Opinion Magazine
Number of visits: 9664533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 May 2025

ગોદીમીડિયા

ટ્રોલત્રાસદી પાછળ સત્તાપક્ષની સંડોવણી

યશસ્વી કારવાઈ છતાં પણ બાંગ્લાદેશ વખતના ઇન્દિરાજી અને કારગિલ વખતના અટલજી અમેરિકી પ્રમુખ સંદર્ભે હજી પ્રતિમાન રૂપ છે તે છે. 

પ્રકાશ ન. શાહ

બુધવારે નમતે પહોરે બે શબ્દો પાડી રહ્યો છું ત્યારે નાના પડદે જોઉં છું કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે રાજ્ય મંત્રીમંડળના સભ્ય વિજય શાહ સામે એફ.આઈ.આર. દર્જ કરવાનો આદેશ આપ્યો છે. સૈંયા ભયે કોતવાલ શાઈ ઠાગાઠૈયે સુપેરે વાકેફ અદાલતે આ આદેશને પાછો બિલકુલ મુદ્દતબંધો જાહેર કીધો છેઃ ચાર કલાકની બિનચૂક કરવો રહેશે. મને લાગે છે, આ દિવસોમાં ગાજેલા સમાચારો વચ્ચે વિજય શાહ કોઈ ઓળખના મોહતાજ નથી. એમની કારકિર્દીનું તરોતાજા યશપીંછુ એમણે કર્નલ સોફિયા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનું છે. જોવાનું એ છે કે વિદેશ સચિવ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સહજસ્વસ્થ એટલી જ વિગતબદ્ધ ને શલીન એટલી જ સંયત શૈલીએ પ્રારંભિક બ્રીફિંગ સાથે એક આભામંડળ અરજી જાણ્યું છે. પણ આ બધાં જ, સદ્યવિધવા હિમાંશી નરવાલ સુદ્ધાં, જે પ્રકારે ટ્રોલબહાદુરોનાં નિશાન આ દિવસોમાં બનતાં રહ્યાં છે તે લગારે શોભીતું નથી. બલકે, જો યુદ્ધયત્નમાં જન સહયોગિતા એ કોઈ પાયાનું મૂલ્ય લેખાતું હોય તો આવું ટ્રોલ ગાંડપણ એને લૂણો લગાડનારું જ લેખાવું જોઈએ. વિજય શાહ ઘટનાના આરંભિક સ્મરણ સાથે શરૂ કરેલી આ ચર્ચા અને એની પાછળનો મુદ્દો ચિંતાજનક હદે મહત્ત્વનો છે તે એટલા માટે કે આખીયે ટ્રોલ ત્રાસદીની પૂંઠે સત્તાપક્ષ સાથે સંકળાયેલીઓની સક્રિય સંડોવણી છે. 

વડા પ્રધાન મોદીએ આદામપુર એરબેઝની મુલાકાત લીધી તે આપણા એરફોર્સના સાથીઓ કે બીજા જવાનોની હોંસલા અફઝાઈની કોશિશ માત્ર નહોતી. પાક પ્રચારમારો જે બધું તહસનહસ કરી નાખ્યાનો દાવો મોટે સાદે કરે છે તે કેવું કડેધડે કાંકરીયે ખર્યા વગરનું છે એના વિશ્વદર્શનની દૃષ્ટિએ એનું ચોક્કસ મહત્ત્વ છે. આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર ઉતરે છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરતમાં ભુજ એર બેઝની મુલાકાત લેવામાં છે. વિક્રમ રાજાની અંધાર પછેડી શૈલી વિશ્વવિશ્રુત છે. હાલના શાસકો પણ તેમ કરતા જ હશે, પણ કેટલીક બાબતો થકી જગત આખાને દેખાઈ સંદેશ જવો જોઈએ તે રીતે આ ટી.વી. પછેડી અભિગમનીયે ચોક્કસ ભૂમિકા છે. 

બાવીસ એપ્રિલ પછી પાકિસ્તાનને પક્ષે આપણે અંગે મિસ્ ઇન્ફર્મેશન મિસાઇલ છૂટતાં રહ્યાં છે. વડા પ્રધાનની આદમપુર મુલાકાત જેવાં આયોજન પાક પક્ષે જે નકલી ફતેહનામાં પટાઈ રહ્યા છે એનો પ્રતીતિકર ઉત્તર ચોક્કસ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાના જમીની ઉલ્લંઘન વગરની એર સ્ટ્રાઇકની અને નાગરિક સલામતીની તકેદારી સાથે નવ આતંકી થાણાં પર હલ્લાની ભૂમિકા નિઃશંક સરાહનીય છે. પાક ગેરમાહિતી અભિયાન સામે આ બોલતો જવાબ જરૂર છે. પણ જેમ ટ્રોલ બહાદુરો તેમ આપણું ગોદી મીડિયા આજે એક જવાબદારી (લાયેબિલિટી) બનીને ઊભરી રહ્યું છે. પાકિસ્તાનનો કેટલો બધો હિસ્સો આપણે રાત્રે કબજે કરી લીધો હોય છે, અને સવારે ઊઠીએ ત્યારે એ બધું પાકિસ્તાન હસ્તક યથાવત હોય છે! કમનસીબે, ગોદી મીડિયા પૂંઠે સત્તાપક્ષની કોઈ સંચારસંડોવણી નહીં જ હોય એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. દેશભક્તિ અને પક્ષપ્રચારની અજબ મિલાવટ જેવી તિરંગા યાત્રા, ટ્રોલમારા અને ગેરમાહિતી મારા કરતાં કદાચ વધુ સલાહભરી હોઈ શકે છે. 

સર્વદલીય બેઠકમાં ગેરહાજરીથી માંડીને પહેલગામની મુલાકાતને બદલે બિહારની ચૂંટણી સભાને અગ્રતા આપવાને કારણે કંઈક સવાલિયા દાયરામાં વરતાતુ રાષ્ટ્રીય નેતૃત્વ એક અંતરાલ પછી રાષ્ટ્ર જોગ સંબોધન વાટે ચિત્રમાં પ્રત્યક્ષ ઠીક થયું. પણ બાંગલાદેશ પ્રસંગે અમેરિકી પ્રમુખને ખખડાવી શકતાં ઇંદિરાજી કે કારગિલ ઘટના વેળાએ અમેરિકી પ્રમુખને ત્યાં હાજરી નહીં ભરતા અટલજી હજુ એક પ્રતિમાનરૂપ છે.

સંસદનાં બંને ગૃહો મળે અને સત્તાપક્ષ-વિપક્ષ હાલની સહમતિ પર રાષ્ટ્રીય એકંદરમતીની મહોર મારી શકે એવું કેમ ન બને? અંતરંગ વ્યૂહ અલબત્ત ખાનગી જ હોય પણ અભિગમ વિષયક એકંદરમતી ઇષ્ટ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025

Loading

ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 May 2025

રવીન્દ્ર પારેખ

ભારતનાં બંધારણનાં આઠમાં પરિશિષ્ટમાં 22 મુખ્ય ભાષાઓને ભારતની અધિકૃત ભાષાઓ ગણવામાં આવેલી છે. તેમાં ગુજરાતી પણ છે. આમ તો 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કુલ 19,569 ભાષા નોંધાયેલી છે, એમાં બોલીઓ પણ ખરી, જ્યારે વિશ્વમાં 7,111થી વધુ ભાષા બોલાય છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી દસ ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે અને બંગાળી છઠ્ઠા ક્રમે છે, ગુજરાતી 29માં ક્રમે છે. દુનિયામાં 6.55 કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. જેમની પહેલી ભાષા ગુજરાતી હતી એવા કેટલાક મહાનુભાવોમાં નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી… નો ઉલ્લેખ કરવો પડે. ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત સુરતી, સૌરાષ્ટ્રી, ચરોતરી, પટ્ટણી, કચ્છી, ડાંગી … જેવી 55 ભાષા-બોલી બોલાય છે તે પણ નોંધવું ઘટે.

બોલી એ કોઈ ચોક્કસ પ્રદેશની જાતિ કે વર્ગની ભાષાનું પરંપરાગત રીતે બોલાતું શુદ્ધ કે અશુદ્ધ રૂપ છે. બોલીનું લિખિત સ્વરૂપ એટલે કે લિપિ નથી. ખરેખર તો બોલી એ કોઈ એક મુખ્ય ભાષાને બોલવાની અલગ ટેવ કે પદ્ધતિ જ છે. ગુજરાતમાં પણ ઘણી બોલીઓ બોલાય છે. બોલી ભણાવાતી નથી, તે સાંભળીને શીખાય છે, પણ ભાષા શીખવી પડે છે. તે 5-6 વર્ષે પ્રાથમિક શિક્ષણની શરૂઆતથી બાળક શીખે છે અને ધોરણ 10-12 સુધી એક વિષય તરીકે સ્કૂલોમાં શીખવવામાં આવે છે. આટલાં વર્ષનાં શિક્ષણ પછી પણ, ગુજરાતી લખવા, વાંચવા અને બોલવાની તકલીફ પડે જ છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં નાપાસ થયા છે. આ વર્ષે પણ ધોરણ 10નું 83.08 ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું, તો ય 54,614 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા જ ! એનું સાદું કારણ, ગુજરાતનાં શિક્ષણ વિભાગના મંત્રીઓ, અધિકારીઓથી માંડીને સામાન્ય જન દ્વારા થતી ભાષાની ઘોર ઉપેક્ષા છે. ગુજરાતીની માનસિક સ્થિતિ જ એવી છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? પણ, વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ છે.

65 વર્ષ પહેલાં ભાષાને આધારે અલગ ગુજરાત રાજ્ય માટે ‘મહાગુજરાત’ આંદોલન થયું, રાજ્ય તો મળ્યું, પણ, ગુજરાતી ભાષાને ભોગે, વ્યવહારો, અંગ્રેજીની ફેશનમાં થવા લાગ્યા, તે એટલે સુધી કે રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટ્સ, મોલ વગેરેનાં બોર્ડ અંગ્રેજી થઈ ગયાં. બહુ ઓછાં બોર્ડ ગુજરાતીમાં જોવા મળે છે. જો કે, ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2022માં એક પરિપત્ર બહાર પાડીને રોકડું કર્યું હતું કે જાહેર સ્થળ પરનાં બોર્ડ, સરકારી કંપની, દુકાન, રેસ્ટોરન્ટ્સ, સ્કૂલ-મોલ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેનક્વેટ, બાગ-બગીચા … વગેરેનાં સાઇન બોર્ડમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે.

હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતીની અવગણના કરીને બોર્ડનાં નામો અંગ્રેજીમાં ચીતરાય છે. મલ્ટિનેશનલ બ્રાન્ડ કે કેટલીક ઇંડિયન બ્રાન્ડ્સ અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ બોર્ડ રાખે છે, પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં સ્થાનિકો કે રેસ્ટોરન્ટ માલિકો બોર્ડ અંગ્રેજીમાં જ લખે છે, કેમ જાણે અંગ્રેજો જ દુકાનોમાં પ્રવેશતા હોય ! ગુજરાત સરકારે રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત … વગેરે 8 મહાનગરપાલિકાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો, અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કર્યું હતું.

એ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો હાઇકોર્ટે એમ કહીને નિકાલ કર્યો કે ગુજરાતની મહાનગરપાલિકાઓ પરિપત્રનું કડક રીતે પાલન થાય તે જોશે. એ અંગે તપાસ થઈ તો નિરાશા જ  હાથ લાગી. મહારાષ્ટ્રમાં મરાઠીમાં સાઇન બોર્ડ ન હોય તો દુકાનદારો પર હુમલા થયા છે, બેન્કોનું કામ મરાઠીમાં જ થાય તેવી માંગ થઈ છે, દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દી કરતાં પોતાની ભાષાને વધુ મહત્ત્વ આપે છે, પણ ગુજરાત એ ભૂલી ગયું છે કે ગુજરાતની ઓળખ ગુજરાતીને લીધે છે. દરેક રાજ્યને તેની ભાષાનું ગૌરવ છે, પણ ગુજરાતીઓને ગુજરાતી લખવા-વાંચવા-બોલવામાં નાનમ લાગે છે. આ સ્થિતિ ગુજરાતમાં જ છે. એથી થયું છે એવું કે ગુજરાતી ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ને અંગેજીનો મહિમા વધી રહ્યો છે. એને માટે શિક્ષણ નીતિ પણ જવાબદાર છે. તેમાં અંગ્રેજીનો થયો છે એવો મહિમા ગુજરાતીનો થયો જ નથી.

બહારથી આવતા IAS કે IPS ગુજરાતમાં આવીને ગુજરાતી શીખી લે છે ને વક્રતા એ કે ગુજરાતી બાળક અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવે છે. દરેક રાજ્યમાં પોતપોતાની ભાષા માટે અલગ વિભાગ ને મંત્રાલય છે, પણ ગુજરાતમાં નામ પૂરતો ગુજરાતી વિભાગ છે, જે ભાષાંતરનું કામ કરે છે, એ સિવાય ગુજરાતી માટે સક્ષમ વિભાગ નથી. થોડા અંગ્રેજી જાણનારા અધિકારીઓ માટે, આખા ગુજરાત પર અંગ્રેજી થોપવાનો ઉદ્યમ પુનર્વિચારણાને પાત્ર છે. પ્રજા પણ આદેશોનું પાલન કરવામાં માનતી નથી. સરકારે તો પાટિયાં ગુજરાતીમાં કરવાનો પરિપત્ર કર્યો, હવે પ્રજાની જવાબદારી બને છે કે પાટિયાં ગુજરાતીમાં લખાય તે જુએ.

એક તરફ શિષ્ટ ભાષામાં જોઈએ એ કક્ષાએ કામ નથી થતું, તો બીજી તરફ બોલીનાં શિક્ષણનો પ્રશ્ન પણ ચર્ચામાં છે. અગાઉ જોયું તેમ ગુજરાતમાં જ 55 જેટલી ભાષા-બોલી સક્રિય છે. એ સ્થિતિમાં આખા ગુજરાતમાં સમજી શકાય એવું ભાષાનું સર્વમાન્ય રૂપ પણ હોવું ઘટે. જેને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કહીએ છીએ એવું ભાષારૂપ ન હોય તો સૌરાષ્ટ્રનો કે દક્ષિણ ગુજરાતનો એકબીજા સાથે વ્યવહાર શક્ય ન રહે. એવું જ મહેસાણા અને છોટાઉદેપુરને મામલે પણ ખરું. આખા દેશમાં ભાષા વ્યવહાર સરળ રહે એ માટે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી. એ જ રીતે રાજ્યો માટે ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ વગેરે ભાષાઓનું શિષ્ટ રૂપ માન્ય ગણાયું. એ દરેક રાજ્યોને તેમની બોલીઓ તો છે જ, પણ તે ચોક્કસ પ્રદેશ કે જાતિ પૂરતી સીમિત છે. સુરતી દક્ષિણ ગુજરાતમાં ચાલે એવી મહેસાણામાં ન ચાલે. એ જ રીતે ચરોતરી અમરેલીમાં ન ચાલે. બધે ચાલે તે ગુજરાતી સ્કૂલોમાં શીખવાય છે. એ શીખવવા શિક્ષણ વિભાગ જુદાં જુદાં ધોરણો માટે પ્રમાણભૂત ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડે છે. એને લિપિ છે, વ્યાકરણ છે. તેનું લિખિત-મુદ્રિતરૂપ વિકસેલું છે ને એમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ગુજરાતમાં અપાય છે.

હવે એવી માંગ ઊઠી છે કે જે રીતે ગુજરાતીનું શિક્ષણ અપાય છે એ રીતે બોલીનું શિક્ષણ પણ અપાય. એનું કારણ એ અપાય છે કે પાઠ્યપુસ્તકોમાં વપરાતી ભાષામાં શહેરી બૌદ્ધિકપણું જ પ્રગટ થાય છે અને એને આદિવાસી બોલી સાથે કોઈ લેવાદેવા નથી. એ સાચું છે કે આદિવાસી વિદ્યાર્થીનું જીવન એ ભાષામાં પ્રગટતું નથી. એ ભાષા ગ્રામીણ બાળકોને સમજાતી નથી. જે એને સમજાય છે તે પાઠ્યપુસ્તકમાં નથી ને જે પાઠ્યપુસ્તકમાં છે તે એને સમજાતું નથી. એવું જ બીજા અંતરિયાળ પ્રદેશનાં બાળકોનું પણ ખરું. આમ થવાથી બાળકોને ભણવાની મજા નથી આવતી ને એ જતે દિવસે સ્કૂલ છોડી દે છે. સ્કૂલ છોડવાનું કારણ ભાષા જ હોય એવું દરેક વખતે ન પણ હોય. ગરીબી, મજૂરીની લાલચ, આર્થિક મુશ્કેલીઓ જેવાં કારણો પણ હોઈ શકે. એ સાચું કે ભાષા સરળ થઈ શકતી હોય તો તેને અઘરી ન જ કરવી જોઈએ. ગ્રામીણ બાળકો સંદર્ભે એક જ પ્રકારનાં પાઠ્યપુસ્ત્કો પણ ડ્રોપઆઉટનો રેશિયો વધારે છે. આ બધી જ દલીલોમાં તથ્ય છે, પણ પાઠ્યપુસ્તકો શહેરી બૌદ્ધિકતાનો જ પડઘો છે એવું નથી. પાઠ્યપુસ્ત્કો તૈયાર થાય છે, એમાં ગ્રામજીવનનો પડઘો પણ પડતો જ હોય છે, ખાસ કરીને વાર્તાઓમાં, સમાજજીવનમાં ! હા, પ્રમાણ વત્તુંઓછું હોઈ શકે, પણ તે તો સંતુલિત કરી શકાય.

ગામડામાં એક આદિવાસી બાળક શાળામાં પ્રવેશ લે છે કે શહેરમાં એક બાળક સ્કૂલમાં પ્રવેશે છે, ત્યારે તે બંને માટે ભાષા તો નવી જ છે. બંને માટે મૂળાક્ષરો સરખા જ અજાણ છે ને બંનેએ તે શીખવા પડે છે. તેને શહેરી બૌદ્ધિકતા કે ગ્રામીણ માનસનો ભેદ ખબર નથી. તે તો કોરી પાટીએ જ અક્ષર પાડે છે. એ ખરું કે તે જે બોલે, સાંભળે છે, તેનાં કરતાં શીખે છે તે જુદું છે. એવું જ શહેરી બાળક માટે પણ ખરું. એ પણ ઘરમાં જે સુરતી બોલે છે, તેનાં કરતાં શીખે છે, તે જુદું છે. એ જુદું છે, એટલે જ તો શીખવાનું છે. દેખીતું છે કે એ અઘરું લાગે ને મજા ન પણ પડે. એને રસિક, શિક્ષક બનાવી શકે.

રહી વાત બોલી અનુસાર પુસ્તકો તૈયાર કરવાની, તો તે વ્યવહારુ નથી. 55 ભાષા ગુજરાતમાં જ હોય તો તેટલાં પાઠ્યપુસ્તકો રાજ્યમાં કોઈ એક સમાન ધોરણ ઊભું ન કરી શકે. બીજું કે આદિવાસીનું પુસ્તક સૌરાષ્ટ્રમાં કે ચરોતરનું પુસ્તક વલસાડમાં કેટલું ખપમાં આવે? એ પછી પણ આખા રાજ્યને સમજાય એવી ભાષાની જરૂર તો ઊભી જ રહે. એટલે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ભણવામાં ને બોલી, બોલવામાં રહે એ વધારે ડહાપણ ભરેલું છે, એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 મે 2025

Loading

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  

સુમન શાહ|Opinion - Literature|16 May 2025

સુમન શાહ

ભારતીય પરમ્પરામાં ગુરુ-શિષ્ય સમ્બન્ધનો મહા મહિમા છે. મહા એવો કે એક સમયે શિષ્ય ગુરુને ટપી જાય અને પોતાના જ્ઞાનવિચારની સ્થાપના કરે. જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રમાં આમ થવું સંભાવ્ય છે. ફિલસૂફીક્ષેત્રમાં આદિ શંકરાચાર્ય કે સ્વામી વિવેકાનન્દ અને પશ્ચિમની પરમ્પરામાં પ્લેટો કે ઍરિસ્ટોટલ સર્વોત્તમ દૃષ્ટાન્તો રૂપે જગપ્રસિદ્ધ છે. 

વર્તમાનમાં નિષ્ઠાવાન વિદ્યાર્થીના દાખલામાં થોડું જુદું બને. પોતે શીખ્યો હોય એ વિષયમાં એવો વિકાસ સાધે કે એકાદ નવ્ય વિચાર જનમી આવે. જેમ કે, જે વિષયમાં પીએચ.ડી. થયો હોય એમાં આગળ વધે અને કંઈક નવું શોધી લાવે. જો કે એ દુખ:દ છે કે આજકાલ ગુજરાતીના કેટલાક પીએચ.ડી.પદવીધારીઓ પોતાના સંશોધનવિષયમાં ભાગ્યે જ આગળ વધે છે અને કહેવાતા ગુરુઓ અને ગુરુઓની માત્રભક્તિ કરનારા શિષ્યોની સંખ્યા મોટી થવા માંડી છે.

દેરિદાના દૃષ્ટાન્તમાં જોઈ શકાય છે કે એમના વડે આગવા જ્ઞાનવિચારની સ્થાપના થઈ છે. તેઓએ હ્યુસેર્લનું અધ્યયન કર્યું તેમ જ એથી લાધેલા જ્ઞાનને પચાવ્યું અને સાવ ફંટાઈને પોતાનો વિચાર ઘડ્યો જેને આપણે વિઘટન કહીએ છીએ. વિઘટન કરીને એમણે પશ્ચિમની વિચારપરમ્પરામાં જવાબદાર મનીષી ગુરુઓના જ્ઞાનરાશિની તાત્ત્વિક ભૂમિકાઓને પડકારી જેને આપણે વિઘટનશીલ ફિલસૂફી કહીએ છીએ. 

એ કારણે દેરિદાના અધ્યયન અને અધ્યાપનકાળની વાતો જાણવી જરૂરી છે. અલ્જીરિયા અથવા અલ્જીયર્સ છોડીને પૅરીસ ગયા એ પછીના સમયગાળામાં એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે વગેરેનું વાચન શરૂ કરેલું. એ વયે કાવ્યો તો કોનાથી નથી લખાઈ જતાં? એમનાથી પણ લખાઈ ગયેલાં અને સામયિકોમાં પ્રકાશિત પણ થયેલાં. એ પછી પૅરીસની École Normale Supérieureમાં લૂઈ આલ્થુસર અને મિશેલ ફૂકો જેવી હસ્તીઓ પાસે ભણ્યા. એ ઘડતરકાળમાં એમને સમજાઈ ગયેલું કે પોતાના રસનો વિષય ફિલસૂફી છે અને તેમાં ય ફીનૉમિનોલૉજિમાં રુચિ સવિશેષ છે. અગાઉ એ સંસ્થામાંથી સાર્ત્ર સિમૉં દ બૂવા અને મર્લો-પૉન્તિ ભણેલા. 

એ ગાળામાં દેરિદા ઝાં હિપોહ્લીટનાં વ્યાખ્યાનોમાં બેસતા. દરમ્યાન દેરિદા ઍડ્મણ્ડ હ્યુસેર્લની (1859-1938) ફિલસૂફીથી પ્રભાવિત થાય છે અને પોતાના ડિપ્લોમાની ડિગ્રી માટે The Problem of Genesis in Huserl’s Philosophy શોધનિબન્ધ લખે છે. (૧૯૫૩-૫૪). હ્યુસેર્લકૃત Philosophy of Arithmetic અને Crisis ગ્રન્થો વિશેની ય ચર્ચાનો સમાવેશ કરતો એ શોધનિબન્ધ હ્યુસેર્લ પરનું એક સમીક્ષાત્મક અધ્યયન છે. એનું ફ્રૅન્ચમાં ૧૯૯૦-માં અને અંગ્રેજી અનુવાદ રૂપે ૨૦૦૩-માં પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. 

એ વિશે વીગતે કહું એ પહેલાં હ્યુસેર્લની ફિલસૂફીનાં બે વાનાં વિશે સ્વલ્પ વાત કરવી જરૂરી છે: 

હ્યુસેર્લ ફીનૉમિનોલૉજિના સ્થાપક કહેવાય છે. એમની ફિલસૂફી મનુષ્યચેતના અને મનુષ્યવ્યક્તિને થતા અનુભવોનું દાર્શનિક અધ્યયન છે. આત્મલક્ષીતા અને અનુભવના સત્ત્વની તપાસને હ્યુસેર્લ પોતાનું ધ્યાનકેન્દ્ર ગણે છે એટલું જ નહીં અનુભવને જ વાસ્તવિકતા અને જ્ઞાનના બોધનો પાયો ગણે છે. સૂચવે છે કે પૂર્વધારણાઓ અને બાહ્ય માન્યતાઓને બાજુએ રાખીને અનુભવદ્રવ્યને એક આવિર્ભાવ રૂપે તપાસવામાં આવે એ વલણ ફિલસૂફીમાં અતિ આવશ્યક છે. 

એ તપાસ-પદ્ધતિ છે, epoché and phenomenological reduction. હ્યુસેર્લને epoché સંજ્ઞા પ્રાચીન skepticismમાંથી – સંશયવાદમાંથી – મળી છે. epochéની રીતે વિશ્વ વિશેના નિર્ણયોને સંશયથી જોવાય છે. પૂર્વધારણાઓ અને માન્યતાઓનું bracketing થાય છે એટલે કે એને બાજુએ મુકાય છે. પરિણામે ક્ષેત્ર ઘટી જાય છે અને તેથી ચેતનાની જ સંરચના પર બધું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. એવા phenomenological reductionને કારણે સમજાય છે કે આવિર્ભાવ / અનુભવ શી રીતે સરજાય છે.

બીજું કે હ્યુસેર્લ એ પ્રશ્ન પૂછે છે કે વિશ્વની વસ્તુઓના અનુભવનો પુરાવો – evidence – શો. ઉત્તર એ છે કે અનુભવાતી વસ્તુ ખરેખર છે – truly is – એવો બોધ થાય છે અને એ બોધ બાબતે ગેરસમજ કે ગરબડ નથી હોતી, એ જ એનો પુરાવો છે! તેઓ જણાવે છે કે બોધની ખરાઇ માટે માહિતીચયન – data – એકઠો કરવાની જરૂરત નથી કેમ કે આવિર્ભાવો પોતે જ પોતાને ચેતનાને અર્પે છે, દાખલા તરીકે, ‘આજે મને તાવ આવશે’ એ સહજસ્ફુરણની ખરાઈ કરવા કશે ય જવાની જરૂરત નથી રહેતી. આ અર્પણત્વને હ્યુસેર્લ givenness કહે છે.

દેરિદાએ હ્યુસેર્લની givenness વિભાવનાને પડકારી છે. આવિર્ભાવ પોતે જ પોતાને ચેતનાને અર્પે એ સ્વ-ઉપસ્થિતિને – selfpresenceને – દેરિદા નકારે છે અને જણાવે છે કે ઉપસ્થિતિની દરેક ક્ષણ traceથી લાંછિત હોય છે અને અનુભવો ભાષા અને સંજ્ઞાઓથી ચેપાયેલા બલકે અર્થનિષ્પત્તિની પદ્ધતિથી રચાયા હોય છે. એ કારણે તો અનુભવોનાં અર્થઘટન થઈ શકે છે. ભાષા અને સંજ્ઞાઓની એ મધ્યસ્થીને ન વીસરી શકાય.

સવિશેષે દેરિદાને હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિમાં genesisનો ન નિવારી શકાય એવો કોયડો જોવા મળ્યો છે. તેઓ એક આંટી – loop – દર્શાવે છે કે both temporality and meaning must be generated by prior acts of the transcendental subject, but transcendental subjectivity must itself be constituted by an act of genesis.

એક દાખલાથી એ પરિભાષા સમજીએ : ધારો કે તમારે હાંડવો બનાવવો છે. તમે જાણો છો કે હાંડવો બનતાં કેટલો સમય લાગશે. ફિલસૂફીની પરિભાષામાં એ સમયતત્ત્વને temporality કહેવાય — અનુભવની સંરચના તેમ જ ઘટનાઓ અસ્તિત્વ અને વાસ્તવિકતા સાથે જોડાયેલો લાક્ષણિક સમયસંવિભાગ. હાંડવો meaning છે. હાંડવો બનાવતાં પહેલાં તમે શીખી લીધેલું કે કઈ ક્રિયા-પ્રક્રિયાથી બનશે. શીખવાની એ ક્રિયા મૂળારમ્ભ છે, act of genesis. તમે હાંડવાના કર્તા એટલે કર્તા પારગામી આત્મલક્ષીતા, transcendental subjectivity.

હ્યુસેર્લ કહે છે કે ચેતનાને સમયનો અનુભવ અદ્યતન-ભૂતકાળ નિકટતમ-ભવિષ્ય અને જિવાતા-વર્તમાનની આન્તરક્રિયાથી થતો હોય છે. એમણે retention, protention અને living presentની એ આન્તરક્રિયાનું વર્ણન કરીને સમયના સાતત્યની સંરચના સમજાવી છે. તદનુસાર એમનું મન્તવ્ય બને છે કે અર્થ અને કર્તાની સંરચનામાં સ્થિરતા લાવનારું પરિબળ સમય છે. સ્થિરતા નથી આવતી કહીને દેરિદા એ મન્તવ્યને ય પડકારે છે. હ્યુસેર્લમાં એમને temporality meaning અને transcendentle subjectivityનો સમ્બન્ધ સ્થગિત અને દુષ્કર લાગ્યો એટલે વિશેષ ચર્ચામાં એ માટે એમણે tension શબ્દ પ્રયોજ્યો. દેરિદા tension શબ્દનો પ્રયોગ એક વિભાવના તરીકે કરતા હોય છે અને ત્યારે એનો અર્થ થતો હોય છે, તંગ અવસ્થિતિ. 

હાંડવો બનાવવા તમારે હાંડવો કેમ બનાવાય એ જાણવું જરૂરી હતું પણ એ જાણવા હાંડવો બનાવવો એ જરૂરી હતું. ઉપર્યુક્ત દીર્ઘ અંગ્રેજી ફકરામાં કહ્યું છે એમ, દેરિદા એને genesisનો કોયડો ગણે છે. વાસ્તવમાં તો પરસ્પરાવલમ્બન ઊભું થયું, અને એમાં મૂળારમ્ભ ક્યાં? મૂળારમ્ભની અવધારણા જ વ્યર્થ ઠરી! આરમ્ભબિન્દુથી માંડીને અર્થ સુધીની યાત્રા અર્થથી આરમ્ભ અને આરમ્ભથી અર્થ એમ એક લચ્છી કે આંટી – loop – છે એમ અવગત થયું. દેરિદાનું મન્તવ્ય છે કે – આ મૂળારમ્ભ છે એમ આંગળી મૂકીને કહી શકાતું નથી કેમ કે મૂળારમ્ભ હમેશાં પૂર્વવર્તી સમ્બન્ધો અને સંદર્ભો પર આધારિત હોય છે.

આમ સંશયો ઊભા કરીને દેરિદાએ હ્યુસેર્લના સુખ્યાત cartesian methodic doubtને – પદ્ધતિવિષયક સંશયમન્ત્રને – એમની જ ફિલસૂફી સામે બરાબર પ્રયોજી જાણ્યો છે. આપણે જોયું કે સ્વ-ઉપસ્થિતિ અને મૂળારમ્ભ જેવા ફિલસૂફીના પાયાના સમ્પ્રત્યયો તેમ જ અર્થ અને મનુષ્ય-અનુભવની સંરચનાઓના સ્વરૂપ વિશે એમણે તીવ્ર પ્રશ્નો કર્યા છે. Speech and Phenomena ગ્રન્થમાં દેરિદા એ જ મતલબ દર્શાવે છે કે ફીનૉમોનોલૉજિ સંજ્ઞાઓ તેમ જ અનુભવની પાયાની સંરચનાઓ પર ભાર મૂકે એ બરાબર છે પણ એથી genesis અને structure વચ્ચે જે તંગ અવસ્થિતિ સરજાય છે તેનું નિરાકરણ નથી મળતું. ફીનૉમોનોલૉજિ અર્થની સુસંગત પ્રાંજલ ભૂમિકાની અપેક્ષા સેવે એ બરાબર છે પણ તંગ અવસ્થિતિ એને પડકારે છે અને વિરોધાભાસો વિરોધાભાસો જ રહે છે.

જો કે આ વિરોધાભાસો મને ફળપ્રદ લાગ્યા છે – productive. કેમ કે એથી પરમ્પરાગત વિભાવનાઓમાં રહેલી મુશ્કેલીઓ પ્રકાશિત થાય છે અને નવી વિભાવનાઓના સર્જનની તકો ઊભી થાય છે. પરિણામે વિમર્શ-પરામર્શ વિકસે છે. પૂરેપૂરો અર્થ પકડવાની વૃત્તિ પર પણ કાપ આવે છે કેમ કે અર્થ તો સદા ગતિમન્ત હોય છે. દેરિદા પણ વિરોધાભાસોને નિષ્ફળતા નથી ગણતા બલકે એને ચિન્તનમાં પ્રગતિ કાજેના આધારસ્રોત કહે છે. દાખલા તરીકે, ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની આન્તરલીલાને કારણે વૈકલ્પિક પરિપ્રેક્ષ્યો અને અર્થઘટનો માટે જગ્યા મળે છે અને પરિણામે બૌદ્ધિક સર્જકતા ખીલે છે. વિરોધાભાસોની એ સંસૃજનાત્મક શક્તિની નૉંધ લેવી જોઈશે. આ વિરોધાભાસો વિચારકોને જાણે ધક્કો મારીને કહે છે કે પાયાની અવધારણાઓ વિશે પ્રશ્નો કરો અને નવ્ય પદ્ધતિઓ શોધો — તમારું ક્ષેત્ર ફીનૉમિનોલૉજિનું હોય કે સાહિત્યનું કે સાહિત્યસમીક્ષાનું. આ વાત કોઈપણ જ્ઞાનવારતાને એટલી જ લાગુ પડે છે. બધું બરાબર અને નિશ્ચિત છે એમ ગણીને નિશ્ચિન્ત થઈ બેસી રહેવાના મનોવલણનો વિલય ઝંખતા આ વિરોધાભાસો રૂપાન્તરણકારી છે એની પણ નૉંધ લેવી જોઈશે.     

આ બધા પ્રશ્નો અને પડકારોનો એ અર્થ નથી કે દેરિદા ફીનૉમિનોલૉજિને નકારે છે. અર્થ એ છે કે એની કોયડારૂપ પદ્ધતિઓને એમણે પરિષ્કૃત કરી અને સ્વકીય દૃષ્ટિએ વિકસાવી. વિઘટનવિચાર ફિલસૂફીની એક શાખા તરીકે ફીનૉમિનોલૉજિ પર ભિન્ન અને વિલક્ષણ સ્વરૂપે ઊભો છે એવું લાગે છતાં કહેવું જોઈશે કે એને ઉલ્લંઘીને એ ખાસ્સો વિકસ્યો છે. 

આવા બધા પ્રકારે ફીનૉમિનોલૉજિમાં અવગાહન કરતા દેરિદા દસેક વર્ષ બાદ ફીનૉમિનોલૉજિથી ફંટાઈ જાય છે અને વિઘટન-વિચારની આવશ્યકતા ચીંધતા રહે છે.

શોધનિબન્ધના આ મુદ્દાને મેં આટલું મહત્ત્વ આપ્યું તે સકારણ છે કેમ કે એ દેરિદાની ફિલસૂફ તરીકેની સ્વાયત્ત કારકિર્દીનું પ્રારમ્ભબિન્દુ છે.

આ લેખમાળામાં અન્યતા આતિથ્ય મૈત્રી હિંસા ન્યાય કાયદા મૃત્યુદણ્ડ આતંકવાદ 9/11 વગેરે નીતિમત્તાવિષયક બાબતો તેમ જ સ્નેહ પ્રેમ જાતીયતા જીવન મૃત્યુ શુભ દુરિત તેમ જ કેળવણી સાહિત્ય અને રાજકારણ વિશેના દેરિદાના વિચારો હું યથાપ્રસંગે પરિચયાર્થે રજૂ કરીશ પણ આ ક્ષણે એમના અધ્યયન-અધ્યાપનની આ ચાલુ વારતા સમ્પન્ન કરું. 

ડિપ્લોમા પછી ડૉક્ટરલ થીસીસ માટે દેરિદાએ વિલક્ષણ વિષય પસંદ કરેલો : The Ideality of the Literary Object. ખાસ્સું કામ થયેલું પણ પ્રોજેક્ટ પડતો મૂકવો પડેલો કેમ કે વચગાળે જ માર્ગદર્શક હીપોહ્લીટનું અવસાન થયેલું. તેમ છતાં વરસો પછી ૧૯૮૦માં દેરિદાને એમના sur travauxને આધારે – વિદ્યાકીય સમગ્ર કાર્યને આધારે – ડૉક્ટરેટની પદવી આપવામાં આવેલી. એ થીસીસ-ડીફેન્સમાં દેરિદાએ રજૂ કરેલાં સમર્થનો અને વિચારો એમના The Time of Thesis: Punctuations ગ્રન્થમાં ઉપલબ્ધ છે. એમાં એ પ્રસંગના સ્વાનુભવ વિશે અને શૈક્ષણિક તેમ જ વિદ્વત્તાયુક્ત લેખનમાં વિરામચિહ્નોના ફિલસૂફીપરાયણ સંકેતો વિશે દેરિદાએ સરસ વાતો કરી છે. 

૧૯૫૬-૫૭માં દેરિદા બોટમાં અમેરિકા જાય છે. એમને હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળી હોય છે. આશય હતો હ્યુસેર્લની હસ્તપ્રતોના અધ્યયનનો પણ ભાઇસાહેબે હાર્વર્ડમાં બેસીને જૉય્યસની Ulysses વાંચ્યા કરેલી. જો કે એ નવલનું ઊંડું અધ્યયન કરેલું. વિઘટન સંદર્ભે Ulyssesને એમણે સીમાચિહ્નરૂપ સર્જનાત્મક કૃતિનો દરજ્જો આપ્યો છે. ત્યારે દેરિદા ફ્રૅન્ચ મનોવિશ્લેષક Marguerite Aucouturierને પરણ્યા હતા જેમનું 2020-માં કોરોનાવાઇરસને કારણે ૮૭ વર્ષની વયે અવસાન થયેલું.

દેરિદાએ વરસો લગી પૅરીસની Sorbonne universityમાં ફિલસૂફીનું અધ્યાપન કર્યું. પછીનાં વરસોમાં અમેરિકાના અનેક પ્રવાસો કર્યા. ૧૯૭૫-થી ૮૬ દરમ્યાન તેઓ દર વર્ષે યેલ યુનિવર્સિટી ગયા હતા. એ સમયગાળાના વિવેચનને Yale School નામ અપાયું છે. (૧૯૯૨-માં હું યેલમાં ‘વિઝિટિન્ગ ફૅલો’ તરીકે ગયેલો, પૃચ્છા કરેલી કે કશું દેરિદાની સ્મૃતિમાં સચવાયું હતું કે કેમ. પણ એ લોકો પાસે ચૉક્કસ કશું હતું નહીં.). ૧૯૮૭-થી અનેક વર્ષો લગી દેરિદા કૅલિફોર્નિયાની ઇર્વિન યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવા ગયા હતા.

પરન્તુ ૧૯૬૬-માં બાલ્ટિમોરની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીની મુલાકાત એમના માટે તેમ જ એમના અંગ્રેજીભાષી અધ્યેતાઓ માટે, સવિશેષે અમેરિકન વિદ્વાનો માટે, ફળદાયી પુરવાર થઈ. યુનિવર્સિટીએ યોજેલા એ અન્તરરાષ્ટ્રીય જ્ઞાનસત્રમાં દેરિદાએ વ્યાખ્યાન આપ્યું : Structure, Sign, and Play in the Discourse of the Human Sciences. માત્ર ૩૬ વર્ષના દેરિદાની કારકિર્દીમાં યશકલગીરૂપ એ વ્યાખ્યાન અનુ-સંરચનાવાદ અને વિઘટનશીલ ફિલસૂફી તેમ જ ચિન્તન માત્ર માટે પાયાનું પુરવાર થયું છે. 

વિશેષ વાચન માટે સૂચિ :

1
Derrida, J. (1973). Speech and Phenomena: And Other Essays on Husserl’s Theory of Signs. Translated by D. B. Allison. Evanston: Northwestern University Press.
2
An article titled ‘Difference and Presence: Derrida and Husserl’s Phenomenology of Language, Time, History, and Scientific Rationality’ is authored by Rudolf Bernet, Charles Driker-Ohren, and Mohsen Saber. link.springer.com
3
aphelis.net ‘Punctuations: The Time of a Thesis’ by Jacques Derrida, tr. Kathleen McLaughlin, Stanford: Stanford University Press, 2004.
4
‘: A Biography’ by Benoît Peeters, tr. Andrew Brown, Polity Press,  2013.
= = =
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ : “પરબ” : May 2025-માં પ્રકાશિત લેખ —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...285286287288...300310320...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved