Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારી સ્કૂલો, કોલેજો બંધ થાય એને માટે સરકાર જ મહેનત કરે છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2025

રવીન્દ્ર પારેખ

અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઈસન્સ આપીને અને ગુજરાતી માધ્યમની સ્કૂલોને બંધ કરીને ગુજરાત સરકારે દાટ વાળ્યો છે, તો, બીજી તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવાનો ને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ કરવાનો ઉપક્રમ એક નફાખોર વેપારીની જેમ રાખીને, સરકારે ધંધો જ કર્યો છે. સાચું તો એ છે કે સરકારને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ચલાવવાનું જીવ પર આવે છે, એટલે તે બંધ થાય અને ખાનગી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીને ઉત્તેજન મળે એવી પેરવી કર્યા કરે છે, જેથી સરકારનો એજ્યુકેશન પર ખર્ચો બચે ને સરકારી અધિકારીઓ, વિધાનસભ્યોની ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન મળે ને તેમની કમાણી વધે. આવો હેતુ હોય તો, તે શરમજનક છે. સરકાર, ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ ચલાવે છે ને તેનો ખર્ચ ઉપાડે છે તો તે ઉપકાર નથી કરતી. આ ખર્ચ સરકાર, પ્રજાના જુદા જુદા ટેક્સમાંથી કરે છે. સરકાર એટલી ગરીબ નથી કે તેનો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ચલાવવામાં હાથ તંગ રહે. ખરેખર, તો તે બધું ખાનગી સંસ્થાઓને સોંપીને હાથ ઊંચા કરી દેવા માંગે છે. આમ તો શિક્ષણ ‘ખાતું’ છે, પણ તે તઘલખી કારભાર માટે ‘ખ્યાત’ છે. એને એટલા બધા તુક્કાઓ આવે છે કે શિક્ષણનો ધુમાડો થયા વગર રહે નહીં !

પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી સુધીમાં સરકારનો હેતુ – ખાનગીને ઉત્તેજન અને સરકારી કે ગ્રાન્ટેડનું ઉઠમણું – એટલો જ રહ્યો છે. સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિકમાં શિક્ષકોનો દુષ્કાળ સર્જીને અને છે તે શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિમાં જોતરીને, સરકારે પ્રાથમિકથી જ બાળકોને શિક્ષણથી વંચિત કર્યાં છે. તે એટલે પણ કે તેઓ ભણીગણીને, વિચારશીલ બનીને સામે શિંગડાં ન કરે. શિક્ષણ સંસ્થાઓ ચાલે, પણ શિક્ષણ ન ચાલે એવી વ્યવસ્થા યુનિવર્સિટી સુધી કરી દેવાઈ છે. સ્કૂલો બંધ કરવાનું હવે કોલેજો બંધ કરવા સુધી વિસ્તર્યું છે. મોટે ઉપાડે કોલેજો તો ખૂલી, પણ હવે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા જ પૂરતાં પ્રમાણમાં નથી.

ગુજરાત કોમન એડમિશન સર્વિસથી 2025-’26 માટે અન્ડર ગ્રેજ્યુએટ એડમિશન ગયા જૂનથી શરૂ થયાં. એડમિશન્સ ત્રણ તબક્કાઓમાં 19 ઓગસ્ટે પૂરાં થયાં, છતાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 22,745 સીટ ખાલી રહી છે. કોણ જાણે કેમ, પણ ગ્રાન્ટેડ તેમ જ સરકારી આર્ટસ, સાયન્સ, કોમર્સમાં સીટ ખાલી રહે છે. બી.કોમની 5,87૦, બી.એ.ની 12,50૦, બી.એસસી.ની 4,375 બેઠકો વીર નર્મદ યુનિવર્સિટીમાં ખાલી રહી છે. બી.કોમની 5,87૦ ખાલી સીટમાંથી 4,050 ગ્રાન્ટેડમાં અને સરકારી કોલેજમાં 1,820 સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 6,97૦ અને સરકારી કોલેજોમાં 5,53૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 1,330 અને સરકારી કોલેજોમાં 3,045 સીટ ખાલી છે. આ તો વીર નર્મદ યુનિવર્સિટીની વાત થઈ, રાજ્યની વાત કરીએ તો બી.કોમની 22,920, બી.એ.ની 32,450 અને બી.એસસી.ની 35,250 બેઠકો ખાલી રહી છે. ટૂંકમાં, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની કુલ 90,620 બેઠકો  ખાલી છે. બી.કોમની ગ્રાન્ટેડ કોલેજોમાં 17,350 અને સરકારીમાં 5,57૦ સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 24,990 અને સરકારીમાં 7,46૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડમાં 21,195 અને સરકારીમાં 14,055 સીટ ખાલી છે.

એવું નથી કે વિદ્યાર્થીઓ નથી. વિદ્યાર્થીઓ તો છે, પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ ગ્રેજ્યુએટ થવા કરતાં તેમને સેલ્ફ ફાઈનાન્સ કોર્સનું ખેંચાણ વધુ છે, એ સાથે જ રોજગારલક્ષી અભ્યાસક્રમમાં પણ તેમને વિશેષ રુચિ છે. એક તરફ ફોરેન એજ્યુકેશનની નવી ક્ષિતિજો ખૂલી છે, તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ કોર્સિસ ઝડપી પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સ્થિતિમાં ગ્રેજ્યુએટ થઈને શિક્ષિત બેકારમાં ખપવાનું ભાગ્યે જ કોઈ સ્વીકારે. એક તરફ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં હજારો સીટ ખાલી છે, તો બીજી તરફ કેન્દ્રીય પ્રવેશના નાટક પછી હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ સ્થિતિ આયોજનની ખામીને કારણે થઈ છે. એ કેવી અરાજકતા છે કે એક તરફ એડમિશન નથી ને બીજી તરફ ખાલી જગ્યાઓ ભરાતી નથી !

એ ખરું કે અર્થોપાર્જનની દૃષ્ટિએ વિદ્યાર્થીઓ એવું જ ભણતર કોલેજ કક્ષાએ ઈચ્છે છે. તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી વગર લાંબો સમય રહેવાનું ન જ ઈચ્છે તે સમજી શકાય એવું છે. ઇવન બી.કોમ. કે બી.એસસી.ને પણ નોકરીના થોડા સ્કોપ છે, પણ આર્ટસ ને તેમાં ય સાહિત્ય શિક્ષણ મેળવનારને શિક્ષક સિવાયની તકો બહુ ઓછી રહે છે. એ સંજોગોમાં જતે દિવસે આર્ટસ કોલેજો બંધ થાય એવા પૂરા સંજોગો છે. 40 વર્ષ જૂની અમદાવાદની ગુજરાત કોલેજ બંધ થવાને આરે છે. ત્યાં એમ.એ., એમ.એસસી.ના વર્ગો ગયે વર્ષે જ બંધ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ઘણી કોલેજો અમદાવાદમાં બંધ થવાને આરે છે. 2022માં સાબરમતી આર્ટસ કોલેજે સામે ચાલીને બંધ કરવાની અરજી કરી. એ અને એવી બીજી કોલેજો એટલે બંધ થાય એમ છે, કારણ તેને સરકાર ગ્રાન્ટમાં 50,000 જ આપે છે. એટલામાં નિભાવ કરવાનું મુશ્કેલ થતાં ને પૂરતો સ્ટાફ ન મળતા તે બંધ જ થાય એમાં નવાઈ નથી. પગાર ન આપવો પડે એટલે સ્ટાફ ન રાખીને કે ગ્રાન્ટ ચીંથરા જેટલી આપીને સરકાર શિક્ષણની જ્યોત જલતી રાખવા માંગે છે, તો એનાથી અજવાળું નહીં, ધુમાડો જ વધે, તે સમજી લેવાનું રહે.

અહીં સવાલ એ થાય કે સાહિત્ય, કલાની પ્રાપ્તિ શી છે? આમ પણ કળા, સાહિત્ય, સંગીત. શિલ્પ-ચિત્રકળાની અનિવાર્યતા આજકાલ બહુ વર્તાતી નથી. જે શિક્ષણ અપાય છે તે પણ હવે કળા, સાહિત્યલક્ષી રહ્યું નથી અને કેવી રીતે ન રહે એની સરકાર ચિંતા કરે છે, એ જોતાં જતે દિવસે આર્ટસ કોલેજ બંધ થાય ને ન થાય તો સાહિત્ય, સંગીત તો બંધ થાય જ એમાં શંકા નથી ! આજે જે પ્રકારનું જીવન સામે આવી રહ્યું છે તે આનંદ આપનારું ઓછું જ છે. જે પ્રકારનો ધર્માંધ અને સંવેદનહીન સમાજ બહાર આવી રહ્યો છે તે કોઇથી અજાણ્યો નથી. શાળાના વિદ્યાર્થીઓ ચાકુ ચલાવતા થયા છે. આજે જે રીતે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મ, હિંસા, શોષણનું વાતાવરણ ઘેરાતું આવે છે, તે આપણી સંવેદના બુઠ્ઠી થઈ રહી છે તેનું પ્રમાણ છે. એક તરફ કળા, સાહિત્ય, સંગીત….નો મહિમા ઘટતો આવતો હોય ને શિક્ષણ પણ સંવેદનહીન થતું આવતું હોય, તો સત્યનું સ્થાન અસત્ય, અહિંસાનું સ્થાન હિંસા અને પ્રેમનું સ્થાન તિરસ્કાર લે એમ બને. આપણે વધુને વધુ મટિરિયાલિસ્ટિક થવા તરફ છીએ, ત્યાં શિક્ષણ પણ એ જ દિશા ચીંધવાનું હોય તો આંસુ પણ ન બને એવી નિષ્ઠુરતા માટે માણસે તૈયાર રહ્યે જ છૂટકો છે. આ બધું અત્યારે બહુ નજરે પડે એવું ન હોય, તો પણ જે ગતિ શિક્ષણની છે તે ભવિષ્ય માટે બધું ન રહેવા દેતાં, વર્તમાનમાં લઇ આવે તો આઘાત ન લાગવો જોઈએ.

કમાવા કે આર્થિક લાભ અંગે ન વિચારવું એવું કહેવાનું નથી, પણ કમાણી આપે તે જ શિક્ષણ એવી વ્યાખ્યા સાકાર થઈ રહી હોય તો તે અંગે વિચારવું જોઈએ. ઉપજાઉ ન હોય તે શિક્ષણ નહીં. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉપજાઉ ન હોય તેવા વિષયો પ્રવેશી જ ન શકે એવી જડબેસલાક વ્યવસ્થા થાય તો નવાઈ નહીં ! હવેની મમ્મી પોતાનાં બાળકને હાલરડું સંભળાવવાને બદલે શેર બજારના ભાવ સંભળાવે એમ બને. શિક્ષણ આર્થિક બાબતો સાથે સંકળાય તેની ના જ નથી, પણ તે શેરના ભાવની સાથે ગઝલનો શેર પણ સાંભળે તે અપેક્ષિત છે. આપણે રોબોટ્સ તો ઘણાં બનાવ્યાં, પણ શિક્ષણ, માણસને રોબોટ તો નહીં બનાવે ને- એવી દહેશત પાળવા જેવી છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2025

Loading

ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુદ્દો : હારજીત નહીં પણ વિચારધારા  

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 August 2025

શાસકીય – રાજકીય ઊહાપોહ

સત્તાપક્ષે બહુ વરવી રીતે સલવા જૂડેમવાળા ચુકાદાનો મુદ્દો ઉછાળ્યો છે : વસ્તુત: એ એક બંધારણબાહ્ય રચના હતી અને જે કટોકટી સામે તે પોતે લડયાનું કહે છે, તે કટોકટીનું જ એક અનુસંધાન એમાં હતું.

પ્રકાશ ન. શાહ

ઉપરાષ્ટ્રપતિપદનું ચૂંટણીપરિણામ અલબત્ત નવમી સપ્ટેમ્બરે આવશે, પણ ભા.જ.પ. અને સાથીઓ તેમ જ ‘ઇન્ડિયા’ બેઉની વાસ્તવિક મતસંખ્યા જોતાં ભા.જ.પ. ઉમેદવાર રાધાક્રિષ્ણનનું ચૂંટાઈ આવવું સ્વાભાવિક છે – સિવાય કે સાંસદો સ્વતંત્રપણે મતદાનનો માર્ગ લે, અને કંઈક જુદું જ બની આવે. ‘ઇન્ડિયા’ ઉમેદાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મતદારમાત્રને સીધી અપીલ કરવાની કોશિશ એ જ આશાએ કરી રહ્યા હશે. પણ અણધાર્યું પરિણામ સામાન્યપણે અશક્ય માનીને જ ચાલવું જોઈએ. 

તેમ છતાં, આ ચૂંટણીમાં રસ કેમ જાગ્રત થયો છે? કદાચ, (પૂર્વ) ઉપરાષ્ટ્રપતિ ધનખડનું અચાનક રાજીનામું આપવું એમાં કંઈક કારણ રૂપ ચોક્કસ જ હોઈ શકે. પણ આ ટિપ્પણી લખાઈ રહી છે એ ગાળામાં સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના વફાદાર કાર્યકર કહી શકાય તેવા ઉમેદવાર રાધાક્રિષ્ણન અને પૂર્વ ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીની સામસામી ઉમેદવારીએ કંઈક નવતર ચર્ચા જગવી છે. એક પક્ષીય કાર્યકર અને બીજી ન્યાયિક પરંપરામાં ઉછરેલી બિનપક્ષીય પ્રતિભા, આ બે વચ્ચેનો ભેદ અલબત્ત તરત સામે આવે છે. ઉપરાંત રાજકીય બલાબલની ચર્ચાથી નિરપેક્ષપણે બેઉ ઉમેદવારીએ જે, ચુસ્ત અર્થમાં વિચારધારાકીય નહીં તો પણ પ્રજાકીય વલણોવાળી શાસકીય-રાજકીય ઊહાપોહ જગવ્યો છે તે ય નોંધપાત્ર છે. 

જસ્ટિસ રેડ્ડીની કોઈ રાજકીય પક્ષીય પૃષ્ઠભૂ નથી. એ બંધારણમાં ખોડાયેલા છે. 2024ની લોકસભાની ચૂંટણીના વારાથી રાહુલ ગાંધી ‘બંધારણ’ને લોકશાહી સ્વરાજમાં અપેક્ષિત ધારાધોરણ સંદર્ભે આગળ કરી રહ્યા છે, અને તે લોક માનસને ઠીક ઠીક પકડાવા લાગેલો મુદ્દો છે. જોવાનું એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દો લઈ લોકમોઝાર ઘૂમી રહ્યા છે. મતાધિકારનો જે મુદ્દો એમણે ઉછાળ્યો છે તેનું સમર્થન એ બેશક બંધારણ સાથે સાંકળે છે. 

આ સાથે, આશ્ચર્યકારક રીતે જસ્ટિસ રેડ્ડી બંધારણની ફરતે એક ગતિશીલ વિચારધારાના વધૈયા લેખે ઉપસી રહ્યા છે. ‘ઇન્ડિયા’ સાંસદોને સંબોધતાં એમણે લોહિયાને ભરીબંદૂક સંભાર્યા હતા કે જ્યારે સડકો સૂની પડી જાય છે ત્યારે સંસદ ભટકી જાય છે. (જબ, સડકેં ખામોશ હો જાતી હૈં, સંસદ આવારા હોય જાતી હૈ.) ‘પાવડો’ એટલે કે રચનાત્મક કાર્ય, ‘જેલ ભરો’ એટલે કે અન્યાય પ્રતિકાર અને મતદાન – આ ત્રણ વાનાં દેશના સમાજવાદી આંદોલને એના તારુણ્યમાં દેશજનતા સમક્ષ મૂક્યા હતા. દેશનું સમાજવાદી આંદોલન નેવું વરસે પહોંચ્યું છે ત્યારે જીવંત લોકશાહી સારું રુધિરાભિસરણ અને ચયાપચય પ્રક્રિયા સુનિશ્ચિત કરી આપતો આ ત્રિસૂત્રી નુસખો સ્વીકારાતો થાય તો એથી રૂડું શું. 

સત્તાપક્ષે જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીના મુદ્દે જે મુદ્દો ઉછાળવાની મરોડમાસ્તરીનો રાહ લીધો છે તે મુદ્દો રેડ્ડીને નક્સવાદના સમર્થક ને સંરક્ષક તરીકે ચીતરવાનો છે. આ મરોડમાસ્તરી વાસ્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક સંનિષ્ઠ ન્યાયમૂર્તિની કારકિર્દી ને કામગીરી પર એમ કહીને કૂચડો ફેરવવા જેવું કર્યું છે કે જસ્ટિસ રેડ્ડીએ અમુક ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં નક્સવાદ ખતમ થઈ ગયો હોત. 

વાત સાચી કે જસ્ટિસ રેડ્ડીએ 2011માં ચુકાદો આપ્યો હતો કે સલવા જુડૂમ ગેરકાયદે છે. એને કોઈ બંધારણીય સમર્થન નથી. આ સલવા જુડૂમ એ છત્તીસગઢ ભા.જ.પ. મુખ્ય મંત્રી રમણસિંહે અશિક્ષિત આદિવાસી યુવાનોને શસ્ત્રસજ્જ કરી કથિત નક્સલ તત્ત્વોનો નાશ કરવા માટે ઊભી કરેલી જોગવાઈ હતી. એકબાજુ, જળ, જમીન, જંગલના અધિકારોથી આમ આદમી વંચિત થતો જાય તો બીજી બાજુએથી સરકાર પોતે કરવાની કામગીરી બાબતે આદિવાસી યુવાનોની સશસ્ત્ર ટુકડી મારફતે ધરાર આઉટસોર્સિંગ કરે, એ તો એક અનવસ્થા હતી જ. તે સાથે, નક્સલવાદને નાથવાને નામે સ્થાનિક વસ્તીને માટે રંજાડભરી પરિસ્થિતિ પણ એ હતી. જસ્ટિસ રેડ્ડી અને અન્ય ન્યાયમૂર્તિએ સલવા જુડૂમ જેવી ગેરબંધારણીય વ્યવસ્થાને બહાલ રાખતા નીચલી અદાલતના ચુકાદા સુપ્રીમ સ્તરે અમાન્ય કરાવ્યા હતા. 2011થી આ ચુકાદો પડકારાતો રહ્યો છે, અને હજુ હમણાં મેં 2025માં પણ સુપ્રીમ કોર્ટે તે સતત વળતી સરકારી રજૂઆત છતાં બહાલ રાખેલ છે. છત્તીસગઢની રમણસિંહ સરકારનો રેકર્ડ તો આદિવાસી ભૂખમરા સામે નોંધપાત્ર કામગીરી કરનાર વિનાયક સેન સરખી વિશ્વપ્રતિષ્ઠ પ્રતિભાને પણ નક્સલતરફી લેબલ સાથે ગોંધી રાખવાની છે … કેટલે વરસે નીચલી અદાલતોની ચુડમાંથી સુપ્રીમ સ્તરે પહોંચી એમને જામીન મળી શક્યા હતા તે ઇતિહાસદર્જ છે. 

સત્તાપક્ષ જ્યારે સલવા જુડૂમ ચુકાદાને ઉછાળી રહ્યો છે અને એને નક્સલવાદ વકરાવવાનો યશ આપવા મથી રહેલ છે, ત્યારે કોઈકે તો એને પૂછવું રહે છે કે 2007થી 2025 લગી સતત સર્વોચ્ચ અદાલતે સલવા જુડૂમ ગેરબંધારણીય અને પ્રજાદ્રોહી હોવાનું જે વલણ લીધું છે એ જોતાં તમે સર્વોચ્ચ અદાલતે પણ નક્સલવાદીની સંરક્ષક-સંવર્ધક કહેશો?

ચૂંટણીપરિણામથી નિરપેક્ષપણે પણ જસ્ટિસ રેડ્ડીની ઉમેદવારીએ જે મૂળભૂત મંથનસામગ્રી સંપડાવી છે તે અવશ્ય સ્વાગતાર્હ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2025

Loading

ટોપી ફેરવનારને કઈ રીતે પહોંચવું?

રમેશ સવાણી|Opinion - Opinion|28 August 2025

રમેશ સવાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2025ના રોજ, વિદેશી કારમાં બેસી રોડ શો કર્યા બાદ, અમદાવાદના નિકોલમાં જાહેર સભામાં કહ્યુ હતું : “60થી 65 વર્ષ દેશ પર શાસન કરનારી કાઁગ્રેસ પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો, પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે.” લોકોએ ‘ડબલ’ તાળીઓ પાડી હતી.

પરંતુ પાંચ દિવસ અગાઉ, 20 ઓગસ્ટ  2025ના રોજ મોદીજીએ સ્વદેશી / વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતની હત્યા કરી હતી ! કઈ રીતે? 

મોદીજીએ કપાસની આયાત પરની જકાત જે 11 ટકા હતી તે 30મી સપ્ટેમ્બર 2025 સુધી તત્કાલ અમલમાં આવે તે રીતે સ્થગિત કરી દીધી છે. એનો અર્થ એ છે કે 30 સપ્ટેમ્બર સુધી જે પણ કપાસની આયાત ભારતમાં થશે તે કપાસ પર કેન્દ્ર સરકાર કોઈ વેરો ઉઘરાવશે નહિ. 

આની શું અસર થશે?

[1] કપાસની આયાત વધી જાય. તેમાં પણ અમેરિકન કપાસની આયાત વધુ વધે એમ પણ બને. 

[2] ભારતના કપાસની કિંમત બજારમાં ઘટી જાય કારણ કે બજારમાં કપાસનો પુરવઠો વધી જાય. 

[3] જિનિંગ અને પ્રેસિંગ મિલો ભારતના કપાસને બદલે વિદેશી કપાસ ખરીદે તો પણ ભારતના કપાસની કિંમત ઘટી જાય.

[4] કપાસની કિંમત બજારમાં ઘટી જાય તો ભારતના કપાસ ઉગાડનારા ખેડૂતોને ભારે મોટો ફટકો પડે.  

મોદીજીએ 15 ઓગસ્ટ 2025ના રોજ લાલ કિલ્લા પરથી ઉદ્દઘોષ કર્યો હતો કે “હું અમેરિકા સાથેના વેપારના કરારમાં ભારતના ખેડૂતોનું અહિત થવા નહીં થવા દઉં. ભલે મારે વ્યક્તિગત સહન કરવું પડે !” પાંચ જ દિવસમાં મોદીજીએ ટોપી ફેરવી ! ભારતના કપાસ પેદા કરનારા ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું. મોદીજીને જે વ્યક્તિગત નુકસાન થવાનું હતું તે હવે નહિ થાય ! તેમને વ્યક્તિગત રીતે શું નુકસાન થવાનું હતું તે તો તેઓ જ જાણે! અમેરિકા સાથે હજુ વ્યાપાર સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે જ આવું પગલું ભરવામાં આવ્યું છે તે આશ્ચર્યજનક છે. આયાત પરની જકાત સ્થગિત કરી દેવામાં આવી છે તે માત્ર અમેરિકાના કપાસ માટે જ નથી પણ અન્ય તમામ દેશોમાંથી થતી કપાસની આયાત પર હવે કોઈ વેરો ઉઘરાવવામાં નહિ આવે. એટલે કે અન્ય દેશોમાંથી થતી કપાસની આયાત પણ વધી શકે છે.

ભારત કપાસની જે આયાત કરે છે તેમાં બીજા ક્રમે અમેરિકા છે. ભારતમાં અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈજીપ્તથી કપાસની આયાત થાય છે. 2023-24માં ભારતે 58 કરોડ ડોલરના કપાસની આયાત કરી હતી અને તે 2024-25માં 120 કરોડ ડોલરની થઈ હતી. આમ, 11 ટકા આયાત જકાત લાદવામાં આવતી હતી તેમ છતાં આયાત લગભગ બમણી થઈ ગઈ હતી. તો હવે આયાત પર જકાત છે જ નહિ તો કપાસની આયાત વધશે જ. એટલે આપણે કપાસની જરૂરિયાતની બાબતમાં આત્મનિર્ભર નથી તે વાત ચોક્કસ છે. 

ભારતે કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી તેથી ફાયદો કોને થશે તે સમજવાની જરૂર છે. આયાત જકાત ઘટાડવા માટેની માગણી વસ્ત્રોની નિકાસ કરનારી કંપનીઓ કરતી હતી. તેનું કારણ એ હતું કે ભારતનાં વસ્ત્રોની નિકાસ પર અમેરિકામાં અત્યારે 60 ટકા જેટલી જકાત નાખી દેવામાં આવી છે કે જે એક મહિના પહેલાં 0 થી 5 ટકા હતી અને કેટલાંક કાપડવસ્ત્ર ક્ષેત્રોમાં તે 9.0થી 13.0 ટકા જ હતી. આને પરિણામે વસ્ત્ર ઉત્પાદક કંપનીઓએ જો કપાસ સસ્તો આવે તો જ તેઓ નિકાસ કરી શકે એવી દલીલ કરી અને તેથી મોદીજીએ કપાસ પરની આયાત જકાત શૂન્ય કરી નાખી. એટલે આમાં કપાસ ઉગાડનારા ખેડૂતોની તો ચિંતા કરવામાં આવી જ નથી. સસ્તી આયાતથી કપાસના ભાવ બજારમાં ઘટી જશે તો ખેડૂતોનું કેટલું અહિત થશે તેની ચિંતા કેન્દ્ર સરકારે કરી નથી. જે ફાયદો થશે વસ્ત્રો પેદા કરનારા અને નિકાસ કરનાર મોટી કંપનીઓને થશે. 

નિકાસકારો એમ કહેતા હતા કે અમેરિકામાં જકાત વધી ગઈ એટલે અમેરિકન કંપનીઓએ તેમની આયાતના ઓર્ડર રદ્દ કરી નાખ્યા છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં ભારતનાં વસ્ત્રો પરની આયાત જકાત 60 ટકા જેટલી થઈ છે, પણ બાંગ્લાદેશ અને વિયેતનામના કપાસ પરની જકાત 20 ટકા જ છે અને ચીન પર તે 30 ટકા જ છે. આમ, ભારત વસ્ત્રોની નિકાસમાં આ ત્રણ દેશોની હરીફાઈમાં ટકી શકતું નથી. એટલે વસ્ત્રોની નિકાસ કરનાર કંપનીઓએ એવી દલીલ કરી કે જો તેમને કપાસ સસ્તો મળે તો 60 ટકા જેટલી જકાત હોય તો પણ ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં થઈ શકશે. એટલે ભારત સરકારે કપાસ પરની આયાત જકાત સાવ જ કાઢી નાખી. જો કે, તેનાથી ભારતનાં વસ્ત્રોની નિકાસ અમેરિકામાં કેટલી વધે છે તે તો જોવાનું જ રહ્યું. કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીન પણ કંઈ મોઢું વકાસીને આ જોઈ તો રહે જ નહિ. તેઓ પણ તેમની વસ્ત્રોની નિકાસ વધારવા સબસિડી તેમની કંપનીઓને આપે એમ પણ બને.  

ભારતે અમેરિકાથી 2022માં 49 કરોડ ડોલર, 2023માં 22 કરોડ ડોલર અને 2024માં 21 કરોડ ડોલરની કપાસની આયાત કરી હતી. ભારત અમેરિકાથી જે ખેતપેદાશોની આયાત કરે છે તે આ વર્ષો દરમ્યાન અનુક્રમે 235 કરોડ ડોલર, 204 કરોડ ડોલર અને 238 કરોડ ડોલર હતી. એટલે કે ખેતપેદાશોની અમેરિકાથી થતી કુલ આયાતમાં કપાસની આયાતનો ફાળો લગભગ 10મા ભાગનો જ છે. પણ આયાત જકાત ઘટાડવામાં આવી છે તેનાથી હવે અમેરિકાથી થતી કપાસની આયાત વધી શકે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ધમકીઓ આપવામાં આવેલી તેની અસર ભારતમાં થઈ રહી છે. ટ્રમ્પ દ્વારા ભારત ખેતપેદાશોની આયાત પરની જકાત ઘટાડે એવી માગણી કરવામાં આવેલી અને તેની શરૂઆત મોદીજીએ કપાસની આયાત પરની જકાત દૂર કરીને કરી છે.

અમેરિકા તેના ખેડૂતોને ભારે સબસિડી આપે છે. તેમાં પણ કપાસ પેદા કરનારા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ભારે ચર્ચાનો વિષય રહી છે. 2022માં અમેરિકન સરકાર 44 કરોડ ડોલરની સબસિડી તેના કપાસ પકવતા ખેડૂતોને આપતી હતી કે જે 2021માં 85 કરોડ ડોલર હતી. જો કે, 2000માં એ સબસિડી 250 કરોડ ડોલર જેટલી હતી. આમ, અમેરિકાએ કપાસ પેદા કરતા ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી છે ખરી પણ તે હજુ ભારતની તુલનાએ તો બહુ જ છે. 2024નો આંકડો એમ કહે છે કે અમેરિકન સરકારે ત્યાંના કપાસ પેદા કરનારા ખેડૂતોને 100 કરોડ ડોલરની સબસિડી આપી હતી. અમેરિકામાં માત્ર 16,100 ખેતરોમાં કપાસ પાકે છે અને તેમને આ સબસિડી આપવામાં આવી છે. એટલે કે એક ખેતર દીઠ 62,112 ડોલરની સબસિડી મળી. આ રકમ ભારતના રૂપિયામાં અત્યારે રૂ. 54 લાખ થાય ! 

ભારત સરકાર અને રાજ્ય સરકારો રોકડ રકમ સહિત જે સબસિડી ખેડૂતોને આપે છે તે ખેડૂતદીઠ રૂ. 40,000થી વધુ નથી. તેમાં વીજળી, પાણી, ખાતર અને મશિનરી વગેરે બધાંમાં આપવામાં આવતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સબસિડીનો સમાવેશ થઈ જાય છે. અમેરિકામાં કપાસ પેદા કરનારા ખેડૂતોના ખેતરનું સરેરાશ કદ 73થી 187 એકર છે. જ્યારે ભારતમાં 92 ટકા ખેડૂતો પાસે 5 એકરથી ઓછી જમીન છે. હવે અમેરિકાના ખેડૂત સાથે ભારતના ખેડૂતને હરીફાઈ કરવાનું કહેવામાં આવે છે ! સાચી હરીફાઈ થાય ખરી? આમ, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ પણ માંદો થાય, એવો ઘાટ છે. તેમ છતાં ભારત સરકારે અમેરિકાના કપાસ પરની જે આયાત જકાત દૂર કરી નાખી છે તે આઘાતજનક છે. કપાસના ખેડૂતોની ‘ડબલ’ આત્મહત્યા ન થાય તેની ચિંતા મોદીજીને નહીં થતી હોય?

મોદીજીની એક ખાસિયત એ છે કે તેમની કથની અલગ છે અને કરણી અલગ છે. બોલે કંઈ અને કરે કંઈ ! નિકોલની સભામાં સ્વદેશી / વોકલ ફોર લોકલ / આત્મનિર્ભર ભારતની વાત રાત્રે ભૂલી ગયા અને બીજે દિવસે પહોંચ્યા જાપાની કંપની સુઝુકીના હાંસલપુર પ્લાન્ટમાં BEV-બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ`ઈ-વિટારા’ને પ્રસ્થાન કરાવવા ! મોદીજીએ કહ્યું હતું : “રોકાણ ભલે કોઈ પણ દેશનું હોય, પરંતુ તેમાં પરસેવો ભારતીયનો હોય, તો તે વસ્તુ સ્વદેશી જ છે !”આને કહેવાય કાછડી ખેંચી પાઘડી બાંધવાનું કામ ! 1947 પહેલાં ભારતીયો પરસેવો જ પાડતાં હતા ! ટોપી ફેરવનારને કઈ રીતે પહોંચવું? 

[સૌજન્ય : હેમંતકુમાર શાહ]
27 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved