Opinion Magazine
Number of visits: 9663568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રિધામ યાત્રા? ના. જય ભીમ, જય જગત અને સત્ય એ જ ઇશ્વર

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 January 2026

નાતાલના દિવસોમાં ત્રણ મહામાનવોના જીવનને તેમની સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લઈને વધુ સમજવાનો પ્રયાસ કર્યો :

આંબેડકર :

નાગપુરમાં ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ભીમરાવ આંબેડકરે જે સ્થળે ૧૫મી ઓક્ટોબર-૧૯૫૬ના રોજ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી તે દીક્ષા ભૂમિ તરીકે ઓળખાતા સ્થળની ચારેક દાયકા પછી બીજી વાર મુલાકાત લીધી. ત્યાંના ટ્રસ્ટ દ્વારા આંબેડકરના જીવનનું અલપઝલપ પ્રદર્શન મૂકાયું છે તે જોયું. આંબેડકરના આખા જીવનને દર્શાવતું પ્રદર્શન ત્યાં નથી. હોવું જોઈએ એમ લાગ્યું. 

‘જય ભીમ’ નારો આજકાલ સંઘર્ષનું પ્રતીક બન્યો છે એના કરતાં આંબેડકરની ભક્તિનું પ્રતીક વધારે બની ગયેલો લાગે છે. આંબેડકરે તો ન્યાય માટે સંઘર્ષ કરવાનું શીખવ્યું હતું, ભક્તિ કરવાનું નહીં. તેમણે પોતે બંધારણ સભામાં તા.૨૫-૧૧-૧૯૪૯ના રોજ છેલ્લું ભાષણ આપતાં કહ્યું હતું કે, “ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.” આ માણસની ભારત વિશેની દીર્ઘદૃષ્ટિ તો જુઓ! આજના અંધ રાજકીય ભક્તિયુગને કેવી રીતે જોવો જોઈએ? 

હિંદુ ધર્મની મહાનતાની જ્યાંથી છડી પોકારવામાં આવે છે અને હિન્દુ રાષ્ટ્રનું નગારું જ્યાંથી વગાડવામાં આવે છે એ જ નાગપુરમાં આંબેડકરે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો એનું જોરદાર પ્રતીકાત્મક મહત્ત્વ તો છે જ અને એમાં કોઈ પણ જાતના અન્યાયને ધર્મને નામે સાંખી નહીં લેવાની પ્રતિબદ્ધતા છે. 

દીક્ષા ભૂમિના દર્શને સેંકડો લોકો આવે છે એ જોઈને ખરેખર આનંદ થયો. 

વિનોબા ભાવે :

૧૯૭૭ અને ૧૯૭૮ એમ બે વર્ષ વિનોબા ભાવેને નાગપુરથી નજીક વર્ધા પાસે આવેલા તેમના બ્રહ્મ વિદ્યા મંદિર આશ્રમ ખાતે જોવાનો અને સાંભળવાનો મોકો મળેલો એ યાદ આવી ગયું, કે જ્યારે ફરી વાર એની મુલાકાત લીધી. આ હતો પ્રવાસનો બીજો પડાવ. ત્રીજી વખત આવ્યો અહીં.

મહાન વિદ્વાન ભાષ્યકાર અને ૧૯૪૧ના અંગ્રેજ શાસન સામેના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી એવા વિનોબા ભાવેએ જગતના ઇતિહાસનું એક અભૂતપૂર્વ આંદોલન ચલાવ્યું હતું : ભૂદાન આંદોલન. તેમાં ૧૯૫૦ના દાયકામાં દેશના ધનવાન ખેડૂતોએ ગરીબ ખેતમજૂરોને પોતાની ૫૦ લાખ એકર જમીન દાનમાં આપેલી અને હજારો ગરીબો જમીનના માલિકો બનેલા. આવી અહિંસક ક્રાંતિ જગતના ઇતિહાસમાં, તેની અનેક મર્યાદાઓ છતાં, થઈ હોવાનું જાણમાં નથી. 

જગતના ધર્મો ધનવાનોને દાન આપવાનું કહે છે, પોતાની મિલકતનો ત્યાગ કરવાનું નહીં; અથવા કહે છે તો લોકો એ શીખતા પણ નથી. સાવ દૂબળાપાતળા વિનોબામાં ધનવાનો પાસે પોતાની મિલકતનો ગરીબો માટે સ્વેચ્છાએ ત્યાગ કરાવવાની એ તાકાત હતી કે જે દુનિયાના કોઈ નેતા કે ભગવાન કે દેવદૂત કે સંદેશવાહક પાસે પણ નહોતી. 

સંત તરીકે ઓળખાતા વિનોબા ભાવેના આશ્રમમાં હજારો લોકો મુલાકાતે આવે છે એ સાંભળીને આશ્ચર્ય પણ થયું. વિશ્વ માનવ હતા તેઓ. એટલે તેઓ *જય હિંદ* નારાથી આગળ વધેલા અને *જય જગત* નારો આપેલો. વિનોબાએ એ રીતે ધર્મની, નાતજાતની, ચર્મરંગની અને ભૂગોળની સરહદોને પાર જઈને જીવવાનું માનવજાતને શીખવ્યું હતું. 

મહાત્મા ગાંધી :

“કાગડાકૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું.” – એમ કહીને મહાત્મા ગાંધી અમદાવાદનો સાબરમતી આશ્રમ ૧૯૩૦માં દાંડી કૂચ કરીને છોડી ગયેલા. એ પછી એમણે નાગપુરની નજીક વર્ધા પાસે સેવાગ્રામ આશ્રમની સ્થાપના ૧૯૩૬માં કરેલી. પ્રવાસનો એ ત્રીજો પડાવ. ચોથી વખત આવ્યો અહીં. 

સાબરમતી આશ્રમના હૃદયકુંજ કરતાં પણ વધારે સાદગીયુક્ત લાગે આ આશ્રમ. એમ થાય કે આવો મહાન માણસ આવી ઝૂંપડીમાં રહેતો હતો! આશ્રમની સૌ પ્રથમ ઝૂંપડી એટલે આદિ નિવાસ. સો રૂપિયાથી વધુ ખર્ચ ન જ થવું જોઈએ એ બાંધવામાં એવી એમણે સૂચના આપેલી! એ ઝૂંપડામાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સહિતના કેટકેટલા મહાન નેતાઓ આવતા હતા! 

અંગ્રેજ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે જેને ૧૯૩૧માં “અર્ધનગ્ન ફકીર” કહેલો તે આ મહાત્માના આશ્રમમાં સેંકડો લોકો આવે છે. ત્યાં મોહનદાસ રક્તપિત્તથી પીડાતા સંસ્કૃતના વિદ્વાન પરચૂરે શાસ્ત્રીની સેવા કરતા હતા આ આશ્રમની એક અલાયદી કુટિરમાં. એ ભયંકર ચેપી રોગથી પણ ડર્યા વગર જે સેવા કરતા હતા તે જ એમ બતાવે છે કે મોતનો ડર તેમણે ખંખેરી નાખ્યો હતો. જે રક્તપિત્તથી ન ડરે એ અંગેજોથી કેવી રીતે ડરે? 

આ મહાત્માએ એક વાત શીખવી અને તે એ કે ઈશ્વર સત્ય છે એમ નહીં કહેવાનું પણ સત્ય ઇશ્વર છે એમ કહો તો બધા ધર્મો વચ્ચેના ઝઘડા પતી જાય! અસત્ય જેમનો નિષ્ઠાપૂર્વકનો આધાર છે તેવા ગોડસેવાદીઓ અને સાવરકરવાદીઓને આ ન સમજાય એ સ્વાભાવિક છે. 

શું આ ત્રિધામ જાત્રા હતી? ના, ભક્તિ સહેજે નહીં. આ તો એ ત્રણેય મહામાનવોની અન્યાય સામે પ્રતિકાર કરવાનું શીખવતી જીવનયાત્રા વિષેની સમજણ વધારવાનો પ્રવાસી પ્રયાસ હતો. 

૨૦૨૬ મુબારક હો!

તા.૦૧-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—321 

દીપક મહેતા|Opinion - Opinion|31 December 2025

ચાલો, આજે જઈએ જોવા મુંબઈનાં કેટલાંક ઐતિહાસિક ચર્ચ            

આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!

આપ જ આવા તો જોયા!

મેં તો માનેલું, કે ખોયા, પિતા પ્રભુ!

આપ જ આવા તો જોયા!

દુર્બલ, દીન, નિરાશ, વળેલો,

દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!

આપ જ આવા તો જોયા. 

આપણા એક બહુ મોટા ગજાના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ. ઝટ્ટ ન ઓળખ્યાને! પણ કવિ કાન્ત કહીએ તો આજે પણ ઘણા તરત કહે : ‘અરે! પેલા ‘સાગર અને શશી’ કાવ્યવાળા ને! તો કોઈ કહેશે ‘વસંત વિજય’ અને ‘ચક્રવાક મિથુન’ જેવાં અમર ખંડકાવ્યો લખેલાં તે જ કવિ ને! હા એ જ. અને તેમણે આખા ગુજરાતમાં ચકચાર જગાવેલી, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને. તે પછી તેમણે ખ્રિસ્તી ધર્મભાવનાનાં જે થોડાં કાવ્યો-ગીતો લખ્યાં તેમાંનું જ આ એક : આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!

કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થના ગીતમાં કરી છે તે ઈશુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ, કહેતાં ક્રિસમસ. તે દિનથી માંડીને નવા વરસના પહેલા દહાડા સુધીના દિવસો એટલે જૂનાના ગમન, અને નવાના આગમનના દિવસો. પોતાની આગવી ભાષા-શૈલીથી ગુજરાતી ભાષાને રળિયાત કરનાર સ્વામી આનંદ આ પર્વ વિષે ‘ઈશુ ભાગવત’ પુસ્તકમાં કહે છે : “લાખુંલાખ વશવાસીયુંના તારણહારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વરસો વરસ આ પરબ ઉજવે. દેવળુંના ઘંટ વાગે, ભજનભગતી થાય, નાનાં છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાનાં ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને ખમાવે. છોકરાંવને સાટું તો આ નાતાળ કેટલાં ય વરસથી મોટો ભાભો થઈ ગ્યો છે. ઈશુ ભગતને ગભરુડાં બાળ બહુ વા’લાં હતાં. અટલેં આ નાતાળ ભાભો ભગતના જલમદંનની આગલી રાતેં ટાઢવેળાનો રૂ-રજાઈની ડગલી પેરીને ને ગોદડિયું વીંટીને વન વગડાનાં હરણિયાં જોડેલ ગાડીમાં વરસોવરસ નીકળી પડે. ગાડીમાં ગોળધાણા, સાકરટોપરાં, કાજુદરાખ ને સક્કરપારાની કોથળિયું ને મઠાઇયુંનાં પડા ખડક્યા હોય. પછેં ગામેગામનાં છોકરાંવ ઊંઘતાં હોય તી ટાણે મધરાતેં ઘરે ઘરે જઈને કોઢારાની ગમાણ્યુંમાં, ચૂલાની આગોઠ્યમાં, ભીંતનાં ગોખલામાં કે નેવાને ખપેડે, એવાં એ ઘરેઘરનાં ભૂલકાંભટુડાં સંધાવેં વાટકી, નળિયું, કોરું કોડિયું, જી કાંય મેલી રાખ્યું હોય તીમાં કાંય ને કાંય ઓલ્યાં પડીકા ને કોથળિયુંમાંથી કાઢીકાઢીને ભાભો સારાં શકનનું મેલી જાય! એકોએક છોકરાંવ જી વશવાસ રાખે તી સંધાયને સવારને પો’ર ઈ જડે. ચોકિયાત થઈને પારખાં લેવા સાટુ જાગરણ કરે ને બેશી રે, તીને ના જડે. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. ભાભો એવાં ચબાવલાં છોકરાંવનું ઘર તરીને હાલે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) હા. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. દેવુંનાં તો દર્શન કરાય, પૂજા-અર્ચન કરાય. અત્યારે આપણી આ મુંબઈ નગરીમાં એક બાજુથી શિયાળાની શીત લહરો પ્રસરી છે, તો બીજી બાજુ જુદી જુદી ચર્ચમાંથી ઊઠતી પ્રભુ પ્રાર્થનાઓની સુરાવલીની ઉષ્મા ફેલાઈ રહી છે. અને ક્રિસમસથી નવા વરસ સુધીના દિવસો એટલે ભગવાન ઈશુને ભજવાના દિવસો. 

પણ આ ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યાંથી? ક્યારથી? સાધારણ રીતે ઘણાં માને છે કે અંગ્રેજો આવ્યા અને સાથે ખ્રિસ્તી ધર્મ લાવ્યા. પણ ના. આ ધર્મ તો ઘણો વહેલો અહીં આવી ગયો હતો. કોસ્માસ ઇન્ડિકોપ્લેસ્ટસ નામનો એક ગ્રીક વેપારી. વેપાર માટે રાતો સમુદ્ર અને હિન્દી મહાસાગર ખૂંદી વળેલો. દેશ દેશનાં પાણી પીધેલાં. પરિણામે જે અનુભવો થયા, જે જાણકારી મળી તેને આધારે લખ્યું સચિત્ર પુસ્તક ‘ક્રિશ્ચિયન ટોપોગ્રાફી’. આ પુસ્તક લખાયું ઈ.સ. ૫૫૦ની આસપાસ. હિન્દુસ્તાનની મુસાફરી દરમિયાન એ મુસાફરે પશ્ચિમ કાંઠાનાં ઘણાં બંદરની મુલાકાત લીધેલી. એ વખતે થાણા, કલ્યાણ, સોપારા, રેવ દાંડા વગેરે મોટાં બંદર. દેશી-પરદેશી વહાણો વિદેશ સુધી આવન-જાવન કરે. આ પ્રવાસીએ તેના પુસ્તકમાં લખ્યું છે કે કલ્યાણ બંદરે તેણે ખ્રિસ્તીઓની વસાહત જોઈ હતી અને તેમના બિશપની નિમણૂક પર્શિયાથી થતી હતી. એટલે કે છેક છઠ્ઠી સદીમાં પણ મુંબઈ નજીક ખ્રિસ્તીઓની વસતી હતી. એ પછી બીજો ઉલ્લેખ મળે છે ઈ.સ. ૧૩૨૧માં. ફ્રેંચ પાદરી જોર્ડાનસ ઓફ સેવેરાક નોંધે છે કે એ વખતે થાણામાં ૧૫ ખ્રિસ્તી કુટુંબો વસતાં હતાં. તે પોતે સોપારા(મૂળ નામ શૂર્પારક, આજનું નામ નાલાસોપારા)ની ખ્રિસ્તી વસાહતમાં રહી ધર્મપ્રચાર કરતા હતા. 

રેવ દાંડા ચર્ચ – અસલ નહિ, આજનું

૧૫૩૪માં પોર્ટુગીઝોએ વસઈ, સાલસેટ, થાણા અને મુંબઈ પર કબજો જમાવ્યો. તેમનાં વહાણોમાં સૈનિકોની સાથોસાથ પાદરીઓ પણ હતા. આ પાદરીઓ આસપાસના મુલકમાં પથરાઈ ગયા અને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચારનું કામ શરૂ કર્યું. તેમણે હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા પરનું સૌથી પહેલું પોર્ટુગીઝ ચર્ચ ચૌલ રેવ ડાંડા ખાતે ઊભું કર્યું. આ ચૌલ આવેલું આજના અલીબાગ નજીક. તેના કિલ્લાના અવશેષો માંડ બચ્યા છે. અસલ ચર્ચનું તો નામોનિશાન જોવા મળતું નથી. પણ એક નાનકડા ઝૂંપડા જેવા મકાન પર મરાઠીમાં લખેલું બોર્ડ ઝૂલે છે: माय-द-देऊस, चर्च रेवदंडा.

બોરીવલીનું ચર્ચ – અંદરથી

રેવદંડાથી સીધા જઈએ બોરીવલી. એક જમાનામાં અહીં બહુ મોટા પ્રમાણમાં બોરડીનાં ઝાડ હતાં. એટલે નામ પડ્યું બોરીવલી, એમ મનાય છે. ૧૫મી સદિથી ૧૭મી સદી સુધીમાં મરાઠીમાં લખાયેલ ગ્રંથ ‘મહિકાવતીચી બખર’માં बोरीवळी, बोरीयली ग्राम નામ જોવા મળે છે. એક જમાનામાં અહીં આદિવાસીઓ અને ઈસ્ટઇન્ડિયનોની મુખ્ય વસ્તી. આ બોરીવલીમાં છેક ૧૫૪૭માં Our Lady of Immaculate Conception Churuchની સ્થાપના થઈ હતી. આ ચર્ચ જ્યાં આવેલી છે તે માઉન્ટ પોઈસર એ વખતે આ આખા પ્રદેશનું મધ્યબિંદુ હતું. જો કે ૧૭૩૯થી આ ચર્ચની પડતી દશા થઈ હતી. આ વિસ્તાર પર મરાઠાઓએ ચડાઈ કરી ત્યારે તેમણે આ ચર્ચને જમીનદોસ્ત કરી નાખ્યું હતું. પછીનાં ૧૫૦ વરસ તે માત્ર ખંડિયેર બની રહ્યું હતું. ૧૮૮૮માં મૂળ ચર્ચના ખંડિયરો જેમનાં તેમ રાખીને તેની બાજુમાં ચર્ચનું નવું મકાન બાંધવામાં આવ્યું હતું. ફરી ૧૯૧૨ પછી તે મુંબઈનાં પરાંઓનું એક મહત્ત્વનું ચર્ચ બની રહ્યું છે. 

વાંદરાનું ચર્ચ – અસલ અને આજે

મુંબઈના જૂનામાં જૂના ચર્ચમાં જેની ગણના થાય છે એવું એક ચર્ચ તે વાન્દરે(વાંદરા)માં દરિયા કિનારે આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ. ૧૫૩૪માં વાંદરા પોર્ટુગીઝોના તાબામાં આવ્યું. ૧૫૬૮માં તેમણે તે પોર્ટુગીઝ પાદરીઓ(જેસુઈટ)ને સોંપ્યું. ૧૫૭૫ સુધીમાં એક ભવ્ય ચર્ચનું બાંધકામ શરૂ થઈ ગયું. એ જમાનામાં આ ચર્ચ બાંધવાનો અધધ ખરચ થયો હતો રૂપિયા ૪૫,૩૫૪. અને એ બધા પૈસા આપ્યા હતા એક અનામી શ્રદ્ધાળુ સ્ત્રીએ. બંધાયા પછી ઘણા વખત સુધી આ ચર્ચની ગણના મુંબઈના સૌથી મોટા અને ભવ્ય ચર્ચ તરીકે થતી હતી. 

દાદર પોર્ટુગીઝ ચર્ચ – નવો અવતાર 

મુંબઈનાં બીજાં બધાં ચર્ચ કરતાં બાહ્ય દેખાવમાં તદ્દન નોખું તરી આવે એવું એક ચર્ચ તે દાદરનું પોર્ટુગીઝ ચર્ચ. હાલની ઈમારતની ડિઝાઈન બનાવી હતી વિશ્વવિખ્યાત સ્થપતિ ચાર્લ્સ કોરિયાએ. ચર્ચની ઈમારતનાં મૂળભૂત તત્ત્વોને જાળવીને તેમણે આખા પરિસરને એકદમ મોર્ડન લૂક આપ્યો છે. આ નવી ઈમારત બાંધવાનું કામ ૧૯૭૪માં શરૂ થયું અને ૧૯૭૭માં પૂરું થયું. પણ આજની આ ઈમારત પાછળ ૪૦૦ કરતાં વધુ વરસોનો ઇતિહાસ રહેલો છે. એનું નામ ચર્ચ ઓફ અવાર લેડી ઓફ સાલવેશન. સ્થાપના થયેલી છેક ૧૫૯૬માં. પોર્ટુગીઝ ફ્રાનસિસકન સંપ્રદાયે બાંધેલું. જો કે કેટલાકને મતે તેની સ્થાપના ૧૫૧૨માં થયેલી, અને એટલે એ મુંબઈનું સૌથી જૂનું ચર્ચ છે. 

હવે જઈએ કોલ્હે કલ્યાણ. મરાઠીમાં કોલ્હે એટલે શિયાળ. તેમની અહીં હતી ઝાઝી વસતી. ચોમાસામાં મીઠી નદી બેઉ કાંઠે ઊભરાતી હોય ત્યારે એમાં મગર પણ તણાઈ આવે. જે થોડાઘણા લોકો અહીં વસતા તે કાં ખેતી કરે, કાં માછીમારી. ઈ.સ. ૧૬૦૦ પછી એ જ મીઠી નદીમાં મછવાઓમાં બેસીને પોર્ટુગાલી પાદરીઓ અહીં આવ્યા. તેમણે અસલ નામ બદલીને નવું નામ રાખ્યું કાલીના. ફાધર માનોએલ દ મેથિયાસે ૧૬૦૬માં અહીં ‘ચર્ચ ઓફ અવર લેડી ઓફ ઈજિપ્ત’ની સ્થાપના કરી. ૧૮૮૨ના બોમ્બે ગેઝેટીઅરમાં જણાવ્યું છે કે આ ચર્ચનું મકાન ૯૧ ફૂટ લાંબું, ૪૦ ફૂટ પહોળું, અને ૨૯ ફૂટ ઊંચું હતું. જો કે પછીથી વખતોવખત અસલ ઈમારતમાં ફેરફાર થતા રહ્યા છે. 

આજે એ સ્ટેશનની એકાદ ઈંટ પણ જોવા મળતી નથી, પણ એક જમાનામાં અંધેરીથી ટ્રોમ્બે જતી જી.આઈ.પી. રેલવેની સાલસેટ ટ્રોમ્બે રેલવે લાઈન પર કાલીના સ્ટેશન આવેલું હતું. જો કે આ લાઈન માત્ર છ વરસ જ ચાલી હતી. ૧૯૨૮માં તે શરૂ થઈ અને ૧૯૩૪માં બંધ થઈ. કારણ? સાંતાક્રુઝ એરપોર્ટ બાંધવા માટે એ જગ્યાની જરૂર હતી. પણ એ ટ્રેન ચાલુ હતી ત્યારે નવેમ્બરની શરૂઆતથી જાન્યુઆરીના અંત સુધી અંધેરી-સાંતાક્રુઝના પારસી જમીનદારો અને બીજા કેટલાક શેઠિયાઓ એ ટ્રેનમાં બેસીને શિયાળનો શિકાર કરવા કોલ્હે કલ્યાણ જતા. વહેલી સવારથી સવારના સાડા આઠ સુધી શિયાળનો શિકાર કરીને એ જ ટ્રેનમાં ઘરે પાછા આવતા. 

મલબાર હિલ પરનું ચર્ચ

મુંબઈના ગવર્નર મલબાર હિલ રહેવા ગયા તે પછી બીજા પણ ઘણા અંગ્રેજ અમલદારો ત્યાં રહેતા થયા. એ વખતનું મલબાર હિલ એટલે અસ્સલ હિલ સ્ટેશન જોઈ લો. ચડતા-ઊતરતા ઢોળાવો ઉપર વાંકીચૂંકી કેડી જેવા રસ્તા. આજુબાજુ પુષ્કળ ખુલ્લી જગ્યાવાળા બંગલા. નોકર-ચાકરનું સુખ. પણ એક વાતનું મોટું દુ:ખ. ગોરા રહેવાસીઓએ રવિવારે પ્રાર્થના કરવા આઠ કિલો મીટર દૂર આવેલ એલ્ફિન્સ્ટન સર્કલ પાસેના સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી જવું-આવવું પડે! ૧૮૮૦થી ૧૮૮૫ સુધી મુંબઈના ગવર્નર હતા સર જેમ્સ ફર્ગ્યુંસન (૧૮૩૨-૧૯૦૭). તેમણે અને તેમનાં પત્ની લેડીસાહેબાએ નક્કી કર્યું કે મલબાર હિલ પર જ એક ચર્ચ બાંધવું જોઈએ. રોયલ એન્જિનિયર્સના મેજર મન્ટને સોંપી જવાબદારી. લિટલ ગીબ્સ રોડ પર ૧૮૮૧માં ઓલ સેન્ટ્સ ચર્ચનું બાંધકામ શરૂ થયું. લેડી ફર્ગ્યુસનને હાથે પાયાનો પથ્થર મૂકાયો. અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૧૬મી મેથી તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકાયું. કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની એકમાત્ર દીકરી દીના ઝીણાએ આ જ ચર્ચમાં ૧૯૩૮ના નવેમ્બરની ૧૬મી તારીખે નેવિલ વાડિયા સાથે લગ્ન કર્યાં હતાં. અને એક જમાનાની જાણીતી અભિનેત્રી પરવીન બાબીએ ૧૯૯૭ના જૂનની ૨૧મીએ આ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.

આજની વાતની શરૂઆત આપણે કવિ ‘કાન્ત’ના એક કાવ્યની થોડી પંક્તિઓથી કરી હતી. અંતે પણ તેમના બીજા એક કાવ્યની પંક્તિઓ ગણગણીએ :

ઊંચાં પાણી મને આ સતાવે પિતા!

પ્રભુ તારક! સત્વર ઉધ્ધારી લ્યો!

મારાં પાપ તણો અરે પાર નથી:

મારા અંતરમાં કશો સાર નથી:

ભાવસાગરે અન્ય આધાર નથી:

પ્રભુ તારક! સત્ત્વર ઉધ્ધારી લ્યો!

ચાલો, આવજો ૨૦૨૫. ફરી મળીશું ૨૦૨૬ના પહેલા શનિવારે.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 ડિસેમ્બર 2025

Loading

ઓછું ભણેલા લોકો શાસન કરી શકે નહિ એવો કોઈ નિયમ નથી, પણ ભણેલા શાસકોએ ઉત્તમ શાસન પૂરું પાડ્યાના અનેક દૃષ્ટાંતો મોજૂદ છે!

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|31 December 2025

હિતેશ રાઠોડ

છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં અલ્પશિક્ષિત લોકોના સત્તા પર આવવા વિશે મોઢા એટલી વાતો થઈ રહી છે. સૌ પોતપોતાનો મત રજૂ કરી રહ્યા છે. કોઈના મતે, ઓછું ભણેલા લોકો દેશનો વહીવટ ચલાવવા સક્ષમ નથી હોતા, ઓછું ભણેલા લોકોના હાથમાં સત્તા એટલે વાંદરાના હાથમાં નિસરણી, ઓછું ભણેલા શાસકને લોક-સમસ્યા અને તેના ઉકેલ વિશે વિશદ જાણકારી હોતી નથી, તો કોઈ વળી એમ પણ કહે છે કે શાસન ચલાવવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી, ઓછું ભણેલા લોકો પણ સારુ શાસન આપી શકતા હોય છે. 

મેટ્રિકથી લઈ ડૉક્ટરેટ ડિગ્રી સુધી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા શાસકો ભારત દેશને મળ્યા છે, અને એ બધા શાસકોએ પોતાનાં શિક્ષણ, સમજણ, સૂઝ, કૌશલ, કૌવત, આવડત, અનુભવ, કાબેલિયત, ચતુરાઈ અને કોઠાસૂઝથી દેશનો વહીવટ ચલાવી બતાવ્યો છે, કોઈકનાં અસાધારણ કાર્યો આજે પણ યાદ કરવામાં આવે છે તો કોઈકને વળી તેમની અસાધારણ કાર્યશૈલીથી યાદ કરવામાં આવે છે, તો કોઈક વળી તેઓના કેટલાક અણઆવડત ભરેલા નિર્ણયોથી ચર્ચામાં રહ્યા છે. 

એ વાત સાચી છે કે શાસન ચલાવવા માટે શાસકમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય શરત નથી. શાસન ચલાવવા માટે હૈયે હામ, દિલમાં કોઈના માટે કંઈક કરવાની કસક અને હૈયાઉકલત હોય તો શાસકમાં શૈક્ષણિક લાયકાત છે કે નહિ એ બાબત ગૌણ બની જાય છે. લોકપ્રશ્નો અને સામાજિક સમસ્યાઓ અને તેના વ્યવહારુ ઉકેલ વિશે પાયાની જાણકારી, થોડી કોઠાસૂઝ અને બીજાઓ પાસેથી કામ લેવાનું કૌવત જો શાસકમાં હોય તો ભયોભયો. આ ત્રણ ગુણો વડે પણ તે દેશનો વહીવટ સુચારુ રીતે ચલાવી શકે છે. સ્વતંત્ર ભારતમાં અને એ પહેલાના રાજાશાહી કાળમાં પણ ઓછું ભણેલા કે અભણ શાસકોએ સુ-શાસન આપ્યાના દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. અલબત્ત શાસક જો શિક્ષિત હોય તો એની અસરકારકતા ક્યાંકને ક્યાંક એના વહીવટમાં વર્તાયા વિના રહેતી નથી. રાજાશાહીમાં પણ અનેક શિક્ષિત રાજવીઓના લોકકલ્યાણ અર્થેનાં કામો શિક્ષણની સાથોસાથ તેમનામાં આમજનતા પ્રત્યેની સંવેદનશીલતા, સૂઝ, ડહાપણ, દૂરંદેશીતા અને કાબેલિયતના દર્શન કરાવે છે, પછી એ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા સ્ટેટ હોય, સર ભગવતસિંહજીનું ગોંડલ સ્ટેટ હોય, જામ સાહેબનું જામનગર સ્ટેટ હોય, સર કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર સ્ટેટ હોય, મહારાજા સર વાઘજી ઠાકોરનું મોરબી સ્ટેટ હોય, કે મહારાજા અમરસિંહજીનું વાંકાનેર સ્ટેટ હોય, આ બધા સ્ટેટ પોતપોતાની રીતે ભવ્ય અને આગવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. 

અમુક રાજવીઓ એશોઆરામી હોવા છતાં મહદઅંશે એમનો વહીવટ લોકાભિમુખ હતો. લોકોના પૈસે એશ કરતા તો એ સામે લોકોને કંઈક આપવું જોઈએ એવા મત ધરાવતા હતા. પ્રજાને રંજાડનાર તત્ત્વોને તેઓ કદિ બક્ષતા નહોતા. રાજ્યની આમ જનતા પ્રત્યે તેમને ખાસ પ્રકારનો લગાવ રહેતો. અડધી રાતે પણ રાજા સમક્ષ ફરિયાદ કરવાની છૂટ હતી. રાજા પણ પ્રજાની રાવ ધ્યાનથી સાંભળતા અને પ્રજાનો અભિપ્રાય લઈ તેનો ઉકેલ આપતા. 

આ બધાં રાજ્યોના રાજાઓએ એ જમાનામાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, અને એમના શિક્ષણની સીધી અસર એમના રાજ્યના વહીવટમાં સ્પષ્ટ ઝલકતી હતી. શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, વીજળી, પાણી, કરવેરા જેવી લોકોને સીધી રીતે સ્પર્શતી બાબતોમાં આ રાજ્યોની કામગીરી ઉડીને આંખે વળગે એવી હતી. આ રાજ્યો લોકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવામાં અગ્રેસર હતા, ખાસ કરીને મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોને શિક્ષણ આપવું એ તેમની પ્રાથમિકતા હતી. આ દર્શાવે છે કે શિક્ષિત રાજવીઓ શિક્ષણને વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું પરિબળ માનતા હતા. શિક્ષણ ઉપરાંત લોકોને નજીકમાં, મફત અને સમયસર આરોગ્ય સુવિધાઓ મળી રહે એવી સુચારુ આરોગ્ય વ્યવસ્થા તેમ જ આમ જનતા પર કરવેરાનું વધુ ભારણ ન આવે એવી કર વ્યવસ્થા ગોઠવી હતી.

શાસકની શૈક્ષણિક યોગ્યતા રાજ્ય વહીવટ કરવા માટે અનિવાર્ય શરત ભલે ન હોય પણ જો શાસક સુશિક્ષિત હોય તો રાજ્યને અને રાજ્યની પ્રજાને એનાથી કેટલો મોટો ફાયદો થાય છે એના જીવંત ઉદાહરણો આપણા આ રજવાડાઓ છે. ગોંડલ, વડોદરા, ભાવનગર, જામનગર, મોરબી વગેરે જેવા રાજ્યોનો દૃષ્ટાંતરૂપ વહીવટ અને ઉડીને આંખે વળગે એવો અને લોકહિત માટેના તેમનાં કાર્યો ઉત્તમ શાસનના નમૂનારૂપ છે. 

ગોંડલના રાજા ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજા કહેવાતા હતા. રાજ્યની સામાન્ય પ્રજા માટેની એમની લાગણી એમના પોતાના સંતાનો કરતાં પણ વિશેષ હતી. પ્રજાની નાની નાની મુશ્કેલીઓનું પણ રાજા ધ્યાન રાખતા હતા. સામાન્ય પ્રજાને ખોટી રીતે રંજાડનાર તેમની ખુદની પ્રજા હોય તો પણ તેઓ તેમને માફી આપવાના મતના નહોતા. એ માટે એમને જે કોઈ કાયદાકીય સજા થતી હોય એ આપવામાં તેઓ પાછી પાની કરતા ન હતા. રાજા ભગવતસિંહજીની પ્રજાવત્સલતા કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો, પહેલાના સમયમાં ગોંડલ રાજ્ય હેઠળ આવતા ગામોમાં દર દોઢ બે માઈલને અંતરે બંધાવેલા થાકલા એ ગોંડલ રાજવી સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનનો એક નાનકડો નમૂનો છે. 

ગોંડલ નરેશ સર ભગવતસિંહજી મહારાજ એક વાર ઘોડા પર સવાર થઈ બહારગામ જઈ રહ્યા હતા. ભગવતસિંહજી એકલા જ જઈ રહ્યા હતા અને પહેરવેશ પણ સામાન્ય માણસ જેવો હતો એટલે કોઈને ખબર ના પડે કે આ ગોંડલ નરેશ છે. રસ્તામાં તેમણે એક ગ્રામીણ સ્ત્રીને નીરણનો ભારો નીચે રાખી વિસામો ખાતી બેઠેલી જોઈ. ઘોડેસવારને આવતા દીઠો એટલે એ સ્ત્રી હાથ ઊંચો કરી ઘોડેસવાર મહારાજાને ઊભા રાખ્યા. ભગવતસિંહજીએ ઘોડાને રોક્યો અને પુછ્યું, “બહેન, શું કામ છે”, સ્ત્રીએ કહ્યુ,”ભાઈ, આ નીરણનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને” મહારાજા ભગવતસિંહજીએ ઘોડા પરથી નીચે ઉતરી સામાન્ય માણસની જેમ નીરણનો ભારો સ્ત્રીના માથા પર ચડાવ્યો. જતા જતા સ્ત્રીએ કહ્યું, ”આપણા ભગાબાપુ જો થાકલા બનાવી આપે તો ભારો ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાની ઓળખ આપ્યા વિના પુછ્યું, ”આ થાકલા એટલે શું” ગામડાની એ સ્ત્રી બોલી, “માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકી તેના પર બાંધકામ કરી જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર મૂકી થોડી વાર વિશ્રામ લઈ શકે અને વિશ્રામ કરી લે પછી એ ભારો માથા પર ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ભારાને સીધો પોતાના માથા પર ચડાવી શકે.” માથે ભારો ચડાવી ભગવતસિંહજી વિદાય થયા. ભગવતસિંહજી પોતાનું કામ પતાવી ગોંડલ પરત ફર્યા એ પછી તરત જ રાજ્યના મુખ્ય ઈજનેરને મળવા બોલાવ્યો. ભગવતસિંહજીએ થાકલા બનાવવા વિશે વાત કહી ઈજનેરને સૂચના આપી કે રાજ્યના ગામોગામ રસ્તા પર દોઢેક માઈલના અંતરે આવા થાકલા ઊભા કરી દો જેથી મારા રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ન જોવી પડે અને કોઈના ઓસિયાળા થવું ના પડે. આ થાકલાનો ઉપયોગ માઈલ સ્ટોન તરીકે પણ કરો જેથી વટેમાર્ગુને ખબર પડે કે નજીકમાં આવેલ ગામ કેટલું દૂર છે.

આમ જનતાની મુશ્કેલીને દૂર કરવા એમના સૂચન પર શીઘ્ર અમલ એ સર ભગવતસિંહજીની સામાન્ય પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રજાવત્સલ વહીવટનો ઉત્તમ નમૂનો છે.

ગોંડલ રાજ્યના રસ્તા બાબતે બિલખાના મહારાજાએ નોંધ્યું હતું કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એ જોવા હાથમાં નકશો રાખવાની જરૂર નથી. ગોંડલ રાજ્યના રસ્તા એટલા સમથળ હતા કે તમે ઘોડાગાડીમાં બેઠા હોવ અને રોદા આવવાનું બંધ થઈ જાય તો સમજી લેવાનું ગોંડલની હદ શરૂ થઈ ગઈ છે અને ફરી રોદા આવવાનું શરૂ થાય કે સમજવાનું કે ગોંડલની હદ પૂરી થઈ છે.’ 

શિક્ષણ અને સંસ્કૃતિ વિશે એક અજાયબ કામગીરી એટલે મહારાજા ભગવતસિંહજી ખુદે તેમના જીવનકાળના લગભગ ૨૫ થી વધુ વર્ષ ભાષા અને સંસ્કૃતિ અંગે સંશોધન કરીને કુલ નવ ભાગમાં તૈયાર કરેલ “ભગવદગોમંડલ” નામનો મહાજ્ઞાનકોષ. ભગવદગોમંડલ એ કોઈ જ્ઞાનકોષ માત્ર જ નથી પરંતું એમાં ભારતીય સંસ્કૃતિની સદીઓ પુરાણી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરલ વાતો એમણે અથાગ પરિશ્રમ કરીને વણી લીધી છે. ભાષા અને સંસ્કૃતિ અંગે વિશદ માહિતી પૂરી પાડતો આટલો વિશાળ અને સમૃદ્ધ મહાગ્રંથ ભારત વર્ષમાં બીજે ક્યાં ય જોવા નહિ મળે. એક પ્રજાવત્સલ રાજાના શિક્ષણ પ્રેમનું આનાથી મોટું જ્વલંત ઉદાહરણ બીજું ક્યું હોય!

રાજાશાહીમાં જ્યારે ભણતર બહુ ઓછું હતું ત્યારે પણ એ સમયની નગરરચના, નગરની બાંધણી રોડ-રસ્તા, મહેલો, ઈમારતો વગેરે બેનમૂન હતા અને વર્ષો સુધી અડીખમ રહેતા. અલબત્ત સર ભગવતસિંહજી એ વખતના સમયમાં એક સુશિક્ષિત રાજવી ગણાતા હતા અને ગોંડલ સ્ટેટનો સુદૃઢ વહીવટ એમની શૈક્ષણિક યોગ્યતાનું આદર્શ પરિણામ કહી શકાય. જો કે શૈક્ષણિક યોગ્યતા કરતાં પણ વધુ મહત્ત્વનો ગુણ એમનામાં જે હતો તે એ કે રાજ્યની આમ જનતાની સમસ્યાઓ વિશે તેઓ અત્યંત સંવેદનશીલ હતા અને માયાળું હૃદયના રાજવી હતા. શિક્ષણ અને સંવેદનશીલતાનો સુભગ સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળતો હતો. જો આ બંને ગુણો તેમનામાં ન હોત તો તેઓ લોકોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા ના હોત. પોતે રાજવી હોવા છતાં લોકોના હિત સાથે સંકળાયેલ અમુક કાર્યો પોતાની જાતે કરવામાં પણ તેઓ કોઈ સંકોચ રાખતા ન હતા.

શાસકની શૈક્ષણિક યોગ્યતા એ શાસનની અનિવાર્ય શરત ન હોવા છતાં વર્તમાનમાં વિકાસના બદલાતા આયામો અને ટેકનોલોજીના વિકાસ અને માનવજીવનમાં તેની ઉપયોગીતાને ધ્યાનમાં લેતા શાસકની શૈક્ષણિક યોગ્યતાને સહેજે અવગણી શકાય એમ નથી. શિક્ષણથી વ્યક્તિમાં બીજું કોઈ પરિવર્તન આવે કે ન આવે પણ શિક્ષણથી વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ વિસ્તરે છે એમાં બેમત હોઈ શકે નહીં. શિક્ષિત વ્યક્તિ જીવન અને જીવન સાથે સંકળાયેલ તમામ પાસાઓને વધુ વ્યાપક દૃષ્ટિકોણથી મૂલવી શકે છે.  

પહેલાના સમયમાં જીવન સાદું હતું અને જરૂરિયાતો સીમિત હતી. મોટાભાગે રોટી, કપડાં અને મકાનને લગતી સમસ્યાઓ પ્રમુખ હતી એટલે શાસકોને પણ સમસ્યાના સમાધાન માટે બહુ વિશેષ પ્રયાસો કરવાના રહેતા નહીં. ઓછા સંસાધનો અને ટાંચા સાધનોથી પણ સમસ્યાનો હલ મળી આવતો હતો. હવે સમયના પ્રવાહની સાથે વિકાસના આયામો, લોકોની જરૂરિયાતો, સમસ્યાઓની જટિલતા વગેરે પણ બદલાતા જાય છે એવે વખતે સમસ્યા ઉકેલ અંગે વ્યાપક દૃષ્ટિકોણની સાથે ઘણા બધા વિષયો અને લોકોના જીવન સાથે સંકળાયેલ બીજી ઘણી બધી બાબતો વિશે પ્રાથમિક જાણકારીની જરૂર પડે છે. શિક્ષિત શાસક પાસે આ બધા ગુણોની અપેક્ષા રહેતી હોય છે. અલબત્ત ભણેલા લોકોમાં આ બધા ગુણો હોય છે એવું જરૂરી નથી, તો પણ ભણેલી વ્યક્તિ પોતાની શૈક્ષણિક લાયકાતની મદદથી ઘણા ગુણો અને કૌશલ્યો સરળતાથી કેળવી શકે છે. આમ, તો શિક્ષણ પ્રાપ્ત કરવાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં અલ્પશિક્ષિત શાસકની નબળાઈ એ છે કે તેને નવું કંઈ શીખવા કરતાં પોતાના અધકચરા શિક્ષણને જોરે જોહુકમી ચલાવી મનઘડંત, તરંગી, તુઘલકી ફરમાનો છોડવામાં વધુ રસ હોય છે. કોઈ નવી વસ્તુ શીખવી તેને પાકા ઘડે કાંઠા ચઢાવવા જેવું લાગે છે. કદાચ એ તેમની અલ્પશિક્ષિત અવસ્થાનું જ પરિણામ છે કે તેમને દેશ અને લોકોના વિકાસમાં નહિ પણ ખુદના ‘વિકાસ’માં વધુ રસ હોય છે!

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved