Opinion Magazine
Number of visits: 9553057
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે શાશ્વત કોયડા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar, Gandhiana|14 November 2025

પ્રાસ્તાવિક

સર્વ જગતને મનમાં સતત રાખતાં રાખતાં ભોજન ગ્રહણ કરવાનું જાણે કે વ્રત રાખ્યું હોય તેવા મોહનદાસ કરમચંદ ગાંધીને, ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિલાયત જતી વેળા, ફ્રાન્સના વિખ્યાત બંદર માર્સેલ્સ(Marseille)માં જકાત અધિકારીઓએ રોક્યા અને અટકમાં લીધા. પોતાની કને જે કંઈ સરસામાન હોય તેની માહિતી-વિગત આપવા એમને જણાવાયું. એમની તરતપાસ દરમિયાન ગાંધીજીએ કહ્યું : “હું તો ગરીબ ભિખારી છું; મારા સરંજામમાં છે – છ રેંટિયા, જેલનાં તાંસળાં, બકરીનાં દૂધનો એક ડબો, છ લંગોટીઓ અને ટુવાલ, અને મારી આબરૂ – જેની બહુ કિંમત હશે નહિ!” [ગાં.દિ., ૧૧-૯-૧૯૩૧][1]

બી.આર. નંદા સરીખા ઇતિહાસકાર લિખિત In Search of Gandhi (essays and reflections)નો હવાલો આપતાં, કાર્નેગી મેલૉન યુનિવર્સિટીમાં ઇતિહાસ બાબતના અમેરિકી અભ્યાસી, અધ્યાપક નીકો સ્લેટ (Nico Slate) Gandhi’s Search for the Perfect Diet (2019) પુસ્તકના પ્રાસ્તાવિકમાં કહે છે કે પોતાની આ અતિ અલ્પ માલમતાની સરખામણીએ ગાંધીની ખ્યાતિ ક્યાં ય વિશેષ હતી. ગોળમેજી પરિષદમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના એક માત્ર અધિકૃત પ્રતિનિધિને નામે એ ઇંગ્લૅન્ડના રાજવીને ય મળવાના હતા અને બ્રિટિશ શાસકો જોડે ય હિંદની આઝાદી સારુ વાટાઘાટ કરવાના હતા.

આ અગાઉ બ્રિટિશ કન્સર્વેટિવ પક્ષના નેતા વિન્સ્ટન્ટ ચર્ચિલે ૧૯૩૧ના જ ફેબ્રુઆરીમાં ગાંધીજીની તત્કાલીન વાઇસરૉય સાથેની ચર્ચા મુદ્દે ત્યાં સુધી કહેલું કે “મિડલ ટૅમ્પલનો એક વકીલ ગાંધી (ગાંધીજી મિડલ ટૅમ્પલના નહિ પણ ઈનર ટૅમ્પલના વકીલ હતા) જે, પૂર્વમાંના બહુ જાણીતા પ્રકારના ફકીરનો સ્વાંગ સજી રહ્યો છે, અને જે હજી સવિનયભંગની રાજ વિરુદ્ધની ચળવળ ગોઠવી અને ચલાવી રહ્યો છે તે, સમ્રાટના પ્રતિનિધિ સાથે, સમાન દરજ્જે ચર્ચા કરવા માટે, અર્ધનગ્ન દશામાં વાઈસરોયના મહેલનાં પગથિયાં આજે ચઢી રહ્યો છે – એ દૃશ્ય ભયજનક અને ઘૃણાસ્પદ છે.” [ગાં. દિ., ૧૭-૨-૧૯૩૧] પરંતુ ગાંધીજીને પાકું સમજાતું જ હતું કે એમનો બાહ્ય દેખાવ એ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે માટે તદ્દન સુયોગ્ય છે. આર્થર એલ. હરમન Gandhi and Churchill[2]માં લખે છે તેમ, ગાંધીજીને મન એમના દેખાવ અને આહાર અંગેના સંબંધ વિશે લોકો શું કહે છે તે લગીર અગત્યનું નહોતું તે નહોતું જ. 

એ દિવસોમાં ગાંધીજીનું વજન આશરે સોએક રતલ[3] માંડ હશે. એમની ઊંચાઈ પાંચ ફૂટ ને છ ઇંચ હતી. અહિંસાના રસ્તે અને સત્યની શોધમાં આગળ વધતાં વધતાં એમણે પોતાના રોજિંદા આહારમાં સમય સમયે ફેરફાર કરવાનું રાખ્યું હતું. બારિસ્ટર બનવા સારુ વિલાયત પહોંચ્યા ત્યારથી એમણે આહાર વિશે સતત વિચાર કરવાનું જોયું છે. એ વખતે તેમની ઉંમર વીસ વર્ષની હતી. એ યુવાન ગાંધી હતા, મોહનદાસ ગાંધી હતા. એમણે તેની વાત પણ કર્યા કરી છે અને તેને સારુ ભાતભાતના પ્રયોગો ય કર્યા છે. 

નીકો સ્લેટ લખે છે : શાકાહારીપણું, નિમકનો તેમ જ મીઠાઈનો મર્યદિત ઉપયોગ, પ્રક્રમણિત ખોરાક(processed food)ને સંપૂર્ણપણે ત્યાજ્ય ગણવા, વણરાંધેલો ખોરાક લેવો, ઉપવાસ કરવા એમના આહારના પાયાગત આધાર હતા. આ સઘળું એમની રાજકીય ગતિવિધિ સાથે પૂર્ણપણે સંકળાયેલા હતા. આગળ વધીને તેઓ કહે છે, આ તો મૂળે તેમની અહિંસા અંગેની વિચારધારાના ભાગરૂપ જ હતા. એમની અહિંસા અને શાકાહાર એમને માટે અંગત, રાજકીય તેમ જ આહારવિહાર બાબતે સર્વસમાનતાના ભાગ તરીકે નીખરી રહ્યા. જીવન પર્યન્ત આવી સર્વસમાનતામાં જ ગાંધીજી રહ્યા. આહાર આધારિત અહિંસામાં એ લંડનથી દક્ષિણ આફ્રિકા ગયા તે વચ્ચે જ્યાં જ્યાં ગયા ત્યાંના આહારની અનુકૂળતા તપાસતા ગયા અને શક્ય બન્યું તે ગ્રહણ કરતા રહ્યા. 

કેટલાક તજજ્ઞો આ વૃત્તિને culinary cosmopolitanism લેખે છે. વિશ્વનાગરિકપણાનું જ તે એક અગત્યનું પગલું.

આશરે ૨૪૦ પાનના આ, Gandhi’s Search for the Perfect Diet પુસ્તકમાં લેખક, નીકો સ્લેટ સાત પ્રકરણો આપે છે. અને આ પ્રકરણો છે : નિમક, ચોકલેટ, બકરાનું માંસ અને મગફળીનું દૂધ, વણરાંધેલું – છાંડ્યા વિનાનું – અસલ અનાજ, કુદરતી ઓસડિયા, ખેતીવાડી તેમ જ ઉપવાસ; અને સમાપન લેખમાં કેરી અને મહાત્માને વણી લેવાયાં છે. વળી, ઉપસંહારમાં ગાંધીજીના આહાર તેમ જ તે આહાર બનાવવાની રીતરસમને આવરી લેવાયાં છે.

પ્રસ્તુત પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ પુસ્તકમાં ગાંધીજીના આહાર બાબતને સમજતા સમજતા આપણે આ મનેખને અને એમની જીવનીને સમજવા પ્રયત્ન કરીશું. એ માટે નિમિત્ત બનેલા નીકો સ્લેટના પુસ્તક ઉપરાંત, જૉસેફ ઑલ્ટરકૃત Gandhi’s Body [University of Pennsylvania, June 2000] તેમ જ પરમ રૉયકૃત Alimentary Tracts [Duke University Press, Nov. 2010], મો.ક. ગાંધી લિખિત સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને આરોગ્યની ચાવી[4] જેવાં પુસ્તકો અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથમાળા તથા ગાંધીજીની દિનવારી [સં. ચંદુલાલ ભગુલાલ દલાલ, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ૧૯૭૦] જેવા અન્ય પણ ઘણા સંદર્ભોને ઓજાર રૂપે સામે રાખી, ઇતિહાસના બે શાશ્વત કોયડા અંગે પણ પડપૂછ કરી શકીએ : કેવી રીતે જીવન ગુજારવું અને શો આહાર લેવો.

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ

પુસ્તકના સંપાદકીય માટે લિંક માતા પૂતળીબાઈની સાક્ષીએ — | Opinion Magazine | Opinion Online Gujarati Thoughts Journal

***

પુસ્તક : પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ • લેખક : વિપુલ કલ્યાણી, પૂરક લેખન અને સંપાદન : કેતન રૂપેરા • પ્ર. 3S પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર, 2025 • પેપર બૅક, સાઇઝ : 4.75” x 7.0”, પૃષ્ઠ 112 • ₹ 100

-.-.-

[1] ગાંધીજીની દિનવારી (1915-1948), સંગ્રાહક : ચંદુલાલ ભગુભાઈ દલાલ, પ્ર. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય. 1970

[2]  Gandhi & Churchill: The Epic Rivalry That Destroyed an Empire and Forged Our Age, Bantam Books, 2008

[3]  એક રતલ = આશરે સાડા ચારસો ગ્રામ

[4]  હકીકતે, आरोग्य વિશે सामान्य ज्ञान મથાળા હેઠળ ૧૯૦૬માં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં પ્રકાશિત એ લેખ શ્રેણી, જે પછીથી હિન્દી અને અંગ્રેજીમાં પણ પુસ્તકાકારે પ્રકાશિત થતી રહી. પોતાના પ્રયોગોના નિચોડ રૂપ આરોગ્યની ચાવી પુસ્તકના ‘પ્રાસ્તાવિક’માં, ૧૯૪રમાં આગાખાન મહેલમાં નજરકેદ ગાંધીજી લખે છે, “મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં આટલું લોકપ્રિય નથી થવા પામ્યું જેટલું મજકૂર પુસ્તક. … आरोग्यनी चावी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોના અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા બંધાવી શકું છું.” (ર૭-૭-૧૯૪ર)

Loading

આર્ષદૃષ્ટા નેહરુનું ઇતિહાસદર્શન

દીપક મહેતા|Opinion - Literature|14 November 2025

ગ્રંથયાત્રા – 18

જવાહરલાલ નેહરુ (૧૮૮૯-૧૯૬૪) જો કોઈ જુદા સમય ગાળામાં જીવ્યા હોત તો તેમણે પોતાનું સમગ્ર જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુએ પોતાનું જીવન પ્રવૃત્તિઓની આંધીમાં વિતાવ્યું, પણ પોતાની આસપાસ તેમણે પ્રવૃત્તિઓની આંધી કરતાં ય વધારે તો વિચારોની વધુ મોટી આંધી સર્જી. અને આ બધા કરતાં વધુ મોટી આંધી તો તેમના ચિત્તમાં ચાલી રહી હતી. આ ચિત્તની આંધીનો થોડો પરિપાક આપણને તેમના સ્મરણીય ગ્રંથોમાં મળ્યો. 

લોક સમુદાયને જોઈને જવાહરલાલ નેહરુ જેટલું નવું જોમ મેળવતા તેટલું જ નવું જોમ પુસ્તકોના સહવાસમાંથી પણ તેઓ મેળવતા. સ્વરાજ માટેની લડતનું આહ્વાન ન હોત તો પંડિતજીએ પોતાનું જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુનું સૌથી મહત્ત્વનું અને જાણીતું પુસ્તક છે તેમની અત્મકથા. તેમનું બીજું મહત્ત્વનું પુસ્તક તે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ ૧૯૪૬માં પ્રગટ થયેલા આ પુસ્તકનો મણિભાઈ નિ. દેસાઈએ ‘મારું હિંદનું દર્શન’ નામે કરેલો અનુવાદ ૧૯૫૧માં નવજીવન તરફથી પ્રગટ થયો હતો. આત્મકથાની જેવી જ વિશાળ, સ્વસ્થ અને વિવિધલક્ષી શૈલીમાં લખાયેલું આ પુસ્તક આત્મકથા કરતાં વધુ ગંભીર અને ચિંતનાત્મક છે. 

‘ક્વિટ ઇન્ડિયા ચળવળ દરમિયાન નેહરુ અહમદનગર જેલમાં હતા ત્યારે તેમણે આ પુસ્તક લખેલું. એટલે સંદર્ભ માટેનાં બહુ ટાંચાં સાધનો તેમની પાસે હતાં, અને એટલે તેમણે મુખ્યત્વે પોતાની સ્મૃતિ પર જ આધાર રાખવો પડેલો. પણ ભારતના ઇતિહાસના તેઓ કેવા તો મરમી જાણતલ હતા એનો ખ્યાલ આ પુસ્તક વાંચતાં આવ્યા વગર રહે નહીં. વિગતોમાં કશુંક ખૂટતું હોય, કે માહિતીમાં કશું થોડું આઘુંપાછું થયું હોય એવું ક્યાંક ક્યાંક લાગે, પણ ભારતના ઇતિહાસનું જે અખંડ દર્શન અહીં જોવા મળે છે તે ભલભલા ઇતિહાસકારોને પણ આશ્ચર્ય પમાડે એવું છે. 

‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં ભારતનો ઇતિહાસ આલેખાયો છે ખરો, પણ તે માત્ર ઇતિહાસનું પુસ્તક નથી. હકીકતમાં એ ઇતિહાસ-ચિંતનનું પુસ્તક છે. નેહરુની દૃષ્ટિ ઐતિહાસિક છે ખરી, પણ તે માત્ર ઇતિહાસકારની નથી. તેમની દૃષ્ટિ એક બહુશ્રુત વિદ્વાન, અર્વાચીન માનસ ધરાવતા પ્રતિભાશાળી વિચારકની છે. પુસ્તકમાં તેમણે અનેક વિષયો  પરના પોતાના વિચારો પ્રગટ કર્યાં છે. પણ તે બધામાં એક સૂત્ર સળંગપણે જોવા મળે છે : ભારતની સંસ્કૃતિ અને સમાજનાં વિશિષ્ટ ગુણો અને શક્તિઓ તથા ભૂત, વર્તમાન અને ભાવિમાં હિંદના વિદેશો સાથેના સંબંધો અંગેની તલસ્પર્શી અને તટસ્થ શોધ.

આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : ઉપોદ્ઘાત, ભારત-દર્શન, અને ઇતિહાસ ચિંતન. તેમાં ઉપોદ્ઘાતને અને તે પછીના કમળા નેહરુ વિશેના પ્રકરણને અગાઉ પ્રગટ થયેલી આત્મકથાના અનુસંધાન રૂપે જોઈ શકાય તેમ છે. ઉપોદ્ઘાતમાં નેહરુએ પોતાનાં મનોમંથનો, વિચારો અને ઊર્મિઓ તેમની સાહજિક મનોહર શૈલીમાં પ્રગટ કર્યાં છે. ઉપોદ્ઘાત વાંચતાં સમજાય છે કે નેહરુને ઐહિક, આ પૃથ્વી પરના, જીવનમાં જ રસ છે. પારલૌકિક જીવનમાં નથી. તેઓ નાસ્તિક નથી પણ પરંપરાવાદી ધાર્મિક માન્યતાઓ અને ક્રિયાકાંડો પ્રત્યે તેમને સૂગ છે. તેમની માન્યતા અનુસાર ‘જીવંત ફિલસૂફીએ સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ.’ 

જ્યારે તેઓ ઇતિહાસ તરફ વળે છે ત્યારે તેમને ભારતની શક્તિઓ અને નબળાઈઓનું દર્શન થાય છે. દેશની અવનતિનું મુખ્ય કારણ ધર્મભાવના પર અતિશય ભાર અને વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય દૃષ્ટિનો અભાવ હોવાનું તેઓ માને છે. પણ નેહરુ ભારતના ભાવિ અંગે પૂરેપૂરા આશાવાદી છે. કહે છે : “જે રીતે હિન્દની રચના થઈ છે તે જોતાં એ જગતમાં બીજા દરજ્જાનું કે ગૌણ સ્થાન લઈ શકે નહીં. કાં તો તેની ગણના મહાન દેશોમાં થશે, નહીં તો તેની અવગણના થશે. આ બે વિકલ્પો વચ્ચેનું બીજું કોઈ સ્થાન મને આકર્ષતું નથી, તેમ જ એવું ગૌણ સ્થાન શક્ય પણ નથી.” 

ભારતના ઇતિહાસના નિરૂપણનો આરંભ મોહે-જો-દડોની સંસ્કૃતિથી કરીને નેહરુ વેદકાલીન ભારતનું ચિત્ર રજૂ કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો તેઓ તપાસે છે અને લાક્ષણિક રીતે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ તે સમજાવે છે. બુદ્ધ અને મહાવીર અને તેમના ધર્મોની તથા હિંદુ ધર્મ પરની તેમની અસરની તેઓ ચર્ચા કરે છે. પુસ્તકનો આ ભાગ વાંચતાં જણાય છે કે નેહરુને ભગવાન બુદ્ધ અને બુદ્ધ ધર્મ પ્રત્યે સવિશેષ પક્ષપાત છે. આ ખંડમાં નેહરુએ દેશનાં કલા અને સાહિત્યના વિકાસની અને વારસાની આલોચના પણ કરી છે. મુસ્લિમ હકૂમત અને બ્રિટિશ શાસનને પણ તેમણે અહીં આવરી લીધાં છે. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’નો ઠરાવ પસાર થયો ત્યાં સુધી આવીને આ પુસ્તકમાંનું ઇતિહાસનું નિરૂપણ અટકે છે.

ત્રીજો ખંડ ઇતિહાસ ચિંતનનો છે. નેહરુ માને છે કે પશ્ચિમના દેશો પ્રગતિશીલ દૃષ્ટિ, કાર્યદક્ષતા, અને સાહસિકતા ધરાવતા હતા અને તેમને ઇહ લોકની જ ચિંતા હતી, પરલોકની નહીં. નેહરુ માને છે કે ભારત અને ચીને પશ્ચિમના દેશો પાસેથી આ અંગે બોધપાઠ લેવો જોઈએ. આ ખંડમાં તેઓ ફરી ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના વિસંવાદનો ઉલ્લેખ કરે છે, અને વૈજ્ઞાનિક પદ્ધતિ અને જ્ઞાનને વિકસાવવાનો આગ્રહ કરે છે. નેહરુના આદર્શો બે છે : માનવતાવાદ અને વૈજ્ઞાનિક તાસીર. આ બંને વચ્ચે સમન્વય થતાં તેમાંથી વૈજ્ઞાનિક માનવતાવાદનો જન્મ થયો છે. 

આઝાદી પછી દેશના શાસનનાં સૂત્રો નેહરુ જેવી ચિંતનશીલ અને વિદ્વાન વ્યક્તિએ સંભાળ્યાં અને ૧૯૬૪ના મે મહિનાની ૨૭મી તારીખે તેમનું અવસાન થયું ત્યા સુધી સતત સાચવ્યાં એ આપણા દેશનું એક પરમ સદ્ભાગ્ય હતું. એક ગાંધીજીને બાદ કરતાં બીજા નેતાઓની નજર જ્યારે માત્ર આઝાદી મેળવવા સુધી જ પહોંચતી હતી ત્યારે નેહરુની આંખ સામે સ્વતંત્ર ભારતના ભાવિ વિકાસની બ્લુપ્રિન્ટ હતી. આઝાદી મળી તે પછી એ બ્લુપ્રિન્ટને શક્ય તેટલી હદે સાકાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન તેમણે કર્યો. આજે દુનિયાના ઘણા દેશો માનની અને અપેક્ષાની નજરે આપણા દેશને જોતા થયા હોય તો તેના પાયામાં જવાહરલાલ નેહરુનું આર્ષદર્શન રહેલું છે. આ વાત લોકો ભૂલી જાય એ માટે દેશમાં જ અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એ વાત ભૂલવા જેવી નથી. 

XXX XXX XXXX

14 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

અફઘાન સ્ત્રીઓના અંધકારમય-અનિશ્ચિત ભવિષ્યની પાછળ શું હશે?  

સોનલ પરીખ|Opinion - Opinion|14 November 2025

અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, ‘દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે, પણ બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ અમે તને ભણાવીશું.’ એમના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.

— શબાના બાસિજ–રાસિખ 

(સહસ્થાપક અને પ્રમુખ, સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન ફોર ગર્લ્સ) 

નવરાત્રી ચાલી રહી છે, શક્તિની આરાધનાનું પર્વ છે ત્યારે અફઘાનિસ્તાનની સ્ત્રીઓની સ્થિતિ સહેજે યાદ આવે છે

વર્ષ 2021ના ઑગસ્ટ મહિનામાં તાલિબાને આફઘાનિસ્તાન કબજે કર્યું અને આર્કાન્સાસની કૉલેજમાં ભણતી નાહીદ ઇસ્સરની ઊંઘ વેરણ થઈ ગઈ. મોડી રાત્રે કે વહેલી સવારે ઘેરથી ફોન આવતા ત્યારે એક જ ચિંતા તેને ખાઈ જતી, બધા સલામત તો હશે ને? કોણ જીવતું હશે? કોણ ક્યાં ગુમ થઈ ગયું હશે? વીસ વર્ષ સુધી અફઘાન મહિલાઓ ભણતી. કારકિર્દી બનાવતી. કલાકાર, કર્મશીલ કે અભિનેત્રી બની શકતી. હવે, નાહીદ અને તેના જેવી લાખો યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેઓ દેશ છોડવા કે પછી છુપાઈને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોવા મજબૂર બની છે.  

2003માં અફઘાનિસ્તાનમાં એક ફિલ્મ બની હતી, ‘ઓસામા’. એમાં બારતેર વર્ષની એક છોકરીની વાત હતી. એ છોકરીના પિતા રશિયા સામેની લડાઈમાં માર્યા ગયા હતા. તાલિબાનો આવ્યા અને બુરખા વિના, પુરુષ વિના બહાર નીકળવાની બંધી થઈ. મા જ્યાં નર્સ હતી એ હૉસ્પિટલ પર તાલિબાનોએ તાળાં માર્યાં. હવે ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહીં. દાદી અને માએ છોકરીને સમજાવી અને તેના વાળ કાપી, છોકરાનાં કપડાં પહેરાવી એક ઓળખીતા દૂધના વેપારીને ત્યાં ‘ઓસામા’ નામથી કામે રાખી (ઓસામા એટલે સિંહ જેવો બહાદુર). થોડા દિવસમાં તાલિબાનો એ વિસ્તારના છોકરાઓને ધર્મ અને યુદ્ધની ‘ટ્રેનિંગ’ માટે ઉઠાવી ગયા. ઓસામાને પણ. મૌલવી પાસે તાલીમ લેતાં આખરે એક દિવસ પકડાયું કે ઓસામા છોકરો નહીં, પણ છોકરી છે. સજા રૂપે એને એ જ વૃદ્ધ મૌલવીને પરણવું પડ્યું. ફિલ્મના અંતે ભેદી કિલ્લા જેવા ઘરમાં આ નવી દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે! 

આ ભલે ફિલ્મની વાર્તા છે, પણ વાર્તાઓ અને ફિલ્મો જિંદગીમાંથી જ તો જન્મે છે. શબાના બાસિજ-રાસિખ નામની એક અફઘાન યુવતીને આપણામાંના અમુક જાણતા હશે. તેનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો. અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાં પહોંચ્યું તે પહેલાની વાત. તાલિબાનોનું જોર વધ્યું અને છોકરીઓના શિક્ષણ પર, પુરુષ વિના ને બુરખા વિના સ્ત્રીના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે શબાના છ વર્ષની હતી. 

સંજોગો મુશ્કેલ હતા, પણ તેના પિતાએ પછીનાં છ વર્ષ સુધી તાલિબાનોની ખફગીની પરવા કર્યા વિના, શબાના અને એની બહેનોને છોકરાનાં કપડાં પહેરાવી શાળામાં મોકલવાનું ચાલુ રાખ્યું. તેના જેવી બીજી છોકરીઓ પણ હતી. છોકરાનાં કપડાં પહેરી એ બધી એક ગુપ્ત શાળામાં ભણવા જતી. વહેમાયેલા તાલિબાનો ધમકીઓ આપતા, હુમલા કરતા. છોકરીઓ ગભરાઈને કહેતી, ‘અમારે નથી ભણવું.’ પણ માતાપિતા ભણાવતાં. એક વાર તો શબાના અને તેના પિતાને બૉમ્બ-બ્લાસ્ટથી જરાક માટે બચી ગયાં. 

શબાના બાસિજ-રાસિખ

સદ્દભાગ્યે ‘યસ’ એક્સચેન્જ પ્રોગ્રામમાં શબાનાને અમેરિકા જઈ ભણવા મળ્યું અને તે વર્મોન્ટની મિડલબરી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ. કોલેજકાળ દરમિયાન તેણે ‘હેલા’ નામની, શિક્ષણ દ્વારા અફઘાન સ્ત્રીઓના સશક્તીકરણ માટે કામ કરતી એન.જી.ઓ. શરૂ કરી. 

‘મારી મા નાની હતી ત્યારે સમય સારો હતો. મારા નાના તેને ભણાવી શક્યા. મા ભણેલી હતી એટલે એ અમને ભણાવી શકતી.’ શબાના કહે છે, ‘પણ અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે છે. બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ, અમે તમને ભણાવીશું. મારાં માતાપિતાના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.’ 

અમેરિકા જઈને એણે જે દુનિયા જોઈ તેનાથી તે સ્તબ્ધ બની ગઈ. અફઘાન છોકરીઓને પણ આવી તક મળવી જોઈએ – તેના મનમાં એક બીજ વવાયું અને અંકુરિત થતું ગયું. ગ્રેજ્યુએટ થઈને તે અફઘાનિસ્તાનમાં પાછી ફરી. સોલા – ‘સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન’ નામની છોકરીઓ માટેની પ્રાઈવેટ બૉર્ડિંગ સ્કૂલની તે સહસ્થાપક અને પ્રમુખ છે. 10થી 18 વર્ષની ઉંમર સુધીની અફઘાન છોકરીઓ અહીં રહેતી અને ભણતી. 

સોલાની સ્થાપના 2008માં થઈ. તે વખતે તે હજી અમેરિકામાં ભણતી હતી. ત્યાં એણે યુ.એન.ના એક અહેવાલમાં, અફઘાનિસ્તાનમાં હાઈસ્કૂલ સુધી પહોંચતી સ્ત્રીઓ માત્ર છ ટકા છે એવું વાંચ્યું ત્યારે તેને આ અભાગી સ્ત્રીઓની પ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારીનો અહેસાસ થયો.  

2008થી 2016 સુધીમાં અનેક અફ્ઘાન છોકરીઓ સ્કૉલરશીપ મેળવીને અમેરિકા આવીને ભણી. સોલાનું મિશન, અફઘાનિસ્તાનની ઉછરતી પેઢીને ‘ફ્યુચર ચેન્જ મેકર્સ’ તરીકે તૈયાર કરવાનું છે. સમસ્યાઓથી દૂર ભાગવાનું કે ડરવાનું છોડી સમસ્યાઓનો સામનો કરતાં શીખવવાનું છે. 

શબાનાએ પોતાની કારકિર્દી અફઘાનિસ્તાનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરી છે. તેનાં કામથી આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે ખેંચાયું. 2018માં તેને મલાલાઈ મેડલ મળ્યું. આ મેડલ અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગણાય છે. તે કહે છે કે છોકરીઓને શિક્ષણ આપવાથી દુનિયા ઘણાખરા પડકારો સામે લડવા સજ્જ થઈ જશે. આરોગ્યથી માંડી પર્યાવરણ અને ગરીબી જેવી સમસ્યાનો ઉકેલ છોકરીઓને ભણતી કરવામાં છે. ‘સમસ્યા એ નથી કે 130 મિલિયન છોકરીઓ જે અત્યારે શાળામાં નથી જતી, સમસ્યા એ છે કે આપણે તેમને આપણા પડકારોના ઉકેલની શક્યતાઓ તરીકે જોઈ નથી શકતા.’ 

‘મારામાં બહાદુરીનો વારસો છે. એક અફઘાન મહિલાએ મને એના ઘરમાં રહી ભણવાની સગવડ આપી હતી, એ વખતે, જ્યારે એ અપરાધ ગણાતો હતો, તેણે એવી હિંમત કરી કેમ કે તે જાણતી હતી કે છોકરીઓ ભણશે તો જ અફઘાનિસ્તાનની પ્રગતિ થશે. હું અમેરિકા આવી ત્યારે 15 વર્ષની હતી. મુક્તપણે ભણી શકવું એટલે શું તેની ખબર અમેરિકન છોકરીઓને નહોતી, મને હતી. બે વર્ષ પછી હું કૉલેજમાં દાખલ થઈ ત્યાં સુધીમાં મારામાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. જ્યારે મેં અફઘાનિસ્તાનમાં ભણતી છોકરીઓની ટકાવારી વિશે જાણ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. અને અમે સોલા શરૂ કરી. અહીંથી ભણીને છોકરીઓ પોતપોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના શિક્ષણ અને કૌશલ્યોને લઈને જાય છે.’ 

પણ અત્યારે શબાના રવાન્ડામાં છે. ત્યાં કેમ? ‘અમેરિકાએ પોતાનાં દળો પાછાં ખેંચ્યા એ અમારા માટે ખતરાની ઘંટી હતી. પછી ઝડપથી જે બનતું ગયું તે ભયાનક દુ:સ્વપ્નથી કમ ન હતું. અમે છોકરીઓને તેમને ઘેર મોકલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે વિદ્યુત સપ્લાય બંધ કર્યો. મોબાઈલ અને લૅપટોપ ચાર્જ કેવી રીતે કરવા? અમે પરસ્પર સંપર્ક ગુમાવી બેઠા. હવે સ્ટડી એબ્રોડનો વિકલ્પ જ બચ્યો હતો. અમારા બધા દસ્તાવેજો બાળી નાખી મેં દેશ છોડ્યો. અહીં સોલા ચાલુ કર્યું છે, ત્રણસો જેટલી એડમિશન એપ્લીકેશન પણ આવી છે, પણ હું આઘાતમાંથી બહાર આવી નથી. દસ્તાવેજોને ચાંપેલી આગે મારા શરીરનું અણુએ અણુ બદલી નાખ્યું છે. અફઘાનિસ્તાન મૂળ કબીલાઓનો દેશ છે. એકતા અમે કદી જોઈ નથી. પણ મારી નજર યુવાન અફઘાનીઓ પર છે. આજે દેશના 70 ટકા લોકો 25 વર્ષના કે એનાથી નાના યુવાનો છે. એ લોકો અફઘાન પ્રજાના ભલા માટે જે લડત ઉપાડશે એમાં ઇંધણ થઈ હોમાવા મારા જેવા અનેક તૈયાર બેઠાં છે. વધુ શું કહું?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”,  ઑક્ટોબર  2025

Loading

...1020...26272829...405060...

Search by

Opinion

  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved