Opinion Magazine
Number of visits: 9843420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણાથી રમાય?

નારાયણ દેસાઈ|Gandhiana|26 June 2025

બાપુ સાથે મહાદેવભાઈ અને નારાયણભાઈ

બાપુની લડાઈ કરવાની રીતનો મને નાનપણમાં જ જાતઅનુભવ થઈ ગયો. પ્રસંગ આવો હતો:

મુંબઈથી એક વાર શેઠ શાંતિકુમાર નરોત્તમ મોરારજીએ મારે માટે કોઈની સાથે થોડાં રમકડાં મોકલાવ્યાં. કાકા જ્યાં જતા ત્યાં એમને મિત્રો થઈ જ જતા. પણ એ પૈકી કેટલાકની મૈત્રી ઘનિષ્ઠ થતી. જેમની સાથે કાકાને ઘનિષ્ઠ મૈત્રી હોય તે બધા સાથે અમારે પણ ઘર જેવો સંબંધ થઈ જાય.

શાંતિકુમારભાઈને બાપુની જેમ કાકા જોડે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. તેથી તેમણે આ રમકડાં મારે સારુ મોકલાવ્યાં.

સાબરમતી આશ્રમમાં રમવાનું તો પુષ્કળ મળી રહેતું, પણ રમકડાં હંમેશાં મળતાં નહોતાં. અમારે કમનસીબે શાંતિકુમારભાઈનાં મોકલાવેલાં રમકડાં વિદેશી હતાં, તેથી તે અમારા હાથમાં પહોંચે તે પહેલાં જ બાપુએ એનો કબજો લઈ લીધો. પોતાના ઓરડામાં એક અભરાઈ ઉપર તેમણે તે મુકાવી દીધાં. અમારી ‘છૂપી પોલીસ’ એ ખબર લાવી કે બાબલા માટે મુંબઈથી રમકડાં આવ્યાં છે અને બાપુએ એને સંતાડી રાખ્યાં છે. અમારી તરફે આ હડહડતા અન્યાયનો સામનો કરવા સારુ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ! કાઁગ્રેસયુગના પહેલા તબક્કાની માફક લડાઈની શરૂઆત પ્રતિનિધિ મોકલીને કરવાનું ઠરાવ્યું. રમકડાં મારે નામે આવ્યાં હતાં, એટલે અમારા બાળપ્રતિનિધિમંડળે મને જ પોતાનો પ્રવક્તા નીમ્યો.

તે વખતે બાપુ મગનકુટીમાં રહેતા હતા. મારા પિતાશ્રી એમના નિયમ મુજબ, પડખે બેસીને કશુંક લખતા હતા. બીજા પણ કેટલાક અંતેવાસીઓ બાપુની અડખેપડખે હતા. મોટીબા (કસ્તૂરબા) પણ ત્યાં જ હતાં. આ અમારું પ્રતિનિધિમંડળ એ ઠેકાણે જઈ પહોંચ્યું.

પહેલો વાર મેં જ કર્યો : ‘મારે સારુ મુંબઈથી રમકડાં આવ્યાં છે. એ વાત સાચી?’

યુદ્ધના આરંભ પહેલાં જ પ્રતિપક્ષી પાસે સત્યની કબૂલાત કરાવી લેવી ઉપયોગી હોય છે !

બાપુ પણ તે વખતે કાંઈક લખવામાં મશગૂલ હતા. પણ એમણે લખવામાંથી મોં ઊંચું કરીને કહ્યું, ‘કોણ, બાબલો ? હા, રમકડાં વિશે તેં જે સાંભળ્યું છે તે હકીકત સાચી છે.’

‘મારાં એ રમકડાં ક્યાં છે ?’ બીજા વારમાં મુદ્દામાલની તપાસ હતી ! અમારી પાસે માહિતી હતી કે બાપુએ રમકડાં ક્યાંક છુપાવી રાખ્યાં હતાં.

‘એ રહ્યાં રમકડાં, ઉપર અભરાઈએ.’ બાપુએ આંગળી ચીંધી કહ્યું. મુદ્દામાલ કોઈ છૂપો રાખવામાં આવ્યો નહોતો. ખારસો કરંડિયો ભરાય એટલાં રમકડાં હતાં, જોઈને મોંમાં પાણી આવી જાય તેવાં !

‘એ રમકડાં અમને સોંપી દો.’

જ્યાં ન્યાય સાથે હોય ત્યાં આડીઅવળી વાત કરવાની જરૂર શી ? સીધી ન્યાયની માગણી જ શા સારુ ન કરવી ?

ઠેઠ ત્યારે બાપુએ પોતાનો મુદ્દો સામે ધર્યો: ‘તને ખબર તો છે ને, કે એ રમકડાં વિદેશી છે ?’

સ્વદેશી આંદોલનની પીઠ સમા આશ્રમમાં બાળકો વિદેશી રમકડાં શી રીતે રમે ? બાપુનો એ મુદ્દો હતો. પણ એ મુદ્દો સમજવા અમે તૈયાર હોઈએ તો ને!

‘વિદેશી—સ્વદેશીની વાત હું કાંઈ ન જાણું. મને એટલી ખબર છે કે એ રમકડાં મારાં છે, મારે સારુ એ આવ્યાં છે, એટલે એ મને મળવાં જોઈએ.’

મેં મારો અધિકાર સામો ધર્યો. મને ખાતરી હતી કે મારા અધિકારનો બાપુ ઇન્કાર કરી શકશે નહિ.

પણ ત્યાં તો બાપુએ વાતને એવો વળાંક આપ્યો કે જેની મેં કલ્પના સુધ્ધાં પણ નહોતી કરી.

‘વિદેશી રમકડાં વડે કંઈ આપણાથી રમાય?’

‘આપણે’ શબ્દ ગુજરાતીનો આગવો જ છે. હિન્દીનાં ‘હમ’માં હુંનું બહુવચન પણ આવે અને ‘તું અને હું’ પણ આવી જાય પણ ગુજરાતીના ‘આપણે’ શબ્દમાં માત્ર હું ને તું જુગલજોડી સાથે સાથે જ આવે. ‘હું’ના બહુવચન સારુ તો ‘અમે’ શબ્દ નોખો પડ્યો જ છે.

અને આ ‘આપણે’ શબ્દમાં જાણે બાપુનું બ્રહ્માસ્ત્ર હતું. એક જ વાક્યમાં એમણે એમની જાતને અને મને એક પક્ષમાં મૂકી દીધાં. ક્યાં ગઈ અમારી કમ્મરબંધી? ક્યાં ગયું અમારું પ્રતિનિધિમંડળ? ક્યાં ગઈ અમારી સામસામી વાગ્યુદ્ધ ખેલવાની તૈયારી? જ્યાં દુશ્મન પોતે જ મિત્રના પક્ષમાં ભળી જાય, ત્યાં યુદ્ધની તુલા જ ડગમગી જાય તો નવાઈ શી?

રમવાનો અધિકાર જેમ હું ગુમાવતો હતો, તેમ એ જ રમકડાં વડે રમવાનો હક બાપુ પણ ગુમાવતા હતા ને ? તેથીસ્તો એ કહેતા હતા કે ‘આપણાથી કાંઈ રમાય ?

અને એક વાર અધિકાર માત્ર પોતાનો જ નહિ પણ પ્રતિપક્ષીનો પણ છે, એ હકીકત સમજાઈ એટલે તરત અધિકારને ઠેકાણે કર્તવ્યનો ઉદય થાય છે.

‘વિદેશી ચીજો સામે તો આપણું આંદોલન ચાલે છે અને આપણે જ જો ઘરે વિદેશી રમકડાંથી રમીએ…’

બાપુને આગળ દલીલ કરવાની કે સમજાવવાની જરૂર જ નહોતી. પ્રતિનિધિમંડળના પ્રવક્તાને જ ઢીલો પડેલો જોઈને બાકીના સભ્યોએ ત્યાંથી સરવા માંડયું હતું!

[‘સંત સેવતાં સુકૃત વાધે’]
25 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 344

Loading

કટોકટીનાં પચાસ વરસનો શોર : બેઉ છેડે આત્મખોજનો અવસર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 June 2025

વિશેષ

નાગરિકો સત્તાધિશોની ચેતનાને જગાડે

વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે તમારી શું સેવા કરી શકું. જવાબમાં ફિલસૂફ ડાયોજીનસે તબિયતથી કહ્યુંઃ રાજા, આઘો હટ – ને તડકો આવવા દે.

પ્રકાશ ન. શાહ

1975ની 25મી જૂન વિશે 26મીના અંક માટે લખી રહ્યો છું, બરાબર પચાસ વરસના અંતરે, ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ સ્વાતંત્ર્યસૈનિક શબ્દસેવી ઉમાશંકર જોશીની એ કવિપૃચ્છાનું છે કે ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’ આ લખું છું ત્યારે ગ્રીક ફિલસૂફ ડાયોજીનસનું સ્મરણ થાય છે. વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે, તમારી શું સેવા કરી શકું. આપણા ફિલસૂફે તબિયતથી કીધુંઃ ‘રાજા, આઘો હટ – ને તડકો આપવા દે.’

પચાસ વરસને અંતરે સરકાર ગાજાવાજા સાથે શોર મચાવી રહી છે ત્યારે એને કોણ કહેશે કે, તડકો આવવા દે? ઇંદિરાઈ તો એક રીતે નસીબવંતી હતી કે એને લમણે જમણા છેડેથી જયપ્રકાશ લખાયા હતા. શું સરસ કહ્યું‘તું ત્યારે ધર્મવીર ભારતીએ કે, એક બહત્તર સાલકા બુઢા સચ બોલતે નિકલ પડા હૈ. આજે તો, ભાઈ, સાદો હિસાબ ચાલે છે કે ચોક્કસ મુદ્દે જબાનબંધના ધોરણે કટોકટીના પ્રતિકારનો મહિમા કરો અને વાણીસ્વાતંત્ર્યનું ગૌરવગાન કરો. 

ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજમાં કટોકટીની કાલરાત્રિ વિશે આટલે વરસે વાત કરીએ ત્યારે તે લાદનાર નેતૃત્વ ને પરિબળોની ટીકા તો ચોક્કસ જ કરીએ. પણ તે નેતૃત્વને એક પ્રજા તરીકે આપણે પરાસ્ત કરી શક્યા એ ઇતિહાસન્યાય પછીના દાયકાઓમાં આપણે દોષદુરસ્તી કેટલી કીધી ન કીધી એની તપાસ કરીએ. પછી, જેમને સુવાંગ સત્તા આવી મળી તેમણે કેવો વ્યવહાર દાખવ્યો ન દાખવ્યો એને અંગે ય તપાસ કરીએ. સત્તાધીશોને આ અવસર લાયક આત્મખોજનો ખયાલ સ્વમેળે ન આવતો હોય તો નાગરિકોએ નાનાવિધ ઉપાયે તેમની ચેતનાને સંકોરવામાં સહાયરૂપ થવું એ ધર્મ બની રહે છે. 

સરકારી જાહેરાત ને સરકારી સંસાધનોની રાહે જે ચાલે છે. એમાંથી ઊલટાની ‘કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.’ની ધંધાદારી રાજનીતિની બૂ ઉઠે છે. ભાઈ, આ પ્રશ્ન ક્યારેક કાઁગ્રેસ સત્તા પર હતી અને જનસંઘ સહિત બાકીના સામી પાટલીએ હતા એટલો સીધોસાદો નથી. હર પલટાતી રાજવટ સબબ જાગ્રત જનમત એ જનતંત્ર માત્રની સ્થાયી પ્રકૃતિ ને પ્રવૃત્તિ હોવી ઘટે છે. મામલો હર જમાને સત્તા વિ. જનતાનો છે. 

કટોકટી જાહેર થઈ ત્યારે બુઝુર્ગ રાજપુરુષ કે. સંથનમે બાંધી મુદ્દતનાં અનશન કીધાં હતાં. પોતે બંધારણ સભાના સભ્ય હતા અને વિભાજનની વિભીષિકા વચ્ચે આવી આકરી જોગવાઈની જરૂરત જેમ બીજા ઘણાને તેમ તેમને પણ અનુભવાઈ હતી. આ જોગવાઈનો આમ ગેરઉપયોગ થઈ શકે તે ત્યારે કેમ સૂઝ્યું નહોતું એ ખયાલે એમણે અનશનનો રાહ લીધો હતો. 

ખેર. કટોકટીરાજ ગયું પણ ખરું અને એના કરવૈયાઓને 1977ની ચૂંટણીમાં શિકસ્ત પણ મળી. બંધારણ સાથે ઇંદિરા ગાંધીએ જે કંઈ તોડમરોડ કરી હતી તેને નવી સંસદે બંધારણીય સુધારા સાથે સમીનમી પણ કીધી. ટૂંકજીવી જનતા શાસન પછી કાઁગ્રેસના પુનઃ પ્રવેશ અને સત્તા પરની નાનીમોટી આવનજાવન વચ્ચે માનવઅધિકાર પંચથી માંડીને માહિતી અધિકાર, શિક્ષણ અધિકાર આદિની પ્રતિષ્ઠા શક્ય પણ બની. પણ ઉત્તરોત્તર કથળતું કાયદાનું શાસન અને માહિતી અધિકારનું સંકોચન કે પછી નવા જુલમી કાયદા તરેહનું વલણ, આ બધાને કેવી રીતે ઘટાવશું ? સરકાર અને કોર્પોરેટ સંધાનની આબાદ જુગલબંધી દેશમાં સ્વતંત્ર અવાજનાં સ્થાનકો વગર સેન્સરશિપે સંકોચાતાં જાય છે. અલબત્ત, સત્તા કદાચ એમ માનીને ચાલે છે કે જનતા કને આંખકાન હોવાં જરૂરી નથી. થોડાં વરસ પર અડવાણીએ કહ્યું હતું કે, સંભારવા જોગ છે કે કટોકટી બાબતે બંધારણીય સુધારાથી અમે (મોરારજી પ્રધાનમંડળે) દુરસ્તી કરી છે એ સાચું, પણ તેથી કટોકટી પ્રકારના અનુભવો બીજી રીતે નહીં થાય તેમ હું કહી શકતો નથી. 

એથી 25મી જૂનની ખરી ઉજવણી ભૂતકાળની બેધડક ટીકા કરવા હાલના હુકમરાનો પોતાના અમલ બાબતે કરે તેમાં છે – નહીં કે ‘હત્યા દિવસ’ના ઝનૂનમાં.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025

Loading

ઇન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 June 2025

કટોકટીનાં 50 વર્ષ

ઈમર્જન્સી ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એનું શું? 

પ્રકાશ ન. શાહ

બરાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને – જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.

અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો. 

ઇન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું – અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.

1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઇન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ્દ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.

આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઇન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.

ઇન્દિરા ગાંધી

મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઇન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ્દ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમ જ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાન મંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઇન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.

દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કાઁગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઇન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી – તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.

25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું : સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના – તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.

કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળ‌વી ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું. 

21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.

આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.

દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025

Loading

...102030...286287288289...300310320...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved