Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો !’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|22 April 2019

 મનસુખભાઈ શાહ શનિવાર ને 20 ઍપ્રિલ 2019ના રોજ, છ્યાશી વરસને આરે, પાછા થયા અને લંડન માંહેનાં બેઠકઊઠકનાં થાનકને નામ, મારે સારુ, વધુ એક મીંડું મુકાયું. એમનો અસાંગરો તેથીતો હચમચાવી મૂકનારો સાબિત થવાનો, તે નક્કી. … વારુ, જાન્યુઆરી 2009માં મુંબઈથી પ્રકાશિત થતાં “જન્મભૂમિ-પ્રવાસી”માં અને તે પછી, “ઓપિનિયન”માં પ્રગટ થયેલો આ લેખ અહીં અંજલિરૂપે સાદર કરું છું. દોસ્ત મનસુખભાઈને મનસા-વાચા-કર્મણા વિદાય વંદના હજો ! 

°

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, જેને ભાષાશૈલી અને મિજાજની રીતે, ઝવેરચંદ મેઘાણીના કુળવારસ ઠેરવે છે, તે મસ્ત પ્રકૃતિ અને શૈલીના કવિ, કરસનદાસ માણેકનો કાવ્યસંગ્રહ, ‘રામ, તારો દીવડો !’ 1964માં પ્રગટ થયેલો. તેમાંનું આ કાવ્ય વખણાયું છે :

જીવન અંજલિ થાજો,
           મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુખિયાનાં આંસુ લ્હો’તા અંતર કદી ન ધરાજો !
                                મારું જીવન અંજલિ થાજો !

આશરે છએક દાયકાઓથી લંડનમાં વસવાટ કરતાં એક દંપતીનું જીવન અને કવન નીરખીએ તો કોઈને ય એમ થાય કે કવિ ‘વૈશંપાયન’ની આ મનીષા આ બંનેએ જીવતરમાં રગેરગ ઊતારી જાણી છે.

આ દંપતી એટલે મહાનગર લંડનના પશ્ચિમિયા ઉપનગર એજવેરમાં હાલ વસતાં દયાબહેન અને મનસુખલાલ ભગવાનજી શાહ. બીજાના મનનું સુખ વધારનારાં અને ચોમેર દયા પ્રસરાવનારાં તરીકેની બંનેની ગણના, હવે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

દયાબહેનના દાદા અમરશી ગોવારજી શાહ, સન ૧૮૬૨ના અરસામાં, વતન માંડવીથી, આફ્રિકે કમાવા ધમાવા ગયા હતા. દોઢસો ઉપરાંતના વરસો પહેલાંની એ વાત બને છે. ત્યારે ન હતાં વિમાન, કે ન હતી આગબોટ. હોડકે બેસીને બીજા અનેકોની પેઠે અમરશીભાઈ પણ રોજગારી કાજે પરદેશ સિધાવ્યા હશે. ઝાંઝીબાર ટાપુમાં આ સાહસિક માડુ આખરે ઠરીઠામ થયા. વળી, તેમનો ઘરવટ અને સંસાર પણ ત્યાં જ ઊભો થયો. અમરશીભાઈના દીકરા નારણજીભાઈ કુંવરબાઈને પરણ્યા અને તેમનું ત્રીજું સંતાન એટલે આપણા આ દયાબહેન. તેમનાથી બે મોટા ભાઈઓ અને તે પછી બીજો સાતનો વિસ્તાર. ટૂંકામાં, દયાબહેનને સંસ્કાર વારસો માંડવીથી ખસતો ખસતો ઝાંઝીબારમાંથી જ પ્રાપ્ત થયો. ત્યાં એ ઉછર્યાં અને ત્યાં જ તેમનું લાલનપાલન થયું.

બીજી પાસ, મૂળ ભૂજના વતની ભગવાનજીભાઈ શાહ ૧૮૯૯ના અરસામાં, હજુ કદાચ મૂછનો ય દોરો ફૂટ્યો નહીં હોય તેવડી ચૌદ વરસની કાચી વયે, આફ્રિકાની વાટે નીકળી પડેલા. કેન્યાના કાંઠા વિસ્તારમાં નસીબ અજમાવતા રહ્યા અને પછી દેશના કાપસા બેટ નામક પીઠપ્રદેશમાં ય નસીબ અજમાવાને સારુ આંટોફેરો કરી આવેલા, પરંતુ, છેવટે ઇતિહાસપ્રસિદ્ધ બંદરી શહેર મોમ્બાસામાં જ ઠરીઠામ થયા. ભગવાનજીભાઈએ ભચીબાઈ સાથે સંસાર માંડ્યો. અને સન ૧૯૩૩ની ૧૨ માર્ચે આપણા આ મનસુખભાઈનો મોમ્બાસા ખાતે જન્મ થયો. એમનાથી એક નાના ભાઈ શાંતિચંદ્ર શાહ. વકીલાતની સનદ્દ ધરાવતા શાંતિભાઈએ ૧૯૬૫થી કેનેડામાં વસવાટ કર્યો છે અને ત્યાં ય માનસ્થાન જમાવ્યું છે.

આફ્રિકાવાસી અનેક પરિવારોમાં બનતું આવ્યું છે તેમ, મનસુખભાઈને માધ્યમિક શિક્ષણ પછી, આગળ ભણવા, મુંબઈની પહેલાં ખાલસા અને પછી રૂઈઆ કૉલેજમાં પ્રવેશ મળેલો. થોડોક અભ્યાસ કર્યો, ન કર્યો, અને ૧૯૫૧ના અરસામાં, મુંબઈમાં માતા ભચીબાઈનું અવસાન થતાં, શિક્ષણને તિલાંજલિ આપીને પિતાની પડખે હાથવાટકો બનવાનો મનસુખભાઈને માથે જવાબદારીઓ આવી પડી. ૧૪ નવેમ્બર ૧૯૫૪ના શુભ ચોઘડિયે જંગબારી દયાબહેન અને મોમ્બાસાવાસી મનસુખભાઈ લગ્નગ્રંથિએ જોડાઈ ગયાં. પિતા ભગવાનજીભાઈનું ૧ જુલાઈ ૧૯૫૯ના રોજ દેહાવસાન થયું. અને પછી સન ૧૯૬૧ વેળા, આ દંપતીએ નસીબ અજમાવવાને સારું વિલાયતની વાટ પકડી.

આફ્રિકાના વસવાટ દરમિયાન, મનસુખભાઈ વેપારવણજમાં પાવરધા બનતા રહ્યા હતા. એમણે પ્રેમચંદ ધરમશી શાહની, જાણીતી વેપારી પેઢીનો વહીવટ કેન્યામાં રહીને નિષ્ઠાએ જમાવ્યો ય હતો. વિલાયતમાં આવ્યા બાદ, નામું લખવાનો વ્યવસાય મનસુખભાઈએ ખીલવી જાણ્યો. તેમાં એ વિકસીને જ રહ્યા. તેમાં આગળ વધતા રહ્યા અને નિવૃત્ત થયા ત્યારે લંડનમાં હિસાબનીસોની એક ખ્યાતનામ યહૂદી પેઢીમાં અગ્રગણ્ય અધિકારીપદે ય એ હતા. અનેક જાણીતા અને માનીતા શહેરીઓના માર્ગદર્શક હિસાબનીસને નાતે તેમને ઘણાને તારી ય જાણ્યા હતા.

દયાબહેન – ભત્રીજો, રવિ શાહ તથા મનસુખભાઈ શાહ

જગતને ચોક કોઈ પણ આદમીનું હોય તેવું જ આ દંપતીનું ય તદ્દન સામાન્ય જીવન. પરંતુ અજવાળું થતાંની સાથે કમળની પાંખડીઓ જેમ ખૂલવા માંડે, ખીલવા માંડે છે અને વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે, તેમ આ દંપતીનો વિકાસ આ મુલકે વૃદ્ધિ પામતો ગયો અને અનેકોને પ્રસન્ન કરતો રહ્યો. મનસુખભાઈ ધારત તો એ ખુદ ધંધોધાપો ખીલવી શક્યા હોત; પણ, ના, એમણે મનપસંદ નોકરી કરી અને બાકીનો સમય અનેક ક્ષેત્રે સમાજને પદાર્પણ કરવાનો રાખ્યો. એમણે ગુજરાતી સાહિત્યની આરંભિક સંસ્થામાં જેમ સમયદાન દીધું તેમ દિવંગત કુસુમબહેન શાહનાં વડપણ હેઠળના “ગુજરાત સમાચાર”માં લેખો લખીને, પત્રકારત્વ વાટે સમાજના સવાલોને એ સતત ગજાવતા રહેલા. પોતાના વિસ્તારની સ્થાનિક સ્વરાજ્યની સમિતિઓ પરે ય સક્રિય ફાળો આપતા રહેલા. વર્ણીય સંબંધક સંસ્થાઓમાં એમનું યોગદાન આજે પણ અનેકો સંભારે છે. મનીષ મોદી દીધો, અલ્લામા મુહમ્મદ ‘ઈકબાલ’નો એક શેર સહજ સાંભરે છે :

આફ્રીનશ સે સરાપા-નૂર તૂ, જુલ્મત હૂ મૈં
ઇસ સિયાહ-રોજી પે લેકિન તેરા હમ-કિસ્મત હૂઁ મૈં

મહાકવિ, જાણે કે, કહે છે : ‘સમયના આરંભ કાળથી, તમે જ મૂર્તિસ્વરૂપે પ્રકાશ છો. આ કમનસીબ દહાડે હું અંધકારમાં રહ્યો છું. અને છતાં, તમે અને હું એક જ નાવમાં જોડાજોડ છીએ.’ આવી આવી એ દિવસોની વસાહતીઓની પરિસ્થિતિ આ મુલકે હતી. એમાં ટટ્ટાર બનીને, પોતીકા સારુ નહીં, બલકે સમાજને સારુ, આ દંપતી ન્યાયોચિત ઝઝૂમતું રહેલું, તેમ જાણ્યું છે. પહેલવહેલાં, કેન્યામાંથી અને ત્યાર બાદ યુગાન્ડામાંથી, અનેક ભારતીયોની હકાલપટ્ટી થઈ, ત્યારે જે બહોળો વર્ગ વિલાયત ભણી આવ્યો તેમને થાળે પાડવાનાં ગંજાવર કામોમાં આ દંપતીએ પાછું વાળીને જોયું નથી. ‘યુગાન્ડા રિસેટલમેન્ટ બૉર્ડ’ના નેજા હેઠળ, સ્વયંસેવક તરીકે, નોકરીએથી પાછા ફરીને દરરોજ સાંજે, અને શનિવાર – રવિવારે, દયાબહેન અને મનસુખભાઈએ પોતાનો સારો ય ફાજલ વખત શરણાર્થીઓની છાવણીઓમાં જઈને થોકબંધ સેવાકાર્યમાં જ ગાળ્યો હતો. અનેક લોકોને માર્ગદર્શન આપવામાં અને તેમને થાળે પાડવામાં એમણે તન, મન અને ધન ખરચી જાણી સહાયતા આપી છે. આટલું કમ હોય તેમ, સરકારી સમિતિઓમાં જઈને આ લોકોની જરૂરિયાતો વિશે બેધડક ધા નાંખી છે. રેડિયો, ટીવીનાં માધ્યમ માધ્યમોનો ય એમણે ઉપયોગ કરી જાણેલો.

ધની પ્રેમ, વિષ્ણુ શર્મા, પ્રાણલાલ શેઠ, ઇન્દુબહેન શેઠ જેવાં જેવાં અનેક આગેવાનોની જોડાજોડ આ શાહ દંપતીએ પણ તે દિવસોમાં રંગ રાખેલો. કેન્યામાંનાં અનેક પરિચિતોનાં સંતાનોને ઘેર સાચવીને આ દંપતીએ ઉચ્ચ ભણતરમાં, વળી, સક્રિય સહાયટેકો ય આપ્યો છે. આવાં અનેકો સાથેનો આ દંપતીનો આજે પણ હૂંફાળો સ્નેહસંબંધ જોયોજાણ્યો છે.

રાજકારણ, અર્થકારણ, દેશાંતરગમન, રંગભેદ, વર્ણભેદ, ઓળખ અંગેના સવાલો બાબત તેમ જ ધર્મ ક્ષેત્રે પણ દયાબહેન અને મનસુખભાઈનું યોગદાન સીમિત રહ્યું નથી. આફ્રિકામાંની આપણી વસાહતના અનેક પાસાંઓ અંગેનું એમનું જ્ઞાન અમર્યાદ છે. વસાહતની ઢગલાબંધ ઇતિહાસમાન્ય વિગતમાહિતીઓ એકઠી કરીને તેનો સતત ઉપયોગ પણ કરતા રહે છે. વળી, જૈન સમાજમાં એમણે નિષ્ઠા અને જોમ સાથે જેમ અહીં કામો નિપટાવ્યાં છે અને સ્થાનમાન અંકે કર્યું છે, તેમ જગત ભરના જૈન આગેવાનો સાથે મીઠો નિજી સંબંધ કેળવતા કેળવતા નિર્ભીકપણે વિચાર માર્ગદર્શન આપ્યાં કર્યું છે. લેસ્ટરસ્થિત જૈન સમાજમાં, લંડનસ્થિત મહાવીર ફાઉન્ડેશનમાંનાં મનસુખભાઈ શાહનાં યોગદાનનો, ભલા, જોટો મળે ખરો ? પરંતુ, હવે દયાબહેન અને મનસુખભાઈ એ સ્તરેથી ય ખસી ગયાં છે તથા પાયાગત માનવીય મૂલ્યો જળવાતાં હોય તેવાં વિવિધ કામોમાં ખૂંપી ગયાં છે. બંને ખૂબ વાંચે છે, વિચારે છે અને ફાજલ સમયે મનસુખભાઈ લેખનકામ પણ કરે છે. સાંસદો સુધી સમાજની વાતો રજૂ કરવા સારુ લોકમત જગવવા સક્રિય સંપર્ક જાળવતા ય રહે છે.

હવે પાનખરે ઉજાસ બેઠો છે. હાકલ થઇ હોય અને દયાબહેન મનસુખભાઈ અદબ વાળી બેઠાં હોય તેમ આજે ય બનતું નથી. અનેકોની નબળી પળોમાં હજુ આજે ય હૂંફટેકો આપવામાં આ દંપતી હાજરાહજૂર રહ્યું છે. અને સાથોસાથ, પોતાના વિધવિધ અનુભવોનાં મીઠાં ફળોની, લગીર છવાઈ જવાની ભાવના સભાનપણે સંકોરતાં સંકોરતાં, આ દંપતી સતત લ્હાણી કરતું રહ્યું છે. એમનું જીવન આમ ખરા અર્થમાં અંજલિ રૂપ બની ગયું છે.

પાનબીડું :

In reality, there is, perhaps, no one of our natural passions so hard to subdue as pride. Disguise it, struggle with it, beat it down, stifle it, mortify it as much as one pleases, it is still alive, and will every now and then peep out and show itself; you will see it, perhaps, often in this history; for, even if I could conceive that I had completely overcome it, I should probably be proud of my humility.

—Benjamin Franklin

હકીકતમાં, આપણા સઘળા પ્રકૃતિદત્ત મનોવિકારોમાં, કદાચ, ગર્વને વશમાં રાખવાનું સૌથી આકરું છે. તેને ઢાંકી દેજો, તેને પડકારતા રહેજો, તેને મહાત કરજો, તેને ગૂંગળાવી નાંખજો, અનુકૂળ હોય ત્યાં લગી તેનું દમન કરજો, અને તે પછી ય તે જો જીવંત રહે, તેમ જ વારે ઘડિયે બહાર નીકળી આવી ડોકાયા કરે; તો તમે ઇતિહાસને પાને જોયું હશે, તે મુજબ, તમને લાગે કે મેં તેને સંપૂર્ણપણે કાબૂમાં રાખવા શક્ય તમામ પ્રયાસો કરી જોયા છે, તો પછી, જાણવું કે નિરભિમાનિતાને જ શરણે જવાનો, એક માત્ર, માર્ગ મારી સામે પડ્યો છે.

— બેન્જામિન ફ્રેન્કલિન

(૧૭૦૫ – ૧૭૯૦; અમેરિકાના એક સંસ્થાપક રાષ્ટ્ર ઘડવૈયા)

(લખાયું : ૨૨ ડિસેમ્બર ૨૦૦૮)

[સંવર્ધિત લેખ; 22 ઍપ્રિલ 2019] 

e.mail : vipoolkalyani.opinion@btinternet.com 

Loading

માણસ કેટલી હદે સુરક્ષિત રહી શકે?

દીપક સોલિયા|Opinion - Opinion|21 April 2019

ફિલ્મ ગોડફાધરમાં ઘરડો થઈ ચૂકેલો ગોડફાધર વિટો કોર્લિયોની એના દીકરા માઈકલને મરતાં પહેલાં એક અત્યંત મહત્ત્વની સલાહ આપતો જાય છે કે આપણો જે માણસ આપણા સૌથી મોટા દુશ્મન (બાર્ઝિની) તરફ્થી સમાધાનનો સંદેશો લાવે તેને ગદ્દાર જાણજે.

કરો વાત. વિટોની મુખ્ય ટીમમાં બધા સભ્યો વર્ષો જૂના વફાદારો જ હતા. એમાંના કોઈ એક વફાદારને સંદેશવાહક બનાવીને દુશ્મન સુલેહ-સંદેશ પાઠવે તો પેલો વફાદાર ગદ્દાર થઈ જાય?

હા, કારણ કે જમાનાનો ખાધેલ અને અત્યંત વિચક્ષણ એવો વિટો કોર્લિયોની જે દેખાય તેનાથી સાવ ઊંધું વિચારી જોવાની કળાનો માસ્ટર હતો. એ દેખાવ પાછળની સચ્ચાઈ અને રૂપની પાછળનું સ્વરૂપ જોઈ શકતો હતો. આ માસ્ટરી સૌએ કેળવવા જેવી છે. એ કામ અઘરું નથી. કરવાનું આટલું જ છેઃ સાવ જ ઊંધું વિચારી જોવાનું.

જેમ કે, ચારે તરફ જો એવી બૂમરાણ સંભળાય કે ઉજાલા હૈ … ઉજાલા હૈ … તો એક વાર આંખ ખોલીને ચેક કરી લેવાનું કે ક્યાંક અંધારું તો નથી ને … કોઈ ધર્મગુરુ એવી વાત કરે કે હું આપણા ધરમ પરનો ખતરો ઘટાડીશ, ત્યારે વિચારી જોવું કે એ મુલ્લાજી-બાવાજી-પાદરીજી ક્યાંક ધરમ પર ખતરો વધારી તો નથી રહ્યા ને … કોઈ પણ પક્ષના નેતાજી જો એવું કહે કે હું દેશનું ભલું કરીશ ત્યારે બે ઘડી વિચારી જોવું કે નેતાજી દેશને ખાડે નાખે એવા તો નથી ને … કોઈ ગરીબી દૂર કરવાની વાત કરે ત્યારે એ જોઈ લેવું કે એને ગરીબી ટકાવી રાખવામાં તો રસ નથી ને … કોઈ માણસ તમારો ઉદ્ધાર કરવાની વાત કરે ત્યારે એવું વિચારી જોવું કે એ માણસ કોના ઉદ્ધાર માટે વધુ મથી રહ્યો છે, તમારા કે એના પોતાના?

ટૂંકમાં, એક વાર ઊંધેથી વિચારી જોવું.

અત્યારની ચૂંટણીની વાત કરીએ તો એમાં સૌથી વધુ ગાજેલો મુદ્દો સુરક્ષાનો છે. આવામાં, સુરક્ષાના મુદ્દે પણ એક વાર ઊંધું વિચારી જોવા જેવું ખરું કે શું અસલમાં સુરક્ષા જેવું ક્યાં ય કશું હોય છે ખરું?

મોત ગમે ત્યારે, ગમે તેને ઝપટમાં લઈ શકે છે. ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી … કોઈ ને કોઈ અસુરક્ષા લગભગ બધા જ લોકોને સતાવતી હોય છે. જેમ કે, આતંકીઓ મન ફવે ત્યારે બોમ્બ ફેડશે તો? બાપાની સંપત્તિ ભાઈ હડપ કરી જશે તો? ઓફ્સિમાં મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું હશે તો? મારો પતિ સૌતનના પડખામાં ભરાઈ જશે તો? મને બગલમાં થયેલી ગાંઠ કેન્સરની હશે તો? હું વાર કરું તે પહેલાં દુશ્મન મારા પર વાર કરી લેશે તો?

ટૂંકમાં, અસુરક્ષા એટલી અપરંપાર છે કે શાયર ફિરાક ગોરખપુરીએ હાથ ઊંચા કરી દેતાં કહેલું,

મૌત કા ભી ઇલાજ હો શાયદ,
ઝિંદગી કા કોઈ ઇલાજ નહીં.

માધવ ક્યાં ય નથી મધુવનમાં, એમ સુરક્ષા ક્યાં ય નથી જીવનમાં. જે છે તે છે ફ્ક્ત અસુરક્ષા. એ પણ પાછી બે પ્રકારનીઃ વાસ્તવિક અને માનસિક. વાસ્તવિક અસુરક્ષા પૃથ્વી પરની હવા જેવી છે. એ બધે જ હોય. જંગલમાં હરણાં કઈ ઘડીએ વાઘનો કોળિયો બની જાય એ નક્કી ન હોય અને એ હરણને ખાનારો વાઘ પોતે પણ અસુરક્ષિત હોય, કેમ કે વાઘ ફ્લ્ટિર્ડ પાણી પીતો નથી અને જેના પર માખીઓ બણબણતી હોય એવું ઉઘાડું માંસ ખાય છે તથા કોઈ દિવસ બ્રશ કરતો નથી. એટલે એને ગમે ત્યારે કોઈ રોગનો ચેપ લાગી શકે અને એન્ટિબાયોટિક્સની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાને કારણે રિબાઈ રિબાઈને મરી શકે છે. છતાં, રોગોની સંભાવના તથા પ્રકૃતિનાં ઠંડી-ગરમી-વરસાદનાં આક્રમણો વચ્ચે એ વાઘ જંગલમાં ચોતરફ ગુંજતા મોતની અસુરક્ષા વચ્ચે પોતાની મસ્તીમાં જીવે છે. તો શું આપણે માણસો અસુરક્ષા વચાળે હરણ-વાઘની જેમ ભાર વિના જીવી ન શકીએ? ના, યે ન થી હમારી કિસ્મત … આપણને વાસ્તવિક ઉપરાંત પેલી બીજા પ્રકારની, માનસિક પ્રકારની અસુરક્ષા કનડતી હોય છે.

આ માનસિક અસુરક્ષા કમાલની હોય છે. એ અસુરક્ષાનો તો જન્મ જ સુરક્ષા માટેની ઇચ્છામાંથી થતો હોય છે. મારો દેશ એકદમ સુરક્ષિત હોવો જોઈએ … મારો પતિ ફ્ક્ત મારામાં જ ડૂબેલો રહેવો જોઈએ … આવી બધી ઇચ્છાઓ પહેલી નજરે એકદમ સ્વાભાવિક અને વાજબી લાગે તો પણ સમજવા જેવું એ છે સુરક્ષાની સ્વાભાવિક ઇચ્છા જ્યારે રઘવાટનું રૂપ ધરે છે ત્યારે તેમાંથી અસુરક્ષા જન્મે છે અને પછી એ જ અસુરક્ષાની લાગણીના પેટમાંથી ભય, ઇર્ષ્યા, હિંસા વગેરે જન્મે છે. એ ભય-ઇર્ષ્યા-હિંસા વકરે ત્યારે સુરક્ષા માટેનો રઘવાટ બળવત્તર બને છે અને સુરક્ષા માટેના રઘવાટમાંથી પા છી અસુરક્ષા જન્મે છે.

આ ચક્ર તૂટે કઈ રીતે? પોતાની પૂંછડી મોઢામાં નાખતા સાપ જેવું આ વર્તુળ છે. જો સાપ પૂંછડી છોડી દે તો વર્તુળ વિખરાઈ જાય, પણ સાપ પૂંછડી છોડે કઈ રીતે?

આ સવાલનો જવાબ ન જડે તો, લેખના આરંભે કહ્યું છે તેમ, ફરી ઊંધું વિચારી જોવું.

જેમ કે, આપણે સાવ જ અસુરક્ષિત છીએ એના સામેના છેડાનો વિચાર કયો હોઈ શકે?

એ જ કે આપણે એકદમ સુરક્ષિત છીએ.

હા, ખરેખર આપણે સુરક્ષિત છીએ. ચારે બાજુએથી સુરક્ષિત છીએ. ઉપર જુઓ તો ઉપરવાળો આપણી રક્ષા કરે છે. સરહદે નજર કરો ત્યાં દેશની મજબૂત સેના બેઠી છે. શરીરની અંદર નજર કરો તો આપણી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ આપણી સુરક્ષા માટે હંમેશાં તૈયાર હોય છે. જે કુદરત માણસને ગમે ત્યારે ખતમ કરી નાખે છે એ જ કુદરત માણસને ખતમ કરતાં પહેલાં પ્રત્યેક પળે તેની સુરક્ષાની ગજબની કાળજી પણ લે છે. આપણા શરીરમાં ઉપસ્થિત અબજો બેક્ટેરિયા શરીરને ખતમ ન કરી નાખે એટલા માટે કુદરતે ભલભલા શાકાહારીના શરીરમાં પણ બેક્ટેરિયાની મોટા પાયે હત્યા કરવાની જવાબદારી નિભાવતા શ્વેતકણો તથા એન્ટિજન-એન્ટિબોડીનું મિકેનિઝમ ગોઠવ્યું છે. આ ઉપરાંત હવામાંના ઓક્સિજનથી માંડીને બીજી એવી અસંખ્ય બાબતો છે જે આપણને જીવતા રાખે છે, સુરક્ષિત રાખે છે…

એક તરફ, કુદરત પળેપળ આપણને સુરક્ષિત રાખવામાં કોઈ કચાશ નથી છોડતી અને બીજી તરફ, એ જ કુદરત કોઈ પ્રાકૃતિક આફત કે રોગ કે અકસ્માત કે યુદ્ધ વડે માણસને ગમે તે ઘડીએ ઉઠાવી પણ લે છે. યમરાજ ગમે ત્યારે સુરક્ષાનું કવચ ભેદીને આપણને ઉઠાવી શકે છે એ વાત સાચી, પણ યમરાજ આપણને ઉઠાવી જાય તે પહેલાં દાયકાઓ સુધી આપણે સુરક્ષિત કવચમાં જીવતાં રહીએ છીએ તેનું શું?

તો, બે સચ્ચાઈ થઈ …

૧) આપણે સાવ અસુરક્ષિત છીએ.

૨) આપણે એકદમ સુરક્ષિત છીએ.

આવી સામસામેના છેડાની સચ્ચાઈઓ વચ્ચે માનવજાત જીવતી હતી, જીવે છે, જીવતી રહેશે.

માટે, ઝાઝી ચિંતા કરવી નહીં. સુરક્ષાના મામલે બહુ ઊંચાનીચા થવું નહીં.

ડોન્ટ વરી, બી હેપી.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019

Loading

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બની જજો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬૪ પક્ષોએ ભાગ લીધો હતો. આમાંથી ચૂંટણી પંચે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા છ પક્ષો છે, ચૂંટણી પંચે જેને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા ૩૯ પક્ષો છે અને બાકીના નોંધયેલા પક્ષો છે, પણ માન્યતાપ્રાપ્ત પક્ષો નથી. આનો અર્થ એ થયો કે એવા પક્ષો ચૂંટણીની બાબતમાં ગંભીર નથી અને ચૂંટણી પંચની માન્યતા મેળવવા જેટલા મત મેળવી શકતા નથી. આમ છતાં એવા પક્ષો દરેક ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જે પક્ષો નોંધાયેલા નથી એને ઉમેરો તો ભારતમાં ૨,૨૯૩ પક્ષો છે. આમાંથી ૧૪૯ પક્ષો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયા છે.

જે દેશમાં ૨,૨૯૩ પક્ષો હોય, ૪૧૯ પક્ષો કોઈ પણ પ્રકારની ગંભીરતા વિના, એટલે કે જીતવાના કોઈ ઈરાદા વિના ચૂંટણી લડતા હોય અને ૧૪૯ પક્ષો ચૂંટણીની પૂર્વસંધ્યાએ માત્ર દોઢ મહિનામાં નવા રચાતા હોય અને રજીસ્ટર્ડ થતા હોય તો અબૂધ માણસ પણ સમજી શકશે કે આમાં કોઈક ગોલમાલ ચાલે છે. ચૂંટણી પંચે છેલ્લા દાયકાઓમાં અનેક વાર કહ્યું છે કે આપણી ચૂંટણી પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. પ્લીઝ, કાંઇક કરો, પણ આપણા શાસકો ટાઢા ડીલે બેઠા છે અને કોઈ કહેતા કોઈ કાંઈ કરતું નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાનાં વચનો આપતા હતા ત્યારે તેમને એટલી તો જાણ હશે જ કે રામરાજ્યનો રસ્તો ક્યાંથી પસાર થાય છે.

જગતમાં ગર્વ લઈ શકાય એવા દેશનું નિર્માણ કરવું હોય તો શું શું કરવું જોઈએ અને કેટલી ખામીઓ દૂર કરવી જોઈએ એની જાણ નવનિર્માણના દાવા કરનારા શાસકને હોવી જોઈએ. પાછી આમાં કોઈ વિશેષ મહેનત પણ કરવી પડે એમ નથી. કાયદાપંચે કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે અને કયા કાયદા નાબૂદ કરવાની જરૂર છે એ કહ્યું છે. ચૂંટણીપંચે અને બીજા અભ્યાસકોએ ચૂંટણીકીય સુધારાઓની ભલામણો કરી છે. નાણાપંચે નાણાકીય બાબતો વિષે, વહીવટી સુધાર પંચે વહીવટી બાબતો વિષે, સરકારિયા પંચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વિષે એમ જુદા જુદા અભ્યાસપંચોએ બીમારીઓનું નિદાન અને ઈલાજો આ પહેલાં જ બતાવી દીધા છે. ભારતમાં એવી એક પણ બીમારી નથી જે અજાણી હોય, જેની પંચો અને સમિતિઓ દ્વારા તપાસ ન થઈ હોય, ઈલાજો બતાવવામાં આવ્યા ન હોય અને રાષ્ટ્રીય સ્તરે તેના વિષે આમુલાગ્ર ચર્ચા ન થઈ હોય. આય રિપીટ એક પણ બીમારી અજાણી નથી.

દાયકાઓથી બીમારીની જાણ છે, તેનાં સ્વરૂપની જાણ છે, તેનાં કારણોની જાણ છે, ઈલાજની જાણ છે; તો કાંઈ કરવામાં કેમ નથી આવતું? મેં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારતને અંદરથી કોરી રહેલી અને ચીન અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને પાછળ રાખનારી બીમારીઓનો ઈલાજ હાથ ધરે તો સમજવું કે તે પ્રામાણિક માણસ છે, ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને સાચો દેશભક્ત છે અને જો એમ ન કરે તો માનવું કે તેમનો ઈરાદો સત્તા ભોગવવાનો અને હિન્દુત્વનો છે.

માત્ર નરેન્દ્ર મોદી શા માટે? તેમના પહેલાના અને તેમની પછીના શાસકોને પણ આ એક માત્ર એરણે ચકાસવા જોઈએ. આવતા મહિને નરેન્દ્ર મોદીની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ વડા પ્રધાન બને (અને એવી શક્યતા નજરે પડે છે) તો એ વ્યક્તિને પણ આ જ એરણે ચકાસજો. ‘ભાઈ, વાતો તો મોટી મોટી કરી, હવે વ્યવસ્થામાં ક્યારે સુધારા કરો છો? બીમારીનો ઈલાજ ક્યારથી શરૂ કરો છો? તમને માર્ગદર્શન જોઈતું હોય તો તમારા મંત્રાલયમાંના બાબુને પૂછી જુઓ, તે દરેક બીમારી વિશેના રિપોર્ટ અને ઈલાજના પ્રિસ્ક્રીપ્શનો તમારી સામે ધરી દેશે. તેના વિષે જાણકારોએ કરેલી ચર્ચાના તારણો પણ ઉપલબ્ધ છે. દરેકે દરેક સમસ્યા સમજાઈ ચૂકી છે, એટલે બતાવો સાહેબ, કામે ક્યારે વળગો છો?’ જો એ કાંઈ ન કરે તો અને તેની જગ્યાએ ન કરવાના કામ કરે અથવા ગલ્લાતલ્લા કરે તો એ માણસને દરવાજો બતાવી દેજો.

વૈદકશાસ્ત્રની પરિભાષામાં બીમારીઓ ક્રોનિક છે. આટલા બધા રાજકીય પક્ષો એટલા માટે છે કે તેના સ્થાપકોને ખબર છે કે ચૂંટણીપ્રક્રિયામાં ખામી છે એટલે તેનો દુરુપયોગ કરી શકાય છે અને વળી કોઈ જો અદાલતમાં લઈ જાય તો ક્યાં બે દાયકા સુધી ચુકાદો આવવાનો છે. ત્યાં સુધીમાં તો આપણે બધું ભોગવીને ઉપર જતા રહીશું. આ જે નિર્લજ્જતાજન્ય હિંમત છે એ વ્યવસ્થામાં રહેલી ખામીમાંથી આવે છે. કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હોય ત્યારે નીચ માણસોની હિંમત વધી જતી હોય છે અને નિર્લજ્જ બની જતા હોય છે.

આપણને એવા શાસકની જરૂર છે જેનામાં કોઈનો વાળ વાંકો કરવાની ત્રેવડ હોય. નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જો તેમના કાર્યકાળમાં કોઈનો વાળ વાંકો કર્યો હોય, વ્યવસ્થામાં સુધારા કર્યા હોય, બીમારીઓનો ઈલાજ કર્યો હોય તો તેમને બીજી વાર મત આપીને વડા પ્રધાન બનાવવા જોઈએ. મત ન આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. પરંતુ જો એવું કાંઈ ન કર્યું હોય અને ગરીબ-સામાન્ય માણસની હાલાકીમાં વધારો થયો હોય તો તેમને દરવાજો બતાવી દેવો જોઈએ. એક બીજો માપદંડ પણ ઉપયોગમાં લેવો જોઈએ. સત્તાને અને ભયને સંબંધ છે એટલે તો સત્તા સામે શાણપણ ન ચાલે એવી આપણે ત્યાં કહેવત છે. નાગરિકની અંદર ભયમાં વધારો કરનારા શાસકોને પણ જાકારો આપવો જોઈએ.

આ બે માપદંડોના આધારે ભારતના નાગરિકોએ નરેન્દ્ર મોદીના શાસનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બે માપદંડોના આધારે જ આવનારા શાસકોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. આપણને કૉન્ગ્રેસ ગમે છે માટે રાહુલ ગાંધીની નિષ્ફળતા માફ, આપણે મરાઠી છીએ એટલે નીતિન ગડકરી કે શરદ પવારની નિષ્ફળતા માફ, આપણે બંગાળી છીએ એટલે મમતા બેનર્જીની નિષ્ફળતા માફ એમ ઓળખના ધોરણે શાસકોનો બચાવ કરશો તો તેઓ તો સત્તા ભોગવીને જતા રહેશે, તમે હતા ત્યાંને ત્યાં જ રહેશો.

આપણે ત્યાં રાજકીય પક્ષો અને નેતાઓ ઓળખનું રાજકારણ કરીને સત્તા સુધી પહોંચે છે અને પછી એ ઓળખના નામે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. હું તો ઝોળી લઈને જતો રહીશ પણ … હિંદુઓનું/મરાઠાઓનું/દ્રવિડોનું/બ્રાહ્મણોનું કે દલિતોનું રાજ જશે એવું જે તે સમાજવિશેષના નેતાએ કહ્યું કે તરત એ સમાજવિશેષના લોકો નિષ્ફળ શાસકને બચાવવા નીકળી પડે છે. આવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે જે ઓળખ સાથે જીવવું હોય એ ઓળખ સાથે જીવો, પણ કમસે કમ શાસકને મૂલવવાનું અને મત આપવાનું કામ ભારતના નાગરિક બનીને કરો.

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બહુ અઘરું કામ નથી અને જો કાયમ માટે નાગરિક બની શકતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું હોય! તમે જે દિવસે નાગરિક બનશો એ દિવસે બીમારીઓનો ઈલાજ થવા લાગશે. કારણ કે તમે તેમને પાંચ પાંચ વરસે તગેડી મૂકશો એટલું જ નહીં, રસ્તા પર ઊતરશો, અદાલતના દરવાજા ખખડાવશો, તેમની સાથે ચર્ચામાં ઊતરશો વગેરે. એક દિવસે તેમને સમજાઈ જશે કે ઝોળો લઈને જતા રહેવાનો ડર હું શું બતાવવાનો હતો, નાગરિકો પોતે જ ઝોળો પકડાવતા થઈ ગયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8522,8532,8542,855...2,8602,8702,880...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved