Opinion Magazine
Number of visits: 9664411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઋણબદ્ધ

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|19 May 2025

પપ્પાને ગુજરી ગયાને એક વર્ષ થવા આવ્યું હતું. એમના શ્રાદ્ધની બધી તૈયારી થઈ ગઈ હતી. સુનિલની પત્ની દિશાએ પૂરી શ્રદ્ધાથી પંડિતજીએ આપેલી દરેક સૂચનાનો અમલ કર્યો હતો. સુનિલને જો કે, આ બધાં વિધિ-વિધાનમાં જરા ય રસ નહોતો પણ મા અને પત્નીની લાગણીને ખાતર કમને એમાં જોડાયો હતો. એક વખત તો એનાથી માને પુછાઈ ગયું હતું,

“મા, આપણા ઘરમાં નીલુનું શ્રાદ્ધ કેમ ક્યારે ય નથી કર્યું?”

આ સવાલનો જવાબ આપવો એ મા માટે મોટી મૂંઝવણ હતી. જેમતેમ કરતાં ગોઠવીને એ બોલી, “તારા પપ્પાને… એટલે કે, નીલુને ગયાને તો કેટલાં બધાં વર્ષો થઈ ગયાં. હવે …”

નાનો હતો ત્યારે સુનિલને ઘણું બધું નહોતું સમજાયું પણ હવે તો બધું સ્પષ્ટ હતું કે, પપ્પા માટે નીલુ વણજોઈતી હતી. આશ્રમમાંથી એના ગુજરી ગયાના સમાચાર આવ્યા ત્યારે મા ચોધાર આંસુએ રડેલી પણ પપ્પા બહુ ખુશ હતા. દીકરીના અવસાનનો શોક વ્યક્ત કરવા આવેલા એમના એક મિત્ર પાસે એ બોલી પડેલા, “એક જ્યોતિષીએ મને કહેલું કે, આ વખતના હોલિકા દહનમાં તમારી બધી મુશ્કેલીઓ ભસ્મ થઈ જશે ને ખરેખર એવું જ થયું.” પછી મા અને સુનિલ પર નજર પડતાં વાત ફેરવતાં બોલેલા, “જો ને, મારા ઉઘરાણીના પૈસા આવી ગયા.”

સાવ નાનો હતો તો ય સુનિલ સમજી શકતો હતો કે, પપ્પાને માનસિક વિકલાંગ દીકરી દીઠી ગમતી નહોતી. એમની ઑફિસમાંથી થોડા સાથીદારો મળવા આવેલા ને નીલુ પગ પછાડીને રડવા લાગી ને એના મોંમાંથી લાળ પડવા લાગી ત્યારે એમણે જોરથી ઘાંટો પાડીને માને કહેલું, “આને બહાર કેમ રાખી છે? અંદર લઈ જા.”

માને ભલે એમનું દીકરી સાથેનું વર્તન ગમતું નહીં પણ એણે કદી પોતાની નારાજગી ન બતાવી. એનું તો જાણે આખું જીવન પપ્પાની મહેરબાની પર જ અવલંબિત હોય એમ એ બધી વાતમાં હા જી હા કર્યા કરતી. પપ્પા ભલે માનતા કે, નીલુને કશું ભાન નથી એટલે એનામાં કોઈ પ્રકારની લાગણી નથી પણ એને ગમતું થાય ત્યારે એ જે રીતે હાથ-પગ હલાવવા લાગતી કે, દુ:ખી થાય ત્યારે ઉં ઉં કરીને ગળામાંથી રડવા જેવો અવાજ કાઢતી એના પરથી સુનિલને પાક્કી ખાતરી હતી કે, એ બધું જ અનુભવી શકે છે.

નાનપણનો એક પ્રસંગ તો સુનિલ જિંદગીભર નહીં ભૂલી શકે. રક્ષાબંધનને દિવસે ફોઈ આવેલાં. એમણે પર્સમાંથી કેડબરી કાઢીને સુનિલના હાથમાં મૂકી. પપ્પાને જ નીલુ માટે લાગણી નહોતી તેથી આવનારાંઓ માટે પણ જાણે નીલુનું અસ્તિત્વ જ નહોતું. કેડબરી ખરીદતી વખતે ફોઈને નીલુ યાદ નહીં આવી હોય? સુનિલનું મન ખાટું થઈ ગયેલું. એટલામાં તો નીલુએ રિસાઈને રડવા માંડેલું. ફોઈ ભોંઠાં પડીને નીલુને મનાવવા લાગેલાં. “સોરી, હું તને ભૂલી ગઈ, પણ ભાઈ કરતાં ય મોટ્ટી કેડબરી તારે માટે લઈ આવીશ હોં!”

સુનિલની કેડબરીમાંથી કટકો કરીને ફોઈ એને ખવડાવવા ગયાં તો નીલુએ મોં ફેરવી લીધેલું. ગમે તેટલું સમજાવવા છતાં એણે તે દિવસે ચોકલેટ ન ખાધી તે ન જ ખાધી. તો પછી બધાંએ શી રીતે માની લીધું કે, એ કંઈ સમજતી નથી?

એક દિવસ અચાનક પપ્પાના દોસ્ત ડેવિડ અંકલે આવીને પૂછેલું, “થઈ ગઈ બધી તૈયારી?” માએ ફક્ત ડોકું હલાવીને રડતી આંખે હા પાડેલી. ગાડીમાં નીલુની બેગ મૂકીને મમ્મી, પપ્પા અને અંકલ નીલુને લઈને કશે ચાલ્યાં ગયેલાં. પાછાં આવ્યાં ત્યારે સાથે નીલુ નહોતી.

“નીલુ ક્યાં ગઈ?” એવા સુનિલના સવાલના જવાબમાં મા દિવસો સુધી માત્ર રડતી જ રહી. પપ્પા ગુસ્સે થઈને કહેતા, “એમ વેવલાં નહીં થવાનું. બી પ્રેક્ટીકલ. ત્યાં એના જેવાં છોકરાંઓ સાથે એને મજા પડશે.”

સુનિલ વિચારતો કે, આમ તો તમે કહો છો કે, એનામાં કંઈ સમજ નથી તો પછી મજા કેવી રીતે પડશે? ધીમે સાદે થતી મમ્મી-પપ્પાની વાતો પરથી સુનિલને સમજાયું હતું કે, નીલુને અનાથ બાળકી પુરવાર કરવામાં ડેવિડ અંકલે મદદ કરેલી અને ખોટું બોલીને એને મધર ટેરેસાના અનાથ આશ્રમમાં મૂકી આવેલાં – ફરી કદી એને ન મળવાની શરતે.

પછી તો સુનિલના દિશા સાથે લગ્ન થયાં. દિશા મમ્મી-પપ્પાની દીકરીની જેમ કાળજી રાખતી, પણ સુનિલને કદી એવો ઉમળકો જાગ્યો નહીં. પપ્પાને પાર્કીંસંસ થયો ત્યારે દિશા કહેતી, થોડી વાર તો એમની પાસે બેસો! એમને સારું લાગશે, પણ સુનિલનું મન હંમેશાં બળવો પોકારતું- ‘એમણે કોઈ દિવસ મારી અબોલ બહેનને સારું લગાડ્યું? છતે મા-બાપે બિચારીએ અનાથ હોવાના સિક્કા સાથે જગતમાંથી વિદાય લીધી.’ જો કે, દિશાને એણે કદી પણ આ બધી ખબર નહોતી પડવા દીધી.

એ જાણતો હતો કે, માનું હૃદય તો હંમેશાં નીલુ માટે ઝૂરતું રહેલું, છતાં મૂંગા પશુ જેવી દીકરીની મમતા કરતાં એણે પતિના ગમા-અણગમાને મહત્ત્વ આપ્યું એ માટે એ માને પણ માફ નહોતો કરી શકતો. તો ય ભલે અનિચ્છાએ પણ આજે એ પિતૃતર્પણ કરી રહ્યો હતો. પૂજા વિધિ સમાપ્ત થઈ ગઈ હતી. પંડિતજી અંતમાં સંતાનની માતા-પિતા પ્રત્યેની ફરજ સમજાવી રહ્યા હતા. એમણે કહ્યું, “મા-બાપ દેવતા સમાન ગણાય છે. એમના આપણી ઉપર એટલા ઉપકારો હોય છે જેમાંથી કેટલા ય જન્મો સુધી આપણે ઋણમુક્ત થઈ નથી શકતા. હવે હું તમને સમજાવું કે, આપણાં જન્મદાતા પ્રત્યે આપણી શું શું ફરજ છે?”

આટલું કહીને એમણે સંતાનોની ફરજની યાદી રજૂ કરવા માંડી. સુનિલ નિર્વિકારપણે આંખો મીંચીને સાંભળતો હતો. એને થયું, શું કોઈ ધર્મગ્રંથમાં માતા-પિતાની ફરજો નહીં લખવામાં આવી હોય? શું દોષ હતો મારી બહેનનો જેને બધાંએ મળીને હડસેલી દીધી? અચાનક એની બંધ આંખો સામે નીલુ આવીને ઊભી રહી ગઈ. એનો પોતાની જાત સાથે સંવાદ ચાલુ થયો.

“મને માફ કરજે મારી બહેન, હું પણ ક્યાં તારે માટે કશું કરી શક્યો? ભગવાન તારા આત્માને શાંતિ બક્ષે.” એની આંખોમાંથી ટપ ટપ આંસું વહેવા લાગ્યાં અને દિશા એની પીઠ પસવારી રહી.

(સુમતિ સક્સેના લાલની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 માર્ચ 2025; પૃ. 24  

Loading

વાણી વિલાસ, કરશે ખલાસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 May 2025

રવીન્દ્ર પારેખ

ઘણીવાર ઘણાંને બોલવાનું ભાન નથી રહેતું, તો આજુબાજુનાઓ ટોકતાં હોય છે, પણ રાજનેતાઓ  બકવાસ કરે છે, ત્યારે તેમને ટોકનારાઓનું કૈં ઉપજતું નથી. એમાં આ પક્ષ કે તે પક્ષ એવું નથી, કાગડા બધે જ કાળા છે. પહેલગામમાં 26 હિન્દુઓનો આતંકવાદીઓએ સર્વનાશ કર્યો, તેનો એક હેતુ દેશમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વકરાવવાનો હતો. તેની પ્રતિક્રિયા રૂપે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવ આતંકી થાણાંઓનો ભુક્કો બોલાવીને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે ઘૂંટણીએ પાડ્યું ને તેની જગત આખાએ નોંધ લીધી. એ હુમલાનું નેતૃત્વ બે મહિલાઓએ સંભાળ્યું. એ મહિલાઓ હતી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ! એર સ્ટ્રાઈક પહેલાં એ નામો જાહેરમાં ન હતાં, પણ ભારતના આક્રમક મિજાજનો જગતને પરચો મળ્યો એ પછી તે ઠીક ઠીક ચર્ચામાં આવ્યાં. દેશ આખો આ બે મહિલા સેનાધિકારીઓની પ્રશંસામાં વ્યસ્ત હતો, ત્યારે મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા વિષે વાહિયાત ટિપ્પણી કરી. ઇન્દોરનાં એક ગામમાં મંત્રીએ કહ્યું કે આતંકવાદીઓએ આપણા હિન્દુઓને માર્યા એટલે મોદીજીએ તેમની ઐસી તૈસી કરવા, તેમના જ સમુદાયની એક બહેનને મોકલી. હેતુ ગમે તે હોય પણ, મંત્રી વિજય શાહે સોફિયાને આતંકવાદીઓની બહેન કહીને ધરાર અપમાન કર્યું. દેખીતું છે કે આ ટિપ્પણીથી હોબાળો થાય ને થયો.

મંત્રી વિજય શાહને માથે ઘણાં માછલાં ધોવાયાં. મંત્રીને બોલતી વખતે ભાન ન રહ્યું, પણ પછી ભાન આવ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. માફીબાફીથી પણ કામ ન થયું. ખુદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તાબડતોબ FIR નોંધવાનો આદેશ આપતા કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ મંત્રી વિજય શાહ સામે ગુનો નોંધો. કર્નલ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન કહીને તેમનું અપમાન કરવું ગુનાહિત કૃત્ય છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં ડબલ બેન્ચની એ ફરિયાદ તો રહી જ કે મંત્રી સામેની FIR નરી ઔપચારિકતા જ હતી. બને કે પોલીસ પણ મંત્રી વિજય શાહને બચાવવાની ફિરાકમાં હોય. બાકી, હતું તે મંત્રીએ રાજીનામું આપવાને બદલે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. એક તબક્કે તો સુપ્રીમે શાહની અરજી પર સુનાવણીની ના પાડતાં કહ્યું કે તમે હાઇકોર્ટમાં કેમ ન ગયા? સુપ્રીમમાં રાહતની વાત તો દૂર રહી, મંત્રીનો વરઘોડો તો નીકળ્યો જ ! નવા CJI બી.આર. ગવઇનો ગયા બુધવારે પહેલો જ દિવસ હતો ને વિજય શાહનો કેસ સામે આવ્યો, તો સુપ્રીમ કોર્ટે બરાબરનો ઊધડો લેતા કહ્યું કે મંત્રી થઈને તમે આવી ભાષા બોલી જ કઈ રીતે શકો? તમે જવાબદાર પદ પર રહીને કેવાં નિવેદનો આપો છો? દેખીતું છે કે વિપક્ષ પણ લાગ જ શોધતો હોય. કાઁગ્રેસની માંગ છે કે ભા.જ.પ., શાહને પાર્ટીમાંથી હાંકી કાઢે, પણ ગમ્મત એ છે કે પાર્ટી માત્ર ઠપકો આપીને રહી ગઈ છે.

એટલું છે કે પાંચ પાંચ વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા પછી પણ, વિજય શાહ, નવોદિત હોય તેમ લૂલીને લગામમાં રાખી શક્યા નથી. 2023માં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પત્ની સાધના સિંહ પર સસ્તી ટિપ્પણી કરવા બદલ તેમણે રાજીનામું આપવું પડેલું. 2023માં ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી, ત્યારે શાહે તેને રાત્રે મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં વિદ્યા બાલને ના પાડી, તો શાહે શૂટિંગ અટકાવી દીધેલું. આવી ભદ્દી ટિપ્પણી શાહે, અપરિણીત રહેવા સંદર્ભે રાહુલ ગાંધી માટે પણ કરેલી, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ- એ ન્યાયે આજ સુધી તેમનો વાળ વાંકો થયો નથી, વધારામાં ભા.જ.પે. જ મંત્રી વિજય શાહને ચારેક મહિના પછી ફરી મંત્રી બનાવી દીધેલાં. 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાનું પણ તેઓ ચૂક્યા નથી.

એ ખરું કે વિજય શાહની કોર્ટ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટ તરફથી અધિવક્તા જયા ઠાકુરે સુપ્રીમમાં કેવિએટ દાખલ કરીને અનુરોધ કર્યો છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર નિર્ણય ન લેવાય. એનું આશ્ચર્ય જ છે કે આટલું થયું હોય, હાઇકોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હોય કે સુપ્રીમે તેમને પાણીથી પાતળા કર્યા હોય, કાઁગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવાનું કહેતી હોય, પણ ભા.જ.પ.ના વરિષ્ઠો એટલા ઠાવકા છે કે જરા તરા ઠપકો આપીને ફરજ બજાવી લે છે. એમ લાગે છે કે વિજય શાહનું રાજકીય ભવિષ્ય સુપ્રીમના નિર્ણય પર અવલંબિત છે. એટલું છે કે ભા.જ.પ.ની કોઇ ટીકા કરે તો ભંવા ચડી જાય છે, પણ ભા.જ.પ. કોઇની ટીકા કરે તો રૂંવાડું ય ફરકતું નથી.

ભા.જ.પ.ના નેતા તો ઠીક, પણ રાજકોટના ચેતન સુરેજા જેવા કોર્પોરેટર પણ એર સ્ટ્રાઈકને લાઇટલી લેતા ગમ્મત કરે છે કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવ ભરી સ્થિતિમાં આવી મજાક પણ થાય છે ! યુદ્ધવિરામ થતાં આરપારની લડાઈ જોવાની ધારણા હતી, એવા લોકોને સંભળાવાયું કે આખું યુદ્ધ એટલે ન થયું, કારણ પ્રજાએ 240 સીટ જ આપી. 400 આપી હોત, તો પૂરું યુદ્ધ જોવા મળતે. યુદ્ધની લંબાઈ-પહોળાઈ ભા.જ.પ.ની સીટ પર આધારિત છે, એવી માનસિકતા ધરાવતા કોર્પોરેટર પક્ષનું અહિત જ કરી રહ્યા છે, પણ તેનો ય કોઈ ફેર ભા.જ.પ.ને પડતો નથી, કારણ એ કોર્પોરેટરને તો સાદા ઠપકાનો લાભ પણ પક્ષે આપ્યો નથી.

આનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રાજગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અંગે કહ્યું કે મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા પર એટલે ટિપ્પણી કરી કે તે મુસ્લિમ છે, પણ વ્યોમિકા સિંહ માટે કૈં ન કહ્યું, કારણ કે તે રાજપૂત છે. એર માર્શલ ભારતીની જાતિની ખબર ન હતી, તેને યાદવ કહી. આ જાતિ પુરાણ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીએ કહ્યું કે સેનાનો પ્રત્યેક સૈનિક રાષ્ટ્રધર્મ નિભાવે છે ને તે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિનિધિ નથી. આ સારી વાત છે, પણ જે સૈનિક માટે છે, તે નાગરિક માટે પણ હોય ને ! યોગી પોતે પણ બુલડોઝર ન્યાય એ રીતે જ કરતાં હશે એમ ધારવાનું ગમે. સેનાનો ધર્મ દેશની સુરક્ષાનો જ હોય, તેને જાતિ, ધર્મથી મૂલવવાનું ઠીક નથી ને સેના માટે જે સાચું છે, તે દેશના દરેક નાગરિક માટે કેમ ન હોય? પણ કમનસીબે એમ નથી. આ જ રાજકારણીઓ સગવડ પ્રમાણે ધર્મ-જાતિનો ઉપયોગ કરતા રહ્યા છે. ભા.જ.પ.ના એક મંત્રી વિજય શાહે એક મહિલા સેનાધિકારીની મુસ્લિમ હોવાથી અભદ્ર ટિપ્પણી કરી, તો રામગોપાલ યાદવે બીજી મહિલા સેનાધિકારીની, મંત્રીને જાતિ ખબર ન હતી એટલે ચૂપ રહ્યા, પણ એમ કહીને ય તેમણે મહિમા તો જાતિનો જ કર્યો.

આ ઓછું હોય તેમ મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી જગદીશ દેવડાએ કહ્યું કે યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમે આભાર માનવા માંગીએ છીએ કે આખો દેશ, દેશની સેના, દેશના સૈનિકો તેમનાં ચરણોમાં નતમસ્તક છે. તેમણે જે જવાબ (એર સ્ટ્રાઇકનો) આપ્યો છે, તેની થાય એટલી પ્રશંસા ઓછી છે. એમ લાગે છે કે એક એર સ્ટ્રાઈક (કે અન્ય ઘટનાઓ) કેટલા નેતાઓ માટે લવારા કરવાનું નિમિત્ત બની રહે છે. આમાં તો તેમની વૈચારિક ક્ષમતા કેવી દયાજનક છે તેનો જ પડઘો પડે છે. આ બધું આટલી હળવાશથી કે રમતમાં લેવા જેવું છે ખરું? અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અનિવાર્ય છે, પણ લવારાનું નથી જ ! વળી આવા લવારા કોઈ નાગરિક કરે તો તે ક્ષમ્ય છે? જો, નહીં, તો નેતાઓ માટે પણ તે અક્ષમ્ય કેમ ન હોય?

દેખીતું છે કે કાઁગ્રેસને આવી બાબતો વિરોધનું કારણ પૂરું પાડે. કાઁગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ તો કહ્યું પણ ખરું કે ભા.જ.પ.ના નેતાઓ આવી ટિપ્પણી દ્વારા સૈન્યનું અપમાન કરી રહ્યા છે. કાઁગ્રેસ રાજીનામું માંગે કે ભા.જ.પી. નેતાઓને હાંકી કાઢવાનું કહે તેથી ભા.જ.પ.ને કે તેનાં મોટાં માથાંને બહુ ફરક પડતો નથી, બહુ થાય તો તે જવાબદારને ઠપકો આપી છૂટે છે. ઠપકો પણ થાબડવા જેવો જ હોય છે. વળી જે વાણી વિલાસ કરે છે તે એટલા ‘સ્માર્ટ’ છે કે નામુકર જઈ શકે. ભા.જ.પ.ના નેતાઓ બોલ્યા પછી આવું કહ્યું જ નથી કે કહ્યું તેને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે કે કાવતરું કરીને ખોટો વિવાદ વધારાઈ રહ્યો છે – જેવો બચાવ કરતા રહે છે ને એનો તેમને સંકોચ ભાગ્યે જ હોય છે.

એક બાબત બહુ સ્પષ્ટ છે કે દેશહિતમાં ન હોય એવો વાણી વિલાસ નાગરિક માટે અક્ષમ્ય હોય તો કોઈ પણ મંત્રી કે નેતા માટે પણ તે અક્ષમ્ય જ હોવો ઘટે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 મે 2025

Loading

ઑપરેશન સિંદૂરઃ  બે દેશોના સંઘર્ષની ચોપાટમાં વિશ્વ આખાના સ્વાર્થ, સતર્કતા, રાજકારણ, ડર અને તાકાતનાં પ્યાદાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 May 2025

પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ–સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

ચિરંતના ભટ્ટ

ઑપરેશન સિંદૂર, પાકિસ્તાન, ચીન, કાશ્મીર, અમેરિકા, ટ્રમ્પ અને યુ.એસ.એ., ટર્કી, આપણી શસ્ત્રોની તાકાત વગેરે મુદ્દાઓ પર આપણે ત્યાં આજકાલ એવી રીતે ચર્ચા થાય છે કે સિક્કો ઉછાળીને છાપ આવે છે કે કાંટો એ જોઈને લોકો કદાચ નક્કી કરતા હશે કે તમે પૂછો એ મુદ્દા પણ અમે વાણી પ્રવાહ વહેવડાવવા તૈયાર છીએ. ગણતરીના દિવસોમાં એક સાથે ઘણીબધી ઘટનાઓ ઘટી, 2022માં એક ફિલ્મ આવી હતી – એવ્રીથિંગ એવ્રીવ્હેર ઓલ એટ વન્સ – આપણે પણ લગભગ એવી જ સ્થિતિમાં હતા. એમાં પાછા સોશ્યલ મીડિયા પર છલકાતા અમૂક અધૂરા ઘડાઓ પર તો મનોરંજનને ખાતર પણ વારી જવાનું મન થાય. સંજોગોની ગંભીરતા આ બધી જ વાતો, મીમ્સ અને હું-ડાહ્યાઓના હુંકાર કરતાં કંઈ ગણી વધારે છે. જે દેખાય છે એટલું સરળ નથી, આ એક એવો કોયડો છે જેમાં ભૂલ-ભુલામણી, ટપકાં જોડો અને જિગ્ઝો પઝલ બધું એક સાથે જ કરવાનું આવ્યું છે.

સૌથી પહેલાં તો આખી કવાયત પૂરી થઇ અથવા તો એમ કહીએ કે જે વિરામની ઘડી આવી ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે ગર્વ અને મર્યાદા બન્નેના સંતુલનને જાળવીને કરાયેલી વાત સામે આવી. તે માત્ર લશ્કરી સફળતાની વાહવાહી નહોતી પણ સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય સ્તરે દેશનું અવલોકન કરનારાઓને કાળજીપૂર્વક અપાયેલો સંદેશ હતો. ભારતે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં શું બહાદુરી બતાડી તેના મામલે કૉલર ઊંચા કરવાની ઘટના તેમના સંબોધનની અગ્રિમતા નહોતી પણ ભારત પાસે બધી જ તાકાત હોવા છતાં – ખાસ કરીને માથે પરમાણુ યુદ્ધની શક્યતા તોળાતી હોવા છતાં – ભારતે સંયમ દાખવ્યો છે પણ તેનો અર્થ એમ નથી કે ભારત હવે કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાઓ ચલાવી લેશેનો સ્પષ્ટ સંકેત તેમણે પોતાના સંબોધનમાં આપ્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સાથે જે પણ નાટ્યાત્મકતા છે તે તો ખરી જ પણ છતાં પણ જરા પણ આછકલાઈ વિના સલામતીને મામલે ભારતે હવે લોખંડી મુઠ્ઠી રાખી છે તેવું તેમણે સ્પષ્ટ કર્યું. રાજકીય વિવેચકોને મતે લોકોના દૃષ્ટિકોણ, જાહેર છબીને સાચવવાના આ પ્રયાસમાં સરકારે પાકિસ્તાન અંગેની પોતાની નીતિને મામલે વાસ્તવિકતા અને જીતને મામલે હુંકાર કરવા વચ્ચે રહેલી એક પાતળી રેખા પર સંતુલન કરવામાં સારી પેઠે મહેનત કરી છે. એ સંતુલન ખોરવાય નહીં એ પણ આપણા દેશની સુરક્ષા માટે અગત્યનું છે. 

પહલગામના આતંકી હુમલાના જવાબમાં છેડાયેલા ઑપરેશન સિંદૂરમાં રાફેલ જેટ, ડ્રોન્સ અને સેટેલાઇટ સંચાલિત શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કરાયો. ભારતે જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા તંત્રના જે સ્થાનકો હતા તેનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો. વિગતો પણ બહાર આવી. આ લશ્કરી ઑપરેશન પહેલાં કરાયેલી ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટના હવાઈ હુમલા કરતા અલગ હતું. આ ઑપરેશનમાં DRDOની એન્ટિ ડ્રોન સિસ્ટમ્સ, રિયલ ટાઈમ ટાર્ગેટિંગ માટે ભારતીય સેટેલાઇટ્સ અને આકાશ અને બ્રાહ્મોઝ મિસાઈલ્સનો ઉપયોગ કરાયો. ભારત લશ્કરી સ્તરે કેટલો સજ્જ છે તે વૈશ્વિક સ્તરે લોકોને સમજ પડી. આ ઑપરેશન સફળ ચોક્કસ હતું પણ આપણે એ સમજવું જરૂરી છે કે આપણે જે સ્થળોને આપણા ટાર્ગેટ બનાવ્યા તે વ્યૂહાત્મક કરતા સાંકેતિક વધારે હતા. ભારત જાણે કહેવા માગતો હતો કે અમે ધારીએ તો તમારી પણ આકરો હુમલો કરી જ શકીએ છીએ અને એ પણ પૂરી ચોકસાઈ સાથે. જો કે આપણે એ સમજવું રહ્યું કે આમ કરવાથી કે POKની વાસ્તવિકતા રાતોરાત બદલાઈ નથી જતી. હા, સંજોગો આઘા-પાછાં કે અસ્તવ્યસ્ત થાય પણ આમૂલ પરિવર્તન આવતાં હજી સમય લાગશે અને તે સ્વાભાવિક છે.

હવે સીઝ ફાયર  એટલે કે યુદ્ધ વિરામની વાત કરીએ તો અમુકને એમ થયું કે બધું પતાવી જ દેવાનું હતું વગેરે? જો કે પાનના ગલ્લે કે ચાની લારી પર આવી વાતો કરવાનું પોસાય. વળી, આપણા યુદ્ધ વિરામ પર દાવો કરનારા પણ ફૂટી નીકળ્યા. તેની વાત આગળ કરીએ પણ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને હુમલાની ઉગ્રતાનો અનુભવ થયો એટલે યુદ્ધ વિરામ શરૂ કર્યો અને ભારતે પણ નાગરિકોમાં તણાવ ઘટાડવા અને રાજદ્વારી સ્થિતિ સાચવવા માટે તેને સંમતિ આપી. પણ અચાનક જ યુદ્ધ વિરામ આવ્યો તેમાં પણ સવાલો થયા. શું યુદ્ધ વિરામ એક પક્ષીય હતો? કોઈ અન્યએ – બહારની વ્યક્તિ કે દેશે વચ્ચે પડીને મધ્યસ્થીનો ભાગ ભજવ્યો? આખી પરિસ્થિતિમાં ભારતનો હાથ ઉપર હતો ત્યારે જ યુદ્ધ વિરામની જાહેરાત કેમ કરાઈ? મોદી સરકારે તો કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી હોવાની આખી વાતને નકારી કાઢી છે. યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતે બૅક ચેનલિંગ કર્યું હોવાનો દાવો કર્યો પણ તેને આપણી સરકારે નકારી કાઢ્યો.  

ટ્રમ્પે એમ કહ્યું કે “હું એમ કહેવા નથી માગતો કે મેં કર્યું પણ મેં મદદ તો કરી જ” – લોકોએ આ વાત હસવામાં કાઢી. જો કે વ્યૂહાત્મક રીતે જોઈએ તો એવી શક્યતા છે કે યુ.એસ.એ. અને નાટો સાથે સંકળાયેલા દેશોનું દબાણ હોય. એક ધારણા એ પણ છે કે આવું થવાનું કારણ એ છે કે ભારતીય મિસાઈલોમાંની એક મિસાઈલ નાટો લોજિસ્ટિક્સ હબની નજીક ફૂટી હતી. આ માત્ર એક ધારણા છે જેની પર ઘણી બધી ચર્ચા થઈ છે પણ કોઈ નક્કર નિવેદન નથી આવ્યું, ન તો કોઈ સત્તાવાર અહેવાલે આની પુષ્ટિ કરી છે. પહેલાં ઉપ પ્રમુખ જે.ડી. વેન્સનું કહેવું કે અમારે આખી ઘટના સાથે કંઇ લેવાદેવા નથી અને પછી ટ્રમ્પનો મધ્યસ્થી થવાનો દાવો વગેરે જરા પેચીદું લાગે એમાં નાટો લોજિસ્ટિક્સ હબની ત્રિરાશી મંડાય ત્યારે કોકડું ઓર ગુંચવાય. એક સૂર એવો પણ છે કે ભારતે જ્યારે પોતાની શક્તિનો પરચો પાકિસ્તાનને – આતંકવાદને પાળનારા દેશને બતાડ્યો પણ ભારતને પોતાની આ પહેલ ‘રોકવા’નું કહેવાયું હતું. ટ્રમ્પની ભૂમિકા તેમાં હોય કે ન હોય પણ વૈશ્વિક સ્તરે કોઈ મધ્યસ્થીએ ભાગ ભજવ્યો હોવાના નેરેટિવને કારણે માત્ર દ્વિપક્ષીય સંઘર્ષનો જે પ્રભાવ હતો તેમાં આપણે થોડેઘણે અંશે ખોટમાં ગયા. આ સ્તરે વ્યૂહાત્મક નિર્ણય લેવાને મામલે ભારતની સ્વાયત્તતા અંગે ઘણાંએ ભવાં તાણ્યા અને સવાલોની શક્યતાઓ પણ ખૂલી. 

આ તરફ ચીને ચૂપચાપ બધું જોયે રાખ્યું. બેઇજિંગે બેમાંથી એક પણ પક્ષને ખુલ્લેઆમ, પૂરેપૂરો ટેકો તો ન આપ્યો પણ ચીનના લશ્કરી નિરીક્ષકોએ તરત જ એ નોંધ્યુ કે ચીનમાં બનેલી રડાર સિસ્ટમો જે પાકિસ્તાનને પૂરી પાડવામાં આવી હતી તેને ભારતે જામ કરી દીધી હતી. ચીન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષને કારણે બે હેતુ પાર પડ્યા – એક તો ચીને પોતે સંરક્ષણના જે સંસાધનોની નિકાસ કરી છે તેની કામગીરી, ટકાઉપણું અને ક્ષમતા આ સંજોગોમાં નાણી શકાયાં. બીજો હેતુ એ કે પોતે પૂર્વમાં જે ચાળા કરે છે તેની પરથી ભારતનું ધ્યાન ખસ્યું. ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં જે પણ વિશ્લેષક અહેવાલો પ્રગટ થયા હતા તે માપમાં રહીને જ લખાયા હતા પણ તેમાં આડકતરી રીતે એમ પણ કહેવાયું કે ભારત જે રીતે પશ્ચિમી ઇન્ટેલિજન્સ અને શસ્ત્રો પર આધાર રાખે છે, ભારતની પશ્ચિમી દેશો સાથેની નિકટતા તેને બાકીના એશિયાઈ દેશોથી રાજકીય અને વ્યૂહાત્મક સ્તરે અલગ પાડશે, ખાસ કરીને એ પ્રદેશોથી જેની પર બેઈજિંગનો પ્રભાવ છે. વળી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં જો ચીનના શસ્ત્રો પાકિસ્તાની એરસ્પેસની રક્ષા કરવામાં પાછા પડે તો તેનો સીધો ફાયદો પશ્ચિમી દેશોને થાય. અહેવાલો અનુસાર ચીનની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાનમાં હતી તે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતના હવાઈ હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ. આ નિષ્ફળતા ચાઈનીઝ ટૅક્નોલૉજીની વિશ્વસનીયતા પર સવાલ ખડા કરે છે. આની સીધી અસર થાય ચીની શસ્ત્રોની નિકાસ પર અને અન્ય દેશો જો ચીન પાસેથી શસ્ત્રોનો વ્યાપાર કરવાનું વિચારતા હોય તો તેઓ પોતાનો પ્લાન સ્વભાવિક રીતે બદલી નાખશે. આમાં ચીનનું ઇન્દ્રાસન પાછું ડોલી જાય તે સ્વાભાવિક છે. 

હવે ઘર આંગણે લોકોના પ્રતિભાવ અને નક્કર સ્પષ્ટતાની ગેરહાજરીની ચર્ચા કરવી રહી. રાષ્ટ્રવાદ છેલ્લા કેટલાક દિવસોમાં પરાકાષ્ઠા પર રહ્યો છે. ન્યૂઝ ચેનલોના નાટકીય મોન્ટાજ અને અહેવાલોથી અમૂક વર્ગને લાગ્યું કે જાણે પોતે જ સરહદ પર છે. સોશ્યલ મીડિયા પર અલગ સિંદૂર ખેલા થયો જેમાં જાણીતા-અજાણ્યા બધાં લોકો પોત પોતાની રીતે જોડાયાં. બરખા દત્ત, જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જાણીતાં છે તેમના રિપોર્ટ્સમાં નિયંત્રણ રેખાની નજીક રહેતા લોકોને વ્યથા દેખાઈ આવી. અમુક વિશ્લેષકોએ સવાલ પણ કર્યા કે આ બધું માત્ર એક મેસેજ આપવા માટે હતું, માત્ર એક સંકેત હતો? કાશ્મીરમાં સ્થિતિ નથી બદલાઈ – આમે ય કશું રાતોરાત ન થાય પણ આ ઘટનાનો પ્રભાવ કેટલો? આતંકવાદીઓ હવે ખડા નહીં થાય? POKનો પ્રશ્ન ઉકેલાઈ ગયો? ભારતે પોતાની લશ્કરી તાકાત બતાડી દીધી પણ મળ્યું શું? આપણી તાકાત જોઇને હવે પાકિસ્તાન આપણી ક્ષમતા કળી જઈને પોતાનું જોર અને વ્યૂહરચના ચાર ગણી મજબૂત બનાવશે તો શું? પાકિસ્તાનને ખબર છે કે ભારત હવે હુમલો કરતા નહીં અચકાય તો તે ધારે તો આતંકવાદી હુમલાને અટકાવી શકે છે પણ અવરોધ ત્યારે જ કામ કરે જ્યારે તેની સાથે રાજકીય સુસંગતતા હોય. ભારતમાં ઐતિહાસિક રીતે તેનો અભાવ રહ્યો છે. વળી સવાલ એ પણ છે કે જો આપણી પર હુમલો થાય તો ભારત વધુ આકરો જવાબ આપશે? આતંકવાદીઓ તો જૈસે થે વાળા ઝોનમાં છે. કાશ્મીરમાં રાજકીય તણાવ યથાવત્ છે. વ્યૂહાત્મક રીતે તણાવ ટાળવા માટે યુદ્ધ વિરામ જરૂરી હતો પણ એમાં પાકિસ્તાનને કળ વળે અને તે ફરી બેઠો થાય તેનો સમય મળી ગયો છે.

એ ગણતરી યાદ રાખવી જરૂરી છે કે આ માત્ર બે દેશોનો સંઘર્ષ નથી. આ બહુ પેચીદું કોકડું છે. ચીન, અમેરિકા, અન્ય મુસ્લિમ દેશો, અન્ય પશ્ચિમી દેશો એ તમામ આ આખી ઘટનામાં એક યા બીજી રીતે જોડાયેલા છે. વિજય પતાકા અને મૃતકોની યાદી વચ્ચેનું રાજકારણ હંમેશાં તરત સપાટી પર નથી આવવાનું એ યાદ રાખવું જરૂરી છે. 

બાય ધી વેઃ 

ઑપરેશન સિંદૂર એ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીની ક્ષમતા અને લશ્કરી તાકાતનું નોંધપાત્ર પ્રદર્શન હતું. લશ્કરી સફળતાથી વ્યૂહાત્કમ વિજય હંમેશાં નથી મળતો. આપણે જીતીશું તો આપણી જીત કેવી દેખાશે એ આપણે વિચારવું જોઈએ. ચક્રવર્તી રાજા અશોકે કલિંગનું યુદ્ધ કર્યુ હતું જે ઇતિહાસના સૌથી મોટા અને ઘાતક યુદ્ધોમાંનું એક ગણાય છે પણ તેની તારાજી જોઈને રાજા અશોકે ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો. POKમાં થયેલો છાવણીઓનો વિધ્વંસ વિજય હોય કે પછી કાશ્મીરની સ્થિરતા આપણા વિજયનું પરિણામ બનશે તે આપણે નક્કી કરવું રહ્યું. આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી દરેક ઑપરેશન ક્ષણિક ઉત્તેજનાઓ, તાકાતનું પ્રદર્શન, ગર્વ અને પ્રસિદ્ધિમાં સમાઈ જશે પણ સંજોગો વણઉકેલાયેલા રહેશે. બીજી બાજુ પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ-સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025

Loading

...102030...282283284285...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved