Opinion Magazine
Number of visits: 9577082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીનું હનન

મહેશ પંડ્યા|Opinion - Opinion|31 May 2019

પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટને આધારે ભારતનું ચૂંટણીપંચ ચૂંટણી-પ્રક્રિયા હાથ ધરે છે, તે ઉપરાંત પીપલ્સ રિપ્રેઝન્ટેશન ઍક્ટના અર્થઘટન માટે વારંવાર રાજકીય પ્રશ્નો અને નાગરિકો સર્વોચ્ચ અદાલત સુધી ગયા છે, એટલે, સર્વોચ્ચ અદાલતનું પણ વારંવાર દિશાચિહ્ન ચૂંટણીપંચને મળે છે. ચૂંટણીપંચ એક રીતે સ્વાયત્ત સંસ્થા છે. કમનસીબે ભારત જેવા કહેવાતા લોકશાહી દેશમાં હવે સ્વાયત્તસંસ્થાઓની સ્વાયત્તતા પર પ્રશ્નો ઊઠ્યા છે.

આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ રીતે લાગ્યું કે, જાણે PMO કાર્યાલયની સૂચના મુજબ જ ચૂંટણીપંચ કામ કરતું હોય. મીડિયાને પણ ખબર હતી કે, ચૂંટણીપંચ ક્યારે ચૂંટણીની જાહેરાત કરે છે. વડાપ્રધાનશ્રીના સત્તાવાર કાર્યક્રમો ૧૦મી માર્ચે પૂરા થતા હતા, તે ૧૦મી માર્ચની સાંજે જ ચૂંટણીપંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, ત્યારથી જ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી. સી.એસ.આઈ.એફ. પચાસમો ઉદયદિવસ ઊજવાયો ત્યાર બાદ જ ચૂંટણીપંચે ચૂંટણીઓ જાહેર કરી.

ચૂંટણીનો કાર્યક્રમ ખૂબ જ લાંબો અને સાત ચરણમાં મૂકવામાં આવ્યો. ઉનાળાની ગરમીમાં આટલો લાંબો સમયગાળો અને વધારે ચરણોની દેશના વહીવટીતંત્ર પર, કર્મચારીઓ પર ગંભીર અસરો જોવા મળી.

ચૂંટણીપંચે આ વખતે જે ચૂંટણી-આચારસંહિતા જાહેર કરેલી. તેમાં સ્પષ્ટ લખેલું કે, ધર્મ અને સેનાના નામે મત ના માગવા. છતાં ય માનનીય પ્રધાનમંત્રીએ વિવિધ સ્વરૂપે ચૂંટણીપંચ કી ઐસી કી તૈસી કરી. ચૂંટણી – આચારસંહિતાના ભંગ અંગેનાં પગલાં ના લેવાયાં. પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેનાના નામનો ઉપયોગ કર્યો. પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખે ધર્મ/સેનાનો મોટા ભાગની સભામાં ઉપયોગ કર્યો. ખાનગી ટી.વી. ચૅનલોને આપેલ ઇન્ટરવ્યૂમાં પણ સેનાને પોતે જ આદેશ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કેટલાંક રાજ્યો અને નીતિઆયોગમાં માહિતીઓ માગવામાં આવી, જેનાથી નરેન્દ્ર મોદી ચૂંટણી-સભાઓમાં ઉપયોગ કરી શકે.

પ્રધાનમંત્રી અને ભા.જ.પ. પ્રમુખ સામેની આચારસંહિતાભંગની ફરિયાદોનો નિકાલ ખૂબ જ મોડો કરવામાં આવ્યો અને ક્લીન ચિટ આપવામાં આવી. નામદાર સર્વોચ્ચ અદાલતે દખલ દેવાની ના પાડી.

મૂળ મુદ્દો શિક્ષણનો છે. આજની શિક્ષણપદ્ધતિમાં લોકશાહીની સમજણ આપવામાં શિક્ષણતંત્ર નિષ્ફળ ગયું છે. આજના યુવા મતદારોને ખબર જ નથી કે, ચૂંટાયેલા સાંસદો વડાપ્રધાનની નિયુક્તિ કરે. ઊલટાનું એવું સમજાયું કે, પહેલા વડાપ્રધાનપદનો ઉમેદવાર નક્કી કરવામાં આવે અને આ વ્યક્તિ અન્ય સભ્યોની જાણે નિયુક્તિ ન કરતો હોય! વડાપ્રધાનના ઉમેદવાર એમ કહે કે, મારી સામે જુઓ મારા ઉમેદવારો નહિ; અને લોકો વડાપ્રધાનથી જ તમામ કામો થવાનાં હોય તેમ વડાપ્રધાનને નામે મત આપે, તેવી ખોટી પરંપરા પ્રસ્થાપિત થઈ ગઈ છે.

E-mail : paryavaranmitra@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 04

Loading

પ્રિસાઇડિંગ-ઑફિસરની ડાયરી

અર્પિત પાટડિયા|Opinion - Opinion|31 May 2019

ચૂંટણી આમ તો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખાય છે. ભારતીય પરંપરામાં તહેવારમાં બધાને ખુશ રહેવાનો અને કરવાનો રિવાજ પણ છે. પરંતુ આ રાષ્ટ્રીય તહેવાર-ચૂંટણીમાં એક મોટો વર્ગ હોય છે, જે ચૂંટણી વખતે ભારોભાર ચિંતામાં અને નાખુશ હોય છે. આ વર્ગ એટલે ચૂંટણીમાં પોલિંગ બૂથ પર ફરજ બજાવતા કર્મચારીઓ. જેવો જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી-ફરજ બજાવવાનો ‘ઑર્ડર’ મળે કે તરત બધાના માટે ચિંતાના વાદળો વર્તાવા લાગે. આમ તો એક પોલિંગબૂથ પર પાંચ વ્યક્તિઓનો સ્ટાફ આપવામાં આવે છે. આ પાંચ સ્ટાફના કામની વહેંચણી ચૂંટણીપંચની માર્ગદર્શિકામાં બખૂબી કરવામાં આવેલી હોય છે. જેમાં આ પાંચ મુખ્ય જવાબદારી હોય છે.

(૧) પ્રિસાઇડિંગ ઑફિસર

(૨) આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર

(૩) પોલિંગ-૧

(૪) પોલિંગ-૨ અને

(૫) સેવકભાઈ

આ બધી પ્રક્રિયામાં સૌથી જવાબદાર વ્યક્તિ એટલે પ્રિસાઇડિંગ-ઑફિસર. આ લેખ લખવાનો મુખ્ય હેતુ પ્રિસાઇડિંગ ઑફિસરના અનુભવોને વર્ણવવાનો છે.

જ્યારે ચૂંટણીપંચના નામે જિલ્લા કલેક્ટરનો ઑર્ડર પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે આવ્યો, એ જ ગાળામાં સમગ્ર ઑફિસમાં કોને-કોને ઑર્ડર મળ્યો છે, તે જાણીને સાંત્વના મળી, પરંતુ એકાદ મિત્રોને કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી મળી નથી, તે જાણી જરા અચરજ પણ થયું અને તેમને આ કામગીરી નથી આવી તેની ખુશી પણ મનાવી. ત્યાર બાદ કેટલાક મિત્રોએ સ્થાનિક કલેક્ટર-કચેરીમાં સંપર્કો વિશે તપાસ શરૂ કરી. જેથી કરી, પોતાની વગ દ્વારા પોતાની કામગીરી રદ્દ કરાવી શકે. તેઓએ એકાદને ફોન પણ જોડ્યો. પરંતુ સામેથી જવાબ મળ્યો કે “એક વખત ઑર્ડર નીકળી જાય પછી રદ્દ કરાવવો થોડો અઘરો છે, પરંતુ એક વાર પ્રથમ તાલીમમાં હાજરી આપી આવો પછી જોઈએ છીએ, કશું થઈ શકે કે કેમ?” આ જવાબ બાદ થોડી હિંમત ભેગી કરી બધા મિત્રો પ્રથમ તાલીમના દિવસે નિશ્ચિત સ્થળ અને સમયે હાજર થયા. ત્યાં અમારા જેવા પ્રથમ વખત ડ્યૂટી પર આવનારા અને ઘણા બધા અનુભવી એમ બે પ્રકારના પ્રિસાઇડિંગ-ઑફિસર્સ હતા.

પ્રથમ તાલીમ વખતે દરેક અધ્યાપક જે વિવિધ વિષયો ભણાવતા હોય, તેને એક નવો વિષય ત્રણ કલાકની તાલીમમાં શીખવો પડે છે. આ તાલીમમાં પ્રથમ વખત ચૂંટણીની કામગીરી કરનારા અધિકારીને તો ઘણી બધી ખબર જ હોતી નથી. તેમને બે મોટાં પુસ્તક વાંચવા માટે આપવામાં આવે છે, જેમાં સમગ્ર માહિતી વિસ્તારપૂર્વક આપેલી હોય છે, પરંતુ આ તો તરણક્રિયાનું પુસ્તક વાંચી તરણકુંડમાં ડુબકી લગાવવા જેવું! જેમ તરણપ્રક્રિયાનું પુસ્તક વાંચીને તરણક્રિયા કરતાં મુખ્ય જોખમ જીવ જવાનો રહે તેમ ચૂંટણી – પ્રક્રિયામાં નોકરી જવાનો રહે.

આ કામગીરી કેમ તમને સોંપાઈ રહી છે, તે વિશે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું કે તમો અમારા કરતાં વધારે પગાર લો છો અને જવાબદાર લોકો છો માટે આ કામગીરી તમોને સોંપાઈ છે. અને દરેક સરકારી નોકરી ધરાવતો કર્મચારી પોતાની નોકરી જવાની બીકે આ કામગીરી ખૂબ જ ભયથી પણ નિષ્ઠાથી બજાવે છે.

મતદાનના આગળના દિવસે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં સવારથી પ્રિસાઇડિંગ-અધિકારીઓની લાઇનો લાગે છે અને ત્યાં પ્રિસાઇડિંગ ઑફિસરને એક ઑર્ડર આપવામાં આવે છે, જેમાં તેમની ટીમનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. અને તેમના મતદાનમથક વિશેની પણ માહિતી આપવામાં આવેલી હોય છે. ઑર્ડર મળ્યાના તુરંત બાદ પ્રિસાઇડિંગ – અધિકારી પોતાની ટીમના સભ્યોનો સંપર્ક કરી બધાને એક જગ્યાએ એકત્રિત કરે છે. ત્યાર બાદ ખરી મહેનત શરૂ થાય છે. નિશ્ચિત કરેલા રૂમમાંથી ઇ.વી.એમ. મશીન, કન્ટ્રોલ-યુનિટ, બૅલેટ-યુનિટ, વી.વી.પી.ઇ.ટ. અને એક કોથળો ભરીને સામગ્રી મેળવવાની થાય છે. આ સામગ્રી મેળવ્યા બાદ તે સામગ્રીને આપેલ યાદી સાથે મેળવી પોતાના મતદાનમથક તરફ રવાનગી થતી હોય છે.

પ્રિસાઇડિંગ-અધિકારી અને તેમની ટીમમાં થોડા અનુભવી અને થોડા નવા પણ અધિકારીઓ હોય છે. જો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર અનુભવી આવ્યો, તો ઘણી બધી બાબતો સરળ થઈ જાય છે, પરંતુ જો ટીમના સદસ્યો નવા હોય, તો આ પ્રક્રિયા એક પર્વતારોહણ જેવી કઠિન બની જાય છે. તાલીમ લેતી વખતે અને સામગ્રીની યાદી મેળવતી વખતે પણ ઘણા બધા અઘરા શબ્દો અને બાબતો સામે આવતી હોય છે, જેમાં મુખ્યત્વે મૉકપૉલ, વૈધાનિક કવરો અને બિન-વૈધાનિક કવરો જેવી બાબતો મુખ્ય હોય છે, જેના ઉપર વારંવાર ભાર મુકવામાં આવે છે. મતદાનના આગલા દિવસે મતદાનમથક પર પહોંચ્યા બાદ મતદાન-કુટીર તૈયાર કરવી, વિવિધ પ્રકારની નોટિસો લગાવવી, મતદાનમથક તૈયાર કરવું, જરૂરી ફર્નિચર છે કે નહીં તે બધી બાબતોની ચકાસણી પણ પ્રિસાઇડિંગ-અધિકારી કરતા હોય છે. પ્રિસાઇડિંગ ઑફિસરને નાની-નાની બાબતોમાં પડતી તકલીફોમાં ઝોનલ-અધિકારી (જો સપોર્ટિવ હોય તો) સારી રીતે મદદ કરે છે. બપોર સુધીની કામગીરી બજાવ્યા બાદ પોલિંગ-૧ અને પોલિંગ-૨ (જે સામાન્ય રીતે મહિલા હોય છે, તેઓ તરત ઘરે જવાની રજા માંગી લે છે અને આવતી કાલે સવારે સમયસર આવી જશે, તેવી ખાતરી આપી ઘરે રવાના થાય છે.) ત્યાર બાદ ફૉર્મ અને કવરો ઉપર માહિતી લખી તૈયાર કરવાની કામગીરી પ્રિસાઇડિંગ-ઑફિસર કરતા હોય છે. થોડાક કલાકોમાં તો આશરે ૪૦થી ૫૦ અલગ-અલગ પ્રકારનાં ફૉર્મ ભરી તૈયાર કરતા હોય છે. આ ફૉર્મ તૈયાર કરતી વખતે વિચાર પણ આવે કે શું આ બધાની પ્રસ્તુતતા છે? પરંતુ જેમજેમ તમે ચૂંટણી-પ્રક્રિયાને સમજો તેમ તમને ખ્યાલ આવે કે ચૂંટણી-પ્રક્રિયા દરમિયાન ઊભી થવાની દરેક સંભાવનાના ઉકેલ આ વિવિધ પ્રકારનાં ફૉર્મમાં હોય છે. સામાન્ય માણસોને આ વિશે તો ખૂબ જ ઓછો ખ્યાલ હોય છે. ઘણી વખત સામાન્ય માણસ પોતાના મતાધિકાર માટે તકરાર ઊભી કરે છે, ત્યારે પ્રિસાઇડિંગ-ઑફિસર અને સમગ્ર સ્ટાફ આ તકરારને નિવારવા વિવિધ પ્રકારનાં ફોર્મમાંથી લાગુ પડતું ફૉર્મ ભરાવી મતદાનની પ્રક્રિયા પૂરી કરે છે.

મતદાનના આગલા દિવસની રાત્રે પ્રિસાઇડિંગ-અધિકારી પોતાનું મતદાનમથક છોડીને જઈ શકે નહીં એટલે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પણ અધિકારીને પોતાનું મતદાનમથક છોડવાનું થતું નથી. સરદાર પટેલ યુનિવર્સિટીના એક પ્રૌઢ પ્રાધ્યાપકને ખંભાતથી ૧૦ કિલોમીટર દૂર એક ગામડામાં પ્રિસાઇડિંગ-અધિકારી તરીકે ફરજ બજાવવાની હતી. મતદાનના આગલા દિવસે તેમને ઉપવાસ હતો. સમગ્ર દિવસ દરમિયાન ગરમી હોવાના કારણે તેઓ સતત પાણી ઉપર રહ્યા. મતદાનમથક પહોંચી બધી કામગીરી પતાવી રાતના ૮-૦૦ વાગ્યે ગરમીના કારણે તેમના શરીરમાંથી સોડિયમ ઓછું થઈ ગયુ હતું. ત્યાંથી તેઓને તાત્કાલિક ખંભાતની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યાં માળખાકીય સુવિધાઓ ન હોવાના કારણે તેઓને રાત્રે ૨-૦૦ કલાકે ખંભાતથી આણંદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.  આ દરમિયાન ફરજ પરના સ્ટાફે જણાવ્યું હતું કે તેઓની બચવાની સંભાવના ખૂબ ઓછી છે. પરંતુ સદ્નસીબે ૪૮ કલાક બેભાન રહ્યા બાદ તેઓ હાલ સ્વસ્થ છે. તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે આટલી ગરમીમાં છાપરાનાં પતરાં અને લોખંડની બારીઓવાળા મતદાનમથકમાં ફરજ બજાવતા ખૂબ તકલીફ પડી હતી. થોડીક માળખાકીય સુવિધાઓ સારી થાય, તો અધિકારીઓને તકલીફો ન પડે. આવા અનેક કિસ્સાઓ ફરજ પરના અધિકારીઓ સાથે બનતા હોય છે.

મતદાનમથકે આ વખતની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી કરવામાં આવ્યો હતો, એના અનુસંધાને મૉકપૉલ કરવાનો સમય સવારે ૬-૦૦ કલાકનો કરવામાં આવ્યો હતો. લગભગ બધી જગ્યાએ તાલીમ મેળવ્યા મુજબ અધિકારીઓએ કન્ટ્રોલ – યુનિટ, બેલેટ – યુનિટ, વી.વી.પી.ઇ.ટ.નું જોડાણ કર્યા બાદ મૉકપૉલ કરાવી મશીન સીલ કરી મતદાન-પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ તાલીમ લીધા બાદ પણ ઘણા બધા પ્રિસાઇડિંગ-અધિકારીઓ દ્વારા આ પ્રક્રિયા કરવામાં ખામી સર્જાઈ હતી, જેના પરિણામે ઇ.વી.એમ.ની બદલી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને મતદાન-પ્રક્રિયામાં વિલંબ પણ થયો હતો.

જો મતદાનમથક કોઈ એક ચોક્કસ વિચારધારા અથવા પક્ષના મતદારોનું હોય, તો પ્રિસાઇડિંગ-અધિકારીને ચિંતા ખૂબ ઓછી થાય છે. પરંતુ જો તેમ ન હોય અને પક્ષો વચ્ચે ઘર્ષણ હોય, તો પ્રિસાઇડિંગ-અધિકારીને મુશ્કેલીઓ વધતી હોય છે. ઘણાં મતદાનમથકોને સેન્સિટિવ બૂથ તરીકે અગાઉથી જાહેર કર્યા બાદ ત્યાં સી.સી.ટી.વી. કૅમેરા અને પોલીસનો કાફલો વધારે મૂકવામાં આવે છે. મતદાન શરૂ થયાના દર બે કલાકે પ્રિસાઇડિંગ-અધિકારીને થયેલ મતદાનમાં સ્ત્રી અને પુરુષના આંકડા પોતાના ઝોનલ-અધિકારીને આપવાના હોય છે. સમગ્ર મતદાન-પ્રક્રિયા દરમિયાન પ્રિસાઇડિંગ ઑફિસર ઉપર ખૂબ દબાણ હોય છે. મુક્ત અને ન્યાયી મતદાન કરાવવાની સમગ્ર જવાબદારી પ્રિસાઇડિંગ-અધિકારીની હોય છે. એક દિવસ માટે પ્રિસાઇડિંગ- અધિકારીને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જેટલા પાવર આપવામાં આવે છે. સાંજે ૬-૦૦ વાગ્યે મતદાન પત્યા બાદ ઇ.વી.એમ. મશીન, બધાં જ કવરો, બધી જ સામગ્રી લઈ પોતાના ડિસ્પૅચિંગ સેન્ટર પર પાછા પહોંચી, બધી જ વસ્તુઓ જમા કરાવવી અને બધું જ સફળ રીતે જમા કરાવ્યા બાદ પ્રિસાઇડિંગ-ઑફિસર ફરજ પરથી મુક્ત ગણાય છે. મતદાન પૂર્ણ થયાના તુરંત જ મહિલા પોલિંગ-અધિકારી ઘરે જવા રજા લઈ રવાના થઈ જાય છે.

આ બધું સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ પ્રિસાઇડિંગ-અધિકારીની જવાબદારી રહેતી હોય છે. જેમાં જો કોઈ જે-તે મતદાનમથક વિશે ફરિયાદ નોંધાવે અને જો એ ફરિયાદ સાચી ઠરે, તો જે-તે મતદાનમથક માટે ફરી મતદાન યોજાય છે અને અગાઉની ફરજ પરના પ્રિસાઇડિંગ-અધિકારીની સામે ગુનો પણ નોંધાય છે. આણંદમાં ધર્મજ ખાતે આ ચૂંટણી-પ્રક્રિયામાં ફેરમતદાનની ફરજ પડી હતી અને સમગ્ર સ્ટાફ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.

આમ, દેશમાં સરકાર કોની બનશે, તેનાથી પર કોઈ પણ વિચારધારા કે પક્ષની સાથે નહીં, પરંતુ પોતાની ફરજના ભાગ રૂપે આ અધિકારીઓ પોતાની ફરજ બજાવે છે. ઇલેક્શન-કમિશન દ્વારા તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ ઇલેક્શન-મશીનરીમાં ૧૨ મિલિયનથી વધુ ઑફિસર આ પ્રક્રિયાના ભાગ સમાન છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી-પ્રક્રિયા જટિલ, લાંબી અને ખૂબ જ મહેનત માંગી લે છે. દર પાંચ વર્ષે આ કામગીરી થતી હોય છે અને દર પાંચ વર્ષે કેટલા ય નવા પ્રિસાઇડિંગ-અધિકારીઓ પોતાની ડાયરીઓ ભરતા હોય છે. કેટલાકને સારા તો કેટલાકને કડવા અનુભવો થતા હોય છે.

E-mail : arpitzaveri13@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 05-06

Loading

કવિનો કાવ્યરવ

નીરવ પટેલ / પ્રકાશ ન. શાહ, નીરવ પટેલ / પ્રકાશ ન. શાહ|Opinion - Literature|30 May 2019

નીરવ પટેલ (૨-૧૨-૧૯૫૦ • ૧૫-૦૫-૨૦૧૯) ગયા અને હૃદય તેમ જ ચિત્તને ઝંકૃત કરતો કાવ્યરવ મૂકતા ગયા. સમજની એક રીતે, આપણે ‘દલિત’ એવી સંજ્ઞા સ્વાભાવિક જ ખપમાં લઈએ છીએ. એમાં ઓળખ અને અસ્મિતા અનુસ્યૂત છે અને કેમ ન હોય, અંતે તો એ કવિતા કાન્તાર સમસ્તમાં અકુતોભય અવાજ બની રહે છે. રમેશચંદ્ર પરમાર આદિએ જગવેલ આંદોલનમાં આપણે ત્યાં, ભાનુ અધ્વર્યુના શબ્દોમાં, રુદ્રવીણાનો જે ઝંકાર પ્રગટ થયો એમાં નીરવ અગ્રયાયી હતા. પહેલવહેલું ધ્યાન એમના તરફ મારું ખેંચાયું એ એક વિલક્ષણ, લગભગ ચમત્કૃતિવત્કાવ્યોદ્ગાર હતો કે સફરજન પડતું જોઈ ન્યુટનને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સૂઝે, પણ એક દલિતવંચિત બાળકને વર્ગમાં આ વાત સાંભળતે સફરજન ખાવાનું સુઝે!

છેલ્લાં અઠવાડિયાઓમાં કેન્સર પરખાયા પછી જે અડસઠ કૃતિ (આમ તો આ આંકડો આપણી પરંપરામાં તીરથનો છે.) ચાલી આવી, રેવાલ ને ધ્રોપટ, એમાં સંઘર્ષ, રચના ને નવી દુનિયાની અતોનાત આરત પ્રગટ થતી અનુભવાય છે. આ એકધારા રચનાપ્રવાહમાંથી, કવિના પોતાના સૂચનથી ‘વૉન્ટેડ : પોએટ્સ’ (નિ. ૧/૧) પ્રકાશિત કરવાનું બન્યું હતું. (શ્રદ્ધાંજલિ સભામાં જાણ્યું કે ‘રંગદાર’ તરફથી સદ્યપ્રકાશ્ય સંગ્રહનું કવિદીધું નામ પણ આ છે.) છેલ્લી અડસઠ રચનાઓમાંથી થોડીકેક અહીં ઉતારી કવિને વિદાયવંદના પાઠવીએ છીએ.

— પ્રકાશ ન. શાહ, તંત્રી, “નિરીક્ષક”

વખાર

બાપુનાં બહુબધાં નામોમાંનું એક નામ :
હીરો વખારિયો.
એમની વખારમાં અમૂલખ ચર્મપત્રો.
ગામેગામની સીમમાં રખડીરઝળી ભેળાં કરેલાં જેડૂ રતન.
મોજથી મીઠું પીવડાવે,
છેક ખારીનાં કોતરની લાલપીળી આવળનાં ફૂ્લોના પાણીમાં
ઝાઝાં વહાલથી પખાળે
ને એમ પાકાં ગલ થયેલાં ચર્મપત્રો !
અઢારેય વર્ણને
એમાંના એકની જરૂર પડે.
બ્રાહ્મણને વેદ લખવા,
ક્ષત્રિયુ ને ઢાલ કે મ્યાન બનાવવા,
વાણિયાભાઈને ઘીનાં કૂલ્લુ બનાવવા,
પાટીદારોને કોસનાડીજોતર બનાવવા,
મંદિરના પૂજારીને ઢોલનગારે ચઢાવવા,
પારધીને ગોફણગિલોલ બનાવવા
મોચીને પગરખાં બનાવવા …
બાપુ નામેરી બની ગયેલા,
ગામમાં કોઈની મજાલ છે કે
કોઈ એમનું અપમાન કરે!
પણ બાપુને કાયમ ઓછું આવે,
તે બોર બોર જેવડાં આંસુએ રડી પડે.
‘આટલી મિલ્કતેય અમે માણહના તોલે તો નૈંને?’
બાપુની વખાર તો છલકાવા લાગી.
માધુપુરાના મોચીઓ ખટારા લઈને
આવવા લાગ્યા,
મીરઝાપુરના કુરેશીઓ ટ્રકો લઈને
આવવા લાગ્યા.
બાપુનો માલ તો મદ્રાસ ને કાનપુર
જવા લાગ્યો.
બાપુની લોટી તો રાણીછાપ રૂપિયે ઉભરાવા લાગી.
એના ખણખણાટથી ઈર્ષાળુ પાડોશીઓ જાગી જતા,
ચોરોને બાતમી આપી દેતા.
પણ ચૂલાના રાખભરેલા થાળામાં દાટેલી પશા કુંભારના
નિંભાડે પકવેલી
લોટી કદી શોધી શકતા નહીં.
એમને થયું સોનાની ગિનીઓ સાચવવી સહેલી પડશે.
ગિનીઓ વેચતા ગયા
ને ખેતરોના ટૂકડા ખરીદતા ગયા.
હીરો વખારિયો તો હવે
હીરો જમીંદાર કહેવાવા લાગ્યો.
બાપુ અડધી રાતે જાગી જતા,
વખાર ખોલીને આંટો મારી આવતા.
એમને થતું વખારને હવે વિખેરી નાખું.
‘કાળા, અમારે તો કાળા અક્ષર કુહાડી બરાબર.
એટલે જે હાથે ચઢ્યું એનાથી જીવતર પૂરું કર્યું.
તું રખે આવી કોઈ વખારનો વખારી બનતો.
મેં શહેરમાં જોયું છે
કાળાકોટ પહેરેલા લોકો
ઓટકોટ બોલીને પૈસા કમાઈ લે છે!
તું ભણીને ઉજળા ધંધામાં જતો રહેજે.’
ને એક દિ વખાર વિખેરી નાખી બાપુએ.
આજે મારી વખાર જોવા બાપુ તો રહ્યા નથી.
દેશવિદેશનાં માણેકમોતીઓથી ઊભરાય છે મારી વખાર.
હા, એમાં કેબિનવાળા ટોમકાકા સાથે આખી આફ્રિકન લિટરેચર સિરીઝ છે,
જોનાથન સીગલ છે,
પર્લ બકની ઓ-લાન છે,
રાવજીની સારસી છે,
મારો નામેરી પન્નાલાલનો કાળુ છે,
પણે ખૂણે ’બહિષ્કૃત ફૂલો’ય મહેંકે છે.
માર્ક્સ છે, ગાંધી છે, આંબેડકર છે, ચંદુ મહેરિયા છે.
એમાં દુનિયાભરના કવિઓ-લેખકો-ચિંતકો છે.
એકેકથી ચઢિયાતાં રતન,
કોનાં કોનાં નામ ગણાવું!
હું નહીં વિખેરું મારી વખાર.
માહી અને મનસ્વી,
મારો એક માત્ર વારસો તે આ વખાર
જે હું હવેથી તમને ભળાવું છું.
બેટા, એના સહારે આપણને લોકો માણસ ગણતા થયા છે.
અમૂલખ છે આ વખાર.
એને કદી વિખેરી ન નાખતાં.

૪-૧-૨૦૧૯

• <> • <> •

૨૦૧૯નું ઈલેક્શન

શાણા ઘડવૈયાઓએ નાગરિકોને તક આપી :
દર પાંચ વર્ષે તમે પ્રતિનિધિઓ બદલી શકશો,
નાલાયકોને તમે ઉખાડી ફેંકી શકશો,
પ્રજાવત્સલોને તમે ચૂંટી શકશો.
ચૂંટણી જનતાનો એક માત્ર અધિકાર :
એ ચાહે એને રાજસત્તા સોંપી શકે,
એ ચાહે એને વનવાસમાં મોકલી શકે.
પણ પછી પાંચ વર્ષ જનતાએ મૂગામંતર થઈ જવાનું,
કાંડા કાપી આપ્યાં પછી તમારો કોઈ અધિકાર નહીં.
જનતા ચૂંટણીને લોકશાહીનું સૌથી મોટું પર્વ માને.
સૌ હરખભેર મત આપે :
રોજીરોટી, ઘર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સલામતી, શાંતિ, ભાઈચારો, બેકારી, મોંઘવારી
જેવા સેંકડો મુદ્દે રિબાતા મતદારો
હાશકારો અનુભવે :
હવે સૌ સારાં વાનાં થશે,
ભલા માણસો આવશે
ને બૂરા માણસો હારશે.
પણ મતપેટી ખૂલે કે
ખૂંખાર જાનવરો બહાર નીકળે.
ભોળી જનતા અચંબામાં પડી જાય!
આ કેવું?
કમળને મત આપો તો ય ધતૂરો નીકળે?
ગુલાબને મત આપો તો ય ગંધીલું ગોબર નીકળે?
ચૂંટણીનાં ગણિતથી બેખબર
જનતાને શી ખબર એની તો
ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નજરબંધી કરી કાઢેલી ચાણક્યોએ!
કાગડાઓ એના હાથમાંથી પૂરી પડાવી ગયા,
ને જનતા મોં વકાસી જોતી જ રહી ગઈ!
હમણાં જ એક ચાણક્યએ ચૂંટણી ઢંઢેરો ખુલ્લો મૂકી દીધો.
એણે કહ્યું :
૨૦૧૯ની ચૂંટણી પાણીપતના ચોથા યુદ્ધ બરાબરની છે!
જો હાર્યા તો મ્લેચ્છો બીજાં હજાર વર્ષ ચઢી બેસશે,
હિંદુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે!
બિચારી જનતાનાં બે ફાડિયાં કરી કાઢ્યાં.
જનતાની જાણ બહાર સૌ બહુમતી લઘુમતીમાં વહેંચાઈ ગયા.
એમની આપદાના સઘળા સવાલો આ આઈડેન્ટિટી પોલિટિક્સમાં ઓઝલ થઈ ગયા.
જનતાની નજરબંધી કરવામાં ચાણક્યનો જોટો ન મળે!
લોકશાહીના ઉત્સવને ય એ લોહિયાળ યુદ્ધમાં પલટી શકે
ને યુદ્ધ જીતી શકે.
બિચારી લોકશાહી,
બાપડું બંધારણ,
બાપડા બંધારણના શાણા ઘડવૈયાઓ,
અને બિચારી બાપડી આ દેશની કમનસીબ જનતા!

૧૪-૧-૨૦૧૯

• <> • <> •

શાંગ્રિલા

તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.
ઘેર ઘેર સોનાનો સૂરજ ઉતારવાનું વચન આપીને
સામ્યવાદીઓ તો અધવચ્ચે જ ફસકી પડ્યા,
કાં ખુદ જ ફાસિસ્ટ બની ગયા.
ને સમરસતાવાદીઓ તો એમના ઈરાદાઓ સાથે જ
ઉઘાડા પડી ગયા.
હવે એક આશા છે મૃત્યુમાં.
બસ મરું એટલી જ વાર છે.
વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને
આકાશ માર્ગે ઊડતો ઊડતો
ઊતરું હિમાલયની લીલીછમ તળેટીઓમાં,
ખાનાબદોશોની વસતીઓમાં.
કે એની સદાનીરા સરિતાઓમાં ઓગળી જાઉં.
કે તાજા જ ખેડાયેલા એના કોઈ ખેતરના ચાસમાં રોપાઈ જાઉં.
મને વિશ્વાસ છે મને નવીનક્કોર નાગરિકતા-રાષ્ટ્રીયતા મળશે.
મારી હાલત ઈરાક કે મ્યામારના શરણાર્થીઓ જેવી નહીં થાય.
લોકો કહે છે અહીંના સૌ નાગરિકોને બૌદ્ધ ધર્મરાજા
જેવાં જ લૂગડાં મળે છે.
રાજારૈયતમાં કશો ફરક જ નહીં.
કોઈ મારા પોશાકથી ય વર્તી નહીં શકો
હું પુરુષ છું કે સ્ત્રી.
ન કોઈની કોટે પવિત્ર જનોઈઓ,
ન કોઈની પૂંઠે સાવરણાઓ.
હું દલિત છું કે બ્રાહ્મણ —
અહીં તો કોઈને એવી કશી જાણફિકર જ નહીં કોઈના વિશે.
સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી.
કોઈને પિઝા ને કોઈને ખડધાન
એવું નહીં.
કોઈને બંગલી ને કોઈને છાપરી
એવું નહીં.
કોઈને પિટર ઇંગ્લેન્ડ ને
કોઈને કાંઠલા વગરનું બાંડિયું
એવું નહીં.
જીવવાના અને મજેથી જીવવાના
મારા મહત્ત્વના કામમાં કશી ખલેલ ન પડે
ને ઉપરથી મદદ મળે,
તો મારે ભોળાભાઈને જાણીને શું કામ છે
મારા દેશમાં રાજાશાહી છે કે લોકશાહી?
એનો મુદ્રાલેખ આપણા નીરોલેન્ડના મુદ્રાલેખ જેવો જ છે અદ્દલઃ
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ —
કોઈ પાછળ રહી જવું ના જોઇએ,
કોઈને કપાળે ’ઉજળિયાત’ કે ’પછાત’ની ઓળખ છૂંદેલી
ના હોવી જોઈએ.
માનવીના જીવનના ભોગે પ્રગતિ નહીં,
ભલે દુનિયા ’પછાત’ કહીને હાંસી ઉડાવતી.
એટલે જ તો માનવી માત્રને સુખ મળે
એ દેશને શાંગ્રિલા કહેવાય છે.
ભલે નથી રેલ કે રસ્તાઓ.
પણ હેપિનેસની વર્લ્ડ ઈન્ડેકસમાં
મારો નવો દેશ આવે છે સર્વ પ્રથમ.
અહીં જી.ડી.પી. નહીં, જી.એન.એચ. મપાતી રહે છે.
કોઈ કહે તો ખરું
દેવભૂમિ દ્વારકામાં દલિત દેવદાસી તરીકે જીવવામાં
નાગરિકનું શું ગૌરવ છે?
આઈ એમ પ્રાઉડ ઓફ માય ન્યૂ નેશનાલિટી,
માય ન્યૂ સિટિઝનશીપ.
તો ઝાઝા જુહાર, માય મધરલેન્ડ
બાય બાય, માય ફાધરલેન્ડ
અલવિદા, માય કાસ્ટ્સલેન્ડ.

૨/૧/૨૦૧૯

• <> • <> •

મદારી

ત્રણ દિવસથી એક મદારીએ શહેરમાં ધામા નાખ્યા છે :
મોટ્ટા મોટ્ટા કલ્પનાતીત મેગા ઈવેન્ટ લોન્ચ કરીને
એણે નાગરિક માત્રની નજરબંધી કરી લીધી છે.
નાગરિકો તો આ તમાશાઓથી આભા જ રહી ગયા છે!
કક્કો ભણેલા ને કક્કો નહીં ભણેલા સૌ
માંહોમાંહે પૂછી રહ્યા છે આ વિદેશી શબ્દોના અર્થ :
વાઈબ્રન્ટ, ગ્લોબલ, સમિટ
એટલે શું?
આ કરિશ્માઈ મદારી પર એમનો ભરોસો ઓર વધતો જાય છે.
તે માનવા લાગે છે આ અલાદીન જ
દેશની કાયાપલટ કરી દેશે.
આ ગરીબ દેશ હવે શાંગહાઈ-ટોક્યો બની જશે.
અને આપણે સૌ સૂટેડ બૂટેડ રિસ્પેક્ટેબલ નાગરિકો.
મદારી ત્રણ દિવસે સી-પ્લેઈનમાં બેસી અલોપ થઈ જાય છે
ને લોકોની નજરબંધી તૂટવા લાગે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કરોડો રૂપિયા ખિસ્સામાં મૂકી શામિયાણાના વીંટા વાળી લે છે
કે નાગરિકોને ભાસ થાય છે
આપણને કોઈ જબરજસ્ત સપનું બતાવી ગાયબ થઈ ગયું!
શહેરની ગરીબી, શહેરની બેકારી, શહેરની મોંઘવારી
શહેરની હર સમસ્યા તો
જેવી વિકરાળ હતી તેવી પાછી નાગી દેખાવા લાગે છે.
વિકાસના નામે જેવી તેવી ઝૂંપડીઓ હતી તે ય બૂલડોઝરો તોડીફોડી નાખે છે.
નથી બચ્ચાં માટે નિશાળોમાં માસ્તરો, નથી માંદા માટે કિફાયતી દવાખાનાં,
નથી રહ્યા રૈનબસેરા.
નથી મળતી નોકરી, નથી ઘરમાં નમકઆટો.
પણ મદારી પાછો આવવાનો છે, આનાથી પણ મોટ્ટાં મોટ્ટાં સપનાં બતાવી તમારી કાયમી નજરબંધી કરવા.  

૧૮-૧-૨૦૧૯

• <> • <> •

કવિતા

અને આજે કવિતારાણી રુસણે બેઠાં છે :
‘તમે રોજ રોજ પોલિટિકલ સેટાયર લખો છો, અને નામ મારું પડે છે.
તમે રોજ રોજ દલિતોનાં ગાણાં ગાવ છો, ને નામ મારું પડે છે.
કોઈ કોઈ વાર ઈતર વંચિતો-શોષિતોનાં વિતક ચિતરો છો મારા નામે.
તમને નથી લાગતું,
તમે કોઈ મનોરુગ્ણતાનો શિકાર બની ગયા છો?
તમે ક્યારે ય મારે માટે, મારા પ્રેમ માટે ગીત-ગઝલ લખી?
આજે તો તમે લાખ કોશિશ કરો,
હું નહીં રિઝું.’
પ્રિય કવિતા, તને ખબર છે હું માત્ર તારો અને તારો જ પ્રતિબદ્ધ પ્રેમી છું.
વાર્તા-નાટક-નવલકથા મને પટાવવા ઘણાં લટકાં મટકાં કરે છે,
પણ હું એમને સહેજ પણ ભાવ આપતો નથી.
હું છેક કોલેજકાળથી તારા પ્રેમમાં પડ્યો છું,
તે આજે વૃદ્ધત્વના આરે ય તને
અને તને જ ચાહું છું પૂરી વફાદારીથી.
તને યાદ છે ’કવિની પ્રેયસી’ કવિતામાં
માત્ર શબ્દોથી જ કોરો પ્રેમ કરતા ગગનવિહારી કવિઓનો મેં કેવો ઉપહાસ કર્યો હતો?
મેં કહ્યું હતું કે પ્રેમ જ કરવો હોય તો પડ નવસ્ત્રી થઈને ધરામાં,
ને કરસન ગોવાળિયાની બાથમાં ભીડા,
તો તને ખબર પડશે
પ્રેમની મીઠી માયા ને મીઠી પીડા.
ચાલ, આજે તને સાબરમતીના કાંઠે લાગેલાં ફૂલોના મેળામાં લઈ જાઉં.
આજે દલિત-પલિત બધું વેગળું,
આજે હું ને મારી પ્રિયતમા કવિતા.
જુવાનિયાઓ ભલે મજાક ઉડાવે,
આજે એકેએક ફૂલછોડની સાખે
તસતસતાં આલિંગનોની સેલ્ફીઓ લઈએ.
બને કે ત્યાં જ કોઈ પ્રેમગીત લખાઈ જાય ને મારા પર તું રીઝી પડે …
પ્રિય કવિતા, તું પ્રેમ કરવાનું છોડી દે,
તો બિચારાં દીનદલિતદુખિયાઓને કોઈ કવિ પ્રેમ કેમનો કરશે?

૧૭-૧-૨૦૧૯

• <> • <> •

રીવર ફ્રંટ

નદી કાંઠાનું તમારું ગામ.
તે નદી તમારી જીવનદોરી.
તમે સેંકડો વર્ષોથી
જે નદીના કાંઠે રહેતા હોય,
એને કોઈ ચોર ચોરી જાય તો!
તમે વહેલી સવારે ઊઠીને સૂર્યનમસ્કાર કરી સ્નાન કરતા આ નદીમાં.
તમે નદી કાંઠે ઊતરી એનું કોપરા જેવું જળ પીતા.
બપોરે છોકરડાઓ એમાં ધૂબાકા મારતા.
દેશી જાળ બાંધીને બે ટંકનાં માછલાં પકડતા.
પડખેના ભાઠામાં રિંગણટમેટાંની વાડી કરતા.
કન્યાઓ વ્રતપૂજા કરતી.
વિદાય થયેલા વડીલોનાં ફૂલ પધરાવતા.
એકવાર લંડન બ્રીજ પર નીરો ગયો,
ને થેમ્સની ઝાકઝમાળથી એવો ઘેલો થયો કે એણે ત્યાં જ નક્કી કરી લીધું :
બસ અસ્સલ આવી જ રીવરફ્રન્ટ બનાવું મારા દેશમાં!
એણે તો આર.સી.સી.ના તોતિંગ સ્લેબથી આખી નદીના બેઉ કાંઠા નાથી લીધા.
એણે પહેલાં પૂર્વ કાંઠાની નાકાબંધી કરી લીધી.
પછી એણે પશ્ચિમ કાંઠાની નાકાબંધી કરી લીધી.
ન કોઈ ગામનો રહેવાસી નદીમાં પ્રવેશી શકે, ન કોઈ પ્રાણીપારેવું!
નદીકાંઠેના બિચારાં વૃક્ષોનો તો ખાતમો જ બોલી ગયો.
હવે ત્યાં વિદેશી મહેમાનો હિંચકે ઝૂલે છે.
પૈસાદાર હોય એ એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાલી શકે છે.
હવે ત્યાંથી અમીરો માટે સી-પ્લેઈન ઊડે છે : મહેસાણાથી અમદાવાદ ને અમદાવાદથી ખંભાત.
લાંબી હવાઈપટ્ટી બની ગઈ છે નદી.
જેની નદી હતી એ ગામડિયાઓને ભાગે તો
એલિસબ્રિજની રેઈલિંગમાંથી આ જોણાં બચ્યાં છે.
નીરોના એજન્ડામાં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ હતી જ ક્યાં?
એની તો બસ એક જ જિદ છે,
નાગરિકો મરે કે જીવે,
આ દેશને જાપાન અને અમેરિકા બનાવી દેવો છે.
આ દેશને સુપર પાવર બનાવી દેવો છે.               

૧૨-૧-૨૦૧૯

+=+=+=+=+=+=+=+

‘એકંદરે ઘણો સારો માણસ’ 

• નીરવ પટેલ

આપનો રોલ મોડલ (આદર્શ)

…. વંચિત રહેલા માટે પ્રતિબદ્ધ લેખિકા સમાજ સેવિકા અરુંધતી રૉય

છેલ્લે ક્યારે રડ્યા હતા?

‘બહિષ્કૃત ફૂલો’ને ગુ.સા.પ.નું મહેન્દ્ર ભગત પારિતોષિક મળ્યાના સમાચાર સાંભળીને હર્ષાશ્રુ આવ્યા હતા.

દેશ વિશે શું વિચારો છો?

અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલા આ દેશ તૂટી જવા ભણી જઈ રહ્યો છે, ને જાણે કોઈને કંઈ પડી નથી!

આપની દૃષ્ટિએ પ્રેમ એટલે …

જો સ્ત્રીપુરુષના સંદર્ભે હોય તો આંતરબાહ્ય વ્યક્તિત્વથી પેદા થતું એકબીજાં માટેનું આકર્ષણ જે અદ્દભુત આનંદની અનુભૂતિ કરાવે છે.

આપની દૃષ્ટિએ લગ્ન એટલે …

જૈવિક (જાતીય) આવેગના નિયમન માટે રચાયેલી સામાજિક સંસ્થા જે સુખદુઃખનો આજીવન સાથી પણ આપી શકે છે, ને કિલ્લોલતું કુટુંબ પણ.

આપની સફળતાનું રહસ્ય?

હું મને સફળ વ્યક્તિ માનતો નથી. અલબત્ત કોઈ પણ સફળતાને હું પરિશ્રમને કારણે મળેલી ગણું.

આપ અન્ય લોકોના આપવા ઇચ્છતા હો તેવો સંદેશ એક વાક્યમાં …

આપસી ભાઈચારાથી હળી-મળીને રહો. આ દુનિયાને આપણે સ્વર્ગ બનાવી શકીએ.

મનપસંદ અભિનેતા – અભિનેત્રી

નસિરુદ્દીન શાહ – સ્મિતા પાટીલ

મનપસંદ ફિલ્મ

પાર

મનપસંદ રાજકારણી

વિશ્વનાથ પ્રતાપસિંહ, (વી.પી. સિંહ) જે કવિ છે.

તમારા વિશે એક વાક્યમાં તમારો અભિપ્રાય શું હોઈ શકે?

આ માણસ એકંદરે ઘણો સારો માણસ છે.

તમે આ ક્ષેત્રમાં ના હોય તો કયા ક્ષેત્રમાં હોત?

શિક્ષણ

માસ્ક પાર્ટીમાં કયો માસ્ક પહેરવાનું પસંદ કરો?

સાન્તાક્લોઝ

સૌથી વધુ ખુશ ક્યારે થાવ છો?

મારા માપદંડથી કશુંક સારું લખાય છે ત્યારે.

તમારી જિંદગીને એક વાક્યમાં વર્ણાવવી હોય તો …

અનેક સંભાવનાઓ છતાં વેડફાઈ ગયેલું જીવન.

તમારો તકિયા કલામ?

ઓહ વન્ડરફૂલ!

એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરો?

પુસ્તક

અત્યારે કયું પુસ્તક વાંચો છો?

રીટા કોઠારી દ્વારા અનુવાદિત તથા અચ્યુત યાજ્ઞિકની પ્રસ્તાવનાવાળી જોસેફ મેકવાનની નવલકથા “The Stepchild”

ગમતા ગુજરાતી લેખક – કવિ

લેખક પ્રકાશ શાહ, કવિ પ્રવીણ ગઢવી

[“આરપાર”(૧ જાન્યુઆરી ૨૦૦૭)માં પ્રકાશિત મુલાકાતનો કેટલોક અંશ, સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 08-11

Loading

...102030...2,7772,7782,7792,780...2,7902,8002,810...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved