષેત્રની આવક અંગે આશાવાદમાં. ગ્રામીણ વિસ્તારોમાં, પરિવર્તનશીલ રાજકારણની અપીલને વિકાસ માટે ઐતિહાસિક ક્ષેત્રીય પૂર્વગ્રહ દ્વારા અંકે કરવામાં આવે છે. ફરીથી, બંને પક્ષો ઓછા વેતનવાળા કામદારો કે જેઓ પાર્ટીના નેતાઓ માટે મોટા ભાગનાં આયોજનો, અભિયાનો અને સૂત્રોચ્ચારો કરે છે, તેવી પોતાના પગલે ચાલતી ફોજ પર ભારે મદાર રાખે છે. તેમના મતો અને મત અપાવવામાં કરેલી સહાયના મદદના બદલામાં આ પાછળ ચાલતી ફોજ રોજગારની અપેક્ષા રાખે છે.

પરંતુ, પેટ્રન-ગ્રાહકવાદ મર્યાદિત સામગ્રી સંસાધનો ધરાવતી રાજકીય પદ્ધતિમાં પળમાં બદલાતું એવું ભારે અસ્થિર સમીકરણ છે. સરકારના ખર્ચનું અડધાથી વધુ બજેટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સહાય પર આધારિત છે અને સરકારી આવકમાંથી રાજ્યના ખર્ચનો લગભગ ચોથો-પાંચમો ભાગ સરકારી કર્મચારીના પગાર ચૂકવવામાં જાય છે, કોઈપણ સરકાર કઈ રીતે રોજગારીસર્જન કરશે? ઘાના એ એકમાત્ર આફ્રિકન દેશ નથી, જે આવા અવરોધોનો સામનો કરે છે. બીજા ઘણા દેશોમાં, નિયો-ઉદારવાદ/વૈશ્વિકીકરણની આડમાં રાષ્ટ્રિય પ્રતિબદ્ધતાના નામે લોકશાહી સાથે બાંધછોડ થાય છે. સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં દેશના આ પ્રકારનાં છળમાં ઘાના હજી પણ આફ્રિકામાં મજબૂત લોકશાહી ધરાવતા દેશની પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ એશિયન, ભારતીય ડાયસ્પોરિક રાજકારણમાં સરકાર નિષ્ફળતાની જવાબદારીને બાયપાસ કરવા, મૌન સંજ્ઞાઓ દ્વારા ‘સ્ટ્રેટિફાઇડ’ રંગવાદની લાગણીઓનો દુરુપયોગ કરવાથી આ લોકશાહીની સસ્ટેનેબિલિટી બહુ વાચાળ બનતી નથી. તેના દ્વારા સર્જાતી ઘરેલું સંસ્થાકીય નબળાઈઓ, અસક્ષમતાઓ આગળ જતાં જો દેશ પાસે આર્થિક સંકલનના અર્થમાં પુનઃસ્થાપિત કરવા માટેના સાધનનો અભાવ હોય, તો આખરે દેશને તેમની લૉકશાહી સાથે બાંધછોડ કરાવવાની ફરજ પાડે છે.

[સંપાદકીય, 22-12-2018]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 06

Loading

ભા.જ.પ.ના આત્મવિશ્વાસમાં ઓટ

ઈ.પી.ડબલ્યુ.|Opinion - Opinion|13 January 2019

છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ભા.જ.પ.ને સ્પષ્ટ નકાર સાથે લાંબા સમયથી કેન્દ્ર સરકારે અપનાવેલી પ્રજાવિરોધી નીતિઓ સામે વધતી જતી અસંતોષની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. જો કે, ભા.જ.પ.ના સ્પિન-ડૉક્ટરો અને અપોલૉજિસ્ટો એવી દલીલ કરવાની કોશિશ કરે છે કે રાજ્ય સ્તરનાં પરિબળોને લીધે પ્રજાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે, રાષ્ટ્રીય રાજકારણ માટે તેની અસરો સ્પષ્ટ છે. આ પરિબળોમાં ખેડૂતોનો અસંતોષ, બેરોજગારી અને આજીવિકા ઘટવા-ગુમાવવાની સમસ્યાઓનાં મૂળ કેન્દ્ર એવી સરકારની નીતિઓ જેવી કે નોટબંધી, જી.એસ.ટી. અને કૃષિની સંપૂર્ણ ઉપેક્ષા વગેરેમાં પડ્યાં છે. આ રાજ્યોમાં ભા.જ.પ. સરકારોનાં સતત કુશાસન હોવાનો ઇન્કાર પણ નથી કરી શકાતો. જો કે તેમ છતાં કેન્દ્રની આ નીતિઓએ તે તીવ્રતામાં વધારો કર્યો છે. આ અશાંતિ અને જનતાને રાહત આપવાની તેમની અસમર્થતાને ધ્યાનમાં રાખીને, ભા.જ.પ. અને સંઘપરિવારે ચૂંટણીપ્રચારમાં નફરત અને ધ્રુવીકરણના તેમના સ્ટૉક એજન્ડાને આગળ ધપાવ્યો હતો. યોગી આદિત્યનાથ દ્વારા થયેલા બિકૃષ્ટ કક્ષાનાં ભારે પ્રચારમાં અને વિભાજનકારી ભાષણો પણ આ પરિણામનું એક મહત્ત્વપૂર્ણ કારણ હતું, જોકે, તે એકલહેતુથી મત આપનારા લોકોના મનને કળવામાં નિષ્ફળ ગયા. આદિત્યનાથની રેલીઓ યોજાઈ, તે મોટા ભાગના મતવિસ્તારમાં બી.જે.પી.નું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. રાજસ્થાનના અલવર પ્રદેશમાં, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ગૌરક્ષક ગુંડાઓની ટોળીઓને ઢીલ મળી હતી, ત્યાં ભા.જ.પ.ને ભૂંડી રીતે હાર મળી છે. તેલંગણામાં પણ, જ્યાં આદિત્યનાથે કટ્ટર કોમવાદની તર્જ પર અભિયાન ચલાવ્યું હતું, તે બેઠકોમાં ઘણો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદીએ કરેલાં તોફાની ભાષણો પણ મતદારને તરફેણમાં લાવી શક્યાં નહીં, અને તે વધતા જતા અસંતોષના સંકેત છે.

અંધારપછેડો નાખવાની તેમની લાક્ષણિક યુક્તિમાં સંઘપરિવાર અને ભા.જ.પે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નજીકની સ્પર્ધા આપીને આ નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મતદાનના સંદર્ભમાં, મધ્ય પ્રદેશની ચૂંટણીઓમાં અગાઉની ચૂંટણીની જેમ નજીકની સ્પર્ધા હતી અને અગાઉની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભા.જ.પ. વચ્ચેના તફાવતને ધ્યાનમાં રાખતા ભા.જ.પ.ને ઘણું નુકસાન થયું છે. ભા.જ.પ.ના ઍન્ટિ-ઇન્કમબન્સી સહિતની આવી તમામ સ્પષ્ટતા પછી પણ હકીકત એ છે કે કૉંગ્રેસે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બંનેમાં ભા.જ.પ. સરકારનાં ૧૫ વર્ષનાં શાસનને ઉખાડી નાખ્યું છે, અને રાજસ્થાનમાં ભારે અંતર કાપ્યું છે. કૉંગ્રેસે ૨૦૧૪ની લોકસભામાં રાજસ્થાનમાં ૬૫ બેઠકોમાંથી ૬૨ બેઠકો પર જીત મેળવનાર ભા.જ.પ. માટે એક મોટો પડકાર ઊભો કર્યો છે. ભા.જ.પે. શહેરી વિસ્તારોમાં પણ નુકસાન સહેવું પડ્યું છે. હકીકતમાં ગ્રામીણ કરતાં શહેરી મતવિસ્તારોમાં થયેલું ધોવાણ વધુ નોંધપાત્ર છે. તે બેરોજગારીને લઈને નિરાશા અને નાના વ્યવસાયો પર જી.એસ.ટી.ની વિપરીત અસરનો સ્પષ્ટ સંકેત છે. એવું માનવામાં આવે છે કે શહેરી ભારતમાં મોદી અને ભા.જ.પ.ને ઘણું સમર્થન છે, પરંતુ આ ચૂંટણીઓએ આ ધારણાને પણ હલાવી દીધી છે.

જો કે, અસંતોષ અને દુદર્શાની મર્યાદાને ધ્યાનમાં લેતાં કૉંગ્રેસે વધુ માર્જિન સાથે વિજય મેળવવો જોઈતો હતો. છત્તીસગઢમાં કૉંગ્રેસે માત્ર બે-તૃતીયાંશથી નજીકની બહુમતીથી જીતીને ભા.જ.પ.ને હાર આપી છે. શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતાના બનાવટી ખુલાસાઓ અને રાજસ્થાનમાં મોદીના આખરી સમયના આક્રમણે કૉંગ્રેસને ખાળી છે. કૉંગ્રેસ પાર્ટીની અધૂકડી સફળતા તેની સંગઠનાત્મક નબળાઈઓને અને લોકોના જીવન અને આજીવિકાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અક્ષમતાને આભારી છે. કૉંગ્રેસ છત્તીસગઢની સફળતામાંથી પાઠો શીખી શકે છે, જ્યાં તેનું કેમ્પેઈન લોકોની તકલીફો પર સતત ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં, ડાબેરી સંસ્થાઓ અને લોકોની મૂવમેન્ટ હેઠળના ખેડૂતોના વિરોધમાં કૉંગ્રેસને ફાયદો થયો છે કારણ કે તે ત્યાં દ્વિપક્ષી સ્પર્ધામાં કૉંગ્રેસને ડિફોલ્ટ-પસંદગી તરીકે જોવામાં આવે છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભા.જ.પ.ના મતહિસ્સા અને સામાજિક આધારને પુનઃપ્રાપ્ત કરવાના અવકાશને છોડીને કૉંગ્રેસને ફક્ત ડિફોલ્ટ – પસંદગી તરીકે જોવી યોગ્ય નથી. તે લોકોના જીવનની સ્થિતિ સુધારવા અને સામાજિક સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટેની વૈકલ્પિક નીતિના વચન તરીકે જોવાવી જોઈએ. ગ્રામીણ તકલીફોને ધ્યાન પર લેવાની સાથે તેને કહેવાતા ગૌરક્ષકો અને સંઘપરિવારની ઠગપ્રવૃત્તિઓને ખાળવાના મત તરીકે જોવું જોઈએ. સંઘપરિવાર અને બી.જે.પી. દ્વારા વિભાજિત સાંપ્રદાયિક ઝુંબેશ ચૂંટણીમાં વેગ પકડે છે, તે ધ્યાનમાં લેવાનું વધુ મહત્ત્વપૂર્ણ છે. લોકસભા – ચૂંટણીઓ સુધીના ટૂંકા ગાળામાં, ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ સરકારની સ્થાપના આ પરિણામો દ્વારા પ્રાપ્ત થતી ગતિને જાળવી રાખવા માટે આ પ્રકારની નીતિઓની રૂપરેખા પ્રદાન કરશે, તેવી અપેક્ષા છે. આ મતદાન પરિણામોના મુખ્ય સંદેશાને સતત વળગી રહેવામાં આવે, તો વિરોધપક્ષની તરફેણમાં આ પરિવર્તન ટકાવી શકાય છે, જેમાં ‘લોકો’ ફરી રાજનીતિના મંચના કેન્દ્રમાં પાછા આવે છે. જાહેર સંવાદનું કેન્દ્ર નેતાની નીતિઓ પર હોવું જોઈએ અને નેતાના વ્યક્તિત્વ પર નહીં. આવનારી લોકસભા – ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના સહસંબંધમાં નિર્ણાયક બદલાવ માટે આવાં પરિવર્તન આવશ્યક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 07

Loading

મરાઠા અનામત : મામાનું ઘર કેટલે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2019

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર અસરકર્તા મુદ્દાઓમાં એક મુદ્દો અનામતનો પણ હતો. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિને તેની વસ્તીના પ્રમણમાં અનામતવધારો મળતો નથી તેનો રોષ હતો તો તેલંગણામાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ મુસ્લિમોને અનામત આપી ખુશ રાખ્યા હતા. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યનો બળુકો મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં ૧૬ % અનામત આપતો કાયદો સર્વાનુમતે પસાર થયો છે. મહારાષ્ટ્રમાં હાલ ૫૨ % અનામત અમલમાં છે. નવી ૧૬ % સાથે અનામતનું પ્રમાણ ૬૮% થયું છે. ૪૯ % કરતાં વધુ અનામત આપી શકાય નહીં તે અને અન્ય બાબતોને લઈને આ અનામતને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અદાલતે જો કે કોઈ મનાઈહુકમ નથી આપ્યો પણ જ્યારે આ મેટર સબજ્યુડિસ છે ત્યારે નવી મરાઠા અનામત પ્રમાણે સરકારી ભરતીની જાહેરાત અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે અઢીએક વરસ પહેલાં, ૧૬મી જુલાઈ ૨૦૧૬ના રોજ, મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાંખી હતી. આ બનાવથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું હતું. સ્વયંભૂ, સામૂહિક નેતૃત્વ ધરાવતું, બિનરાજકીય, ખાસ્સું અહિંસક અને ભારે લોકસમર્થન ધરાવતું “મરાઠા ક્રાંતિ મોરચા”નું આંદોલન કોપર્ડીકાંડથી હઠીને મરાઠા અનામત આંદોલન બની ગયું. ૫૦ કરતાં વધુ મૂકમોરચા અને લાખોની મેદનીએ તમામ રાજકીય પક્ષોને મરાઠા અનામતની તરફેણમાં મૂકી દીધા.

૧૩ કરોડની મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓ ૩૦% હોવાનું મનાય છે. વિધાનસભાની સો કરતાં વધુ બેઠકો પર મરાઠા વોટ નિર્ણાયક છે. રાજ્યના મોટાભાગના મુખ્યમંત્રીઓ મરાઠા હતા. સુગર ફેકટરીઓ સહિતના સહકારી ક્ષેત્ર, ખાનગી, સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જો કે તેને કારણે રાજ્યનો સઘળો મરાઠા સમુદાય સાધન સંપન્ન નથી. એક નાનકડો વર્ગ જરૂર સુખી અને સંપન્ન છે પણ મોટો ગ્રામીણ સમાજ પછાત અને ગરીબ છે.

૨૦૧૪માં રચાયેલી નારાયણ રાણે સમિતિ અને તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે તેના અહેવાલોમાં મરાઠાઓની વિકટ સ્થિતિ દર્શાવી હતી. વર્તમાન અનામત આંદોલન પછી રાજ્ય પછાત વર્ગ પંચે ૨ લાખ રજૂઆતો, ૨૦ લોકસુનાવણીઓ અને ૩૬ જિલ્લાઓનો સર્વે કરીને મરાઠાઓ પછાત હોવાનું તારણ કાઢી,  ૧૬% અનામતની ભલામણ કરી છે. સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ગામડાંઓમાં મોટા ખેડૂત મરાઠાઓ અલ્પ છે જ્યારે નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ વર્ગ છે. શહેરોમાં તે કૂલી અને માથોડી કામદાર તરીકે પણ જીવે છે. ૭૦% મરાઠા કાચા ઘરોમાં રહે છે, ૭૮.૮૬% ખેતી અને ખેતમજૂરી પર નભે છે. ૫૨% દેવાદાર છે. ૩૭.૨૮% ગરીબીની રેખા હેઠળ જીવે છે. ૧ લાખ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા મરાઠા ૯૩ % છે. માત્ર ૪.૩૦% જ ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરીઓમાં તેમની ટકાવારી ૬.૯૨ % જ છે.

ગુજરાતના પાટીદાર, રાજસ્થાનના ગુર્જર, હરિયાણાના જાટ, આંધ્રના કાપૂ અને મહારાષ્ટ્રના મરાઠા લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશોની સરકારો પૂરતા બંધરણીય અને કાયદાકીય અભ્યાસ વિના, જાણે કે થોડા સમય માટે મુદ્દાને થાળે પાડવા જ, અનામત આપી દે છે. અદાલતો તેને ગેરબંધારણીય ઠેરવે છે. તેથી દોષનો ટોપલો કોર્ટો પર ઢોળી પોતે તો પછાતોના હામી છે પણ અદાલતો અંતરાય છે તેવી છાપ ઊભી કરે છે. ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે અને ૨૦૧૫માં વર્તમાન બી.જે.પી.-શિવસેના સરકારે મરાઠાઓને અનામત આપી હતી. પણ તે અદાલતમાં  ટકી નહોતી. હાલની ૧૬% અનામત પણ અદાલતમાં ટકશે કે કેમ તે સવાલ છે જ. મહારાષ્ટ્ર સરકારે બચાવ તો કરી જ દીધો છે કે “તેણે મરાઠાઓની માંગણી માટે ઈમાનદાર અને ઉત્તમ પ્રયાસ કર્યો છે.”

ભારતના બંધારણના આર્ટિકલ ૧૬માં રાજ્યની નોકરીઓમાં નાગરિકને ભેદભાવ વિના સમાન તકની જોગવાઈ છે. તેમાં “જે વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ના હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની” અને તેથી “સમાન તકનો ભંગ થશે નહીં” તેમ જણાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જન જાતિને બંધારણના અમલ સાથે જ અનામત આપવામાં આવી છે જ્યારે અન્ય પછાત વર્ગો માટેની અનામતો ઘણી મોડી અમલી બની હતી. રાષ્ટ્રીય કક્ષાએ વી.પી. સિંઘના પ્રધાનમંત્રીત્વ કાળમાં મંડલ કમિશનના સ્વીકાર પછી ૨૭ % ઓ.બી.સી. અનામત આવી છે.

અનામતનો માપદંડ સામાજિક શૈક્ષણિક પછાતપણું અને વહીવટ તથા રાજકારણમાં અપૂરતા પ્રતિનિધિત્વનો છે. ભારતના બંધારણમાં હાલમાં ગરીબો માટે એટલે આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ નથી. નરસિંહરાવની કૉન્ગ્રેસી સરકારે ગરીબો માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. તેને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કરી હતી. અદાલતે અનામતની મહત્તમ મર્યાદા ૪૯ % ઠરાવી હતી. તે પછી જુલાઈ ૨૦૧૦માં ચોક્કસ કારણો અને હકીકતોના આધારે તે મર્યાદામાં થોડી છૂટ આપી હતી. દેશના કેટલાક રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધારે છે.

મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ૧૩%, જનજાતિ ૭%, ઓ.બી.સી. ૧૯%, વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની ખાસ જાતિઓની ૧૩ % મળી કુલ ૫૨% અનામતો અમલી છે. હવે નવી ૧૬% મરાઠા અનામત ઉમેરતાં કુલ પ્રમાણ ૬૮% થયું છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને વાજબી ઠેરવવા ઓ.બી.સી. કમિશનનો આધાર લે છે. પરંતુ દેશમાં અને રાજ્યોમાં ઓ.બી.સી. અનામત એક જથ્થે અને વધુમાં વધુ ૨૭% જ રાખી શકાતી હોય ત્યારે મરાઠા અનામત રાજ્યની હાલની ૧૩% ઓ.બી.સી. અનામત ઉપરાંત માત્ર મરાઠાઓ માટે જ રાખવી કાયદાકીય રીતે ન સમજાય તેવી બાબત છે. વળી ૪૯% કરતાં વધુ પ્રમાણ માટે રાજ્ય ઓ.બી.સી. પંચનો રિપોર્ટ જ પર્યાપ્ત નથી. તમિલનાડુ સરકારની જેમ મરાઠા અનામતને અદાલતી સમીક્ષાથી પર રાખવા, તેને બંધારણની નવમી અનુસૂચિમાં મુકવાનો બંધારણ સુધારાનો માર્ગ પણ સરકારે લીધો નથી. એટલે સરકાર જેને ઈમાનદાર પ્રયાસ ગણાવે છે તે લોલીપોપ પણ બની જાય તેમ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...2,8752,8762,8772,878...2,8902,9002,910...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved