પાટલી છોડીને બહાર
કશ્યપ મારો જૂનો વિદ્યાર્થી અને હવે તો હું પણ ‘જૂનો’ થયો. લગભગ પંચોતેરે પહોંચ્યો એટલે એ પણ ભડભાદર તો થયો જ હોયને ! વર્ષોવર્ષ ઘણા વિદ્યાર્થીઓ અમારી કૉલેજના ફૅક્ટરી જેવા વર્ગોમાં ભણતા એટલે કોઈનાં ય નામ-અતાપતા ભાગ્યે જ યાદ રહેતાં સિવાય કે તેમનામાં કોઈક આગવાપણું હોય. કશ્યપ યાદ રહી ગયો તેનું એક કારણ :
એક દિવસ વર્ગમાં મારું બ્રાહ્મણત્વ અને વિદ્વત્તા દાખવવા પુરુષસૂક્તનો શાંતિમંત્ર બોલ્યો; અલબત્ત તેની કોઈ પ્રાસંગિક જરૂર હતી નહીં પણ પેલી ‘છાંટવાની’ વૃત્તિથી જ મેં ઝાપટ્યું. પણ હજુ તો દોઢ લીટી જ બોલ્યો, ત્યાં જ થોથવાઈ ગયો … ‘સ્વસ્તિર માનુષેભ્યઃ’ … પછી અટકી ગયો. ત્યાં જ વર્ગના એક ખૂણામાંથી અત્યંત સ્પષ્ટ ઉચ્ચારો સાથે અવાજ આપ્યો … ‘ઊર્ધ્વંજિગાતુ ભેષજમ્ … તેણે આખો મંત્ર પૂરો કર્યો. વર્ગમાં શાંતિ છવાઈ ગઈ હતી, તે મારા શાંતિમંત્રના પાઠના કારણે ન હતી ! તે દિવસે ફ્રૉઇડનું સ્વપ્નાનું અર્થઘટન ભણાવવામાં મારું મન લાગ્યું જ નહીં. પણ બે વસ્તુ બની તે નક્કી : એક તો મને કશ્યપનો વધુ ઘનિષ્ટ પરિચય થયો અને બીજું વર્ગમાં સંસ્કૃતની જાણકારી વડે છાપ પાડવાનું બંધ કર્યું તે.’
પણ વર્ષોને વીતતા વાર ક્યાં લાગે છે ! અને જગત પણ કેવું ચમત્કારો સર્જતું રહે છે !’ મારાં પત્ની પડોશમાં રહેતી સખીઓ સાથે શહેરમાં દિવાળીની ખરીદી માટે નીકળેલાં. મહિલામંડળના પસંદગી અને રસોથી સાવ અજાણ એવો હું તેમની પાછળ-પાછળ ક્યાં ખેંચાઉ. ગમેતેમ બહાનું કાઢીને મેં કહ્યું, ‘હું ગાડી સાથે રિવરફ્રન્ટમાં બેઠો છું, તમારું પૂરું થાય, એટલે સરદારબાગ પાસે પહોંચીને ફોન કરજો.’
અમદાવાદનો ખાનપુરનો દરવાજો મને ગમતી જગ્યા. ત્યાં એક સારી જગ્યા શોધીને હું ગોઠવાયો. અચાનક જ લઘરવધર કપડાંમાં અને જટાજૂટ ચહેરાવાળો આ ‘જણ’ મારી સામે પ્રગટ્યો. ‘પંડ્યાસાહેબ કે ? કેમ છે ? મને ઓળખ્યો ?’ આ વિચિત્ર જણાતું પ્રાણી બોલી પણ શકે છે તેનું હજુ આશ્ચર્ય શમ્યું પણ નો’તું અને આ તો મારું નામ દઈને બોલ્યો. ‘તમે જો મને ઓળખી શક્યા હોત તો જ નવાઈ ગણાત … હું કશ્યપ, તમારો ૧૯૭૦ની સાલનો વિદ્યાર્થી !’ ‘ઑહ, કશ્યપ … તું … આમ …’ મને શબ્દોનાં ફાંફાં પડતાં હતાં. પણ તેના ચહેરા ઉપરના હાસ્ય અને મારી મનોવિજ્ઞાનની ફાવટને લીધે અમે બંને ઝડપથી અનુસંધાનની ભૂમિકાઓ આવી ગયા. ‘અલ્યા કશ્યપ, તું આમ … અને તારો દેખાવ તો જો … કોઈ ગિરનારી બાઘા જેવો લાગે છે …!’ મેં વાતને જરા હળવી કરતા કહ્યું.
‘સાહેબ, તમે મળી ગયા તે ખૂબ સારું થયું.’ તેણે નદી તરફ નજર ફેંકતાં કહ્યું. બે-ત્રણ મિનિટ સાબરમતીનાં નીર અને તેની ઉપરની હવા વહેતાં રહ્યાં. હું મૌન રહીને તેનાં ઊર્મિદ્વાર ખૂલે તેની રાહ જોતો રહ્યો.
‘સર, આપણા સમાજમાં ધર્મ તો ઠીક પણ કર્મકાંડમાં અને તે પણ માણસાઈના ભોગે ચાલે તેવી વાતોમાં લોકો આટલા બધા રમમાણ કેમ હશે ?’ મને ખાતરી હતી તેમ મારા શાંતિમંત્રની સાથે તેનામાં ધરબાયેલા ઊંડા અનુભવો બહાર નીકળી રહ્યા હતા. ‘કૉલેજ પૂરી કરીને હું પણ પિતાજીની સાથે કર્મકાંડના વ્યવસાયમાં જોડાયો. નવચંડી, રુદ્રી, વાસ્તુ, લગ્ન, શ્રાદ્ધ, કથા – આ બધાંમાં મારી પકડ સારી ગણાતી. દક્ષિણા પણ ખરી, સીધુ-સામાન પણ ખરા, બધું ઠીક ચાલતું હતું. જો કે આ કર્મકાંડની ઘણી બાબતો ઠીક નો’તી લાગતી. સત્યનારાયણની કથામાં સાધુવાણિયાનાં વહાણ ડૂબી જાય પણ પ્રસાદ લેવાથી પાછાં આવી જાય. એવો કાર્યકારણ સમન્વય દુનિયાભરમાં ક્યારે ય બન્યો નથી. મને થતું હું આ શું બોલું છું, શા માટે આવી વાતો કરું છું !’ એણે વળી પાછું વહેતાં પાણી તરફ જોયું. એમાંથી એકાદ પૅગ લીધો હોય, તેવી સ્ફૂર્તિ દાખવીને વાત આગળ ચલાવી.
‘સાહેબ, હદ તો એવી આવી ગઈ કે મેં આ કાર્ય જ છોડી દીધું. એક એન.આર.આઈ. સજ્જન મારી પાસે પિતૃશ્રાદ્ધ કરાવવા માંગતા હતા. મારી અંદર છુપાઈને બેઠેલી પેલી કર્મકાંડ વિરોધી અવળચંડાઈએ અચાનક માથું ઊંચક્યું. મેં તેમની પાસેથી વાતવાતમાં જાણી લીધું કે જીવતાં માબાપને રામભરોસે મૂકીને વિદેશી સંસ્કારોથી જીવતા આ મહાશય આ કર્મકાંડ દ્વારા સમાજમાં પોતાનો જ ડંકો વગાડવા માંગતા હતા. તેમની બધી વાત સાંભળ્યા પછી મેં કહ્યું, “મહાશય, તમે જીવતાને ડોયો પાણીએ ના પાયું અને હવે પવિત્ર નદીઓનાં જળથી તર્પણ શું કરશો? તમારાં ઘરડાં માબાપ બોખા થઈ ગયેલા મોઢામાં શું ચગળી-ચગળીને મર્યાં તેની તમને તમા નો’તી અને હવે ૫૦૦ માણસોને લાડુ-ફૂલવડી ખવડાવવાં નીકળ્યા છો !” તેમની સાથે આવેલા સૌ મારી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. મારી વિદ્વત્તા અને પવિત્રતાથી સૌ પ્રભાવિત હતા, તેથી વધુ દક્ષિણાની પણ ઑફર કરી. પણ, હું ન જ માન્યો. ત્યારથી મેં કર્મકાંડ જ છોડી દીધું.’ વળી, તે શાંત થઈ ગયા, ગૅસ ઉપર મૂકેલી ચાની તપેલીમાં ઊભરો ચઢે તેમ તે ફરી બોલવા માંડ્યો.”
‘સાહેબ, હદ તો હવે આવે છે. અમારાં કાકા-બાપાનાં કુટુંબો, મોસાળ, સાસરી બધે જ મારી આ ‘ખરાબ’ બાબતની નોંધ લેવાઈ. આજે સ્થિતિ એ છે કે નજીકનાં કોઈ સગાંને ત્યાં લગ્નપ્રસંગે હાજરી આપવા હું જાઉં તો મારી પાસે કોઈ બેસવા તૈયાર નથી. મારી પાછળથી ક્યારેક મને “જડબુદ્ધિ” અને “પાગલ” કહેવાય છે. સાહેબ, મને કહો, વૈજ્ઞાનિક વિચારની સજા સામાજિક બહિષ્કાર હોઈ શકે ?’ આ વખતનું મૌન વધારે બોઝિલ હતું.
મારા ફોનની ઘંટડી વાગી; પત્નીને પિકઅપ કરવાનાં હતાં. મેં ધીમા પણ મક્કમ સૂરે કહ્યું, ‘કશ્યપ, તારો રસ્તો સાચો જ છે, લે આ મારું કાર્ડ, ઘેર જરૂરથી આવજે. મારે તારી પાસેથી કેટલું બધું શીખવાનું છે, ભાઈ ! શિષ્ય વૃદ્ધ હોય અને ગુરુ યુવાન હોય તે કાંઈ ઓછું આવકાર્ય છે !’
કોઈ જ હાવભાવ વગર, શાશ્વતથી વહેતી સાબરમતીનાં નીરને સવાલો કરતો તે ત્યાં બેસી જ રહ્યો !
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 22-23