Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું વિચારવું 

નંદિતા મુનિ|Poetry|17 January 2025

પ્રિય કવિ રૉબર્ટ બ્લાયના એક ગમતા કાવ્યનો ગુજરાતી અનુવાદ. મૂળ અંગ્રેજી કાવ્યનું શીર્ષક છે: ‘Things to Think’. (https://www.writersalmanac.org/index.html%3Fp=9621.html)

શું વિચારવું  

પહેલાં ક્યારે ય ન વિચાર્યું હોય, એ રીતે વિચારવું.

ફોન રણકે, તો વિચારો,

કે 

તમે પહેલાં ક્યારે ય ન સાંભળ્યો હોય એવો વિશાળ કોઇ સંદેશ આવ્યો છે –

યેટ્‌સની સો પંક્તિઓ કરતાં પણ વિશાળ.

વિચારો, કે 

તમારા દ્વાર પર કોઇ લાવે છે

એક રીંછ, જે કદાચ

ઘાયલ અને પાગલ છે; 

કે પછી,

કોઇ સરોવરમાંથી બહાર આવે છે 

એક મોટું મૃગ –

એનાં શૃંગ પર એ લાવે છે એક બાળક:

તમારું પોતાનું બાળક, જેને તમે ક્યારે ય દીઠું નથી.

કોઇ દરવાજો ખખડાવે,

તો વિચારો,

કે 

તમને કોઇ અદ્ભુત વસ્તુ આપવામાં આવશે :

તમને કહેવામાં આવશે,

 કે

 તમને ક્ષમા આપવામાં આવી છે,

– કે

બધો સમય મહેનત કરવી જરૂરી નથી, 

– કે 

એવું નક્કી થયું છે કે તમે આરામથી લંબાવશો

તો કોઇ મરી નહીં જાય.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Diaspora - Literature, Opinion - Opinion|17 January 2025

ભૂમિકા

દીપક બારડોલીકર

દીપક બારડોલીકર (૨૩ નવેમ્બર, ૧૯૨૫ • ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯) જન્મ બારડોલી, જિલ્લો સુરત. વતન પાકિસ્તાન અને બ્રિટિશ નાગરિક. સિંધ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક. ૧૯૪૯થી ૧૯પ૩ સુધીમાં શાળાના શિક્ષક. ૧૯૬૪થી ૧૯૯૦ સુધી પાકિસ્તાનના દૈનિક ‘ડોન-ગુજરાતી’ના સિનિયર સબ-એડિટર તરીકે પત્રકારત્વક્ષેત્રે મહત્ત્વની કામગીરી. પાકિસ્તાનના ‘હેરલ્ડ વર્કર્સ યુનિયન’ના મંત્રીપદે પાંચ વર્ષ. ત્રણ વર્ષ ‘ઓલ પાકિસ્તાન ન્યૂઝ પેપર્સ એમ્પ્લોઈઝ કોન્ફડ્રેશન’ની મધ્યસ્થ કાર્યવાહક સમિતિના સભ્ય. ‘સુરતી અન્જુમને ઇસ્લામ’ કરાંચીના મહામંત્રી. કરાંચીની ‘રંગકલા ગુજરાતી કલ્ચરલ સોસાયટી’ તરફથી ગઝલસર્જક વલી મુહમ્મદ ફકીરની યાદમાં અપાતો ‘ફકીર સુવર્ણ ચંદ્રક’ (૧૯૯૦) પણ ગુજરાતી ગઝલમાં પ્રદાન બદલ એમને એનાયત થયો છે. વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભા તથા બુધ કવિસભાના સંયુક્ત ઉપક્રમે ર૦૦૩ વેળા તેમ જ યુનાઇટેડ કિંગ્ડમમાં ‘ગુજરાતી રાઇટર્સ સર્કલ’ના ઉપક્રમે ૧૯૯૬માં એમનું જાહેર સન્માન થયું છે. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ એમને ‘અધ્યેતા’ પદની નવાજેશ કરેલી છે.

સ્મરણને પટે વિચારું છું તો સમજાય છે કે એ ૧૯૮૦ના દાયકાની વાત છે. પાકિસ્તાનથી, અહીં યુનાઇટેડ કિંગ્ડમના પ્રવાસે, દીપક બારડોલીકર આવ્યા હશે અને પહેલે સંપર્કે એ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક માસિકી કાર્યક્રમમાં મહેમાન વક્તા તરીકે આવ્યા હતા. એમણે પાકિસ્તાનમાંની ગુજરાતી ભાષાશિક્ષણની વિગતમાહિતી તો આપી, અને સાથે સાથે, ત્યાંની ગુજરાતી સાહિત્યની ય ઝાંખી કરાવેલી. તેમાં મુશાયરા પ્રવૃત્તિ અગ્રેસર દેખાતી હતી.

અને પછી, હળુહળુ એમને મળવાનું, હળવાનું બનતું રહ્યું, વિસ્તરતું ય રહ્યું. એ વૉલસોલ હતા, અને પછી માન્ચેસ્ટર પણ. એમને મળવા જવાના અવસરો થયા. એમને ત્યાં રાતવાસો ય કરવાના ય પ્રસંગો બન્યા. અમે બંને ખૂબ નજીક આવ્યા. અરે, દિલોજાન દોસ્તો બનીને રહ્યા.

એમનું પ્રગતિશીલ માનસ, ગુજરાતી સાહિત્ય અને ભાષા માટેની એમની અસીમ પ્રીતિ, હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની તેમની કથનીઓ, બારડોલી અને સ્વરાજ આશ્રમની વાતો, દેશ નેતાઓને જોવા-મળવાની એમની ઘટનાઓ મને પોરસાવતી, ઉત્કંઠિત કરતી. પાકિસ્તાનના જાહેરજીવનમાંની એમની સામેલગીરી, એમનું ગુજરાતી પત્રકારત્વ, માનવઅધિકારો માટેની એમની સક્રિયતા, તેમ જ બારડોલી અને ગુજરાત માટેનો એમનો સતત ઉછળતો લગાવ મને જકડી રાખતો.

બ્રિટન આવ્યા પછી ‘ઓપિનયન’ને પાને એમણે ફેર કલમ ઉપાડી, અને દીપક બારડોલીકરે ગુજરાતી સાહિત્યને તરબતર કરતો ફાલ ધર્યો. ગઝલો, કવિતાઓ, વિવરણો, પત્રસાહિત્ય, નવલકથાઓ, વાર્તા, રેખાચિત્રો અને ઘણુંબધું તેમાં સામેલ. તેમાંથી જ જાણે કે આ પાંચ પાંચ પુસ્તકો[1]નું એક સાથે એમની જન્મ શતાબ્દી નિમિત્તે અવતરણ થયું છે.

બારડોલીકર મુખ્યત્વે ગઝલકાર. એમના આરંભિક સર્જનની વાત કરીએ તો તેમણે ‘પરિવેશ’ (૧૯૬ર), ‘મોસમ’ (૧૯૮૮), ‘વિશ્વાસ’ (૧૯૯૦), ‘આમંત્રણ’ (૧૯૯ર), ‘તલબ’ (૧૯૯૪), ‘એની શેરીમાં’ (૧૯૯૯), ‘ગુલમોરના ઘૂંટ’ (ર૦૦૦), ‘ચંપો અને ચમેલી’ (ર૦૦૩), ‘રેલો અષાઢનો’ (ર૦૦૩), ‘તડકો તારો પ્યાર’ (ર૦૦૬), ‘હવાનાં પગલાં’ (ર૦૦૬), ‘કુલ્લિયાતે દીપક’ (ર૦૦૭) જેવા અન્ય પણ કેટલાક સંગ્રહો આપેલા છે.

પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલોના વિષયો છે. તેમના ગઝલસર્જનનો આરંભ ૧૯પ૦ના ગાળામાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ના શાયરોની સંગતમાં થયો.

તે પછી પાકિસ્તાન નિવાસ (૧૯૪૮થી ૧૯પપ) અને (૧૯૬૧થી ૧૯૯૦) દરમિયાન કરાંચીના ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટનમાં વસવાટ કર્યો. એ પછી ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઈકુ જેવા કાવ્યપ્રકારોમાં ખેડાણ કર્યું તો પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, સને ૨૦૦૫માં ‘નારાયણ હેમચંદ્ર નગર’ [લંડનનો ફિન્ચલી વિસ્તાર] ખાતે યોજાયેલી સાતમી ‘ભાષા-સાહિત્ય પરિષદ’ના અધ્યક્ષ પદે પણ દીપક બારડોલીકરની વરણી કરવામાં આવી હતી.

ગઝલસ્વરૂપની એમની સમજ તલસ્પર્શી અને ભારે ઊંડી હતી. ગઝલની પરંપરાને જાણે તેમણે સુપેરે આત્મસાત્‌ કરી હતી. સાથે સાથે તેઓ પ્રયોગાભિમુખ પણ રહ્યા. ગઝલની અસલિયતને અનુરૂપ ભાવસંવેદનને પોતાની સર્ગશક્તિ અને ભાષાકર્મ દ્વારા અરૂઢ રીતે અભિવ્યક્ત કરવાનાં અનેક ઉદાહરણો એમની ગઝલમાં જોવા મળે છે. સ્વરૂપના આંતર-બાહ્ય સુગ્રથિત માળખાની સાથે કથનશૈલીની અનેકવિધ તરેહોને કારણે એમની ગઝલો આસ્વાદ્ય બને છે. ગઝલસર્જન તેમને માટે ‘સ્વ’ની ખોજ બને છે અને પરિણામસ્વરૂપ કવિ પોતે જ પોતાની કાવ્યપંક્તિમાં ઓતપ્રોત થઈ વ્યક્ત થાય છે :

કોઈનો દીપક છે એમાં ક્યાં કસૂર

હું જ ઉપવન, હું જ રણ થૈ જાઉં છું.

કે પછી

ભેદના પરદા હટાવું છું કદી

ને કદી ખુદ આવરણ થૈ જાઉં છું.

જેવી પંક્તિઓમાં અંગત સંવેદન પ્રગટે છે.

વતનની માટીનો મહિમા આ રીતે આલેખાયો છે :

અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી

ને નાખી શિરમાં નાચું છું, અમારા દેશની માટી.

આ ઉપરાંત કચ્છનો ભૂકંપ, કોમી હુલ્લડો, લંડનનો બૉમ્બવિસ્ફોટ, પાકિસ્તાનના માર્શલ લો, સત્તાની સાઠમારી જેવા વિષયોમાં એમનું વ્યાપક સંવેદન વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવનાનો પરિચાયક બને છે. આગવો મિજાજ, નિરાળી અભિવ્યક્તિ અને સોંસરવી ઊતરી જતી સાદગીભરી ભાષા આ કવિની નિજી મુદ્રા પ્રગટાવે છે. એમણે જેવું લખ્યું, એવું જીવ્યા છે. લખવા અને જીવવામાં અંતર શોધ્યું જડતું નથી.

‘સાંકળોનો સિતમ’ (૧૯૯૯, ઉત્તરાર્ધ), અને ‘ઉછાળા ખાય છે પાણી’ (ર૦૦૪, પૂર્વાર્ધ) એવા બે ખંડોમાં એમણે આત્મકથા આપી છે. પૂર્વાર્ધમાં બારડોલીમાંથી નીકળવાની ક્ષણને અને પાકિસ્તાનની કડવી વાસ્તવિકતાને એમણે નિર્ભીકતાથી નિરૂપી છે. સાથે એક પ્રામાણિક, કુટુંબપ્રેમી વ્યક્તિત્વનો આલેખ પણ મળે છે. તો ઉત્તરાર્ધમાં પાકિસ્તાનમાં એમની પત્રકાર તરીકેની “લડત તથા જેલવાસની કથા છે.” બળકટ સ્વાનુભવને વ્યક્ત કરતાં ટૂંકાં સચોટ વાક્યોને કારણે આત્મકથાનું ગદ્ય વધુ પારદર્શી બને છે.

આ ઉપરાંત, પ્રસંગકથાઓનો સંગ્રહ ‘વાટના દીવા’ અને અનુવાદો ‘આ બે કવસર’ (૧૯૭૪), ‘સિરાતે હરજા’ (૧૯૯પ) પણ આપ્યા છે.

એમની પાસેથી ત્રણ સંશોધનગ્રંથો મળે છે ‘સુન્ની વ્હોરાઓનો ઇતિહાસ’ સુન્ની વ્હોરાઓના સમાજનો પરિચય કરાવતો પ્રમાણભૂત ગ્રંથ છે. જેમાં સુન્ની વ્હોરાઓનાં ધર્મમૂલક વલણોનો ઇતિહાસ આલેખાયો છે. ‘વ્હોરા મહાજનો’(૧૯૯૬)માં વ્હોરા સમાજની વિભૂતિમૂલક વ્યક્તિમત્તાઓનો પરિચય મળે છે અને ત્રીજો ગ્રંથ ‘કુરઆન પરિચય’ (ર૦૦૦) આપ્યો છે. આ ત્રણેય ગ્રંથોમાં એક પાક મુસ્લિમની સમાજાભિમુખતા અને ધર્માભિમુખતા જોવા મળે છે. અંગત જીવનમાં ‘રિલિજિયસ’ અને જાહેરજીવનમાં ‘સેક્યુલર’ની સમાંતર અને સંતુલિત ભૂમિકા એમના જીવનમાં જોવા મળે છે.

એમણે પત્રકારત્વની સેવા નિમિત્તે અનેક પૂર્તિઓ, સમાચારોનું સંકલન-સંપાદન કર્યું છે. પાકિસ્તાનમાં રચાતી ગુજરાતી શાયરોની ગઝલોનું સંપાદન ‘વિદેશી ગઝલો’ (ર૦૦૦) તેમના અભ્યાસી વ્યક્તિત્વનું પરિચાયક છે. તેમાં ૩ર પાકિસ્તાની ગુજરાતી ગઝલ કવિઓની ગઝલો સંપાદિત કરી છે. તો ‘માવડી મીઠી છાંય’(ર૦૧૦)માં માતા વિષયક કાવ્યોને સંપાદિત કર્યાં છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગઝલ-નઝમને ગુજરાતીમાં ‘સૌગાત’(ર૦૧૯) નામે ઉતારી છે.

નવલકથા ‘ધૂળિયું તોફાન’ (૨૦૦૩-૦૫) અને ‘બખ્તાવર’ (૨૦૧૨-૧૩) ‘ઓપિનિયન’ના પાને હપ્તાવાર પ્રકાશિત થઈ હતી, એને વાચકો થકી બેસૂમાર મહોબત સાંપડી હતી. ‘પરવાઝ’ની પણ ઘણી ગઝલ-નઝમ ‘ઓપિનિયન’ અને અન્યત્ર પ્રકાશિત થયેલી છે. ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ – એમનાં ત્રણ કાવ્યસંગ્રહો અને અન્ય કેટલીક રચનાઓનો સંચય છે. ‘બુલંદીના વારસ’ એ તેમણે પત્રકારત્વકાળ દરમિયાન પ્રસંગોપાત લખેલા અને એમના શબ્દોમાં કેટલાક ‘આપલટે’ લખેલા લેખોમાંથી ચૂંટેલા લેખોનો સંપાદિત સંચય છે. તેનું સંપાદન કેતનભાઈ રૂપેરાએ કર્યું છે.

બારડોલીકરના ગયા પછીના પાંચ વર્ષે અને એમની જન્મ શતાબ્દી નિમિત્તે હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ (ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.) દ્વારા પાંચ પુસ્તકો એક સાથે પ્રકાશિત કરવાનો હૈયે હરખ છે. આપ સૌ વાચકોને પણ તે કંઈક જીવનઊર્જા સંપડાવશે એવો આશાવાદ છે.

૧૨ ડિસેમ્બર, ૨૦૨૪

***

[1] (1) ‘ધૂળિયું તોફાન’ નામે નવલકથા, (2) ‘બખ્તાવર‘ નામે નવલકથા, (3) ‘પરવાઝ’ નામે કાવ્યસંગ્રહ, (4) ‘… અને કવિએ છેલ્લે કહ્યું’ નામે કાવ્યસંગ્રહ તેમ જ (5) ‘બુલંદીના વારસ’ નામે લેખસંગ્રહ

Loading

આ તે ગઠબંધન કે ઠગબંધન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 January 2025

રવીન્દ્ર પારેખ

2024ની લોકસભા ચૂંટણી વખતે ભા.જ.પ.ને ટક્કર આપવા વિપક્ષો એક થયા અને ‘ઇન્ડિયા’ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું. ગઠબંધનથી ભા.જ.પ.ને તો બહુ વાંધો ન આવ્યો, પણ ત્રીજી વખત પૂર્ણ બહુમતની સરકાર રચવાનું ભા.જ.પ.નું સપનું વહેંત છેટું રહી ગયું. ઇન્ડિયા ગઠબંધનની એટલી અસર તો પડી જ ! ભા.જ.પે. પણ સરકાર રચવા નીતીશકુમાર અને એન. ચંદ્રબાબુ નાયડુનો ખભો લેવો પડ્યો. ‘ઇન્ડિયા’ ગઠબંધનથી એટલું થયું કે સંસદમાં વિપક્ષનો અવાજ આછો હતો તે એટલો બુલંદ થયો કે સરકાર ઈચ્છે તો પણ તેની ઉપેક્ષા ન કરી શકે. 5 ફેબ્રુઆરી, 2025ને રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે ને 8મીએ મત ગણતરી છે. અગાઉ દિલ્હીમાં આપની સરકાર બે વખત પૂરી ક્ષમતાથી આવી ચૂકી છે, એટલે હવે તે ન આવે એ માટે ભા.જ.પે. એડીચોટીનું જોર લગાવ્યું છે. એ જ રીતે આપની અને ભા.જ.પ.ની સરકાર ન આવે એટલે કાઁગ્રેસ પણ એ બંનેની સામે પડી છે, તો તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એન.સી.પી. (શરદ પવાર), સમાજવાદી પાર્ટી આપનાં સમર્થનમાં ઊભી છે. આમ તો તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષોનાં સમર્થનથી આપને બહુ ફેર પડે એમ નથી, પણ ઇન્ડિયા ગઠબંધનના આ પક્ષો કાઁગ્રેસ સાથે નથી એટલું તો બહાર આવ્યું જ છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભામાં કાઁગ્રેસનો પનો ટૂંકો પડ્યો છે, બીજી તરફ આપ પાર્ટી દિલ્હી વિધાનસભામાં (70માંથી) 2015માં 67 અને 2020માં 63 સીટ પર વિજયી નીવડી હતી. એ ઉપરાંત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ગયે વર્ષે ભા.જ.પ. અને કાઁગ્રેસને હારનો સ્વાદ આપે ચખાડ્યો હતો, એ પરથી પણ કાઁગ્રેસે સમજી લેવું જોઈએ કે તેનું તેજ ઓસરતું જાય છે. 

ઇન્ડિયા ગઠબંધનમાં 26 પાર્ટીઓ જોડાઈ હતી, જેમાં કાઁગ્રેસ ઉપરાંત આપ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કાઁગ્રેસ સહિત અન્ય પક્ષોનો સમાવેશ થાય છે. જે પક્ષો ઇન્ડિયા ગઠબંધનમાં 2024ની લોકસભા ચૂંટણી વખતે સાથે હતા તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સામસામે છે. કાઁગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે હવે આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ નથી. રાહુલ ગાંધીએ તો કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરખાવીને સ્પષ્ટ કર્યું કે બંનેમાં બહુ ફરક નથી. કાઁગ્રેસે ત્યાં સુધી કહ્યું કે ભા.જ.પ. અને આપની નિષ્ફળતાને કારણે દિલ્હી અપરાધની પણ રાજધાની બની છે. તો, આમ આદમી પાર્ટી પણ ચૂપ રહે એમ નથી, તેના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલે પણ ચોપડાવ્યું કે કાઁગ્રેસ અને ભા.જ.પ.ની જુગલબંધી ચાલી રહી છે ને રાહુલ ગાંધી કાઁગ્રેસને બચાવવા મથે છે, પણ પોતે દેશને બચાવવાની કોશિશ કરે છે.

બાકી હતું તે કાઁગ્રેસનાં નવાં મુખ્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ ગાંધીએ રોકડું કર્યું કે આપણે હવે ભા.જ.પ., આર.એસ.એસ. અને ખુદ ઇન્ડિયા સ્ટેટ (ભારત દેશ) સામે લડી રહ્યા છીએ. દેખીતું છે કે ભા.જ.પ. આટલું સાંભળીને બેસી ન રહે. ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. નડ્ડાએ છુપાયેલું સત્ય બહાર આવ્યું એમ કહ્યું તો, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પૂછ્યું કે રાહુલ ગાંધી ભા.જ.પ., આર.એસ.એસ. અને ઇન્ડિયા સ્ટેટ સામે જ પડ્યા છે, તો તેઓ હાથમાં બંધારણની નકલ કેમ રાખે છે? એ જ રીતે કાઁગ્રેસ પણ પાણીમાંથી પોરાં કાઢતી રહે છે. એ તો કાઢે, પણ જે સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધનનાં છે તે પણ તો એકબીજાને નહોર ભરાવતા રહે છે. આવું હોય ત્યાં ગઠબંધનનો મૂળ વિચાર – ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખવાનો – કઈ રીતે ફળીભૂત થાય તે સમજાતું નથી. 

વધારામાં આપ પર ભા.જ.પે. FIR દાખલ કરીને તેનું જોર ધીમું પાડવાની કોશિશ કરી છે. આપનાં આતિશી પર, પ્રચારમાં સરકારી ગાડી વાપરવાનો આરોપ છે. ચૂંટણી નજીક આવશે, તેમ તેમ ઇન્ડિયા ગઠબંધનના કાઁગ્રેસ અને આપ વચ્ચે ખેંચાતાણી વધવાની છે એ નક્કી છે. સામસામે આરોપો મૂકવાથી જનતાનું તો કરમુક્ત મનોરંજન જ થાય છે, બાકી પાણી વલોવવાથી કૈં સિદ્ધ થતું નથી તે તો નાનું છોકરું ય જાણે છે. વિચિત્રતા એ છે કે ઇન્ડિયા ગઠબંધનને નામે એક થયેલા વિપક્ષો હવે અંદરોઅંદર સ્પર્ધામાં શત્રુતા જ વધારી રહ્યા છે. તો, તૃણમૂલ કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં કાઁગ્રેસની સાથે હતી, તે હવે આપની સાથે છે. એટલું છે કે કોઈને જ સિદ્ધાંત, આદર્શ કે નીતિ જોડે બહુ લેવાદેવા નથી, એટલે કોણ કેટલું ઉઘાડું પડે છે એ જ જોવાનું રહે છે. એમ લાગે છે આ 26 વિપક્ષો 2024ની લોકસભાની ચૂંટણી પૂરતા જ સાથે હતા ને એ ચૂંટણી પૂરી થતાં જ જાણે લક્ષ્ય પૂરું થયું ને દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતાંમાં તો સ્પર્ધક થઈ ઊઠ્યા. 

એથી જ કદાચ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કહેવું પડ્યું કે ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું જ જરૂરી હતું, તો હવે તેનું વિસર્જન કરી દેવું જોઈએ. કાઁગ્રેસે એની આગેવાની લીધી હતી, પણ ઇન્ડિયા ગઠબંધનની એક મીટિંગ બોલાવવાની તસ્દી પણ લેવામાં આવી નથી. ‘ઇન્ડિયા’નો આટલો વહેલો રકાસ થશે એવું કમ સે કમ એમાં જોડાયેલા પક્ષોએ તો ધાર્યું નહીં જ હોય. ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડનો પડઘો મુંબઈના સંજય રાઉત સુધી પડ્યો છે. શિવસેના (યુ.બી.ટી. – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉતે એલાન કર્યું છે કે મુંબઈ અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના (યુ.બી.ટી.) એકલી જ લડશે. ઇન્ડિયા ગઠબંધન ચાલુ રહેશે કે બંધ થશે, તેની કોઈ સ્પષ્ટતા નથી. મીટિંગ બોલાવીને તે ચાલુ રહેશે કે બંધ થશે તેનો ખુલાસો પણ થવો જોઈએ. એ કેવી કરુણતા છે કે ભા.જ.પ.ની સામે પડેલું ‘ઇન્ડિયા’ ભા.જ.પ.ની સામે તો છે જ પણ, સાથી પક્ષો પણ એકબીજાની સામે પડ્યા છે ને એથી ભા.જ.પ.ને હરાવવાનો સંકલ્પ અભરાઇ પર ચડી ગયો હોય તેવું લાગે છે.

ઓમર અબ્દુલ્લાની ઇન્ડિયા ગઠબંધનને વિસર્જિત કરવાની વાત એટલે આવી હતી કે દિલ્હીમાં આપ અને કાઁગ્રેસ વચ્ચે તડ પડતી અનુભવાઈ હતી. વિપક્ષોમાં પણ પાછા વિપક્ષો સર્જાય તો એનો અર્થ એ કે વિપક્ષી એકતા જોખમમાં છે. ખરેખર તો સાથે ઊભેલા વિપક્ષો સામે આવી ગયા છે ને એકતા જેવું ખાસ રહ્યું નથી. આવું હોય ત્યારે ભેદભાવ ભૂલીને એકતાને વધુ મજબૂત કરવાની રહે અથવા એમ લાગે કે વિપક્ષો એક રહી શકે એમ જ નથી તો ગઠબંધન પર ચોકડી મારી દેવી જોઈએ. કાઁગ્રેસે એ યાદ રાખવું જોઈએ કે ‘ઇન્ડિયા’નાં નેજા હેઠળ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ છે. એમાં હરિયાણા એટલે બાદ રહ્યું કારણ, કાઁગ્રેસે આમ આદમી સાથે મળીને ચૂંટણી લડવાનો નન્નો ભણ્યો હતો. એ ખરું કે કાઁગ્રેસે દિલ્હીમાં વર્ષો સુધી પોતાની રાજનીતિક જમીન પર શાસન કર્યું છે, એટલે અહીં પણ એ આપ સાથે ન બેસે ને ઢીલ દેખાડીને એવું તો ન જ કરે કે થોડી ઘણી બચેલી જમીન પણ ખોવાનો વારો આવે. કાઁગ્રેસ એવી જમીન ખોઈ પણ ચૂકી છે. એ પણ છે કે ઇન્ડિયાના ઘણા પક્ષો કાઁગ્રેસની વોટ બેન્ક આંચકીને બેઠા છે. એ પક્ષો જો કાઁગ્રેસ તરફ ઉદાર થવા જાય તો પોતાની વોટ બેન્ક ગુમાવે જે એક કાળે કાઁગ્રેસ પાસેથી તેમણે જ આંચકી હતી. 

એક બાબત સ્પષ્ટ છે કે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો કુદરતી રીતે સાથે આવ્યા નથી. તેમનામાં કશુંક સામાન્ય હોય તો એ જ કે એ સૌ ભા.જ.પ.ને હરાવવા નજીક આવ્યા હતા. કોઈ નીતિગત સ્પષ્ટતા ન હોવાને કારણે તેમને સાથે રાખનારું કોઈ પરિબળ જ નથી. એવું ભવિષ્યમાં પણ કૈં હોય એવું લાગતું નથી. એ સ્થિતિમાં તે આપોઆપ જ એકતા સાધી રહે એવું શક્ય જ નથી. ભૂતકાળમાં મોરચાને નામે વિપક્ષોની સાથે આવવાની કોશિશો થઈ જ છે, પણ નેતૃત્વ કરનાર પક્ષનું પ્રભુત્વ ન હોવાને કારણે તે ઝાઝું ટક્યા નથી. લોકસભાની 2024ની ચૂંટણીમાં ભા.જ.પ.ને હરાવવા વિપક્ષો એક તો થયા, પણ સત્તા પર તો ભા.જ.પ.નું જ આવવાનું થયું, એટલે હવે દિલ્હીમાં ફરી સૌ પોતપોતાનો કક્કો ખરો કરવા મેદાને પડ્યા છે, પણ એમાં ભા.જ.પ.ને બહુ ફેર પડે એમ નથી. હા, વિપક્ષો એકબીજાના વિપક્ષોની જેમ ઊભરી રહ્યા છે એ ખરું ને એનો લાભ લેવાનું ભા.જ.પ. ચૂકે એટલું ભોળપણ તો તેનામાં ક્યારે ય ન હતું …..  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2025

Loading

...102030...285286287288...300310320...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved