Opinion Magazine
Number of visits: 9664048
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 May 2025

ચંદુ મહેરિયા

બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો, મહત્ત્વનો હિસ્સો છે. પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટા પાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનનાં પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.

વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં ૧૨૨ દેશોમાં ભારતનો ક્રમ ૧૨૦મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક છે. પરંતુ આપણા દેશનાં પાણીના સિત્તેર ટકા સ્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.

વાયુ ગુણવત્તા અહેવાલ ૨૦૨૪માં આપણે ત્રીજા ક્રમે છીએ અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે. પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી. કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાના પ્રદૂષિત શહેરોમાં ભારતના તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા  અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધૂમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના ફટાકડાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વરસે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન, ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વૃક્ષો પર પાણીનો છંટકાવ જેવા પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે. 

ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે. પરંતુ જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઉજવી શકતા નથી, તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડી.જે.નું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા ગામે લગ્નના વરઘોડામાં ડબલ ડી.જે.નો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી! 

પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હ્રદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હ્રદય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮ મિલિયન લોકોના અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. ૨૦૧૯માં ભારતની અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જી.ડી.પી.ના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં ૧.૨ લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.

પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગૃતિ અને ભાગીદારી મહત્ત્વની છે જ પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. ૨૦૧૮માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્ત્વનો હિસ્સો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ(N CAP) છે. યોજનાના ઊંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશના ૧૩૧ શહેરોમાં ૨૦૧૯-૨૦માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને ૨૦૨૬ સુધીમાં ૪૦ ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહીનો  ભોગ બનતી હોય છે. 

ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિનો સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વરસ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્ર સરકારે રૂ. ૮૫૮ કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા. પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ.૭.૨૨ કરોડ અર્થાત એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો. આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાના  હતા. પરંતુ નાણાકીય  વરસ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલાં પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.

હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વરસના બજેટમાં રૂ.૫૦૬ કરોડની જોગવાઈ વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વરસની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ.૮૫૮ કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો ૨૭ ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણ વપરાયેલો રહ્યો જ છે, પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ ૨૦૨૪-૨૫માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાંનો ૫૭ ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સી.એ.જી.ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન, તેમના માટે એકાધિક લેપટોપ અને આઈ ફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રકૃતિએ કેટલું બધું આપ્યું છે. પરંતુ માનવીય ભૂલો અને જાગૃતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સોંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેર ઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ. 

૧૯૪૪થી ૧૯૫૫ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને ૧૯૨૯માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણી કોશમાં પર્યાવરણ શબ્દ નથી. પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં  પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને સાર્થ ગુજરાતી જોડણી કોશમાં હાનિકારક કે ઝેરી તત્ત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે જણાવેલ છે. એટલે  પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે. ખરાબ પર્યાવરણ અને અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના  સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે. તેમાં સરકારી નાણાં વણવપરાયેલાં રહેવા કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ નિવારણની સૌથી કારગર  રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે, પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ. તો જ આપણી આવતીકાલ પ્રદૂષણમુક્ત હશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|22 May 2025

વાલજીભાઈ પટેલ

શું કોઈ સરકારી IAS અધિકારી સરકારના પરિપત્રને બદલવા સરકારને ફરજ પાડી શકે ખરા? પણ પ્રવીણ ગઢવીએ એ કામ કર્યું. જેનો હું સાક્ષી છું. 

અમરેલીમાં પ્રવીણ ગઢવી કલેકટર હતા અને હું અમરેલીમાં જમીન આંદોલન ચલાવતો હતો ત્યારે અમે આ કામ પાર પાડેલું. અને દલિતોને ફાળવેલ 3,000 એકર જમીનો બચી ગઈ. 

અમે આનંદિત થયેલા, પણ પ્રવીણભાઈ મારો સ્વભાવ જાણે એટલે એમણે મને આ પ્રસંગ જાહેરમાં ન કહેવાની સૂચના આપેલી. હું ચૂપ રહ્યો. કારણ કે, મારે તેમની નોકરીની મર્યાદા પણ જોવાની હતી.  

આજે પ્રવીણ ગઢવી આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે આવા સવાયા દલિતનો ઉપકાર હું ભૂલી જાઉં તો નગુણો ગણાઉં. એટલે વિગતે વાત કરીશ. 

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-૧૯૬૦ની કલમ-29 હેઠળ દલિતોને ફાળવેલ જમીનો નવા કરારની જમીન ગણાય. અને આવી નવા કરારની જમીનો આ કાયદાની કલમ-30ની જોગવાઈ અન્વયે જિલ્લા કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ. આમ આ જોગવાઈ બિન દલિતો  માટે આડખીલીરૂપ હતી.

ગુજરાતમાં તે વખતે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા. મોદી સરકારે આ અવરોધ દૂર કરવા નવા કરારની જમીનો ૧૫ વર્ષ પછી જૂના કરારમાં ફેરવી શકાય અને એવી જમીનો વેચી પણ શકાય તેવો હુકમ કર્યો. એટલું જ નહીં, કાયદાની જોગવાઈ અન્વયે આવી જમીનો વેચવાની મંજૂરી આપવાના અધિકાર માત્ર કલેકટર પાસે જ હતા. તેના બદલે સરકારે એવા અધિકાર મામલતદારોને પણ આપ્યા. 

પ્રવીણભાઈ ગઢવી

પરિણામે દલિતોના નામે મંડળીઓ બનાવી કબજો કરી બેઠેલા રાજકીય દલિત નેતાઓ આ કરોડો રૂપિયાની સેંકડો એકર જમીનોના માલિક બની ગયા. અને માત્ર કાગળો ઉપર સભ્યો કરી બનાવેલી મંડળીઓનાં રાજકીય દલિત નેતાઓએ મામલતદારો પાસેથી આ જમીનો વેચવાની મંજૂરીઓ મેળવી સવર્ણોને 3,000 એકર જમીનોના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા. 

રોકડિયો લાભ મેળવવા આ દલિત આગેવાનોએ પાંચ લાખમાં વેચેલી જમીનોમાં ત્રણ લાખ રોકડા લઇ દસ્તાવેજ તો માત્ર બે લાખમાં કર્યા. ત્રણ હજાર એકર જમીન ધરાવતી અમરેલીની સૌથી મોટી ખેત મંડળીનાં માલિક કાઁગ્રેસની હરિજન વિકાસ પરિષદના ગોવા કાળા મારુ અને તત્કાલીન નિવૃત્ત ડેપ્યુટી કલેકટર ડી.કે. મારુએ 70 લાખ રૂપિયાના દસ્તાવેજો કરેલા.  

અમે કાઉન્સિલ ફોર સોશ્યલ જસ્ટીસે અમરેલી રજીસ્ટારની  કચેરીમાં નાણાં ભરી બધા વેચાણ દસ્તાવેજોની નકલો મેળવી. અને અમરેલી કલેક્ટરની કોર્ટમાં શરતભંગનાં મેં કેસ દાખલ કર્યા. જેમાં કાયદાની કલમ-30 હેઠળ કલેકટરની મંજૂરી વગર થયેલ દસ્તાવેજો  તેમ જ  બિનઅધિકૃત  અધિકારી મામલતદારની મંજૂરી મેળવી થયેલ વેચાણ દસ્તાવેજો કાયદા વિરોધી હોઈ આવા દસ્તાવેજો  રદ્દ કરવા લેખિત ફરિયાદ કરી. 

મારી ફરિયાદ કલેકટર પ્રવીણ ગઢવીની કોર્ટમાં સુનાવણીમાં આવી. તેમણે મારી ફરિયાદ વાંચી મને કહ્યું, “વાલજીભાઈ, મને બે દિવસ વિચારવા આપો.” 

બે દિવસ પછી હું તેમની ઓફીસમાં મળવા ગયો. અને તેમણે  મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પાસેથી માર્ગદર્શન મેળવવા પત્ર લખેલો એ પત્ર મને વાંચવા આપ્યો. પ્રવીણભાઈએ મારી ફરિયાદના સંદર્ભે અગ્ર સચિવ મહેસૂલને લખેલ પત્રમાં સ્પષ્ટ જણાવેલ કે, કાયદાની કલમ-30ની જોગવાઈ હેઠળ નવા કરારની જમીન કલેકટરની મંજૂરી વગર વેચી શકાય નહિ તેવી જોગવાઈ છે. તેમ જ સરકારના પરિપત્ર મુજબ આવી જમીન વેચવા મામલતદાર પણ મંજૂરી આપી શકે તેવો હુકમ પણ થયેલ છે. જેથી મારી સમક્ષ આવેલ આ ફરિયાદમાં નિર્ણય લેવા મને  માર્ગદર્શન આપશો. બસ, આ પત્રે મહેસૂલ ખાતામાં હલચલ મચાવી દીધી.

મામલતદારને સરકારે આપેલ અધિકાર કાયદા વિરુદ્ધનો હતો. એટલે સરકારે તાત્કાલિક મામલતદારને અધિકાર આપતા પરિપત્રને રદ્દ કરવાનો અને કલમ-30 હેઠળ માત્ર કલેકટરને જ અધિકારો આપતી જોગવાઈનો જ અમલ કરવો તેવો હુકમ થયો. 

આમ કાયદાની દૃષ્ટિએ મામલતદારની મંજૂરીથી થયેલ મંડળીના દસ્તાવેજો આપોઆપ  ગેરકાયદેસર બની ગયા. ત્યારબાદ પ્રવીણ ગઢવીની તો અમરેલીથી બદલી થયેલી અને  ઝાલાવાડિયા નવા કલેકટર આવ્યા. એટલે નવા કલેકટર ઝાલાવાડિયાની કોર્ટમાં દોઢ વર્ષ સુધી મારા બધા જ કેસ ચાલ્યા અને આખરે કલેકટર અમરેલીએ કાયદાની કલમ-30 હેઠળ આ મંડળીઓએ કરેલ બધા જ વેચાણ દસ્તાવેજ ગેર કાયદેસર ઠેરવી રદ્દ કરવાનો હુકમ કર્યો. 

આમ જો દિવંગત પ્રવીણ ગઢવીએ માર્ગદર્શન મેળવવાના બહાને મારી ફરિયાદ લઇ અગ્ર સચિવને  પત્ર લખ્યો ન હોત તો આ પરિણામ ન આવત.  સરકારની નજરમાં આવું જોખમ લઈને પણ સરકારને પરિપત્ર રદ્દ કરવાની ફરજ પડે તેવી દિવંગત પ્રવીણ ગઢવીની હિંમત અને કુનેહમાં મને તેમની દલિતો પ્રત્યેની કટીબધ્ધતાનાં દર્શન થયા.  

કદાચ આ જગ્યાએ કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું કામ કરનાર પ્રવીણભાઈ, તમારો દલિત સમાજ પર મોટો ઉપકાર છે. મને માફ કરશો, મારી પાસે આપને શ્રદ્ધાંજલિ આપવા માટે માત્ર ઠાલા શબ્દો સિવાય બીજું કંઇ જ નથી. તમારી યાદ મારી મોંઘી મૂડી છે. કદીએ નહિ ભૂલાય પ્રવીણભાઈ ! 

[વાલજીભાઈ પટેલ, એક્ટિવિસ્ટ, કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ, 20 મે 2025]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’

નંદિતા મુનિ|Opinion - Opinion|21 May 2025

તા. 18 મેની સાંજે સાર્થક પ્રકાશનના એક સીમાચિહ્ન સમા કાર્યની પરિણતિના સમારોહમાં જવાનું થયું. 

આટલું લખ્યા પછી થયું કે વેલ, આ તો (સાચા, પણ) બહુ મોટા શબ્દો પ્રયુક્ત થઈ ગયા. એના બદલે એમ કહું તો ય એટલું જ સાચું છે, કે એક સાર્થક જલસામાં જવાનું થયું. અને ખરેખર, અમારી તળપદી બોલીમાં કહું તો, જલસી પડી ગઈ! 

સાર્થકના કાર્યક્રમોમાં કાયમ જોયું છે કે આદર પૂરેપૂરો, ખોટી ઔપચારિકતા જરા ય નહીં. અહીં પણ એ જ લાક્ષણિકતા જોવા મળી. AMAમાં પહોંચતા જ સૌથી પહેલાં તો સમરસિયાં મિત્રોને મળવાનો જલસો થયો. સાર્થકના નિમિત્તે પણ કેટલાક મિત્રો થયા છે; ને એવું ય બને છે કે અમુક પ્રિય પરિચિતોની આવા નિમિત્તે અનાયાસ મુલાકાત થતી રહે છે. એનો રાજીપો છે. 

દીપકભાઇ સોલિયાએ ખુદ ગબ્બર પણ ખુશ થઈ જાય એવી શૈલીમાં સમારોહનો આરંભ કર્યો. ઉર્વીશભાઈએ ‘સાર્થક જલસો’ના 22મા અંક વિશે અને ‘ગાંધી પછીનું ભારત’ના અનુવાદ વિશે કહ્યું. બન્નેનો પરિચય સાંભળીને વાંચવાની ઉત્સુકતા પ્રબળ થઈ. એમણે સહઅનુવાદક સ્વ. દિલીપ ગોહિલને અંજલિ આપી. સ્વ. રજનીકુમાર પંડયાને પણ બહુ સ્નેહથી યાદ કર્યા. એ ઉપરાંત સ્વ. જયંતભાઈ મેઘાણીને પણ સંભાર્યા, જેઓ આ અનુવાદકાર્ય કેટલે પહોંચ્યું એની તત્પર પૃચ્છા કર્યા કરતા. આઠ વર્ષે આ અઘરું કામ પૂર્ણ થયું હોઈ જયંતભાઈ આ વિમોચન ન જોઈ શક્યા; પણ સુઘડ છપાઈ, કાળજીભરી વિષયસૂચિ, અનુવાદની ચોકસાઈ વગેરે જોઈને તેઓ કેવા રાજી થયા હોત એ કલ્પી શકાય એમ છે.

એ પછી આદરણીય મુરબ્બી પ્રકાશભાઈનું વક્તવ્ય. અપેક્ષા મુજબ જ એમાં ઊંડાણની સાથે એમની પ્રસિદ્ધ ‘વિટ’ના ચમકારા હોય જ. આ સમારંભમાં જલસો પડે એક વાત એ પણ હતી કે તમામ વક્તાઓના વ્યાખ્યાનમાં ગાંભીર્યની સાથોસાથ સૌમ્ય હાસ્ય પણ સતત વણાયેલું રહ્યું. 

રામચંદ્ર ગુહાએ આવો magnum opus કઈ રીતે લખ્યો, એનું સંશોધન કઈ રીતે કર્યું એ વિશે અતિ દીર્ઘતા વગર પણ સરસ રીતે વાત કરી. એમણે પોતે જ કહ્યું કે મારા આ ગ્રંથમાં સામાજિક, રાજનૈતિક વગેરે ક્ષેત્રો આવરી લેવાયા છે, પણ મને લાગે છે કે આર્થિક ક્ષેત્રને હું પૂરો ન્યાય આપી શક્યો નથી. આ કક્ષાના વિદ્વાનને તદ્દન સ્વાભાવિક રીતે મંચ પરથી આવું કહેતા જોવા એ સામાન્ય વાત તો નથી જ. એમણે એ પણ કહ્યું કે આ ગ્રંથ લખવાની તક મારી પાસે બહુ યોગ્ય સમયે ઉપસ્થિત થઈ – મારે ચાલીસીની શરૂઆતમાં – જ્યારે મારી પાસે આ કામને ન્યાય આપી શકાય કરી શકાય એટલાં અનુભવ અને ઉર્જા હતાં; પણ સાથે જ મારા વિચારો કે અભિપ્રાયોમાં અવસ્થાજડતા આવી નહોતી. ગુહા સાહેબના વક્તવ્ય વિશે બહુ વિગતમાં અહીં નથી ઉતરતી; પણ એનો વીડિયો  ઓનલાઈન મૂકાય એવી આશા વ્યક્ત કરું છું.

બીજા દિવસે સવારે નવજીવન ખાતે કેટલાક મિત્રોને ‘રામભાઈ’ (ઉર્વીશભાઈનું સંબોધન) સાથે અનૌપચારિક ગોષ્ઠી માટે નિમંત્રણ હતું. એ ગોષ્ઠી એટલે સવાયો જલસો! એમાં વેરિયર એલ્વિન (જેમને રામચંદ્ર ગુહા પોતાના જીવનને વળાંક દેવાનું શ્રેય આપે છે), જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ચંડીપ્રસાદ ભટ્ટ, અનુપમ મિશ્રા, વિનોબા ભાવે જેવી વિભૂતિઓથી માંડીને સાંપ્રત રાજકારણના પ્રવાહો સુધી વિવિધ વિષયો પર વાતો થઈ. ગાંધી તો અલબત્ત હોય જ. ગુહા સાહેબે એક માર્મિક વિધાન પણ કર્યું : ઈતિહાસકાર જ્યોતિષી કે રાજ્યપુરોહિત ન હોઈ શકે. આ મહાગ્રંથ લખવાની પ્રક્રિયા વિશે પણ એમણે વધુ વિગતે વાત કરી. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના જરા ય ભાર વિનાની એમની ‘ડાઉન ટૂ અર્થ’ પ્રેઝન્સ યાદ રહેશે.

બે દિવસના આ નાનકડા જ્ઞાનસત્ર પછી હવે આ ગ્રંથમાંથી પસાર થવા આતુર છું. 

(મેં કોઈ તસવીરો ન લીધી હોઈ આ તસવીર ઉર્વીશભાઈની દીવાલેથી ચોરી છે.) 

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...278279280281...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved