Opinion Magazine
Number of visits: 9684625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુસ્તાનમાં ઇસ્લામ ધર્મના પ્રવેશનો ઇતિહાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2019

ગયા અઠવાડિયાના લેખનો ઉપસંહાર કરતા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં જે ઇસ્લામ ધર્મ આવ્યો હતો એ મહમ્મદ પ્રેરિત શુદ્ધ ઇસ્લામ નહોતો, અને ભારતમાં જે મુસલામન આવ્યા હતા તેને મહમ્મદ સર્ટિફિકેટ આપે એવા શુદ્ધ મુસલામન નહોતા.

દરેક ધર્મની બાબતમાં બને છે એમ ઇસ્લામની બાબતમાં પણ બન્યું હતું. એક તો લોકોની સ્થળ કાળ મુજબની ખાસ પોતોકી જરૂરિયાત હોય તે વિષે જો ધર્મગ્રંથમાં કોઈ ખુલાસો ન મળે તો શું કરવું? બીજું શાસકોની ખાસ જરૂરિયાત હોય અને ધર્મગ્રંથનું વચન તેની વિરુદ્ધ જતું હોય તો શું કરવું? આવું દરેક યુગમાં દરેક ધર્મની બાબતમાં બનતું આવ્યું છે. હિંદુઓ વર-કન્યાની કુંડળી ન મળતી હોય અને જો બેને લગ્ન કરવાં જ હોય તો ગ્રહોને શાંત કરવાનો કર્મકાંડ કરી આપે છે, એવું. દરેક ધર્મમાં છીંડાં પાડનારાઓ છીંડાં પાડી આપે છે.

ઇસ્લામમાં કુરાન પવિત્ર ગ્રંથ છે અને અંતિમ પ્રમાણ પણ છે. એ સિવાય મહમ્મદ પેગંબરે આયાત સિવાયનાં જે વચનો કહ્યાં હતાં તેને પણ પ્રમાણ માનવામાં આવ્યા. આ ઉપરાંત મહમ્મદસાહેબે વખતો વખત જુદા જુદા પ્રસંગે જે આચરણ કર્યું હતું અને વલણ અપનાવ્યું હતું તેને પણ પ્રમાણ માનવામાં આવ્યાં. આ બેને હદીસ કહેવામાં આવે છે અને ત્રણેને મળીને શરિયા કહેવામાં આવે છે. આમ મહમ્મદ સાહેબે આપેલી કુરાનની આયાતો, તેમનાં અન્ય વચનો અને તેમનું કાર્ય એ ત્રણેય મુસલમાનો માટે પ્રમાણ મનાય છે.

એક તો લોકોની વ્યવહારજન્ય જરૂરિયાત, શાસકોની સ્વાર્થજન્ય જરૂરિયાત અને તેમાં વધારાના પ્રમાણોની પૂરક બારીઓ ખોલવામાં આવી એ સાથે ભેળાણ થવા માંડ્યું. એમ કહેવાય છે કે એક સમયે હદીસોની સંખ્યા વધતા વધતા પાંચ લાખ જેટલી થઈ ગઈ હતી. જેને જેનો ખપ હોય એ હદીસ ઘડીને છીંડુ પાડી લેતો હતો. નવમી સદીમાં થઈ ગયેલા મહમ્મદ અલ બુખારીએ બધી જ હદીસો ચકાસીને જેટલી પયગંબરની સંભવિત હોય એવી હદીસોને નોખી તારવી હતી. બુખારીના કહેવા પ્રમાણે માત્ર ૭,૨૭૫ હદીસ એવી છે જેને પેગંબરના કર્મ-વચન તરીકે પ્રમાણ ગણી શકાય. ક્યાં પાંચ લાખ અને ક્યાં ૭,૨૭૫. ત્રણસો વરસમાં આટલો ફુગાવો થયો હતો.  શાસક અને ધર્માનુયાયીના સ્વભાવનું આમાં દર્શન થાય છે.

આ ઉપરાંત ઇસ્લામ એક રાજકીય ધર્મ છે. મહમ્મદ સાહેબના ગયા પછી ખલીફાઓની નિયુક્તિમાં ઝઘડા થવા માંડ્યા હતા અને તેમાં હત્યાઓ થઈ હતી. એ પછી શિયા અને સુન્ની એમ બે સંપ્રદાયમાં ઇસ્લામ વિભાજિત થયો હતો. અરબસ્તાનમાં સુન્નીઓનું પ્રમાણ મોટું હતું અને ઈરાન અને અડધા ઈરાકમાં શિયાઓનું પ્રમાણ વધારે હતું એટલે એને કારણે અરબસ્તાન અને ઈરાન એમ બે મુસલમાનોમાં સત્તાકેન્દ્રો વિકસ્યા હતા. એ બે દેશો વચ્ચે હરીફાઈ અને અથડામણો થવા લાગી. આમ એક બાજુ ઇસ્લામમાં સરળતા અને સમાનતાના ગુણ હોવાથી તેનો ઝડપથી વિકાસ થવા લાગ્યો હતો તો બીજી બાજુ તેની અંદર આંતરિક સમસ્યાઓ પણ પેદા થવા લાગી હતી. ત્રણસો વરસની અંદર અંદર એ ઇસ્લામ ધર્મ નહોતો રહ્યો જે મહમ્મદ સાહેબને અભિપ્રેત હતો.

ભારતમાં મુસલમાનોનો બે રીતે પ્રવેશ થયો હતો. એક વેપારી તરીકે અને બીજો આક્રમણકારો તરીકે. જે બીજા પ્રકારના મુસલમાનો આવ્યા એ મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તો ઇસ્લામનું સ્વરૂપ મૂળ કરતાં ઠીકઠીક માત્રામાં બદલાઈ ગયું હતું. બીજું તેઓ મુસલમાનો તો હતા, પણ સાચા મુસલમાનો નહોતા. તેઓ એ જ પ્રદેશમાંથી ભારતમાં આવ્યા હતા જ્યાંથી આ પહેલાં પણ તેમના પૂર્વજો આવ્યા હતા. તેઓ એના જ વારસો હતા જે આ પહેલાં પણ ભારત પર આક્રમણ કરી ચૂક્યા હતા. તેઓ એટલા જ જંગલી હતા જેટલા આ પહેલાના તેમના પૂર્વજ આક્રમણકારો હતા. ફરક એ હતો કે આગલી પેઢીના આક્રમણકારો ભારતમાં વસી ગયા હતા, અને તેમનો ઇસ્લામ જેવો કોઈ સંગઠિત ધર્મ નહોતો એટલે હિંદુ ખરલમાં વટાઈ ગયા હતા. બર્બરતા એટલી જ હતી, પરંતુ તેમનો કોઈ વિશિષ્ટ ધર્મ નહીં હોવાથી તેઓ ભારતીય બની ગયા હતા અને ઓગળી ગયા હતા.

બન્યું એવું કે જે ઇસ્લામ તુર્કી, મધ્ય એશિયા વગેરે અરબસ્તાનના ઉત્તરના દેશોમાં પહોંચ્યો એ મહમ્મદ સાહેબનો ઇસ્લામ નહોતો અને તેને જેમણે અપનાવ્યો એ ઇસ્લામને ખરેખર સમજ્યા પણ નહોતા. અર્ધ સંસ્કારી કબીલાઈ પ્રજા તેમના પૂર્વજો જેટલી જ હિંમતવાન હતી અને તેમણે મુસ્લિમ બનીને ભારત પર આક્રમણ કર્યા હતાં. પૂર્વજોનાં આક્રમણો આપણને ખટકતા નથી, પરંતુ સંતાનોનાં આક્રમણો ખટકે છે; એનું કારણ એ હતું કે તેમની નવી ધાર્મિક ઓળખને કારણે ખરલ ખોટવાઈ જવા લાગી હતી. ઇસ્લામનાં જે આદેશો છે એમાં ઈશ્વરની ઈબાદત, ખેરાત, યાત્રા, વગેરે તો બંને ધર્મમાં છે. જે ફરક છે એ મૂર્તિપૂજાનો છે. ભારતમાં જે મુસલમાનો આવ્યા હતા તેમણે મૂર્તિપૂજાને હિંદુ ધર્મની ઓળખ માની લીધી અને મૂર્તિપૂજાનો વિરોધ (અભાવ નહીં વિરોધ) મુસલમાનોની ઓળખ બનાવી દીધી. પોતાની એક વિશિષ્ટ ઓળખ માટે, પોતાનું સર્વોપરીપણું બતાવવા માટે અને હિંદુઓને નીચા દેખાડવા માટે તેમણે મૂર્તિપૂજાને મૂળ ઇસ્લામમાં જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એના કરતાં વધુ મહત્ત્વ આપવા લાગ્યા. આ તેમની થોડીક જરૂરિયાત હતી અને વધુ તો તુમાખી હતી. આજે પણ ભારતીય મુસલમાનો કારણ વિના વંદે માતરમ્ નહીં ગાઈને મૂર્ખાઈનું પ્રદર્શન કરે છે. મૂર્તિપૂજાનો વિરોધ એ ઇસ્લામની કેટલીક ઓળખમાંથી એક છે એક માત્ર ઓળખ નથી, પણ પછીના મુસલમાનોએ તેને એકમાત્ર ઓળખ બનાવી દીધી હતી.

૧૧મી સદી પછી ભારતને જે ઇસ્લામનો પરિચય થયો એ મુખ્યત્વે અધૂરા મુસલમાનો દ્વારા થયેલો પરિચય હતો. બીજું, પેગંબર સાહેબના મૃત્યુ પછી આમ પણ ઇસ્લામમાં ઠીકઠીક પરિવર્તન થયું હતું અને એમાં અધૂરા મુસલમાનો દ્વારા જે ઇસ્લામ ભારતમાં આવ્યો એ તો હજુ વધુ અધુરો હતો.

(ક્રમશ:)

12 સપ્ટેમ્બર 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 સપ્ટેમ્બર 2019

Loading

પર્યાવરણ અને અર્થતંત્રમાં અસંતુલન નોતરતી નફા કેન્દ્રી કૃષિ-નીતિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 September 2019

ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે

આ અઠવાડિયાની શરૂઆતમાં વડાપ્રધાને યુનાઇટેડ નેશનનાં કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશનમાં ૧૪મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ(સી.ઓ.પી.)માં જાહેર કર્યું કે ૨૦૩૦ સુધીમાં ૨૬ મિલિયન હેક્ટર પડતર એટલે કે ઉજ્જડ જમીનને ખેતી લાયક બનાવાશે. વૈશ્વિક સ્તરે પર્યાવરણનાં પ્રશ્નનાં ઉત્તરમાં આપણાં રાષ્ટ્રની આ જાહેરાત અગત્યની ચોક્કસ છે. ૨૦૧૫માં પૅરિસમાં થયેલી ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં જે વચન અપાયું હતું તેની સરખામણીએ આ આંકડો પાંચ મિલિયન હેક્ટર વધારે છે. ઇસરોનાં ડેઝર્ટીફિકેશન (રણનું વિસ્તરણ) અને લેન્ડ ડિગ્રેડેશન (જમીનની ગુણવત્તામાં પડતી થવી, જમીન ખેતીલાયક ન રહેવી) ઍટલાસ અનુસાર ભારતની ૩૦ ટકા જમીનની ગુણવત્તાનું પતન થઈ ચૂક્યું છે.

વડાપ્રધાને જે વાત કરી એ દિશામાં જો ખરેખર કામ થાય તો માત્ર પર્યાવરણ જ નહીં પણ ખેડૂતોનાં જીવનમાં પણ નોંધપાત્ર ફેર પડી શકે છે. જો કે આ કરવા માટે સરકારે સૌથી પહેલાં તો હરિયાળા વિસ્તારોની માપણી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવો પડશે. પર્યાવરણ મંત્રાલયે વૃક્ષારોપણ લક્ષી વનીકરણને બદલે વૉટરશેડ મેનેજમેન્ટ, બાયોડાવર્સિટી કન્ઝરવેશન અને જમીનનાં સ્વાસ્થ્યને બહેતર બનાવવા જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે. વનીકરણની વાત કરીએ તો ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા અનુસાર ભારતનાં વનવિસ્તારમાં વધારો થતો આવ્યો છે, પણ આ થવા છતાં ય જમીન પર જે બોજ છે તેમાં લગીરેક ફરક નથી પડ્યો. સેટેલાઇટ ઇમેજીઝમાં દેખાતા લીલા હિસ્સાઓ જોઈને દેશનાં જંગલોનો ક્યાસ ન કાઢી શકાય કારણ કે તેમાં જંગલો અને વૃક્ષારોપણનો ભેદ નથી કળી શકાતો, અને માટે જ પડતર જમીન અને ગ્રીન કવરનું સંતુલન સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. મોનોકલ્ચર પ્લાન્ટેશન એટલે કે એક સરખાં પ્રકારનાં વૃક્ષોનો ઉછેર પર્યાવરણ માટે જોઈતું કરવામાં મર્યાદિત સાબિત થાય છે.

માપણી તો એક પાસું છે પણ ખેતીપ્રધાન કહેવાતા આપણા દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જંગલોનાં સફાયા, વધુ પડતો પાક લેવાને કારણે, જમીન ધોવાણ અને વેટલેન્ડનાં પ્રમાણમાં ઘટાડો થવાને પગલે ઘણી જમીન પડતર બની ચૂકી છે. ફળદ્રુપ જમીનની આ ખોટને કારણે આપણો જી.ડી.પી. દર વર્ષે ૨.૫ ટકા જેટલો ઘટી રહ્યો છે અને કાયમી પાકની ઊપજ પર પણ તેનો માઠો પ્રભાવ પડ્યો છે. આપણા દેશ પર ક્લાઇમેટ ચેન્જની ઝડપી, અણધારી અને આકરી અસર થાય છે, અને માટે જ જમીનનું પતન આપણે ધારીએ તેનાં કરતાં કંઈક ગણો વધારે મુશ્કેલ મુદ્દો બને છે. પડતર જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા નથી હોતી અને આપણે જાણીએ જ છીએ કે ગ્લોબલ વૉર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મોટો અને હાનિકારક ખેલાડી છે. દુનિયાની કુલ જમીનનો ૨.૪ ટકા હિસ્સો જ આપણી પાસે છે, પણ દુનિયાની કુલ વસ્તીની ૧૮ ટકા આપણા દેશમાં છે. ક્લાઇમેટ ચેન્જને કારણે પાકની ગુણવત્તા પર, તેમાં રહેલા પોષક તત્ત્વોનાં પ્રમાણ પર, ચારો ખાનારાં પશુઓની ઉત્પાદન ક્ષમતા અને વિકાસ પર સીધી અસર પડે છે. ખેતી પ્રધાન દેશ હોવાને કારણે આ તમામ પાસાંઓ ભારતનાં અર્થતંત્ર પર સીધી અસર કરે છે.

આટલું ઓછું હોય તેમ ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે. ખેતરોનું કદ સંકોચાઈ રહ્યું છે જેને કારણે પુરવઠો મોંઘો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે પાણી નથી રહ્યું. ભારતના કૃષિ ઇતિહાસ પર નજર કરીએ તો ‘હરિયાળી ક્રાંતિ’ને હંમેશાં ઉત્પાદનનાં માપદંડથી નાણવામાં આવી છે, પણ કમનસીબે ઉત્પાદન વધારવાની લ્હાયમાં પર્યાવરણને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરાયું છે. જુદાં જુદાં પાક લેવાની વ્યૂહરચનાને બદલે કોઈ એક જ પાકનું વધુ ઉત્પાદન થાય તે રીતે પર્યાવરણની વિરુદ્ધ જઈને ફેરફારો કરાયા. જંતુનાશક અને ખાતરનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતા પર અસર કરતો ગયો. ઉત્પાદન વધારવાની દોડમાં ફાયદા કરતાં નુકસાન વધારે થયું. ૧૯મી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન ભારતે સૌથી ખરાબ દુકાળ જોયા. લોકો ભૂખથી મરી રહ્યા હતા પણ પાકની નિકાસ થઈ રહી હતી. છપ્પનિયા દુકાળ પછી ભારત એક એવા રાષ્ટ્ર તરીકે ઓળખાયું જે પોતાનાં જ લોકો માટે પૂરતો ખોરાક પેદા નથી કરી શકતું. હરિયાળી ક્રાંતિનો આરંભ દુકાળ કે ભૂખમરાને નાથવા કરતાં ઘઉંનાં ઉત્પાદનને વધારવાના હેતુ સર થયો હતો. બાજરા, જવાર, મકાઈ જેવા અન્ય ધાન અને ચોખા જેનો મુખ્ય ખોરાક છે તેવા દેશમાં ઘઉંના ઉત્પાદનને સૌથી વધારે મહત્ત્વ અપાયું. ઘઉં પ્રત્યેનો આ મોહ અંતે જમીનની ગુણવત્તા, ભૂગર્ભ જળ અને પશુ પાલનનાં અર્થ તંત્ર પર માઠી અસર કરનારો સાબિત થયો છે. ઉત્પાદન લક્ષી, ટૅક્નોલોજી કેન્દ્રી હરિયાળી ક્રાંતિના લોભમાં ખેડૂતોએ પાકની વિવિધતા જતી કરી છે, જેને કારણે દેશની ખોરાકની જરૂરિયાતોથી માંડીને પર્યાવરણનું સંતુલન ખાડે ગયું છે. ફળ, શાકભાજી અને મુખ્ય અનાજ સિવાયનાં પાકનાં ઉત્પાદનને મહત્ત્વ આપવું જ રહ્યું. ખેડૂતોને સાચું અને સર્વાંગી કૃષિ શિક્ષણ આપવાની પણ જરૂર છે નહીંતર દેવામાં ડૂબેલા, પાણીની તંગી અથવા અતિવૃષ્ટિને પગલે કે પછી સતત વિભાજિત થયા કરતી, ટુકડો જમીન જીવાડવામાં ખેડૂતો પોતાની જીવ આપતા રહેશે.

બાય ધી વેઃ 

વૈવિધ્ય જેનું લક્ષણ છે તેવો આપણો દેશ વિરોધાભાસની વિવિધતામાં રહેંસાઈ રહ્યો છે. ખેતરો વધ્યાં છે પણ તેમનું કદ સતત સંકોચાઈ રહ્યું છે. એક તરફ સરકાર પડતર જમીનને ખેતીલાયક બનાવવાની વાત કરે છે, તો બીજી તરફ પર્યાવરણલક્ષી ઊપજ નહીં પણ નિકાસ અને નાણાં લક્ષી ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યાં પાણી છે ત્યાં જેને બહુ પાણીની જરૂર નથી એવા પાક લેવાય છે તો જ્યાં ભૂગર્ભ જળનું સ્તર પણ તળિયે ગયું છે, ત્યાં ખેતરોમાં પાણી માગે લે એવા પાક થઈ રહ્યાં છે. આયાત-નિકાસમાં સરકાર પોતાનો ફાયદો જુએ છે અને જે અહીં ઊગાડી શકાય તેવા અન્ય ધાન્ય વિદેશથી આયાત કરાય છે. જમીનનાં દસ્તાવેજનાં ઠેકાણાં નથી એટલે ખેડૂતો પોતાને માટે એટલી આવક પણ નથી મેળવી શકતા કે તેમનું ગુજરાન ચાલી શકે.  આપણા ખેતી પ્રધાન દેશની આ વાસ્તવિકતા છે અને ચિત્ર ત્યારે જ બદલી શકાશે જ્યારે પર્યાવરણ અને છેવાડાનાં માણસનું હિત ગણતરીમાં લઇને નીતિ ઘડાશે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 11

દીપક મહેતા|Opinion - Opinion|15 September 2019

છાપેલાં પાઠ્યપુસ્તકો આવ્યાં અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો લાવ્યાં

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની શિક્ષણનીતિને સાથ અને સહકાર મળ્યો. બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે, તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો. તેમણે પહેલ કરીને પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં, કરાવ્યાં. કેપ્ટન જર્વિસનો જન્મ ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઈ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે.

કેપ્ટન જર્વિસ

એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને તેમની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો. અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ તો તેનાથી પણ આગળ વધીને ગુજરાતી ગદ્યના જનકનું માન જર્વિસને આપે છે: “ગદ્યમાં લખેલું આપણી પાસે કંઈ નથી. ગદ્યમાં કાગળો લખાતા ને દરબારમાં કામ ચાલતાં. પણ તે કેવી રીતના હતા ને છે તે સહુને માલમ છે ને એ કંઈ ભાષા વિદ્યા ન કહેવાય. ભાષા વિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે ને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષા-વિદ્યાનો શક કહેવો જોઈએ, કે જે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું.” નર્મદ જર્વિસનાં નામ અને કામથી પરિચિત હતો કારણ તેના પિતા લાલશંકરે કેટલોક વખત જર્વિસના હાથ નીચે લહિયા તરીકે કામ કર્યું હતું. લાલશંકરે હાથે લખેલાં ઘણાં પુસ્તકો શીલાછાપ પદ્ધતિથી જાર્વિસની દેખરેખ નીચે છપાયાં હતાં.  

પાઠ્ય પુસ્તકો તૈયાર કરીને છપાવતાં જર્વિસને હાથે જાણ્યે અજાણ્યે એક મહત્ત્વનું કામ થયું. આજે આપણે ગુજરાતી લખવા-છાપવામાં જે વિરામ ચિહ્નો વાપરીએ છીએ તેમાંનું એક પણ ચિહ્ન સંસ્કૃત કે બીજી કોઈ ભારતીય ભાષામાં નહોતું. આ બધાં જ વિરામ ચિહ્નો આપણે અંગ્રેજીમાંથી ઉછીનાં લીધાં છે. જર્વિસે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકોમાં પહેલી વાર અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નોનો ઉપયોગ ગુજરાતી છાપકામમાં થયો. તે અગાઉ પારસીઓએ અને પાદરીઓએ જે થોડાંક ગુજરાતી પુસ્તકો છાપ્યાં હતાં તેમાં વિરામ ચિહ્નો વપરાયાં નહોતાં.

કેપ્ટન  જર્વિસનું એક પુસ્તક શિક્ષામાલા

વખત જતાં જર્વિસ સરકારમાં જુદા જુદા મહત્ત્વના હોદ્દે નીમાયા હતા. ૧૮૨૩ના જુલાઈમાં બ્રિટીશ તેમ જ ‘દેશી’ વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગનાં શિક્ષણ અને તાલીમ આપવા માટે સરકારના આદેશથી જર્વિસે ‘ગણિત શિલ્પ વિદ્યાલય’ની સ્થાપના કરી અને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. વિદ્યાલયની બે શાખાઓ હતી – એક સર્વેયર્સ અને બીજી બિલ્ડર્સ. બંનેમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી-મરાઠીમાં શિક્ષણ અપાતું. તેમાં પહેલે વર્ષે ૭ ગુજરાતી છોકરાઓ ભણતા હતા, પણ વર્ષને અંતે પરીક્ષા લેવાઈ તેમાં પાસ થનાર છોકરાઓમાં એક પણ ગુજરાતીભાષી નહોતો. બીજે વર્ષે પણ આમ જ બન્યું. એટલે સરકારે જર્વિસ પાસે ખુલાસો મગાવ્યો. તેમણે આપેલો ખુલાસો ત્રીજા વર્ષના અહેવાલમાં જોવા મળે છે. આ સંસ્થામાં ભણતા છોકરાઓ પાસ થાય પછી તેમને સરકારમાં યોગ્ય નોકરી આપવાની ખાતરી અપાઈ હતી. તો બીજી બાજુ પાસ થયા પછી પોતે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સરકારી નોકરી કરશે એવી લેખિત બાંહેધરી દરેક છોકરાએ દાખલ થતી વખતે જ આપવી પડતી. પણ ત્યાં જે શિક્ષણ અને તાલીમ મળતાં તેનો ઉપયોગ કરીને ખાનગી કામ કરીને સરકારી નોકરી કરતાં વધુ આવક મેળવી શકાતી. એટલે ગુજરાતી છોકરાઓ આખું વર્ષ ધ્યાન આપીને ખંતપૂર્વક ભણતા ખરા, પણ છેવટે પરીક્ષા ન આપતા અને ખાનગી ધંધો કે નોકરી કરતા!

કવિ  નર્મદના પિતા લાલશંકર દવે

લાલશંકરના હસ્તાક્ષરમાં છપાયેલા પુસ્તકનું એક પાનું 

પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો.

સોસાયટીના આરંભથી તેની સાથે અંગ્રેજ અધિકારીઓ સંકળાયેલા હતા જ, પણ સાથોસાથ ‘દેશીઓ’ પણ સંકળાયેલા હતા. સરકાર તેને આર્થિક મદદ પણ કરતી, પણ સોસાયટી એ સરકારી સંસ્થા નહોતી. આજની પરિભાષામાં કહેવું હોય તો એ પી.પી.પી. – પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પ્રકારની વ્યવસ્થા હતી. પણ ૧૮૪૦ના એપ્રિલની પહેલી તારીખે મુંબઈ સરકારે ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ની સ્થાપના કરી અને તેના દ્વારા શિક્ષણ વ્યવસ્થા પોતાને હસ્તક લઇ લીધી. તેમાં પ્રમુખ ઉપરાંત સરકારે નીમેલા ત્રણ અંગ્રેજ સભ્યો અને સોસાયટી દ્વારા નિમાયેલા ત્રણ દેશી સભ્યો રહેશે એવું ઠરાવવામાં આવેલું. સોસાયટીની છેલ્લી મિટિંગમાં બે જ કામ કરવામાં આવ્યાં – બોર્ડ ઓફ એજ્યુકેશન માટે ત્રણ સભ્યોનાં નામ નક્કી કરવાનું અને સોસાયટીને વિખેરી નાખવાનું. સોસાયટીએ નીમેલા ત્રણ સભ્યો હતા — જગન્નાથ શંકરશેઠ, ફરામજી કાવસજી, અને મહમ્મદ ઇબ્રાહિમ મક્બા. લગભગ ૧૫ વર્ષના આયુષ્યમાં બોર્ડ ઓફ એજ્યુકેશને ઠીક ઠીક પ્રગતિ કરી. ૧૮૫૪-૫૫ના વર્ષને અંતે બોર્ડ દ્વારા કુલ ૧૯૪ વર્નાક્યુલર સ્કૂલો ચલાવાતી હતી. પણ પછી ૧૮૫૫માં  શિક્ષણની બધી જવાબદારી માટે મુંબઈ સરકારે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનો હોદ્દો ઊભો કર્યો, અને તે સાથે બોર્ડ ઓફ એજ્યુકેશનની કામગીરીનો અંત આવ્યો. આઝાદી પછી ૧૯૫૧માં ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશનનું નામ બદલીને ડિરેક્ટર ઓફ એજ્યુકેશન, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યું.

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા બોમ્બે પ્રેસિડેન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની સ્મૃતિને કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં મળી. એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તે માટે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યુરોપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન(પછીથી કોલેજ)ની સ્થાપના થઇ શકી. પહેલા બે પ્રોફેસરો ઓર્લેબાર અને હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ૧૮૬૦માં તેની સાથે આ કોલેજ સંલગ્ન થઈ હતી.

૧૯મી સદીમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો પાયો નાખવામાં અને તેની ઈમારતનું ઘડતર અને ચણતર કરવામાં જો કોઈ એક વ્યક્તિએ સૌથી વધુ મહત્ત્વનો ફાળો આપ્યો હોય તો તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને. તેઓ પ્રમુખ થયા તે પહેલાં સોસાયટીએ જે થોડી સ્કૂલો શરૂ કરી હતી તેને સ્થાનિક પાદરીઓની દેખરેખ નીચે મૂકી હતી. એલ્ફિન્સ્ટન ચતુર હતા, સુજાણ હતા. ધર્માન્તરની પ્રવૃત્તિને કારણે દેશી લોકો પાદરીઓ તરફ શંકાની નજરે જુએ છે એ તેઓ જાણતા હતા. એટલે તેમણે સોસાયટીની બધી સ્કૂલોને જે-તે પ્રદેશના કલેકટર કે જજની દેખરેખ નીચે મૂકી. એટલું જ નહિ, સોસાયટીની સ્કૂલોમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપવું નહિ એમ ઠરાવ્યું. બીજું, શાલેય શિક્ષણ ગુજરાતી-મરાઠી વગેરે દેશી ભાષાઓમાં જ અપાવું જોઈએ એવો પોતાનો દૃઢ મત સાથી અમલદારોનો વિરોધ વહોરીને પણ અમલમાં મૂક્યો. અલબત્ત, સાથોસાથ તેમણે અંગ્રેજીના શિક્ષણ પર પણ ભાર મૂક્યો. આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં જે કાંઈ ખામીઓ જણાય છે તેનો દોષ આજે પણ આપણે લોર્ડ મેકોલેને આપીએ છીએ. પણ મેકોલેની નીતિની અસર કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં અપાતા શિક્ષણ પર વધુ થઈ હતી. બોમ્બે પ્રેસિડેન્સીમાં એલ્ફિન્સ્ટનની સમન્વયકારક નીતિ વધુ પ્રભાવક બની હતી. બીજું એક નોંધપાત્ર પગલું પણ તેમણે લીધું હતું જે વિષે આજે ભાગ્યે જ કોઈ જાણે છે: તેઓ ગવર્નર બન્યા તે પહેલાં ગુજરાત પ્રદેશ માટેની અદાલત મુંબઈ ખાતે હતી, અને તેનું કામકાજ ફારસી ભાષામાં ચાલતું. એલ્ફિન્સ્ટને એ અદાલત સુરત ખસેડી અને તેનું કામકાજ ગુજરાતીમાં ચલાવવાનું ઠરાવ્યું. ત્રીજું, તેમણે ગુજરાતી-મરાઠીમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાના કામને ખૂબ મહત્ત્વ આપ્યું. અને ચોથું, શિક્ષકોની તાલીમ માટેની વ્યવસ્થા ઊભી કરી.

ટાઉન હોલ – ૧૯મી સદીમાં

૧૭૭૯માં જન્મ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૭૯૬માં કલકત્તા આવ્યા. બીજાં કેટલાંક સ્થળોએ મહત્ત્વની કામગીરી બજાવ્યા પછી ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા અને ૧૮૨૭ના નવેમ્બરની પહેલી સુધી એ પદ પર રહ્યા. તે પછી લગભગ તરત સ્વદેશ જવા રવાના થયા અને બે વર્ષની મુસાફરી કર્યા પછી ૧૯૨૯માં સ્વદેશ પહોંચ્યા. એ પછી બે વખત હિન્દુસ્તાનના ગવર્નર જનરલના પદે તેમની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી, પણ એ પદ સ્વીકારવાની તેમણે સંમતિ આપી નહોતી. કારણ? કારણ સ્વદેશ પાછા ફર્યા પછી તેઓ હિન્દુસ્તાનનો ઇતિહાસ લખી રહ્યા હતા અને તેનું લેખન પૂરું ન થાય ત્યાં સુધી બીજી કોઈ જવાબદારી સ્વીકારવા માગતા નહોતા. એ પુસ્તક ૧૮૪૧માં પ્રગટ થયું હતું. ૧૮૫૯ના નવેમ્બરની ૨૦મી તારીખે તેમનું અવસાન થયું. દેશી લોકોના શિક્ષણ ઉપર એલ્ફિન્સ્ટન કેટલો ભાર મૂકતા હતા એ એક પ્રસંગ પરથી જણાઈ આવે છે.

એક વખત તેઓ જિલ્લામાં તપાસ માટે ફરી રહ્યા હતા. એક લશ્કરી છાવણી પાસે તેમણે મુકામ કર્યો. તેઓ તંબુમાં એકલા બેઠા હતા. બાજુમાં ગુજરાતી-મરાઠી પુસ્તકોનો નાનો ઢગલો પડ્યો હતો. ફાનસના ઝાંખા અજવાળામાં તેઓ એક એક પુસ્તક હાથમાં લઈ ધ્યાનથી ઉથલાવતા હતા. ત્યાં એક લશ્કરી અફસર કર્નલ બ્રિગ્સ તેમને મળવા આવ્યા. પૂછ્યું: આવા ઝાંખા અજવાળામાં શું વાંચો છો, સાહેબ? જવાબ મળ્યો: દેશી ભાષાનાં પુસ્તકો. બ્રિગ્સે પૂછ્યું: પણ આ પુસ્તકોનો ઉપયોગ શો, સાહેબ? દેશીઓને ભણાવવા માટે. બ્રિગ્સ: પણ દેશીઓને ભણાવવા એટલે તો આપણે માટે અહીંથી સ્વદેશ પાછા જવાનો રસ્તો બાંધવો. ભણ્યાગણ્યા પછી એ લોકો આપણા તાબામાં થોડા જ રહેશે? એલ્ફિન્સ્ટન કહે: ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. પણ દેશીઓને ભણાવવા એ શાસક તરીકે આપણી ફરજ છે અને સાચો અંગ્રેજ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવવાનું ચૂકી શકે નહિ.

છાપેલાં પાઠ્યપુસ્તકો અને નવી નિશાળો વિશેની આજની વાત કવિ, વિવેચક, સાક્ષર નરસિંહરાવ દિવેટિયાના  એક શ્લોકથી પૂરી કરીએ:

આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઇ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્નદળનો જે-જે-ધ્વનિ જોરથી!

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 14 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,7242,7252,7262,727...2,7302,7402,750...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved