Opinion Magazine
Number of visits: 9577274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી વૈતરણી પાર ઉતરશે ? ભારતમાં હિન્દવી શાસન સ્થપાશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2019

આઠસો વરસની ગુલામી પછી ૨૦૧૪માં પહેલી વાર હિદુઓને આઝાદી મળી અને હિન્દવી શાસન આવ્યું જેનો ઉપસંહાર ભારતીય જાગરણના પાયાના પથ્થરોમાંના એક ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડવા સાથે થયો એ યોગાનુયોગ હોવા છતાં સાંકેતિક છે. કઈ રીતે એ સમજીએ.

પહેલી વાત તો એ કે આઠસો વરસની હિંદુઓની ગુલામીની વાત ક્યાંથી આવી? ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાઝ-ઉદ્દ-દૌલાને અંગ્રેજોએ પરાજીત કર્યો એ સાથે ભારત ગુલામ બનતો ગયો એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. આમ ભારતે આઝાદી ૧૭૫૭ પછી ગુમાવી અને ૧૯૪૭માં પાછી મેળવી એમ ઇતિહાસ કહે છે તો પછી આ આઠસો વરસની ગુલામીની વાત ક્યાંથી આવી?

આ તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઉદારમતવાદી સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્રવાદીઓએ  લખેલો ઇતિહાસ છે જે હિન્દુત્વવાદીઓને કબૂલ નથી. તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ગમે છે. અંગ્રેજો કહી ગયા છે કે ભારતમાં મુસ્લિમ આક્રમકો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને ભારતમાં આવ્યા હતા અને હિંદુઓને પરાજીત કરીને ગુલામ બનાવ્યા હતા. સેંકડો વરસની ગુલામી પછી છેક ૧૭૫૭માં અંગ્રેજોએ મુસલમાનોને પરાજીત કરીને હિંદુઓને મુસલમાનોથી મુક્તિ અપાવી હતી. તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં વિવિધ શાસનકાળની વિભાગણી કઈ રીતે કરી છે? ઈ. સ. ૧૨૦૬થી લઈને ૧૭૫૭ સુધીનો કાલખંડ એ ઇસ્લામિક યુગ કે મુસ્લિમ યુગ અને ૧૭૫૭ પછીનો કાલખંડ એ બ્રિટિશ યુગ. બીજી બાજુ અંગ્રેજોના કાલખંડને ખ્રિસ્તી યુગ તરીકે નથી ઓળખાવવામાં આવતો, પણ બ્રિટિશ યુગ. અંગ્રેજોની બાબતમાં ધર્મને ગાળી નાખવામાં આવ્યો હતો; પણ ઘોરી, લોદી, ખિલજી, ગુલામ, મુઘલ કાલને એક કૌંસમાં મૂકીને ચાહી કરીને તેને મુસ્લિમ યુગ તરીકે ઓળખાવ્યો છે.

અંગ્રેજોની આ ચાલાકી હિન્દુત્વવાદીઓને નહોતી સમજાતી એવું નથી, પણ જો બાધવું જ હોય અને બાધવા માટેની સામગ્રી અંગ્રેજો પૂરી પાડતા હોય તો સત્ય શોધવાની શી જરૂર છે? જો સત્ય શોધવા જાવ તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના સંપની ઘટનાઓ હાથ લાગે, અકબર જેવા ઉદાર મુસ્લિમ શાસકોનો સેક્યુલર અભિગમ સામે આવે, ધર્મપરિવર્તન કરનારા હિંદુઓ કોણ હતા અને તેમણે શા માટે અને કઈ રીતે ધર્મ પરિવર્તન કર્યું હતું એની હકીકત સામે આવે. સૂફીઓની માનવીય એકત્વની ભાવના નજરે પડે. ટૂંકમાં અંગ્રેજોએ લખેલા ઇતિહાસને સત્યની એરણે ચકાસો તો બાધવાની સમાગ્રી હાથમાંથી જતી રહે. અંગ્રેજોને પણ સમજાઈ ગયું હતું કે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો એકબીજા સામે બાધવાની સામગ્રી શોધી રહ્યા છે એટલે તેમણે ચોક્કસ પ્રકારે ઇતિહાસ લખીને સામગ્રી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ માત્ર હિંદુઓને જ નહીં, મુસલમાનોને પણ બાધવાની સામગ્રી પૂરી પાડતા હતા. અંગ્રેજોની એ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાય છે.

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના બીજા છેડાના સમકાલીન બંગાળી વિચારક અને સાહિત્યકાર બંકિમચન્દ્ર ચેટર્જીએ તો હિંદુઓને મુસલમાનોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો આભાર પણ માન્યો હતો. આ સત્ય નહોતું, પણ અંગ્રેજોએ દૃઢ કરેલી પણ માફક આવતી માન્યતા હતી એટલે તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આમ હિન્દુત્વવાદીઓ માટે અંગ્રેજો મુસલમાનોથી મુક્તિ અપાવનારા મુક્તિદાતા હતા. એટલે તો તેમણે અંગ્રેજોની વિરુદ્ધ ચાલતા આઝાદી માટેના આંદોલનમાં ભાગ નહોતો લીધો. ભારત આઝાદ થાય એમાં તેમને રસ નહોતો, હિંદુ આઝાદ થાય એમાં તેમને રસ હતો અને ગાંધીજી તેમ જ કૉન્ગ્રેસના નેતૃત્વમાં હિંદુ આઝાદ થવાના નહોતા અને હિંદુઓનું રાજ આવવાનું નહોતું. આવા નકલી સ્વરાજ માટે શા માટે કુરબાની વહોરવી! આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતની આઝાદીને નકારી પણ હતી. આઝાદીના દિવસને મનાવવામાં નહોતો આવતો અને તિરંગાને માન આપવામાં નહોતું આવતું. પાછળથી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આવું વલણ કોળાવામાં બાધારૂપ બની શકે એમ છે, એટલે તેમણે કમને અને ઢોંગ તરીકે; આઝાદી, બંધારણ, બંધારણનિર્મિત આધુનિક રાજ્ય, તિરંગો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવ્યાં હતાં. વાસ્તવમાં તેમને મન હિંદુઓએ આઝાદી હજુ મેળવવાની બાકી હતી.

એ આઝાદી ૨૦૧૪માં હિન્દુત્વવાદીઓને બંધારણીય લોકશાહીના માર્ગે મળી હતી. પહેલી વાર હિંદુ રાષ્ટ્રનાં સપનાં જોનારાઓને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. અગિયાર સો વરસ પછી પહેલી વાર દેશમાં હિન્દવી શાસન આવ્યું. હવે ગિરનારની એક જ ટુક ચડવાની બાકી રહી હતી અને તે હતી ભારતીય બંધારણ બદલીને હિન્દવી બંધારણ ઘડવાની. એ માટે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી અને ગમે તેવા સંજોગોમાં પણ સાથ ન છોડે એવું હિંદુ માનસ ઘડવાનું હતું. આજકાલ આવા લોકો ભક્તો તરીકે ઓળખાય છે. ભગવાન કાંઈ પણ બોલે કે કરે, આંગળી નહીં છોડવાની. પ્રતિબદ્ધ ભક્તોની મોટી જમાત અને લોકસભામાં પ્રચંડ બહુમતી મળી જાય એ પછી હિન્દવી રાજ્ય માટેનું હિન્દવી બંધારણ ઘડી શકાશે.

એટલે તો અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને તેની કવર સ્ટોરીમાં નરેન્દ્ર મોદીને ‘ડીવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા છે. ભારતીય સમાજમાં આડી-ઊભી એટલી તિરાડો પાડો કે જેણે આંગળી પકડી છે એ ક્યારે ય છોડે નહીં અને જેણે નથી પકડી એ ડરના માર્યા પકડી લે. એમના મનમાં એવું ઠસાવી દેવું કે ગાંધી-નેહરુનો સેક્યુલર દેશ હવે ઇતિહાસ બની ગયો છે અને સામે જે નજરે પડી રહ્યું છે એ ભારતની નવી વાસ્તવિકતા છે અને આવનારા અનેક દાયકાઓ માટેની વાસ્તવિકતા છે, જેમ અંગ્રેજોએ ભારતનાં હિંદુઓ અને મુસલમાનોના મનમાં ઠસાવી દીધું હતું કે અંગ્રેજ રાજ કમસે કમ સો દોઢસો વરસ માટેની ભારતની વાસ્તવિકતા છે. એક વાર માણસ વાસ્તવિકતા કબૂલી લે પછી તેને સ્વીકારતો થઈ જાય છે. તેનો વિરોધ મંદ પડવા લાગે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવા લાગે છે જે રીતે પાકિસ્તાનમાં પ્રગતિશીલ મુસલમાનોએ સમાધાન કરી લીધું છે.  

હિન્દવી શાસનને ધીમે ધીમેં હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજના સફળ નીવડી છે કે નિષ્ફળ એની જાણ ૨૩મી તારીખે થઈ જશે. નરેન્દ્ર મોદી સામેની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં ભક્તોને ઊંડે ઊંડે હજુ પણ ભરોસો છે કે સાહેબ વૈતરણી તરી જશે; કારણ કે એ નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીને કોઈ પરાજીત ન કરી શકે. નરેન્દ્ર મોદી સામેની આવી પ્રતિકૂળતા નજરે પડતી હોવા છતાં પણ સેક્યુલર હિંદુઓને ભરોસો બેસતો નથી કે તેઓ સો ટકા પરાજીત થશે,  કારણ એ જ કે; તેઓ નરેન્દ્ર મોદી છે.

આમ હિન્દવી શાસનને ધીમે ધીમે હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજનાના પહેલા પર્વના છેલ્લા અઠવાડિયામાં ભારતીય જાગરણના પાયાના પથ્થર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું પૂતળું હિન્દુત્વવાદીઓએ તોડી નાખ્યું એ યોગાનુયુગ હોવા છતાં સાંકેતિક છે. રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, કેશબચન્દ્ર સેન, જ્યોતિબા ફૂલે, ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ ગોવિંદ રાનડે, નારાયણ ગુરુ, કંઈક અંશે વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર વગેરે સેંકડો લોકોએ અત્યારના ભારતનું જે ભવન તૈયાર કર્યું છે એ ભારતભવન અને લક્ષ્ય હિંદુભવન બાંધવાનું છે.

17 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2019

Loading

‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : કાવ્ય પરંપરાના ઉઘડતા સંદર્ભો

રંજના હરીશ|Opinion - Literature|19 May 2019

વર્ષોથી વતનથી દૂર અમેરિકામાં વસતાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવયિત્રી પન્ના નાયકના પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો'(વોર્શિગ્ટન ડી.સી. : 2018)ની ચર્ચા આપણે ગયે વખતે કરી. આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં મારા મનમાં બ્રિટિશ  તેમ જ ડાયસ્ફોરિક કાવ્ય પરંપરાના સંદર્ભો ઉઘડતા ગયા.

જેમ જેમ સંગ્રહ વાંચતી ગઈ તેમ તેમ વોલેસ સ્ટીવન્સ, એમિલી ડિકિન્સન, વર્જીનિયા વુલ્ફ જેવાં કવિઓનું સ્મરણ થતું ગયું. તો વળી આ સંગ્રહની કાવ્યસૃષ્ટિનાં ભારતીય મૂળ, તેમાં ઝૂલતાં કેસૂડાં, સૂર્યમુખી, મોગરા, તથા તુલસી, તેમ જ વિસ્મૃતિની પ્રતિક સમી શકુંતલાની વીંટી, મને ભારતીય મૂળ ધરાવતાં સુજાતા ભટ્ટ તથા ઉમા પરમેશ્વરન્‌ જેવાં કવિઓની યાદ અપાવતા રહ્યા. મનુષ્યજીવનના સંબંધોની નિરર્થકતા તેમ જ સંકુલતા વિષયક કાવ્યો વાંચતા અનાયાસે થિયેટર ઓફ એપ્સર્ડ સ્મર્યું. શું આ સઘળું પન્ના નાયકે અમેરિકાની ધરતી પર એક સફળ લાઈબ્રેરિયન તરીકે ગાળેલ દીર્ઘ સમયનો પ્રભાવ છે ? કે પછી સાહિત્ય તત્ત્વની સાર્વત્રિકતાનો પુરાવો ?

પ્રસ્તુત સંગ્રહનાં મનગમતાં કાવ્યો પ્રયાસ વિના સહજરૂપે ગુજરાતીમાં અનુસર્જનરૂપે ઊતરી આવ્યાં. એમાંના થોડાક અહીં પ્રસ્તુત છે :

સ્વપ્ન

આપણે
બે શરીર એક આત્મા .
સ્વપ્નો સાકાર કરવા આપણે
દોડ્યા છીએ આપણે સાથોસાથ
હજારો જોજનો
હજારો ઇચ્છાઓ.
પરંતુ ક્યાંક ઊંડે ઊંડે
પડઘાય છે આપણી વચ્ચે
ખાઈ બનતી જતી તિરાડ …
આપણે બેઉ
જાણે એક પુસ્તકનાં બે પાન
અન્યોન્યની સામોસામ
પુસ્તક આકારે બંધાયેલ તો ય અલગ
સીવાયેલ એક સાથે નાશવંત માનવ ભાગ્ય થકી.

000

હિમશીલા (આઈસબર્ગ)

મારી મૃત કવિતાની સફરે જઈને
તમે કંઈ નહિ પામો
તેને તમે દફનાવી દો તે જ સારું
નહિ તો પછી કવિતાને ખોદીને
તેના ગહન ઊંડાણમાં પહોંચો તો
ત્યાં તમને મળશે તૂટેલ-ફૂટેલ વહાણોની અવદશા
અને તે મધ્યે વર્ષોથી
અડગ ઊભેલ એક
મહાકાય, વણતૂટી હિમશીલા

000

મોગરા

સ્વપ્નમાં ચૂંટેલ મોગરા ગુમાવે વર્ષો થયાં
તો ય તેની મહેક
મારા આંગળાને આજે ય કેમ ચોંટતી હશે ?

000

સ્ત્રી સ્વાતંત્ર્ય

પુરુષને મન
સ્ત્રી સ્વાતંત્ર્ય અને અધિકાર
એટલે પોતે સ્ત્રી પર વરસાવેલ કૃપા
જે આપે છે તેને સ્વતંત્રતા
એ નક્કી કરવાની કે
કયો પગ ઉકળતા પાણીમાં નાખવો
અને કયો બરફના ચોસલા પર મૂકવો

000

સિંહણ

તારા આંગળાથી તું
ભલે મારી ગરદન પંપાળ
હવે હું ત્રાડ નહીં પાડું
કેમ કે હવે હું પાલતુ પ્રાણી બની ગઈ છું
મારાથી બીવાની લગીરે જરૂર નથી
હવે હું ખુંખાર સિંહણ નથી …
મારી જરૂરિયાતો ટૂંકી છે
સહેજ અમથું દૂધ, માંસનો એક ટુકડો
અને તારા આલીશાન આલયનો એક નાનોશો ખૂણો
તું સિંહ અને હું સિંહણ …
જો હું કેવી પાલતુ સિંહણ છું !
પણ તને હું પાલતુ પ્રાણી તરીકે પણ ખપતી નથી
મને ખબર છે તું મને સુદૂર જંગલોમાં છોડી મૂકવા ઇચ્છે છે
તેનું કારણ પણ મને ખબર છે
હું તારી અપેક્ષાઓ સંતોષી શકું તેમ નથી માટે.
તને જોઈએ છે એવી સિંહણ જે કદીએ ત્રાડ ન પાડે,
જેની લેશ માત્ર બીક ન હોય
કેવી નરી મૂર્ખતા !
તને ખપે છે તેવું પ્રાણી તો અસ્તિત્વમાં જ નથી !
તું કલ્પિત મિથકને ઝંખી રહ્યો છે

000

સૂટકેસમાં પુરાયેલ સમય

પ્રત્યેક સવાર પૂછે છે મને
કે આખી રાત તેં શું કર્યું ?
પ્રત્યેક રાત પૂછે છે
કે આખે દિવસ તેં શું કર્યું ?
પ્રત્યેક વર્ષાંત પૂછે છે
કે બાર માસ તેં શું કર્યું ?
પ્રત્યેક દસકો પૂછે છે
કે આ બધાં વર્ષો તેં શું કર્યું ? તેં શું કર્યું ?
સમય માગે છે જવાબદેહી.
જવાબ આપવાનું ટાળીને
હું સમયને સૂટકેસમાં
મૂકીને તાળું મારી દઉં છું.
અને મૂકી દઉં છું સૂટકેસને ભંડકિયામાં.
ઘરે પાછા ફરતા
ફરી એ જ પ્રશ્નો અને તેના પદચિહ્નો
મને ઘેરી વળે છે .

તા.ક.

'વર્લ્ડ લિટરેચર ટુડે'ના સ્પ્રીંગ 2019ના અંકમાં, આ સંકલનના ભારોભાર વખાણ વાંચીને આનંદ આનંદ. પ્રિય મિત્ર પન્ના નાયકનું અંગ્રેજી સાહિત્ય વિશ્વમાં ઉમળકાભર્યું સ્વાગત છે.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : "નવગુજરાત સમય", 15 મે 2019

Loading

‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : પન્ના નાયકનો અંગ્રેજી કાવ્યસંગ્રહ

રંજના હરીશ|Opinion - Literature|18 May 2019

પન્ના નાયક એટલે ગુજરાતી સાહિત્યના નામાંકિત કવયિત્રી. છેલ્લા ચાર દશકથી પન્નાબહેને ગુજરાતી સાહિત્યને દસ જેટલા કાવ્યસંગ્રહો આપ્યાં છે. તદુપરાંત ટૂંકી વાર્તાઓ પણ ખરી. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વસતાં પન્ના નાયક ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીનાં લાઈબ્રેરિયન તેમ જ પેન્સિલવેનિયા યુનિવર્સિટીનાં એડજમ્ટ પ્રોફેસર રહી ચૂક્યાં છે. 2018માં પ્રકાશિત 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો' પન્નાબહેનનો પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. જેમાંથી પસાર થતાં એક નિવડેલ કવિનું સાનિધ્ય સતત વરતાય છે.

વર્ષોના વિદેશ વસવાટને કારણે પન્નાબહેનનાં કાવ્યમાં ડાયસ્ફોરિક પ્રજાનો ઘર ઝુરાપો એક મુખ્ય વિષય તરીકે ઊભરી આવે છે. સ્ત્રી જીવનનાં અનુભવો તથા અભિલાષાઓ અને હતાશાઓ પણ આ કાવ્યસંગ્રહનાં કથાવસ્તુ બની રહે છે. મૂળ મુદ્દે કવિ કવિતા લેખનનો બહોળો અનુભવ ધરાવતાં પન્ના નાયકની અંગ્રેજી કાવ્યસૃષ્ટિમાં પણ બિંબ, પ્રતિક તથા રૂપક ભરપૂર પ્રમાણમાં જોઈ શકાય છે. ગુજરાતીની જેમ તેમનું અંગ્રેજી ભાષાકર્મ પણ સબળ તથા પ્રભાવશાળી છે. અમેરિકાનાં કાવ્ય જગતમાં બહોળો આવકાર પામેલ પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સ્વાગત સાથે તેમાંથી ચુનંદા કાવ્યોનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એકાકાર

રોજ સવારે
કૃષ્ણની મૂર્તિ સામે
દીવો કરતાં
ચિતાની ધગધગતી જ્વાળા
મારી આંખને દંશે છે
દીવો કે ચિતા બંને રંગરૂપમાં અગ્નિ,
બંને ઈશ્વરને અર્પાયેલ અંજલિ.
અનન્ય અજવાળું પથરાય છે મારા ચહેરા પર
હું જાણું છું, આ અજવાળું છે તેનો પ્રકાશ
વાતાવરણ રણઝણે છે
સંગીતના સ્વરો વધાવે છે
અમારા મિલનને
વસ્ત્રો સરી પડે છે મારા તનથી
હું જ જાણે પેલી દીપશીખા છું
હું જ છું ચિતાના અગ્નિ સાથે એકાકાર જ્યોત.
મારો આત્મા દેહને છોડી જાય છે
કૃષ્ણે લંબાવેલ હાથ મને વધાવી લે છે
જમીન પર જે પડી છે
તે તો ફકત છે મારી રાખ (ppppP75)

……………

મૃત્યુ પામેલ પ્રેમીના દર્શને આવનાર પ્રેમી માટે…

હું હવે કયા પ્રકારે ફરિયાદ કરું
તારા મોડા પડ્યાની ?
આસપાસ કેટકેટલા લોકો છે !
અને મારા હોઠ સીવાયેલ છે !

……….

બિનકાયદેસર આગંતુક

વર્ષો થયાં મારા એ સતત સાથ આપતા
સ્મરણ નામના મારા દોસ્તને
દેશનિકાલ આપે.
હવે મળસ્કે
મને સંભળાય છે કોઈ ફુસફુસાટ
આ ઘૂસણખોર એ તો નહીં હોય ને ?
રુંધાયેલ શ્વાસ સાથે
વર્ષોથી બંધ બારી ખોલું છું
બારી ખોલવાના અવાજ સાથે
પવનનો સુસવાટ માત્ર છે !
હું મારી જાતને કહું છું
'તરછોડાયેલ સ્મરણ
એટલી સરળતાથી
પાછો ક્યાંથી આવે ?'
પણ શું સાચે જ બારીથી અંદર આવવા મથતો
તે જ ન હતો ?
આ વિચાર માત્ર મને મુંઝવે છે,
શું સ્મરણને ખબર નહીં હોય કે
અમેરિકામાં
બિનકાનૂની આગંતુકને
પોલીસ હાથકડી પહેરાવીને
જેલમાં નાખી દે છે
કોર્ટમાં લઈ જય છે
જો ગુનો સાબિત થાય તો તેને
દેશનિકાલ પણ અપાય છે ?
શા માટે તેને ફરી ફરીને
દેશનિકાલ જોઈએ છે ?

000

ઓરડામાં પાછા ફરતા હું તેને
મારા પલંગ પર આડો પડેલ જોઉં છું
ખુલ્લી બારીમાંથી આવતા
ચંદ્રપ્રકાશમાં તે ચમકે છે

000

ત્યાં તો પોલીસનો સ્વર સંભળાય છે
'બારી ખોલીને તમે પહેલી ભૂલ કરી' (34)

………..

ઘર ઝુરાપો

ફૂલમઢ્યા એ વૃક્ષને મેં
સુદૂર વસેલ ગરમ પ્રદેશ મુંબઈમાંથી મૂળ સોતું ઉખાડીને
ફિલાડેલ્ફિયાના ઠંડા, અજાણ પ્રદેશમાં રોપ્યું
તેને જીવતું રાખવા હું પ્રતિજ્બદ્ધ હતી ….
પરંતુ જ્યારે અહીંનાં વૃક્ષો
માંદલા ગુલાબી રંગના ચેરીબ્લોઝમથી ભરાઈ જાય છે ત્યારે
હું વતનમાં ધીમે ધીમે ઉઘડતા કેસૂડાનાં ફૂલોને સ્મરું છું
આ તે કેવો ઘર ઝુરાપો ?
મન થાય છે કે
બેગ પેક કરીને
અબઘડી વતન પાછી ફરું.
પરંતુ હવે ક્યાં છે મારું વતન ?

તા.ક.

પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સંદર્ભે પ્રશ્ન પૂછવાનું મન થાય કે પન્નાબહેન, શીર્ષકની યથાર્થતા સ્થાપિત કરતું કાવ્ય ભૂલમાં ડિલીટ થઈ ગયું કે શું ? શીર્ષકની ચકલી પોપટ તો નથી ને ? ભવિષષ્યવેત્તાનો પોપટ.

પન્ના નાયકને અભિનંદન.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : “નવગુજરાત સમય”, 24 ઍપ્રિલ 2019

Loading

...102030...2,7872,7882,7892,790...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved