Opinion Magazine
Number of visits: 9967340
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફિલ્મ નિર્માતા, પ્રેક્ષકો કે વ્યવસાયિક ના હોય, તે તો કસબીની પોતાની જ હોય

આશિષ વશી|Opinion - Opinion|2 March 2020

1947માં રિલીઝ થયેલી ઇટાલિયન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ એ કોઇ કલાકારે કચકડે મઢેલા ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.

કેરળનાં થીરુવંથપુરમમાં સાયકલને કેન્દ્રમાં રાખીને આખા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ઇન્ટરનેશન બાઇસીકલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન વિવિધ પર્યાવરણને લગતી સંસ્થાઓએ કર્યું હતું. આ ફેસ્ટિવલમાં વિશ્વની નામી વાર્તામાં સાયકલ ધરાવતી ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી. જેમાં બ્રેકીંગ અવે, બેઇજીંગ સાયકલ, અબાલી અને વાજ્દા જેવી ફિલ્મો હતી. આ યાદીમાં મહાન ફિલ્મ બાઈસિકલ થીવ્ઝ પણ શામેલ હતી. આજે આપણે આ મહાન ફિલ્મની થોડી વાત કરીશું. આ એ જ ફિલ્મ છે કે જેને જોઇને સત્યજીત રેએ ફિલ્મ મેકર બનવાનું નક્કી કર્યું હતું. 1947માં રિલીઝ થયેલી આ ઇટાલિયન ફિલ્મ એ કોઇ કલાકારે કચકડે મઢેલું ધાર્મિક સ્થાન સમાન છે જેને જોઇને દાયકાઓથી રસિકો ધન્ય થાય છે.

તો વાત શરૂ કરીએ ડાઇરેક્ટર ડી સિકાની આ ફિલ્મની યાત્રા. વીસમી સદીની શરૂઆતમાં જ યુરોપમાં બે વિશ્વયુદ્ધો ખેલાયા. વિશ્વયુદ્ધો દરમિયાન જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદે માઝા મૂકી હતી. આ દેશો રાષ્ટ્રવાદનાં ઘેનમાં હતા. તેઓના જુલમો ઇતિહાસનાં પાને અકબંધ છે. બે વિશ્વયુદ્ધ બાદ આ દેશોમાં અનેક કલાકારો અને કસબીઓએ લોકમત ઘડવાનું કામ કર્યુ. જેના કેન્દ્રમાં માનવીય અભિગમ મુખ્ય હતો. આવા જ નવ યથાર્થવાદને લઇને ફિલ્મો પેશ કરનાર મહાન કલાકાર વિત્તોરિયો ડે સીકા હતા.

વિત્તોરિયો ડે સીકાની કલા ફાસીવાદ અને વિશ્વયુદ્ધની રાખમાંથી બેઠી થયેલી હતી. તેમની ફિલ્મોમાં ક્રુર યુદ્ધનાં દ્દશ્યો ન હતા કે ન હતી મોટી ખુવારીઓ. ન હતા મોટાં ભાષણો કે ઉપદેશાત્મક સંવાદો. તેઓ સામાન્ય માણસની નાની વાતને રજૂ કરતા. એક સામાન્ય માણસની જિંદગીનું સત્ય કે હકીકત તેઓ એટલી બખૂબી બતાવતા કે જોનારનું કાળજુ કંપી જતું.

ડે સીકાનો જન્મ નેપલ્સમાં થયો હતો. તેઓ પહેલા તેમના કુટુંબને આર્થિક મદદ કરવા માટે ક્લાર્કની નોકરી કરતા હતા. ત્યાર બાદ તેમને અભિનય તરફ લગાવ હોવાથી, તેમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યુ. તેઓ થોડા જ સમયમાં અભિનેતા તરીકે સફળ થઇ ગયા. પરંતુ તેમને ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. પહેલા તો તેમણે તેમની થિયેટર કંપની ચાલુ કરી, ત્યારબાદ તેમણે ફિલ્મ પર હાથ અજમાવ્યો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે બનાવેલી ફિલ્મ ધ બાઇસીકલ થીવ્સે ડે સીકાને ફિલ્મ ઇતિહાસનાં પાને અમર બનાવી દીધા.

બાઇસીકલ થીવ્સ એ વિશ્વયુદ્ધની ખાનાખરાબી બાદ એક સામાન્ય માણસની નાનકડી વ્યથાની વાત છે. નાનકડું કુટુંબ ધરાવતા આ માણસને એક નોકરીની તલાશ હોય છે. તેને જાહેરખબરોનાં પોસ્ટર લગાડવાની નોકરી મળે છે. પરંતુ નોકરી તો જ મળે જો તેની પાસે સાયકલ હોય. હવે આ માણસ સાયકલ લેવા માટે ફાંફા મારે છે. છેવટે તેની પત્ની દહેજની મોંઘી ચાદરો વેચીને એક સાયકલ તેને લાવી આપે છે. નોકરી ચાલુ થાય છે. રોજ સવારે બાપ દીકરો નોકરીએ સાથે જાય છે. નાનકડો દીકરો પણ બાળમજૂર હોય છે. એવામાં એક દિવસ આની સાયકલ ચોરાઇ જાય છે. અને તે ફિલ્મમાં સાયકલ શોધે રાખે છે. છેવટે તે કંટાળી પોતે જ એક સાયકલ ચોરી લે છે. છેવટે પકડાઇ જાય છે. અને નાનકડા દીકરા સામે ટોળું તેને ધોઇ નાંખે છે. ફિલ્મનાં અંતમાં બાપ બેટો હાથમાં હાથ લઇ ક્ષિતિજ તરફ ચાલતા જતા બતાવ્યા છે. સાવ નાની વાર્તા ,પરંતુ ખુરશીમાંથી એક પળ માટે પણ તમને હલવા ના દે. આંખમાંથી આંસુઓ ક્યારે નીકળવા માંડે તમને ખ્યાલ પણ ના આવે.

ડે સીકાએ ધ બાઇસીકલ થીવ્સ બનાવવા માટે પોતાનાં મિત્રો અને ઓળખીતાઓ પાસેથી પૈસા લીધા હતા. તેઓએ ફિલ્મમાં અભિનેતા તરીકે પણ સામાન્ય માણસોને જ લીધા હતા. મુખ્ય રોલ કરનાર એ ફેક્ટરીનો કામદાર હતો. જ્યારે બાળક રસ્તા પર ફૂલ વેચનાર માળીનો સંતાન હતો. દે સીકાનાં આવા પ્રયોગથી ફિલ્મ સો ટચના સોના જેવી બની જાય છે. દુનિયાભરમાં આ ફિલ્મનો ડંકો વાગે છે. પહેલા તો ઇટાલીમાં આ ફિલ્મનાં વખાણ ના થયાં. કેટલાક વાયડા વિવેચકોએ તેને ઇટાલીની અસ્મિતાનું હનન કરતી ફિલ્મ તરીકે વર્ણવી. પરંતુ ડે સીકાની કલા આ તાકાતો સામે જીતી ગઇ. ફાસીવાદ પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. મિથ્યાભિમાનીઓ સામે દેશની સામાન્ય જનતાએ ડે સીકાની ફિલ્મને વિજેતા બનાવી.

ડે સીકા કાયમ કહેતા કે, ફિલ્મ હંમેશાં સંજીદા હોવી જોઇએ. તે વ્યવસાયિક ના હોઇ શકે. તે નિર્માતા કે પ્રેક્ષકો માટે પણ ના હોઇ શકે. એ તો કસબીની પોતાની જ હોવી જોઇએ.

પ્રગટ : “નવગુજરાત સમય”, 28 ફેબ્રુઆરી 2020

Loading

દેશની પ્રજા આગ્રહ વિનાની-લચીલી અને દુરાગ્રહી બંને હોય!?!

રમેશ ઓઝા|Opinion - Opinion|1 March 2020

યુરોપના સંસ્થાનવાદે માત્ર ભારતને ગુલામ નહોતું બનાવ્યું; એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના બીજા ઘણા દેશોને ગુલામ બનાવ્યા હતા. સૌથી મોટો ફરક એ હતો કે કોઈ દેશ ભારત જેવડો મોટો નહોતો. ૧૭૭૬માં અમેરિકા સ્વતંત્ર થઈ ગયું હતું. કોઈ દેશમાં ભારત જેટલી પ્રજાકીય વિવિધતા નહોતી, ભાષાની વિવિધતા નહોતી, સાંસ્કૃતિક વિવિધતા નહોતી, સેંકડોની સંખ્યામાં દેશી શાસકો નહોતા, કુદરત એટલી મહેરબાન હતી કે એમાં પણ વિવિધતા હતી. દરેક રીતે ભારત એક અદ્ભુત દેશ હતો. તેમને અનુભવે એ પણ સમજાયું કે આ દેશની પ્રજા સંસ્કૃતિશૂન્ય નથી અથવા આફ્રિકા અને લેટિન અમેરિકામાં જોવા મળ્યું હતું એમ આદિવાસીઓની હોય છે, એવી પ્રાથમિક સભ્યતા પણ નહોતી. આ દેશની સંસ્કૃતિને ભલે લૂણો લાગ્યો હોય; પણ એ છે પ્રાચીન, અંદરથી સમૃદ્ધ અને ટકાઉ.

બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે આ દેશની પ્રજા વચ્ચે ઝઘડવાનો સંબંધ છે, સંપીને રહેવાનો સંબંધ છે, એકબીજા પ્રત્યે ઉદાસીનતાનો પણ સંબંધ છે અને પરસ્પરાવલંબનનો પણ સંબંધ છે. આ દેશની પ્રજા આગ્રહ વિનાની લચીલી પણ છે અને દુરાગ્રહી પણ છે. આવું તે કાંઈ હોતું હશે? ઝઘડો અને સંપ, ઉદાસીનતા અને પરસ્પરાવલંબન, લવચીકતા અને દુરાગ્રહ એક સાથે કઈ રીતે હોઈ શકે? તેમના માટે આ કોયડો હતો.

આને કારણે જે માર્ગ તેમણે બીજા ગુલામ દેશોમાં અજમાવ્યો હતો એ માર્ગ ભારતમાં ચાલે એમ નથી એ તેમને ધીરે ધીરે સમજાવા લાગ્યું. તમે આફ્રિકાનો નકશો જોશો તો ધ્યાનમાં આવશે કે તેના યુરોપિયન માલિકોએ એ રીતે ભૂમિની વહેંચણી કરી હતી કે જાણે ચાકીમાં મોહનથાળનાં ચોસલાં પાડ્યાં હોય. સીધી લાઈનો ખેંચીને ભૂમિના ભાગ પાડ્યા હતા જે આજે દેશ કે રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. ખેડૂતની જમીનના શેઢા પણ આવી રીતે સીધી લાઈનના હોતા નથી. કેટલાંક સંસ્થાનો તો તેના માલિકોની એસ્ટેટ જેવાં હતાં, જેમ કે રોડેશિયા જે સિસિલ રોહ્ડ્સની માલિકીનો હતો. કેટલીક જગ્યાએ મૂળ પ્રજાઓનું જાતિનિકંદન કાઢવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ તેને અક્ષરસ: ગુલામ બનાવી દેવામાં આવી હતી.

આમ અંગ્રેજોને ધ્યાનમાં આવી ગયું કે અન્ય સંસ્થાનોમાં અને ભારતમાં ફરક છે. અન્ય સંસ્થાનોમાં જે માર્ગ અપનાવવામાં આવ્યો હતો, એ ભારતમાં ચાલે એમ નથી. ભારત જેવા દેશને એસ્ટેટમાં ફેરવી શકાય એમ નથી, ભારતની પ્રજાનું જાતિનિકંદન શક્ય નથી અને તેને ગુલામ પણ બનાવી શકાય એમ નથી. આ સિવાય ભારતમાં પહેલો સાંસ્થાનિક પ્રયોગ કરનારા પોર્ટુગીઝોનો અનુભવ તેમની સામે હતો. પોર્ટુગીઝોએ લાંબો વિચાર કર્યા વિના ધર્મપ્રચાર સહિત દરેક રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું જેને કારણે તેમને સમગ્ર ભારતને સંસ્થાન બનાવવામાં સફળતા મળી નહોતી.

તો પછી ભારત જેવા દેશમાં શાસન કરવામાં કયો માર્ગ અપનાવવો જોઈએ? એવું શું કરવું જોઈએ કે જેથી લાંબો સમય સુધી શાસન કરી શકાય અને ભારતનું શોષણ કરી શકાય? ભારતમાં પ્રસ્થાપિત સામાજિક-આર્થિક વ્યવસ્થાને કઈ રીતે સ્પર્શવી જોઈએ? આ એવી વ્યવસ્થા છે જે ગમે તેવી સડેલી કે સત્ત્વહીન હોય તો પણ સેંકડો વરસથી ટકેલી છે અને પ્રજાએ આપનાવેલી છે. જગતના બીજા કેટલાક ગુલામ દેશોની માફક પાટી ભૂંસીને કોરી પાટીએ શાસન શક્ય નથી. જૂનું ચિતરામણ ભૂંસી શકાય એમ નથી. વળી એ અત્યંત જટિલ છે, તેનાં પર બારીક નજર કરશો તો ચિત્ર પણ ઉપસતું નજરે પડશે અને ઊકલે નહીં એવા લીટોડા પણ નજરે પડશે. આમ નવેસરથી શ્રી ગણેશ શક્ય નથી અને જૂના ગણેશજીને હજારો સૂંઢો છે અને માપી ન શકાય એવું મોટું અને ઊંડું પેટ છે.

અહીં એક વાત નોંધવી જોઈએ કે અંગ્રેજોએ જેટલો ભારતને સમજવાનો પ્રયાસ કર્યો છે એટલો ભારતની પ્રજાએ ભારતને સમજવાનો ક્યારે ય પ્રયાસ કર્યો નથી. કારણ કે તેમને આ દેશનું શોષણ કરીને સમૃદ્ધ થવું હતું અને એ તેમને માટે પુરુષાર્થ હતો.

બે માર્ગ તેમને નજરે પડતા હતા. એક તો એ કે જે ટકાઉ ઢાંચો છે તેને એમને એમ જાળવી રાખવામાં આવે. અંગ્રેજ અમલદારોએ અનિવાર્ય હોય એટલા ફેરફાર કરીને એ ઢાંચો અપનાવી લેવો જોઈએ. બીજો એ કે ધીરે ધીરે કે પછી જોખમ ઊઠાવીને ઝડપથી જૂનો ઢાંચો તોડી નાખવામાં આવે અને તેની જગ્યાએ બ્રિટિશ પાશ્ચાત્ય ઢાંચો લાગુ કરવામાં આવે. આ બેમાંથી કયો માર્ગ અપનાવવો જોઈએ એ વિશે તેમની અંદર પ્રચંડ મનોમંથન ચાલ્યું હતું. અંગ્રેજો જે નિર્ણય લે એના પર ભારતનું ભાવિ અવલંબિત હતું. આ મનોમંથન, કહો કે સમુદ્રમંથન, છ દાયકા સુધી ચાલ્યું હતું, જેની ભારતની પ્રજાને બહુ ઓછી જાણ હતી. ભારતની પ્રજાનું ભાવિ પરાયા નક્કી કરવાના હતા. જૂનું, ખખડી ગયેલું પણ ટકાઉ ભારત? અથવા નવું ભારત? કે પછી બેના મિશ્રણવાળું ભારત? જો મિશ્રણ કરવું હોય તો પ્રમાણ કેવું હોવું જોઈએ? જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. છે ને કમાલની વાત!

શરૂઆતમાં પ્રબળ મત તો એવો હતો કે આ સળ ન સૂઝે એવા જટિલ સમાજના ઢાંચાને ખાસ હાથ લગાડ્યા વિના અપનાવી લેવામાં આવે. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે હિંદુ સવર્ણો અને ભદ્ર મુસલમાનો અનુક્રમે પાઠશાળાઓમાં અને મદરસાઓમાં ગમે તેવું પણ શિક્ષણ તો મેળવે છે. એમાં જ થોડું ખપ પૂરતું ઉમેરણ કરવું જોઈએ. એના દ્વારા દેશી નોકરો પેદા કરી શકાશે; પણ શરત એ છે કે વહીવટ દેશી અને પર્શિયન ભાષામાં ચાલશે અને વહીવટીતંત્ર પર નજર રાખવા માટે અંગ્રેજ અમલદારોએ દેશી ભાષાઓ અને પર્શિયન શીખી લેવી પડશે.

૧૭૮૧માં વોરેન હેસ્ટિંગે કલકતામાં મદરસાની સ્થાપના કરી હતી. ૧૭૯૧માં બનારસના કંપની સરકારના રેસીડન્ટ જોનાથન ડંકનના કહેવાથી લૉર્ડ કાર્નવૉલીસે બનારસમાં હિંદુઓ માટે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી, જે અત્યારે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાય છે. આની પાછળનો ઉદ્દેશ ભારતીય મસ્તિષ્ક જેના દ્વારા ઘડાયું છે એ સમજવાનો હતો. આ ઉપરાંત પ્રબળ કુતૂહલવૃત્તિ પણ તેમનામાં હતી.

પણ એનો અર્થ એવો નથી કે અંગ્રેજીના પક્ષધર ચૂપ હતા. તેમને સતત એવું લાગતું હતું કે સરકારે થોડું થોડું જોખમ ઊઠાવતા જવું જોઈએ. ૧૭૯૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકો સમક્ષ અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાનો પહેલો પ્રસ્તાવ રાખનારા સર ચાર્લ્સ ગ્રાન્ટ હતા. કંપનીના સંચાલકોએ તે તરફ ધ્યાન આપ્યું નહોતું અને તેનું કારણ રસપ્રદ છે.

બન્યું એવું કે મિશનરીઓએ કલકત્તા નજીક સિરામપોરમાં છાપખાનાની સ્થાપના કરી અને ભારતીય ભાષાઓમાં બાયબલ છપાવ્યું એ પછી કેટલાક બ્રાહ્મણોએ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. મિશનરીઓ ગેલમાં આવી ગયા હતા. હાંસિયામાં જીવતી ભારતની પછાત પ્રજા ખ્રિસ્તી થાય એનાથી હિંદુ ધર્મના પાયાને ખાસ કોઈ અસર નહોતી થતી. તેઓ નામ પૂરતા હિંદુ હતા અને હિંદુ સાંસ્કૃતિક પરિવેશમાં હાંસિયામાં હતા. જો બ્રાહ્મણો ખ્રિસ્તી બને તો હિંદુ ધર્મના પાયાને હચમચાવી શકાય. આમાં સિરામપોરમાં છપાયેલા બાયબલ પછી અચાનક તેમને અણધાર્યું પરિણામ હાથ લાગ્યું. હિંદુ સમાજના જે કેન્દ્રમાં છે એની જ શ્રદ્ધા જો ડગમગી જાય તો પછી પૂછવું જ શું? એ પછી બીજી પ્રજા બ્રાહ્મણોને જરૂર અનુસરશે, કારણ કે બીજી પ્રજાને તો ઉપરથી ખ્રિસ્તી ધર્મમાં સામાજિક સમાનતા પણ મળવાની હતી. એક બાજુ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરનારા મિશનરીઓ હવે નવું પરિણામ હાથ લાગતાં અંગ્રેજી ભાષાના આગ્રહી થઈ ગયા. તેમનો મૂળ ઉદ્દેશ તો ધર્મપ્રચારનો હતો અને હિંદુ ધર્મના મહેલને ઉધ્વસ્ત કરવાનો હતો. જો અંગ્રેજી ભાષા દ્વારા મોટી માછલીઓ જાળમાં ફસાતી હોય તો અંગ્રેજી ભાષા શા માટે નહીં?

આ તો હિંદુ સમાજ ને! ડાયનાસોર જેવા હિંદુ સમાજનાં વિરાટ પશુનાં છેવાડાનાં અંગો ખરી પડતાં હતાં તેની તેને જાણ જ નહોતી અને જો જાણ હતી તો કોઈ ફરક નહોતો પડતો. મિશનરીઓને પણ આ ઉદાસીનતા જોઈને આશ્ચર્ય થતું હતું. આવો તે કેવો સમાજ જેનાં છેવાડાનાં અંગો ખરી રહ્યા છે અને તેને કોઈ ફરક પડતો નથી! એની વચ્ચે અચાનક સીધો ડાયનાસોરના હ્રદય ઉપર ઘા પડ્યો. કેટલાક (આમ તો મુઠ્ઠીભર) બ્રાહ્મણો ખ્રિસ્તી થયા અને ડાયનાસોરે ક્રુદ્ધ નજરે પણ એ સાથે જ ડરીને કંપની તરફ જોવાનું શરૂ કર્યું. બે શબ્દો ખાસ ધ્યાનમાં લેજો. ‘ક્રુદ્ધ નજરે’ પણ ‘ડરીને’.

આ બાજુ કંપની પણ હિંદુ સવર્ણોની ક્રુદ્ધ નજર જોઈને ડરી ગઈ અને અંગ્રેજી દાખલ કરવાનું જોખમ ઊઠાવવાનું એ સમયે મુલતવી રાખ્યું. મુલતવી રાખ્યું હતું, માંડી નહોતું વાળ્યું; કારણ કે ડાયનાસોરની આંખમાં ડર પણ તેમણે ભાળ્યો હતો. હિંદુ સવર્ણોના મનમાં એક જ સમયે અને એક સાથે પાશ્ચાત્ય સભ્યતા માટે આકર્ષણ પણ હતું, ડર પણ હતો અને ક્રોધ પણ હતો એ અંગ્રેજોનાં ધ્યાનમાં આવી ગયું. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે તેઓ જે પકડી રાખવા માંગે છે એની પાછળ દ્રઢ શ્રદ્ધાનો અભાવ છે, માત્ર રુઢિગત અભિમાન છે. મિશનરીઓ જે છોડાવવા માગતા હતા એમાં દ્રઢ શ્રદ્ધાનો રણકો હતો અને બ્રાહ્મણો જે પકડી રાખવા માગતા હતા તેમાં ક્યાંક કોઈક જગ્યાએ શ્રદ્ધાનો અભાવ હતો. કંપનીના હાકેમો ઉતાવળ કર્યા વિના ઝીણી નજરે જે બની રહ્યું હતું એ જોતા હતા અને એક એક ડગલું માંડતા હતા. જરૂર પડ્યે મિશનરીઓને વારતા હતા અને જરૂર પડ્યે પ્રોત્સાહન આપતા હતા. આગળ કહ્યું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 માર્ચ 2020

Loading

ગ્રીન કવરનું રક્ષણ થવું જ જોઈએ, રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા સિવાયનો વિકલ્પ હોવો જોઈએ : સર્વોચ્ચ અદાલત

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 March 2020

ન્યાયમૂર્તિએ કહ્યું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો, ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

‘કોઈને ખબર પડે તે પહેલાં આપણે બધું ગુમાવી ચૂક્યાં હોઈશું. ગ્રીન કવરનું રક્ષણ થવું જ ઘટે … લોકોને વિકલ્પો શોધવા નથી. રસ્તો બનાવવા માટે ઝાડ કાપવા ઉપરાંતનો વિકલ્પ હોવો જોઈએ. એ કદાચ થોડો વધુ ખર્ચાળ હોય, પણ એ વધારે સારો પણ હોય …’ – આ મતલબની તાકીદ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ શરદ બોબડેએ 18 ફેબ્રુઆરીએ, પશ્ચિમ બંગાળમાં સૂચિત વૃક્ષછેદન અંગેના એક મુકદ્દમાની સુનાવણી દરમિયાન કરી.

તે પૂર્વે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિએ એ જ કેસની પહેલી સુનાવણી દરમિયાન કહ્યું હતું : ‘જ્યારે તમે હેરિટેજ વૃક્ષ કાપો છો ત્યારે એ વૃક્ષે એનાં બધાં વર્ષોમાં પેદા કરેલા ઑક્સિજનનાં મૂલ્યને ધ્યાનમાં લેજો. પછી સરખામણી કરજો કે જો તમારે એટલો ઑક્સિજન બીજી કોઈ જગ્યાએથી ખરીદવો પડે તો કેટલી કિંમત ચૂકવવી પડે.’

સર્વોચ્ચ ન્યાયમૂર્તિના આવાં બે નિરીક્ષણોની વચ્ચેના ગાળામાં, ખાસ તો 14 ફેબ્રુઆરીથી ચાર પાંચ દિવસ દરમિયાન ગુજરાતની રાજ્ય સરકાર અમદાવાદના એક વિસ્તારનાં ગ્રીન કવર સાથે ભર વસંતે ચેડાં કરી રહી હતી. છબિઓ અને અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમનની પૂર્વ તૈયારી માટે મોટેરા સ્ટેડિયમની નજીકના એક વડદાદાને ખતમ કરવામાં આવ્યા. લીમડાના બે  અને નીલગીરીનાં વીસેક જેટલાં ઝાડ કાપી નાખવામાં આવ્યાં.

એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફના રોડ પરના ડઝનેક લીમડાની એટલી હદે છટણી કરવામાં આવી કે પછી થડ પણ ન જતાં રહે તે ડરથી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ ખુદ ત્યાં દોડી ગયા. અન્યત્ર પણ મોટાં વૃક્ષોને બેફામ રીતે ટ્રિમ કરવામાં આવ્યાં. તો બીજી બાજુ લાખો રૂપિયાના ખરચે રાતોરાત હજારો શોભાનાં છોડ અને વેલા વાવવામાં આવ્યાં. ગુજરાત સરકારે બુધવારે જાહેર કરેલાં અંદાજપત્રમાં વનીકરણ માટે બસો પચાસ કરોડ  રૂપિયા ફાળવ્યા છે, ત્યારે આ ભંડોળ શોભાની હરિયાળી માટે નહીં વૃક્ષોવાળાં જંગલોને સાચવવા-વિસ્તારવા માટે ઉપયોગમાં લેવાય એવી અપેક્ષા અસ્થાને નથી.

ટ્રમ્પની તાજમહેલની મુલાકાત માટે આગ્રાનાં વૃક્ષોની પણ બેફામ છટણી કરવામાં આવી હતી. જો કે વૃક્ષોને છાટવા-કાપવામાં બધી વખતે સત્તાવાળાઓ સફળ થાય છે એવું બનતું નથી. પશ્ચિમ બંગાળની સરકારને એમ કરતાં સર્વોચ્ચ અદાલતે અટકાવી છે. ભારત-બાંગલાદેશ સરહદની પર આવેલ, બાંગલા દેશની આઝાદીની લડતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો જેસોર રોડ તરીકે ઓળખાતો નૅશનલ હાઇવે 112 છે. ત્યાં વારંવાર થતાં જીવલેણ અકસ્માત નિવારવા રેલવે ઓવરબ્રિજ બનાવવાની તેમ જ રસ્તાને પહોળો કરવાની રાજ્ય સરકારની યોજનામાં સેંકડો મોટાં, ગીચ અને ઘટાદાર વૃક્ષોને કાપવાં પડે તેમ છે. અસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ ડેમૉક્રેટિક રાઇટસ્ નામની એન.જી.ઓ. સૂચિત વૃક્ષછેદનનાં વિરોધમાં અદાલતમાં ગઈ. પણ રાજ્યની અદાલતે 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી અને કપાયેલાં એક વૃક્ષ દીઠ પાંચ છોડ વાવવાની શરત પણ મૂકી. વડી અદાલતના આ ચૂકાદાની સામે એન.જી.ઓ.એ સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી. તેની સુનાવણી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ શરદ બોબડે, જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાન્તની બેન્ચ સામે ચાલી રહી છે. તેમાં દસમી જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરી.

દસમી જાન્યુઆરીની સુનાવણી દરમિયાન થયેલી દલીલો નોંધપાત્ર છે. અરજદાર એન.જી.ઓ.ના વકીલ અને કર્મશીલ ધારાશાસ્ત્રી પ્રશાન્ત ભૂષણે કહ્યું કે કે વૃક્ષો કપાવાનાં છે તે 70 -80 વર્ષ જૂનાં એવાં હેરિટેજ ટ્રીઝ છે કે કોઈ વૃક્ષવાવણી એનો વિકલ્પ બની શકે નહીં. આગળ ઉપર સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ વૃક્ષો કરતાં માણસની જિંદગી વધુ મહત્ત્વની હોવાનું મંતવ્ય આપ્યું. તેના પ્રતિભાવમાં ભૂષણે જણાવ્યું કે દરેક પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકનાર ગ્લોબલ વૉર્મિન્ગ આવતાં પચાસ વર્ષમાં આખી ય માનવજાતિને ખતમ કરી શકે તેમ છે. ભૂષણે વિકાસની જરૂરિયાત સ્વીકારવાની સાથે ગ્લોબલ વૉર્મિન્ગના ઉકેલ તરીકે વૃક્ષવનસ્પતિનાં જતન અને વૃક્ષછેદનનાં વિકલ્પોની ખોજ પર ભાર મૂક્યો. આ વિકલ્પો અંગે ન્યાયમૂર્તિએ તેમને પૂછતાં ભૂષણે ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજનું સૂચન કર્યું. ભૂષણે વધુમાં કહ્યું કે કલકત્તા અદાલતે સરકારને માત્ર 354 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. પણ સરકાર તો 4,000 જૂનાં વૃક્ષો કાપી નાખે એવી વકી છે. આ બાબતને ધ્યાનમાં લઈને ભૂષણે એન્વાયર્નમેન્ટ રેગ્યુલેટરની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ બંને સૂચનોનો પશ્ચિમ બંગાળની સરકારના ધારાશાસ્ત્રી અભિષેક સિંઘવીએ એમ કહીને વિરોધ કર્યો કે તે સૂચનોનો અમલ કરવામાં પ્રોજેક્ટ ખોરંભે ચડશે. જો કે ન્યાયમૂર્તિ બોબડેએ સરકારને અન્ડરગ્રાઉન્ડ રસ્તો બનાવવાનો અથવા ઝાડ બચે તે રીતે રસ્તાનું અલાઇનમેન્ટ બદલવાનો નિર્દેશ આપ્યો. અદાલતે આ મુકદ્દમાને ટકાઉ વિકાસનો વિષય ગણીને સમિતિને ત્રણ અઠવાડિયામાં વૃક્ષછેદનના વિકલ્પો જણાવવાનો  નિર્દેશ આપ્યો.

ન્યાયમૂર્તિએ પહેલી સુનાવણીમાં એમ પણ કહ્યું કે વસ્તીવિસ્ફોટને કારણે થઈ રહેલો માળખાકીય વિકાસ હરિત આવરણનો ભોગ લે છે. કપાયેલાં એક વૃક્ષની સામે વાવવામાં આવતાં પાંચ  છોડમાંથી માત્ર ત્રણ જ ટકે છે, અને વૃક્ષારોપણ ક્યારેક એક કૌભાંડ પણ હોય છે. જો કે વૃક્ષારોપણની મહત્તમ તકેદારી જેસોર રોડ પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર રાખશે એમ કહીને સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે વૃક્ષોનું કસ્ટોડિયન એટલે રક્ષણહાર ગણાતું પર્યાવરણ અને વન મંત્રાલય પણ રાજ્ય સરકારની સાથે છે. એના પ્રતિભાવમાં ‘તમને ખબર નથી એ મંત્રાલય કેવી જાતની મંજૂરીઓ આપે છે’ એમ કહીને સર્વોચ્ચ ન્યાયાધીશે એ મંત્રાલયની મંજૂરીથી સંખ્યાબંધ ખૂબ જૂનાં વૃક્ષો સહિત ચાર હજાર વૃક્ષો કાપીને બનાવવામાં આવેલ નાગપુર-જબલપુર ધોરી માર્ગનો દાખલો આપ્યો.

આવો જ એક દાખલો તેમણે એકવીસમી તારીખની સુનાવણીમાં પણ આપ્યો. કુદરતી સંપત્તિને થઈ રહેલી હાનિની વાત કરતાં તેમણે નાગપુરનાં ત્રણ તળાવોની અવદશાનો ઉલ્લેખ કરીને કહ્યું : ‘નવાં ઊભા કરવાની અક્કલ તમારામાં ન હોય એ હું સમજું છું, પણ તમે તો જે છે તેનો પણ નાશ કરી રહ્યા છો.’ પર્યાવરણની હાનિને લગતો આ ત્રીજો કિસ્સો અદાલતની સામે આવ્યો છે એમ જણાવી ન્યાયમૂર્તિએ મુંબઈની મેટ્રો રેલ માટેના શેડનો અને  કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો. 

અહીં એ યાદ કરવું જોઈએ કે મુંબઈનાં ગોરેગાવની આરે કૉલોની વિસ્તારમાં મેટ્રો રેલવે માટે ઝાડ કાપવા પર સર્વોચ્ચ અદાલતે 8 ઑક્ટોબરે આપેલો મનાઈ હુકમ 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી થાય ત્યાં સુધી લંબાવ્યો છે. જો કે તે પહેલાં 4 ઑક્ટોબરની સાંજે મુંબઈની વડી અદાલતની મંજૂરીને પગલે સત્તાવાળાઓએ અસાધારણ ઝડપથી બે દિવસમાં બે હજારથી વધુ ઝાડનો ખાતમો બોલાવી દીધો. તે પછી સર્વોચ્ચ અદાલતનો વૃક્ષછેદન સામે મનાઈહુકમ આવ્યો. આ મનાઈહુકમ કાયદાની પદવીના વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ન્યાયાધીશ રંજન ગોગોઈને લખેલા પત્રને આધારે દશેરાની રજા હોવા છતાં ખાસ વેકેશન બેન્ચ રચીને આપવામાં આવ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયમૂર્તિની પર્યાવરણ માટેની સંવેદનશીલતા તેમણે દિલ્હીમાં ન્યાયાધીશોનાં બે દિવસનાં આંતરરાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારંભમાં રવિવારે આપેલાં વક્તવ્યમાં પણ જોવા મળી. તેમાં જસ્ટીસ બોબડેએ પર્યાવરણને લગતી બાબતો માટે બધાં દેશોની વચ્ચે સમાન ધારાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે: ‘પર્યાવરણના પ્રશ્નોના ઉકેલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરહદો ન નડવી જોઈએ. પાણી અને પવન આખી પૃથ્વી પર વહેતાં રહે છે …. આપણે પૃથ્વી પાસેથી જેટલું લઈએ છીએ તેના કરતાં ઘણું ઓછું તેને પાછું આપીએ છીએ.’ 

******

રિવાઇઝ્ડ 28 ફેબ્રુઆરી 2020

[“નવગુજરાત સમય”, શનિવાર, 29 ફેબ્રુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

...102030...2,6412,6422,6432,644...2,6502,6602,670...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved