Opinion Magazine
Number of visits: 9684845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધે આર અસ : વૈકલ્પિક નેતૃત્વનું વ્યાકરણ

હેમાંગ દેસાઈ, હેમાંગ દેસાઈ|Opinion - Opinion|2 April 2019

૧૬ માર્ચે વિલિયમ કોનોલી નામના લબરમૂછિયાએ મેલબોર્નમાં પત્રકારોને સંબોધી રહેલા સેનેટર ફ્રેઝર એનિંગના માથે ઈંડું ફોડ્યું. વાઇરલ થયેલા વીડિયોમાં, ભુરાયેલો આધેડ, પડછંદ એનિંગ, કોઈ પણ જાતની તપાસ કે પૃચ્છા કર્યા વિના સીધો સાંઠીકડી જેવા છોકરા પર તૂટી પડે છે. અંડાફોડ પાછળનું કારણ હતું, એનિંગે ૧૫ માર્ચના રોજ ન્યુઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધે કરેલી મુસ્લિમ અને મુસ્લિમ-સ્થળાંતરવિરોધી ટિપ્પણી. શરણાર્થીઓ પ્રત્યે સકારાત્મક નીતિ હેઠળ ન્યુઝીલૅન્ડના વડાપ્રધાને ૨૦૨૦ સુધીમાં શરણાર્થીઓનો વાર્ષિક કોટા ૧૦૦૦થી ૧૫૦૦ કરવાની જાહેરાત કરી હતી. દેખીતી રીતે, કોનોલીનું અંડાફોડ ગૌર સર્વોચ્ચવાદી માનસિકતા અને વૈકલ્પિક દક્ષિણપંથી વિચારધારા પરત્વે નોંધાવેલો સાંકેતિક વિરોધ હતો. પરિણામ- સ્વરૂપે સોશિયલ મીડિયામાં કોનોલીની તરફેણમાં અને ટીકામાં સાઇબર સૈનિકોની સેના અને મીમ મિસાઇલો ખડકાઈ ગઈ. કોઈકે કોનોલીને ‘હીરો’ કહ્યો તો કોઈકે એની સાધન-પસંદગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. પણ પ્રશ્ન એ છે કે ક્રાઇસ્ટચર્ચ જેવી ઘટના સંબંધે  ફ્રેઝર જેવા લોકપ્રતિનિધિ પાસે આમઆદમીને શી અપેક્ષા હોય? સામાન્ય રીતે તો નેતાઓ આવી ઘટનાને વખોડી કાઢે, પોતાની દિલગીરી વ્યક્ત કરે, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે અને પછી બૅંક ટુ બિઝનેસ. જો કે અસામાન્ય સંજોગોમાં આત્માની જગ્યાએ મતપેટી ધરાવતા રાજકારણીઓ મૂંગા મરે, ટાંટિયા ઢસડે અને બધું ટાઢું પડી જાય તેની રાહ જુએ. લોકો અને મીડિયા તરફથી વધારે દબાણ આવે, તો પછી ટોકનિઝમ જેવું મોળું-મોળું કંઈ બોલે.

ફ્રેઝરની મુસ્લિમ વિરોધી ટિપ્પણી એની વિકૃત, અંતિમવાદી, વંશીય-રાષ્ટ્રવાદી માનસિકતાની દ્યોતક છે. ફ્રેઝર એક એવા રાજકીય અને સામાજિક વાંઙમયનું પ્રતિનિધિત્વ કરે છે જે ‘અન્ય’ પરત્વેની ઘૃણા અને ધિક્કાર પર ઊભું છે; એને મન ઇતિહાસ અને સમાજ સીધી લીટીમાં ગતિ કરે છે અને જનસંસ્કૃતિઓને અને સમુદાયોને ભૌગોલિક, વંશીય, કોમી અને જાતિગત સીમાઓથી બાંધી શકાય છે. બીજી બાજુ, એક લોકપ્રતિનિધિ હોવા છતાં જાહેર જગ્યાએ લોકોની નજર સામે જે રીતે ફ્રેઝર કોનોલી પર ઝપટે છે, એ એની ફાસીવાદી માનસિકતા અને મતભેદ, પ્રશ્નો અને વિવેચના પ્રત્યેની સૂગ છતી કરે છે. સવાલ એ છે કે વિકૃત માનસિકતા અને હિંસક શારીરિકતાનું ઘાતક સંયોજન એવા ફ્રેઝર અને જે આતંકવાદીએ પચાસ લોકોની નિર્મમ હત્યા કરી એ નરપિશાચ વચ્ચે કોઈ તફાવત છે? બંને જણાંની વાણી, વર્તન અને વિચારમાં દેખીતું અને આઘાતજનક સામ્ય છે; ફર્ક ફક્ત એમના પ્રતિઘાતની તીવ્રતા અને પરિમાણનો છે.

વંશીય, જાતીય, લૈંગિક અને ધર્મના નામે કરાયેલા નરસંહારનો ઇતિહાસ ચકાસતાં જણાય છે કે આવા આતંકવાદીઓએ હંમેશાં પ્રસાર-માધ્યમોનો દુરુપયોગ કર્યો છે. ક્રાઇસ્ટચર્ચના હુમલાને પણ નરપિશાચે ફેસબુક લાઇવ થકી રિયલ ટાઇમમાં ‘સ્ટ્રીમ’ કર્યો. તદુપરાંત, હુમલાની નવ મિનિટ પહેલાં તોંતેર પાનાંનું ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ નામનું ઘોષણાપત્ર ૩૦ જેટલા લોકોને ઇમેલ કર્યું, તેમ જ ટિ્‌વટર અને ઇન્ફિનિટિચન પર અપલોડ કર્યું. ઘોષણાપત્રનું શીર્ષક એ નામના દક્ષિણપંથી સિદ્ધાંત તરફ ઇશારો છે જે મુજબ યુરોપની ગોરી ખ્રિસ્તી પ્રજા, તેમની સંસ્કૃતિ અને સભ્યતા ત્રીજી દુનિયાની પ્રજાના સામૂહિક સ્થળાંતરને પરિણામે ધીમે-ધીમે લુપ્તતાની ગર્તામાં ધકેલાઈ રહી છે. ઘોષણાપત્રમાં યુરોપિયન પ્રજોત્પત્તિ સંકટ, વસ્તીવિષયક અસમાનતા, મુસ્લિમ-સ્થળાન્તર અને એમની ઉચ્ચ પ્રજનનક્ષમતા વગેરે મુદ્દાઓનું ધરાર સામાન્યીકરણ કરવામાં આવ્યું છે. પોતાને ઇકો-ફાસિસ્ટ કહેતા આ હત્યારાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર વિશેના વિચાર સીમાઓમાં બંધાયેલા છે. કોઈ પણ પ્રકારનું સીમોલ્લંઘન – ભૌગોલિક, જાતીય, ધાર્મિક અને સાંસ્કૃતિક – એને મન નિષિદ્ધ છે. ઓછી સમજ અને કટ્ટરવાદની ભૂમિકા પર ગોઠવાયેલા આ પ્રકારના તુચ્છ પણ ખતરનાક વિચારો લગભગ પ્રત્યેક સમાજનાં લમ્પન અને સામંતવાદી અવકાશોમાં પ્રવર્તતા હોય છે; જેમ કે પાનના ગલ્લે થતા ગપાટામાં, બસસ્ટૅન્ડની દીવાલો પર રાતના અંધારામાં ચોરીછૂપે ચોંટાડેલાં બિલ્સ અને પોસ્ટરોમાં, જાહેર શૌચાલયોની દીવાલો પર બૉલપેનથી લખેલા સંદેશામાં વગેરે. આ અવકાશોમાં પણ એમની ઉપસ્થિતિ ચિંતાજનક તો છે જ, પણ ખતરનાક નથી. સામુદાયિક જીવન પર ખતરો તો ત્યારે તોળાય છે, જ્યારે આ ઝેરી વાંઙ્‌મય સાર્વજનિક ક્ષેત્રમાં પ્રવેશે છે, જ્યારે ફ્રેઝર જેવા નેતા અને પ્રતિનિધિઓ થકી જાહેરજીવનમાં આ વિચારોનું મેઇનસ્ટ્રીમિંગ થાય છે.

ક્રાઇસ્ટ ચર્ચના ઘોષણાપત્રમાં માત્ર બે પ્રધાન વિચાર છેઃ સ્થળ(ઘર) અને સંખ્યા. હત્યારો લખે છે, યુરોપ ગોરીપ્રજાનું ઘર છે જેમ મધ્યપૂર્વ કે આફ્રિકા મુસ્લિમપ્રજાનું અને ઇઝરાયેલ યહૂદીઓનું ઘર છે. એ લોકો એમના પોતાના ઘરમાં રહે, પોતાનો ધર્મ પાળે અને પોતાની પરંપરાને જાળવે એનો વાંધો નથી. પરંતુ જ્યારે એ લોકો અતિક્રમણ કરી યુરોપમાં ઘૂસે અને પછી ઊંચા પ્રજનનદરને કારણે ઘેટાં-બકરાની જેમ વધવા માંડે – ત્યારે ઘરના માલિકોનો અવકાશ તો ઓછો થાય જ, પણ સાથે સાથે સહવાસ અને સંક્રમણને કારણે એમની શુદ્ધ, મૂળ સંસ્કૃતિ અને પરંપરા પણ દૂષિત થાય. અહીં અંકિત થતી ‘ઘર’ની પરિકલ્પનામાં ભારતીય નેતૃત્વની ભાષાના પડઘા સંભળાય છે. આ જ નેતૃત્વે સમય-સમયે જનમાનસમાં મદ્રાસી, બિહારી, ભૈયા અને મારવાડી પ્રત્યે સૂગ પેદા કરી છે. અરીસાની દીવાલોવાળા વૈચારિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય ઘરમાં આપણે ફક્ત પોતાની જ છબી જોવા માટે તૈયાર અને તત્પર બની ગયા છીએ અને એ સેક્રોસૅંક્ટ સ્પેસમાં અન્યનો પ્રવેશ રોકવા માટે સજડબંબ કિલ્લેબંધી કરી રહ્યા છીએ. આ મનઃસ્થિતિનાં મૂળ જેટલાં સામ્રાજ્યવાદ અને મૂડીવાદમાં પડ્યાં છે એટલાં જ ફાસીવાદ, રાષ્ટ્રવાદ અને બહુસંખ્યકવાદમાં પડ્યાં છે. વધુમાં હત્યારો લખે છે, અલ્પસંખ્યક હોવું એ અભિશાપ છે, કારણ કે એમનું હંમેશાં દમન અને શોષણ જ થતું હોય છે. સામાજિક સંરચનામાં સંખ્યાના તત્ત્વને મહત્ત્વ આપવાનું શ્રેય પ્રજાસત્તાક રાજ્યવ્યવસ્થાને ફાળે ભલે જતું હોય પરંતુ અલ્પસંખ્યકોની કફોડી હાલત માટે લોકતંત્રને જવાબદાર ઠેરવવું એ પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું છે. ભારતીય સંવિધાનમાં અલ્પસંખ્યકોનાં કલ્યાણ, રક્ષણ અને સ્વાયત્તતા મારે પૂરતાં પ્રાવધાન છે. આમ છતાં જો એક સમાજ તરીકે આપણે નિષ્ફળ ગયા હોય, તો એની જવાબદારી આપણા રાજકીય પ્રતિનિધિઓની, સામાજિક આગેવાનોની અને ધર્મગુરુઓની અને સાથે – સાથે નાગરિકોની પણ છે, કેમ કે આપણે જ એમને ગાદીપતિ બનાવ્યા છે.

ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિનાં ક્ષેત્રોનું અંધાધૂંધ પરિમાર્જન કરવું, એમાંથી અનધિકૃત અને અપ્રમાણભૂત તત્ત્વોનો નિકાલ કરવો અને સામાજિક જીવનમાં ઐતિહાસિકતાને બદલે અવકાશને પ્રાધાન્ય આપવું વગેરે અતિવાદી વિચારધારાના સિદ્ધાંતોની પુષ્ટિ કરતા ફ્રેઝર અને ક્રાઇસ્ટ ચર્ચનો હત્યારો એક સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાના પૂરક છે અને એટલા જ હિંસક છે. ફ્રેઝરની હિંસા ભાષા થકી અભિવ્યક્ત થાય છે. એ એવો નાઝીવાદી નેતા છે જે સેનેટમાં પોતાના પહેલવહેલા ભાષણમાં જ મુસ્લિમોના સ્થળાન્તર સંબંધે ‘ફાઇનલ સૉલ્યુશન’ની વાત કરી શકે છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ ફ્રેઝરના કાકા-મામાના મળી આવે છે. હકીકતમાં રાજકીય હિતો ખાતર થતો હિંસક ભાષાનો પ્રયોગ જાતિસંહારના ઇતિહાસમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવતો રહ્યો છે. નાઝીઓ દ્વારા યહૂદીઓ માટે વપરાયેલું ઉંદરડાનું રૂપક હોય, રોહિંગ્યા મુસલમાનોની કત્લેઆમમાં તેલ રેડનારું ‘પાગલ કૂતરાંઓ’નું રૂપક હોય, તુસ્તીઓ માટે વપરાયેલું ‘વંદા’નું રૂપક હોય, આર્મેનિયન પ્રજા માટે વપરાયેલું સડન અને પરોપજીવીનું રૂપક હોય કે પછી ભારતમાં બાંગ્લાદેશી મુસલમાનો માટે વપરાતું ‘ઊધઈ’નું રૂપક હોય, આ બધી ભાષાઓના મૂળમાં ધર્માંધતા, ઝેનોફોબિયા અને ઘૃણા રહેલાં છે અને ભાષા થકી એ ઝેરનું જનમાનસમાં રીતસર આરોપણ અને લેજિટિમાઇઝેશન કરવામાં આવે છે. આવા ગંધાતા આંતરરાષ્ટ્રીય રાજકીય વાતાવરણમાં જસિન્ડા આરડર્ન શીતળ, ચોખ્ખી હવાની લહેરખી પેઠે વહી આવે છે.

એ ગોઝારા દિવસે ન્યૂ પ્લાઇમાઉથમાં ક્લાઇમેટ ચેઇન્જના મુદ્દે હડતાલ પર બેઠેલા સ્કૂલના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા જસિન્ડા સરપ્રાઇઝ વિઝિટ કરે છે અને બાળકોની પહેલને બિરદાવે છે.

“અહીંયાં ન્યુઝીલૅન્ડમાં અમે તમને સાંભળી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે સઘન કાર્યવાહી કરવી પડશે અને થઈ પણ રહી છે. પણ તમે જે કાંઈ કરી રહ્યા છો, તેનાથી પણ અમને ખાસ્સી મદદ મળશે, કેમ કે લોકોના સાથ અને સહકાર વિના અમે આ જંગ જીતી નહિ શકીએ.”

હુમલાના સમાચાર મળતાંની સાથે જ જસિન્ડા બાકી બધા કાર્યક્રમો સ્થગિત કરી સીધાં હોટલ પર પહોંચે છે અને પત્રકારોને સંબોધે છે. આ સંક્ષિપ્ત સંબોધનમાં તેઓ ખૂબ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરે છે, જે લોકોને હુમલા અને હુમલાખોરને જોવાનો-મૂલવવાનો એક દૃષ્ટિકોણ પૂરો પાડે છે. સૌ પ્રથમ જસિન્ડા હુમલાને દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને અસામાન્ય ‘આતંકવાદી’ ઘટના તરીકે લેખે છે. ઘેરા દુઃખની લાગણી સાથે જણાવે છે કે હુમલામાં આહત થયેલા લોકો દેશાંતરવાસીઓ કે શરણાર્થીઓ હોઈ શકે છે.

“એ લોકોએ ન્યુઝીલૅન્ડને પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ન્યુઝીલૅન્ડ એમનું ઘર છે જ. ધે આર અસ. બીજી બાજુ જે લોકોએ આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો છે, એમના માટે અહીં તસુભર જગ્યા પણ નથી.”

પ્રેસ કૉન્ફરન્સ પૂરી કરી જસિન્ડા સીધા વેલિંગ્ટન રવાના થાય છે, જ્યાં ‘બિહાઇવ’ પાર્લામેન્ટ હાઉસમાં મંત્રણા ચાલી રહી છે. એ જ રાત્રે જસિન્ડા રાષ્ટ્રીય શોક જાહેર કરે છે અને સરકારી કચેરીઓ અને ઇમારતો પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાની સૂચના જારી કરે છે. ટ્રમ્પ વિરોધી મનાતાં જસિન્ડા ટેલિફોનિક વાતચીત દરમિયાન ટ્રમ્પને જણાવે છે : આ ઘડીએ યુ.એસ. પાસે ન્યુઝીલૅન્ડને એક જ અપેક્ષા છે, આખી દુનિયાના મુસ્લિમ સમુદાય માટે સહાનુભૂતિ અને પ્રેમ. બીજે દિવસે સવારે જસિન્ડા સીધા ક્રાઇસ્ટચર્ચ પહોંચે છે અને ઘાયલો અને પીડિતોનાં કુટુંબીજનોની મુલાકાત લે છે. કાળા રંગનો હિજાબ પહેરી જસિન્ડા મુસ્લિમ સમુદાયને જે રીતે સંબોધે છે, તે ભારતમાં આજની તારીખમાં તો દુર્લભ છે.

“સલામ આલેકુમ! આજે હું અહીં દુઃખ લઈને આવી છું, ન્યુઝીલૅન્ડના લોકો અનુભવી રહ્યા છે, એ પારાવાર દુઃખ. તમારું દુઃખ અમે સમજી શકીએ છીએ, કેમ કે તમે પારકા નથી. યુ આર અસ.”

જસિન્ડાનો વાર્તાલાપ એક બાજુ સહાનુભૂતિ અને અનુકંપાથી તરબતર છે, તો બીજી બાજુ એક કાબેલ પ્રશાસનના નેતાને છાજે એ રીતે તે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અને સલામતીનાં પગલાંનો પણ અહેવાલ આપે છે. મૃતકોની દફનવિધિ, ન્યુઝીલૅન્ડમાં બેખોફ વસવાટ અને બંદગી માટે સલામત વાતાવરણ તથા રાજ્યની વળતર માટેની યોજના (જેમાં દફનવિધિનો ખર્ચ અને સાલો સુધીનું નિર્વાહભથ્થું વગેરે સામેલ છે) વગેરે મુદ્દે જસિન્ડા મુસ્લિમ સમુદાયને બાંયધરી આપે છે. સ્ત્રીઓને લાંબુ પ્રેમસભર આલિંગન આપી એમનાં દુઃખમાં શામિલ થાય છે અને પુરુષોની સાથે ગંભીરતા અને દિલાસાભર્યો સંવાદ કરે છે, અને આ સઘળા વ્યવહાર દરમિયાન એના ચહેરા પર સહજ ગમગીની અને મક્કમ પ્રતિબદ્ધતાના ભાવ છવાયેલા રહે છે.

૧૯મી માર્ચે ઊઘડતા સંસદના સત્રમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવે છે. ઇમામ નિઝામ ઉલ હક થાનવી સભાગૃહમાં ધારાસભ્યોની વચ્ચે અરબી પ્રાર્થના ગાય છે. સંસદમાં પોતાના વક્તવ્યની શરૂઆત જસિન્ડા સલામ આલેકુમથી કરે છે. ન્યુઝીલૅન્ડના સાંસ્કૃતિક ચરિત્રને પરિભાષિત કરતાં કહે છે કે ૨૦૦ જેટલી જાતિ અને ૧૬૦ જેટલી ભાષાઓથી સમૃદ્ધ આ દેશના દરવાજા લોકો માટે હંમેશાં ખુલ્લા રહ્યા છે. પરંતુ ક્રાઇસ્ટચર્ચની ઘટના પશ્ચાત્‌ એ દરવાજા ઘૃણા અને આતંક ફેલાવતાં લોકો માટે સદંતર બંધ થઈ ગયા છે. દેશની મસ્જિદોની બહાર ઊભરાતાં ફૂલોના ઢગલા લોકોના પ્રેમ અને સહાનુભૂતિનું પ્રમાણ છે. પણ એક દેશ તરીકે અમે અમારા લોકોને હિંસાના ભયથી આઝાદ કરવા માંગીએ છીએ; જાતિવાદ ને ઘૃણાના વાતાવરણથી મુક્ત કરવા માંગીએ છીએ, જેમાં આવી હિંસા ફૂલતીફાલતી હોય છે. આપણી પાસે એમ કરવાની શક્તિ છે અને આપણે આઝાદી મેળવીને જ જંપીશું. વક્તવ્યમાં જસિન્ડા ફ્રેઝરના પ્રતિરૂપ સમા આતંકવાદી વિષે કહે છે :

“એના ત્રાસવાદી કૃત્ય પાછળ ઘણાં પ્રયોજનો હશે, પણ એમાંનું એક છે (બદ)નામના અને એટલા માટે જ હું કદી એનું નામ નહિ લઉં. એ એક આતંકવાદી છે, એક ગુનેગાર છે, એક અંતિમવાદી છે, પણ જ્યારે હું એના સંબંધમાં વાત કરીશ, ત્યારે એ એક નામવિહોણો માણસ હશે. આપણે, અહીં ન્યુઝીલૅન્ડમાં, એને કશું જ નહિ આપીએ; નામ પણ નહિ.”

હુમલાના છ દિવસની અંદર જસિન્ડા દેશના ગન લૉઝમાં ફેરફાર કરે છે અને મિલિટરીમાં વપરાતી સેમી-ઑટોમેટિક બંદૂક અને રાઇફલોની ખરીદી અને કબજા પર રોક લગાવે છે. ઉત્તરદાયિત્વની સભાનતા એટલી કે કબજો ધરાવતા નાગરિકો માટે ‘બાયબૅક’ યોજના ચલાવે છે.

અદેખાઓ જસિન્ડાના વ્યવહારને ‘પોશ્ચરિંગ’ કહી ભલે ઉતારી પાડે, પણ વૈકલ્પિક નેતૃત્વની કલ્પના પર રચાયેલું અવ્યાકરણીક ‘ધે આર અસ’નું વ્યાકરણ  સમજવું અઘરું નથી. ભાષાકીય શક્યતાઓની સીમાનો વિસ્તાર સાધી, જસિન્ડા ‘આપણા લોકો’ અને ‘એ લોકો’, ‘પોતાના અને ‘પારકા’, ‘મૂળનિવાસી’ અને ‘દેશાંતરવાસી’, ‘આત્મ’ અને ‘અન્ય’ જેવા ઉભયો વચ્ચે ચણી દેવાયેલી દીવાલો ધ્વસ્ત કરે છે અને નેતૃત્વનું માનવીય, નિષ્પક્ષ અને સંવેદનશીલ રૂપક પૂરું પડે છે. આ રૂપક ભારતના નેતૃત્વને આદર્શ પૂરો પાડે એવી પ્રભુ પ્રાર્થના.              

E-mail : hemargde@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 03-04

Loading

નવી યોજના

ભરત મહેતા|Opinion - Opinion|2 April 2019

રજૂ થાય છે
પ્રધાનમંત્રીના દીર્ઘદર્શન મસાલાથી તરબતર
નવી જ તળેલી યોજના,
‘પકોડા રોજગાર યોજના’… ઢેન ટેણણ …
‘હમારી સરકાર, પકોડા સરકાર’
‘ઘોડા હોય કે ગધેડાં, બેચો રોજ પકોડાં’ …
ટાઢાબોળ થઈ ગયેલાં જુવાનિયાઓ માટે
ખાસ ગરમાગરમ યોજના …
જાહેરાત મોટી છે, અક્ષરો નાના છે, ધ્યાનથી વાંચો,
વિવિધ પકોડાં માટે વિવિધ ડિગ્રીગિરિધારીઓની તાકીદે જરૂર છે.
બહુસાંસ્કૃતિક બહુધાર્મિક આ યોજનામાં
માસ્ટર્સડિગ્રી ફરજિયાત છે
પણ બેચલર હશે તો બેચલર ચાલશે!
વચ્ચેવાળાઓની સ્થિતિ હાલ તુરત વિચારણા હેઠળ છે!
તમને નોટબંધીની લાઇનમાં, જી.એસ.ટી.ની લહાયમાં, મોંઘવારીના મારમાં,
અમારા સ્વયંસેવકોએ પકોડાં પહોંચાડેલા જ છે!
ડૉક્ટર હો કે હો એમ.બી.એ.
પકોડાં રોજગારયોજનાનો લાભ લો, લોન લો, ફ્રૅન્ચાઈઝી ખોલો,
‘શરતો લાગુ’ બરાબર વાંચી લેવું
પકોડાં બનાવનારે બનાવતાં-બનાવતાં,
વેચનારે વેચતાં-વેચતાં, ખાનારાઓએ ખાતાં-ખાતાં
પ્રધાનમંત્રીનો હસતો ફોટો નિહાળવો ફરજિયાત છે!
બીફ પકોડાં ખાવાં હોય કે શીખવાં હોય, તો
ગોવા કે પૂર્વોત્તરમાં અમારી જ શાખા છે!
કોઈ પણ પક્ષમાંથી કૂદી આવો,
‘પકોડે પકોડે પે લિખા હૈ હમને ખાનેવાલે કા નામ!’
સાવ જ ચિલ્લર છે એમના માટે
કારકિર્દી ઘડવાની સોનેરી તક છે
અમારી ‘પકોડાં શિશુ કૌશલ કેન્દ્ર યોજના’
તત્કાળ નામ નોંધાવી દો. રજિસ્ટ્રેશન બંધ પણ થઈ શકે!
શું કહ્યું ? ડિગ્રી જ ખોવાઈ ગઈ છે? પ્રધાનમંત્રીની જેમ સ્મૃતિમાં નથી?
ગભરાવ નહીં, તમારી ખાસ અલગ-અલગ જોગવાઈ છે.
કલમ ચારસો ઓગણીસ ને એક પ્રમાણે તમને
‘પ્રધાનમંત્રી વિશેષ પકોડા યોજના’ હેઠળ સમાવાશે!
વિશ્વગુરુ ભારતના, વિશ્વસમસ્તને પહોંચાડવાનાં પકોડાઓ
નીરવ-વિજય-લલિતની જેમ ખોવાઈ ન જાય તે માટે
તમને ચોકીદાર બનવાનો પૂરો ચાન્સ છે.
સરદારની કરોડીમલ મૂર્તિ પછી
વિશ્વનું સૌથી મોટું પકોડું બનાવવાનો દૃઢસંકલ્પ
નવા ઘોષણાપત્રનો એકમાત્ર અને અનન્ય ઉમેરો છે!
ઓહ્‌હ! વાઉઉ! કવિ છો? પ્રધાનમંત્રીની જેમ જ!
તો આવી જાવ મેદાનમાં :
માત્ર મહામાત્રને પકડો, ‘પકોડાં રાષ્ટ્રગીત યોજના’ અંતર્ગત ભાગ લો!
અકાદમી આવાગમન વત્તા પાંચહજાર પુરસ્કાર તો આપશે જ
પણ પ્રમુખશ્રીના ક્રાંતિકારી સૂચનથી
પ્રત્યેક કવિનું પકોડાંના પડીકાથી સ્વાગત કરવું એ નવા બંધારણમાં ઉમેર્યું છે!
શું? પકોડામાં રસ જ નથી?
‘ઝખ મારવા ભણ્યો’ એમ ન બોલો.
ક્યાંક તમે દેશદ્રોહી, પાકિસ્તાની કે અડબંગ નક્સલ તો નથીને?
તમે ભણેલાં છો એ નેહરુનો ગુનો છે.
પણ ઠીક છે, તમે ચટણી બનાવો, પકોડાંની સાથે પાત્રામાં કામ લાગે,
ચૅનલે-ચૅનલે તીખી, તમતમતી, ગળચટ્ટી, ખટમધુરી, લાલ, લીલી, ભગવી
ચટણીની જાહેરાત કરીશું!
તમને બરાબર વાટતાં આવડે તો પાક્કું!
ચટણી-અધિકારીની જોગવાઈ અલગ છે ને
ઇન્ક્રિમેન્ટ ખાસ્સું છે!

E-mail :bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 09

Loading

જગ વંદનીય કસ્તૂરબા

આશા બૂચ|Gandhiana|1 April 2019

આ ઉક્તિ અગણિત વખત કહેવાઈ ચૂકી છે. તો આજે ફરી તેનો ઉલ્લેખ શા માટે? ગાંધી 150 નિમિત્તે ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે, જે ઉચિત જ છે. માર્ક ટવેઇને જાણે કે આપણને તેવા મહાનુભાવોની સિદ્ધિ પાછળ કોનો કોનો ફાળો હોઈ શકે એ તપાસવા સૂચન કર્યું હતું. આ એમણે દીધું અવતરણ છે : ‘Behind every successful man, there is a woman.’ — Mark Twain

ગાંધીજીના સંદર્ભમાં જોઈએ તો તેમના ચારિત્ર્ય ઘડતરમાં પિતાશ્રી કરમચંદ ગાંધી જેટલું જ અથવા તેથી ય વિશેષ માતા પૂતળીબાઈનું પ્રદાન રહ્યાંનું પ્રમાણ તેમની આત્મકથામાંથી મળી રહે છે. આપણે ગાંધીજીને જેવા જાણીએ છીએ તેવા બનાવવામાં બીજી વ્યક્તિ કે જેણે જાણ્યે અજાણ્યે ભાગ ભજવ્યો હોય તો તે છે કસ્તૂરબા. એ હકીકત નિર્વિવાદ છે. છતાં આપણે ‘બા’ વિષે કેટલું જાણીએ છીએ?

એપ્રિલ 1869(એક સ્ત્રોત મુજબ 11 એપ્રિલ 1869)માં પોરબંદર ખાતે ગોકળદાસ અને વ્રજકુંવરબા કાપડિયાને આંગણે બે ભાઈની લાડકી બહેન કસ્તૂરનો જન્મ. પિતા કાપડ, અનાજ અને રૂનો વેપાર દેશદેશાવરમાં કરતા અને દરિયો પણ ખેડેલો. કસ્તૂર ખૂબ લાડમાં ઉછરેલી. વ્રજકુંવરબા અને ગાંધીજીનાં માતા પૂતળીબાઈ સહિયર. આટલું તેમના બાળપણ વિષે જાણીએ છીએ.

જગતને તો ‘સત્યના પ્રયોગો’ મારફત જ કસ્તૂરબાનો પ્રથમ પરિચય થયો ગણાય. ત્યાર બાદ સ્વાતંત્ર્ય સંગ્રામની વિગતોમાં કસ્તૂરબાનો ઉલ્લેખ જોવા મળે ખરો, પરંતુ તેમની જીવની લખાઈ નથી. ગાંધીજીના પુત્ર મણિલાલના સુપુત્ર અરુણભાઈ ગાંધીએ એ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપ્યું. તેઓ લખે છે, “મોટા ભાગના લોકો એવું માનતા કે બા એક અલ્પશિક્ષિત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. તેઓ પોતાના પતિને જરૂર અનુસરતાં પણ પતિ જે વિરાટ કાર્યો કરતા તે ભાગ્યે જ સમજતાં”. આ માન્યતાને હકીકતનો આયનો બતાવવા અરુણભાઈએ કસ્તૂરબા વિષે લખવાનું નિરધાર્યું. આ કામ ધાર્યા કરતાં કઠિન સાબિત થયું. માતા-પિતા અને ભાઈઓનું નાની વયે અવસાન અને પોરબંદરના પૂરમાં ધોવાઈ ગયેલા તમામ દસ્તાવેજોને કારણે મૌખિક ઇતિહાસ એ જ એક માત્ર સંશોધન માટેનો સ્ત્રોત બની રહ્યો. અહીં નોંધવાનું એ છે કે મુલાકાત આપનારાઓ ગાંધીજીના પ્રેરક વ્યક્તિત્વ અને તેમની અતુલ સિદ્ધિઓથી અંજાયેલા હતા, તેથી કસ્તૂરબાને કેન્દ્રમાં રાખીને માહિતી એકઠી કરવી મુશ્કેલ હતી. આ હકીકત પૂર્વના એક તત્ત્વજ્ઞાનીનાં કથન ‘વટવૃક્ષ નીચે બીજું કશું ઊગી શકતું નથી’ એ પૂરવાર કરે છે. છેવટ ‘અ ફરગોટન વુમન’ પુસ્તક તૈયાર તો થયું, પણ જોજો, તેને પ્રકાશિત કરવામાં ય અડચણો આવી. યુરોપ-અમેરિકાના પ્રકાશકો તરફથી ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિષે કેમ નથી લખતા?’ એવા પ્રતિભાવો મળ્યા. છેવટ 1979માં એક જર્મન પ્રકાશકે તેની જર્મન આવૃત્તિ પ્રગટ કરી. સોનલ પરીખે તેનો ગુજરાતી અનુવાદ આપીને આપણા સહુ પર મોટો ઉપકાર કર્યો. એક બેઠકે વાંચવું ગમે તેવું પુસ્તક. એ પુસ્તકના વાંચનમાંથી ચયન કરીને થોડું પીરસું છું.

ગાંધીજીનાં ઉત્તમ અર્ધાંગિની હોવા ઉપરાંત કસ્તૂરબા ખરેખર કેવાં ગુણો અને શક્તિઓનાં ધની હતાં એ ભાગ્યે જ પ્રકાશમાં આવ્યું છે.

આપણે એ જાણીએ છીએ કે ગાંધીજીએ અન્યાયી કાયદાઓ અને સામાજિક-રાજકીય મુદ્દાઓ લઈને અનેક લડાઈઓ કરી. એ લડાઈના રથના ચક્ર હતાં સત્ય અને અહિંસા. પણ અહિંસાની એક સાધન તરીકેની પોતાની ખોજ વિષે ગાંધીજીના જ શબ્દો ટાંકું, “હું અહિંસા (સત્યાગ્રહ)નો પહેલો પાઠ મારી પત્ની પાસેથી શીખ્યો. મેં તેને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કર્યો. એક તરફ મારી ઇચ્છાનો મક્કમ પ્રતિકાર અને બીજી તરફ મારી મૂર્ખામીને કારણે પડતાં કષ્ટોનો મૂંગે મોઢે સહન કરવાની તેની શક્તિ, કે જેણે છેવટ મને શરમિંદો બનાવ્યો અને હું તેના પર ધણીપણું કરવા જન્મ્યો છું એવી માન્યતામાંથી બચાવી લીધો. અને અંતે તે મારી અહિંસાની ગુરુ બની.” તો એ હતું કસ્તૂરબાનું વ્યક્તિત્વ જે તેર-ચૌદ વર્ષની કુમળી વયે ગાંધીજીના જીવનને સ્પર્શી ગયું અને એક જુદો જ વળાંક આપી ગયું.

મોહનદાસ અને કસ્તૂરબાઈનાં લગ્ન માત્ર તેર વર્ષની કુમળી વયે થયેલ. બંનેને ઉત્તમ સંસ્કાર વારસો મળ્યો, પણ એક તફાવત હતો; કિશોર મોહનને શાળાનું શિક્ષણ મળતું હતું જ્યારે કસ્તૂરને ઘરકામની તાલીમ મળતી હતી. લગ્ન બાદ ગાંધીજીએ કસ્તૂરબાને લખતાં-વાંચતાં શીખવવા માટે ભરચક પ્રયાસો કર્યા, પણ જે અધિકાર સદીઓથી કન્યાઓને કે સ્ત્રીઓને મળેલો જ નહોતો તેની ઝંખના કસ્તૂરબામાં જાગે એ સંભવ નહોતું. જો કે અહીં નાની વયમાં પણ ગાંધીજીમાં સુધારાવાદી વિચારો હોવાનો પુરાવો મળે છે. પરંતુ સમયનાં વહેણ સાથે જે બાળાને ઘરમાં પોતાના પતિ પાસે લખતાં-વાંચતાં શીખવા પ્રત્યે અણગમો હતો, તે કસ્તૂરબા એ તો શીખી જ ગયાં એટલું જ નહીં, જાહેરમાં પ્રવચનો પણ આપવા લાગ્યાં. તેમનું કાઠું કેટલું મોટું થઇ ગયું હશે?

કિશોર વયની ગૃહિણી કસ્તૂરબાનાં સ્વભાવ અને વર્તન વિષે મુખ્યત્વે ‘સત્યના પ્રયોગો’ પરથી માહિતી મળે છે. તે સમયના ગાંધીજીના કસ્તૂરબા પ્રત્યેના અધિકાર જમાવવા હેતુ ફરમાવેલ નિષેધોનો શાંત પ્રતિકાર તેમના વ્યક્તિત્વનું એક પાસું બતાવે છે. તેઓ એક સ્વતંત્ર નારી છે અને કોઈ પણ અયોગ્ય માગણીઓ કે આજ્ઞાઓને આધીન નહીં થાય તેવો સંદેશ એ કુમળી વયે આપેલો, જે સદાય પાળતાં રહ્યાં. આમ છતાં ગાંધીજીના અનેક નિર્ણયોમાં સમજપૂર્વક સાથ આપ્યો અને પોતાની ઈચ્છાઓને મનમાં ધરબી દીધી એ પણ જાણીએ છીએ. ગાંધીજી અને કસ્તૂરબાનાં સુદીર્ઘ પરિણીત જીવનમાં પરસ્પર સાથે અસહમત થવાના અનેક પ્રસંગો આવ્યા. ગાંધીજી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં ઘણી ઊંચાઈને આંબી ગયા; પણ ખરું જોતાં કસ્તૂરબા જ એક માત્ર એવી વ્યક્તિ હતાં જે ગાંધીજી સાથે અસહમત થઇ શકે એટલું જ નહીં, તેમની ભૂલો તરફ આંગળી પણ ચીંધી શકે. આવો અધિકાર પરસ્પર પ્રત્યેના પ્રેમ અને આદરમાંથી જ જન્મી શકે. કસ્તૂરબાનું આવું મહત્ત્વનું સ્થાન બતાવી આપે છે કે તેઓની વ્યવહારિક સૂઝ, અન્યોની જરૂરિયાતો સમજવાની દ્રષ્ટિ અને સિદ્ધાંતોથી પર ઊઠીને પોતાના અને અન્યના અધિકારોની રક્ષા કરવાની આંતરસૂઝ અનોખી હતી.

ગાંધીજી અને કસ્તૂરબાનાં જીવનની ઘટનાઓ પર નજર નાખતાં વિચાર આવે કે તેમના જીવન પંથમાં કંટકો ઘણા વેરાયેલા. કસ્તૂરબાને તરુણ વયે માતૃત્વ મળ્યું અને હાથમાંથી સરી ગયું. પછી જ્યારે ખોળામાં તંદુરસ્ત બાળક રમતો થયો ત્યારે ગાંધીજી વિલાયત આગળ અભ્યાસાર્થે ગયા. ત્રણ વર્ષ જુદાઈમાં વિતાવ્યા. બીજા સંતાનનો જન્મ થયો તેવામાં ગાંધીજી પોતાનું નસીબ અજમાવવા દક્ષિણ આફ્રિકા રવાના થયા. ફરીને કસ્તૂરબાને એકલે હાથે શ્વસુર ગૃહે રહીને સંતાનોના ઉછેરની જવબદારી આવી. આખર કસ્તૂરબા દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પરિવાર તરીકે સાથે રહેવાનો અને આર્થિક સંકડામણમાંથી છુટકારો મળ્યાનો આનંદ ભોગવી શક્યાં. એ સુખ અલ્પજીવી નીવડ્યું. બે સંતાનોની પ્રાપ્તિ થઇ એ લાભ થયો, પણ દક્ષિણ આફ્રિકાના વસવાટનાં વર્ષો ગાંધીજી જાહેર જીવનમાં પડયા હોવાને કારણે તેમની જેમ જ આખા પરિવારે અનેક પ્રકારના લોકોની સાથે રહેવામાં, સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ ભોગવવામાં અને બે જુદાં શહેરોમાં રહીને કઠિનમાં કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવામાં ગાળ્યો. તે સમયે કસ્તૂરબાની ધીરજ, ક્ષમાશીલતા, હિંમત અને પ્રેમભાવના ચરમ સીમાએ પહોંચેલી. ભારત પરત થયા બાદ, અસહકારના આંદોલનો સમયે, રચનાત્મક કાર્યોના પ્રસાર અર્થે અને બાકીના સમયમાં જેલવાસને કારણે ગાંધીજીનો પરિવાર ભાગ્યે જ એક જગ્યાએ ઠરીઠામ થયો. જે નારી પોતે, તેના પતિ અને બે પુત્રો એકી સમયે જેલમાં સખત મજૂરીની સજા ભોગવતા હોય તેનું મનોબળ કેટલું અમાપ હશે?

ગાંધીજીની વિચારસરણી અને કાર્યો જેમ જેમ બહોળા સમાજના હિતને વરીને સાર્વત્રિક બનવા લાગ્યા તેમ તેમ કસ્તૂરબાની પણ એ સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિને સમજીને અપનાવવાની ક્ષમતા ખીલતી ગઈ. દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ તે સમયની કોઈ મહિલા વિચારી પણ ન શકે એવું હિંમત ભર્યું પગલું ભર્યું અને સત્યાગ્રહમાં ભાગ લઇ જેલવાસ સ્વીકાર્યો. પોતાની સાથેની બહેનોને જેલનો ત્રાસ સહન કરવા અને અહિંસક માર્ગમાંથી ન ડગવા પ્રેરણા આપી, હિંમત આપી. 1914માં ભારત પરત થયા બાદ પોતાનું સ્વાસ્થ્ય નબળું હોવા છતાં નારી ઉત્થાન, સ્ત્રી શિક્ષણ, સફાઈ જેવાં ગ્રામોદ્ધારનાં કાર્યો અને અસહકારની ચળવળોમાં પૂરી શક્તિથી ભાગ લીધો, એટલું જ નહીં, આગેવાની પણ કરી. આ બધાં કાર્યો માટે ફાળો ઉઘરાવવામાં કસ્તૂરબા આગળ પડતો ભાગ લેતાં. અસ્પૃશ્યતા નિવારણ માટે દક્ષિણ ભારતમાં ભ્રમણ કર્યું. માનવ માત્ર પ્રત્યે અનુકંપા અનુભવતાં હોવાને કારણે કસ્તૂરબા 1904ના જોહાનિસબર્ગમાં ફાટી નીકળેલ પ્લેગ દરમ્યાન લોકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવું અને પ્લેગના ચિન્હોને કેમ પારખવાં એ શીખવવા દિવસ રાત મજૂર વસ્તીમાં ફર્યાં. તેમ જ ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ચંપારણમાં શરૂ કર્યો ત્યારે કસ્તૂરબાએ એ વિસ્તારની બહેનોને વ્યક્તિગત સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનું કઈ રીતે પાલન કરવું એ સમજાવવાનું અને મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના કાર્યક્રમો હાથ ધરેલા.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ભાગ લીધો ત્યારથી કસ્તૂરબાએ જાહેર જીવનમાં ઝંપલાવેલું જે 1915માં ભારત આવ્યા બાદ અવિરત પણે ચાલુ રહ્યું. આ તબક્કે જાણે પ્રતીત થાય કે કસ્તૂરબા હવે માત્ર પોતાના પતિના માર્ગે ચાલવાનો એક હિન્દુ સ્ત્રીનો ધર્મ છે માટે જ તેમના કાર્યોમાં સાથ નથી આપતાં, પણ એ સઘળા સિદ્ધાંતો અને કાર્યક્રમોમાં તેમની એક અલગ અને અતૂટ શ્રદ્ધા છે માટે સ્વેચ્છાએ કરતાં હતાં. રાજકીય વાટાઘાટો અને બ્રિટિશ રાજના પદાધિકારીઓ સાથે તથા પક્ષીય નેતાઓ સાથેની મંત્રણાઓમાં ગાંધીજી વ્યસ્ત રહેતા, જ્યારે કસ્તૂરબા રચનાત્મક કાર્યોમાં ગળાબૂડ રહેતાં. કોઈ વખત હરિલાલ પાસે થોડા દિવસ રહે કે દેવદાસના સંતાનોની સંભાળ રાખવા પહોંચી જાય. ક્યારેક દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યતા નિવારણનાં કામ અંગે દોડી જતાં એ વાંચતાં વિચાર આવે કે શું તેઓ એકલાં અથવા એકાદ-બે સાથીઓ સાથે આટલી સફર ખેડતાં હશે જ ને? અસહકારના આંદોલનો વખતે પહેલી હરોળના નેતાઓની ધરપકડ થાય તો બીજી હરોળમા અન્ય મહિલાઓ સાથે કસ્તૂરબાનું સ્થાન અચૂક રહેતું.

કસ્તૂરબા અને તેમના જેવી હિંમતવાન મહિલાઓ પારંપરિક દાયરામાંથી બહાર નીકળીને સામાજિક દૂષણોની નાબૂદી, શિક્ષણનો પ્રસાર, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી, ખાદી અને ગ્રામોદ્યોગની પુન: સ્થાપના જેવાં રચનાત્મક કાર્યોથી માંડીને રાજકીય ચળવળોમાં ખભ્ભે ખભ્ભા મિલાવીને સ્વાતંત્ર્ય સંગ્રમમાં કૂદી પડી, એ જોઈને જ ગાંધીજીએ કહેલું, “મારી એવી મક્કમ માન્યતા છે કે ભારતની મુક્તિનો આધાર તેની મહિલાઓની જાગૃતિ અને બલિદાન પર આધાર રાખે છે.” આ વિધાન કરવા પાછળ તેમનો કસ્તૂરબા અને તેમનાં જેવી અસંખ્ય મહિલાઓની ઊંડી સમજણ શક્તિ, સંકલ્પ બળ અને ત્યાગનો પ્રત્યક્ષ અનુભવ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીની દ્રઢ માન્યતા હતી કે પુરુષો કરતાં મહિલાઓ નૈતિક બળમાં ચડિયાતી હોય છે. તેમના મતે સ્ત્રીઓ અહિંસાનું જ મૂર્ત સ્વરૂપ હોય છે અને એનો અહેસાસ તેમને કસ્તૂરબા સાથેના વ્યવહારમાં એક કરતાં વધુ વખત થયેલો. આથી જ તો તેમણે સત્યાગ્રહની લડાઈમાં સ્ત્રીઓને હંમેશ શામેલ કરી.  

આજે કસ્તૂરબાની 150મી વર્ષગાંઠ ઉજવતાં વિચાર આવે કે કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રા કેવી રહી હશે? તેમને પોતાને તો પ્રેમ અને કરુણાથી દોરવાઈને દેશવાસીઓ માટે મુક્તિ સંગ્રમમાં ભાગ લેવો એ સહજ સાધ્ય ધ્યેય લાગ્યું હશે, પણ બાપુને તેનું ઘણું ગૌરવ થયું હશે.

1931માં મીઠુબહેન પિટીટ અને કલ્યાણજીભાઈની નિશ્રામાં નવસારી જિલ્લાના મરોલી ગામે કસ્તૂરબા સેવાશ્રમનો પાયો ગાંધીજીના હાથે નંખાયો. એ સેવાશ્રમની પ્રવૃત્તિઓ હજુ આજે પણ પૂરી નિષ્ઠાથી ચાલતી રહી છે. વધુ રસ ધરાવનારા માટે નીચેની લિંક ઉપયોગી થશે.

http://www.kasturbasevashram.org/#

22 ફેબ્રુઆરી 1944 – આગાખાન મહેલ(કારાવાસ)માં છેવટ બાપુના ખોળામાં કસ્તૂરબાએ નશ્વર દેહ છોડ્યો. ગાંધીજીને કસ્તૂરબા માટે અપરંપાર પ્રેમ, છતાં કસ્તૂરબાના “મારા જેવો પતિ તો દુનિયામાં કોઈને નહીં હોય” એ વચન કસ્તૂરબાનું ગાંધીજી સાથેનું સંવાદી જીવન અને ગાંધીજીના તેમણે આંકેલ મૂલ્યની શાખ પૂરે છે.   

અરુણ ગાંધીએ સાચું જ કહેલું, “ગાંધીજીએ સત્યના પ્રયોગો કર્યા, કસ્તૂરબા સત્યનો અનુભવ કરતાં.”

ભારતની જ નહીં, વિશ્વ આખાની મહિલાઓ માટે એક ધ્રુવતારક સમાં બની ગયેલ આપણા સહુની ‘બા’ને આજે માતૃ દિવસ નિમિત્તે વંદન.

મુખ્ય સ્ત્રોત “બા: મહાત્માનાં અર્ધાંગિની” (મૂળ પુસ્તક Forgotten Woman – લેખક: અરુણ ગાંધી) અનુવાદ: સોનલ પરીખ

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,8692,8702,8712,872...2,8802,8902,900...

Search by

Opinion

  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved