હિન્દી કવિ રામધારીસિંહ દિનકરે તેમના વિખ્યાત પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ‘હિન્દુત્વ કી ખરલ’ એમ કહ્યું છે. દિનકરનું હિન્દુત્વ એ હિંદુ કોમવાદીઓનું હિન્દુત્વ નથી જે પૃથકતાવાદી છે, પણ દિનકરનું હિન્દુત્વ સર્વસમાવેશક છે અને એટલે તો તેને ખરલ તરીકે ઓળખાવ્યું છે. દિનકર જો આજે લખતા હોત તો તેમણે હિન્દુત્વની જગ્યાએ કોઈ બીજો શબ્દ વાપર્યો હોત, પણ એ વાત જવા દઈએ.
કવિ દિનકર એમ કહે છે કે ભારતની સાંસ્કૃતિક ખરલમાંથી હિંદુ પેદા થયો છે. એ જે હિંદુ પેદા થયો છે એ એક-જીનસ નથી. ભારતની એ વિશેષતા રહી છે કે તે અનેક જાતિઓને ખરલમાં વાટીને એક જાતિ બનાવી દે છે અને અનેક ધર્મોને વાટીને એક ધર્મ બનાવી દે છે. નીગ્રો, ઔષ્ટ્રિક, દ્રવિડ અને આર્યના મિલનમાંથી જે મહાજાતિ પેદા થઈ એ હિંદુ (જેમાં જૈન, બૌદ્ધ, સીખ વગેરેનો સમાવેશ થાય છે) અને વેદ તેમ જ ઉપનિષદો પછી જે વિચારધારાઓની સરવાણીઓ ફૂટી એ ભારતીયદર્શન. આમ કવિ દિનકરનો હિન્દુત્વનો અર્થ સાવરકરના હિન્દુત્વ કરતાં જુદો છે એ સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે. ખરલનો ઉપયોગ જ અનેકમાંથી એક બનાવવા માટે કરવામાં આવે છે અને એ એકને પાછો બીજા સાથે વાટીને અનેક બનાવવા માટે કરવામાં આવે છે. ખરલનો ઉપયોગ કોઈ ચીજ મીટાવવા માટે નથી કરવામાં આવતો, કાંઈક નવું રચવા માટે કરવામાં આવે છે.
આવું ભારતમાં જ કેમ બન્યું અને જો બન્યું તો એ માટે આપણે શરમાવું જોઈએ કે ગર્વ લેવો જોઈએ? બહુ મહત્ત્વનો સવાલ છે આ. કાંઈક તો આપણા પીંડમાં એવું છે કે આપણે અન્ય પદાર્થને વાટી પણ લઈએ છીએ અને જરૂર પડ્યે વટાઈ પણ જઈએ છીએ. પ્રતિકાર કરતાં સમન્વયને આપણે વધુ મહત્ત્વ આપીએ છીએ. કેમ નમાલા છીએ એટલે? એવું નથી કે આપણી પરંપરામાં પ્રતિકાર અને સંઘર્ષની ઘટનાઓ નથી બની. શોધવા જશો તો ઘણી મળશે અને અમુક વિચારધારાના લોકો ચાહીને એ કામ કરે છે, પણ અત્યારે તેની વાત જવા દઈએ. શ્રમણો-બ્રાહ્મણો, આસ્તિકો-નાસ્તિકો, આર્યો-દ્રવિડો, સવર્ણો-અવર્ણો, સંસ્કૃતનિષ્ઠો અને લોકભાષાઓની તરફેણ કરનારાઓ વચ્ચે ધીંગાણાં થયાં છે. જો પ્રતિકાર અને ધીંગાણાંના પ્રસંગો શોધવા જશો તો તે પ્રચૂર માત્રામાં મળી આવશે, કારણ કે આપણી પરંપરા હજારો વરસ જૂની છે. જેટલો લાંબો ઇતિહાસ એટલાં માફક આવતાં પ્રમાણો વધુ.
સરવાળે શું બન્યું એ વાત મહત્ત્વ ધરાવે છે અને સરવાળે ભારતની ખરલમાં બધું વટાતું ગયું અને નવો આકાર પામતું ગયું. ભારતીય સંસ્કૃતિ દર શતાબ્દીમાં નવો ચહેરો ધારણ કરતી હતી અને છતાં આપણને પરિવર્તનનો અહેસાસ પણ નહોતો થતો, આંચકો તો બહુ દૂરની વાત છે. આનું કારણ હતું સાતત્ય. ચોવીસે કલાક ખરલ ચાલતી રહેતી હતી અને પ્રતિકારો અને સંઘર્ષોની વચ્ચે સંથ ગતિથી સમન્વય થતો રહેતો હતો. કેટલી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતમાં ઓગળી ગઈ. કેટલી સંસ્કૃતિઓનો ભારતીય સંસ્કૃતિમાં સમાગમ થયો છે. કેટલી ભાષાઓ સમાંતરે વિકસી અને કેટલીકે મિલનમાંથી નવી ભાષાને જન્મ આપ્યો. હિંદુ અસ્મિતાના ભાગરૂપે કૃત્રિમ રીતે અને પ્રયત્નપૂર્વક વિકસાવવામાં આવેલી આજની હિન્દી કરતાં વ્રજ, અવધી, માગધી કે મૈથિલી તમને ગુજરાતીની વધુ નજીક લાગશે. કારણ એ છે કે ભારતની ભગિની ભાષાઓ સમાંતરે વિકસેલી ભાષાઓ છે. આજે અસ્મિતાના નામે એકબીજાથી દૂર જવું એને સાંસ્કૃતિક પરિપક્વતા કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં એ અધોગતિ છે.
દિનકર કહે છે કે આજની પરિભાષામાં આપણને યુગ-વિભાજન કરવાની લાલચ થઈ આવે છે. આ પશ્ચિમના ઈતિહાસલેખનનો પ્રભાવ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસનું કાલ-વિભાજન વૈદિક યુગ અને શ્રમણ યુગ તરીકે કરી શકાય છે, પરંતુ વ્યવહારમાં તેનો કોઈ અર્થ નથી. શ્રમણ યુગમાં વૈદિક પ્રભાવ સાવ સમાપ્ત થઈ ગયો હતો એવું નથી અને બુદ્ધ અને મહાવીર પહેલાં જે તે સ્વરૂપમાં શ્રમણ પરંપરા અસ્તિત્વ ધરાવતી હતી. મહાવીર અને બુદ્ધના પ્રભાવે પશુહિંસા કરતા યજ્ઞો બંધ થયાં હતા, પરંતુ અહિંસક અગ્નિહોત્રના સ્વરૂપમાં યજ્ઞ કાયમ રહ્યા હતા. અશોકે તેના શિલાલેખમાં શ્રમણ-બ્રાહ્મણ બન્નેને આદર આપવાની અને દાન આપવાની સલાહ આપી છે. ગયા સપ્તાહે જે જ્ઞાન, સાધના અને ભક્તિ, શક્તિ અને તંત્ર આધારિત સેંકડો સંપ્રદાય અને પેટા સંપ્રદાયની વાત કરી તેનાં સગડ પણ વૈદિક સાહિત્યમાં મળે છે. વ્યાકરણની ઘણી લાંબી પરંપરા છે. બધું સમાંતરે ચાલતું હતું. વિચારધારાઓ અને અભિગમો એકબીજાના સંપર્કમાં આવતાં હતાં, અથડાતાં હતાં અને ખરલમાં વટાઈને સમન્વય થતો હતો. એક રીતે જુઓ તો કોઈ ચીજ નવી નહોતી અને છતાં નવી ભાસતી હતી.
બૌદ્ધ ધર્મ પશ્ચિમે તુર્કી સુધી અને પૂર્વે જપાન સુધી પહોંચ્યો હતો અને તેની પણછે વૈદિક સંસ્કાર પણ ભારત બહાર પહોંચ્યા હતા. કારણ કે બૌદ્ધ ધર્મ વૈદિક ધર્મથી દૂર ગયો જ નહોતો અને વૈદિકોએ તેને બહુ દૂર જવા પણ નહોતો દીધો. ઈસ્લામ ધર્મ યહૂદી સંસ્કારને પણ વિદેશમાં લઈ જાય એવું બને? ભારતમાં એવું બને કારણ કે ખરલનું સર્જન છે.
ખરલ નિરંતર ચાલતી હતી, પરંતુ તેની સામે પહેલો મોટો અવરોધ ભારતમાં ઇસ્લામ ધર્મનો પ્રવેશ થયો ત્યારે થયો હતો. ભારતીય પ્રજાને એ પહેલાં વ્યાખ્યાબદ્ધ વિચારધારા આધારિત ધર્મનો અને ધર્મ આધારિત ચુસ્ત આગ્રહોવાળી જીવનશૈલીનો અનુભવ નહોતો. એ પહેલાં જેટલા લોકો ભારતમાં આવ્યા એ થોડુંક આપીને અને થોડુંક અપનાવીને હિંદુ બની ગયા હતા. ભારતમાં પેદા થયેલા ધર્મોમાં અને સુમેરિયામાં પેદા થયેલા ધર્મોમાં પાયાનો ફરક છે. પશ્ચિમના ધર્મો એક ઈશ્વર, એક ગ્રંથ અને એક મસીહા આધારિત ધર્મો છે. આમ છતાં ખરલે હાર નહોતી માની. અરેબિયામાં આકાર પામેલો ઇસ્લામ ભારતીય ઇસ્લામ બની ગયો હતો. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ મળીને સમન્વયનો પ્રયત્ન કર્યો હતો.
એમાં કોઈ શંકા નથી કે ખરલની ઝડપ ધીમી પડી ગઈ હતી અને અવરોધોનો સામનો કરવો પડતો હતો, પરંતુ એ અટકી નહોતી. હવે પછી ઈસ્લામ, ઇસ્લામ ધર્મનું સ્વરૂપ, ભારતમાં ઈસ્લામનું આગમન, સૂફીવાદનો પ્રાદુર્ભાવ અને સંતોના પ્રયત્નો વિષે વાત કરવામાં આવશે.
13 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઑગસ્ટ 2019