Opinion Magazine
Number of visits: 9968357
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થિયરી છોડો, પ્રેક્ટિકલ વાત કરો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2019

ભારતીય દાર્શનિક પરંપરામાં ‘અનિર્વચનીય’ અને ‘અવ્યાકૃત’ એ બે શબ્દો મહત્ત્વના છે. બંને શબ્દોનો અર્થ લગભગ એકસરખો છે, પણ દિશા અલગ છે. અનિર્વચનીય એટલે આ જગતનું એવું ગૂઢ રહસ્ય જેનું નિર્વચન ન થઈ શકે. મત એવો છે કે પરમ રહસ્યોને પામી શકાય છે, પણ શબ્દો દ્વારા વર્ણવી નથી શકાતાં. આ જગત શાશ્વત્‌ છે કે નાશવાન? આ જગત કોણે બનાવ્યું? શેમાંથી બનાવ્યું? અને જો કોઈ બનાવનાર હોય તો શા માટે બનાવ્યું? આત્મા શું છે? એ દેહમાં આવે છે ક્યાંથી અને મૃત્યુ પછી જાય છે ક્યાં? ઈશ્વર કયા સ્વરૂપમાં રહે છે? એ સર્જક છે, નિયંતા છે કે પછી કેવળ સાક્ષી છે? બંધન અને મોક્ષ શું છે?

આ બધા જીવ અને જગતને લગતા તેમ જ બંધન અને મુક્તિને લગતા માનવીનાં મનમાં પેદા થનારા સ્વાભાવિક પ્રશ્નો છે જેની આસપાસ જગત આખામાં ધર્મો અને દર્શનશાસ્ત્રો રચાયાં છે. પણ ખુલાસો શું છે? ભારતીય દાર્શનિક શાખાઓએ પોતપોતાની રીતે ખુલાસા કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મોટા ભાગે તો તેને અનિર્વચનીય ગણાવીને પ્રશ્નકર્તાને કહી દેવામાં આવ્યું છે કે દરેક રહસ્યો શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. કોઈકે શાંકરભાષ્યમાં કેટલી વાર અનિર્વચનીય શબ્દ આવે છે તેની ગણતરી કરવી જોઈએ. માયાવાદ કે વિવર્તવાદમાં જ્યાં અટવાઈ જવાય ત્યાં શંકરાચાર્યે અનિર્વચનીયનો આશ્રય લીધો છે.

અહીં બુદ્ધ આવે છે. બુદ્ધે જોયું કે જેને વર્ણવી ન શકાય એવાં રહસ્યોને પામવા માટે, તેને બદલવા માટે, તેની કૃપા મેળવવા માટે કર્મકાંડો તો કરવામાં આવે છે; પરંતુ તેનો તર્કબદ્ધ ખુલાસો કરવામાં નથી આવતો. ઈલાજોનો દાવો કરવામાં આવે છે, પણ તાર્કિક ખુલાસા કરવામાં નથી આવતા. બુદ્ધે આનો ખુલાસો કરી આપ્યો અને એ એવો સોંસરવો હતો કે જેનો ખુલાસો માગવામાં આવે છે એનો કોઈ ખુલાસો જ નથી. એ નિરર્થક કાથાકૂટ છે જેમાં જીવન સુધારવા માગતા માણસે પડવાની જરૂર નથી. આને માટે બૌદ્ધદર્શનમાં જે પારિભાષિક શબ્દ વપરાય છે એ ‘અવ્યાકૃત’. જેને તર્કબદ્ધ રીતે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવી ન શકાય અથવા ભવસાગરને સામે કાંઠે શું છે કે પછી કાંઠો છે કે નહીં એ પણ ખાતરીથી ન કહી શકાય એ અવ્યાકૃત.

ભગવાન બુદ્ધને જ્યારે કોઈ જિજ્ઞાસુ ઉપર કહ્યા તેવા પ્રશ્ન પૂછતો ત્યારે બુદ્ધ મૂંગા રહેતા. આનો અર્થ એવો નથી કે તેઓ અજ્ઞાની હતા. તેમની આગળના પૂર્વસૂરીઓએ આ વિષે શું કહ્યું છે તેની તેમને જાણ હતી. તેમણે પોતે પણ એ વિષે ચિંતન કર્યું હતું અને એ પછી તેમને સમજાયું હતું કે જે બોગદાનો બીજો છેડો જ નથી ત્યાં કારણ વિના સાધકને શા માટે ઢસડી જવો! શરીરને ઘસીને ધોવાથી શરીરશુદ્ધિ થાય, આકાશનાં રહસ્યો શોધવામાં શરીર ધોવાનું બાજુએ રહે એનો શો અર્થ

મજ્ઝિમનિકાયમાં એક પ્રસંગ આવે છે. માલુંક્ય સુત્ત નામનો એક જિજ્ઞાસુ બુદ્ધને મળવા આવે છે અને જીવ-શરીર-જગત વિષે ઉપર કહ્યા તેવા પ્રશ્નો બુદ્ધને પૂછે છે અને ઉપરથી ઉમેરે છે જો તમે આનો ખુલાસો નહીં કરો તો હું સંઘમાં રહીને સાધના નહીં કરી શકું. બુદ્ધે માલુંક્ય સુત્તને કહ્યું કે ‘ભાઈ, મેં ક્યારે કહ્યું કે હું તારા આ પ્રશ્નોના ઉત્તર આપીશ? તું શું કહે છે એ તું જાણે છે? ઘડીભર ધારી લે કે કોઈ એક માણસને ઝેર લગાડેલું બાણ મારવામાં આવ્યું છે. તેના મિત્રો વૈદને લઈ આવે છે અને વૈદ શરત કરે છે કે હું આના શરીરમાંથી ત્યાં સુધી બાણ નહીં કાઢું અને ઈલાજ નહીં કરું જ્યાં સુધી બાણ મારનાર ગોરો હતો કે કાળો, લાંબો હતો કે ઠીંગણો, તેનું ગોત્ર કયું છે, તેના બાણની પ્રત્યંચા દોરાની બનેલી હતી કે વડવાઈની એની જાણ નહીં થાય. હે માલુંક્ય સુત્ત, તારી શરત  (જિજ્ઞાસા) આના જેવી નિરર્થક છે. આ જગત નિત્ય હોય કે અનિત્ય, બન્ને સ્થિતિમાં તારા માટે તો જન્મ-જરા અને મરણનું દુઃખ તો લખાયેલું જ છે. હા, તારા દુઃખના નિવારણનો ઉપાય મારી પાસે છે, બાકી તારી જગત વિશેની જિજ્ઞાસાઓનો મારી પાસે કોઈ ખુલાસો નથી.’

જેમાં કોઈ દાદરો નથી, દરવાજા નથી, બારી નથી એવા ભવનમાં પ્રવેશવાના મનોરથ સેવવાનો શો અર્થ છે? એના કરતાં તારી જિંદગી સુધાર ને ભાઈ! બુદ્ધ પહેલાના અને પછીના વૈદિક દર્શનના વિચારકો એવા ભવનને નકારતા તો નહોતા જ, તેનો મહિમા કરતા હતા; પરંતુ ત્યાં સુધી પહોંચવાનો અને પ્રવેશવાનો માર્ગ જ્યારે કોઈ પૂછે ત્યારે તેને અનિર્વચનીય કહીને, શું કહીશું, હાથ ખંખેરી નાખતા હતા. પરમ રહસ્યોનો અસ્વીકાર તો બુદ્ધ પણ નહોતા કરતા, પરંતુ તેઓ અવ્યાકૃત કહીને પોતાના અને બીજા કોઈના પણ અ-સામર્થ્યનો સ્વીકાર કરી લેતા હતા. જેનું કોઈ સરનામું જ નથી તેને શોધવા શા માટે નીકળવું?

આ બુદ્ધ. બુદ્ધને સમજાઈ ગયું હતું કે સરનામાં વિનાના ભવનને શોધવા માટે વિદ્વાનો નિરર્થક મલ્લિનાથી કરે છે અને કર્મકાંડી બ્રાહ્મણો, જિજ્ઞાસુ પણ ભયભીત માનવીને ત્યાં પહોંચાડી દેવાના દાવા કરીને છેતરે છે. માનવીમાં બન્ને ચીજ હોય છે; જિજ્ઞાસા પણ હોય છે અને ભય પણ હોય છે એટલે વૈદિક પરંપરામાં બન્ને દિશાએ પ્રપંચ ચાલતા હતા. ઓછામાં પૂરું શ્રમણ પરંપરામાં જૈનોએ સામાન્ય માણસને સદે નહીં એવી આકરી તપશ્ચર્યાનો વળી ત્રીજા અંતિમનો માર્ગ અપનાવ્યો હતો.

એટલે ભગવાન બુદ્ધ માલુંક્ય સુત્તને કહે છે કે જગતના રહસ્યોની બધી વાત છોડ, તારે દુઃખથી છૂટકારો મેળવવો છે? તો તેનો મારી પાસે ઈલાજ છે. અહીં બુદ્ધની સંવાદ કરવાની શૈલી વિષે બે વાત કહેવી જોઈએ. એમ કહેવાય કે બુદ્ધ લોકોની વચ્ચે રહેતા, દરેકને મળતા, દરેકની સાથે તેને સમજાય એવી ભાષામાં વાતો કરતા, ક્યારે ય પોતાને જ્ઞાની કે બીજાને ઓછો આંકતા નહોતા, તેઓ આગ્રહોથી મુક્ત મૃદુ હતા અને તેમની આંખો અને વાણીમાંથી કરુણા વહેતી હતી. તેમને કોઈ અપમાનિત કરે તો ક્યારે ય તેઓ ક્રોધ નહોતા કરતા. તેઓ મલ્લીનાથી કરનારા દાર્શનિક તરીકે કે આંજી દેનારા તપસ્વી તરીકે લોકોની વચ્ચે નહોતા જતા, પરંતુ હમસફર હમશાગિર્દ તરીકે લોકોની વચ્ચે જતા હતા. આંટીઘૂંટી વિનાનું સરળ જીવન અને ભાષાભરમ વિનાનો સરળ ઉપદેશ!

શું હતો એ ઉપદેશ? ભગવાન બુદ્ધે ચાર આર્યસત્યો કહ્યા છે. સામાન્ય માણસને કામમાં આવે એવાં ખપનાં અને અનુસરી શકાય એવા સુલભ.

૧. દુ:ખ આર્ય-સત્ય છે.

જન્મ દુઃખ છે, જરા દુ:ખ છે, વ્યાધિ દુ:ખ છે, મૃત્યુ દુ:ખ છે, અપ્રિય માણસને મળવું એ દુઃખ છે, પ્રિય માણસથી વિખુટા પડવું એ દુઃખ છે, ઈચ્છા પૂરી થાય તો પણ દુઃખ છે કારણ કે એક દિવસ મેળવેલી ચીજ હાથથી જતી રહે છે અને ઈચ્છા પૂરી ન થાય એ પણ દુઃખ છે. આમ દુખં દુખં (દુઃખ જ દુઃખ) એ પહેલું આર્ય-સત્ય છે.

૨. દુઃખ સમુદાય આર્ય-સત્ય છે.

માણસના માર્ગમાં જે પણ દુઃખ આવે છે તેની પાછળ કારણ અથવા કારણ સમુદાય હોય છે અને તેનું મૂળ કાયમ તૃષ્ણામાં હોવાનું. ટૂંકમાં તૃષ્ણા દુઃખનું કારણ છે.

૩. દુઃખનો ઉપાય છે:

દુઃખ જો તૃષ્ણાનું પરિણામ હોય તો તેનો ઉપાય છે જ. જો કારણથી મુક્ત થવાય તો પરિણામથી પણ બચી શકાય છે એ સાદું અનુભવસત્ય છે.

૪. દુઃખ-નિરોધ-ગામિની-પ્રતિપદ આર્ય સત્ય અથવા પ્રતીત્યસમુત્પાદ.

આનો અર્થ એ કે એકબીજાને પ્રભાવિત કરે એવા કાર્ય-કારણ સમુદાયને જો અપનાવવામાં આવે તો એ બધાં મળીને જે સામૂહિક પરિણામ આપે છે એ દુઃખ નિવારણનું કારણ બને છે. એવાં આઠ આચરણ છે અને તેને એક સાથે અપનાવવાનાં છે કે જેથી તે કાર્ય-કારણ સમુદાય બને. બુદ્ધે આઠ આચરણ બતાવતી વખતે દરેકની આગળ ‘સમ્યક્’ એવું માત્રાવાચક વિશેષણ વાપર્યું છે. સમ્યક્ એટલે યોગ્ય માત્રામાં. ન થોડું ન વધારે.

૧. સમ્યક્ દૃષ્ટિ: અર્થાત્‌ દૃષ્ટિમાં વિવેક. ગમતું નજરે પડે તો લોભાવું નહીં અને ન ગમતું નજરે પડે તો વિચલિત થવું નહીં.

૨. સમ્યક્ સંકલ્પ: જે કરવા યોગ્ય નથી એ નહીં કરવાનો સંકલ્પ અને જે કરવા યોગ્ય છે એ કરવાનો સંકલ્પ.

૩. સમ્યક્ વચન: જૂઠ, બકવાસ, ઈર્ષા, નિંદા વગેરેથી બચવું અને જો કોઈની પ્રસંશા કરવા જેવું લાગે તો ઉદારતાપૂર્વક કરવી, પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.

૪. સમ્યક્ કર્માન્ત: હિંસા કરવી નહીં. જેના પર આપણો અધિકાર ન હોય તે ભોગવવું નહીં, અને અધિકાર હોય એ પછી પણ ભોગવવામાં વિવેક કરવો. જે ભોગવવા જેવું હોય તે જ ભોગવવું અને એટલું જ ભોગવવું. 

૫. સમ્યક્ આજીવ: આજીવિકા ખોટા માર્ગે ચલાવવામાં ન આવે.

૬. સમ્યક્‌ વ્યાયામ: વ્યાયામ એટલે પ્રયત્ન. વ્યસન છોડવાનો પ્રયત્ન, મનમાં પાપ-ભાવ જાગે તો તેને રોકવાનો પ્રયત્ન, સારા વિચાર અને વલણને વધારવાનો પ્રયત્ન વગેરે.

૭. સમ્યક્ સ્મૃતિ: મનમાં ગ્લાનિ પેદા કરે તેવી કે પછી ઇન્દ્રિય સુખોની સ્મૃતિથી બચવું અને મંગળભાવ જગાડે એવી સ્મૃતિઓ સાથે રાખવી.

૮. સમ્યક્ સમાધિ: મનમાં પેદા થતા વિતર્ક અને વિચારમાં વિવેક કરવો, સુખ અને દુઃખ વચ્ચે વિવેક કરવો અને શાંતિ અને એકાગ્રતા સાથે જાતને ઓળખવાનો યત્ન કરવો વગેરે.

જીવનને સફળ બનાવવા આટલું પૂરતું છે. એ પણ પાછું પ્રમાણસર. કોઈ દિશામાં અતિરેક કરવાનો નથી. જો આટલું કરશો તો દુઃખથી મુક્તિ મળશે અને માણસને એનાથી વધારે જોઈએ છે શું? નથી ક્યારે ય હાથ ન લાગે એવા જીવ અને જગતના રહસ્યો શોધવા જવાની જરૂર કે નથી દુઃખથી બચવા કર્મકાંડો કરવાની જરૂર. આ છે બુદ્ધનો મધ્યમમાર્ગ જે સ્વાભાવિક રીતે લોકાર્થી સુલભ માર્ગ છે.

અપ્પ દીપો ભવ (તું જ તારો પ્રકાશ એટલે કે પથદર્શક બન) એ બુદ્ધનું અમર વાક્ય છે!

16 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જુલાઈ 2019

Loading

‘Prakashotsav’ — an Intoxication

Ashok Karania|English Bazaar Patrika - Features|21 July 2019

Intoxication found at Gujarat Vidyapeeth premises! Intoxication of love, respect and admiration for Prakash N Shah (પ્રકાશ ન. શાહ  ka નશા)

The occasion was the public felicitation of Shri Prakash N Shah – the many with many roles! The auditorium was overflowing with double its capacity and people occupying the aisles, areas between dais-chair, service area – whatever space one could find. The Saturday evening distractions or the 40 degree heat did not stop the admirers to throng at Gujarat Vidyapeeth. The audience grabbed every word like a gem and the 2.5 hour event ended too soon – never mind the endless sweating! 

‘Prakashotsav’ – The festival celebrating Prakash N Shah was organised by his friends, well-wishers and Sarthak Prakashan team. 

The evening started with a mock court where the most loved culprit Prakash N Shah was produced in the court of judge Hasmukh Patel. The lawyers Ketan Rupera and Urvish Kothari conducted the proceedings with the help of Ashish Kakkad. The public prosecutor Urvish Kothari produced a stellar list of witnesses to prove the charges against Prakash N Shah. Ratilal Borisagar, Ashish Mehta, Ashween Kumar Chauhan, Binit Modi, Biren Kothari, Nayanbahen Shah and other stellar figures accused Prakash Shah of several crimes – the burning ambition of being a prime minister, torturing the world with his cryptic and incomprehensible language, creating a cult of his own, communist leanings, hidden acting skills, etc. The court proceedings were ably proved with strong logic, evidences and confessions of the witnesses.

The mock court was followed by the release of Urvish Kothari’s book on Conversations with Prakash Shah. Prakash N Shah was felicitated by the a section of citizens of Ahmedabad.

The grand finale was the speech of Prakash N Shah. He expressed his gratitude for the great gesture.

He recounted his journey. His central thought was – Yukta and Mukta. He spoke about Gandhi. He spoke about the impact of three primary books on his life. The audience was listening as hypnotised by David Copperfield but time came calling….

Prakash N Shah’s intoxication and values will remain…An evening to remember for a human to never forget …..

==

The white clothes, the simple spectacle and the straight from the heart laughter is how I visualise him whenever we say Prakashbhai. His simplicity, his vision, his clarity and his friendliness is his magic that drives us to him again and again.

Thanks to Vipool Kalyani and Gujaratilexicon, I have the greatest fortune of spending lot of time with him and knowing him. The Nireekshak Digitization and other initiatives got us working together.

Prakash N Shah is a towering personality but he is our Prakashbhai. Our DadaGuru….Sri Sri Sri Dada Guru…Not many can see the Halo behind him…So you see he does have a cult! He is also the business partner of my spouse – they are still searching for their Eureka moment! 

e.mail : ashokmkarania@gmail.com

photo courtesy : The Facebook wall of Jugalkishor J.

Loading

‘ગાંધી : મહાપદના યાત્રી’ વિશે

દક્ષા વિ. પટ્ટણી|Gandhiana|19 July 2019

[ગાંધી : મહાપદના યાત્રી : જયન્ત પંડ્યા, પ્રકાશક – સંસ્કૃતિ, ૭૦૮, સાંકડી શેરી, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૧૦૮, કિં. રૂ. ૬૦/-]

શ્રી જયન્તભાઈ પંડ્યા આપણા ચિંતનાત્મક સાહિત્યના સર્જક અને અનુવાદક તરીકે વિશેષ નોંધપાત્ર રહ્યા છે. તેમણે કરેલા મેઘદૂત અને ઇલિયડના પદ્યાનુવાદને બાદ કરતાં એમણે આપેલા લેખસંગ્રહો, શૂમાખર જેવા જગતવિચારકની કૃતિનો અનુવાદ અને એમણે લખેલાં ચરિત્રો એ મુખ્યત્વે વિચારપ્રધાન સાહિત્યનું સર્જન છે અને તેમાંયે ગાંધીવિચારને સમજવા-સમજાવવાનું જેમાં વિશેષ લક્ષ્ય છે તેવાં પુસ્તકોમાં ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેન વિશેનાં એમનાં પુસ્તકો અને ‘ગાંધી – સવાસો’ પછી ‘ગાંધી : મહાપદના યાત્રી’ એ પણ ગાંધીવિચારને એક ચોક્કસ અભિગમથી આલેખતું ચરિત્રાત્મક પુસ્તક છે. આમ ચરિત્રસાહિત્ય અને તે પણ વૈચારિક ભૂમિકાને સ્પષ્ટ કરતું સાહિત્ય એ જયન્તભાઈના સાહિત્યસર્જનનું પ્રધાન અંગ છે. પ્રકૃત્તિથી અને પ્રવૃત્તિથી એમનો નાતો સદાયે વૈચારિક જગત સાથે રહ્યો છે.

‘ગાંધી : મહાપદના યાત્રી’ એ ગાંધીજીના જીવન વિષે લખાયેલું પુસ્તક હોવા છતાં એ ગાંધીજીનું સંપૂર્ણ ચરિત્ર નથી. લેખકનો એ પ્રયાસ પણ નથી. તેનો અભિગમ અને સર્જનપ્રક્રિયા બન્નેનો સ્પષ્ટ ખ્યાલ તેમણે નિવેદનમાં આપી દીધો છે.

ઈ.સ. ૧૯૯૭માં લોકભારતી સણોસરામાં આપેલાં વ્યાખ્યાનોનું આ સંવર્ધિત રૂપ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેનો પૂર્વભાગ એ વ્યાખ્યાનની સહજ સરળ અભિવ્યક્તિ રૂપે લખાયો છે, પરંતુ એને જ્યારે લેખિત સ્વરૂપ અપાય છે ત્યારે તેમાં કેટલાક આધારો, અવતરણો, નોંધો મૂકી શકાય જેથી ગ્રંથ પ્રમાણભૂત બને. (જયન્તભાઈએ તે કર્યું છે) આથી જયન્તભાઈનું આ પુસ્તક લોકભારતીમાં આપેલાં વ્યાખ્યાનો અને લખાણનું મિશ્રણ છે અને એથી કદાચ વિશેષ ઉપયોગી બને છે.

આ ચરિત્ર-ગ્રંથ નથી. લેખકે ધાર્યું હોત તો ચરિત્ર લખી શકત એટલી દૃષ્ટિ અને સૂઝ તેમની પાસે છે તેનો પરિચય લેખકે પોતાના અંગ્રેજી (ગાંધીજી એન્ડ હિઝ ડિસાઇપલ્સ) અને ગુજરાતી (ગાંધી – સવાસો) બન્ને પુસ્તકોથી કરાવ્યો છે પણ ગાંધીજીનું ચરિત્ર જ હિમાલય જેવું ભવ્ય છે કે તેને બાથ ભીડવા કરતાં કોઈ પણ દૃષ્ટિકોણથી તેને નિહાળવું અને આલેખવું એ કલાકારને વધુ પસંદ પડે, અનુકૂળ પડે.

જયન્તભાઈએ આપેલ આ વ્યાખ્યાનોનો વિષય છે ગાંધીજીને મહાત્મા બનાવનારાં પરિબળો. લેખકને મોહ નથી બધાં જ પરિબળોની વિગત આલેખવાનો. શ્રોતાઓને રસ પડે, સમજાય અને વાતાવરણમાં સહજ રીતે પ્રગટ થાય તેવાં કેટલાંક પરિબળોનો તેમણે ઉલ્લેખ કર્યો છે જે વ્યાખ્યાનની સરળ શૈલીમાં ઉપયોગી છે પણ અભિવ્યક્તિની શાસ્ત્રીયતા તેમણે છોડી નથી.

પુસ્તક પાંચ પ્રકરણમાં લખાયેલું છે. પહેલું જ પ્રકરણ હરિનો મારગ – ગાંધીજીના મૃત્યુના આઘાતની વિશ્વવ્યાપી સંવેદનાને પ્રગટ કરે છે અને ગાંધીજીના આ વૈશ્વિક વ્યક્તિત્વને પામવા માટે લેખક આપણને ગાંધીજીના સમગ્ર જીવનમાંથી પસાર કરે છે, પરંતુ એમનું લક્ષ્ય સ્પષ્ટ છે – ગાંધી મહાપદના યાત્રી બન્યા છે તે માર્ગ દર્શાવવાનું. એ સિવાયની બધી જ વિગતો એમણે છોડી દીધી છે એટલે ક્ષેત્રની સ્પષ્ટ રેખાઓ દોરી આપીને એ જ દિશામાં ગતિ કરી છે.

ગાંધીજીના આ આન્તરવિકાસની ગાથાને એમણે ત્રણ વિભાગમાં આલેખી છે. પહેલો વિભાગ તે આત્મકથામાં નિરૂપાયેલ જીવનવિકાસ, બીજો દક્ષિણ આફ્રિકાનો ઘડતરકાળ અને ત્રીજો ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા પછી ગાંધીજીએ કરેલ કાર્યોમાંથી પ્રગટતા તેમના વિરાટ વ્યક્તિત્વનો. ગાંધીજીના મૃત્યુથી સર્જાતી શૂન્યાવકાશની સંવેદનાથી પુસ્તકનો પ્રારંભ કરી અંતે ગાંધી શાશ્વત સત્યના, પરમસત્યના યાત્રી હતા જેના વિચારોનો પ્રકાશ હજારો વર્ષ પછી પણ સમગ્ર વિશ્વને શાંતિ અને શ્રદ્ધા આપતો રહેશે એવી શ્રદ્ધા અને પરિતૃપ્તિ સાથે પુસ્તક પૂરું થાય છે.

જગતના કોઈ પણ મહાપુરુષ કરતાં ગાંધીજીની વિશેષતા એ છે કે એ તદ્દન સામાન્ય માણસમાંથી પોતે સભાનપણે પોતાની જાતને ઘડીને અસામાન્ય બન્યા. આત્માથી મહાત્મા સુધીની આ યાત્રા અથવા કહો કે સાધનાની રૂપરેખા એ આ પુસ્તકનો વિષય છે. લૂઈ ફિશરે ગાંધીજીના જીવન વિષે સરસ અને સાચું કહ્યું છે. “જાતે ઘડાવાની કળા” અલબત્ત આ પુસ્તકમાં તો જાતે ઘડવા પર પણ બહુ ભાર મુકાયો નથી. જે પરિબળોથી તેમનું ઘડતર થયું તેનાં દૃષ્ટાંતો આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાંથી મૂક્યાં છે પણ એ મૂકતી વખતે લેખકની જે દૃષ્ટિ છે તે ધ્યાન ખેંચે તેવી છે. દા.ત. ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કરવા માટે ગયા ત્યાં સભ્ય થવાની ઘેલછામાં ગાંધીજીએ જે જે પ્રયોગો કર્યા અને પછી છોડ્યા તે અત્યંત ટૂંકમાં દર્શાવી લેખક લખે છે : “એક પોષાકની ટાપટીપ બાદ કરતાં અન્ય કળાઓનો લોભ જતો કર્યો.” આ નિરીક્ષણ બહુ સૂચક છે.

પહેલાં ૨૨ પાનાંમાં આત્મકથાના પ્રસંગોનું આલેખન છે જેમાં ગાંધીજીના જીવનને ઘડનાર અનુકૂળ અને પ્રતિકૂળ પરિબળોનું વર્ણન છે. એ પ્રત્યેકમાંથી ગાંધીજી શું શીખે છે જે એમને મહાપદની યાત્રાએ લઈ જાય છે તેનું આલેખન છે પણ અત્યંત સીમિત છે. એ વિભાગ પૂરો કરતાં લેખક જે કહે છે તેમાં એમનું દૃષ્ટિબિંદુ કેટલું સ્પષ્ટ છે ! તેનો હજુ સામાન્ય માણસોને ખ્યાલ નથી. ઈ.સ. ૧૮૯૩માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા નીકળે છે ત્યાં પહેલા ખંડની સાધનાનું વર્ણન પૂરું કરતાં લેખક લખે છે –

“ઈ.સ. ૧૮૯૩ના એપ્રિલ માસમાં નવા મુલકની સફરે નીકળેલા ચોવીસ વર્ષના આ યુવાન બૅરિસ્ટરે જીવનની વિદ્યાપીઠ પાસે શીખી શકાય તેટલું શીખી લેવામાં આળસ કરી ન હતી. એ શિક્ષણ વર્ગખંડોમાં નહીં પણ વર્ગની બહાર પ્રકૃતિ, પુરુષ અને પરિવેશ પાસેથી મળેલું અને તેના સાર રૂપે જે સત્ય ગાંધીજીને લાધ્યું તે હતું ‘આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે.’”

ગાંધીજીએ આપેલ આ સારરૂપ તત્ત્વને પકડીને લેખક આપણને સત્યની શોધ તરફ લઈ જાય છે. આમ પહેલું પ્રકરણ એ આન્તર ઘડતરનું છે અને બીજામાં એ વ્યક્તિગત સાધનામાંથી વિસ્તરી સામાજિક જીવન સાથે સંકળાય છે તેનું આલેખન છે.

બીજા પ્રકરણનું નામ છે ‘વૈષ્ણવજન’. લેખકે દક્ષિણ આફ્રિકાની અનેક અદ્ભુત ઘટનાઓ અને ઘડતરની પણ અનેક વાતો જતી કરી છે. એમનું લક્ષ્ય છે વૈષ્ણવજન તરીકેના ગુણો ગાંધીજીના જીવનમાંથી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા તે દર્શાવવાનું, આથી, અત્યંત સંયમપૂર્વક એમણે અનેક આકર્ષક પ્રસંગો જતા કર્યા છે એ એમની વિશેષતા છે, પરંતુ ગાંધીજીના આધ્યાત્મિક વિકાસની અત્યંત ઊંચી ભૂમિકાને આલેખતા પ્રસંગોને લેખક કેમ ચૂકી ગયા હશે ? તેવો પ્રશ્ન સહેજે ઊભો થયા વિના રહેતો નથી.

દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા તે દર્શાવતાં લેખક કહે છે : “ઇતિહાસનાં પાનાંમાં અવતરતું સ્વચ્છ વ્યક્તિત્વ …” ગાંધીજીનું ઐતિહાસિક સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. એમનું પારદર્શક વ્યક્તિત્વ જગતે નિહાળી લીધું છે. એ સિદ્ધિનું તેમાં સૂચન છે.

ત્રીજો ખંડ છે ‘વડવાનલમાં ટકેલું ગુલાબ’. આ ખંડમાં હિન્દુસ્તાનમાં આવ્યા પછી ગાંધીજીએ કરેલ વિવિધ સત્યાગ્રહોની વાત છે પણ લેખકનું જે તારણ છે તે છે : “સત્યાગ્રહોએ ગાંધીની આકૃતિને નખશિખ કંડારનારા ટાંકણાનું કામ કર્યું હતું.” અને પછી લખે છે : “ગાંધીને ઘડનારાં પરિબળોના કેન્દ્રસ્થાને ઘડવૈયા રૂપે ઊભેલા છે સ્વયમેવ ગાંધી.” અહીં એમનો વિચાર લૂઈ ફિશરના વિચાર સાથે એક થાય છે અને દર્શન સ્પષ્ટ થાય છે.

ઈ.સ. ૧૯૧૬ના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ આપેલા વ્યાખ્યાનથી ૧૯૨૨માં અમદાવાદના સર્કિટ હાઉસમાં ચાલેલા કેસની ભવ્યતાને લેખકે આલેખી છે. ધીમે ધીમે વિરાટ થતું વ્યક્તિત્વ ખડું થાય છે.

ઈ.સ. ૧૯૩૧માં ગાંધી-અર્વિન સમજૂતી થયા પછી; ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજા માફ કરાવવા ગાંધી વાઇસરૉયને મળે છે તે અંગેની વિગત આપીને લેખકે ઘણા યુવાનોના મનમાં ગાંધીજી વિશે ચાલતી ગેરસમજને દૂર કરી સાચી માહિતી આપી છે. આ પ્રકરણમાં લેખકે પ્રમાણભૂત માહિતી આપવા મોટાભાગે ‘અક્ષરદેહ’માંથી અવતરણોનો આશ્રય લીધો છે જે એમને કહેવાની વાતને પુષ્ટ કરે છે.

૧૯૪૪થી ’૪૮ સુધીનો સમય જે ગાંધીજીના જીવનનો મહાભિનિષ્ક્ર્મણનો કાળ, જેમાં ગાંધીની કરુણા, એમની વેદના અને એમની આધ્યાત્મિકતા પરાકાષ્ઠાએ પહોંચે છે. તેની અહિંસાનાં અપૂર્વ પરિણામો જગત નિહાળે છે અને છતાં ગાંધીની કલ્પનાનું ચિત્ર ભૂંસાતું જાય છે તેનું આલેખન ‘પ્રેમપંથ પાળકની જ્વાળા’ એ શીર્ષક નીચે કર્યું છે.

જગતના મહાન સાહિત્યકારોએ કહ્યું છે કે જેણે જેણે માનવજાતને પ્રેમ કર્યો છે તેને માટે પાવકની જ્વાળા અનિવાર્યપણે આવે છે. પ્રોમિથિયસ બાઉન્ડની કવિતાની જાણે યાદ આપે એવી આ ઘટના છે.

ઘેરી કરુણતા, નિષ્ફળતા, વેદના, આઘાતો અને એ બધાંમાંથી મુક્ત થઈ અન્તરાત્માના અવાજને અનુસરતો, સત્યની વાટે એકલો જતો આ પ્રકાશ, વ્યક્તિ મટી વિચાર બની જતા ગાંધી, તેનું કરુણ-ભવ્ય દર્શન છે અને છેલ્લે ‘પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ એ પ્રકરણમાં ગાંધીજીના જીવનમાં સ્થૂળ સત્યના પાલનથી વિકાસ થતાં થતાં પરમ સત્ય સુધી એ પહોંચ્યા એનું આલેખન છે. વિચારના આ વિકાસમાં ‘ઈશ્વર સત્ય છે, પ્રેમ છે’ એ અનુભવથી માંડી ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ દર્શન સુધી પહોંચ્યા તેનું આલેખન છે. ઉપરાંત ગાંધીજી વિષેની કેટલીક ગેરસમજોને સ્પષ્ટ કરતી વિગતો છે જે અભ્યાસીને ઉપયોગી બને તેવી છે.

વ્યાખ્યાનમાંથી પુસ્તક બનેલ આ કૃતિમાં વાતચીતની સાહજિકતા છે તો ગ્રંથની ક્રમબદ્ધ આલેખનપદ્ધતિ પણ છે. પ્રસંગોની રોચકતા છે તેમ વિગતોના આધારો પણ છે. કેટલીક જગ્યાએ આધારો ટાંક્યા પછી તેના અનુસંધાને કરેલ નોંધમાં વિગતદોષ છે તે નિવારી શકાઈ હોત. કેટલીક સરતચૂક જે અત્યંત મહત્ત્વની છે – દા.ત. પાના નં. ૮૮ પર રાષ્ટ્રપિતા નામ વિશેની વિગતે ચર્ચા છે, પરંતુ ગાંધીજીને રાષ્ટ્રપિતા એવું સંબોધન આપનાર સુભાષચંદ્ર બોઝ હતા અને હિંસાને માર્ગે જઈ ગાંધીજીથી છૂટા પડ્યા પછી પણ એમનો એ આદર જીવનભર હતો એ વાતનો ઉલ્લેખ થયો હોત તો ઘણું સારું હતું.

એકંદરે ગાંધીજીના આન્તરવિકાસને આલેખતું – આત્માથી મહાત્મા સુધીની વિકાસયાત્રાનું આ પુસ્તક તેની સહજ સરળ અભિવ્યક્તિ, પ્રમાણભૂત આધારો, સ્પષ્ટ જીવનદૃષ્ટિ અને ગાંધીજીના ઊંડાણભર્યા અભ્યાસથી આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતીમાં ગાંધીજી વિશે લખાયેલાં અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં તેનું મહત્ત્વનું સ્થાન રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રકાશન]

Loading

...102030...2,8532,8542,8552,856...2,8602,8702,880...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved