Opinion Magazine
Number of visits: 9578160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તરમી લોકસભા ભણી જતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 March 2019

સોળમી લોકસભાના છેલ્લા દિવસે, હવે ગમે તે ક્ષણે ચૂંટણીજાહેરાત સાથે આચારસંહિતા અમલી બનવામાં છે એવી ગાભણી ને ગોરંભાયેલી પરિસ્થિતિમાં, સ્પષ્ટ બહુમતીની તાકીદ ચર્ચતી સત્તાવાર તકરીર અને સામસામે છતાં સાથે હોવાની વિપક્ષી કવાયત : શું કહીશું, સિવાય કે ધ ડાઈ ઈઝ કાસ્ટ.

મે ૨૦૧૪ની વચનલહાણ સામે ફેબ્રુઆરી ૨૦૧૯ની વિપરીત વાસ્તવિકતા સબબ નમો ભા.જ.પ. સવાલિયા દાયરામાં ઘેરાયેલ છે. પ્રાદેશિક પક્ષો અને ભાજપેતર રાષ્ટ્રીય પક્ષ (કૉંગ્રેસ) પોતપોતાનાં પ્રભાવક્ષેત્રમાં જે તે સાથી પક્ષ પરત્વે સરસાઈ જાળવવા સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રમાણમાં પરસ્પર પૂરક ચિત્ર ઉપસાવી નમો ભા.જ.પ. સામે અસરકારક પડકાર ઊભો કરવાની કોશિશમાં છે. તેરમી ફેબ્રુઆરીની જંતરમંતર રેલી અને શરદ પવારને ત્યાંની ભોજન બેઠક આ સંદર્ભમાં સૂચક પુરવાર થઈ શકે છે.

પવારને ત્યાં મળેલી બેઠકમાં ઊપસી રહેલો એક મહત્ત્વનો મુદ્દો એ હતો કે લોકસભાની ચૂંટણીપૂર્વે સહિયારો કાર્યક્રમ જાહેર થઈ જવો જોઈએ, જેથી પરિણામો પછી વૈકલ્પિક કાર્યક્રમ વિશે કોઈ અસમંજસ ન રહે. આ મુદ્દાનું જમા પાસું એ છે કે એક માત્ર મોદીવિરોધ જ કેમ જાણે એજન્ડા હોય એવી આમ છાપને બદલે કાર્યક્રમની ચર્ચા કેન્દ્રમાં આવે.

જોવાનું એ પણ છે કે નમો ભા.જ.પ.નાં એકંદર શાસનવલણો સામેની વિરોધલાગણી કેવળ રાજકીય પ્રતિસ્પર્ધી વર્તુળોમાં જ છે એવું નથી. સ્વતંત્ર બૌદ્ધિકોના એક મોટા વર્ગે, એમાં પણ કેટલાકે તો ઇંદિરાઈ કટોકટી (૨૬ જૂન ૧૯૭૫) અને હાલના દોર (૬ ડિસેમ્બર ૧૯૯૨) પરત્વે એકસરખી તીવ્રતાથી મોદી ભા.જ.પ.ના વજૂદને પડકારવાપણું જોયું છે. રાજદ્રોહ, દેશદ્રોહ, અર્બન નક્સલ તરીકેની શત્રુખોજના રાજકારણ સામે નાગરિક સમાજ તરીકેની બંધારણીય ભૂમિકાનું એક દર્શન, કંઈક પરિભાષિત – કંઈક અપરિભાષિત, આકાર લઈ રહ્યું છે.

નવા ચૂંટણીચુકાદાનો અવસર તરતમાં આવી મળવાનો છે ત્યારે સમતા અને ન્યાય યુક્ત પરિવર્તનનાં બળો તેમ જ યથાશક્તિનાં બળો વચ્ચે વિવેકની ઇન્દ્રિય સાબદી રાખવી રહેશે.

આજે બને કે આ સ્વતંત્ર જેવાં બળો કૉંગ્રેસ / વિપક્ષ તરફી ખાનામાં ખતવાતાં લાગે પણ એમણે જે વલણો દાખવ્યાં છે તે આવતી કાલે જે નવા સત્તાધીશો આવશે એમને પણ તાવશે અને મૂલવશે જરૂર. એમની નિયતિ (અને સદ્‌ભાગ્ય) એ છે કે જતીઆવતી સરકારોની પેઠે એમની નોકરી હંગામી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 01

Loading

રાખનાં રમકડાં … આ તારું આ મારું કહીને એકબીજાને ભાંડે રે …..

આશા બૂચ|Opinion - Opinion|4 March 2019

એકવીસમી સદીમાં ભારતવાસીઓએ અનેક દિશામાં પ્રગતિ કરી છે, તેમાંની એક છે, પોતાની અસ્મિતા-ઓળખ પાછી મેળવવાની તમન્ના.

દાયકાઓથી પશ્ચિમી રહેણી કરણી અને ખાન-પાનનું અનુસરણ કરતાં કરતાં ઘણા લોકોને એવો અહેસાસ થવા લાગ્યો છે કે હવે આપણે ઇન્ડિયા નહીં, ભારત પણ નહીં પરંતુ ‘હિન્દુસ્તાન’ બનવું જોઈએ.

પોતાના દેશને ‘હિન્દુસ્તાન’ તરીકે ખપાવવા માટે નીચે મુજબના પગલાં લેવાનું આયોજન થયું:

° ઇન્ડિયાની ભૌગોલિક સીમામાં માત્ર જન્મને કારણે ‘હિન્દુ’ તરીકે ઓળખાવતા લોકો એ મતલબનું  પ્રમાણપત્ર રજૂ કરે તેને જ આ દેશમાં વસવાનો અધિકાર મળે. બાકીના બધાને ‘તમારે દેશ જતા રહો’નું ફરમાન કરવામાં આવે.

° એ  દેશવાસીઓએ ‘વંદે માતરમ્‌’ પૂરા જોરશોરથી ગાવું ફરજિયાત રહેશે.

° હિન્દુ પૂર્વજોનું રક્ત પોતાની નસોમાં વહે છે તે સાબિત કરવા સંસ્કૃત ભાષાનું શિક્ષણ વ્યાપક બનાવવું અને ભગવા રંગના પહેરવેશને રાષ્ટ્રીય પોષાક જાહેર  કરવો.

° ગામે ગામ અને શહેરોમાં ફરીને જે શેરીઓ અને માર્ગોનાં નામ મુસ્લિમ હસ્તીઓ સાથે જોડાયેલ હોય તેને હિન્દુ રાજા કે સંતોનાં નામના વાઘા પહેરાવવા. કોઈ વિશ્વવિદ્યાલય, જાહેર સ્થાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવનાર ઇમારતો આ નવા નામાભિધાનની વિધિથી વંચિત ન રહેવાં જોઈએ.

ઉપરોક્ત આયોજનના નંબર બે અને ચારના મુદ્દાઓને આચરણમાં મુકવાનો શુભારંભ થઇ ચુક્યો છે. માર્ગોના પાટિયાં તથા રેલવે સ્ટેશન પર જે તે ગામ-શહેરને સૂચિત કરતાં પાટિયાને પુરાતન નામથી ચીતરીને મૂકી દેવાયાં છે. હવે શાળાનાં પાઠ્યપુસ્તકોમાં, પ્રવાસન ખાતાની માહિતી પત્રિકાઓમાં, જોવાલાયક સ્થળોના પર્યટન સમયે અપાતી  ભોમિયાઓની માહિતીમાં નવાં નામો જ માત્ર  વપરાશે. જૂના નામોનો ઉલ્લેખ કરનાર સામે તેઓ આગલી સદીમાંથી આવેલ અજ્ઞાનીઓ હોય તેવો ભાવ પ્રદર્શિત કરવામાં  આવશે.

મારા મતે સત્તા લાલસાને વશ થઇ રાજ્ય વિસ્તાર કરવા માટે યુદ્ધ કરીને પારકો પ્રદેશ જીતી લેવો કે ધર્મના નામે અન્ય દેશ પર આક્રમણ કરીને સ્વતંત્ર મુલકને પોતાના તાબામાં રાખવો એ સદંતર અનુચિત લેખાવું જોઈએ. પરંતુ જગતના ઇતિહાસનાં પાનાં ચીન, જાપાન, રોમન અને ઓટોમન સામ્રાજ્યો અને ઇજિપ્ત તેમ જ ભારત વર્ષમાં થઇ ગયેલા અનેક સમ્રાટોની કહાણીઓથી ભરપૂર છે. આક્રમણ કરનાર અને તાબે થનાર બંને દેશોના પ્રજાજનો કાલાંતરે એકબીજા સાથે હળીમળીને રહ્યા, તેમની વચ્ચે સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે આદાન-પ્રદાન થયું અને એક નવી સંસ્કૃતિનો ઉદ્દભવ થયો હોય તેવા અનેક દ્રષ્ટાંતો ઇતિહાસનાં પૃષ્ઠો પર અને ધરતીના પટ પર સ્થૂળ ઇમારતોના રૂપમાં મૌજૂદ હતા અને હજુ પણ છે. તેમાં કોઈ એક સામ્રાજ્ય ક્રૂરતા આચરવામાં કે ભારતની આમ પ્રજાને લાભ થાય તેવું રાજ્ય કરવાની બાબતમાં બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા સાબિત થયા જાણ્યું નથી, તો એક જ શાસન કાળના ચિન્હો સામે આટલો વિદ્રોહ શાને?

સોનેકી ચિડ઼િયોંકા બસેરા થા ભારત, એટલે તો જગતની તમામ જાતિઓ, ધર્મના અને રંગના લોકો આ ધરતી પર  આવ્યા, વસ્યા અને નવી પેઢીઓ તથા નવી સંસ્કૃતિઓને જન્મ આપી ગયા.આજે જો ભારતના લોકોના ડી.એન.એ.નું પરીક્ષણ કરવામાં આવે તો આર્યો, શક, હુણ અને કુષાણ જેવી મધ્ય એશિયામાંથી આવેલી જાતિઓથી માંડીને પૂર્વની મોંગોલ, આફ્રિકાની સીદી (હબસી) જાતિઓનું લોહી આપણાં શરીરમાં વહેતું હોવાના સગડ મળી આવે તે સંભવ છે. ભારતના વૈભવને પોતાની માલિકીની કરવા ધરતીના ચારે ખૂણેથી સત્તા લોલૂપ રાજાઓ ચડાઈ કરીને કે વેપારના નામે આવ્યા, રહ્યા અથવા લૂંટીને ચાલ્યા ગયા. એમના રાજ્યકાળ દરમ્યાન થયેલ શિલ્પ, સ્થાપત્ય અને અન્ય સ્થાવર મિલકતો નિશાની રૂપે રહી જવા પામી. જે કઇં તારાજી થઇ તેના પરિણામો હજુ પણ ભોગવીએ છીએ, તો તેને નામશેષ કરવા માટે શું કરીશું?

ભારત પર બે સામ્રાજ્યોનું રાજ્ય છેલ્લા પાંચસો વર્ષમાં રહ્યું; મોગલો અને અંગ્રેજો. એક માહિતી મુજબ મોગલોએ બંધાવેલ સ્થાપત્યો અને ઇમારતોમાં તાજ મહેલ, હુમાંયુની કબર, લાલ કિલ્લો (દિલ્હી અને આગ્રા), જમા મસ્જિદ (દિલ્હી અને આગ્રા), ફતેહપુર સિક્રી અને બુલંદ દરવાજા, આગ્રાનો કિલ્લો, શાલીમાર અને નિશાત બાગ, બીબીકા મકબરા, અકબરની કબર, લાહોર ફોર્ટ, મોટી મસ્જિદ, શીશ મહેલ, શાહી બ્રિજ (જાનૂ પૂર), પંચ મહલ (ફત્તેહપુર સિક્રી) વગેરેનો સમાવેશ થાય છે. તો બ્રિટિશરોએ બંધાવેલ ઇમારતો અને સ્થાપત્યોમાં વિક્ટોરિયા મેમોરિયલ (કલકત્તા), ઇન્ડિયા ગેઇટ (દિલ્હી), ગેઇટ વે ઓફ ઇન્ડિયા (મુંબઈ), પાર્લામેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન (દિલ્હી), સેન્ટ મેરી’ઝ ચર્ચ અને સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ (ચેન્નાઇ), વીરેન હેસ્ટિંગ્સ હાઉસ (કલકત્તા), થેલાસરી ફોર્ટ (કાનપુર) અને તાજ હોટેલ (મુંબઈ) વગેરેની લાંબી યાદી થઇ શકે તેમ છે. અરે, આપણી રેલવેનું જાળું બ્રિટિશ સામ્રાજ્યની વિરાસત છે. એને જો કે પ્રાંતીય નામ અપાઈ ગયાં દાખલા તરીકે પશ્ચિમ કે ઉત્તર-પૂર્વ રેલવે – તે સારું જ થયું. (જો કે હાલમાં ઇસ્લામ વિરોધી લાગણીઓનો વંટોળ ઊડે છે, હજુ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એટલો અભાવ નથી જાગ્યો.)

ઇન્ડિયાને હિન્દુસ્તાન બનાવવાની નેમ રાખનારા લોકો “આ તારો ધર્મ, આ મારો ધર્મ, આ તારું રાજ્ય, આ મારું રાજ્ય” એમ પેલાં રાખનાં રમકડાંની માફક ‘આ તારું – આ મારું’- કહીને લડતા આવ્યા છે, તેમાં હવે શેરી, માર્ગ અને ઇમારતોનાં નામ સાથે જોડાયેલી વ્યક્તિઓના પણ ધરમ પ્રમાણે બટવારા કરવાનો રોગ લાગુ પડ્યો છે. એ કર્મવીરોને ઊભા રાખીને કોઈ પૂછી તો જુઓ, મોગલ અને બ્રિટિશ સલ્તનત દરમ્યાન બંધાયેલી ઉપરોક્ત ઇમારતો જોતાં ભારતમાં એ સમયે વેપાર, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ થયેલી એના કોઈ પડઘા નથી સંભળાતા? જો ઇસ્લામિક ધરોહરને નામશેષ કરવા પ્રતિબદ્ધ થયા હો તો બ્રિટિશરોનો શો વાંક? એમની છોડેલી નિશાનીઓનાં પણ નામ બદલી નાખીએ. સાંભળ્યું છે કે કોનોટ પ્લેસનું નામ બદલાયું અને એવા બીજા પણ અંગ્રેજી શાસનની યાદ તાજી કરાવનાર માર્ગો અને ઈમારતોને આપણા પોતાના હિન્દુ મહાનુભાવોનાં નામ આપી દેવામાં આવશે. બસ, વધુ સંત-મહાત્માઓનાં નામ યાદ આવે એટલી વાર છે. જો કે તમામ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મિલકતોને હિંદુત્વના રંગે રંગવાના પ્રયાસોમાં પણ વૈષ્ણવ અને શૈવ, જૈન અને બૌદ્ધ, સ્વામિનારાયણ અને પુષ્ટિમાર્ગી, રામભક્તો અને કૃષ્ણ ભક્તો વચ્ચે વાદ વિવાદ અને હુંસાતુંસી નહીં થાય તેની કોઈ ખાતરી નથી; અરે, હિન્દુ ધર્મના એ ફિરકાઓ વચ્ચે બે વિધર્મીઓ વચ્ચે થાય તેના કરતાં ય વધુ વિરોધ અને મતભેદો થઇ શકે તેની પૂરેપૂરી ખાતરી આપી શકાય.

વિદેશી, ખાસ કરીને પશ્ચિમના રહેવાસીઓ ‘ગોલ્ડન ટ્રાયંગલ’ નામથી ઓળખાતો પૂર્વ યોજિત પ્રવાસ કરતા વધુ જોવા મળે છે. એ પ્રવાસ દરમ્યાન સામાન્ય રીતે દિલ્હી, અજમેર, પુષ્કર, જયપુર, રણથંભોર અને આગ્રાની મુલાકાત લેવાય છે. હવે જો ત્યાંનાં જોવા લાયક સ્થળોની યાદી તપાસીએ તો ખ્યાલ આવશે કે તેમાંના લગભગ પચ્ચીસેક સ્થળોમાંથી બાર-પંદર જેટલા મુસ્લિમ કાળમાં બંધાયેલ, પાંચેક જેટલા અંગ્રેજોની દેણ છે, બાકીના હિન્દુ રાજાઓ અને સીખ કોમની અમાનત છે. એ સ્મારકો જે તે શાસકોએ વર્તાવેલ કેર કે ત્રાસનું પ્રતિનિધિત્વ કરે છે કે દેશમાં અમન અને સુમેળ હતો તેની સાક્ષી પૂરે છે? તો કોનાં કોનાં નામ બદલીશું? માત્ર નામ બદલવાથી તેમની સ્મૃતિ ભૂંસાઈ જશે? એમ કરીને પણ શું વળશે? દરગાહો પર ચૂંદડી ઓઢાડવા જતા હિન્દુ શ્રદ્ધાળુઓ અને રામ મંદિરે ચાદર ચડાવવા જતા ઈમાનદારી મુસ્લિમોની લાગણીઓને ઠેબે ચડાવીને ક્યાં જઈશું?

શાલીમાર અને નિશાત બાગ જોઈને કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય અને મોગલ સમયના બાગ-બગીચાઓ રચનાર સ્થપતિઓની કુશળતાની સરાહના ન કરી શકે અને તેને માત્ર વિધર્મીઓએ બનાવેલ એક બાગ તરીકે ઓળખે તેવા લોકોની વક્ર દ્રષ્ટિ માટે શું કહેવું?  વાચકોમાંથી ઘણાને માહિતી હશે કે નાલંદા વિશ્વવિદ્યાલય ઈ.સ. 413થી 1193 એટલે કે લગભગ 780 વર્ષ સુધી ઉચ્ચતમ શિક્ષણ આપતી રહી અને તેના ધ્વંસના 821 વર્ષ બાદ 2014માં એ સ્થળથી માત્ર 12 કિલોમીટર દૂર રાજગીરમાં તેનું નવસર્જન કરવામાં આવ્યું. નોંધ એ વાતની લેવી રહી કે 1193માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયા ખીલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો તેની જાણ ઇતિહાસે લીધી છે તેવી નોંધ 2006માં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે નાલંદા વિશ્વવિદ્યાલયને ફરી કાર્યરત કરવાનો પ્રસ્તાવ મુક્યો તેની નોંધ લેવાશે કે નહીં એ કહી ન શકાય. એક ‘મુસ્લિમ’ રાજાએ વિધ્વંસ કર્યો એ કહેવું જેટલું સહેલું છે તેટલું એક ‘મુસ્લિમ’ વિદ્વાન વૈજ્ઞાનિક ભારતનો રાષ્ટ્રપતિ બની શકે અને હિંદુ રાજવંશના શાસન દરમ્યાન પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ શિક્ષણ સંસ્થાને પુનર્જીવિત કરવા પગલું ભરે એ માટે તેની પ્રશંસા કરવી પણ એટલી જ સહેલી હોવી જોઈએ. જ્યાં મીઠાઈ કોઈ કહેવાતા ઉચ્ચ વર્ણના રસોયાને હાથે બને તો ખાદ્ય ગણાય, પણ તે કેવી સ્વાદિષ્ટ છે તે ન જોવાય, ત્યાં કોઈ વિશ્વવિદ્યાલય કેવી કક્ષાનું શિક્ષણ પૂરું પાડે છે તે જોવાને બદલે તેની સ્થાપના પાછળ હિન્દુનો હાથ હતો કે મુસ્લિમનો એના પર તેની મહત્તાનો આધાર રહે તેમાં શી નવાઈ?

આપણે ઘણા માર્ગોનાં નામ બદલવાના છે; મારકણા મૂડીવાદનો રસ્તો જવાબદાર અર્થતંત્રનું નામ મેળવે, જ્ઞાતિ, જાતિ કે અનુસૂચિત જાતિ આધારિત વિશેષાધિકારો મેળવવાનો માર્ગ સમાન તક અને સમાનાધિકારોના માર્ગ તરીકે ઓળખાય એ જરૂરી છે. એવી જ રીતે જેના પર ભારતીય સમાજ અને સંસ્કૃતિ ટકી રહ્યાં છે તેની કેટલીક ઇમારતો પર સંકુચિતતા અને બંધિયારપણાનો લૂણો લાગી ગયો છે, તેને ધોઈ, ઉજમાળી બનાવીને નવે નામે ઓળખાવવી જોઈશે જેમ કે ધાર્મિક અને યાત્રાના સ્થળો, શિક્ષણ સંસ્થાઓ, સ્થાનિક અને રાષ્ટ્રીય વહીવટી કેન્દ્રો, ઉદ્યોગ અને વ્યાપારના મથકોને આધુનિક મૂલ્યોને સૂચિત કરે તેવાં સર્વ સમાવેશી નામ આપવાં જોઈશે.

પોતાનો હૂંફાળો માળો છોડીને ભારતનો કિનારો છોડનાર કોઈ બંધુને અચાનક સત્યનું ભાન થયું અને નીચે મુજબનું વિધાન કર્યું :

I crossed my street and they asked my caste, I crossed my district and they asked my religion, I crossed my state and they asked my language, I became Indian only after I crossed my country.

તો શું આપણે પ્રથમ મનુષ્ય અને પછી ભારતીય છીએ એ સમજવા વિદેશ ખેડવો પડશે?

19/01/2019

e.mail : 71abuch@gmail.com

Loading

ઇતિહાસ સાક્ષી છે કે શ્રી એચ.કે. આર્ટસ કૉલેજ એટલે સામાજિક નિસબત, વૈચારિક વિમર્શ, સત્તા સામે સંઘર્ષ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|4 March 2019

ગુજરાતપ્રસિદ્ધ એચ.કે. આટ્‌ર્સ કૉલેજના કાર્યકારી આચાર્ય હેમન્તકુમાર શાહનું રાજીનામું આ નોંધ લખાય છે ત્યારે સુરખીઓમાં છે. કૉલેજના પૂર્વછાત્ર અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એમણે અતિથિવિશેષરૂપે નિમંત્ર્યા તે સંદર્ભમાં કોઈ ભા.જ.પ. તરફી પરિબળોની ધમકીગર્ભ પ્રતિક્રિયા મળતાં કૉલેજ પ્રબંધને કાર્યક્રમ ન થઈ શકે એવા સંજોગો સર્જ્યા એથી એક સ્વમાની આચાર્યને શોભે તેમ હેમન્તકુમારે રાજીનામું ધરી દીધું છે. બહારનાં પરિબળોની ધમકીવશ શૈક્ષણિક સંસ્થામાં આવી અનવસ્થા પેદા થાય એનો તાજેતરનો નોંધપાત્ર દાખલો અમદાવાદ યુનિવર્સિટીમાં અતિથિ અધ્યાપક તરીકે રામચંદ્ર ગુહાને આવતા અટકાવાયેલા તે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અધૂરી જાણકારી અને અધકચરી સમજને ધોરણે અમદાવાદ યુનિવર્સિટી પર પાઠવેલા વિરોધપત્રને કારણે આમ બન્યું હતું. સ્મરણીય છે કે અ.ભા.વિ.પે. આ પત્રની નકલ શિક્ષણમંત્રી અને પૂર્વઅધ્યાપક એવા મહામહિમ રાજ્યપાલ બેઉને મોકલી હતી, પણ એમણે યુનિવર્સિટીની સ્વાયત્તતા તરફે દરમ્યાન થવાની કોઈ જરૂરત જોઈ નહોતી. ગમે તેમ પણ, જેનો પૂર્વરંગ અને એનું એકંદર સાતત્ય અહીં સંજય શ્રીપાદ ભાવેએ સુપેરે ઉપસાવ્યાં છે તે સન્માન્ય શિક્ષણસંસ્થા ધોરણસર પુનર્વિચાર કરે તે શોભીતું લેખાશે.

− પ્રકાશ ન. શાહ

સત્ત્યાવીસમી ફેબ્રુઆરી ૨૦૦૨ થયેલાં ગોધરાકાંડને પગલે ગુજરાત કોમી રમખાણોમાં સપડાયું. માર્ચ મહિનાના આખરી દિવસોમાં પણ અત્યંત હિંસક વાતાવરણ હતું. છતાં ગુજરાત યુનિવર્સિટીએ તેની વાર્ષિક પરીક્ષાઓ મોકૂફ નહીં કરવાની જક પકડી હતી. એટલે અમદાવાદની શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આટ્‌ર્સ કૉલેજના કેટલાક અધ્યાપકો તેમ જ યુનિવર્સિટીના બે અધ્યાપકોએ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા મોકૂફીની માગણી કરતું આવેદનપત્ર બનાવ્યું. તેમાં એચ.કે. આર્ટસ અને કૉમર્સ કૉલેજના આચાર્યો અને બધા અધ્યાપકોએ સહીઓ કરી. બીજી કૉલેજોમાં જઈને પણ આવેદનપત્ર પર સહીઓ મેળવી. એંશી સહીઓ સાથેનું આવેદનપત્ર વાઇસ-ચાન્સલરને આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓના જાન દાવ પર લગાવીને દુનિયાને ‘સબ સલામત’ બતાવવા માગતી રાજ્ય સરકારને ઢંઢોળવાની હિમ્મત કરવામાં એચ.કે.એ પહેલ અગ્રણી હતી.  

સપ્ટેમ્બર ૧૯૯૬માં એક પક્ષે રાજકીય દાવપેચના ભાગરૂપે શક્તિ-પ્રદર્શન તરીકે તેના કાર્યકર્તાઓની આશ્રમ રોડ પરથી રેલી કાઢી. તે દરમિયાન પક્ષના  કાર્યકરોએ એચ.કે. કૉલેજનાં  કૅમ્પસમાં ઘૂસીને તોડફોડ મચાવી. કૉલેજના અધ્યાપકોએ સામનો કરીને તેમને બહાર ખદેડી મૂક્યા. કૉલેજે પોલીસ ફરિયાદ પણ નોંધાવી. આ જિગર પણ એચ.કે. આર્ટસે બતાવી હતી.

ફેબ્રુઆરી ૧૯૯૭થી દોઢેક વર્ષના સમયગાળાની વાત છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની વીસ નંબરની શાળા આવેલી હતી. અત્યારે ત્યાં ઊંચી ફી લેતી એક ખાનગી શાળા આવેલી છે. કૉર્પોરેશને ગરીબોના બાળકોને ભોગે પૈસાદારોના બાળકો માટેની આ શાળા માટે મંજૂરી આપી. આ સાફ અન્યાય ભરેલું લોકવિરોધી પગલું હતું. તેની વિરુદ્ધ  મીઠાખળી ગામમાં આવેલી નર્મદ-મેઘાણી લાઇબ્રેરી પરનાં કાર્યકર્તાઓ અને નિસબત ધરાવતા નાગરિકોએ છએક મહિના આંદોલન ચલાવ્યું. તેમાં એચ.કે.ના સ્થાપક આચાર્ય, ટ્રસ્ટી અને એ વખતે બ્યાંશી વર્ષના સમાજ ચિંતક યશવંતભાઈ ઉપવાસ પર બેઠા હતા. આંદોલનના પ્રચાર માટે એચ.કે.ના વિદ્યાર્થીઓએ સૌમ્ય જોશીની રાહબરી હેઠળ શેરી નાટકના પચાસેક શો કર્યા -પહેલો શો એચ.કે.ની વિશાળ અગાશીમાં હતો. ત્યાર બાદ આંદોલન માટે પૈસા ઊભા કરવા સી.યુ. શાહ આર્ટસ કૉલેજ અને એચ.કે.એ મળીને ત્રણ એકાંકી નાટકોનો એક ચૅરિટી શો યોજ્યો હતો.

સામાજિક નિસબતવાળા નાટક એચ.કે.ની ખાસિયત રહી છે. સૌમ્ય જોશી કૉલેજના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વ અધ્યાપક. તેમના લેખન-દિગ્દર્શન હેઠળ કૉલેજના કલાકારોએ ૧૯૯૬થી દસેક વર્ષમાં ભજવેલાં સાત એકાંકી નાટકોમાં છેવાડાનો માણસ કેન્દ્રસ્થાને હતો. એચ.કે.ની રંગમંચ પ્રવૃત્તિના શિરમોર સમું પૂરા કદનું નાટક એટલે સૌમ્યનું ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું’. ધર્મઝનૂની શાસકના કિમીયામાં આવી જતા લોકો માત્ર પોતાનાં નગરનો જ નહીં સિવિલાઇઝેશનનો નાશ કરી દે છે એવી ચેતવણી આ નાટકમાં હતી. તે સાંપ્રદાયિકતા સામેનું એક સ્ટેટમેન્ટ હતું. અત્યારે સૌમ્યનો વારસો પૂર્વ વિદ્યાર્થી મૌલિકરાજ શ્રીમાળી ચલાવી રહ્યા છે. તેમણે એચ.કે.ના કલાકારો પાસે ગયાં વર્ષે જે ‘ઉર્ફે આલો’ નાટક કરાવ્યું તે ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટતા સફાઈ કામદાર વિશે હતું, અને સ્કિટ કરાવી તે મહિલાઓના માસિકધર્મને સમજપૂર્વક સ્વીકારી લેવાના સંદેશ સાથેની હતી. થોડા દિવસ પહેલાં ઇનામ મેળવી ચૂકેલું તેમનું ‘નાચ’ એકાંકી પૂતળાંના રાજકારણથી થતાં આદિવાસીઓના વિસ્થાપન વિશે, સ્કિટ એલ.જી.બી.ટી. અને  શેરી નાટક લિન્ચિન્ગ વિષેનું હતું. મૌલિકના જ કલાકાર સાથી અને એચ.કે.ના જ વિદ્યાર્થી એવા બાવળાના નિલેશે બે વર્ષ પહેલાં, આગ લાગેલી એસ.ટી. બસમાંથી મુસાફરોને બચાવ્યા હતા અને પોતે ખૂબ દાઝ્યા હતા. એચ.કે.ના બધાં નાટકોની પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થી કલાકારોની સામાજિક ચેતના સંકોરાતી રહી છે.

એચ.કે.ના વિદ્યાર્થીઓની સામાજિક ચેતનાનું એક સ્વરૂપ કુદરતી આપત્તિઓ વખતે પણ જોવા મળ્યું હતું. ઑક્ટોબર ૧૯૯૯માં વાવાઝોડાનો ભોગ બનેલાં દૂરનાં રાજ્ય ઓડિશાના નાગરિકો માટે અમદાવાદમાં રેલી કાઢીને કપડાં ભેગાં કરીને પહોંચાડવાનું કામ એચ.કે. સિવાય ભાગ્યે જ કોઈ કૉલેજે કર્યું હતું. તેના પછીનાં જ વર્ષે ગુજરાતમાં દુષ્કાળમાં રાહત કામ પરનાં લોકોને અનાજ પહોંચાડવાનાં કામમાં કૉલેજ જોડાઈ હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની ફી માફી માટે જે ચળવળ ચાલી તેમાં ય એચ.કે.ના વિદ્યાર્થીઓ હતા. ભૂકંપમાં કૉલેજના એન.સી.સી. અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ કામ કર્યું જ હોય. વળી ગયાં બે વર્ષમાં અતિવૃષ્ટિથી તારાજી પામેલાં બનાસકાંઠા અને ગીરગઢડા જિલ્લાના ગામોમાં એન.એસ.એસ. થકી રાહતસામગ્રી પહોંચાડીને  એચ.કે.એ  સમાજ તરફની ફરજ ફરી એક વાર બજાવી હતી.

સમાજથી ક્યારે ય દૂર ન રહેનાર એચ.કે.ને રાજકારણનો ય છોછ નથી. દેશના ઇતિહાસમાં સીમાચિહ્‌ન ગણાતાં ‘નવનિર્માણ’ નામનાં વિદ્યાર્થી આંદોલન(ડિસેમ્બર ૧૯૭૩-માર્ચ ૧૯૭૪)ના સહુથી જાણીતા નેતા અને અત્યારના કર્મશીલ મનીષી જાની એચ.કે.ના વિદ્યાર્થી હતા, અને કૉલેજ આંદોલનકારીઓ માટેની બેઠક હતી. દેશમાં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી (જૂન ૧૯૭૫-માર્ચ ૧૯૭૭) સામેની રાજકીય લડતમાં, રાજ્યમાં કૉલેજના સંચાલકોની જોહુકમી  સામેની અધ્યાપક મંડળની લડતમાં અને એકંદર જાહેર જીવનનાં મુદ્દા પર એચ.કે.ના અધ્યાપકો ખૂબ સક્રિય હતા. અંબુભાઈ દેસાઈ, ઉજમશી કાપડિયા, પ્રકાશ ન.શાહ, સિદ્ધાર્થ ભટ્ટ જેવાં નામ સહેજે યાદ કરી શકાય. સાંસદ મધુસૂદન મિસ્ત્રી અને ભરત મહેતા જેવા જાગ્રત અધ્યાપક એચ.કે.માં ભણેલા છે. નારીસંગઠન ‘અવાજ’ના સ્થાપક અને આજીવન લડવૈયા ઇલાબહેન પાઠકે એચ.કે.માં અંગ્રેજીનાં અધ્યાપન સાથે વિદ્યાર્થીઓમાં મહિલાશક્તિનાં બીજ રોપ્યાં. કોમવાદનો સામનો કરવા માટે રચાયેલાં ‘મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી’ નામનાં મંચમાં પણ ઇલાબહેન અને એચ.કે.ની પૂર્વ વિદ્યાર્થિનીઓનો ફાળો. તેમાંથી દામિનીબહેન શાહ અને મીનાક્ષીબહેન જોશી તો ચૂંટણીઓ પણ લડેલાં.

એચ.કે.ની વિદ્યાર્થિનીઓએ ૧૯૭૭માં મનોવિજ્ઞાન વિષયની પ્રવેશનીતિની બાબતમાં ચાર દિવસની હડતાળ પાડી હતી તેની આગેવાની અત્યારે દૂરદર્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર (પ્રોગ્રામ્સ) રૂપા મહેતાએ લીધી હતી. મનીષીએ કથળેલાં શિક્ષણ પર કટાક્ષ કરવા માટે કૉલેજના વર્ગખંડમાં ગધેડો ઊભો રાખીને તેને ફૂલહાર કર્યાં હતાં. ખૂબ ગુસ્સે થયેલા યશવંતભાઈ ‘હું અહીં કૉલેજમાં છું ને તમે ગધેડાને લઈને આવો છો ?’ એમ તડૂકેલા એવી ચાલેલી મજાક પણ મનીષીભાઈને સાંભરે છે. ઉજમશીએ આચાર્ય યશવંતભાઈને એક વિવાદ દરમિયાન અધ્યાપક ખંડની મીટિંગમાં ‘યુ આર અ લાયર’ એમ કહ્યું હતું એ ખુદ ઉજમશીએ નોંધ્યું છે. અધ્યાપકને આચાર્યો સાથે ભારે અસંમતિના મુદ્દા ય ઊભા થતા રહ્યા છે. હમણાંના વર્ષોમાં ભગવાકરણ, વાઇબ્રન્ટ તમાશાઓ, નોટબંધી, અત્યંત લોકવિરોધી નીતિઓ, નાગરિક સ્વાતંત્ર્ય, સેમેસ્ટર સિસ્ટમ, શિક્ષણની સ્વાયત્તતા જેવા મુદ્દે એચ.કે.ના કેટલાક અધ્યાપકો શાસક પક્ષનો પ્રખર અને મુખર વિરોધ કરતા રહ્યા છે. પણ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્યો કે સંચાલકોમાં ક્યારે ય અસહિષ્ણુતા આવી નથી. વિચાર-વિમર્શ-વિવાદ-વિરોધનું લિબરલ ડેમોક્રેટિક વાતાવરણ  જળવાતું રહ્યું છે.

કૉલેજના વિદ્યાર્થીઓએ તેમ જ અધ્યાપકોએ રાજકીય પક્ષોના એકાદ ડઝન સારા-નરસા નેતાઓને અને અનેક ડઝન વક્તાઓને ખુલ્લાં લોકશાહી માનસથી સાંભળ્યા છે. તેમાંથી તેઓ પોતાનાં વિવેકથી સારું-નરસું તારવતા રહ્યા છે. વિદ્યાર્થીઓનાં મનની બારીઓ ઉઘડતી રહી છે. ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને છ દાયકાથી બધી દિશામાંથી વિચારો મળતા રહ્યા છે. મુક્ત વિચારોના પ્રાણવાયુથી મળેલી ઊર્જાથી સર્જાયેલા વિવિધ આવિષ્કારો સમાજ સમક્ષ તરફ વિદ્યાર્થીઓ ધરી રહ્યા છે. તેમાંના એક વિદ્યાર્થી એટલે લેખક પરેશ વ્યાસ. તેમણે ‘સાહેબ’ ફિલ્મમાં કથા, પટકથા અને સંવાદ લખ્યા છે. સત્તાભૂખ્યા રાજકારણીને ઉથલાવી પાડનાર યુવા નેતા તેમાં છે. એ નેતાનું પાત્ર પણ એચ.કે. સંબંધિત છે, એને સર્જનાર પણ એચ.કે.ના છે.

આ એચ.કે. છે.

મધ્યરાત્રિ, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯   

E-mail : sanjaysbhave@yahoo.comઈ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 02 તેમ જ 19

Loading

...102030...2,8622,8632,8642,865...2,8702,8802,890...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved