Opinion Magazine
Number of visits: 9578131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાતા તરીકેની પવિત્ર ફરજ સમજશો તો લોકશાહીની પવિત્રતા જળવાશે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 March 2019

૧૭મી લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. લોકસભાની ચૂંટણી સાથે ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની છે. એ રાજ્યો છે : આંધ્રપ્રદેશ, ઓડીશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પણ યોજવી પડે એમ છે, પરંતુ ચૂંટણી પંચે સલામતીના કારણોસર લોકસભાની ચૂંટણી પછી અલગથી યોજવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજવાની છે અને મતગણતરી ૨૩મી મેએ થશે.

ચૂંટણી પંચના વડા સુનીલ અરોરાએ ચૂંટણીને ‘લોકતંત્રના મહોત્સવ’ તરીકે ઓળખાવી છે. એક રીતે તેમની વાત સાચી છે, પરંતુ ચૂંટણીને લોકતંત્ર માનીને બેસી રહેવા જેવું નથી. જો કલેવરને જ ઉજવવા માંડીશું તો લોકતંત્રના આત્માની ક્યારે ય ઓળખ જ નહીં થાય. બીજું, રાજકીય પક્ષોને આટલું જ જોઈએ. કલેવરને આત્મા માની લો અને ભ્રમમાં જીવો. લોકતંત્રના આત્માની આરાધના કરવાની જવાબદારી આપણી છે અને તેમાં આપણો સ્વાર્થ પણ છે. શાસકોનો સ્વાર્થ કલેવરની આરાધના કરાવવામાં છે.

યોજાઈ રહેલી ચૂંટણીમાં ભારતમાં ૯૦ કરોડ મતદાતાઓ મત આપવાનો અધિકાર ધરાવે છે. અમેરિકામાં મત આપવાનો અધિકાર ધરાવનારા નાગરિકોની સંખ્યા ૨૩ કરોડ ૫૦ લાખ છે. બ્રિટનમાં મતદાતાઓની સંખ્યા માત્ર ચાર કરોડ ૬૦ લાખની છે. જર્મનીમાં મત આપવાનો અધિકાર ધરાવનારા નાગરિકોની સંખ્યા છ કરોડ છે. ટૂંકમાં અમેરિકા સહિત જગતના અંદાજે પંદર લોકશાહી દેશોની ચૂંટણી એક તરફ અને ભારતની ચૂંટણી એક તરફ. છેલ્લાં પાંચ વરસમાં ભારતમાં દોઢ કરોડ નવા મતદાતા ઉમેરાયા છે. આમ જો પોરસાવું જ હોય તો હજુ વધુ આંકડા આપી શકાય એમ છે અને પોરસાવા માટે કારણો પણ છે; પરંતુ એટલું પૂરતું નથી.

ભારતની લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી ૨૫મી ઑક્ટોબર ૧૯૫૧થી લઈને ૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨ વચ્ચે ૬૮ તબક્કામાં યોજવામાં આવી હતી. આનું કારણ એ હતું કે ત્યારે ગ્રામીણ ભારતમાં સરખા રસ્તાઓ નહોતા એટલે ચૂંટણી માટેની સામગ્રી (મતપેટી વગેરે) પહોંચાડવામાં મુશ્કેલી આવતી હતી અને ભારતનો સંકલ્પ હતો કે દેશનો એક પણ નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહેવો જોઈએ. કોઈ એમ ન કહે કે મારે મત આપવો હતો, પરંતુ મારા ગામ સુધી લોકતંત્ર નહોતું પહોંચ્યું એટલે મત નહોતો આપી શક્યો. આંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ નિર્ધારિત દિવસે ચૂંટણી યોજવામાં આવી હતી. હું એમ ખાતરીપૂર્વક કહી શકું છું કે ભાગ્યે જ ત્યારે કોઈએ ફરિયાદ કરી હશે કે તેમના ગામ સુધી લોકતંત્ર નહોતું પહોંચ્યું.

ભારત લોકતંત્ર અપનાવી શકશે, અપનાવી શકશે તો વ્યવહારમાં ઉતારી શકશે, ઉતારી શકશે તો લાંબો વખત જાળવી શકશે અને જાળવી પણ શકશે તો ખરા લોકતંત્રને મૂર્તિમંત કરી શકશે કે કેમ એ વિષે જગતના દેશોને શંકા હતી. એ શંકા વાજબી હતી. આવડો મોટો દેશ, ૩૬ કરોડની વસ્તી, ૧૭ કરોડ ૬૦ લાખ મતદાતા, એ પણ મોટી સંખ્યામાં ગરીબ અને અભણ, પાછા નાત-જાત અને બીજી અનેક પ્રકારની વિવિધતાઓમાં વહેંચાયેલા, કોઈ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે નહીં, પરંપરાગત જૂનવાણી માણસ, અમુક પ્રદેશોમાં સામંતી સમાજવ્યવસ્થા વગેરે જોતાં ભારતે પ્રજાને પુખ્ત મતદાનનો સાર્વત્રિક અધિકાર આપીને ભૂલ કરી છે એમ પશ્ચિમના કેટલાક વિદ્વાનો માનતા હતા. તેમને ભારત માટે કોઈ દ્વેષ નહોતો, ખૂબ ઊંડો સદ્ભાવ હતો અને માટે તેઓ એમ માનતા હતા કે ભારતે ચાવી શકવાની ક્ષમતા કરતાં વધારે પડતો મોટો કોળિયો મોંમાં નાખ્યો છે.

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એવું પણ એક સૂચન આવ્યું હતું કે ભારતે મતદાનની લાયકાત ધીરે-ધીરે વધારતા જવી જોઈએ. જેમ જેમ પ્રજા શિક્ષિત થતી જાય એમ મતદાનનો અધિકાર મેળવતા જાય. એ દરમિયાન ભારતમાં વિકાસ પણ થતો જાય. મોટો ભૂસકો મારવા કરતાં ધીરે-ધીરે ચાલવામાં ભારતનું હિત છે. તેમની બીજી ખેવના એ હતી કે જો ભારતમાં લોકતંત્રનો પ્રયોગ સફળ થશે તો જગતના બીજા સ્વતંત્ર થયેલા કે થઈ રહેલા ગરીબ દેશો પણ લોકતંત્રનો માર્ગ અપનાવતા થશે. આ સારુ પણ ભારતે મોટું સાહસ ન કરવું જોઈએ. ભારતની નિષ્ફળતા લોકતંત્રના સ્વીકારને અવરોધશે.

પણ ભારતનો નિયતિ સાથેનો કરાર હતો. ભારતનો કોઈ નાગરિક લોકશાહી અધિકારથી વંચિત ન રહેવો જોઈએ અને ભારતનાં પ્રત્યેક ઝૂંપડા સુધી લોકતંત્ર પહોંચવું જોઈએ. ૧૯૫૧-૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણી ભારત માટે ખરેખર એક પ્રકારનું ગજાબહારનું સાહસ હતું. પણ નિયતિ સાથેનો કરાર હતો એટલે પાછા ફરવાનું નહોતું. બંધારણે ભારતના પ્રત્યેક નાગરિકને મૂળભૂત નાગરિક અધિકારો આપ્યા છે, અને તે સુરક્ષિત રહે એ માટેની વ્યવસ્થા પણ કરી આપી છે. ભારતે પહેલી સામાન્ય ચૂંટણીમાં – ભલે ચાર મહિના જેટલી લાંબી અવધિમાં અને ૬૮ તબક્કામાં – ચૂંટણી યોજીને લોકતંત્રને દેશના પ્રત્યેક દરવાજે પહોંચાડ્યું.

આની ગંભીરતા સમજાય છે? આની પવિત્રતા સમજાય છે? સંકલ્પ ને સંકલ્પસિદ્ધિ શું હોય એ સમજાય છે? લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતા કેવી હોય એ સમજાય છે? જો એ સમયના શાસકોએ વચન ન પાળ્યું હોત તો કોણ તેમનું બગાડી શકવાનું હતું? એક માત્ર ભારતનો અપવાદ છોડીને જગતમાં દરેક દેશમાં આઝાદી અપાવનારી પહેલી પેઢીએ વચન પાળ્યાં નહોતાં. એ પછી એ દેશો લોકતંત્ર ગુમાવતા ગયા તે આજ ‘દી સુધી મેળ પડ્યો નથી. જો લોકતંત્રને ભારતના પ્રત્યેક દરવાજે અને નાગરિક અધિકાર ભારતના પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવામાં ન આવ્યા હોત તો કૉંગ્રેસ આજે પણ તેના ગમે તેટલા ભ્રષ્ટ સ્વરૂપમાં રાજ કરતી હોત. અથવા લશ્કરી રાજ હોત.

સત્ય એ છે કે આજે ભારતના સરેરાશ નાગરિકને તેને આંગણે લોકતંત્રને પહોંચાડવામાં આવ્યું અને તેના અધિકારો સુરક્ષિત કરી આપવામાં આવ્યા તેની ગંભીરતા સમજાતી નથી, તેની પવિત્રતા સમજાતી નથી અને સંકલ્પ તેમ જ સંકલ્પસિદ્ધિનું મૂલ્ય પણ સમજાતું નથી. ૧૯૫૧માં અભણ બાપ-દાદાઓ જેટલી સમજ ધરાવતા હતા એટલી સમજ આજનો ભણેલો ગણેલો નાગરિક નથી ધરાવતો.

આમ થવાનું કારણ? બહુ સીધું છે. એ સમયે મહાત્મા ગાંધીએ, આઝાદી માટેના આંદોલને અને પહેલી પેઢીના કૉંગ્રેસીઓએ પ્રત્યેક ભારતવાસીને શુદ્ધ અર્થમાં ભારતીય બનાવ્યો હતો. તેની બીજી ઓળખો હાંસિયામાં હતી. આજે ભારતનો સરરાશ નાગરિક હિંદુ છે, પટેલ છે, બ્રાહ્મણ છે, દલિત છે, આર્ય છે, દ્રવિડ છે, ગુજરાતી છે, મરાઠી છે, બીજું કાંઈ પણ છે; પરંતુ ભારતીય નથી. ઉપરથી તે પોતાને સમજદાર અને સવાયો દેશભક્ત સમજે છે. તેને એટલું પણ નથી સમજાતું કે તેને વિરાટ ભારતીયમાંથી હિંદુ, મુસલમાન, મરાઠા કે બીજું જે કાંઈ હોય તે ઘડીને વામન બનાવવામાં આવી રહ્યો છે. માટીનો વિરાટ પીંડ હોંશેહોંશે કદ ઘટાડીને કોડિયું બની રહ્યો છે અને પાછો સ્માર્ટ હોવા માટે પોતાની પીઠ થપથપાવે છે. હદ તો એ વાતની છે કે વિરાટ બનાવવાનું પાપ કરવા માટે ગાંધીજીને ગાળો આપવામાં આવે છે.

હવે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાતાને મારી ત્રણ સલાહ છે : એક તો સોશ્યલ મીડિયા પર ગાળાગાળી કરીને હાંફી ગયા હો તો આ લોકતંત્રના પવિત્ર અવસરે શાંત થાવ. પોરો ખાવ. બીજી સલાહ એ છે કે મતદાનના દિવસે માત્ર અને માત્ર ભારતીય બનો. હિંદુ છું માટે અધિકૃત ભારતીય છું એમ નહીં, પરંતુ અધિકૃત ભારતીય છું અને સાથે હિંદુ પણ છું. વિચારી જોજો, સરવાળે દેશને અને અંગત રીતે તમને ફાયદો થશે એની ગેરંટી. અન્યથા નુકસાનની પણ ગેરંટી. બીજી સલાહ એ છે કે આપણા બાપ-દાદાઓએ નિયતિ સાથે કરેલા કોલની પવિત્રતા, તેની ગંભીરતા અને સંકલ્પસિદ્ધિની રોમાંચકતા વિષે વિચારો. જો એ વિષે વિચારશો તો કોડિયામાંથી વિરાટ પ્રકાશપુંજ બનશો એની હજી વધુ ગેરંટી. વિરાટ બની શકાય એ માટેનો પીંડ પ્રાચીન ઋષિઓ, બુદ્ધ, મહાવીર, મધ્યકાલીન સંતો, ગાંધીજી અને પશ્ચિમના દાર્શનિકો આપતા ગયા છે.

13 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 માર્ચ 2019

Loading

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 March 2019

હૈયાને દરબાર

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું
વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું
પરંતુ રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું
પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું
ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સંન્યાસયોગ,
વચ્ચે આ કમલ’નું અમથું અમથું અટવાવવું

• સ્વર : રૂપકુમાર રાઠોડ • સંગીત : પં. શિવકુમાર શર્મા • કવિ : કમલેશ સોનાવાલા

https://www.youtube.com/watch?v=pcvW4sSFTLo

————————–

ફોરમતો, હિલ્લોળતો, મદમાતો ફાગણ મહિનો બેસી ગયો છે. બાગ-બગીચામાં વનરાઈની લીલી મેદની જામી રહી છે. વેલીઓ પર ઝૂલતી લાલચટ્ટક સ્ટ્રોબેરીઝ, કેસરિયાળી પારિજાત, રંગબેરંગી બોગનવેલિયા અને આમ્રમંજરી વચ્ચેનો સત્સંગ નિરાંતની પળોમાં જોતાંવેંત જ તાજગી અનુભવાય છે. કોયલે ઋતુરાજ વસંતની છડી પોકારવા પંચમ સૂરે ટહુકવાનું શરૂ કરી દીધું છે. નવરાઈ અને વનરાઈ વચ્ચેની ગુફ્તેગોમાંથી સરકીને એક ગઝલ મનની કુંજગલીમાં રંગ જમાવે છે :

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું

ખૂબ કર્ણપ્રિય અને સરળ સ્વરાંકન ધરાવતી આ ગઝલે મન ઉપર કબજો લઈ લીધો છે. વાસંતી વાયરા સાથે ગીત-સંગીતની તાજગી રોમાંચિત કરી રહી છે. આ ગઝલમાં ‘વચ્ચે’ શબ્દ આવે છે એ બહુ સૂચક અને અર્થસભર છે.

લહેરાતાં પુષ્પો અને કોયલની સરગમ વચ્ચે ભમરાની જેમ શાયરનું મંડરાવું, રૂપલે મઢેલી રાતે કોઈને યાદ કરી ઝીણું મલકાતાં વચ્ચે શમણાંને પંપાળવું, મહોબ્બતની મંઝિલમાં એકાદ હૈયાનું વચ્ચે જરાક નંદવાઈ જવું … જેવી નાજુક કલ્પનાઓમાં ‘વચ્ચે’ શબ્દથી ગઝલનો ભાવ આખો બદલાઈ જાય છે. છેલ્લે તો કવિએ ગીતાના ઉપદેશ, અર્જુનના વિષાદયોગ અને સંન્યસ્તયોગની વાત દ્વારા મનુષ્યજાતનું જગતની આ ભવાટવિમાં અટવાવવું કહીને રોમેન્ટિક ગઝલને આધ્યાત્મિક ઊંચાઈ આપી છે. સંગીત દ્વારા પણ એ ઊંચાઈ સરસ અભિવ્યક્ત થઈ છે. છેલ્લા શેરમાં વાંસળીના સૂરની મધુરતા સાથે ગઝલનો મૂડ અને ટ્યુન રાગ બૈરાગીના સૂર સાથે સાવ બદલાઈ જાય છે, જે આપણને એવી ગેબી દુનિયામાં લઈ જાય છે જ્યાં છે ફક્ત વિરક્તિનો ભાવ. વૈરાગ્યભાવ જગાવતા બૈરાગી રાગનો પ્રયોગ પણ સંગીતકારની સૂક્ષ્મ કલાદ્રષ્ટિ દર્શાવે છે.

ઉરનાં ઊંડાણમાં ગૂંથાઈ જાય એવી આ ગઝલ સાંભળ્યાં બાદ ખબર પડે છે કે આ ગઝલ બીજું કોઈ નહીં, પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીતના સુપ્રસિદ્ધ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માએ સ્વરબદ્ધ કરી છે અને પાર્શ્વગાયનના અદના કલાકાર રૂપકુમાર રાઠોડે ગાઈ છે. પછી તો કાનને વધારે જલસો પડે. પંડિત શિવકુમાર શર્મા અને ગુજરાતી ગઝલ? આ વળી કેવું સંયોજન! રેલો હવે કવિ તરફ ફંટાય છે. આ વિખ્યાત સંતૂરવાદકે કોની ગઝલ કમ્પોઝ કરી હશે? છેવટે, ખબર પડે છે કે આ ગઝલ તો બિઝનેસ વર્લ્ડના જાણીતા ટેકનોક્રેટ કમલેશ સોનાવાલાએ લખી છે. વળી પાછું આશ્વર્ય!

બિનગુજરાતી કલાકાર પાસે ગુજરાતી ગીત ગવડાવવા માટે ગીતનો અર્થ, એનો ભાવ અને ઉચ્ચારો આ દરેક બાબતની ઝીણવટપૂર્વક કાળજી લેવી પડે. તો જ એ ભાવકના હૃદયને સ્પર્શી શકે. પંડિત શિવકુમાર શર્મા જેવા કાશ્મીરી વાદ્યકારે આ ગુજરાતી ગીત કેવી રીતે સ્વરબદ્ધ કર્યું એ સવાલનો જવાબ અહીં મળે છે.

“સપનામાં ય મેં વિચાર્યું નહોતું કે હું ગુજરાતી ભાષામાં ગીત કમ્પોઝ કરીશ. હું તો વાદ્યકાર છું અને વાદ્યમાં શબ્દ નથી હોતા. એટલે જ સંગીત એ વૈશ્વિક ભાષા કહેવાય છે, પરંતુ ગુજરાતી ભાષામાં હું ગીત કંપોઝ કરી શક્યો એનું તમામ શ્રેય કવિ કમલેશ સોનાવાલાને જાય છે. ખૂબસૂરતી અને અમીરીની કોઈ સીમા હોતી નથી, પરંતુ સાથે ઉચ્ચ કલા રુચિ હોવી એ બહુ મોટી વાત છે. ઈશ્વરના આશીર્વાદ હોય એ જ લોકો કલાના કદરદાન હોય છે. સંગીત એવી કલા છે જે તાલીમ દ્વારા, શાસ્ત્ર શીખીને, વારંવાર રિયાઝ કરીને શીખી શકાય છે, પરંતુ કવિતા તાલીમ લઈને ના શીખાય. એ તો ઇશ્વરીય દેન જ છે. ભગવાને દરેકને આંખ આપી છે, પરંતુ કવિ મહેસૂસ કરીને શબ્દો દ્વારા દ્રશ્યો કાગળ પર ઉતારે છે. સંગીતનો રિયાઝ થઈ શકે, કવિતાનો ન થાય. બિઝનેસમેન હોવા છતાં કમલેશભાઈએ કાવ્યક્ષેત્રે ઉત્તમ કામ કર્યું છે. તેમના જેવું જ બીજું ઉદાહરણ જાણીતા સિતારવાદક પંડિત અરવિંદ પરીખનું પણ આપી શકાય જેઓ બિઝનેસમેન હોવા છતાં આશ્ચર્ય થાય એવી લોકપ્રિયતા એમણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે મેળવી છે. આ ગઝલ કમ્પોઝ કરતાં પહેલાં કમલેશભાઈ સાથે જુહુની એક હોટલમાં હું આખો દિવસ બેઠો હતો અને એમણે એકે એક શેરનો અર્થ બરાબર સમજાવ્યો. ભાષા સમજ્યા વિના તો સ્વરાંકન કેવી રીતે થાય? કવિતાનો અર્થ જાણ્યા પછી મને સ્વરબદ્ધ કરવાની ખૂબ મજા આવી હતી. જો કે, હું જે કોઈ કામ કરું એમાં મને કંઈક ક્ષતિ તો દેખાય જ. વાસ્તવમાં તો હું ભગવાનને પ્રાર્થના જ કરું કે ક્ષતિ મને દેખાયા કરે, જેથી ઉત્તરોત્તર મારી કલા સમૃદ્ધ થતી રહે, પંડિત શિવકુમાર શર્મા કહે છે.

સામાન્ય રીતે ઘણાનાં મનમાં એવી ગેરમાન્યતા હોય છે કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ, વેપારી, રાજકારણી કે ઉદ્યોગપતિ કવિતા ન રચી શકે. કવિતાનો ઈજારો તો ભાષા-સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિનો જ હોય, પરંતુ હંમેશાં એવું હોવું જરૂરી નથી. એમ હોત તો અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી કે કલાપી, અખો અને પ્રિયકાન્ત મણિયાર કવિ ન હોત! કવિતા એ હૃદયની ભાષા છે જે કોઈ પણ વ્યક્તિના હૃદયમાં પાંગરી શકે. શિવજીએ કહ્યું એમ કવિતાના ક્લાસીઝ ના હોય કે ટ્યુશન લઈને કવિતા ન શીખી શકાય. એ તો ઉપરવાળાની કૃપાથી જ ઊતરી આવતી હોય છે. કમલેશ સોનાવાલા એવા જ એક કવિ છે જે હૃદયની લાગણીઓને સહજતાથી શબ્દ દેહ આપી શકે છે.

કમલેશ સોનાવાલા હાઈટેક કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે મુંબઈનું અને દેશનું અગ્રગણ્ય નામ છે. દેશમાં ઇન્ફર્મેશન ટૅકનોલૉજી દાખલ કરનારા પાયાના શિલ્પીઓમાંનાં એક છે. કમલેશભાઈએ ભારતની લશ્કરી શાખામાં તેમ જ સ્પેસ પ્રોગ્રામમાં રડાર સિસ્ટમ દાખલ કરી હતી. હવે આપણને વિચાર આવે જ કે ટૅક્નોલૉજીના આ નિષ્ણાતે કવિતાઓ કેવી રીતે લખી હશે?

"આ પ્રશ્ન કોઈને પણ થાય એ સ્વાભાવિક છે, પરંતુ તમે મારુ કૌટુંબિક બેકગ્રાઉન્ડ જાણશો તો તમને આ પ્રશ્ન નહીં રહે. મારાં માતા ઊર્મિલા સોનાવાલા આપણા લોકલાડીલા કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસનાં સૌથી પહેલાં વિદ્યાર્થિની. સંગીતની દરેક બેઠક અમારા ઘરે જ યોજાય. એમાં દર જન્માષ્ટમીએ તો ખૂબ મોટી ઉજવણી થાય જેમાં હંમેશાં સહકુટુંબ પરિવાર ભેગાં થઇ અમે રાસ-દુલારી ગાઈએ. જન્માષ્ટમીએ અમારે ઘરે અવિનાશ વ્યાસની હાજરી તો હોય જ. અવિનાશભાઈ આવે એટલે સાથે અન્ય કવિ, શાયરો અને કલાકારો પણ આવે. આમ, મારો પિંડ સાહિત્ય-સંગીતના વાતાવરણમાં જ ઘડાયો હતો. આ જ સંસ્કાર ન્યુ એરા હાઇસ્કૂલમાં ભણીને વધુ વિસ્તર્યા. શાળામાં બરકત વિરાણી ‘બેફામ’ સહિત અનેક કવિ-લેખકો આવે. બરકતભાઈને હું બહુ પ્રિય એટલે એ મને હંમેશાં કહેતા કે લખતાં શીખ. એ રીતે દસ-બાર વર્ષની વયથી જ મારી લેખન પ્રક્રિયા શરૂ થઈ હતી. બરકત વિરાણી ‘બેફામ’ને હું મારા ગુરુ માનું છું. અલબત્ત, સારું અને સાચું લખાણ કોને કહેવાય એ સમજ મોડી વિસ્તરી હતી.” કવિ કમલેશ સોનાવાલા ભૂતકાળની સ્મૃતિઓને સંકોરતા કહે છે.

આ ગઝલને પ્રચલિત કરવામાં સજ્જ કલાકાર રૂપકુમાર રાઠોડની ગાયકીને પણ દાદ દેવી પડે. શિવજીનું કમ્પોઝિશન ગાવાની તક મળી એ સંસ્મરણો વાગોળતા રૂપકુમારજી કહે છે, "શિવજી બહુ જ્ઞાની અને ગુણી. સ્વભાવે શાંત. ગાયક પાસે ધીરજપૂર્વક અને શાંતિથી સમજાવીને ગીત ગવડાવે. આમ તો પહેલાં હું એમની સાથે કામ કરી ચૂક્યો હતો એટલે એમની શૈલીથી હું વાકેફ હતો. યશ ચોપરા નિર્મિત સાહિર લુધિયાનવીની ૪૫ મિનિટની એક સળંગ નઝમ ગાવાની મને તક મળી હતી જેનું કમ્પોઝિશન પંડિત શિવકુમાર શર્માએ કર્યું હતું. યશજીનો એ બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો, પરંતુ શિવજી જેવા મહાન સંગીતકાર ગુજરાતી ગઝલ સ્વરબદ્ધ કરે અને એક ગુજરાતી તરીકે એ ગાવાનો મોકો મને મળે એ મારે માટે બહુ ગર્વની વાત છે. કમલેશ સોનાવાલા પોતે બહુ સુરીલું વ્યક્તિત્વ છે અને સરસ શાયર છે. માતૃભાષા માટે અને ખાસ તો, ગુજરાતી સુગમ સંગીતમાં ગુણવત્તાયુક્ત કામ થાય એ માટે પ્રતિબદ્ધ છે. આવા કમલેશ(વિષ્ણુ)ને શિવજીનો સાથ મળ્યો એ સોને પે સુહાગા! છેલ્લા અંતરાનો ગીતાસાર રાગ બૈરાગીના સટલ ચેન્જ દ્વારા યથોચિત વ્યક્ત થયો છે. કમલેશભાઈનું ઘર એટલે કલાકારોનું સાચું સરનામું.

સંગીતની સમજ કેળવાય એમાં ઘરનું અને આસપાસનું વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે. જેમના ઘરની બેઠકોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, રસૂલનબાઈ, અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય, રૂપકુમાર રાઠોડ જેવા દિગ્ગજ કલાકારોની આવનજાવન હોય ત્યાં કલા-સાહિત્ય ન પાંગરે તો જ નવાઈ! આપણા ઘણા કલાકારોમાંથી કેટલાયની કારકિર્દીની શરૂઆત કમલેશ સોનાવાલાના ઘરેથી થઈ છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. શંકર-જયકિશનના આસિસ્ટન્ટ રહી ચૂકેલા તથા અનેક હિન્દી ફિલ્મી ગીતોમાં જેમના મેંડોલિનના સૂરો રેલાયા છે એ સંગીતકાર કિશોર દેસાઈ કમલેશભાઈને ચોપાટીના બાંકડે બેસી ધૂનો સંભળાવે. આવી જ રીતે એક વખત ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં સાહેબને પણ એમણે ચોપાટીના બાંકડે બેસીને અત્યંત લોકપ્રિય બંદિશ યાદ પિયા કી આયે … ગાતાં પ્રત્યક્ષ સાંભળ્યા હતા. આ કિશોર દેસાઈએ કમલેશભાઈને તેમનાં ચુનંદા ગીતો શોધીને સ્વરબદ્ધ કરાવવાનું સૂચન કર્યું. ગુણવત્તાના ભોગે કશું જ ન કરવું એવું દ્રઢપણે માનતા કમલેશભાઈએ શરૂમાં તો આ વાતને બહુ મહત્ત્વ ન આપ્યું, પરંતુ થોડા વખત પછી એમને વિચાર આવ્યો કે કેટલીક કવિતાઓ સરસ બની છે તો શ્રેષ્ઠ કલાકારો પાસે એ શા માટે ન ગવડાવવી? બસ, પછી તો એમણે એ પ્રોજેક્ટ હાથમાં લીધો અને સૌથી પહેલું ‘સંમોહન’ આલ્બમ બહાર પાડ્યું જેનું સંગીત કિશોર દેસાઈએ આપ્યું હતું. એ પછી ઉદય મઝુમદારના સંગીત નિર્દેશનમાં ‘સંજીવન’, પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત નિયોજનમાં ’સંવેદન’ તથા છેક છેલ્લે ‘સંગઠન’ આલ્બમ બહાર પડ્યું. આ બધાં જ આલ્બમમાં જગજિત સિંહ, હરિહરન, પંકજ ઉધાસ, રૂપકુમાર રાઠોડ, અનુપ જલોટા, કૌમુદી મુનશી, અશ્વિની ભીડે-દેશપાંડે, અલકા યાજ્ઞિક, ધનાશ્રી પંડિત, ભૂપિન્દર-મિતાલી સહિત અનેક દિગ્ગજ કલાકારોએ કંઠ આપ્યો છે. આજની આ ગઝલ ‘સંગઠન’ની છે. ગીતોને સર્વોત્કૃષ્ટ બનાવવા દરેકે ખૂબ જહેમત ઉઠાવી છે.

આ બધાં ગીત-ગઝલ સાંભળીને ખરેખર વિચાર આવે કે ગુજરાતી યુવા વર્ગને આકર્ષી શકે, તેઓ ગાઈ શકે એવાં સરળ-સહજ સ્વરાંકનો એમાં છે. એરેન્જમેન્ટ, સંગીત નિયોજન, ધ્વનિમુદ્રણ આલા દરજ્જાના છે. ઉદય મઝુમદારે કમ્પોઝ કરેલી વહેલી પરોઢની તાજગી સમાન ગઝલ પ્રથમ આ ચુંબન … જગજિત સિંહે એટલી સરસ ગાઈ છે કે જેટ એરવેઝનાં ગુજરાતી ગીતોના લિસ્ટમાં સ્થાન પામી છે. એ જ રીતે ઉસ્તાદ શુજાતખાને પણ શબ્દોને શોધવા ગયા ને અર્થો ભૂલી ગયા … ગીત બહુ સુંદર સ્વરાંકિત કર્યું છે. કૌમુદી મુનશીએ રાગ પીલુમાં સ્વરબદ્ધ કરેલું ઠુમરી અંગનું ગીત અશ્વિની ભીડે-દેશપાંડેએ ગાયું છે. જય હો .. જેવું જગપ્રસિદ્ધ ગીત ગાનાર કલાકાર વિજય પ્રકાશે ગુજરાતી ગીત માટે પોતાનો કંઠ આપ્યો છે છતાં, આપણું ઉત્તમ ગુજરાતી સંગીત ઘર ઘરમાં નહીં તો એટલિસ્ટ સંગીત ચાહકોના ઘર સુધી તો પહોંચવું જ જોઈએ. ગુજરાતિયતનો જુવાળ છેલ્લા થોડાક સમયથી શરૂ થયો છે એ પોરસાવા જેવી વાત છે. એમાં આપણે પણ આપણા ગુજરાતીપણાને સન્માન આપી, માતૃભાષા-સાહિત્ય-સંગીતની જ્યોત જલતી રહેે એમાં યોગદાન આપીએ.

આ તમામ રચનાઓને કવિ માતૃભાષાના તર્પણ તરીકે જુએ છે. તો આપણી પણ જવાબદારી બને કે માતૃભાષાના યજ્ઞમાં આપણે ય થોડી આહુતિ આપીએ અને આવાં ગીતો સાંભળતા અને સંભળાવતા રહીએ.

——————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 માર્ચ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=471730  

Loading

પૂર્વગ્રહો વગરનાં ભવિષ્ય માટે ‘આપણાં’ સાંસ્કૃતિક વારસાનું ભાથું જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 March 2019

છૂટા છવાયા ખૂણાઓમાં કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારાઓ જીવતી હોય છે.

શિયાળાના દિવસો શરૂ થાય, એટલે શિયાળાની સાંજ વધારે રસપ્રદ બનવા માંડે. ખાસ કરીને નવેમ્બરના ઉત્તરાર્ધથી માંડીને ફેબ્રુઆરીના પૂર્વાર્ધ સુધી કંઇ કેટ-કેટલું ય આયોજાતું હોય છે. વર્ષનો અંત એક દિવસ આડે છે, ત્યારે આપણે તારીખમાં આવતા પરિવર્તન સાથે જોડાયેલી ઉજવણી સિવાયની મિજલસોની વાત કરીએ. આ દિવસો જલસાન દિવસો છે કારણ કે ક્યાંક સાહિત્યના કાર્યક્રમો, ક્યાંક સંગીતના કાર્યક્રમો તો ક્યાંક નૃત્યના કાર્યક્રમો યોજાતા રહે છે. લેખન, કવિતા, નાટક, નૃત્ય, ગાયન, વાદન,  ચિત્રકલા, શિલ્પકલા સહિતની અન્ય દ્રશ્ય કલાઓ અને ક્યાંક આ તમામનાં ફ્યુઝનની સાથે બૌદ્ધિક વિચારનો માહોલ સતત બંધાતો રહે છે. આ, વળી, દર વર્ષની માફક આ વર્ષે પણ કેટલાંક રસપ્રદ પુસ્તકો શેલ્ફ પર મુકાયા છે, જેમાં આપણી કલા સંબંધિત વાતો અંકિત કરાઇ છે.

આ આખી વાતમાં આપણી વાતોને બદલે આપણી કલા શબ્દપ્રયોગ પર ભાર મૂકવો જરૂરી બન્યો છે. આમ કરવામાં બે બાબતો કારણભૂત છે. એક તો છેલ્લાં પંદર વર્ષમાં જે બદલાવ આવ્યો છે, એને કારણે અત્યારની પેઢી અઢળક માહિતી આંગળીને ટેરવે રાખતી હોવા છતાં ય આ સમજણમાં ક્યાંક નક્કરતા ઓછી હોય છે એવું લાગે. જો સમજણમાં સહેજ ઊંડાણ જોવા મળે તો ય જે આપણું પોતાનું છે તે અંગેની જાગૃતતા અથવા તો તેની પ્રત્યેની ગર્વિત લાગણી બહુ મોટા પ્રમાણમાં જોવા નથી મળતી. બીજી બાબત એ કે રાજકીય અને સામાજિક બદલાવ જે દિશામાં વળાંકો લઇ રહ્યા છે, તેમાં વાડાબંધી, વાદ-વિખવાદ, અંતિમવાદ અને પૂર્વગ્રહો અને અણગમા, હિંસાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ભારતમાં રહેલી વિવિધતા જેટલી સમૃદ્ધ છે એટલી જ પડકારજનક પણ છે. આવા સંજોગોમાં જો આપણે આપણા સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે પ્રચાર પ્રસાર થાય તો સામાજિક ઐક્યની સૂઝ નવી પેઢીમાં ઊગી શકે.

આગળ ઉપર વાત કરી એ પ્રમાણે અત્યારે આવા કાર્યક્રમોની મોસમ છે જેમાં આપણી સંસ્કૃતિ, આપણી વાત અને આપણા વારસાનો વાવટો ફરકી રહ્યો હોય. આમાં સમસ્યા એ છે કે વર્ષોથી ચાલી રહેલી ‘ઇવેન્ટ્સ’ સફળ હોય છે, છતાં ય એક આખી પેઢી માટે તેના હિસ્સા હોવું એ કોઇ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને હેશટેગ જેટલું જ મહત્ત્વનું હોય છે. મોટા પાયે થતા કાર્યક્રમોમાં જવાથી કંઇ ફેર નથી પડતો, એમ નથી પણ નાના પાયે થતી અઢળક પ્રવૃત્તિઓ અથવા કોઇ પણ પ્રકારની તગડી પબ્લિસિટી વગર પ્રગટ થતાં પુસ્તકો એવા ખૂણાઓ છે જ્યાં ઓનલાઇન જિંદગી જેવું ઇન્સ્ટન્ટ સુખ નથી હોતું, પણ ધીરે ધીરે કલા-વારસા અને સંસ્કૃતિની સમજણનાં બીજ રોપાતાં હોય છે. જેમ કે મુંબઇમાં થોડાંક અઠવાડિયા પહેલાં ‘આઇડિયાઝ અનલિમિટેડ’ના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો, – ‘ફરી ફરી કવિતા’. દેખીતી રીતે કવિઓની અંગત બેઠક જેવો માહોલ ધરાવનારા આ કાર્યક્રમમાં આઠ કવિઓએ પોતાની રચનાઓ, એક યજમાનને ઘરે નાનકડા ઑડિયન્સ સામે રજૂ કરી. સોશ્યલ નેટવર્ક પર રૂપી કૌરની કવિતાઓ વાંચીને ગળગળી થઇ જનારી પેઢીને આપણા સાહિત્યિક વારસાની આ બાજુ પણ ખબર હોવી જોઇએ.

સ્વાભાવિક છે દરેક વાલી માટે પોતાના ઘરમાં આ માહોલ ખડો કરવો શક્ય નથી, પણ તેનો અર્થ એવો જરા ય નથી કે જેને ‘ક્લાસિક’ કહી શકાય તેવા આપણી ભાષાના કવિઓનાં પુસ્તકો કે કાવ્ય પઠનનો લ્હાવો આપવાનો પ્રયત્ન પણ ન કરી શકાય. બીજી તરફ વડોદરામાં શરૂ થયેલા એક સાહિત્યિક અભિયાન ‘સંવિતિ’માં મહિલાઓ અને સાહિત્ય વિષય પર અવારનવાર કાર્યક્રમો રજૂ કરાય છે, વાર્તા પઠન અને વિવેચનનાં નાનકડાં સંવાદ યોજાય છે. આ કાર્યક્રમોમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ જ શ્રોતા તરીકે ઑડિયન્સમાં આવે છે, જેમ કે મહિલા પોલિસકર્મીઓ. વળી વડોદરાના જ કેટલાક અગ્રણીઓએ શરૂ કરેલા ‘ઇનસિન્ક’ ગ્રૂપ દ્વારા સંગીત-નૃત્ય-ગાયન અને કાવ્ય સંબંધિત કાર્યક્રમો છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત પણે યોજાતા રહે છે. સૂરતમાં જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર યોજાશે. નવી પેઢીને કદાચ અમુક પ્રકારનાં સાહિત્યનો બોજો લાગી શકે છે પણ તેનો અર્થ એમ નથી કે તેમને એ દિશામાં જોવા, વાળવાનો પ્રયાસ પણ ન થાય. કેરળમાં જાન્યુઆરી દરમિયાન કોચી બિએનેલ આર્ટ ફેસ્ટિવલ થશે તો ફેબ્રુઆરીના અંતમાં દિલ્હીમાં ઇન્ડિયા આર્ટ ફેર યોજાશે.  બૌદ્ધિક વિચારધારાનો પ્રસાદ મળે કે થાળ મળે તેની અસર વૈચારિક વિકાસ પર હકારાત્મક રીતે જ પડે છે એ નક્કી છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં હેશટેગ વાળી સેલ્ફી પડી શકે તો કવિતાની બેઠક કે સાહિત્યનાં સંમેલનોમાં પણ આ થઇ શકે છે. મુદ્દો એ છે કે મોટા માર્કેટિંગ સિવાય જ્યાં કોઇપણ ઘોંઘાટ વિના કલા તથા સાહિત્યનું બીજ રોપાતું હોય એવા કાર્યક્રમો વૈચારિક ઇંટને પકવવાની ભઠ્ઠીનું કામ કરે છે. 

એક તરફ કાર્યક્રમોનો માહોલ છે તો બીજી તરફ પુસ્તકોની દુનિયા છે. તાજેતરમાં જ નમિતા દેવીદયાલનું પુસ્તક ‘ધી સિક્સ્થ સ્ટ્રીંગ ઑફ વિલાયત ખાન’ પ્રકાશિત થયું છે. સરળ, સાહજિક અને પ્રવાહી ભાષામાં લખાયેલા આ પુસ્તક પરથી એક આખી પેઢી જે વિલાયત ખાનનાં નામથી અપરિચિત છે, તેને સમજાશે કે વિલાયત ખાન કોઇ ‘રૉક સ્ટાર’થી કમ નહોતા. એડ શીરીનનાં ‘શેઇપ ઑફ યુ’ પર ઝુમતા યંગસ્ટર્સ માટે એ જાણવું જરૂરી છે કે જે પોતાના સિતાર પાસે જાણે ગવડાવતા એવા એક ખેરખાંએ કઇ રીતે ૫૦થી માંડીને ૭૦સુધી, એમ બે દાયકા સુધી મુખ્ય પ્રવાહમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનાં અસ્તિત્વને સતત અગ્રેસર રાખ્યું હતું. તેમનો અભિગમ વ્યક્તિગત અને જાહેર જીવનમાં કોઇ સુપર સ્ટારને ટક્કર આપે એવો હતો. તેઓ પાઇપ પીવાના શોખીન હતા, બૉલરૂમ ડાન્સ કરવું તેમને ગમતું અને મોંઘોદાટ વિદેશી શરાબ, ઇરાની જાજમો તથા પુરાણા મોંઘાદાટ અત્તરો ભેગા કરનારા વિલાયત ખાન સ્નુકર અને તાશબાજીનાં એક્સપર્ટ હતા. આપણા સાંસ્કૃતિક વારસામાં આવી કેટકેટલી ય જિંદગીઓ છે જેમાં રહેલો રોમાંચ, સાહસ અને પરાક્રમો કોઇ અન્ય સંસ્કૃતિના ‘સ્ટાર’ને ક્યાં ય પાછળ છોડી દે. પણ વિલાયત ખાને ભેટમાં મળેલી મર્સિડિઝ બેન્ઝ કાબૂલથી બોમ્બે સુધી જાતે ડ્રાઇવ કરી હતી. અને પછી એના આગમનનાં માનમાં પાર્ટી રાખી હતી, એવું જાણવા માટે આ પ્રકારનાં પુસ્તકો વંચાવા જોઇએ. આ તો એક વ્યક્તિ પર લખાયેલ પુસ્તકની વાત છે પણ આવું તો અન્ય કલાકારો વિષે, સંગીત વિશ્વ વિષે અન્ય લેખકો તથા આ જ લેખકે પણ પહેલાં લખ્યું છે. પણ સમસ્યા એ છે કે પૉપ્યુલિઝમની જાળમાં ફસાયેલી પેઢીની હાલત ખોબા ભર પાણીમાં તરફડતી પણ છતાં ય પોતે જીવે છેનું ગુમાન કરતી માછલી જેવી છે. અન્યનું વખાણીને પોતાને અલગ કહેવડાવતી પેઢી પોતાનું પામવાની કોશીશ કરે એ જરૂરી છે.

નવી પેઢીને ઉછેરનારા વાલીઓ પોતે આ દિશાઓમાં નજર કરે, રાજકારણ કે ક્રિકેટ કે પછી સેલિબ્રિટીનાં લગ્નોની વૉટ્સ-એપ પર ચર્ચા પડતી મૂકીને આસ-પાસ થનારી આવી નાની કલ્ચરલ ઇવેન્ટ્સમાં પોતાના સંતાનોને લઇ જશે, મોંઘા દાટ ફોનને બદલે ફોન કરતાં કિંમતમાં ઓછું પણ મૂલ્યમાં ઊંચું એવું આપણા ભવ્ય ઇતિહાસની વાત કરતું પુસ્તક તેમના હાથમાં મૂકશે. તો દસકા પછી વીસીમાં જનારી પેઢી બહેતર સમજવાળી ઘડાશે.  સરમુખત્યારશાહી, વાડાબંધી, હુંસાતુસી કેટલી અયોગ્ય છે એ સંવેદનશીલતા સાથે સમજી શકાય, તેનો સચોટ રીતે વૈચારિક વિરોધ કરાવતો તખ્તો ખડો કરી શકાય એ માટે સંસ્કૃતિના વારસ ઉછેરવાં રહ્યાં. બુદ્ધિજીવીઓ પ્રત્યેનું સુગાળવાપણું પૂર્વગ્રહ, અસલામતી અને સંકુચિત માનસિકતાની નિશાની છે એ અત્યારની પેઢી સમજશે તો જ આગલી પેઢીને સમજણની મોકળાશનાં સ્તરે લઇ જઇ શકવા સક્ષમ બનશે.

બાય ધી વેઃ

દરેક શહેરમાં છૂટા છવાયા ખૂણાઓમાં કોઇને કોઇ રીતે કલાત્મક, વારસાનું મૂલ્ય સમજાવી શકે તેવી અને સંવેદનશીલ વિચારધારા જીવતી હોય છે. આવા ખૂણાઓ પારખી તેના સુધી પહોંચીને જેટલું ગ્રહણ કરી શકાય એ મેળવવું. આધુનિક કવિતા હોય કે શાસ્ત્રીય કલા હોય દરેકનું કામ ઉત્સુકતા ઉજાગર કરવાનું હોય છે. દરેક ભાષાનો એક આગવો લય હોય છે અને દરેક અલગ રીતે પોતાની વાત માંડે છે અને માટે જ બંધિયારપણાની ગુંગળામણ ત્યજવી જ રહી.  દરેક સંસ્કૃતિનું કામ છે કે તે આગામી પેઢી સુધી પહોંચે પણ નવી પેઢીને માહોલ આપવાની કામગીરી સમાજની છે. જ્યાં પત્રકારોની હત્યા થાય, વાસ્તવવાદીઓને ગોળીએ દઇ દેવાય, સાહિત્યમાં ઇશ્વરની પ્રચલિત છાપ સાથે છૂટછાટ લે એવા લેખકને ખાત્મો બોલાવી દેવાની ધમકી અપાય તેવા રાષ્ટ્રમાં કલા અને સંસ્કૃતિનાં મૂલ્યો આત્મસાત કરવામાં જેટલી ઝડપ કરી શકાય એટલું બહેતર છે.

05 ડિસેમ્બર 2018

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

...102030...2,8462,8472,8482,849...2,8602,8702,880...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved