Opinion Magazine
Number of visits: 9576797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રે, ત્રણસો સિત્તેરમી … તારે નામે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 August 2019

જુલિયસ સીઝર વિશે તવારીખમાં પ્રશસ્તિરૂપ એક પંક્તિ સુખ્યાત છે : He Came, he saw and he conquered. (એ આવ્યો, એણે જોયું અને એ જીત્યો.) પાંચમી ઑગસ્ટે હાલના દિલ્હીશાહોએ જમ્મુ-કાશ્મીર સબબ કલમ ત્રણસો સિત્તેર બાબતે દાખવેલ વલણ અને ભરેલ કદમ અંગે દેશભરમાં રાષ્ટ્રવાદી ઉછાળ (અને ખુદ હુકમરાનોનો મિજાજ) કંઈક એવો જ છે. તે પછી તરતના દિવસોમાં ‘રાષ્ટ્રજોગ સંબોધન’માં વડાપ્રધાને બીજી કેટલીક વાતો સાથે ઘૂંટેલી છાપ એ હતી કે સમસ્યાના મૂળમાં ત્રણસો સિત્તેરમી કલમ હતી અને એ જતાં (જો કે અંશતઃ ચાલુ રહીને) હવે સૌ સારાં વાનાં થશે. અને અલબત્ત, એ સાથે ત્યાં વિકાસ જ વિકાસ હશે.

જ્યાં સુધી વિકાસનો સવાલ છે, જમ્મુ-કાશ્મીરમાં પ્રજાવર્ગો વચ્ચે જે વિષમતા સ્વરાજના બોંતેર વરસે છે તે બાકી ભારતથી તત્ત્વતઃ ઓછી નથી. બેત્રણ કુટુંબો બધું ચરી ગયાં એવી લાગણી વડાપ્રધાને પણ બોલી બતાવી એમાં દેશભરના, રિપીટ, દેશભરના રાજકીય-શાસકીય અગ્રવર્ગે પ્રજાને ભોગે ચલાવેલ ભ્રષ્ટાચાર કરતાં તાત્ત્વિક રીતે શું જુદું છે, કોઈ તો કહો. વિકાસ અને ભ્રષ્ટાચાર સંદર્ભે બે પેરેલલ, લગરીક હટકે : આપણે જાણીએસમજીએ છીએ કે વિકાસની ચર્ચાને નકરી જિડિપીબધ્ધ નહીં રાખતાં માનવ વિકાસ આંકની રીતે પણ વિચારવું જોઈએ. આ નિકષ લાગુ પાડીએ તો એક હેરતઅંગેજ હકીકત એ છે કે દેશનાં સંખ્યાબંધ રાજ્યો કરતાં માનવ વિકાસ આંકમાં જમ્મુ-કાશ્મીર આગળ છે. અને ભ્રષ્ટાચાર: જમ્મુ-કાશ્મીરના રાજકીય અગ્રવર્ગની બચાવબ્રીફ તરીકે નહીં પણ એક વિગત તરીકે અહીં નોંધવું જોઈએ કે ઇલેક્ટોરલ બોન્ડની દાતા યાદી ગુપ્ત રાખવામાં ભા.જ.પ. અને કૉંગ્રેસ એકમત છે. જ્યાં સુધી કોર્પોરેટ વિભાગ મારફત નાણાંપ્રાપ્તિનો સવાલ છે, છેલ્લાં વર્ષોમાં ભા.જ.પ. વિધિવત્‌ મોખરે છે.

હાલના પ્રાયોજિત અને પ્રેરિત એટલા જ કંઈક સ્વયંભૂ જેવા રાષ્ટ્રીય મિજાજ વખતે આ બધું કહેવું કંઈક એકલા પડી જવા જેવું કે ટીકાનિશાન બનવા જેવું લાગે તે આ લખનાર સમજે છે. તેમ છતાં, તે કહેવાનો આશય કોઈ વીરનાયકીનો નથી. હા, આખી વાત એકંદર પરિપ્રેક્ષ્યમાં જોઈને મૂકતા થઈએ તે માટેની એ એક ચેષ્ટા જરૂર છે.

૩૭૦ વિશે એટલું બધું બોલાયું અને લખાયું છે આ દિવસોમાં કે એની વિગતોમાં નહીં જતાં ઉતાવળે એટલું જ ઇતિહાસદર્જ કરીશું કે ભારત સંઘમાં જોડાવા બાબતે આનાકાનીની ભૂમિકાએ કીમતી સમય ગુમાવનાર મહારાજા હરિસિંહ આખરે (પાક આક્રમણની કૃષ્ણછાયામાં) સમ્મત થયા ત્યારે એમના આગ્રહથી દસ્તાવેજબધ્ધ સ્પષ્ટતા આ હતી : Nothing in this instrument of accession shall be deemed to committ me to acceptance of any future Consititution of India or to fetter my discretion to enter into arrangements with the government of India under any such future Constitution. (આ જોડાણખતથી ભારતના ભાવિ બંધારણ બાબતે મારી કોઈ પરબારી સંમતિ મળી ગણાશે નહીં – અને આવા કોઈ ભાવિ બંધારણ હેઠળ ભારત સરકાર સાથે કશી ગોઠવણમાં જોડાવા ન જોડાવા અંગે મારી મુનસફીને તે બંધનકર્તા લેખાશે નહીં.)

જવાહરલાલ નેહરુ અને શેખ અબદુલ્લાને ૩૭૦ સહિતનો સઘળો યશ એટલે કે અપયશ ખતવવાનો જે સત્તાવાર રવૈયો છે એને મહારાજા હરિસિંહના આ વલણના સંદર્ભમાં તપાસવો ઘટે છે. જ્યાં સુધી વલ્લભભાઈનો સવાલ છે, મુત્સદ્દી તરીકેની એમની મહારત અને લોહપુરુષ-પ્રતિભા વિદિત અને સ્વીકૃત છે. ભાગલા પડી રહ્યા છે ત્યારે મુસ્લિમમબહુલ કાશ્મીર ખીણ પાકિસ્તાનમાં જાય તો એમાં આપણે આડે આવવાનું કોઈ કારણ નથી એવો એમનો અધીન મત રિયાસતી મામલામાં એમના વિશ્વાસુ સાથી વી.પી. મેનને અને મંત્રી વી. શંકરે નોંધેલો છે. પાકિસ્તાનની આક્રમક કારવાઈથી ચિત્ર બદલાયું અને ૩૭૦ને રસ્તે ચડવાનું થયું ત્યારે નેહરુ પરદેશ હતા અને અહીં સઘળો ફોલો અપ સરદારની નિગેહબાનીમાં ગોઠવાયો હતો. ઇતિહાસવસ્તુ તરીકે તો, પાછળથી, પટેલના માઉન્ટબેટન જોગ એ ઉદ્‌ગારો પણ નોંધવા જોઈએ કે એક તબક્કે તમે સૂચવ્યું હતું તેમ કાશ્મીરનું વિભાજન સ્વીકાર્યું હોત તો ઠીક થયું હોત. (અલબત્ત, નેહરુના યુનો નિર્ણયને વલ્લભભાઈ ભૂલ ગણતા હતા.)

અહીં નેહરુ વિશેના મૂલ્યાંકનમાં વિચારણીય હોઈ શકતો એક વળાંક પણ બુનિયાદી સમજની સફાઈ સારુ ઉલ્લેખવો જોઈએ. નેહરુએ જમ્મુ-કાશ્મીર સમગ્રનો આગ્રહ રાખ્યો તે એક રીતે હાલના ‘૩૭૦ હટાઓ’ની હિંદુત્વ રાજનીતિ અંતર્ગત રાષ્ટ્રવાદી વલણનો હતો જે આરંભે વલ્લભભાઈનો નહોતો. આંબેડકર પ્રધાનમંડળ છોડી ગયા કેમ કે વડાપ્રધાન નેહરુ હિંદુ કોડ બિલ આંબેડકરના આગ્રહ પ્રમાણે અબઘડી પસાર કરાવવા તૈયાર નહોતા. જો સંઘ પરિવારની પ્રિય શબ્દાવલી બીજે છેડેથી વાપરીએ તો આંબેડકર ચોક્કસ કહી શકે કે આ કિસ્સો નેહરુ અને કૉંગ્રેસ શ્રેષ્ઠીઓને પક્ષે હિંદુ તુષ્ટીકરણનો હતો.

હાલના હાકેમો સ્વાતંત્ર્યસંગ્રામના સર્વાધિક નોંધપાત્ર હોઈ શકતા સેનાનીઓને આરોપીના પાંજરામાં મૂકવા જરી વધારે જ ઉત્સાહી માલૂમ પડે છે, એમને સામસામે મૂકી મારા વિ. તમારા કરવા તડેપેંગડે છે, અને એ માટે ઇતિહાસની તોડમરોડનો એમને બાધ નથી એ બધું યથાપ્રસંગ યથાવકાશ ચર્ચીશું. માત્ર, કાશ્મીર હમણાં ચર્ચામાં છે એટલા પૂરતું કેટલાક ઉલ્લેખ કરી લેવા જોઈએ, માટે આટલું.

અને બે શબ્દો ૩૭૦ વિશે. ૨૦૧૮ સુધી સર્વોચ્ચ અદાલતના એકાધિક ફેંસલામાં તે અફર કલમ મનાયેલ છે. અત્યારે પણ એની નાબૂદી સામે સર્વોચ્ચ અદાલત સમક્ષ અપીલ થઈ છે. આ ક્ષણે, જો કે, એ અંગે કાનૂની પેચમાં નહીં જતાં લક્ષમાં રાખવાની વિગત એ છે કે સર્વોચ્ચ અદાલત અને ચૂંટણી પંચ સહિત ભારત સંઘની ઉચ્ચ સંસ્થાઓની આણ ઉપરાંત સંખ્યાબંધ વાનાંની રીતે આ કલમ વહેવારમાં છેક જ ઘસાઈ ગયા જેવી છે. માત્ર, અમારી પાસે કંઈક છે એવી કાશ્મીર છેડે પ્રવર્તતી લાગણી અને એકતા ઓછી છે અથવા નથી એવી દિલ્હી છેડે હોઈ શકતી લાગણીઃ ૩૭૦, આમ, વાસ્તવિક કમ અને મનોવૈજ્ઞાનિક વધુ એવો મામલો છે.

ઓછી એકતા અગર નહીંએકતાનું આ મનોવાસ્તવ હાલના હાકેમો હસ્તક વધુને વધુ વળ અને આમળા ચડાવી ઓર અથાતું વરતાતું હોય તો તે એમણે રાષ્ટ્રવાદના વ્યવહાર અને વિચારની જે વ્યાખ્યા કરી છે એને આભારી છે. કૉંગ્રેસ દ્વિધાવિભક્ત પેશ આવતી જણાતી હોય તો તે ગાંધીનેહરુપટેલ એકંદરમતીથી ચલિત થવાને આભારી છે.

વસ્તુતઃ અને તત્ત્વતઃ સ્વરાજસંગ્રામ દરમિયાન અને સ્વરાજના ઉષઃ કાળનાં વર્ષોમાં કાચીપાકી જે પણ રાષ્ટ્રવાદની સર્વસમાવેશી અને મોકળાશભરી એકંદરમતી બની એને નવા સંદર્ભમાં જરૂરી શોધન-સંમાર્જનપૂર્વક આગળ લઈ જવાની જરૂર છે. જમ્હુરિયત, કાશ્મીરિયત, ઇન્સાનિયતની વાજપેયી ત્રિસૂત્રી આ ધારામાં હતી. (દેશબાહ્ય પરિબળો અને એમની સાથે અહીં ભળેલા થકી થતી હરકત એક જુદો સવાલ છે. પરંતુ ઘરઆંગણે આપણે હમણાં સૂચવેલો અભિગમ હોય તો આ હરકતને પહોંચી વળવાનું દુઃસાધ્ય હશે, અસાધ્ય નથી.) પી.ડી.પી. સાથે મળીને રાજ ચલાવવાના પ્રયાસમાં આ ત્રિસૂત્રી અભિગમ બેઉ પક્ષે કેળવાઈ શક્યો હોત તો કશુંક ધોરણસર બનવાની શક્યતા હતી. ઇશાન ભારત આખું કેટલું અન્‌ આશ્વસ્ત અને સંત્રસ્ત છે એનો અંદાજ હોય તો તીક્ષ્ણ દંડથી હટી યથાર્હ દંડની રીતે રાજવટ ગોઠવવાની અને રાષ્ટ્રવાદને નમનીય બનાવવાની રગ જરૂર શક્ય છે, પણ –

ઑગસ્ટ ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 01-02

Loading

વોલ્ટર લિન્ડનર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|15 August 2019

વોલ્ટર લિન્ડનર એવા મસ્ત મજાના રાજદૂત છે કે દેશવિદેશની સરકારને એમના જેવા કાબેલ અફસરની ભારત જેવા દેશમાં નિમણૂક કરવી ગમે. એમને ભારત પ્રત્યે પ્રેમ છે, અને ભારત વિષે ઉત્સુકતા અને જિજ્ઞાસા બતાવી છે. જયારે એ યુવાન હતા ત્યારે એમણે ભારતભર પીઠ પર એક જબરજસ્ત થેલો ઊંચકી પ્રવાસ કરેલો; કેશ એમના લાંબા, મોંમાં વાંસળી, અને ક્યારેક ગિટાર હાથે પકડી અલગારી રખડપટ્ટી પર નીકળી પડેલા. અંગ્રેજ સંગીતસમૂહ બીટલ્સને પગલે પગલે એમણે યાત્રા કરી હતી; મહેશ યોગીના આશ્રમે ય જઈ આવ્યા હતા. એવો તો એ જમાનો હતો જયારે પશ્ચિમી જગતના યુવકોને ત્યાંની સમૃદ્ધિ પ્રત્યે વૈરાગ્ય ઊભો થયો હતો અને પૂર્વની આધ્યાત્મિકતા સમજી જીવનનો ‘ખરો’ અર્થ સમજવો હતો. આજે પણ એમના વાળ છે લાંબા, જેની એ પોનીટેલ (રામદેવ જેવી ચોટલી) બાંધી ફરે છે.

રાજદૂત એટલે એમ્બેસેડર, અને લિન્ડનર સાહેબની ગાડી પણ પાછી એમ્બેસેડર છે – હતો એવો એક વખત જ્યારે ભારતના નેતા-બાબુ-લોક સફેદ એમ્બેસેડરમાં જ ફરતા – એમની પદવી અને એમની મહત્તાનું ચિહ્ન એ ગાડી હતી – પણ પછી નરસિંહ રાવ અને મનમોહન સિંહે એ વૈવિધ્ય વગરના જમાનાનું ખેદાનમેદાન કરી નાખ્યું અને ૧૯૯૧ના નવી આર્થિક નીતિ જાહેર કરી હતી, જે પછી ભારતના રસ્તાઓ પર આધુનિક ગાડીઓ ફરવા મંડી – જો કે ખાડા ટેકરા વાળા રસ્તાઓને લીધે એ ગાડીઓ ઢચુપચુ થઈને માંડમાંડ ચાલતી, અને જાહેરાતમાં દેખાય તેમ એ ગાડીઓને કોઈ પૂરપાટ ભગાવી નહોતું શક્યું.

લિન્ડનર સાહેબને પોતાની એમ્બેસેડર વ્હાલી છે – એમણે એનું નામ પાડ્યું છે આન્ટી એમ્બી, એટલે આપણી ભાષામાં કહીએ તો અંબીમાશી. ને એ કંઈ રંગ વગરની ફિક્કી કે સફેદ નથી, એમની અંબીમાશી તો છે લાલમલાલ!

લિન્ડનરની પ્રતિભા બહુમુખી છે; તેઓ સંગીતકાર પણ છે – એક ભારતીય પત્રકાર જોડે મુલાકાતમાં એમણે પિયાનોના સૂર સંભળાવ્યા અને એક વીડિયોમાં એમની વાંસળી પણ સંભળાઈ – એમણે એ પણ કહ્યું કે એમને જાઝ સંગીતમાં ખૂબ રસ છે. એ જ્યારે પોતાનું ઓળખપત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપવા ગયા ત્યારે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વાતચીત કરી હતી. એમને ભારતની સંસ્કૃતિ સમજવી છે – ભારતનો આત્મા, એના સૂક્ષ્મ અણુમાં છુપાયેલા ગહન અર્થને ગ્રહણ કરવો છે.

એમને ભારતનાં બજારોમાં ફરવું ગમે છે – ભારતના બેકાબૂ ટ્રાફિકમાં એમને શિસ્ત દેખાય છે, કારણ કે અકસ્માત થતા પહેલાં જ કોઈ ડ્રાઇવર બ્રેક મારે છે અને અકસ્માત થતો અટકી જાય છે – અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં એમને સ્થિરતા દેખાય છે. જયારે જોન કેનેડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેનેથ ગાલબ્રેથને ભારત એમણે મોકલેલા રાજદૂત તરીકે. એમના મતે ભારતની અવ્યવસ્થામાં એક પ્રકારની શિસ્ત હતી, એટલે એમણે ભારતને એક ‘ફંકશનિંગ એનાર્કી’, એટલે કે ‘કાર્યરત અરાજકતા’ કહી વર્ણવ્યું હતું. લિન્ડનરનું મંતવ્ય છે કે ભારતમાં જર્મની જેવી જ શિસ્તબદ્ધતા છે, જે સાંભળી ઘણા ભારતીયોને નવાઈ જરૂર લાગે!

થોડા દિવસો પહેલાં લિન્ડનરસાહેબ નાગપુર ગયા હતા. ત્યાં એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખ્યાલયની મુલાકાત લીધી. આજે આર.એસ.એસ. પ્રતિબંધિત સંસ્થા નથી, પણ ૧૯૪૮, ૧૯૭૫, અને ૧૯૯૨માં ભારત સરકારે એ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો. જવા દો એ વાર્તા, એ તો જૂની થઈ વાત – આજે તો આર.એસ.એસે. ભારત પર ગજબનું વર્ચસ્વ જમાવ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંસ્થાના સદસ્ય છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં અને ઊંચા અમલદારોમાં ઘણા નેતા અને બાબુ આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. આજના રાજકીય નેતૃત્વ પર આર.એસ.એસ.ની અસર ગાઢ છે. આર.એસ.એસ.નો દૃષ્ટિકોણ સ્વતંત્રતા સંઘર્ષની વિચારસરણીથી હંમેશ જુદો હતો – સ્વાતંત્ર્યસંગ્રામ વખતે ભારતનું સ્વપ્ન હતું એક બિનસાંપ્રદાયિક લોકશાહી રચવી, જ્યારે આર.એસ.એસ.ને એવો દેશ બનાવવો હતો કે જેમાં હિન્દુ બહુમત પાયામાં જડાયેલ હોય, અને જ્યાં લઘુમતી કોમો, પ્રજાઓ, જાતિઓ અને ભાષાઓએ વિનમ્રપણે બહુમતીએ ઘડેલા નિયમો પાળવા પડે. 

આર.એસ.એસ.નું ધ્યેય છે એકમાત્ર – કે ભારતની પ્રજામાં એક એવી વિચારસરણી પ્રચલિત કરવી, જે ભારતના મૂળભૂત સિદ્ધાંતો અને પરંપરાઓથી વિમુક્ત હોય – જેથી ભારત ‘જિસકી-લાઠી-ઉસકી-ભેંસ’ જેવો દેશ બને, જ્યાં બહુમત લઘુમતને કચડી શકે, નમાવી શકે, અને ભારત બની જાય પાકિસ્તાનનું પ્રતિબિંબ – એ જ પાકિસ્તાન, આખો દિવસ આર.એસ.એસ.ના નેતાઓ વખોડતા હોય, અને પાકિસ્તાન જેવા અમે નથી, એવી બડાશ રોજબરોજ માંડતા હોય. પાકિસ્તાની કવિ ફેહમિદા રિયાઝે એક સચોટ નઝ્‌મ લખી હતી આ બાબતેઃ

તુમ બિલકુલ હમ જૈસે નીકલે
અબ તક કહાં  છુપે થે ભાઈ
વો મૂર્ખતા, વો ઘમંડપન
જિસમેં હમને સદી ગંવાઈ

એક  ભારતીય પત્રકાર સાથે મુલાકાતમાં લિન્ડનરે કહ્યું હતું કે ભારતને જો સમજવું હોય તો આર.એસ.એસ.ની વિચારધારા સમજવી જરૂરી છે. એ વાત વાજબી છે. પણ એ પણ વાત વાજબી છે કે લિન્ડનરે સ્પષ્ટપણે જણાવવું રહ્યું કે આર.એસ.એસ. વિશે એમનો અભિપ્રાય શું છે.

ટ્‌વીટર પર એમણે પોતાની મુલાકાત વિષે લખ્યુંઃ

“Visit to Headquarters of RSS in Nagpur and long meeting with its Sarsanghchalak Dr Mohan Bhagwat. Founded 1925, it is world’s largest voluntary organization – though not uncontroversialy perceived throughout its history …”

“નાગપુરમાં આર.એસ.એસ.ના મુખ્યાલયે ગયો અને સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત જોડે લાંબી મુલાકાત લીધી. ૧૯૨૫માં સ્થાપિત (આર.એસ.એસ.) વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે – જો કે એના ઇતિહાસમાં એ સંસ્થાને લોકોએ બિનવિવાદાસ્પદરૂપે નથી જોઈ કે સમજી પણ.” 

ધારો કે જો તમે ભારત વિશે કશું જ ન જાણતા હો અને લિન્ડનરનો ટૂંકો અહેવાલ વાંચો તો તમને થાય કે હશે, કોઈ નાનોઅમથો મતભેદ થયો હશે. રાજદૂતે મુત્સદ્દી હોવું અલબત્ત જરૂરી છે, એટલે કદાચ બધું જાહેરમાં ન પણ કહે. પણ લિન્ડનર શરમાળ નથી. લેબનોનમાં હેઝબોલાને મદદ કરનાર ઈરાનને અને યુરોપથી છૂટા થવા મત આપનાર અંગ્રેજ મતદારોને એમણે વખોડ્યા છે. લિન્ડનરને રાજદૂતની પ્રણાલિકાઓમાં બહુ રસ નથી – એમને રાજદૂતોની મિજબાનીઓથી કંટાળો આવે છે. પણ પરંપરાઓને ફગાવવા તત્પર એવા લિન્ડનર એમણે ભાગવત સાથે શું વાતો કરી એ બાબત કહેતા અચકાય છે.

જર્મની અને ભારતના સંબંધ જૂના છે અને એ વિષય પર ઘણાં રસપ્રદ, વિચારવિમર્શ થઇ શકે -જર્મન તત્ત્વજ્ઞાની મેક્સ મુલરના ઉપનિષદના અનુવાદો, કે એમનું બ્રહ્મો સમાજ પર વિશ્લેષણ અને હિન્દુ ધાર્મિક સુધારા વિષે વિચારો પર પ્રેરણાદાયક ચર્ચા કરી શકાય.

પણ આ બે દેશને જોડતી બીજીપણ એક કડી છે જે તકલીફ ઊભી કરે છે અને આર.એસ.એસ.ની વિચારધારા વિશે સમસ્યા પેદા કરે છે. ભાગવતના એક પુરોગામી એટલે માધવ સદાશિવ ગોળવલકર, જે એક ‘બિનવિવાદાસ્પદ ન ગણાય’ એવા એક જર્મન નેતા, એડોલ્ફ હિટલરના પ્રશંસક હતા. એમના પુસ્તકમાં એમણે હિટલરના રાષ્ટ્રવાદના વખાણ કર્યા હતા, કારણ કે પહેલા વિશ્વ યુદ્ધ પછી તારાજ થયેલા જર્મનીમાં હિટલરે નવો જુસ્સો પેદા કર્યો હતો.

એવા જ છે બીજા એક હિન્દુ રાષ્ટ્રવાદી – બાલકૃષ્ણ મુંજે, જે આર.એસ.એસ.ના સ્થાપક કેશવ બળીરામ હેગડેવારના મિત્ર હતા. ૧૯૩૧માં લન્ડનની ગોળમેજી પરિષદને અંતે એ ઇટાલી ગયા અને ઇટાલિયન સરમુખત્યાર મુસોલિનીથી પ્રભાવિત થયા અને એમને મળ્યા હતા. પાંચ વર્ષ પછી જવાહરલાલ નહેરુ પણ ઇટાલીની રાજધાની રોમ હતા, અને મુસોલિનીએ એમને નિમંત્રણ પણ આપ્યું, તો ય નહેરુએ એ નિમંત્રણ નકાર્યું.

લિન્ડનર અને ભાગવતની ચર્ચામાં શું આ વિષય પર કોઈપણ પ્રકારની વાતચીત થઇ હતી?  

વિચાર કરી જુઓ – ધારો કે કોઈ ભારતીય નેતાને આજના જર્મનીનો પ્રવાસ કરવો હોય અને જર્મન વ્યક્તિત્વનું સત્ત્વ સમજવું હોય – તો એ નેતાએ નાઝી જર્મનીના અત્યાચાર અને યહૂદી પ્રજાનો નરસંહાર સમજવો જરૂરી છે; એ નરસંહાર કાલ્પનિક છે એવો દાવો કરનારા લેખકો અને અતિરાષ્ટ્રવાદી નેતાઓને મળવામાં પણ કોઈ વાંધો નહીં. પણ મને ખાતરી છે કે લિન્ડનર આપણા ભારતીય પ્રવાસીને ચેતાવશે તો ખરા જ, કે આવા રાષ્ટ્રવાદનાં પરિણામ શું આવે છે. કદાચ લિન્ડનર એમ પણ કહેશે કે જો જર્મનીનો અર્થ સમજવો હોય તો બર્લિનમાં યહૂદી મ્યુઝિયમ અને યુરોપમાં યહૂદી હત્યાકાંડનાં સ્મારક ખાસ જોવા જવું. 

આ અનુભવ સમજવા પાછળ એક હેતુ છે – બીજા વિશ્વયુદ્ધ પછી કઈ રીતે જર્મનીએ પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો, એ સમજવું જરૂરી છે. કાન્ટ, ગથે, શીલર, બિથોવન, શોપનહાવર જેવી પ્રતિભાશાળી વ્યક્તિઓના દેશની પ્રજા કઈ રીતે ડેનિયલ ગોલ્ડહેગનના શબ્દોમાં કહીએ તો “હિટલરના સ્વૈચ્છીક જલ્લાદ” (Hitlers Willing Executioners) બનવા તૈયાર થઇ ગઈ? ભાગવત સાથે વાતચીત વખતે લિન્ડનરે ઈયન બુરૂમાના પુસ્તક, “Wages of Guilt”, અપરાધની રોજી-નો ઉલ્લેખ કરેલો ? જે દોષનો બોજ જર્મન પ્રજાએ પોતાને પોતાને ખભે એટલા વર્ષથી ઊંચક્યો છે, અને જેના પ્રાયશ્ચિત્ત રૂપે જર્મન ચાન્સેલર વિલી બ્રાન્ટે ૧૯૭૦માં પોલેન્ડની રાજધાની વૉરસો શહેરમાં જ્યાં યહૂદી પ્રજાની વસાહત  હતી એ વિસ્તારમાં, કે જ્યાં યહૂદીઓ પર અત્યાચાર શરૂ થયા હતા, ત્યાંના દરવાજે આવી, ઘૂંટણે પડી, નમીને ક્ષમા માંગી હતી – એ વાત કરી હતી?

ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારતમાં આર.એસ.એસ. એક માત્ર સંસ્થા નથી જે હિટલરને મહાન ગણે છે. હિટલરની આત્મકથા માઇન કાંફ (મારી લડતો) ભારતમાં ઠેરઠેર વેચાય છે. શિવસેનાના ભૂતપૂર્વ પ્રમુખ બાલ ઠાકરે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કૉંગ્રેસી નેતા જ્ઞાની ઝૈલ સિંહ – એ બન્ને નેતાઓએ હિટલર વિષે પ્રશંસા વ્યક્ત કરી છે. ઇતિહાસના વિષય વખતે વર્ગમાં ધ્યાન ન આપ્યું હોય એવા વેપારીઓએ નાઝી ચિહ્નોનો માર્કેટિંગમાં અને જાહેરાતોમાં ઉપયોગ પણ કર્યો છે. (જ્યારે યુરોપ અને અમેરિકાના કસ્ટમર તરફથી ટીકા થાય ત્યારે છાનામાના એ જાહેરાતો પાછી ખેંચી પણ લીધી છે).

ભારતની ઐતિહાસિક સ્મરણશક્તિ આટલી નબળી હોવાનું એક કારણ એ પણ ખરું કે ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝ જર્મની અને જાપાન ગયા હતા અને ત્યાંના સરમુખત્યારો સાથે સમજૂતી કરેલી કે બોઝ સિંગાપુરમાં એકત્ર થયેલી આઝાદ હિન્દ ફોજના નેતા બનશે અને જાપાનની મદદ લઈને ભારતને આઝાદ કરવા ભારત પર પૂર્વ દિશાથી આક્રમણ કરશે. જે માર્ગ બોઝ અપનાવવા તૈયાર હતા એ માર્ગ ગાંધીને નામંજૂર હતો, કારણ કે બોઝ હથિયાર ઉપાડવા તૈયાર હતા, જયારે ગાંધીની ચળવળનાં ત્રણ ‘શસ્ત્ર’ હતા અસહકાર, અહિંસા, અને લોકશાહી વિરોધી નિયમોનો ભંગ. બોઝ નિષ્ફ્ળ રહ્યા, પણ ભારતમાં બોઝની ગણના દેશપ્રેમી નેતાઓમાં થાય છે.

ગાંધીને ગયે ૭૧ વર્ષ થયા; એમને જન્મ થયે દોઢસો વર્ષ થયાં – એ પછી જે પેઢીઓ જન્મી છે જેમણે  નથી ગાંધીને જોયા અને નથી એમને ગાંધીનીતિ વિષે જ્ઞાન. એને કારણે સ્વાભાવિક છે કેટલાક એમ માને ય ખરા કે ગાંધીની અહિંસા એટલે નૈતિક હિમ્મત નહીં, પણ કાયરતા; અને બોઝનું આક્રમક વલણ વધારે અસરકારક હતું. પણ એ તો થઇ રોમાંચક દંતકથા, જેને હકીકત જોડે કોઈ નિસબત નથી.

પણ હિન્દુ રાષ્ટ્રવાદીઓને આવી દંતકથાઓની અત્યંત જરૂરત છે, બિન કૉંગ્રેસી અને નહેરુ પરિવાર સાથે ન સંકળાયેલા નેતાઓની, કારણ કે એમના ઇતિહાસમાં શૂરવીરો દેખાતા નથી.  સ્વાતંત્ર્યસંગ્રામ વખતે આર.એસ.એસે. જરા ય પોતાના હાથપગ હલાવ્યા નહોતા. એટલે સંઘ પરિવાર અહર્નિશ શોધમાં છે એવા વિકલ્પોની, જેથી એ ભારતનો નવો ઇતિહાસ રચી શકે. આર.એસ.એસ. એવો તો દાવો ન કરી શકે કે સ્વયંસેવકો આઝાદીની ચળવળમાં લડ્યા હતા, એટલે બોઝ એમને માટે ઘણા કામના છે – સરદાર પટેલ, વિનાયક સાવરકર, બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહની જેમ – કારણ કે એમની અટક નથી નહેરુ અને નથી ગાંધી.

લિન્ડનરને આ બધુ ખબર તો હોય જ –  એ વરિષ્ઠ રાજદૂત છે. અને એટલે જ તો આટલી નવાઈની વાત છે કે એમણે ભાગવત જોડે શું વાત કરી? એ વિષય પર કૈં કહેતા એટલો બધો સંકોચ શાનો?

જર્મનીના બીજા વિશ્વયુદ્ધના અનુભવથી ભારત શું શીખી શકે? જાતીય શુદ્ધતાના પાયે જે રાજનીતિ જન્મે એનું અંતિમ પરિણામ શું હોય? કોઈ બીજી પ્રજાનું નિકંદન? એવાં કારમાં કૃત્યો પછી કઈ રીતે જર્મનીએ એવી બદનામ વિચારધારાઓનો ત્યાગ કર્યો? અને કેવી તપસ્યા કરી જેથી દુનિયાના બધા દેશનો વિશ્વાસ ફરીથી મેળવ્યો? જયારે કોઈ એક જાતિ, ધર્મ, કે કોમની પ્રજાને જુદી ગણાય, એ પ્રજાના નાગરિકોની ગણતરી કરાય, એમનો આર્થિક બહિષ્કાર થાય, એમને રહેવા ના મળે ઘર અને ના અપાય નોકરી, એમની રીક્ષા કે ટેક્સીમાં બેસવા કોઈ તૈયાર ન હોય, એ પ્રજાના એકલદોકલ વ્યક્તિને ઘેરી વળી ટોળાં એને મારે, ક્યારેક તો મારી નાખે, એમને વિદેશી કહી હદપાર કરવાની ધમકીઓ આપે – આ બધાં કૃત્યો જર્મન પ્રજા માટે પ્રાચીન ઇતિહાસ નથી; માંડ એંશી વર્ષ પહેલાં આવી વિકરાળ ઘટનાઓ બની હતી. જર્મન દેશ વિરાટ હતો, એ વામણો બન્યો. પોતાની સંસ્કૃતિ અને સુશીલતા એ પ્રજા ભૂલી ગઈ હતી.

એવી ભયાનક ખીણમાંથી જર્મની ફરીથી પોતાને પગે ઊભો થયો છે; પોતાની જૂની પ્રણાલી અને સિદ્ધાંત ફરી એક વાર સજીવન કરી રહ્યો છે એ દેશ. નૈતિક પાતાળમાંથી કેવી રીતે દુનિયાને ફરીથી મનાવવી કે એ ક્રૂર ભૂતકાળ જર્મનીએ દબાવીને દાટી દીધો છે અને પ્રગટવા નહિ દે? જર્મનીએ આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે એ અનુભવ સમજવાની અને શીખવાની આવશ્યકતા છે. જર્મનીના રાજદૂત લિન્ડનરની એક ખાસ જવાબદારી છે કે એ બીજા દેશોને સમજાવે – કે અહંકાર ખોટો છે, અન્યાય કર્યા પછી ક્ષમાયાચના આવશ્યક  છે.

કલાપીએ કહ્યું હતું –

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ થી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે

અને કલાપી જર્મન કવિ નહોતા.

બે દેશના સંબંધમાં વેપાર અને ધંધો અગત્યના છે; અંતઃકરણ પણ.

કોને મળવું ને કોને નહીં એ તો  રાજદૂતની મરજી પર આધાર રાખે છે, અને એ એમનો અધિકાર છે. એક લેખકની ફરજ છે પ્રશ્ન પૂછવાની – કે તમારા દેશના ઇતિહાસને ધ્યાનમાં લઇ, ભારતની આજની પરિસ્થિતિ પર નજર કરી, તમે જે પગલું લીધું, એનો અર્થ શું?

તમારો ઉત્તર, કે તમારું મૌનવ્રત અમારે માટે પૂરતું છે; અમે જે સમજવાનું હશે તે સમજી લઈશું.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 08, 09 તેમ જ 11

Loading

દલિતો અને કાશ્મીર

રાજુ સોલંકી|Opinion - Opinion|15 August 2019

મગન કુંભારની ચાલી,
કેશા બલુની ચાલી,
સળિયાવાળી ચાલી,
રતિલાલની ચાલી,
તારવાળી ચાલી,
પી. કસ્ટિયાની ચાલી,
ટેકરાવાળી ચાલી,
અબુ કસાઈની ચાલી,
કુંડાવાળી ચાલી,
હીરાલાલની ચાલી,
રાયચંદ મેઘરાજની ચાલી ……..
આ બધી ચાલીઓનાં નામ તો તેં સાંભળ્યા છે.
આ જ છે તારું કાશ્મીર.
આ જ છે તારું ગુલમર્ગ અને સોનમર્ગ.
કાશ્મીર જોડે તારે શું લેવાદેવા?
તેં કાશ્મીર જોયું છે?

ઉનાળાના ધોમધખતા તાપમાં તપતા પતરાની નીચે એક ઓરડીમાં ટીવી પર ‘કાશ્મીરની કલી’ પિક્ચરમાં તે કાશ્મીર જોયું છે. એની વાદીઓ, ઘટાઓ, એનું કુદરતી સોંદર્ય જોયું છે. કાશ્મીર તો તું ક્યારે ય ગયો નથી. કાશ્મીર તો છે તારા માટે એક કલ્પના. તારી પાસે તો અમદાવાદથી કાણ મોકાણે ક્યારેક તારા ગામે જવાનું ભાડું પણ નથી હોતું. તો કાશ્મીરની શું વાત કરવી?

અને ૩૭૦ની કલમ.

ઓહોહોહોહોહોહોહોહો.

એક વાર ખાડિયાની પોળમાં જઈને ઘર તો ખરીદ.

“નામ?”

“નયન જાદુગર.”

“જાદુગર? પણ કેવા?”

“પરમાર.

“સોરી. એસ.સી.ને ઘર નથી આપતા.”

અહીં હજારો ગામડાઓમાં (અને શહેરોમાં પણ) એક અઘોષિત, અદ્રશ્ય ૩૭૦ની કલમ તારી સામે પ્રવર્તે છે એ તો પહેલાં દૂર કર.
કાશ્મીરની ક્યાં પંચાત કરે છે?

આમ પણ, તું અહીં ફેસબુક પર કાશ્મીરની પંચાત કરીને ટાઇમ પાસ જ કરે છે.

કાશ્મીરની ૧.૨૫ કરોડની આબાદીને ચૂપ રાખવા છ લાખ જવાનો હાથમાં ઓટોમેટિક ગન લઇને ઊભા છે. એટલે કે દર ૨૦-૨૧ વ્યક્તિઓ માટે એક જવાન છે.

તું તારા બાળકોનાં શિક્ષણની ચિંતા કર, મૂરખ. કાલે ભારત માતાનો જય જય કાર કરતી પત્રિકાઓના રસ્તે ઊડતા કાગળો વીણી વીણીને થેલામાં ભરીને પેટ ભરવાનો વારો આવશે.

[લેખકની ફેસબુક પોસ્ટમાંથી સંપાદિત]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 07

Loading

...102030...2,7132,7142,7152,716...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved