Opinion Magazine
Number of visits: 9576796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મળતાં મળે એવા મિત્ર

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|16 August 2019

વિશ્વાસ નથી પડતો કે શું લખીશ, કેમનું લખીશ!

પ્રકાશ ન. શાહ અને દિલીપ ચંદુલાલ સાથેની મારી મિત્રતા (અને મારી પાત્રતા) વિશે કોઈને પ્રશ્નો હોઈ શકે. મને પણ છે. પરંતુ મારી પાસે તેનો ઉત્તર પણ છે. પ્રકાશભાઈ ઇન્ટર આટ્‌ર્સમાં નાપાસ થયેલા, હું ઇન્ટર સાયન્સમાં. દિલીપ સાયન્સ છોડીને અર્ધેથી છોડીને – આટ્‌ર્સમાં દાખલ થયેલા, પ્રકાશના લાભાર્થે, અને મેં મારો અભ્યાસ જારી રાખ્યો ને બી.એસસી. થયો પાસ ક્લાસ. આ ઉપરાંત અમારો ત્રણેનો રસ સાહિત્ય અને કલામાં. આવા સુયોગને કેમ નકારી શકાય? ૧૯૬૨ની સાલમાં સચિવાલયની જુનિયર મદદનીશની ભરતી માટે જી.પી.એસ.સી.ની જે પરીક્ષા લેવાઈ તેમાં ઉત્તીર્ણ થઈ તાલીમ માટે અમદાવાદ આવવાનું થયું, અને ગુરુકુળ સોનગઢથી વિજ્ઞાન શિક્ષકની સેવા છોડી હું અમદાવાદ આવ્યો. તાલીમના સમયે અને પછી યે થોડો વખત મારાં બહેનને ત્યાં રહેલો.

માત્ર ૨૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપેલી. તેમાંથી ૪૦ જેટલા પાસ થયેલા. તેમાં ત્રણ અગ્રક્રમે આવનારમાં પ્રથમ દિલીપ ત્રિવેદી, બીજા ક્રમે કોઈ શુક્લ અને ત્રીજા તે આ પાઠક. સિવિલ હૉસ્પિટલથી આગળ (મેન્ટલ હૉસ્પિટલની સામે) અમારી તાલીમ શાળા એ.ટી.એસ. (એડમિનિસ્ટ્રેટિવ ટ્રેઇનિંગ સ્કૂલ) હતી. ત્યાં જે મિત્રોનો સંગ થયો તેમાં દિલીપ ત્રિવેદી, હસમુખ પટેલ, જિતેન્દ્ર જાની વગેરે ઉક્ત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનારને ત્રણ અગ્રિમ ઈજાફા મળશે તેવો હુકમ તે સમયે થયેલો. પરંતુ સરકારી અર્થઘટન એવું થયું કે પ્રથમ ત્રણ ક્રમે આવવાના ઇરાદા સાથે અમે પરીક્ષા નહીં આપેલી તેથી અમને ન મળે, પછીની પરીક્ષામાં તે લાગુ થશે! પછીની પરીક્ષામાં પ્રતિજ્ઞાપૂર્વક, નિશ્ચયપૂર્વક પ્રથમ ક્રમે આવનાર સનત ભટ્ટ અમારી મિત્રમંડળીમાં સામેલ થયેલા, ત્યારથી તે આજ પર્યંત. એ.ટી.એસ.ના ડાયરેક્ટર એ.એસ. ગિલ મહેસૂલ વિભાગના સચિવપદે હતા. ક્યારેક ક્લાસ લેવા આવે. કોઈ વિષય પર નહીં, એકંદરે વહીવટની વાતો કરે. એકવાર અમારે તાલીમાર્થીઓને તેમની ચેમ્બરમાં મળવાનું થયું. જામનગરથી આવેલ એક ઉમેદવાર ટેબલ પર હાથ ટેકવીને સહેજ નમીને કશુંક પૂછવા ગયા ને સાહેબે કહ્યું : Stand up straight and button your shirt. સનદી અધિકારીનો પ્રથમ પરિચય તે આ. મને લાગે છે તેઓને તાલીમમાં એવો મંત્ર ભણાવાતો હશે કે બને તેટલા અતડા રહેવું, અક્કડ રહેવું.

અમારી બેચ(સી-૪)ના ત્રણ મિત્રોની નિમણૂક મહેસૂલ વિભાગમાં થઈ. તેમાં મને અછત રાહતની એસ-બ્રાંચમાં, સાથે હસમુખભાઈ. અમારી નિમણૂકથી શાખામાં કામચલાઉ બઢતીથી જુ. મદદનીશ એવો બે જણનું રિવર્ઝન થયું. એક કલાર્ક તરીકે શાખામાં રહ્યા ને બીજાં એક બહેનને બહાર જવાનું થયું. તેથી સેક્શન અધિકારી થોડા નારાજ રહેતા. પણ પછી બધું ઠરીઠામ થઈ ગયું.

દિલીપ ત્રિવેદીને જે શાખામાં નિમણૂક મળી તેના સક્ષમ અધિકારી રમૂજનાં મિમિત્તો પૂરાં પાડે તેવા હતા. કોઈ કેસમાં કશું પૂર્વદૃષ્ટાંત છે કે કેમ, અને આમાં શું કરવું તે જાણવા તેમણે સાહેબને પૂછ્યું. ઉત્તર મળ્યો. આવા એક કેસમાં એક મામલતદારને ભરાવી દીધેલો ને બીજા કેસમાં એક ડેપ્યૂટી કલેક્ટર ભરાઈ પડેલો! ટૂંકમાં, થોડું શીખવા મળ્યું. …

હવે થોડું અલપ ઝલપ.

દિલીપને ત્યાં ‘સંસ્કૃતિ’, ‘ટાઈમ્સ’ અને અન્ય સામયિકોમાં ‘કુમાર’ પણ આવે. ચિત્રકલાના રસને કારણે મેં સોનગઢથી ‘કુમાર’નું લવાજમ ભરેલું તેથી તેમના ઘરે આવતો જતો રહું. મેં અમદાવાદમાં ઘર શરૂ કર્યું. હું, ચંદ્રિકા અને દીકરી કલ્પના. દિલીપભાઈને ત્યાં હરબાળા, નાનકડી નીના અને તેમના પિતાશ્રી ‘ભાઈ’ અને માતા શશીબા. સંબંધ પારિવારિક થયો. ચંદ્રિકા તેમને રાખડી બાંધે, હરબાળાને હું ભાભી કહું.

૧૯૬૩થી ૧૯૭૦ (ગાંધીનગર આવવાનું થયું, ત્યાં સુધી) સાત વર્ષો અમારા મિત્રમંડળે ભરચક મજા કરી. ‘પ્રકાશ’ બંગલામાં દિલીપભાઈ સાથે જ ગયેલો, કંઈક સંકોચ સાથે. પણ પછી જીવ હળી ગયો. મંડળીના બીજા સભ્યોમાં હરીશ પટેલ, મહેન્દ્ર જાની – વંદના જાની, વચગાળામાં અજય પાઠક, રંજન પાઠક અને અલપઝલપ માધવ રામાનુજ. માધવનાં લગ્ન પછી ‘રિસેપ્શન’ પણ ‘પ્રકાશ’માં જ કરેલું.

દર શનિવારે જુદે જુદે ઘેર મંડળી મળે. એકવાર ચાની તલપ લાગી તો છેક ભદ્રની હેડ પોસ્ટ ઑફિસ પાસે ચા મળી, રાત્રે ૧૨-૩૦ પછી. આવી રાત્રિ લટારો પણ થતી. સાથે મહિલાઓ પણ હોય. અમદાવાદ ત્યારે સલામત હતું. સંભવતઃ લોકસભાની કોઈ ચૂંટણીપ્રસંગે કાળુપુર કે શાહપુરના કોઈ ચોકમાં બાજપાઈજીને સાંભળેલા એ આજે ય યાદ આવે છે. સાંસદના પદની પૂરી ગરિમા જાળવીને એ રાજપુરુષે જે પ્રવચન કરેલું તેવી ગરિમા પછીથી અળપાતી રહી છે. છેલ્લાં વર્ષોમાં તો ખાસ ‘કુમાર’માં બુધસભા ચાલે છે તેની ભાળ આ મિત્રો પાસેથી મળી અને પહેલી વાર દિલીપભાઈના સ્કૂટર ઉપર ત્યાં ગયેલો (ડિસેમ્બર ૧૯૬૫માં). એ સમયે બે મિત્રો પાસે સ્કૂટરનો વૈભવ હતો – દિલીપભાઈ અને ધીરુભાઈ પરીખ. ગુજરાતને જેવો છું તેવો કવિ હું મળ્યો તેનો યશ આ મિત્રોને ય દેવો પડે ! મહેન્દ્ર-વંદના જાનીના સહજીવનની શરૂઆત. તેમને ત્યાં રાત્રે મળ્યાં. અપૂર્વ ત્યારે નાનો. હરબાળાને પજવ્યા કરે. ડોકમાંથી કંઠી ખેંચવા લાગ્યો. હરબાળાએ કંઠી કાઢીને કંટાળીને બાજુમાં મૂકી. ચંદ્રિકાએ સ્ત્રીસહજ ભાવે તે પહેરી જોઈ – કેવી લાગે છે તે જોવા – ને કંઠી ત્યાં જ રહી. રાત્રે છૂટાં પડીને ઘેર ગયાં તો ત્યાં, કંઠી ક્યાં ભુલાઈ તેની ચિંતા ને અમને તે ભૂલથી આવી ગયાન્તે ક્ષોભ અને ચિંતા. અમારી વાતચીત સાંભળી મારા પિતાશ્રીએ કહ્યું કે કોઈની જણસ ભૂલથીયે આવી ગઈ તો તરત આપી દેવી પડે. સવારમાં આપી આવજે. દિલીપ-હરબાળાએ મહેન્દ્રભાઈને તેમની કૉલેજમાં ફોન કરી પૂછ્યું તો તેઓ તો સવારથી નીકળી ગયેલા કહે : અમે તો નોકરને ચાવી આપીને આવ્યાં છીએ. સાફસૂફી કરી ગયો હશે! ફાળ પડવી સહજ હતી હરબાળા આગ્રહ કરે કે પાઠકને ત્યાં જઈ આવો, પણ દિલીપ કેમેય ન માનેઃ એમ કોઈને ત્યાં ન જવાય!

ત્યાં તો હું જ સાઇકલ પર ત્યાં પહોંચી ગયો. હરબાળાની આંખમાં ચમક આવી ગઈ. મેં કહ્યું : ભાભી, સરસ કૉફી બનાવો. અહીં દિલીપભાઈનું જે ચરિત્ર જોયું તે અથરા ન થઈ જવું, માણસમાં વિશ્વાસ રાખવો – એવું તેમનું મનોગત મને કાયમ જણાયું છે. જો કે માણસને ઓળખવામાં ભૂલ ક્યારે ય ન કરે. નિભાવીયે લે. અમદાવાદથી પાવાગઢનો એક યાદગાર પ્રવાસ કરેલો. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી હુલ્લડ ફાટી નીકળેલું હજુ પરિસ્થિતિ થાળે નહોતી પડી ત્યરે આ પ્રવાસ કરેલો. દિલીપ-હરબાળા પ્રકાશ-નયના, મહેન્દ્ર-વંદના, હરીશ પટેલ – કુસુમબહેન અને અમે બંને. ત્રણ દીકરીઓ – કલ્પના, ઉમા, કાલિન્દી સાથે દરેક પરિવારદીઠ ભાડાનું અને અન્ય સવલતો માટેનું ખર્ચ ગણીને લેવાનું આર્થિક વ્યવસ્થા કરવાનું કામ દિલીપભાઈએ માથે લીધું. પરિણામ એ આવ્યું કે બસ પ્રવાસ તો કર્યા, માંચીમાં રાતવાસો કર્યો, પાવાગઢ ચડ્યાં, માતાજીના દર્શન કર્યાં, ને ખાધું-પીધું ને રાજ કર્યું ત્યાં મૂડી ખલ્લાસ! દરેકે પોતાનાં ખિસ્સાં ફંફોસીને હતી તે રકમ આપી, પણ પર્યાપ્ત ન હતી. હરીશ પટેલ કહેઃ દિલીપ પાસે બેલેન્સ નથી. પ્રકાશે અર્થઘટન કર્યું : દિલીપનું બેલેન્સ નથી! … પણ પટેલને ત્યાં પણ કોઈ ઓળખાણ મળી ગઈ. હાથ ઉછીનાં નાણાં લીધાંને અમે બધાં ઘર ભેગા થયાં. મહેન્દ્ર વંદના નવાં પરણેલાં તેથી તેમને ત્યાં રોકાવા માટે થોડાં વધારે નાણાં ધીર્યાં.

મિત્રોનો અભિપ્રાય છે કે દિલીપભાઈનું અર્થકારણ આવું જ રહ્યું છે. પણ એને હું અલગ રીતે જોઉં છું. જ્યારે જે પરિસ્થિતિ આવે તેમાં ભૌતિક મમત્વ કે વળગણ ન રાખવું, ને કઈ રીતે પ્રશ્ન ઉકલે તેનો બુદ્ધિગમ્ય ઉપાય કરવો એવો તેમનો અભિગમ અને આમાં તેઓ સર્વથા સફળ અને સાચા રહ્યા છે. રહેવાની રીતભાત ક્યારેય બદલી નથી. સનતભાઈ અને હું એક વાતે સંમત છીએ કે તેમનામાં એક એરિસ્ટોક્રેટ હતો, સચ્ચાઈપૂર્વક સમજણો અને પ્રામાણિક. બૌદ્ધિક અભિગમ એ તેમનો સ્થાયી ભાવ. પણ હૃદયથી પૂરા સંવેદનશીલ. આંધળો વિશ્વાસ મૂકી શકીએ એવા સજ્જન.

એક બીજો પ્રસંગ પણ યાદગાર છે. મારી ડાયરીની નોંધ પ્રમાણે સં. ૨૦૨૩(૧૯૬૭)ની શિવરાત્રીએ તેમણે ભાંગનો પ્રોગ્રામ કર્યો. તેનો રંગ માણવા હું ગયો. હરબાળાએ તાંબાના સિક્કા સાથે ઘૂંટીને કરેલી એ વિજયાનો ગ્લાસ ગટગટાવી ગયો, ને પછી જે પ્રલાપ થયો હશે તે મને ક્યાંથી યાદ હોય ! પાછા ઘરે ફરવા માટે મેં જે રીતે સાઈકલ સ્ટેન્ડ પરથી ઊતારીને હેન્ડલ ઝાલ્યું ત્યાં સૌને થયું હશે કે આ અહીંથી નીકળીને ક્યાં પહોંચશે તે નક્કી નહીં. દિલીપભાઈએ સાઈકલ પાછી મૂકાવી, ને મને તેમના સ્કૂટર પર ૧૫ નાગરિક સોસાયટીમાં મૂકી ગયા. આ અનુભવની ફલશ્રુતિ રૂપે એક કાવ્ય રચાયું – ‘નશો’ જે સમર્પણ તા. ૧૦-૧૨-૬૭ના અંકમાં પ્રગટ થયું. (મારા છેલ્લા કાવ્યસંગ્રહમાં તેનો સમાવેશ કરીશ, આ મિત્ર-દંપતીના સ્નેહસ્મરણ સાથે). એક અન્ય પ્રસંગે આપણા સાચુકલા-જન્મજાત કવિ રાવજીનો પરચો મળેલો. રાવજી મારા ઘરની નજીક રહે, તેથી બુધસભા ઉપરાંત તેમના ઘરે પણ મળવાનું થતું. એ સમયે અમદાવાદમાં કલઈગરા ન મળે. સ્ટીલનાં વાસણ લેવાની નોબત આવી. એક મિત્રને મુંબઈ જવાનું થયું. ને મારા માટે સ્ટીલનાં વાસણના ત્રણ સેટ લઈ આવ્યા. અમે વિચાર્યું કે ત્રણ મિત્રોને જમાડીએ. ગયા રાવજીને ત્યાં ને નિમંત્રણ આપ્યું. રાવજી કહે, આવીશ પણ શાક દાણાનું (લીલી તુવેરોનું) બનાવજો. રાવજી સાથે જ, સ્વાભાવિક રૂપે, દિલીપ અને પ્રકાશ. ત્રણે મિત્રો સાથે (નવા થાળમાં) અમે જમ્યા ને પછી પાન ખાવા માટે શારદા સોસાયટી તરફ ચાલ્યા. રાવજીએ પોતાના શિક્ષક અમુભાઈ – જે ભગત સાહેબનાયે શિક્ષક હતા – તેમને યાદ કર્યા અને કહે : અહીં જ રહે છે. ચાલો મળવા જઈએ, ડોસા રાજી થશે. અમને ય ઉત્સાહ થયો; પણ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા ત્યાં પાલડી તરફની ૩૪ નંબરની બસ આવીને ઊભી, ઉપડવામાં હતી ત્યાં રાવજી દોડીને તેમાં ચડી ગયા તે પગથી પર ઊભા રહી અમને ‘આવજો આવજો’, કરી દીધું. અમે ત્રણે જણ પહેલાં વિસ્મયમૂઢ થઈ ગયા ને પછી હસી પડ્યા. (કવિ તો આવું યે કરે એવી સમજણ આ મિત્રોને મળી તે પછીથી મને ફળી હશે!)

અમે સચિવાલયમાં ઠરીઠામ થતા હતા ત્યાં, ૧૯૬૮-૧૯૬૯ના ગાળામાં વર્ગ-૧ અને ૨ની જગાઓની ભરતીની જાહેરાત આવી. દિલીપભાઈએ તેમાં ઉમેદવારી કરી. અમે મિત્રો રાજી ન હતા પણ તેમણે પરીક્ષા આપીને પાસ પણ થયા ને ફાળવણી થઈ પંચાયત સંવર્ગમાં, તાલુકા વિકાસ અધિકારીની જગા માટે. તાલીમમાં જૂનાગઢ જવાનું થયું. અને માત્ર વીસ દિવસમાં જ હતાશ થઈ ગયા. પોતે ભૂલ કરી હોવાનો અહેસાસ થવા લાગ્યો. ટી.ડી.ઓ.માં કેમ રહેવું અને પાછા સચિવાલયમાં કેમ આવવું એની ચિંતામાં હતપ્રભ થઈ ગયા. એક પ્રકારનો અપરાધભાવ તેમને ઘેરી વળ્યો. પણ ત્યાંથી મુક્ત થવા અરજી કેમ ને કેવી કરવી, કેવાં કારણો આપી શકાય, મૂળ જગા પર ‘લિયન’ ગણાય કે કેમ ? પ્રશ્નો ઘણા થતા. આ દિવસોમાં તેમના પત્રો મને અને પ્રકાશને સતત મળતા રહ્યા. એકાદ વાર અમે બંને જૂનાગઢ ગયેલા. આમાં સૌથી વધારે હું ઉપયોગી થઈ શકું તેવો ભાવ તેમના પત્રોમાંથી પ્રગટતો. મારી કશી પહોંચ કે આવડતને કારણે નહીં, પરંતુ તેમના વિશ્વાસને કારણે. પ્રયત્નો શરૂ કર્યા.

આજે જેમની દેશ-પરદેશમાં રાજર્ષિમુનિ તરીકેની પ્રતિષ્ઠા છે અને જેમણે લીંબડી પાસે રાજરાજેશ્વર ધામનું સર્જન કર્યું છે તે મૂળ કચ્છના અને સૌરાષ્ટ્રમાં આવી વસેલા યશવંતસિંહજી જાડેજા ત્યારે જૂનાગઢમાં તાલીમ આપનાર અધિકારી હતા. તેમની સલાહ મુજબ અરજી કરી. પંચાયતના સમગ્ર તંત્રના સચિવકક્ષાના અધિકારીશ્રી રાવળ સાહેબ (કલાગુરુ ર.મ.રા.ના પરિવારજન) અને સચિવાલયમાં સિનિયર સ્નેહીજન આર.સી. જોષીનો ઉત્તમ સહકાર મળ્યો ને આ મિત્ર અમને પાછા સચિવાલયમાં જ મળ્યા.

જૂનાગઢ ગયા ત્યારે ચંદ્રિકાએ શુકનમાં શ્રીફળ આપેલું. જૂનાગઢથી આવતા પત્રોમાં એકવાર લખેલું કે બહેનનું શ્રીફળ ન ફળ્યું! જો કે તેમાં દોષ શ્રીફળનો નહીં પણ પોતાનો જોયેલો. નિર્મમ રહીને, તટસ્થભાવે આત્મનિરીક્ષણ કરવું અને જે સમજાય તે કબૂલ રાખવું ને કહેવું તેવી એક સચ્ચાઈ તેમનામાં હતી. તેમના પરિચયમાં આવનારને પણ આવો અનુભવ થયો હશે. જ્યારે જે વાત મનમાં ઊગે તે કહેવામાં સંકોચ ન રાખે. ક્યારેક કડવું યે કહે, પણ મને ક્યારે ય માઠું નથી લાગ્યું. તેમણે આગળ જતાં ‘ત્રિવેદી’ની અટકનો ત્યાગ કર્યો અને માત્ર દિલીપ ચંદુલાલ રહ્યા. મેં મજાકમાં કહ્યું કે તમે બ્રાહ્મણ તો ક્યારે ય ન હતા પણ અટક દૂર કરીને વધારે મોટું ઘરાણું પસંદ કર્યું છે. અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ જેવું. કટાક્ષને માણે; ક્યારેક હસી કાઢે (પ્રકાશ પાસેથી થોડું શીખ્યા હશે …)

અમારે ૧૯૭૦માં ગાંધીનગર જવાનું થયું ત્યારે વળી એક પ્રશ્ન ઊભો થયો. દિલીપભાઈએ ટી.ડી.ઓ. નિમિત્તે આવન-જાવન કરી તેથી તેમનો એક ઈજાફો છૂટવો બાકી હતો. ગાંધીનગરમાં ક્વાર્ટરની ફાળવણી મૂળ પગારના ધોરણે થવાની હતી. તેથી આ મિત્રને ‘ચ’ ટાઈપને બદલે ‘છ’ ટાઈપમાં જવું પડે, માત્ર એક ઇજાફાના તફાવતને કારણે.

ક્વાર્ટ્‌ર્સની ફાળવણી કરનાર તંત્રને વિભાગની માહિતી મોકલવાની કામગીરી મિત્ર હસમુખ પટેલના ભાગે આવી. તેમણે દિલીપભાઈનો ‘નોશનલ’ પગાર ગણીને માહિતી મોકલી ને તેઓ અમારી સાથે જ રહ્યાં.

ગાંધીનગરમાં મિત્રમંડળ વિસ્તર્યું. અમારી ટી ક્લબમાં પણ ઘણો સમય સાથે રહ્યા. નાયબ સચિવ તરીકે છેલ્લે અમને બઢતી મળી ત્યારે વિભાગો બદલ્યા. દરમિયાનમાં અમને રસ હતો તેવો રસ ધરાવતા યંગસ્ટર્સની ભરતી થઈ. તેથી ડંકેશ ઓઝા, બિપિન પટેલ, કિરીટ દૂધાત વગેરેની તેમની નિકટતા થઈ. એ મિત્રો તેમને ‘ગુરુ’ તરીકે સંબોધતા. રાજકારણ, સમાજકારણ, સેક્યૂલારિઝમ, રેશનાલિઝમ, ડાબેરી-જમણેરી વિચારધારા – અનેક બાબતે અમે ઘણીવાર સામસામે. પણ તેમની સચ્ચાઈ ને નિષ્ઠા વિશે મને ક્યારેક શંકા નથી ગઈ.

‘વળતા વાર’ના ધોરણે રચાયેલ કાવ્યોના સંગ્રહ ‘રાઈનાં ફૂલ’ વિશે ‘પ્રત્યક્ષ’માં તંત્રી શ્રી રમણ સોનીએ સમીક્ષા કરી તો અકળાઈને તેમણે અંગ્રેજીમાં પત્ર ફટકારેલો, ને પરિષદકારણ (પરિષદનું રાજકારણ) અંગે જે ચર્ચા ચાલતી હતી તેમાંયે પોતાનો મત પ્રગટ કરેલો. મેં વહીવટી મંત્રીનું પદ છોડીને બિનઅસરકારક એવું ઉપપ્રમુખનું પદ સ્વીકાર્યું તે તેમને ન ગમ્યાનું કહ્યું. બીજું યે ઘણું કહ્યું.

વિચારભેદ હોવા છતાં જેમની સાથે મનભેદ ક્યારે ય ન થાય, ન થઈ શકે એવો મિત્ર તો ક્યાંથી મળવાનો?!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 13-15

Loading

દલિતો અને રૅશનાલિટી

કિરણ ત્રિવેદી, કિરણ ત્રિવેદી|Opinion - Opinion|16 August 2019

દલિતોના સંદર્ભે અધ્યાત્મ હોય, રૅશનાલિસ્ટ હોય કે સમરસતા – આ બધું બહુ મોટા દલિતવર્ગની પહોંચ, સમજ કે જરૂરિયાત બહારની મગજમારીઓ છે. હા, એક સમાનતાનો મુદ્દો છે, જે એમને સીધો સ્પર્શે છે, જીવનજરૂરી પણ છે. ખેર, આપણને લાગે કે આ બધામાં પણ રૅશનાલિટી તો દલિતો માટે એકદમ એલિયન / પરગ્રહી ખ્યાલ હશે – પણ દલિતોનો એક વર્ગ જે ભણીગણીને, સમજદારી કેળવીને મુખ્ય ધારામાં ઊતરી ચૂક્યો છે, એ ખૂબ આશ્ચર્યજનક રીતે રૅશનાલિટી દાખવી રહ્યો છે. અપનાવી રહ્યો છે.

રૅશનાલિટી માનસિક અભિગમ અને વૈચારિક સજ્જતાનો મુદ્દો છે. રેશનાલિટી એટલે વિવેકબુદ્ધિ, સારાસારની સમજ, નિરીક્ષણ અને તર્કબદ્ધ વિશ્લેષણને અંતે વિચારી-સમજીને નિર્ણય પર પહોંચવું કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એવું યોગ્ય તારણ જ સૌના લાભનું અને ભલા માટેનું હોય તેને સ્વીકારો અને તે રીતે જીવો. રૅશનાલિટીમાં રહેલો ધર્મવિરોધ પણ આ સમજદારીમાંથી આવે છે. એટલે કે રૅશનાલિસ્ટોમાં ધર્મવિરોધ અને નાસ્તિકતા રૅશનાલીટીના રસ્તે આવે છે. દલિતોમાં કદાચ એવું પણ બને કે ધર્મવિરોધના રસ્તે રૅશનાલિટી આવે! જો કે રૅશનાલિટી એટલે માત્ર ધર્મ અને ઈશ્વરનો ઇન્કાર એટલું જ નથી. રૅશનલ થિંકિંગ રોજિંદા જીવન અને સમાજને સ્પર્શતા દરેક મુદ્દામાં તમને સ્પષ્ટતા, સરળતા, નૈતિકતા અને માનવતા બક્ષે છે.

અમે રૅશનાલિસ્ટો ધર્મ, ઈશ્વર, પરંપરાના સૌથી વધુ બોલકા ટીકાકારો છીએ. દલિતોને પણ આવું કરતા જોયા છે. પણ તેઓમાં આ ગુણ બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થામાં સદીઓથી કચડાતા આવ્યાની શોષણ-દમન-અન્યાયની ભાવનામાંથી આવે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે દલિતો અને રૅશનાલિસ્ટો એકમેકના natural allies (કુદરતી સાથીદારો) છે. અને અમારા સોશ્યલ મીડિયા ગૃપ ‘અપના અડ્ડા’એ એ વાત ઘણે અંશે સાબિત કરી છે.

વર્ણવ્યવસ્થા સનાતનધર્મ દ્વારા ખોદાયેલી ઘોર છે … અને એટલા શાતિર દિમાગોની ઊપજ છે કે હજુ સુધી ટકી છે. આજે હવે વધુ ઊંડી બનવાનાં એંધાણ છે; એની સૌથી વધુ શેતાની ગોઠવણ એ છે કે બધી જ જ્ઞાતિ – જાતિઓને પોતાને ઊંચા ગણવા માટે એમનાથી નીચા કોઈ ને કોઈ મળી રહે! અને દલિત તો પાછા ચતુર્વર્ણના આ પિરામિડમાં પણ નથી, એ તો ચારે ય વર્ણમાં નીચેના શૂદ્રોથી પણ નીચે દબાયેલા પંચમ વર્ણ ગણાય છે.

રૅશનાલિટીના દલિતો સાથેના આંતરસંબંધો ચકાસતાં મને એક સવાલ થયેલો. દલિતોએ હિન્દુ કહેવાતો આ બ્રાહ્મણધર્મ હજુ સુધી સર્વથા કેમ નથી છોડ્યો?! મારે જાણવું હતું કે અન્યાય દમનનો વિરોધ તો કદાચ દરેક જનરેશને કર્યો છે. પણ અત્યારે જે નામજોગ બ્રાહ્મણવાદ અને હિન્દુધર્મ સામે આક્રોશ દેખાય છે તે બાબાસાહેબ આંબેડકરે લાવેલી જાગૃતિ પછીનો જ છે કે એ પહેલાં પણ હતો? આ સવાલ ઉપર ‘અપના અડ્ડા’માં જ ચર્ચા થઈ. જે સ્પષ્ટતા મળી તે મુજબ અછૂતોની અવદશા માટે સનાતન ધર્મને સીધો જવાબદાર ગણાવીને તેની સામે બળવો પોકારવામાં સૌથી મજબૂત નામ જ્યોતિબા ફુલેનું લેવું પડે. (એમની પહેલાંના સંદર્ભો પણ ઘણા છે, પણ અહીં મારી નિસબત ધર્મ સામે મોરચાની વધુ છે). ફુલે દ્વારા ૧૯મી સદીના મધ્યમાં ધર્મ સામેની લડત ચાલુ થઈ અને ૨૦મી સદીમાં ભીમરાવ આંબેડકરે આ લડતને પૂરેપૂરી રૅશનલ એવી તીવ્રતમ સ્પષ્ટતા સાથે આગળ ધપાવી. આંબેડકરની સમાંતરે દક્ષિણમાં ઈ.વી. રામાસ્વામી પેરિયારે પણ તેમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે, જેને કારણે આજે પણ હિન્દુ ધર્મના નામે સત્તાના ખેલ પાડતી પાર્ટીને દક્ષિણમાં પગ પસારવાના ફાંફાં પડે છે.

આ નોંધ હું એટલે લઉં છું કે દલિતો માટે સામાજિક સમાનતા, ન્યાય અને હકની લડાઈમાં રૅશનાલિસ્ટનો દૃષ્ટિકોણ ફુલે-આંબેડકર-પેરિયાર જેવા મહાનુભાવોથી જોડાઈ ગયેલો ગણો. આંબેડકર સંપૂર્ણપણે રેશનલ હતા. એમનું સમગ્ર સાહિત્ય રૅશનાલિટીની દૃષ્ટિએ લખાયેલું ધારદાર વિશ્લેષણ છે. એ સાહિત્યના સહારે જાગૃત થયેલો દલિતવર્ગ વૈચારિક રીતે થોડો તો રૅશનલ થવાનો જ.

… અને અમને, ‘અપના અડ્ડા’ના આયોજકોને એ સ્પષ્ટપણે દેખાય છે. અને હિન્દુત્વથી પ્રભાવિત સવર્ણ લોકોના વિચારો, અભિગમો, અભિવ્યક્તિના કૉન્ટેક્સ્ટમાં તો આ દલિતો ગૌરવપ્રદ રીતે સજ્જ અને સજ્જન બનીને ઊભરી આવે છે. અડ્ડાની રૅશનલ, લિબરલ અને સેક્યુલર વિચારધારાને કારણે અમારું વલણ હંમેશાં ન્યાય-સમાનતા-સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી તરફી રહ્યું છે. તેને કારણે પહેલેથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દલિત યુવાનો અડ્ડા તરફ આકર્ષાયા છે. કોઈને અમે પકડીપકડીને ત્યાં જમા નથી કર્યા! જે રીતે એમણે રૅશનાલિટીને embrace કરી છે, આત્મસાત્‌ કરી છે એ મારે માટે આશ્ચર્યજનક હતું. ઉગ્ર ચર્ચાઓમાં સવર્ણોને મિજાજ ગુમાવીને બેફામ અપમાનજનક બોલતા, અશ્લીલ અને અપશબ્દો પર ઊતરી આવતા વારંવાર જોયા છે; પણ એવો દલિત જવલ્લે જ મળે! અડ્ડામાંથી રિમૂવ કે બ્લૉક થતા સભ્યોમાં સવર્ણો અને ક્ષત્રિયો જ વધારે હોય છે. તો પણ હું કોઈ એવા વહેમમાં નથી કે આને રૅશનલ ક્રાંતિ હોવાનો દાવો કરું, પણ આ ખૂબ સારી શરૂઆત જરૂર છે.

આમ તો દલિતોનાં હક, ન્યાય, સમાનતા માટેની અનેક રાજકીય સામાજિક લડતો, આંદોલનો ચાલે છે. આંબેડકરવાદી, બહુજનસમાજવાદી ડાબેરી સામ્યવાદી, સંધિ સમરસતાવાદી વગેરે. હવે એમાં એક આ વિવેકબુદ્ધિવાદી / રૅશનાલિસ્ટ ધારાનો પણ સમાવેશ ગણજો. મારો વ્યક્તિગત મત તો એ જ છે કે આમાંની કોઈ લડતો ધર્મ-ઈશ્વર છોડો, જ્ઞાતિ-જાતિ તોડોની વાત નથી કરતી. આ હિન્દુ માળખામાં રહીને જ સમાનતા / હકની વાત કરે છે. જે ક્યારે ય નથી મળવાના. આંબેડકરે પણ એટલે જ હિન્દુ ધર્મ છોડેલો. માત્ર રૅશનાલિઝમ એ બધું છોડવાની વાત કરે છે. એટલે જે લડત વૈચારિક રીતે રૅશનાલિસ્ટને અપનાવશે એ જ દલિતો માટે ન્યાય -સમાનતા હાંસલ કરી શકશે.

(તા. ૧૯-૬-૨૦૧૯ના રોજ વિનોદ વ્યાસ-જટાયુ આયોજિત કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 10 – 11

Loading

કાશ્મીરમાં ભારતનું નિર્માણ કે ભારતમાં કાશ્મીરનું?!

પ્રતાપ ભાનુ મહેતા|Opinion - Opinion|16 August 2019

લોકતંત્રના ઇતિહાસમાં એવો પણ સમય આવે છે કે જfયારે તે શક્તિના પ્રતીક સૈન્યબળ સુધી જ સીમિત થઈ જાય છે;  જરા પણ વધુ કે ઓછું નહિ. આપણે કાશ્મીરમાં આ જ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. પરંતુ આ ક્ષણ એ ભારતના ભવિષ્યમાં આવનારી રાજકીય આપખુદશાહીનો પૂર્વાભ્યાસ છે. જે રીતે ભા.જ.પ. સરકારે કલમ ૩૭૦ને પ્રભાવહીન કરી જમ્મુ અને કાશ્મીરના ભાગલા પાડી દીધા અને રાજ્યની સ્થિતિ બદલી છે તે સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે. આ એવી રાજસત્તા છે જેનું ચલણ નિરંકુશ બળ છે. આ એવી રાજસત્તા છે જેને નીતિ, નિયમ કે સ્વાતંત્ર્ય સાથે કોઈ નિસબત નથી. આ એવી રાજસત્તા છે જે લોકતંત્ર અને વિચારવિમર્શ પ્રક્રિયાની ઠેકડી કરશે. આ એવી રાજસત્તા છે જે ભયનું મનોવિજ્ઞાન સારી પેઠે જાણે છે. આ એવી રાજસત્તા છે જે પોતાના વિકૃત અને મિથ્યાભિમાની રાષ્ટ્રવાદ માટે સામાન્ય નાગરિકોને બલીના બકરા બનાવશે.

કાશ્મીરમાં ક્રાંતિકારી પગલાનું સમર્થન કરનારાઓના તર્કથી આપણે પરિચિત છીએ. કલમ ૩૫ (એ) ભેદભાવયુક્ત જોગવાઈ હોવાથી નાબૂદ તો થવાની જ હતી. ૩૭૦ ઐક્ય માટે નહિ પણ અલગાવવાદ માટે કાયદાકીય જોગવાઈ પૂરી પાડતી કલમ હતી. ભારત દેશના ઇતિહાસમાં ભયંકર હિંસક બનાવોની નોંધ છે, છતાં કાશ્મીર મુદ્દાને લઈને ક્યારે ય મક્કમ અભિગમ લેવાનું સાહસ કરવામાં આવ્યું નથી. કાશ્મીરી કટ્ટરતા સામે નક્કર પગલાંની ચોક્કસ જરૂર છે. પરંતુ એ મુદ્દે ક્યારે ય કાશ્મીરી પંડિત સાથે કરાયેલ દુર્વ્યવહારની ભરપાઈ કરવામાં આવી નથી. અત્યારે તો આંતરરાષ્ટ્રીય મિજાજ પણ અનુકૂળ છે. ચીન આખેઆખી સંસ્કૃતિઓ અને સભ્યતાઓના પુનનિર્માણનું કાર્ય કરી રહ્યું છે જે ભારત પણ કરી શકે છે. વળી એ હકીકત પણ લાભદાયક છે કે આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં માનવઅધિકાર જેવું કંઈ રહ્યું જ નથી. ભારત પણ પાકિસ્તાન અને તાલિબાનને તેમની ઓકાત બતાવી શકે છે. ચાલો હવે જૂની ડરપોક વૃત્તિનો ત્યાગ કરીએ; આ સમય તક ઝડપી લેવાનો છે. એક જ વારમાં કાયમ માટેની શાંતિ કરી લઈએ, ભલેને પછી તેના માટે પાશવી બળનો પણ ઉપયોગ કરવો પડે!

અહીં ઘણી દલીલો સાચી હોવાથી તેના માર્મિક તત્ત્વો આપણી સમક્ષ હાજર છે. યથાસ્થિતિના બે ગેરફાયદા હતા : પ્રથમ તો છેલ્લી બે પેઢીઓથી કાશ્મીરીઓ સખત લશ્કરી ઘેરાવ સહન કરી રહ્યા હતા, છતાં તેઓના હિતનું કોઈ પ્રાધાન્ય તેમાં હતું નહીં. વળી કાશ્મીર અને ભારત વચ્ચેની અસમાનતામાં વધારો થયો હતો. એટલે થોડી હિલચાલ તો અનિવાર્ય હતી. પરંતુ આ સત્યને લશ્કરી કાફલાની મદદ વડે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સમસ્યા નિવારણની આ પદ્ધતિ શિષ્ટાચારનું નિકંદન છે. આ પાપી પગલાંની પરિસીમા એ રીતે પણ નક્કી કરી શકાય કે પરિણામો સિદ્ધ કરવા માટે સરકારે બંધ બારણે જબરદસ્ત લશ્કરી સકંજો ગોઠવ્યો અને  સંચાર માધ્યમો પર સંપૂર્ણ અંકુશ મૂકી દીધો. અહીં એવા કોઈ નવીન બંધારણીય સુધારાનો આરંભ નથી જેના વડે સ્વૈચ્છિક રાજનિષ્ઠાનો ઉદ્‌ભવ થાય. આ તો સરળ અને સ્પષ્ટ દમન છે જે સમાન સંસ્કૃતિ અને મજબૂત રાજ્યની ઘેલછા માટે સંઘવાદને અડચણરૂપ માનનારી ચીની અને રેઇસ્ટાગ વિચારધારાઓની યાદ અપાવે છે.

ચાલો, આ નિર્ણયના પરિણામનો વિશાળ ફલક પર વિચાર કરીએ. ભારત પોતાના જ બંધારણીય વચનોથી ચલિત થયું છે. કાશ્મીરને બાદ કરતાં પણ ભારતમાં ઘણી સંઘવાદી વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે. આ મુદ્દે નાગાલૅન્ડનો નિર્ણય ઉદાહરણરૂપ બનશે. આમ ચાલશે તો ભવિષ્યમાં તમામ સંઘવાદી વ્યવસ્થાઓ રદ્દ થઈ જવાની સંભાવના ઊભી થાય છે. તે જોવામાં નાગાલેન્ડમાં વિષમસંઘ વાદીવ્યવસ્થાને મંજૂરી અને કાશ્મીરમાં નહિ, આ ભેદને તમે કઈ રીતે ઉચિત ઠરાવી શકો? અહીં સાબિત એવું થાય છે કે એકતરફી રીતે સરકાર કોઈ પણ હયાત રાજ્યનો કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરી શકે છે, વળી તે પણ બંધારણનો ઉપયોગ કરીને. ટૂંકમાં કહીએ તો આપણે કેન્દ્રશાસિત પ્રદેશોનો એવો સમૂહ બની ગયા છીએ કે જેનો રાજ્ય તરીકેનો દરજ્જો સરકારના બુદ્ધિચાતુર્ય પર નિર્ભર છે.

આ મુદ્દાને થોડા સરળ શબ્દોમાં સમજી લઈએ. જ્યારે કલમ ૩૭૦ નાબૂદ જ કરવાની હોય તો જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનો નિર્ણય પહેલેથી જ દબાયેલી કાશ્મીરી પ્રજાનું અપમાન કરવા ઘડાયેલો દેખાય છે. મુસ્લિમોના દબદબાવાળું રાજ્ય ભારતમાં ટકી જ કેમ શકે?! હવે તો કાશ્મીર એક રાજ્ય તરીકે પણ ભરોસાપાત્ર નથી! આ પ્રકારની દીર્ઘ દૃષ્ટિ ઐક્ય માટે નથી પરંતુ એક પ્રકારનું અપમાન છે જે લઘુમતીઓને ભારતમાં તેમની હેસિયતની યાદ અપાવે છે.

એ દલીલ માન્ય છે કે જો કાશ્મીરની સમસ્યાનો ખરેખર ઉકેલ આવે તો આ નિર્ણયથી ઉત્પન્ન થતી પીડા સહ્ય છે, પણ શું તેનો ઉકેલ આવશે? અહીં તો લશ્કરથી દબાયેલી મડદાલ શાંતિ છે જેને વિજય માનવો એ આપણી ચૂક ગણાશે. સેના જેની પીઠ પાછળ દરેકની દેશભક્તિ ખીલી રહી છે તેના જવાનો સંભવિત રીતે વધુ પડકારરૂપ પરિસ્થિતિઓમાં મુકાશે. સેનાનો વધુને વધુ ઉપયોગ ભારત દેશને માત્ર ભેગો રાખવાં હેતુ કરાશે. જો લશ્કરી બળની અત્યંત ગંભીર અનિવાર્યતા હોય તો પણ તેનો ઉપયોગ વિશાળ પરિપ્રેક્ષમાં રાજકીય અને સંસ્થાકીય સંસ્થાનો સ્વૈચ્છિક રાજનિષ્ઠા ઊભી કરે એ દિશામાં થવો જોઈએ નહિ કે ડર ઊભો કરવા. લશ્કરી તાકાતની સામે કાશ્મીર પોતાની નિયતિને શરણે થઈ જાય તો પણ દેશના અન્ય વિસ્તારોમાં ઊભી થઈ રહેલી કટ્ટરતાની સંભાવનાનો અંત આવતો નથી અને અગાઉથી તેની નિશાની દેખાઈ રહી છે. કંઈ બદલાશે તો ફક્ત રાજકીય હિંસાનો રંગમંચ. જો આ સંદર્ભમાં યુ.પી.થી બંગાળ અને કેરળ સુધી પથરાયેલ સાંપ્રદાયિક નાજુક વિસ્તારને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતની સ્થિતિ વધુ નબળી દેખાશે.

મૂળભૂત રીતે આ પરિવર્તન નિષ્ફળ જઈ રહેલા ભારતીય લોકતંત્રનું દર્શન છે જે બહુમતવાદ નામની ખાઈમાં સરકી રહ્યું છે; દેખાઈ રહી છે, ફક્ત વોટની ક્રૂર સત્તા; જ્યાં ભિન્ન વિચારસરણીનો સમાવેશ શક્ય નથી અને તેથી જ લોકતંત્રીય પતનથી બચવાની સંભાવના નહિવત્‌ છે. વિપક્ષી નેતાઓનો નિરર્થક ત્યાગ ફક્ત અલગાવવાદની ભાવના ઊંડી કરશે. રાજકીય રીતે વિરોધ જેવું કશું વધ્યું જ નથી. મોટાભાગની સંઘવાદી પાર્ટી ધાર્યા કરતાં પણ વહેલી કાયર સાબિત થઈ છે; કૉંગ્રેસ પક્ષ તો કોઈ પણ સંકલ્પ સાથે અડગ રહી જ શકતો નથી. હવે આપણી વચ્ચેની એક પણ વ્યક્તિ કોઈ બંધારણીય સુરક્ષાઓને સહજ માની ન શકે.  સંસદ જાહેર ચર્ચાનો મંચ મટીને નોટિસબોર્ડ બની ગઈ છે.

એક વિચાર એમ પણ આવે કે સુપ્રીમ કૉર્ટનું આ મુદ્દે કેવું વલણ હશે. પણ સુપ્રીમ કૉર્ટનો તાજેતરનો ઇતિહાસ તપાસવામાં આવે તો તરત ખબર પડી જાય કે સુપ્રીમ કૉર્ટ કાર્યચાલક મટીને કાર્યવાહક માનસિકતાનું પ્રદર્શન વધુ કરશે. કાશ્મીરનો મુદ્દો કાશ્મીર પૂરતો સીમિત નથી; તેની સીધી અસર UAPA, NRC, સાંપ્રદાયિક્તા અને અયોધ્યાના સંદર્ભમાં પણ જોઈ શકાય. આ શૃંખલામાં એક કડી સમાન કાશ્મીરને અવગણી ભારત દેશ એક એવા નિષ્કર્ષ તરફ ગતિ કરે છે જે જગ્યાએ આપણે બધા – જેમાં ફક્ત કાશ્મીરીઓ જ કે લઘુમતીઓ નહીં પરંતુ બંધારણીય સ્વાતંત્ર્યની માંગ કરી રહેલી તમામ – અસુરક્ષા અનુભવીએ છીએ.

વધુ ચિંતાજનક બાબત છે આપણી સંસ્કૃતિની સંરચના, જે આવી સમસ્યાઓની સંભાવનાને બળ આપે છે. મીડિયાની સાથે ભળી ગયેલું જૂઠું પ્રચાર તંત્ર હિંસા માટે આહ્‌વાન કરે છે અને તેને રાષ્ટ્રવાદ કહેવાય છે. માનવીય લાગણીઓનું એ હદ સુધી ધોવાણ થયું છે કે સંવેદનાને હિંસાથી પણ વધુ તુચ્છ માનવામાં આવે છે.

કોઈ વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જરૂરી રાજકીય ધૈર્ય સમાપ્ત થઈ ગયું છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે કોંગ્રેસની જૂની પુરાણી પદ્ધતિ એ હદે ક્ષીણ અને ભ્રષ્ટ થઈ ગઈ છે કે તેની જગ્યાએ એક સામટી બોમ્બ વર્ષા કરીને તમામ સંસ્થાનો અને નૈતિક મૂલ્યોનો સફાયો કરી દઈએ તે યોગ્ય જણાય છે.આપણી રાજનીતિમાં એક પ્રકારના ક્રૂર સૌંદર્યનો ઉદ્‌ભવ થયો છે જ્યાં ઉદ્ધત તેને ઉદ્ધતાઈ માટે પ્રશંસા પામે છે જ્યારે સરળ તેની સાદાઈ અને સચ્ચાઈ માટે નિંદાપાત્ર બને છે.

આ નિર્ણય સમસ્યાના ઉકેલ માટે નથી. અત્યારે કાશ્મીરમાં જે રમાઈ રહ્યું છે તે એક મહાન સભ્યતાની અસુરક્ષિતતાનું સૌથી ખરાબ અને વિકૃત દૃશ્ય છે. ભા.જ.પ. માને છે કે તે કાશ્મીરમાં ભારતનું નિર્માણ કરશે પણ સંભવિત રીતે આપણે ભારતમાં કાશ્મીરનું નિર્માણ જોઈશું.  ભારતીય ગણતંત્રનું આ વૃત્તાંત હિંસા અને દગાખોરીમાં અંકિત થયેલું હશે.

[“The Indian Express”માંથી અનુવાદ – અલ્પેશકુમાર મકવાણા]

E-mail : makwanaalpeshkumar91@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 06 – 07

Loading

...102030...2,7122,7132,7142,715...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved