Opinion Magazine
Number of visits: 9577301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય વંશવાદનો લોકશાહી પર પડછાયો

ઈ.પી.ડબ્લ્યુ., ઈ.પી.ડબ્લ્યુ.|Opinion - Opinion|7 March 2019

રાજકારણમાં વંશવાદનો ફેલાવો એ ભારતીય લોકશાહીનો અંતરંગ વિરોધાભાસ છે.

જ્યારે ખાસ કરીને નેહરુ-ગાંધીપરિવારનું ફરજંદ ભારતના રાજકારણમાં ઝંપલાવે છે, ત્યારે રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષાને નવો પ્રાણવાયુ મળે છે. પૂર્વ ઉત્તરપ્રદેશના કૉંગ્રેસનાં મહાસચિવ પદે પ્રિયંકા ગાંધી વાડ્રાની નિમણૂક સામે વડા પ્રધાન સહિત ભારતીય જનતા પાર્ટી  (બી.જે.પી.)ના સભ્યો દ્વારા તાજેતરમાં રજૂ કરેલો હાઉ એમાં અપવાદ નથી. વિશેષાધિકૃત કૌટુંબિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિનો રાજકારણમાં પ્રવેશ એ આવા વાદવિવાદને જીવંત રાખે છે. ભા.જ.પ.ના પક્ષ પ્રવક્તા લોકશાહીના હાર્દને હણતી રાજકીય વંશવાદની મહત્ત્વાકાંક્ષા સામે રક્ષણની વાત કરે છે, પરંતુ તેના લોકશાહી માટે ખતરારૂપ એવી પોતાની રાજકીય વંશવાદની પ્રથા વિરોધાભાસ રૂપે જાળવી રાખે છે. આમ, વંશવાદી રાજકીય પક્ષ હોવા માટે કૉંગ્રેસ પાર્ટીની ટીકા કરતી વખતે, ભા.જ.પ. આપણને એ નથી જણાવતો કે શા માટે તેમની પોતાની રાજવંશની રાજનીતિની પ્રૅકટિસ પહેલાં કરતાં ગુણાત્મક રીતે ઉત્તમ છે.

ભા.જ.પ.નો આ પ્રતિભાવ પાખંડ હોવાની સાથે ઝટકો આપનારો પણ છે. તે વંશીય મહત્ત્વાકાંક્ષાના રાજકીયકરણ સમાનતા અને ન્યાયના દ્વિ-સિદ્ધાંતો માટે લોકશાહીની સમાનતાવાદી સામગ્રીને ગહન બનાવવાની ભૂમિકા ભજવે છે અને તેનાં નકારાત્મક પરિણામો ગણાવતી નથી.

લોકહિત ધરાવતા કે પ્રબુદ્ધ લોકો કે જે લોકશાહીનો અવકાશ મેળવીને જાતિ, ધર્મ, જાતિ અથવા પરિવાર પર આધાર રાખ્યા વગર લોકહિતનાં અદ્દભુત કાર્યો કરે છે. તેમના થકી લોકશાહી, વ્યક્તિનું રૂઢિચુસ્તમાંથી ઉદારમતવાદી વ્યક્તિમાં રૂપાંતર કરે છે. અને તે પક્ષના કાર્યકર્તાઓ સહિત સંપત્તિ, રાજકીય સંપર્કો અને માનવ – સંસાધનોનું સંચિત પરિણામ છે. આવી સ્વાયત્ત વ્યક્તિઓ માટે, કુટુંબનું રક્ષણ બોજ બની જાય છે, કારણ કે તે તેમને જે વાસ્તવિક લોકશાહી પ્રથા તરીકે માનવામાં આવે છે, તેવી સ્વ-સમજથી નકારે છે. વિરોધીની ટીકા કરવા માટે રાજવંશનો ઉપયોગ કરવાનું ગૂઢ રાજકારણ, અન્યથા સંભવિત રૂપે સક્ષમ વ્યક્તિને-પરિવારને પાછળ છોડી દેવાની અને રાજકારણમાં એક વાસ્તવિક પ્રતિસ્પર્ધક તરીકે બનાવવાની છૂટ આપતું નથી.

સમકાલીન ચૂંટણીની રાજનીતિમાં, તે વિશેષાધિકૃત પરિવારો છે, જે સફળ રાજકારણીઓ તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા લોકો માટે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયા છે. આવા પરિવાર ચૂંટણી લોકશાહીમાં નિર્ણયો લેવા અને નિર્ણયો લેતી સંસ્થાઓનું નિયમન કરવાનો અધિકાર ભોગવે છે. આવા પરિવારો પદની વહેંચણી ઉપર નિયંત્રણ રાખે છે, ખાસ કરીને ચાલુ સમયગાળામાં અને ચૂંટણી દરમિયાન. આવા પરિવારો પક્ષના ધારાસભ્યો પર વાસ્તવિક સત્તાનો ઉપયોગ કરીને સંપૂર્ણ નિયંત્રણનો આનંદ માણે છે. તેઓ તે ધારાસભ્યોને શિસ્તમાં રાખે છે અને જેઓ તેમનાં સૂચનોને અનુસરતા નથી, તેમના સ્થાને અન્ય ધારાસભ્યોને પક્ષમાં અથવા જાહેર સંસ્થાઓમાં ટોચની સ્થિતિમાં નિયુક્ત કરે છે.

આનુવંશિક રીતે, આવા વિશેષાધિકારનો ઉપયોગ જેમ બિલિયર્ડ ખેલાડીઓ બૉલને ગોઠવવા માટે લાકડીનો ઉપયોગ કરે છે, તેમ થાય છે. પાવર મુક્તપણે ઊભરતો નથી; પણ તે પરિવાર દ્વારા પરિવાર માટે વ્યક્ત વફાદારીના બદલામાં આપવામાં આવેલા વળતર તરીકે વિતરિત કરવામાં આવે છે. તે સામંતવાદનો એક નવો ચહેરો છે, કમનસીબે તેને અનુસરતા એવા લોકો છે જે સમાનતાવાદી લોકશાહીની સાચી ભાવનાનો ભોગ બનેલાને અનુસરે છે. આમ, કેટલાક દલિત અને આદિવાસી પરિવારોએ રાજવંશીય મહત્ત્વકાંક્ષા વિકસાવી છે, અને તેમના પોતાના પરિવારોમાંથી અનુગામીની ભરતી કરી છે.

કેટલાક દલિત અને આદિવાસી પરિવારો પરિવારને દાખલા રૂપે ધ્યાનમાં લઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે રાજકીય શક્તિની વંશીય સંસ્થા લગભગ નિયમિત પૅટર્ન બની રહી છે, અને તે શાસન બનવાની ધમકી આપી રહ્યું છે, રાજશાસન બનવાની. આ શાસનનાં મૂળ પૂર્વ-લોકશાહી સમાજોમાં છે. આવા સમાજોમાં, વારસા દ્વારા ઉત્તરાધિકાર શાસન હતું, શાસકનો પહેલેથી નિર્ણય લેવાઈ જતો હતો અને અનુયાયીઓની વફાદારી દ્વારા નિર્ણય કાયદેસર કરવામાં આવતો હતો. ચૂંટણી લોકશાહીમાં કુટુંબ દ્વારા નિયમન કરાયેલ રાજકીય ઉત્તરાધિકારનું અસ્તિત્વ પહેલાંના શાસકની જેવું જ છે.

ત્યારે ચૂંટણીના સ્થળે લોકશાહીકરણ કરવા માટે કેવી રીતે સ્થાયી પરિવારની પકડ ઓછી થઈ શકે? આ ધ્યેય હાંસલ કરવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો સ્થાનિક સ્તરે સ્વશાસનમાં મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે અને તે પારિવારિક પકડને દૂર કરવા તરફ એક પગલું છે. પરંતુ, રાજવંશીય પરિવારો રાજકારણ પર તેમની પકડ ફરીથી સ્થાપિત કરવા માટેના માર્ગો શોધી કાઢે છે. લોકશાહીના એરિસ્ટોટેલિયન નૈતિક સિદ્ધાંત – "હું શાસન કરીશ અને બદલામાં શાસન મેળવીશ" – પણ આ મહિલાઓના પરિવારને તરછોડાયેલા લોકોની તરફેણમાં મૂકતું નથી. તેના બદલે, આવા પરિવારોએ વંશના સિદ્ધાંત "અમારો પરિવાર શાસન કરશે અને રાજ ચાલુ રાખશે કે અન્ય કોઈ દ્વારા શાસન કરવાનો ઇન્કાર કરશે.”ને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. આ નિરાશાજનક પરિસ્થિતિમાં સમાનતા અને ન્યાયના દ્વિ-લોકશાહી સિદ્ધાંતોની પુનઃસ્થાપનની ખાતરી કરે અને પોતાના અંતરાત્મા પર શાસન કરે અને રાજવંશના શાસનને મંદ પાડે, તે પ્રકારે સામાન્ય મતદારોએ તેમના ચુકાદની સત્તા મેળવવા અને ઉપયોગ કરવાની જરૂર છે.

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 04 

Loading

શું ગાંધીજી રંગદ્વેષી હતા?

પ્રવીણ ગઢવી|Gandhiana|5 March 2019

આજકાલ ગાંધીજી રંગદ્વેષી હતા, તેવી હવા કેટલાક આફ્રિકન દેશોમાં અને કેટલાક દલિત બૌદ્ધિકોમાં ચાલી છે. ઘાના જેવા દેશમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવ્યાના પણ સમાચાર છે.

ગાંધીજી જેવો માનવતાવાદી અને અસ્પૃશ્યતાનો હાડોહાડ વિરોધી મહાત્મા રંગદ્વેષી હોઈ શકે? માનવા મન તૈયાર થતું નથી.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી તપાસવાની શરૂઆત કરીએ. આત્મકથામાં ભાગ-૨માં પ્રકરણ-૧૩ કુલીપણાના અનુભવ પર છે. દક્ષિણ આફ્રિકામાં શ્યામવર્ણના લોકો માટેના જે કાયદા હતા, તે જ એશિયનોને લાગુ પડતા હતા. તે મુજબ કાળા અને એશિયનો ફૂટપાથ પર ચાલી ન શકે, રાતના નવ પછી બહાર ન નીકળી શકે. ગાંધીજીને ત્યારે રાતે ચાલવા જવાની ટેવ હતી. એટલે એમણે મિત્ર વકીલ કોટ્‌સ પાસેથી પરવાનો મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તે ન મળી શક્યો, એટલે કોટ્‌સે ભલામણપત્ર લખી આપ્યો. ગાંધીજી તે કાયમ પોતાની સાથે રાખતા, જેથી પોલીસ પરેશાન ન કરે.

તેમ છતાં એક દિવસ ગાંધીજી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ ક્રુગરના ઘર પાસેથી નીકળ્યા. પ્રમુખશ્રીનું ઘર તદ્દન સાદું, કંપાઉન્ડવૉલ વગરનું હતું! લક્ષાધિપતિઓનાં ઘર મહેલ જેવાં હતાં. પ્રમુખ અત્યંત સાદગીથી રહેવામાં માનતા હતા. આવા પ્રમુખ ગાંધીજી થકી આઝાદી મેળવેલ આપણા દેશમાં ક્યારે મળશે? રામ જાણે!

ખેર, એક દિવસ તેમને એક સિપાહીએ લાત મારીને ફૂટપાથ પરથી ફેંકી દીધા! ગાંધીજી તો કપડાં ખંખેરી ચાલતા થયા! કોટ્‌સે કેસ કરવાનું કહ્યું, પરંતુ ન માન્યા. ‘સિપાહી બિચારો શું જાણે ?’ તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી પરથી આમ જ ઉતારતો હશે. એટલે તેણે મને પણ ધક્કો માર્યો.

આમ, ગાંધીજીનું હબસી પ્રત્યે અનુસંધાન તો સંધાયું જ પરંતુ આ પ્રસંગે ‘હિંદી નિવાસીઓ પ્રત્યેની મારી લાગણી વધારે તીવ્ર કરી.’

હવે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તપાસીએ. ૧૯૨૫માં તે પ્રગટ થયેલો. દક્ષિણ આફ્રિકાના પરિચય માટે ગાંધીજીએ પહેલું પ્રકરણ ભૂગોળ વિશે અને બીજું ઇતિહાસ વિશે આપ્યું છે. આ પ્રકરણની ભાષા જોતાં અવશ્ય લાગે કે જો ગાંધીજી રાજપ્રકરણી ન થયા હોત, તો અવશ્ય મહાન સાહિત્યસર્જક થયા હોત!

ગાંધીજી લખે છે : ‘હબસીઓમાં ઝૂલુ વધારેમાં વધારે કદાવર અને રૂપાળા ગણી શકાય.’ ‘રૂપાળા’ વિશેષણ હબસીઓને વિશે મેં ઇરાદાપૂર્વક વાપરેલું છે. સફેદ ચામડી અને અણિયાળા નાકમાં આપણે રૂપનું આરોપણ કરીએ છીએ. આ વહેમ જો ઘડીભર બાજુએ મૂકીએ તો ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય, એમ આપણને નહીં લાગે.’

હવે કહો, આને દલિત સૌંદર્યશાસ્ત્રની સ્પષ્ટ વિભાવના ન કહેવાય? હવે આગળ : હોઠ અવશ્ય મોટા અને જાડા હોય છે, પણ આખા શરીરના આકારના પ્રમાણમાં હોઈ જરા ય બેડોળ છે, એમ હું તો નહીં કહું, આંખ ગોળ અને તેજસ્વી હોય છે. નાક ચપટું અને મોટા મોઢાને શોભે એવું જ મોટું હોય છે. અને તેના માથાના ગૂંચળિયા વાળ તેની સીસમ જેવી કાળી અને ચળકતી ચામડીની ઉપર શોભી નીકળે છે.’

હબસીઓનું આવું મનોહર વર્ણન કરનારો રંગદ્વેષી કેવી રીતે હોઈ શકે?

વળી, ગાંધીજી કાળી ચામડીની વાસ્તવિકતા પણ બરાબર સમજે છે. ‘ભૂમધ્ય રેખાની નજદીક રહેનારી વસ્તીની ચામડી કાળી જ હોવી જોઈએ. એ કુદરતી નિયમ છે.’ વિશેષમાં ગાંધીજી ઉમેરે છે : ‘કુદરત જે-જે ઘાટો ઘડે છે, તેમાં સૌંદર્ય જ હોય છે, એવું આપણે માનીએ તો સૌંદર્ય વિશેના આપણા સાંકડા અને એકદેશીય વિચારોમાંથી બચી જઈએ.’

વાહ! કોઈ સૌંદર્યશાસ્ત્રી પણ ન વિચારી શકે, એવું ગાંધીજીએ વિચાર્યું  છે. દલિત સૌંદર્યશાસ્ત્રની વિભાવના આને કહેવાય. ‘એટલું જ નહીં, પણ હિન્દુસ્તાનમાં કેટલાક અંશે આપણને આપણી પોતાની જ ચામડી જો કાળાશ પડતી હોય, તો જે અણછાજતાં શરમ અને અણગમો ઊપજે છે. તેમાંથી પણ આપણે મુક્ત થઈએ.’

હજી પણ આપણને ગોરો જમાઈ, ગોરી વહુ, ગોરી દીકરી જોઈએ છે. દીકરી જો કાળી જન્મી, તો તે સાપનો ભારો નહીં, કાળોતરા સાપનો ભારો બની રહે છે. નવાઈ એ વાતની છે કે આપણે આટલા ગૌરવર્ણ ચાહક, પરંતુ આપણા સઘળા દેવ-રામ, કૃષ્ણ, શિવ શ્યામવર્ણી છે! એમાં ય કૃષ્ણ તો ઘનશ્યામ!

અળખામણી વર્ણાશ્રમ વ્યવસ્થા પણ ‘વર્ણ, અર્થાત્‌ રંગ પરથી આવી છે. આર્યો ગોરા હતા અને દાસ-દસ્યૂ-અસૂર શ્યામ હતા. કાળાંતરે એ કર્માશ્રમ વ્યવસ્થા બની ગઈ. પછી શુદ્રગૌર હોય તો ય શુદ્ર જ ગણાય!

ગાંધીજીએ હબસીઓની સંસ્કૃતિનું બહુ ઝીણવટથી નિરીક્ષણ કરેલું છે. જુઓ : ‘બ્રિટિશસત્તા દાખલ થઈ તેની પહેલાં સ્ત્રીપુરુષો લગભગ નગ્નાવસ્થામાં જ ફરતાં. હાલ પણ દેહાતોમાં ઘણા એ પ્રમાણે જ વર્તે છે. ગુહ્ય ભાગોને એક ચામડાથી ઢાંકે છે.’ ગાંધીજી આ નગ્નાવસ્થાને કુદરતી ગણી સરસ બચાવ કરે છે. ‘આનો અર્થ કોઈ વાંચનાર એવો ન કરે કે તેથી એ લોકો પોતાની ઇન્દ્રિયોને વશ નથી રાખી શકતા. આ હબસીઓ એકબીજાની તરફ જોયા કરવાને નવરા હોતા જ નથી.’ ગાંધીજી નગ્નાવસ્થામાં રહેતા શુકદેવજીને પણ યાદ કરે છે. શુકદેવજીમાં વિકાર નહોતો.

એટલે ગાંધીજીને હબસી સ્ત્રી-પુરુષોની નગ્નાવસ્થા સામે પણ વાંધો નથી.

ગાંધીજી હબસીઓના ખોરાક વિશે પણ સારું જાણે છે. પોતે નિરામિષ હોવા છતાં હબસીઓના માંસાહાર વિશે નિઃસંકોચ લખી શકે છે. ‘જ્યારે- જ્યારે માંસ મળી શકે, ત્યારે કાચું અથવા પાકું, બાફેલું અથવા ભૂંજેલું માત્ર મીઠાની સાથે ખાઈ જાય છે. ગમે તે પ્રાણીનું માંસ ખાતાં તેને આંચકો નહીં આવે.’

હવે ગાંધીજી ઝૂલુઓની ભાષા વિષે વાત કરે છે. ‘ઝૂલુભાષા અત્યંત મધુર છે. શબ્દોમાં અર્થ અને કાવ્ય બંને રહેલાં છે, એમ મેં વાંચ્યું છે.’

આપણે પછાતવર્ગ, દલિતો, આદિવાસીઓની ભાષા વિશે ઊંચો અભિપ્રાય ધરાવતા નથી. મહેસાણી કે કાઠિયાવાડી બોલીની મશ્કરી કરીએ છીએ. કલાપી જેવા મહાન કવિ પણ શોભનાની ભાષામાં કચ્છી ભાષાની ‘કાંકરી’ ન રહી, એમ સહજતાથી લખે છે ! જ્યારે ગાંધીજીને ઝૂલુઓની ભાષામાં નાદમાધુર્ય દેખાય છે. આવા ગાંધીજી રંગદ્વેષી કેવી રીતે હોઈ શકે?

ગાંધીજી હબસીઓ પર ગુલામીએ કેવી ભયંકર અસર કરી છે, તેની વાત કરતાં કહે છે, ‘શરીરની મજબૂતીમાં જગતમાં કોઈ પણ કોમથી ન ઊતરે એવી આ કોમ ખરે એટલી મોળી છે કે ગોરા બાળકને જુએ તો પણ ડરે છે!’ હબસીઓ તીરકામઠાં સારી રીતે જાણતા હતા, તે છીનવી લેવામાં આવ્યાં અને ‘જેને નથી દીવાસળી લગાવવી પડતી, નથી હાથની આંગળી સિવાય કોઈ ગતિ કરવી પડતી, છતાં નાનીસરખી ભૂંગળીમાંથી એકાએક અવાજ નીકળે, ભડકો જોવાય અને ગોળી વાગતાં ક્ષણ માત્રમાં માણસના પ્રાણ જાય તેવી બંદૂકથી હબસીઓ ડરી ગયા છે. ભારત, ચીન, સહિત એશિયા- આફ્રિકાનાં સઘળી પ્રજા યુરોપિયનોની બંદૂક, તોપોથી જ ડરીને ગુલામ બનેલીને?’

હાલ કદાચ અપ્રાપ્ય એવી ગાંધીજીની ‘મારો જેલનો અનુભવ’ પુસ્તિકા ગાંડીવ સાહિત્યમંદિર, સુરતે ઈ.સ. ૧૯૨૨માં પ્રગટ કરેલી, તેની એક નકલ મારા પિતાજીના પુસ્તકાલયમાં હતી, તે ગાંધીજીનો ‘કાફરા’ પ્રતિનો દૃષ્ટિકોણ સમજવા-જોવા જેવી છે.

ગાંધીજી અહીં હબસીઓ માટે ‘કાફરા’ શબ્દનો પ્રયોગ કરે છે. તેઓ જેલનો અનુભવ વર્ણવતાં લખે છે કે, ત્યાં અમારાં કપડાં ઉપર ‘એન’ એવી છાપ મારી. એટલે કે અમે બરાબર નેટિવની પંક્તિમાં મુકાયા. ઘણી સગવડો ઉઠાવવા અમે સૌ તૈયાર હતા. પણ અમારી આ વલે થશે એમ માન્યું નહોતું. ગોરાઓની સાથે આપણને ન મૂકે એ સમજી શકાય એવું છે. પણ આપણને છેક કાફરાઓની સાથે રાખે એ સહન ન થઈ શકે એવું જણાયું. આવી દશા જોઈ વિચાર કર્યો કે સત્યાગ્રહની લડત જરાયે વધારે પડતી કે વખત વિચાર્યા વિનાની નથી. હિન્દીએ તદ્દન નમાલા કરી મૂકવાનો ખૂની કાયદો હતો, એમ વધારે સાબિત થયું.

“તો પણ, અમને કાફરાઓની સાથે રાખ્યા, એ ઘણે ભાગે સંતોષ પામવા જેવું થયું. તેઓની હાલત તેઓની તરફથી વર્તણૂક અને તેઓના ખવાસ જાણવાની આ ભલી તક મળી. બીજી રીતે જોતાં તેઓની સાથે મૂકવામાં હલકાઈ ગણવી એ મનને ઠીક ન લાગ્યું. છતાં સાધારણ રીતે હિન્દીને અલગ રાખવા જોઈએ, એમાં પણ શક નથી. અમારી કોટડીની પડખે જ કાફરાઓની કોટડીઓ હતી, તેમાં અને બહારના મેદાનમાં તેઓ કકળાટ કરી મૂકતા હતા. અને વગરમજૂરીના કેદી હતા, તેથી અમારી કોટડી નોખી હતી. નહિ તો અમને તે જ કોટડીમાં પૂરી શકત. મજૂરીવાળા હિન્દીઓને કાફરોની સાથે જ પૂરવામાં આવે છે.

“આ વાત હલકાઈભરેલી છે કે નહીં તે વિચાર અલગ રાખતાં એ બહુ જોખમભરેલી છે, એટલું કહેવું તે બસ છે, કાફરો ઘણે ભાગે જંગલી હોય છે. તેમાં વળી કેદમાં આવેલા કાફરોનું તો પૂછવું જ શું? તેઓ તોફાની બહુ ગંદા અને લગભગ જાનવરની સ્થિતિમાં રહેનારા છે. એકેક કોટડીમાં ૫૦થી ૬૦ માણસ સુધી પૂરવામાં આવે છે. કોઈ વેળા તેઓ કોટડીની અંદર રમખાણ મચાવે છે ને માંહોમાંહે લડે છે. આવી સોબતમાં ગરીબડા હિન્દીના કેવા હાલ થાય, તે વાંચનાર સહેજે જાણી શકે છે.

“આખી જેલમાં અમારા સિવાય ભાગ્યે જ ત્રણ ચાર હિન્દી કેદી હતા. તેઓને કાફરોની સાથે પુરાવું પડતું હતું, એટલું અમારા કરતાં વધારે હતું. તોપણ મેં જોયું કે તેઓ ખુશ-દિલથી રહેતા હતા. અને બહાર હતા તે વખતના કરતાં તેઓની તબિયત વધારે સારી હતી.”

કાફરાઓ અને હિન્દીઓને એકસમાન ગણી જેલમાં સાથે રાખ્યા. કાફરાઓ સાથે રહેવાનો એ પહેલો અનુભવ હતો. ‘કાફરાઓ સાથે રાખે એ સહન ન થઈ શકે,’ એવું એમને જણાયું. પરંતુ ગાંધીજી ત્યારે પણ સહનશીલતાની મૂર્તિ બની ચૂક્યા હતા, તેથી તેમને કાફરા સાથે રહેવાનું ‘સંતોષ પામવા જેવુ થયું.’ ‘હલકાઈ’ ગણવી ઠીક ન લાગી.

તે વેળાના કાફરા એમને ‘જંગલી’ જેવા લાગ્યા, તે સહજ છે. વળી, તે ગુનેગાર કેદી હતા. ‘તોફાની’, ‘ગંદા’ અને ‘જાનવરની સ્થિતિ’માં રહેનારા હતા. સત્યાગ્રહી હિન્દીઓ મોટે ભાગે વેપારી હતા, તેથી ‘ગરીબડા હિન્દી’ઓના હાલ સમજવાનું એમણે વાચક ઉપર છોડ્યું.

હવે બીજી વાર જોહાબિસબર્ગ જેલમાં ગાંધીજીને જવાનું થાય છે. તેનો અનુભવ વર્ણવતાં તેઓ લખે છે, “જોહાનિસબર્ગ પહોંચ્યા તે વખતે સાંજ પડી હતી તેથી મને બીજા હિંદીની પાસે નહોતા લઈ ગયા. મુખ્યત્વે કેદખાનામાં જ્યાં કાફરા કેદીઓ દરદી હતા, તેઓની કોટડીમાં મને બિછાનું આપ્યું. કોટડીમાં મારી રાત ઘણા દુઃખમાં તથા ભયમાં ગઈ. મને બીજે જ દહાડે આપણા લોકો પાસે લઈ જશે, એમ ખબર નહોતી અને આવી જગ્યાએ રાખશે, એમ માની હું ભય પામ્યો ને બહુ અકળાયો. છતાં મન સાથે નિશ્ચય કર્યો કે મારું કર્તવ્ય તો એ જ હતું કે મારે જે દુઃખ હોય તે સહન કરવું.”

“અકળાવાનો સબબ એ હતો કે કાફરો તથા ચીના કેદી જંગલી, ખૂની તથા અનીતિવાળા લાગ્યા. તેઓની ભાષા હું જાણતો નહોતો. કાફરોએ મને સવાલો પૂછવા શરૂ કર્યા. તેમાં પણ મેં મશ્કરી જેવું જોયું. હું તે સમજી શક્યો નહીં. મેં કંઈ જવાબ ન વાળ્યો. તેણે મને ભાંગલા અંગ્રેજીમાં પૂછ્યું, ‘આમ મને શા સારુ લાવ્યા છે?’ મેં થોડો ઉત્તર દીધો ને મૂંગો રહ્યો. પછી ચીનાએ શરૂ કર્યું. તે વધારે ખરાબ જણાયો. મારી પથારી આગળ આવી તે મને જોવા લાગ્યો. હું ચૂપ રહ્યો, પછી તે કાફરાની પથારી આગળ ગયો. ત્યાં બંને જણ એકબીજાંની ભૂંડી મશ્કરી કરવા લાગ્યા ને એબ ઉઘાડવા લાગ્યા. આ બંને કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા. આવું જોઈ મને ઊંઘ તો શાની જ આવે? બીજે દહાડે ગવર્નરને આ બધું સંભળાવીશ, એમ વિચાર કરી મોડી રાત્રે હું થોડું ઊંઘ્યો.

જોહાનિસબર્ગનો અનુભવ વધારે ખરાબ હતો. ગાંધીજી ગવર્નરને રજૂઆત કરવા ઇચ્છતા હતા, ત્યારે એમણે જોયું કે કેટલાક સત્યાગ્રહી હિન્દીઓ કાફરા સાથે રહેવામાં ખુશ હતા. કેમ? તો કાફરાઓ પાસેથી તમાકુ મળી રહે! માનવસ્વભાવ સર્વત્ર સરખો છે. ગાંધીજીએ કેવા લોકો સાથે કામ પાડ્યું હતું, તે વિચારવા જેવું છે.

ગાંધીજી આગળ લખે છે, “આ કેદીઓને કાફરોની સાથે રાખવામાં આવતા હતા. હું ગયો ત્યારે વડા દરોગાએ હુકમ કર્યો કે અમને બધાને નોખી કોટડી મળે. મેં દિલગીરીની સાથે જોયું કે કેટલાક હિંદીઓ કાફરાની સાથે સૂવામાં રાજી રહે છે. તે આવા કારણથી કે ત્યાં ચોરીથી તમાકુ વગેરે મળી શકે છે. આ આપણે શરમ ઉપજાવનારું છે. આપણને કાફરા કે કોઈની ઉપર તિરસ્કાર ન હોય, પણ તેઓની વચ્ચે તથા આપણી વચ્ચે સાધારણ વ્યવહારમાં એકતા નથી એ ન ભુલાય તેવું છે.”

ગાંધીજીને જોહાનિસબર્ગની જેલમાં જાજરૂ જવાની પણ કેવી તકલીફ પડી હતી, તે જોવા જેવી છે. જેલમાં બે વિભાગ હતા : એક વિભાગ ગુનેગાર કેદીઓ માટે અને બીજો વિભાગ દીવાની જેલના કેદીઓ માટે. ગાંધીજીનું સૂવાનું બીજા વિભાગમાં હતું, પરંતુ તે વિભાગનું જાજરૂ તેઓ વાપરી ન શકે પહેલા વિભાગના જાજરૂમાં કેદીઓ વધુ હોવાથી ‘મહાપંચાત’ પડે, તેથી દરોગાની સંમતિ લઈ બીજા વિભાગના જાજરૂમાં ગયા.

“આ જાજરૂમાં ભીડ તો હોય છે. વળી, જાજરૂ ખુલ્લાં હોય છે. તેને દરવાજા નથી હોતા. હું જેવો બેઠો કે તેવો જ એક જબરો મજબૂત વિકરાળ કાફરો આવ્યો. તેણે મને ઊઠી જવા કહ્યું ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું, હમણાં જ ઊઠું છું. તેટલામાં તો મને બાથ ભીડીને ઊંચક્યો ને બહાર ફેંક્યો. સારે નબીસે મેં બારસાખ પકડી લીધી, એટલે હું ન પડ્યો. આમાં કંઈ હું ગભરાયો નહોતો. હસીને હું તો ચાલતો થયો. પણ એક-બે હિંદી જેણે આ બનાવ જોયો તેઓ રડી પડ્યા.”

આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ કાફરા પ્રત્યે દ્વેષ કરતો થઈ જાય, તે સહજ છે. આપણે પણ વાતવાતમાં અમુક નાતવાળા કંજૂસ, અમુક નાત, ધર્મવાળા ગુંડા, અમુક નાતવાળા ચોર, અમુક નાતવાળા ગંદા, અમુક નાતવાળા લુચ્ચા, એવા અભિપ્રાયો વ્યક્ત કરતા હોઈએ છીએ. પણ ગાંધીજીમાં ને કાફરાઓ પ્રત્યે દ્વેષ ન થયો, એમણે ગવર્નરને હિન્દીઓને જુદા રાખવાની રજૂઆત કરી. આ બાબતની મેં ગવર્નરને વાત કરીને જણાવ્યું કે હિંદી કેદીઓને સારુ નોખા જાજરૂની ખાસ જરૂર છે. ને એમ પણ જણાવ્યું કે, કાફરા કેદીઓની સાથે હિંદી કેદીઓને મુદ્દલ ન રાખવા જોઈએ. ગવર્નરે તુરત હુકમ કર્યો કે મોટી જેલમાંથી જાજરૂઓ હિંદી કેદીને સારુ કાઢી આપે.

બસ, ગાંધીજીનો આ ‘મહાઅપરાધ’ થયો. હિન્દીઓને કાફરાથી અલગ રાખવા કહ્યું, એટલે કેટલાક દલિત બૌદ્ધિકોએ પ્રચાર શરૂ કર્યો કે ગાંધીજી રંગદ્વેષી હતા અને કાફરાઓને ‘જંગલી’ કહ્યા હતા!

ખેર, ગાંધીજી હિન્દીઓમાં રહેલા વર્ણભેદનો પણ દુઃખ સાથે ઉલ્લેખ કરવાનું ચૂકતા નથી. “એમ જોવામાં આવ્યું કે બહારની ઈજાઓ કરતાં અંદરની ઈજાઓ વધારે ભારે પડતી હતી. હિંદુ અને મુસલમાન તથા ઊંચ અને નીચ જાત એવો આભાસ કોઈકોઈ વેળા જેલમાં જોવામાં આવતો હતો. જેલમાં બધા વર્ગના ને બધા વર્ણના હિંદી સાથે રહેતા હતા. તેમાં જોઈ શકાયું કે આપણે સ્વરાજ્ય ન ચલાવીએ એવું કંઈ નથી, કેમ કે છેવટે જે ચડચણો આવી તે દૂર થઈ હતી. કેટલાક હિંદુ એમ કહેતા હતા કે અમે મુસલમાનોનું રાંધેલું નહીં ખાઈએ, અમુક માણસના હાથનું રાંધેલું નહીં ખાઈએ એમ કહેનાર માણસે હિંદુસ્તાનની બહાર પગ જ ન મૂકવો જોઈએ. મેં એમ પણ જોયું કે કાફરાઓ કે ગોરાઓ આપણા અનાજને અડકે તેમાં ચડચણ નહોતી. એક વખત એવું બન્યું કે પેલો તો (અછૂત) છે, તેની પાસે હું નથી સૂવાનો, એવો સવાલ નીકળ્યો. આ પણ આપણને શરમાવા જેવું થયું. ઊંડા ઊતરતાં એમ માલૂમ પડ્યું કે આવી ચડચણ લેવાનું કારણ તે માણસને પોતાને બાધ હતો એમ નહીં, પણ દેશમાં ખબર પડે તો તેનાં સગાં હરકત કરે. હું તો માનું છું કે આમ નીચઊંચના ડોળથી ને પછી નાતના જુલમના ડરથી આપણે અસત્ય આદરી બેઠા છીએ. જો આપણે જાણીએ કે (અછૂત)નો તિરસ્કાર કરવો એ અઠીક છે, તો પછી નાતથી કે બીજાથી ખોટી રીતે ડરી, ખરું છોડી આપણે સત્યાગ્રહી કેમ કહેવાઈએ? આપણે બધા હિંદી છીએ, તો પછી ખોટા ભેદ રાખી વઢીમરીશું ને હક માગશું તો કેમ થશે!”

“આપણે દેશમાં હોઈએ કે પરદેશમાં-વર્ણભેદ-ધર્મભેદ ભૂલતા નથી. આજે પણ અમેરિકા-ઇંગ્લૅન્ડમાં વરસોથી રહેવા છતાં નાતજાત તો ઠીક, ગોળ-પરગણાં પણ ભુલાયાં નથી!

“દક્ષિણ આફ્રિકાના હિન્દીઓને ગોરા કે કાફરા રાંધેલા ધાનને અડી જાય તો વાંધો નહીં. પરંતુ દેશભાઈ એવા અછૂતો કે મુસલમાનો અડે તો અભડાઈ જાય! આજે પણ એમાં કંઈ ફેર પડ્યો છે?”

“ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની જેલોમાં અસહ્ય દુઃખો વેઠેલાં. બંધ કોટડીમાં ઊભાં-ઊભાં ખાવું પડતું. કપડાં ઉતારી નાગા થઈ ખુલ્લામાં નહાવું પડતું. જાજરૂ પણ નિરાંતે ન જવાતું, દરોગો બે મિનિટ થાય કે ત્રાડ પાડે. ‘સામ, હવે નીકળ!”

મહાત્મા એમ કંઈ સહેલાઈથી, પ્રચારનાં ઢોલ-નગારાં વગાડવાથી કે ચોતરફ ફોટા ચોંટાડવાથી નથી થવાનું!

ગાંધીજી કરતાં આઠ વર્ષ મોટા અંગ્રેજી પાદરી રેવરન્ડ જૉસફ ડોકે ૧૯૦૮માં ‘ગાંધીજીનું પહેલું ચરિત્ર’ લખ્યું હતું. તેમાં તેમણે નોંધ્યું છે કે ઝૂલુ બળવો થયેલો, ત્યારે અંગ્રેજોએ ચાબખા મારી લોહીલુહાણ કરેલા ઝૂલુઓની સારવાર કરવા કોઈ યુરોપિયન તૈયાર નહોતો, ત્યારે ગાંધીજીએ તેમની સારવાર કરેલી!

દક્ષિણ આફ્રિકાના સત્તાધીશો ગાંધીજીના સત્યાગ્રહથી ડરતા નહોતા, કેમ કે તે ફક્ત દસ હજાર હિંદીઓનો જ હતો, પરંતુ તેમને ભય હતો કે આ સત્યાગ્રહનું હથિયાર ‘કાફરાઓ’ના હાથમાં આવશે, તો શું થશે? અને એ કાફરાઓના નેતા નેલ્સન મંડેલાએ ગાંધીનું હથિયાર જ ખપમાં લઈ આઝાદી મેળવી. નેલ્સન મંડેલાએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે ભારતવાસીઓએ તો ગાંધીને વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં મોકલ્યા હતા અને અમે ‘મહાત્મા’ બનાવી પાછા મોકલ્યા! કોઈ રંગદ્વેષીને કોઈ કાફરો આવી શ્રદ્ધાંજલિ અર્પે ખરો?

ગાંધીજીએ ૧૯૨૫માં ‘નવજીવન’માં લખ્યું હતું કે ‘સૃષ્ટિનાં પ્રાણીમાત્રની તાત્ત્વિક એકતા અને અભેદના જ્ઞાનમાં ઊંચનીચના ભાવને અવકાશ જ નથી. જીવન એ કર્મક્ષેત્ર છે, અધિકાર અને સત્તાનો સંચય નથી. જે ધર્મ ઊંચનીચના ભેદની પ્રથા ઉપર આધાર રાખે છે, તેનો સર્વથા વિનાશ જ છે.’

અત્રે રજૂ કરેલા પુરાવાથી સાબિત થાય છે કે ગાંધીજી રજમાત્ર, અંશમાત્ર, પણ રંગદ્વેષી નહોતા, પરંતુ હાડોહાડ મહાન માનવતાવાદી હતા. ઇતિ સિદ્ધમ્‌!

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 16 – 18

Loading

રસ્કિન વિશે

આશિષ મહેતા|Opinion - Opinion|5 March 2019

રેલવે-સ્ટેશનનું એક સામાન્ય દૃશ્ય. એક ભાઈ ગાડીમાં બેઠા છે. ગાડી ઊપડવાની તૈયારી છે. એમના મિત્ર બારીએ હાથ અઢેલીને પ્લૅટફૉર્મ પર ઊભા છે. ગાડીની સીટી વાગે છે. મિત્ર પોતાના થેલામાંથી એક પુસ્તક કાઢીને આવે છે, સફર ગાડીની કે જીવનની – થોડી ઓછી કંટાળાજનક રહે એ માટે.

હવે પછીનાં દૃશ્યો સામાન્ય નથી.

‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’

૮ અને ૨૫ જૂન, ૧૯૦૪ દરમિયાન ગાંધીજીએ બે વખત ડરબનની મુસાફરી કરી. ઉપરની ઘટના એ સમયની છે, તેમ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ત્રિદીપ સુહ્યદ દ્વારા સમીક્ષિત આવૃત્તિ જણાવે છે. મિત્ર હતા હેન્રી પોલાક. પુસ્તક હતું, અલબત્ત, Unto this Last જેના લેખક જ્હૉન રસ્કિનની ૨૦૦મી જન્મશતાબ્દી આ આઠમી ફેબ્રુઆરીએ ગઈ.

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.

૨. વકીલ તેમ જ વાળંદ બંનેનાં કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.

૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

[સત્યના પ્રયોગો અથવા આત્મકથા પ્રકરણ : એક પુસ્તની જાદુઈ અસર]

આમ તો ગાંધીજીના જીવનનો સૌથી નાટ્યાત્મક પ્રસંગ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી બહાર ધકેલી મુકાયા તે ગણાય છે. એટનબરોની ફિલ્મે પણ એ માઇથોલૉજી ઘટનામાં ફાળો આપ્યો છે. ફિલ્મ માટે એ ઠીક હશે કારણ કે એ દૃશ્યમાં નાટ્યાત્મકતા છે. ચોપડી વાંચવાના દૃશ્યમાં એવી નાટ્યાત્મકતા નથી. પણ હકીકત એવી છે કે પ્લૅટફૉર્મ પર રાત વિતાવ્યા પછી બીજે દિવસે ગાંધીજીએ મુસાફરી આગળ ધપાવી હતી. અને એમાં પણ રંગભેદના અનુભવો ચાલુ રહ્યા હતા. પણ રસ્કિનનું પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી થોડા કલાકોની પણ રાહ જોયા વિના ફિનિક્સ વસાહત સ્થાપીને ‘સાદું મજૂરીનું જીવન’ જીવવાના આયોજનમાં લાગી ગયા હતા. એપિફેનીનો દાવો કોઈ રેલવે-સ્ટેશનનો હોય તો તે પિટર મેરિટ્‌ઝબર્ગનો નહિ, પણ જોહાનિસબર્ગની એલોફ સ્ટ્રીટ પરના ઓલ્ડપાર્ક સ્ટેશનનો હોવો જોઈએ.

પુસ્તકોની જેનરોમાં એક છે સેલ્ફ-હેલ્પ. ગુજરાતીમાં એક સમયે વનરાજ માલવી આવાં પુસ્તકો લખતાં, જેમ કે, ‘તમારી માનસિક કાબેલિયત કેવી રીતે દસ ગણી કરશો.’ અંગ્રેજીમાં સેલ્ફ-હેલ્પનું બજાર નિશાળ રહ્યું છે. બસ, આ ચોપડી વાંચો અને તમારું જીવન કે પ્રારબ્ધ પલટાઈ જશે. પણ આ જેનરમાં નૉર્મન થિન્સેન્ટ પીલ જેવા નીચલી પાયરીએ આવે. તો બીજે છેડે માર્ક્સ ઓરેલિયસ કે શાસ્ત્ર-અધ્યાત્મ પણ આવે. ગાંધીજીને આવાં પુસ્તકો માટે વળગણ તો હતું. છેલ્લા બે-એક દાયકામાં પશ્ચિમમાં જૂના જમાનાના દાર્શનિકો કે લેખકોનું ડહાપણ – વિઝડમ સારી પેઠે પૅકેજ કરીને રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. દાખલા તરીકે, ‘હાઉ પ્રુસ્ત કેન ચેન્જ યૉર લાઇફ’ :  ફ્રૅન્ચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્ત કેવી રીતે તમારું જીવન બદલી શકે છે. આમ તો ચોપડા વાંચે જીવન ખાસ બદલાતાં નથી, પણ રસ્કિને એ પ્રુસ્ત અને આપણા મહાત્મા-બંનેનાં જીવન બદલી નાંખ્યાં.

તો ચોપડી વાંચીને તરત શહેર બહાર વસાહત સ્થાપી. આ સમયે ગાંધીજી હજુ ‘આત્મિક કેળવણી’માં નવોદિત જ હતા, માટે વસાહતના સામૂહિક જીવનમાં એ બધા નીતિનિયમો નહોતા, જે પછીના પ્રયોગોમાં આવનારા હતા. નામ પણ ‘ફિનિક્સ સેટલમેન્ટ’ હતું, ‘ફિનિક્સ આશ્રમ’ નહીં. પણ ફિનિક્સ વિના ટૉલ્સ્ટૉય ફાર્મ, સત્યાગ્રહ આશ્રમ કોચરબ / સાબરમતી અને સેવાગ્રામ, વર્ધાનો નકશો કેવી રીતે રચાત ?

રસ્કિનની વાત પર પછી આવીએ, પહેલાં ‘જાદુઈ અસર’ની વાત જારી રાખીએ.

૧૯૦૬માં કોઈ ગોરા લોકોએ ગાંધીજીના અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામે છેક લંડનમાં ફરિયાદ કરી. ગાંધીજીએ પોતાની સફાઈમાં પત્ર લખ્યો બ્રિટનના થાણા વહીવટના પ્રધાન લૉર્ડ એલ્જિનને. પોતાનું અખબાર ધંધાવેપાર માટે કે ટંટાફસાદ માટે નથી, એવો દાવો કરીને ગાંધીજીએ ઉમેર્યું કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ તો ટૉલ્સ્ટૉય અને રસ્કિનની રાહદોરી પર ચાલે છે.

૧૯૦૮માં ગમતાનો ગુલાલ કરીને ગાંધીજીએ રસ્કિનના પુસ્તકનો સંક્ષેપ ગુજરાતીમાં નવ હપતે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકો સમક્ષ રજૂ કર્યો. (આ જ અરસામાં તેમણે સૉક્રેટિસના બચાવનામાનો પણ આવો સંક્ષેપ ગુજરાતીમાં રજૂ કર્યો હતો. એ રીતે ગાંધીજી સોક્રેટિસ અને રસ્કિનના વિચારોને એકસમાન આસન પર મૂકતા લાગે.) રસ્કિનના પુસ્તકનું શીર્ષક બાઇબલની એક વાર્તા પરથી છે, જેનો સીધો તરજુમો કરવાના બદલે ગાંધીજીએ મતલબનો ગુજરાતી શબ્દ ઊભો કર્યો અને એ શીર્ષકમાં ગાંધીજીની પૂરી વિચારધારા સમાઈ જાય એમ છે – सर्वोदय. અનુવાદ, ભાષા-અંતર અને અર્થઘટનના બીજા પણ પ્રશ્નો અહીં જોવા મળે છે. જેમ કે રસ્કિનના પહેલા નિબંધનું શીર્ષક ‘ધ રૂટ્‌સ ઑફ ઑનર’, સમ્માન કે ઇજ્જતનાં મૂળ. ગાંધીજીના તરજુમામાં વંચાય છે. ‘સાચનાં મૂળ’. સત્યને ઈશ્વર ગણવાની દિશામાં આગળ વધી રહેલા અનુવાદક માટે એ વધારે યોગ્ય છે.

એ અસરામાં સત્યાગ્રહના કારણે જેલમાં જવાનું થયું. ત્યાં ‘બીજી ઉપાધિ ન હોવાથી શાંત મને વાંચી શકાય.’ મારો જેલનો બીજો અનુભવ-૫ : જેલમાં શું વાંચ્યું.’ એ મથાળા હેઠળ ૧૯૦૯માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અધિપતિ વાચકને રિપોર્ટ આપે છે : ‘બહુ ઓછો વખત રહેતો છતાં મહાન રસ્કિનનાં બે પ્રખ્યાત પુસ્તકો, મહાન થૉરોના નિબંધો, બાઇબલનો કંઈક ભાગ, ગેરિબાલ્ડીનું જીવન (ગુજરાતીમાં), લૉર્ડ બેકનના નિબંધ (ગુજરાતીમાં) હિન્દુસ્તાનને લગતી બે બીજી અંગ્રેજી ચોપડીઓ, એમ વાંચ્યા … રસ્કિન તથા થૉરોનાં લખાણોમાંથી સત્યાગ્રહ શોધી શકાય છે.’

જેલમાંથી પુત્ર મણિલાલને પત્ર, ૨૫ માર્ચ ૧૯૦૯ : ‘હું હમણાં એમર્સન, રસ્કિન અને મૅઝિનીનાં પુસ્તકો વાંચું છું.’ બે વરસ પહેલાં છગનલાલ ગાંધીને પણ આદેશ કરેલો : મહેરબાની કરીને રસ્કિનનું પુસ્તક વાંચો.

દિનવારીમાં પછી આવે, રહી ન શકાયું, ત્યારે જ લખેલું ‘હિન્દ સ્વરાજ’. सर्वोदय તરજુમાનાં છેલ્લાં પાનાંમાં ગાંધીજીએ સંક્ષેપ પછી ‘સારાંશ’ નામે પાંચમું પ્રકરણ ઉમેર્યું છે, જે રસ્કિનના વિચારો હિન્દુસ્તાનને કેવી રીતે લાગુ પડે તે વિશે છે. ત્યાં ગાંધીજી સ્વરાજ્ય વિશે લખવાનું શરૂ કરે છે અને ‘હિન્દ સ્વરાજ’ એનું અનુસંધાન કે વિસ્તાર લાગે. અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમજ પહેલા પરિશિષ્ટમાં વધુ વાચનની ભલામણોમાં (‘સમ ઑથોરિટીઝ’) રસ્કિનનો અને તેમનાં બે પુસ્તકોનો ઉલ્લેખ છે. (‘અનટુ ધિસ લાસ્ટ’ અને ‘જૉય ફોર એવર’).

આત્મકથામાં રાયચંદભાઈ ઉર્ફે શ્રીમદ્ ‌રાજચંદ્ર વિશેના પ્રકરણના અંતે જે રેન્કિંગ આવે છે, તે અલગઅલગ ઠેકાણે વારંવાર વાંચવા મળે છે.

‘મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના वैकुंठ तारा हृदयमां छे નામના પુસ્તકથી, ને રસ્કિને अनटु धिस लास्ट – सर्वोदय નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

આવી ટોપટેન જેવી યાદી – ‘લિસ્ટિકલ’ – શ્રીમદ્‌ રાજચંદ્ર પરિચયગ્રંથની પ્રસ્તાવના(૧૯૨૬)માં પણ છે. ‘મૉડર્ન રિવ્યૂ’માં કવિ રાયચંદભાઈને અંજલિ આપતી વખતે પણ બીજા બે મહાપુરુષોને સાથે યાદ કર્યા છે. યરવાડા મંદિરથી પ્રેમાબહેન કંટકને પત્રમાં ગાંધીજી કહે છે કે ‘HERO એટલે પૂજ્ય દેવતા’ અને પોતાના ત્રણ હિરોની સાથે ચોથું નામ પણ ઉમેરે છે અને બીજા વાક્યમાં બાતલ કરી નાખે છે : ‘થૉરોને કદાચ મૂકી દેવો એ વધારે યોગ્ય છે’ (૧૯૩૧). સપ્ટેમ્બર, ૧૯૨૮માં ટૉલ્સ્ટૉય શતાબ્દી નિમિત્તે અમદાવાદ યુવકસભાના આશ્રયે આશ્રમમાં સભા યોજાઈ, તેમાં ગાંધી ફરી તેમના ત્રિદેવને સંભાર્યા વિના રહી શક્યા નહીં. પછી ક્રમ સ્પષ્ટ કરવા ઉમેર્યું, ‘ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિષે વધારે જાણું તો બેમાં કોને પહેલાં મૂકું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું.’

લંડનના પ્રતિષ્ઠિત સામયિક ‘સ્પેક્ટેટર’ના સંપાદક એવલિન રૈન્ચે, પોતાના ઘરે ઑક્ટોબર, ૧૯૩૧માં ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

પ્રશ્ન : કોઈ પુસ્તકે કદી આપના જીવનને અત્યંત પ્રભાવિત કર્યું છે. અને આપના જીવનમાં કોઈ અચાનક પરિવર્તન આવ્યું છે?

ઉત્તર : હા, મને સૌથી વધુ પ્રભાવિત કરનાર પુસ્તક રસ્કિનનું अनटु धिस लास्ट હતું … તેણે મારું આખું બાહ્ય જીવન પલટી નાંખ્યું. એને માટે બીજો કોઈ શબ્દ જ નથી. રસ્કિનના શબ્દોએ મારા ઉપર ભૂરકી નાંખી. હું એકી બેઠકે એ પુસ્તક વાંચી ગયો અને આખી રાત જાગતો પડી રહ્યો. અને મેં તે જ ક્ષણે મારા જીવનનો આખો નકશો બદલી નાખવાનો નિર્ણય કર્યો. ટૉલ્સ્ટૉય મેં બહુ પહેલાં વાંચ્યા હતા, તેણે મારા આંતર જીવનને અસર કરી હતી.

એ ભૂરકીની અસરો વિષે થોડી વિગતવાર વાત. યરવડા મંદિરથી સપ્ટેમ્બર ૧૯૩૦માં નારણદાસ ગાંધીને પત્રમાં તેઓ કહે છે :

‘જાત મહેનત મનુષ્યમાત્ર સારુ અનિવાર્ય છે. એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો – રસ્કિનનું अनटु धिस लास्ट વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો અનુવાદ છે. ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી – રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ એ ઈશ્વરી નિયમ છે.

રસ્કિન વિષે વધુ, મીરાંબહેનને પત્રમાં, ૮ એપ્રિલ ૧૯૩૨ઃ ‘હમણાં હું રસ્કિનનું फोर्स क्लेविजेरा Fors Clavigera] વાંચુ છું. એ ઊંડી માનવતાથી ભરેલી કૃતિ છે. એ વસ્તુની એને હાડોહાડ પ્રતીત થઈ હોય એમ લાગે છે. વાણી તેમ જ વર્તનમાં પોતાના વિચારો પ્રગટ કરવાનો આ પત્રો તેના સર્વોત્તમ પ્રયાસ છે.’

આઝાદી ડેકકે હતી, ત્યારે બૉમ્બે રાજ્યમાં નાણાં અને ગ્રામોદ્યોગ પ્રધાન વૈકુંઠલાલ મહેતાએ પૂનામાં ઉદ્યોગપ્રધાનોની એક પરિષદનું આયોજન કરેલું. તેમાં પંજાબ, ઓરિસ્સા, મધ્યપ્રાંત અને બિહારના પ્રધાનો હાજર રહેલા. ગાંધીજીએ તેમને ભારત આઝાદ થાય, ત્યારે આર્થિક નીતિઓ રસ્કિનની રાહે ચલાવવા શીખ આપી. ૩૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ આ પરિષદમાં તેમણે ફરી એક વાર રેલયાત્રા દરમિયાન રસ્કિનનું પેલું પુસ્તક વાંચ્યાનું સુખદ સ્મરણ કર્યું અને કહ્યું કે તેમાંથી તેમને સ્પષ્ટ જણાયું કે જો માણસ જાતે પ્રગતિ કરવી હોય અને સમાનતાના આદર્શને વાસ્તવમાં ઉતારવો હોય, તો આ પુસ્તકના સિદ્ધાંત અપનાવીને તેના પર કામ કરવું રહ્યું. કોઈની સ્થિતિ ના હોય કે શક્તિ કે બુદ્ધિ ના હોય, તેને પણ સાથે લઈને જ ચાલવાનું છે. જે આઝાદીમાં સૌથી નબળાને સ્થાન ન હોય, એવી આઝાદી તેમને નથી જોઈતી.

*     *     *

જ્હૉન રસ્કિન (૮ ફેબ્રુઆરી ૧૮૧૯ – ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦) પહેલી કારકિર્દીમાં કલાવિવેચક અન નિબંધકાર હતા. યુવા ઉંમરથી તેઓએ ચિત્રકલાનાં નવાં વહેણ સામે અગાઉના કલાકારોની તરફેણમાં લખવાનું શરૂ કર્યું. એમની સૌંદર્યદૃષ્ટિ અને બારીક નકશીકામથી ભરેલા ગદ્યમાં ચિત્રકલા પછી સ્થાપત્ય અને લોકહુન્નરોની પણ વાત આવી. વ્યાખ્યાન પણ આપતા અને બ્રિટનના જાહેર સંવાદમાં તેમનું નામ બની રહ્યું હતું. તેમને માબાપ તરફથી વારસામાં ખ્રિસ્તીધર્મ અને બાઇબલ પ્રત્યે વિશેષ આસ્થા મળેલી. મોટી ઉંમરે ધર્મ-સંપ્રદાય છોડ્યા પછી પણ બાઇબલે તેમને છોડ્યા નહીં. કલાવિષયક લખાણોમાં તેમનો દૃષ્ટિકોણ બાઇબલ અને સાદી નીતિમત્તા પર આધારિત હતો.

ઉપર જેનો ઉલ્લેખ આવ્યો. તે ફ્રૅન્ચ લેખક માર્સેલ પ્રુસ્ત રસ્કિનથી એટલા પ્રભાવિત કે અંગ્રેજીનું જ્ઞાન અધૂરું હોવા છતાં તેમનાં બે પુસ્તકોનો અનુવાદ કર્યો. ત્યાંથી તેઓ લેખક બન્યા અને વીસમી સદીની પાંચ મહાનતમ નવલકથાઓમાંની એકની પાછળ આ રીતે રસ્કિનના હસ્તાક્ષર છે. અનુવાદોની પ્રુસ્તે લખેલી પ્રસ્તાવનાઓ પણ માઇનોર માસ્ટરપીસ જેવી છે. ત્યાં રસ્કિન વિશે બડિંગ નૉવેલિસ્ટ કહે છે, ‘હી વિલ ટીચ મી, ફોર ઇઝ નોટ હી, ટુ, ઇન સમ ડિગ્રી ધ ટ્રૂથ ?’

કલામાં કારીગરની ભૂમિકા પર તેમણે ભાર મૂક્યો. તેમના માટે કલા અને હુન્નર (જેમ કે સુથારીકામ) વચ્ચે કોઈ ભેદ નહોતો.

આજકાલ વિદેશમાં અને દેશમાં પણ અમુક વર્ગમાં ઍસેમ્બ્લી લાઈન પર બનેલી, માસ પ્રોડક્શનની ચીજોના બદલે હાથબનાવટની ચીજો માટે આગ્રહ વધી રહ્યો છે. તેમાં ઘણી વિચારધારાઓ ભેગી થાય છે. ઔદ્યોગિક સંસ્કૃતિનો વિરોધ, ઑથેન્ટિસિટી, માર્ક્સ જેને રિઇફિકેશન કહે છે તે, એટલે કે મશીનકલ્ચરમાં બનાવટ અને બનાવનાર વચ્ચેનું તાદાત્મ્ય કે ઓળખ તૂટી જાય છે, તેને ફરી સાંધવી વગેરે. તે તમામ પરિબળોની પાછળ રસ્કિનના વિચારો કામ કરી રહ્યા છે. તેમણે ઓગણીસમી સદીના પાછલા દાયકાઓમાં બ્રિટનમાં આટ્‌ર્સ ઍન્ડ ક્રાફ્ટ્‌સ મૂવમેન્ટ ચાલુ કરેલી તેનાં જ આ પરિણામો છે.

આંગળી અને હાથના કામ પર નયી તાલીમમાં ભાર મૂકવામાં આવે છે, તેનાં મૂળ પણ રસ્કિનમાં જ છે. આજકાલ વિદેશોમાં અને થોડે અંશે દેશમાં એક વાયરો ચાલ્યો છે, જેમાં નોકરીધંધામાં સફળતા પછી પણ ખાલીપો અનુભવતા લોકો હુન્નરકામ તરફ વળે છે અને ત્યાં તેમને જીવનનો સંતોષ અને આનંદ મળે છે. આ વિષય પર સામાન્ય વાચકોને ઉદ્દેશીને લખાયેલાં પુસ્તકોની સંખ્યા વધે જાય છે. તેમાં અગ્રણી છે ફિલોસૉફર રિચાર્ડ સેનેટનું ‘ધ ક્રાફ્‌ટમેન’ (૨૦૦૮), જેના કેન્દ્રમાં છે ફરી રસ્કિન. ‘યંત્ર યુગનો સૌથી વધુ જુસ્સાદાર વિરોધ કોઈએ કર્યો હોય તો તે રસ્કિન હતા, એમ કહીને સેનેટ ઉમેરે છે કે રસ્કિનની દૃષ્ટિનું સમૂળી ક્રાન્તિકારક પાસું એ હતું કે તેમણે આધુનિક સમાજને ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાના જમાના તરફ પાછા વળવા હાકલ કરી. વધુમાં, એમની અપીલ આજના શબ્દોમાં કહીએ તો, ‘ગેટ ઇન ટચ વિશ્વ યૉર બૉડી.’

બુદ્ધનાં પ્રવચનોમાં ‘કુશળ’ શબ્દનાં ઘણાં પાસાં છે. સ્કિલ એટલે કે આવડત તે કુશળતા છે. કર્મમાં કુશળતા એ યોગ છે. હુન્નરમાં કુશળતા જોઈએ. તેમાં શરીર અને આત્માનું કંઈક સંધાન થતું લાગે છે, જેથી કરીને અધ્યાત્મની વાર્તામાં સાથેસાથે હુન્નરની વાર્તા ચાલતી આવી છે. જિસસ સુથાર હતા, કબીર વણકર, ગાંધી પોતાને ખેડૂત કે વણકર ગણાવતા. ચરખો પૂરા ગાંધીજીવન-કર્મ-વિચારનું પ્રતીક આ અર્થમાં બને છે.

અલબત્ત, ૧૯૦૪માં ગાંધીએ રસ્કિનના પુસ્તકમાંથી જે તંતુ પકડ્યો તે અર્થશાસ્ત્રનો હતો. ઓગણીસમી સદીની અધવચ સુધીમાં એક વિદ્યાશાખા વિકસી, જેનું ત્યારે નામ હતું પોલિટિકલ ઇકોનૉમી. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો અને અંતે મહાન ફિલોસૉફર જ્હૉન સ્ટુઅર્ટ મિલનાં લખાણો, તેનો અભ્યાસક્રમ, આ સૌની સહમતી સાદી ભાષામાં કહીએ તો બજારું અર્થતંત્રને સર્વોપરી માનવાની હતી. કંઈક અંશે ડાર્વિને જીવવિજ્ઞાનમાં કહ્યું તેવું આ લોકો અર્થકારણ માટે માનતા હતા. સૌએ વધારે ને વધારે પૈસાદાર બનવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી દેશ-સમાજ સમૃદ્ધ બને. એમાં રાજ્ય / સરકારે વચ્ચે પડવું ના જોઈએ, તેમણે માત્ર એવા સંજોગો ઊભા કરવા જોઈએ, જેથી સૌ પૈસા કમાવાનાં કામ સારી પેઠે કરી શકે. અલબત્ત, આમાં ગરીબગુરબા, અશક્ત, લાચાર કોરાણે મુકાઈ જાય છે, પણ એમાં આપણાથી શું થઈ શકે? જેવું જેનું નસીબ, અર્થકારણ આમ જ ચાલતું આવ્યું છે.

કલાવિવેચન છોડીને રસ્કિન પોલિટિકલ ઇકોનૉમી તરફ વળ્યા અને આ વિચારો સામે નૈતિક વાંધો લીધો. ૧૮૬૦માં તેમણે ચાર નિબંધ તૈયાર કર્યા અને ‘કોર્નહિલ’ નામના માસિકને મોકલ્યા. (એના સંપાદક હતા ‘વેનિટી ફેર’ નવલકથાથી જાણીતા લેખક ડબલ્યુ.એમ. થૅકરે.) રસ્કિનનું માનવું હતું કે અર્થકારણ તો માણસે સર્જેલું છે. અને એના નિયમો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવા કુદરતી નિયમો નથી. સમાજમાં દીનદુઃખિયાને ટેકો કરવામાં કોઈ બજારના સિદ્ધાંતો ટાંકવાની જરૂર નથી, નીતિ અને માનવતાના ધોરણે સૌથી છેવાડાના જરૂરતમંદને મદદ કરે – એટલે કે અંત્યનો કે સર્વનો ઉદય કરે – એવી આર્થિક વ્યવસ્થા આપણે કેમ ઊભી ન કરી શકીએ ?

આ ચાર નિબંધો તે પુસ્તકાકરે अनटु धिस लास्ट  એ શીર્ષક બાઇબલમાં ‘પૅરેબલ ઑફ ધ વાઇનયાર્ડ’માંથી લીધું છે. સર્વોદયની પૂરી વિચારધારા એ પૅરેબલમાં સુપેરે રજૂ થઈ છે. મેથ્યુ અથવા ‘માથ્થીની લખેલી સુવાર્તા’માંથી એ પ્રસંગ પૂરો વાંચીએ :

“કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, પોતાની દ્રાક્ષાવાડીને સારુ મજૂરો પરોઠવાને મળસકામાં બહાર ગયો. અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર પરડીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. અને આશરે પહોર દહાડો ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા. અને તેણે તેઓને કહ્યું કે, તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી, આશરે બપોરે તથા ત્રીજા પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. … અને સાંજ પડી, ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેમનું વેતન આપ. અને જેઓને તેણે આશરે અગિયારમી હોરાએ રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા, ત્યારે તેઓને એક-એક દીનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર મળ્યો, ત્યારે તે લઈને તેઓએ ઘરધણી વિરુદ્ધ ઘણી કચકચ કરી, ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે, મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર પરડ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે, તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું, માટે તારી આંખ ભૂંડી છે શું? એમ જેઓ છેલ્લા તેઓ પહેલા, અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.”

(આ વાર્તાની અગાઉનો ફકરો વધારે જાણીતો છે, જેમાં આ વાક્ય આવે છે : “દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે.”)

પુસ્તકે એ સમયે ઘણી ચકચાર મચાવી, ભારે વિરોધ થયો, લેખમાળા અધૂરેથી છોડવી પડી. પુસ્તકનો પહેલો પ્રિન્ટરન, એક હજાર નકલ, એક દાયકા પછી પણ પૂરો થયો નહોતો. જો કે હેન્રી પોલાકના હાથમાં આવ્યું, ત્યાં સુધીમાં એ પુસ્તક નવા વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું હતું. પૅન્ગ્વિન એડિશનમાં પ્રસ્તાવનામાં ક્લાઇવ વિલ્મર કહે છે કે ૧૯૦૬માં પહેલી વાર ૨૯ લેબર સાંસદો ચૂંટાયા, તેમને આપેલી એક પ્રશ્નાવલિના આધારે એમ કહી શકાય તે કોઈ એક પુસ્તકે તેમના પર સૌથી અસર કરી હોય તો તે ‘અનટુ ધિસ લાસ્ટ’ હતું.

આજે વિકસિત કે વિકાસશીલ દેશોમાં વેલફેર ઇકોનૉમિક્સનો વિચાર સૌએ સ્વીકાર્યો છે, એટલે કે માત્ર બજાર સાચું એમ નહીં પણ જરૂરતમંદો માટે સહાયની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાય છે, તેને માટે સૌથી વધુ શ્રેય આપવું હોય, તો દ્રાક્ષાવાડીના ઘણીનો દાખલો તાજો કરનારા રસ્કિનને જ આપવું જોઈએ.

ગાંધીએ આર્થિક સમજથી શરૂ કરીને પછી રસ્કિનમાંથી ‘સ્વરાજ્ય’ સત્યાગ્રહ, શિક્ષણવિચાર અને હુન્નરની સમજ વિકસાવી. ગાંધી જેને હિરો નંબર ટુ ગણે છે, તે ટૉલ્સ્ટૉયે લખ્યું છે કે રસ્કિન ‘એવા અપવાદરૂપ માણસોમાંના એક હતા, જેઓ પોતાના હૃદયથી વિચારે છે, તેથી તેમણે જે કાંઈ વિચાર્યું અને કહ્યું તે તેમણે પોતે જોયેલું અને અનુભવેલું હતું. એટલું જ નહિ, પણ તે ભવિષ્યમાં દરેક વ્યક્તિ વિચારશે અને કહેશે.’

મ્યુચ્યુઅલ એડમિરેશન ક્લબના સભ્યો જેવા લાગતા આ ત્રણ મહાપુરુષોમાં ઘણી સામ્યતાઓ હતી. ત્રણેને માટે સ્ત્રીપુરુષના આદિકાળથી ચાલતા આવતા સંબંધો ભારે સમસ્યારૂપ અને સૂગનો વિષમ હતા. ત્રણેને જેનો ઝંડો કોઈના ઉપાડે તેને ઝંડા લઈને કૂદી પડવાની આદત હતી. ત્રણમાંથી બે પાછલાં વર્ષોમાં લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ત્રીજાને સૌ પાગલ બરાબર જ ગણવા લાગેલા. ત્રણેને જાત પર જાતભાતના અખતરા કરવાનો શૉખ હતો. પણ વિશેષ નોંધપાત્ર સામ્ય એ હતું કે રૂઢિગત માન્યતાઓને કોરાણે મૂકીને, માત્ર નીતિમત્તાનું ચલણ સ્વીકારીને, નવેસરથી વિકલ્પો વિચારી જોવાની હિંમત. વધુ છેદ ઉડાડીએ, તો કદાચ બાઈબલનો ઊંડો અભ્યાસ, ધ્યાનપૂર્વકનું વાચન કામ કરી રહ્યું હશે ? ત્રણેએ ઘણું લેખન કર્યું (ત્રણેયના કલેકટૅડ વર્ક્સનાં વૉલ્યુમની સંખ્યા ઊંચી છે). વાચન એનાથી પણ વધારે કર્યું. ત્રણેયે લેખન કે વાચન એટલે કે શબ્દમાત્રથી આંતર અને બાહ્ય જીવનમાં, પિંડે અને બ્રહ્માંડે, પરિવર્તનની શક્યતાઓની ખોજ કરી.

પરિવર્તનના સાધન તરીકે વાચનને કેવી રીતે પ્રયોગમાં લાવવું? ઉપરથી સેલ્ફ-હેલ્પની થીમનો તાણો ખેંચીને અહીં વણીએ તો, હાઉ રસ્કિન કેન ચેન્જ યોર લાઇફ ? આમ તો રસ્કિનનું પુસ્તક હજારો કે લાખો લોકોએ વાચ્યું છે, પણ વાંચ્યા પછી બહાર સામૂહિક અને સાદા જીવનના અખતરા માટે જમીન શોધવા બીજું કોઈ નીકળ્યું નહીં. આપણે પોલાકની જેમ પ્રભાવિત થઈને કોઈ પુસ્તક – ગીતા, હિન્દ સ્વરાજ, બાઇબલ, એલ્કેમિસ્ટ-મિત્રને આગ્રહપૂર્વક પકડાવીએ છીએ, ત્યારે વણકહેવાયેલો ભાગ શું હોય છે ? પુસ્તકને વિવેચક-દાર્શનિક ઉમ્બર્તો ઇકો ‘લેઝી મશીન’ કહે છે, એની અંદરની સામગ્રી એમ ને એમ પડી જ રહેવાની છે. કામ તો વાચકે ફરવાનું છે. ગાંધીની વાચન-પસંદગીઓ અને પદ્ધતિઓ વિશે શું કહી શકીએ ? ઉઝાબેલ હોફમેયરે ગાંધી’ઝ પ્રિન્ટિંગપ્રેસ’ પુસ્તકમાં ‘ગાંધીવાદી વાચનસિદ્ધાંત’ રજૂ કર્યો છે, તેનું સૌથી વિશિષ્ટ પાસું છે રસ્કિનિયન મંદ ગતિ. યંત્રયુગની ઝડપ સામે સ્લૉનેસ, ક્વૉન્ટિટી સામે ક્વૉલિટી.

અંતે ફરી આત્મકથા તરફ પાછા વળીએ :

“કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આ જ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકસાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે, તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય.”

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 04 – 07

Loading

...102030...2,8592,8602,8612,862...2,8702,8802,890...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved