Opinion Magazine
Number of visits: 9967472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — ૩૩

દીપક મહેતા|Opinion - Opinion|1 March 2020

નાનાભાઈનાં મોટાં કામ

કોશ, છાપખાનું, ખટલો, નાટક, અનુવાદ

ઈ.સ. ૧૮૫૧ના વર્ષના શિયાળાની એક સાંજ. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી પારસી છોકરીઓ માટેની નિશાળનો ૧૯ વર્ષની ઉંમરનો એક પારસી શિક્ષક. સાંજે નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો છે. ધોબી તળાવ પાસે રસ્તાને કિનારે એક મુસલમાન ફેરિયો ચોપડીઓ વેચી રહ્યો છે. યુવાન ઊભો રહી જાય છે. વાંકો વળી એક ચોપડી ઉપાડે છે. એનું નામ છે મોલ્સવર્થ અને કેન્ડી કૃત અંગ્રેજી-મરાઠી શબ્દકોશ. યુવાન ભાવ પૂછે છે. ફેરિયો: ત્રણ રૂપિયા. યુવાન નિસાસો મૂકે છે. છોકરીઓ માટેની નિશાળમાં મહિને ૧૮ રૂપિયાનો પગાર મળતો હતો. એક ચોપડી પાછળ ત્રણ રૂપિયા ખરચવાનું પોસાય નહિ. ભારે હૈયે આગળ ચાલે છે.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના

સાત-આઠ વર્ષની ઉંમરે મા-બાપ બન્ને ગુમાવેલાં. પૂનાનું બાપીકું ઘર છોડી ભાઈ-બહેન સાથે મુંબઈ આવી મોસાળમાં રહેતો હતો એ યુવાન. મામાઓની પણ ટૂંકી આવક. છતાં બધાં ભાણજાંને પાંખમાં લીધેલાં. ચોપડી માટે મામા પાસે ત્રણ રૂપિયા માગવા કઈ રીતે. ન છૂટકે જુઠ્ઠું બોલે છે: ‘નોકરીએ આવતાં-જતાં રસ્તામાં બહુ ઠંડી લાગે છે. એટલે એક જૂનો ડગલો ખરીદવો છે. તે માટે ત્રણ રૂપિયાની જરૂર છે.’ જરા કચવાતે મને, પણ મામા ત્રણ રૂપિયા આપે છે. અને બીજે દિવસે સાંજે ફેરિયા પાસેથી મોલ્સવર્થ અને કેન્ડીનો અંગ્રેજી-મરાઠી શબ્દકોશ ખરીદીને યુવાન ઘરે આવે છે. રસ ગળે ને કટકા પડે એવી કોઈ નવલકથા હાથમાં આવી હોય તેમ ફૂરસદનો બધો સમય આપી એ કોશનો શબ્દેશબ્દ વાંચી લે છે. અને મનોમન નક્કી કરે છે કે મરાઠી ભાષા માટે જે કામ બે અંગ્રેજોએ કર્યું તે મારી ગુજરાતી ભાષા માટે હું કરીશ, આવો જ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવીશ.

એ યુવાનનું નામ નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નામ ભલે નાનાભાઈ, પણ ૬૮ વર્ષની જિંદગીમાં ઘણાં મોટાં કામ કરી ગયા. નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તરીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઈ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યા પછી થોડા વખતમાં મોટા મામા મનચેરજીનું અવસાન થયું. એટલે બધો ભાર આવ્યો નાના મામા કાવસજીને માથે.

મુંબઈમાં થોડો વખત મોહનલાલ ચીમનલાલ મહેતાની દેશી નિશાળમાં ભણ્યા. પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં, પછી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં. ભણવામાં તેજસ્વી હતા એટલે ‘ઇનામો’ મેળવી ઘણુંખરું ‘ફ્રી સ્કોલર’ તરીકે ભણ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, કાવસજી મહેતા વગેરે એમના શિક્ષકો. દાદાભાઈએ પારસીઓમાં સમાજ સુધારો કરવા માટેની શરૂ કરેલી ચળવળમાં નાનાભાઈ જોડાયા. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે સ્થપાયેલી સ્ટુડન્ટસ્ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના સભ્ય બન્યા.

૧૮૫૪મા કુંવરબાઈ સાથે લગ્ન થયા પછી ઘર ખર્ચ વધ્યો. એટલે ૧૮૫૭માં મહિને વીસ રૂપિયાના પગારે ધોબી તળાવ પરની નેટિવ જનરલ લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન તરીકે જોડાયા. ત્યાંના કામના ભાગરૂપે ‘પુસ્તક પ્રસિદ્ધ’ નામના છાપખાનાના તથા ‘સત્ય દીપક’ નામના સામયિકના માલિક નવરોજજી ફરામજીના પરિચયમાં આવ્યા. તેમણે નાનાભાઈને મહિને બે રૂપિયાના પગારે ‘સત્ય દીપક’ના પાર્ટ ટાઈમ અધિપતિ (તંત્રી) નીમ્યા. આ પ્રેસ અને પત્રના સંપર્કને પરિણામે નાનાભાઈના જીવનને નવો જ વળાંક મળ્યો. અવારનવાર છાપખાનામાં જવાનું થતાં એક છાપખાનું કાઢવાનો કીડો તેવણના મનમાં ચવડી આયો. પણ ખાલી ખિસ્સે છાપખાનું કઈ રીતે કાઢવું? પોતાના ચાર મિત્રો અરદેશર ફરામજી મૂસ, જહાંગીર વાચ્છા, કાવસજી મહેતા અને પેસ્તનજી શાપુરજી માસ્ટરને ગળે વાત ઉતારી. નવરોજજી ફરામજીને પણ સાથે લીધા. અને ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું. અલબત્ત, શરૂઆતમાં નાનાભાઈએ તેમાં પોતાની મૂડી રોકી નહોતી (હોય તો રોકે ને?) એટલે મહિને ૩૦ રૂપિયાના પગારે તેના મેનેજર બન્યા. વખત જતાં એક ભાગીદાર બન્યા, અને છેવટે તેના એકમાત્ર માલિક બન્યા. પ્રેસ શરૂ થયા પછી વર્ષો સુધી તેનું સરનામું ‘ફરામજી કાવસજીના તલાવ આગળ, નેટિવ જનરલ લાઈબ્રેરી એઠલ’ એમ છપાતું. એટલે કે જે લાઈબ્રેરીમાં નાનાભાઈ નોકરી કરતા હતા તેના જ મકાનમાં આ પ્રેસ શરૂ થયેલું. પછીથી તે હોર્નિમેન સર્કલ પાસે ખસેડાયું, જ્યાં આજે પણ તે ચાલુ છે.

નાનાભાઈ અને કવિ નર્મદ મિત્રો હતા અને નર્મદનાં કેટલાંક પુસ્તકો નાનાભાઈએ યુનિયન પ્રેસમાં છાપેલાં. નર્મદનું સામયિક ‘ડાંડિયો’ પણ ઘણા વખત સુધી ત્યાં જ છપાતું. તો બીજી બાજુ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી પણ નાનાભાઈના મિત્ર. તેમનું સામયિક ‘સત્યપ્રકાશ’ પણ નાનાભાઈના પ્રેસમાં જ છપાતું. અને તેને લીધે નાનાભાઈએ અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડ્યું હતું. જદુનાથજી મહારાજ અંગેના કેટલાક લેખો ‘સત્યપ્રકાશ’માં છપાયા ત્યારે એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રાણીના ઉપર માનહાનિનો કેસ માંડી પચાસ હજાર રૂપિયા જેટલી (જે એ વખતે ઘણી મોટી ગણાય) રકમ વળતર તરીકે માગી હતી. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાતા આ કેસે એ વખતે દેશમાં અને દેશની બહાર પણ સારી એવી ચકચાર જગાડી હતી. જદુનાથ મહારાજે કેસમાંથી નાનાભાઈને ખસેડવા મહેનત કરી. કહેવડાવ્યું કે તમે તો પારસી છો. અમારા હિન્દુઓના ઝગડામાં નાહકના શું કામ પડો છો? મને મળીને મૌખિક માફી માગી લો તો પ્રતિવાદીઓમાંથી તમારું નામ કાઢી નાખીએ. ઉપરાંત તમને સારી એવી રકમ પણ અમે આપશું. ત્યારે નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું : તમારા ધરમ અંગે મને ઝાઝી ખબર નથી. પણ થોડા રૂપિયા ખાતર મિત્રનો દ્રોહ કરવાનું મારો ધરમ તો મને નથી શીખવતો. આ ખટલામાં છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે ઊભા રહ્યા અને છેવટે કેસ જીત્યા.   

હવે અદાલતના ગુંગળાવતા વાતાવરણથી બહાર નીકળી મુંબઈના ગ્રાન્ટ રોડ પર જરા ખુલ્લી હવામાં લટાર મારીએ. (એ વખતે એ શક્ય હતું.) ૧૮૫૩ના ઓક્ટોબર મહિનાની ૨૯મી તારીખ, વાર શનિ. મુંબઈ શહેરમાં ત્યારે નહોતી વીજળીની સગવડ કે નહોતી સ્થપાઈ યુનિવર્સિટી ઓફ બોમ્બે. બે-પાંચ અખબારોને બાદ કરતાં પ્રચાર માટેનાં ઝાઝાં સાધનો નહિ. અને છતાં એ સાંજે ગ્રાન્ટ રોડ પર લોકોની સારી એવી ભીડ જામી હતી. બધા જઈ રહ્યા હતા નાના શંકરશેઠે બંધાવેલા થિયેટર તરફ. કારણ ત્યાં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. મુંબઈમાં આવું અગાઉ ક્યારે ય બન્યું નહોતું. એ વખતે ભજવાતાં અંગ્રેજી નાટકો જોઈને દાદાભાઈ નવરોજીને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રો સાથે મળીને ‘પારસી નાટક મંડળી’ શરૂ કરી. આ મંડળીએ તે દિવસે સાંજે ‘રૂસતમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરક’નો ફારસ ભજવ્યો હતો. આ પહેલવહેલા ગુજરાતી નાટકમાં જે પારસી પુરુષોએ અભિનય કર્યો હતો તેમનાં નામ ‘બોમ્બે કુરિયર’ના ૩૧ ઓક્ટોબર, ૧૮૫૩ના અંકમાં છપાયાં હતાં. તેમાંનું એક નામ હતું નાનાભાઈ રૂસ્તમજી રાણીના.

પછી નાનાભાઈ નાટકો લખવા લાગ્યા. શેક્સપિયરના ‘ટેમિંગ ઓફ ધ શ્રૂ’ પરથી બનાવેલું ‘ફેરાવન ફરન્ગીઝ’ તેમનું પહેલું નાટક. ‘પાક દામન ગુલજાર’ નામનું તેમનું નાટક એલ્ફિન્સ્ટન નાટક મંડળીએ ૧૮૭૦-૧૮૭૧માં ભજવેલું. ૧૮૮૦માં ‘નાજાં શીરીન’, ૧૮૮૧મા ‘કાળાં મેંઢા’, ૧૮૮૭માં ‘હોમલો હાઉ’, ૧૮૯૩માં ‘વેહમાયલી નજર’ વગેરે તેમનાં લખેલાં નાટકો ભજવાયેલાં. તો હિંદુ દંતકથા પરથી લખેલું ‘સાવિત્રી’ ૧૮૮૨માં પ્રગટ થયેલું. ૧૮૬૫માં પ્રગટ થયેલ ‘શેક્સ્પીરનાટક’માં ‘કોમેડી ઓફ એરર્સ’ અને ઓથેલો’ પરથી કરેલાં રૂપાંતરો સમાવ્યાં છે.

વારુ, નાનાભાઈએ ઘણાં મોટાં કામ કર્યાં એ કબૂલ, પણ એ બધાં કરવામાં પેલી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવવાની વાતનું શું થયું? ભૂલાઈ ગઈ? ના સાહેબ. જિંદગીનાં ઘણાં વર્ષો સુધી બીજાં બધાં કામની સાથોસાથ એ કામ તો ચાલુ જ રહ્યું હતું. એ કામ તેમના જીવનના અંત સુધી ચાલ્યું અને પછી તેમના દીકરા રૂસ્તમે એ અધૂરું રહેલું કામ પૂરું કર્યું. પણ સૌથી પહેલાં જ્યારે આવો કોશ બનાવવા અંગે મિત્ર અરદેશર ફરામજી મૂસને વાત કરી ત્યારે પહેલાં તો તેમણે એ વાત હસી કાઢી : ગુજરાતી ભાષાનો કોશ, અને તે એક પારસીને હાથે! પણ નાનાભાઈ ‘ના’ સાંભળવા માગતા નહોતા.

નાનાભાઈ રાણીનાના હસ્તાક્ષરમાં કોશનું એક પાનું 

પોતે તૈયાર કરેલા કોશનાં થોડાં પાનાં સાથે ફરી મૂસને મળ્યા. તે વખતે જહાંગીર વાચ્છા પણ ત્યાં હાજર હતા. તેમણે તથા મૂસે ફરી નાનાભાઈને સમજાવ્યા. નાનાભાઈ કહે કે પહેલાં મારું લખાણ વાંચો તો ખરા. પછી નક્કી કરજો કે આ કામ મારાથી થઈ શકે તેમ છે કે નહિ. વાચ્છા પીગળ્યા. વાંચ્યું. પ્રભાવિત થયા. મૂસને પણ કહ્યું કે આ વાતમાં માલ છે. એટલે ત્રણે પહોંચ્યા ડોસાભાઈ ફરામજી કરાકા પાસે. તેઓ પણ કામ જોઈ ખુશ થયા અને સોહરાબજી જમશેદજી જીજીભાઈને આર્થિક મદદ માટે ભલામણ કરી. પહેલાં સો પાનાં છપાવવાનો ખર્ચ આપવા સોહરાબજી તૈયાર થયા એટલે નાનાભાઈ ગયા અમેરિકન મિશન પ્રેસ પાસે. સોહરાબજીએ આપેલી પૂરેપૂરી રકમ હાથમાં મૂકીને કહ્યું કે મારો આ કોશ છાપવાનું શરૂ કરો. પ્રેસવાળા કહે કે પણ પછીનાં પાનાં છાપવાનું ખર્ચ કોણ આપશે? નાનાભાઈ કહે : પહેલો ભાગ છપાઈ જાય પછી તેની બધી જ નકલ તમારા તાબામાં રહેશે. તમે જ તે વેચશો. ખર્ચની બધી રકમ વળી જાય પછી જ બાકી વધેલી નકલ તમે મને આપજો. અને એ પ્રેસે કામ હાથમાં લીધું. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશનો પહેલો ભાગ એ રીતે છપાઈને ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે પ્રગટ થયો. પચીસ રૂપિયના ભાવે આખા કોશની એક હજાર નકલ ખરીદવાની દરખાસ્ત નાનાભાઈએ મુંબઈ સરકારને કરી, પણ આટલી મોટી રકમ – પચ્ચીસ હજાર રૂપિયા – ખરચવાનું સરકાર માટે શક્ય નથી એવો જવાબ કેળવણી ખાતાના વડા જેમ્સ બી. પીલે લેખિત રીતે મોકલ્યો. પુસ્તકનાં વખાણ કરતા, તેને આર્થિક કે બીજી રીતે મદદની ઓફર કરતા પત્રો તો આજે ય ઘણાં પુસ્તકોમાં છપાય છે. પણ નાનાભાઈ જેનું નામ! પીલનો પેલો પત્ર પણ તેમણે પોતાના કોશમાં છાપ્યો. અથાગ મહેનત પછી નાનાભાઈ પોતાની હયાતી દરમ્યાન કોશના બાર ભાગ પ્રસિદ્ધ કરી શક્યા. તેમના અવસાન પછી તેરમો અને છેલો ભાગ તેમના દીકરા રૂસ્તમજીએ તૈયાર કરી પ્રગટ કર્યો.

એકાદ અઠવાડિયાની ટૂંકી માંદગી પછી ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરીની દસમી તારીખે ૬૮ વર્ષની ઉંમરે નાનાભાઈનું મુંબઈમાં અવસાન થયું. બીજે દિવસે તેમને અંજલિ આપતાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ લખ્યું હતું : ‘શ્રી નાનાભાઈ બહુમુખી વ્યક્તિત્વ અને અસાધારણ શક્તિ ધરાવનાર વ્યક્તિ હતા અને જીવનના અંત સુધી તેમણે આ બંનેને જાળવી રાખ્યાં હતાં. તેમણે એક લેખક અને પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. પણ તેમની યાદગીરી લાંબા વખત સુધી સચવાયેલી રહેશે તે તો ભગીરથ પુરુષાર્થથી તેમણે તૈયાર કરેલી ઇંગ્લિશ-ગુજરાતી ડિક્ષનરીને કારણે.’ પણ નાનાભાઈનાં મોટાં કામ અને તેમનું નામ આજે તો લગભગ ભુલાઈ ગયાં છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 ફેબ્રુઆરી 2020

Loading

દિલ્હીનાં ચૂંટણી-પરિણામો : આસપાસ અને આરપાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 February 2020

આશરે બે કરોડની વસ્તી અને દોઢેક કરોડ મતદારો ધરાવતા  દિલ્હીને રાજ્યનો દરજ્જો તો નથી મળ્યો, તેના હસ્તક દેશની કોઈ મોટી મહાનગરપાલિકા જેટલી જ સત્તા અને જવાબદારીઓ છે. છતાં ૭૦ બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ રાષ્ટ્રીય મહત્ત્વ ધારણ કર્યું હતું. તેનું કારણ દિલ્હીનું દેશની રાજધાની હોવું તો છે જ, પણ કેન્દ્રના સત્તાધારી ભારતીય જનતાપક્ષનું પ્રચારતંત્ર પણ છે. દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી ૧૯૫૨માં થઈ હતી અને કૉંગ્રેસ સત્તામાં આવી હતી. ઑક્ટોબર, ૧૯૫૬માં દિલ્હીનો રાજ્યનો દરજ્જો રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં વિધાનસભાને બદલે મેટ્રોપોલિટન કાઉન્સિલની રચના થઈ હતી. ૧૯૯૧માં ૬૯મા સંવિધાન-સુધારા દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને સીમિત સત્તાઓ ધરાવતી વિધાનસભા મળી હતી. ૧૯૯૩માં નવરચિત દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી થઈ હતી અને બી.જે.પી.ને સત્તા મળી હતી. પાંચ વરસના બી.જે.પી. રાજવટ દરમિયાન ત્યાં ત્રણ મુખ્યમંત્રીઓ (મદનલાલ ખુરાના, સાહિબસિંઘ વર્મા અને સુષ્મા સ્વરાજ) બદલાયાં હતાં. તે પછીની ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮ની લાગલગાટ ત્રણ ચૂંટણીઓ કૉંગ્રેસ જીતી હતી અને શીલા દીક્ષિત મુખ્યપ્રધાન બન્યાં હતાં. ૨૦૧૩માં કૉંગ્રેસને બહુમતી ન મળતાં તેના સમર્થનથી નવીસવી આમ આદમી પાર્ટી સત્તામાં આવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૫માં  મુદ્દતપૂર્વે ચૂંટણી થઈ અને હવે પાંચ વરસે ૨૦૨૦માં થયેલી દિલ્હી વિધાનસભાની આ સળંગ આઠમી ચૂંટણી હતી. તેમાં ૨૦૧૫ની જેમ આમ આદમી પાર્ટીને ભારે બહુમતી મળી છે.

ઝેરીલો ચૂંટણી પ્રચાર :

એપ્રિલ, ૨૦૧૧ના અન્ના હજારેના ભ્રષ્ટાચાર – વિરોધી અને લોકપાલબિલની માંગણીના આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ઉદ્‌ભવ થયો હતો. બહુ ટૂંકા રાજકીય જીવનમાં તેણે સારું કાઠું તો કાઢ્યું. પણ ૨૦૧૪માં તેણે બી.જે.પી. અને નરેન્દ્ર મોદીનો વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો હતો. ૨૦૧૪માં કેજરીવાલ વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યા અને ૨૦૧૪માં બી.જે.પી. સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ, ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ને ૭૦માંથી ૬૭ અને બી.જે.પી.ને માત્ર ત્રણ જ બેઠકો મળી, ત્યારથી બી.જે.પી.ને કેજરીવાલ અને તેમની પાર્ટી આંખમાં કણાની જેમ ખૂંચે છે.

૨૦૧૯માં દિલ્હીની તમામ સાત લોકસભા સીટો બી.જે.પી.ને મળી હતી અને ૬૫ વિધાનસભા બેઠકો પર તેને બહુમતી મળી હતી, તેથી તેને દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી જવાશે તેમ લાગતું હતું. પરંતુ કેન્દ્ર સરકારના તીન તલાક, રાષ્ટ્રીય સુરક્ષા, ૩૭૦મી કલમ, રામમંદિર અને છેલ્લે નાગરિકતા કાનૂન જેવા નિર્ણયો અને તે સામેના વિરોધ તથા હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રનાં પરિણામોની છાયામાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ નિમ્નકક્ષાનો, નફરત ભરેલો, ઝેરીલો પ્રચાર કર્યો. આવા પ્રચારની આગેવાની વડાપ્રધાન, ગૃહપ્રધાન, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને લોકસભાના સભ્યોએ લીધી હતી. શાહીનબાગમાં ચાલતા નાગરિકતા-સંશોધન કાનૂન વિરોધી આંદોલન અને લઘુમતી મુસ્લિમોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા. રાષ્ટ્રવાદ અને હિંદુત્વના બહાને પાકિસ્તાન, ગદ્દારો, ટુકડે ટુકડે ગેંગ, બિરયાની, મુગલરાજ, કરન્ટ અને સંયોગ નહીં પણ પ્રયોગ જેવા શબ્દપ્રયોગો કરીને મતોના કોમી ધ્રુવીકરણનો ભરપૂર પ્રયત્ન થયો. મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી સુધ્ધાં કહેવાયા. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણીપંચને બી.જે.પી.ના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને લોકસભા સભ્ય પ્રવેશ્ય વર્માને પ્રચારની બહાર રાખવાની સજા કરવી પડી. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આચારસંહિતાભંગની નોટિસ ઇલેકશન-કમિશને પાઠવી હતી. કેન્દ્રનો સત્તાપક્ષ આટલા નાના રાજ્યમાં ચૂંટણીફતેહ માટે નિમ્નકક્ષાનો પ્રચાર કરે તે આપણી ચૂંટણીપ્રણાલી ભવિષ્યમાં કઈ હદે જઈ શકશે તેના સંકેત આપે છે.

મતદાન : ન રોષ, ન ઉત્સાહ :

અનુસૂચિત જાતિની ૧૨ અનામત બેઠકો સાથે કુલ ૭૦ બેઠકો પરના ૬૭૨ ઉમેદવારો માટે યોજાયેલા મતદાનમાં ૬૨.૫૯% મતદાન થયું હતું, જે ૨૦૧૯ની લોકસભાચૂંટણી કરતાં ૨% વધારે, પરંતુ ૨૦૧૫ની વિધાનસભાચૂંટણી કરતાં ૫% ઓછું હતું. ૧.૪૭ કરોડ કુલ મતદારોમાંથી ૫૦,૭૫,૬૬૬ પુરુષો અને ૪૧,૭૮,૮૪૧ મહિલાઓએ મતદાન કર્યું હતું. પુરુષ મતદાનની ટકાવારી ૬૨.૬૨%ની તુલનામાં મહિલા-મતદારોનું ૬૨.૫૫% મતદાન, ૦.૭% ઓછું હતું. મુખ્યમંત્રી કેજરીવાલના મતવિસ્તારમાં ગઈ ચૂંટણી કરતાં ૧૦% ઓછું મતદાન નોંધાયું હતું. અનામત બેઠકો અને મુસ્લિમ બહુલ મતવિસ્તારોમાં અન્યની સરખામણીએ વધુ મતદાન થયું હતું.

૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીમાં ૫૭.૫૮%, ૨૦૧૩માં ૬૫.૬% અને ૨૦૧૫માં ૬૭.૧૨% મતદાન થયું હતું. ૨૦૦૮ની ચૂંટણી વખતે આપનું અસ્તિત્વ નહોતું અને કૉંગ્રેસે ૪૩ બેઠકો સાથે સત્તા મેળવી હતી. ૨૦૧૩માં આપે પ્રથમ વાર ચૂંટણી લડી ૨૮ બેઠકો મેળવી. ત્યારે ૬૫.૬% અને ૨૦૧૫માં ૬૭ બેઠકો મેળવી, ત્યારે ૬૭.૧૨% મતદાન થયું હતું. એટલે આ વખતની ૬૨.૫૯ %ની મતદાન-ટકાવારી કેન્દ્ર કે રાજ્યના સત્તાપક્ષોની કામગીરી સામે મતદારોનો ઉત્સાહ, નારાજગી કે સત્તાવિરોધી કોઈ લહેરના દ્યોતક નથી, પરંતુ એકંદર અને સરેરાશ મતદાન છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મતવિસ્તારમાં મતદાનની ઘટેલી ટકાવારી મતદારો તેમની કામગીરી પર ઓળઘોળ છે, તેમ જો નથી દર્શાવતા તો તેમને જિતાડીને તેમના પ્રત્યે કોઈ નારાજગી કે રોષ પણ નથી દર્શાવતા.

‘આપ’ની જ્વલંત જીત :

આમઆદમી પાર્ટીને ૫૩.૫૭% મત સાથે ૭૦માંથી ૬૨ બેઠકો મળી છે. કોઈ રાજકીય પક્ષ બીજી વારની મુદ્દત માટે ૫૦% કરતાં વધુ મતે વિજયી બને તેવા દાખલા બહુ ઓછા છે. એ અર્થમાં આમ આદમી પાર્ટીનો આ વિજય જ્વલંત છે. ૨૦૧૩માં તેને ૨૯.૪૯% અને ૨૦૧૫માં ૫૪.૩૯% વોટ મળ્યા હતા. આ વખતે ૦.૮૨% વોટ શેર અને પાંચ બેઠકો ઘટ્યા હોવા છતાં આ વિજય એટલા માટે અસામાન્ય છે કે હજુ છ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ‘આપ’ને દિલ્હીની સાતમાંથી એક પણ બેઠક મળી નહોતી અને ૧૮ % વોટ સાથે તે ત્રીજા ક્રમે હતા.

વડાપ્રધાન અને ગૃહપ્રધાનની આગેવાનીમાં બી.જે.પી.નું આખું ય દળકટક અસીમિત સંસાધનો સાથે પ્રચારમાં હોય, ત્યારે ‘જો મેં તમારા માટે કામ કર્યું હોય’ તો જ મને વોટ આપજો’ ત્યાં તેમ કહી કામના બદલામાં વોટ માંગવા તે મોટી બહાદુરી હતી. વીત્યાં પાંચ વરસમાં આમ આદમી પાર્ટીએ ઘણાં સંકટો જોયાં છે. તેના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના અને ફોડવાના પ્રયત્નો બી.જે.પી. થકી થયા હતા. આપે તેના ૧૫ ધારાસભ્યોને તેમની નબળી કામગીરીના કારણે ટિકિટ ન આપી. તેના બદલે અન્યને ચૂંટણી લડાવી અને તેમાંના મોટા ભાગના જીત્યા છે. મફત વીજળી, પાણી અને મહિલાઓને મફત બસપ્રવાસ, સારી સરકારી શાળાઓ અને મહોલ્લા ક્લિનિક આમ આદમી પાર્ટીની મહત્ત્વની કામગીરી હતી. તેના જોરે તે ચૂંટણી લડી અને લોકોનું સમર્થન મળ્યું. ત્રિકોણીય મુકાબલો છતાં આપની મુખ્ય હરીફાઈ બી.જે.પી. સાથે હતી. બી.જે.પી.એ તેની સામે તમામ પ્રકારના દુષ્પ્રચાર કર્યા છતાં તેને હરાવી ન શકાઈ. નરેન્દ્ર મોદીના ચહેરા અને નાગરિકતા કાનૂન જેવા રાષ્ટ્રીય મુદ્દા સામે કેજરીવાલે આ ચૂંટણીને સ્થાનિક અને પોતાની સરકારની કામગીરીના મુદ્દે બાંધી રાખીને સફળતા મેળવી છે. સમાજના લગભગ તમામ વર્ગ, જાતિ કોમના મત આપને મળ્યા છે.

બી.જે.પી.ની કારમી હાર :

છ જ મહિના પહેલાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બી.જે.પી.ને દિલ્હીની તમામ સાતેય બેઠકો અને ૫૭% વોટ મળ્યા હતા, ત્યારે ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં તેને ૩૮.૫૧% વોટ સાથે માત્ર આઠ જ બેઠકો મળી છે. ૨૦૧૫ની ત્રણ બેઠકો અને  ૩૨.૧૯% ને બદલે આ વખતે આઠ બેઠકો અને ૩૮.૫૧% વોટ મળ્યા છે, એટલે તેની બેઠકો અને વોટશેર બંને વધ્યા છે, એવું આશ્વાસન જરૂર લઈ શકાય. પરંતુ ૧૯૯૮થી તે દિલ્હીમાં સત્તાથી દૂર છે અને આ વખતે આટઆટલા પ્રયત્નો પછી પણ તેને સત્તા મળી નથી, તે હકીકત છે. કેન્દ્રમાં અને દિલ્હીની ત્રણેય મહાનગરપાલિકાઓમાં બી.જે.પી.ની સત્તા હોય, દિલ્હીના સાતેય સાંસદો બી.જે.પી.ના હોય, ત્યારે તે બે આંકડે પણ બેઠકો ન મેળવી શકે તે પરાજય બહુ કારમો છે. ગૃહમંત્રી અમિત શાહ, ‘તેમનો પક્ષ કોઈ ચૂંટણી માત્ર જીતવા માટે નહીં પણ પક્ષની વિચારધારા ફેલાવવા માટે લડે છે,’ એમ કહે છે, એ દૃષ્ટિએ પણ આ હારનું મૂલ્યાંકન કરીએ, તો મતદારોએ બી.જે.પી.ને હરાવીને તેના વિચારધારાના ફેલાવાને અને નકારાત્મક પ્રચારને નકારી દીધો છે. તેમ લાગે છે. બી.જે.પી. હસ્તકની સાત લોકસભા સીટોમાંથી ચારમાં બી.જે.પી.ને એક પણ બેઠક ન મળવી તે ભૂંડી હાર છે. ચૂંટણીપ્રચાર વખતે ગૃહમંત્રી મતદારોને શાહીનબાગને કરન્ટ લાગે એટલા ગુસ્સાથી ઈ.વી.એમ.નું બટન દબાવવા કહે અને હવે આ ચૂંટણી-પરિણામ એન.આર.સી. કે સી.એ.એ. વિરુદ્ધનો કોઈ જનાદેશ નથી, તેમ કહે ત્યારે તેઓ વાસ્તવિકતા સ્વીકારતા નથી બી.જે.પી.એ દિલ્હીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ ઉમેદવારના નામની ઘોષણા કરી નહોતી અને કેન્દ્રની કામગીરી, મુસ્લિમ વિરોધ અને વડાપ્રધાનના ચહેરાને સામે રાખીને લડી હતી, ત્યારે પરાજયની જવાબદારી બી.જે.પી.ના રાજ્ય-નેતૃત્વને બદલે કેન્દ્રના નેતૃત્વએ સ્વીકારવી જોઈએ.

કૉંગ્રેસ ફરી શૂન્ય પર – સતત ત્રણ ટર્મ અને ૧૫ વરસ દિલ્હીમાં સત્તા ભોગવનાર કૉંગ્રેસનું ૨૦૧૫ પછી ૨૦૨૦માં પણ વિધાનસભામાં ખાતું ખૂલ્યું નથી. ૨૦૦૮માં તેને ૪૦.% વોટ અને ૪૩ બેઠકો મળી હતી. પરંતુ તે પછી તેનો વોટશેર અને બેઠકો ઘટતાં રહ્યાં છે. ૨૦૧૩માં આઠ બેઠકો મેળવનાર કૉંગ્રેસને ૨૦૧૫ અને ૨૦૨૦માં એક પણ બેઠક મળી નથી. તેનો વોટશેર પણ સતત ઘટતો રહ્યો છે. કૉંગ્રેસને ૨૦૧૩માં ૨૪.૫૫%, ૨૦૧૫માં ૯.૬૫% અને ૨૦૨૦માં ૪.૨૬% વોટ મળ્યા છે. ૧૨ વરસમાં વોટનું ૩૬% ધોવાણ અકલ્પનીય છે. હજુ છ મહિના પહેલાં લોકસભામાં ૨૨% વોટશેર સાથે દિલ્હીમાં બીજા નંબરે રહેલી કૉંગ્રેસના ૬૬માંથી ત્રણ જ ઉમેદવારો પોતાની ચૂંટણી ડિપૉઝિટ બચાવી શક્યા છે. આટલો કારમો પરાજય કૉંગ્રેસને તાત્કાલિક આત્મખોજ માટે પ્રેરે તે જરૂરી છે. તેના પરંપરાગત મતદારો કેમ આપ તરફ વળ્યા છે અને તે સ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે તે કૉંગ્રેસે વિચારવું પડશે.

દલિત, મુસ્લિમ અને મહિલા-મતદારોનું વલણ :

અનુસૂચિત જાતિની તમામ ૧૨ અનામત બેઠકો ૨૦૧૫ની જેમ ૨૦૨૦માં પણ કેજરીવાલની પાર્ટીના ફાળે ગઈ છે. દલિત અનામત બેઠકો પર ન માત્ર ભા.જ.પ.-કૉંગ્રેસના ઉમેદવારો હારે છે, પરંતુ બ.સ.પા.એ પણ પોતાનો દલિત જનાધાર દિલ્હીમાં ગુમાવી દીધો છે. ૨૦૦૮માં માયાવતીની બી.એસ.પી. બે અને રામવિલાસ પાસવાનની એલ.જે.પી. એક બેઠક જીતી હતી. હવે આ બંને પક્ષો દિલ્હીમાં નામશેષ થઈ રહ્યા છે. ૨૦૦૮માં બ.સ.પા.નો વોટશેર દિલ્હીમાં ૧૪.૦૫% હતો તે ૨૦૨૦માં ઘટીને ૦.૭૧% થઈ ગયો છે. એલ.જે.પી.ને ૦.૩૫% વોટ જ મળ્યા છે, પરંતુ આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે તે એક અનામત બેઠક પર બીજા ક્રમે છે. અન્ય પછાતવર્ગ માટે અનામત બેઠકો નથી, તેથી તેની વસ્તીના પ્રમાણમાં વિધાનગૃહોમાં તેનું પ્રતિનિધિત્વ પણ જોવા મળતું નથી. દિલ્હીમાં ઓ.બી.સી. વસ્તી આશરે ૫૫થી ૬૦ %ની અંદાજવામાં આવે છે. ૨૦૨૦ની ચૂંટણીમાં આપના ૧૧ અને ભા.જ.પ.ના એક એમ કુલ ૧૨ ઓ.બી.સી. ચૂંટાયા છે. કુલ ૭૦ બેઠકોમાં ૧૨ ઓ.બી.સી.નું ચૂંટાવું તે વિધાનસભામાં તેમનું અલ્પપ્રતિનિધિત્વ દર્શાવે છે.

૧૬ મુસ્લિમ બહુલ મતદારો ધરાવતી બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને ૧૨ અને ભા.જ.પ.ને ચાર બેઠકો મળી છે. ભા.જ.પે. ૨૨% મુસ્લિમ મત ધરાવતી ગાંધીનગર, ૨૦% મુસ્લિમ મત ધરાવતી કરાવલનગર અને ૧૫-૧૫% મુસ્લિમ મત ધરાવતી બદરપુર અને ઘોડા બેઠકો મેળવી છે  ૫૦% થી ૧૮% મુસ્લિમ મતદારો ધરાવતી ૧૨ બેઠકો આપના ફાળે ગઈ છે. શાહીનબાગ વિસ્તારનો જેમાં સમાવેશ થાય છે, તે ઓખલા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાનને સમગ્ર દિલ્હીના ઉમેદવારોમાં સૌથી વધુ ૧,૩૦,૧૬૩ મત મળ્યા છે, પરંતુ સૌથી વધુ લીડથી જીતનાર ઉમેદવાર તેઓ નથી. તેમની લીડ ૭૧,૮૨૭ મતની છે. સૌથી વધુ ૮૮,૦૦૦ મતના અંતરેથી આપના બુરાડીના હિંદુ ઉમેદવાર સંજય ઝા વિજયી બન્યા છે. કૉંગ્રેસે પાંચ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા, પણ  તમામ ન માત્ર હાર્યા છે, ડિપૉઝિટ પણ ગુમાવી છે, જ્યારે આપના પાંચેય મુસ્લિમ ઉમેદવારો વિજયી થયા છે. આ વિગતો પરથી જણાય છે કે બી.જે.પી. મુસ્લિમ બહુલ મતદાર વિસ્તારમાં ચાર બેઠકો મેળવે છે અને શાહીનબાગનો સમાવેશ કરતી ઓખલા બેઠકના મુસ્લિમ ઉમેદવારને સૌથી વધુ મત મળે છે, પણ લીડ મળતી નથી! એ પણ નોંધવું રહ્યું કે ૨૦૧૫માં મુસ્લિમ બહુલ ૧૨માંથી એક જ બેઠક બી.જે.પી.ને મળી હતી. ૩૬% મુસ્લિમ મત ધરાવતી અને ૨૦૧૫માં બી.જે.પી.એ જીતેલી મુસ્તફાબાદ બેઠક આ વખતે બી.જે.પી. જીતી શકી નથી. મતોના ધ્રુવીકરણનો હિસાબ માંડતાં આ હકીકતો તપાસવી પડશે. 

કૉંગ્રેસે ૧૦, આમ આદમી પાર્ટીએ નવ અને બી.જે.પી.એ છ મહિલા ઉમેદવારોને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યાં હતાં. ત્રણ મોટા રાજકીય પક્ષોનાં ૨૪ મહિલા ઉમેદવારોમાંથી આઠ ઉમેદવારો વિજયી થયાં છે અને તે તમામ આપનાં છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના મતદાનનું અંતર જેમ આ વખતે સૌથી ઓછું છે, તેમ પ્રથમ જ વખત દિલ્હી વિધાનસભામાં આઠ મહિલા ઉમેદવારો ચૂંટાયાં છે. ૨૦૦૮માં અને ૨૦૧૩માં ૩-૩, ૨૦૧૫માં ૬ અને ૨૦૨૦માં આઠ મહિલાઓ ધારાસભ્ય બન્યાં છે, પરંતુ આ આંકડો ન તો સંતોષજનક છે કે ન તો સ્ત્રીઓનું પૂરતું પ્રતિનિધિત્વ કરનારો છે. અનુસૂચિત જાતિની ૧૨ અનામત બેઠકોમાં પણ માત્ર એક જ મહિલા ધારાસભ્ય છે. મતદાનમાં પુરુષોની લગભગ હારોહાર રહેતાં સ્ત્રી-મતદારો પ્રત્યેનું રાજકીય પક્ષોનું આ વલણ પુરુષવાદી અને જીતી શકે તેવા ઉમેદવાર તરીકે સ્ત્રીઓની બાદબાકીનું છે. દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષને દેશની રાજધાનીમાં ૭૦માંથી માત્ર છ જ મહિલાઓ ઉમેદવારી કરવા મળે, તે બાબત શોચનીય છે અને બીજી વાર કેજરીવાલ મંત્રીમંડળમાં એક પણ મહિલામંત્રી નથી, તે ટીકાપાત્ર છે.

હારજીતના લેખાંજોખાં :

અનેક ધમપછાડા છતાં અજેય મનાતી મોદી-શાહની જોડીને તેના નાક નીચે દિલ્હીમાં હરાવવી આસાન નહોતી. એ કામ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ કરી દેખાડ્યું છે. તેનો શ્રેય જેટલો આપને જાય છે, તેટલો જ મતદારને પણ જાય છે. આપણો મતદાર પણ ગજબનો છે. તે દિલ્હીની મ્યુનિસિપાલિટીમાં અને કેન્દ્ર સરકારમાં તો બી.જે.પી.ની તરફેણમાં જનાદેશ આપે છે, પણ રાજ્યમાં આપતો નથી!

આપે તેની પાંચ વરસની રાજવટમાં શરૂઆતના ત્રણ સાડા-ત્રણ વરસ તો દિલ્હી સરકારની સત્તાની સ્પષ્ટતા માટે કોર્ટકચેરી કરવામાં અને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવવામાં જ વિતાવ્યાં હતાં. આજે આપ સરકારનો જે વિકાસ દેખાય છે, તે તો છેલ્લા દોઢેક વરસનો જ છે. લોકરંજની પગલાં લેવામાં તેણે ચૂંટણી વરસની રાહ જોઈ છે. દલિતો અને મહિલાઓએ તેમને ખોબલે અને ખોબલે મત આપ્યા હતા, પરંતુ તે પ્રમાણેનું તેમનું શાસનમાં પ્રતિનિધિત્વ નહોતું. મોદી-શાહના રાષ્ટ્રવાદ અને હિંદુત્વ સામે કેજરીવાલે પણ એ જ રણનીતિ અપનાવી હતી. ૨૦૧૩માં કેજરીવાલે જન લોકપાલબિલ પાસ ન થવાના કારણે પોતાનું ૪૯ દિવસનું શાસન ન્યોછાવર કરી દીધું હતું. પણ તે પછીનાં ભારે બહુમતીવાળાં પાંચ વરસના શાસનમાં તેમણે સાર્થક લોકપાલબિલનો માર્ગ લીધો નથી. વૈકલ્પિક રાજનીતિ માટે જન્મેલી આમ આદમી પાર્ટીએ કોઈ વૈકલ્પિક ઇકોનૉમીનું મૉડેલ પણ રજૂ કર્યું નથી. શિક્ષણ અને આરોગ્ય માટે રાજ્યબજેટનો સિંહભાગ ખર્ચ્યા પછી પણ ‘કેગ’ના રિપોર્ટની નોંધ પ્રમાણે દિલ્હી સરકાર પાસે મહેસૂલી આવકની પુરાંત રહે છે ‘એનાં ગાણાં આપ ગાય છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતાના માટે મોંઘુદાટ વિમાન ખરીદે છે, એની અરવિંદ કેજરીવાલ વાજબી ટીકા કરે છે, પણ સરકારી ખર્ચે જાહેરખબરો મારફત પોતાની વાહવાહી કરાવવાનું મોદીમૉડેલ કેજરીવાલ પણ બરાબર અપનાવે છે. બહુ માસૂમિયતથી જેમ મોદી પોતાને પ્રધાન સેવક તરીકે સ્થાપી દે છે તેમ કેજરીવાલ પણ પોતાને દિલ્હીનો દીકરો બનાવી દે છે, મોદી-શાહના રામ સામે તે બજરંગ બલીને લઈ આવે છે. ૩૭૦મી કલમની નાબૂદી માટે બી.જે.પી.નું સમર્થન કરે છે અને નાગરિકતા સંશોધન કાનૂન કે શાહીનબાગના મુદ્દે હિંદુ વોટબૅન્કને ખુશ રાખવા પોતાનું વલણ સંદિગ્ધ રાખે છે. નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ સ્વપ્રસિદ્ધિ અને એકહથ્થુ સત્તામાં માને છે. મુખ્યમંત્રી રહેવા છતાં એક પણ વિભાગ પોતાના હસ્તક રાખતા નથી, પણ સત્તાનું કેન્દ્રીકરણ પક્ષ અને સરકાર બંનેમાં બરાબર બનાવી રાખ્યું છે. પોતાના સિવાય પક્ષમાં અન્યનું નેતૃત્વ ઊભું ન થવા દેવાની સાવધાની બરાબર રાખતા કેજરીવાલ સંયમિત રાષ્ટ્રવાદ અને સમન્વવાદની રણનીતિથી બી.જે.પી.નો મુકાબલો કરવા માંગે છે. ‘ભારત માતા કી જય’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ એવા બંને નારા તેઓ એકી શ્વાસે બોલી જાણે છે. મુખ્યમંત્રીની ત્રીજી મુદ્દત મેળવનાર અરવિંદ કેજરીવાલ કોઈ આદર્શ રાજનીતિજ્ઞ નથી પણ આકાંક્ષી રાજકારણી છે. રાજકીય મહાત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા તેઓ ‘ઈન્સાન કા ઈન્સાનસે હો  ભાઈચારા’ના પૈગામને તડકે મેલી બજરંગબલીની જય અને હનુમાન ચાલીસાના પાઠ કરતાં-કરતાં રાષ્ટ્ર નિર્માણ માટે ‘હમ હોંગે કામયાબ’ ગાઈ જાણે છે …

વૈકલ્પિક આર્થિક નીતિ અને વૈકલ્પિક રાજનીતિ મારીમારી ચૂંટણી – રાજનીતિમાં પોતાના માર્ગ શોધે છે. આપણે એ વાતે આશ્વસ્ત રહેવું જોઈએ કે આઠમી ફેબ્રુઆરીના મતદાતા દાડે’ અને અગિયારમી ફેબ્રુઆરીના મતગણતરી દાડે શાહીનબાગના મહિલા સત્યાગ્રહીઓએ રોમાંચિત ઉન્માદથી છલકાતી કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે અને તેમાં ય મતગણરીના દાડે તો મોં પર કાળી પટ્ટી ધારણ કરી મૌન સત્યાગ્રહ વાટે જાણે કે ગાંધીને જીવતો અને બોલતો રાખ્યો હતો. આવા શાહીનબાગો જ્યાં સુધી હયાત હશે, ત્યાં સુધી તે સત્તાશાહી અરવિંદ કેજરીવાલો અને નરેન્દ્ર મોદી-અમિત શાહોને જંપવા દેવાના નથી, એટલું દિલ્હીનો જનાદેશ દેશ અને દુનિયાને જણાવે તો ભયોભયો ! ..

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2020; પૃ. 05-06 તેમ જ 04

Loading

‘Bharat Mata ki Jai’ and Contemporary Nationalism in India

Ram Puniyani|English Bazaar Patrika - OPED|29 February 2020

Like most of the political phenomenon, even the practice of Nationalism is not a static one. It changes with the changing political equations of the political forces and assumes the expressions which are very diverse. As such the phenomenon of Nationalism has a long journey and various state policies in particular have used it for purposes which relate more to the power of the state ‘vis a vis’ its people, power of the state ‘vis a vis’ the neighboring countries among others.

In India there has been a certain change in the practices of the state which have transformed the meaning of Nationalism during last few years. Particularly with BJP, the Hindu Nationalist outfit gaining simple majority, it has unfolded the policies where one can discern the drastic change in the meaning and application of Nationalism in regard to its citizens, particularly those belonging to minority community, with regard to those who are liberal, and with those who stand with the concept of Human rights.

Our former Prime Minister of Dr. Manmohan Singh hit the nail on the head when he said that “Nationalism and the "Bharat Mata Ki Jai" slogan are being misused to construct a "militant and purely emotional" idea of India that excludes millions of residents and citizens. Former Prime Minister recently stated this in an apparent attack on the BJP.” The occasion was the release of a book, ‘Who is Bharat Mata’, edited by Purushottam Agarwal and Radhakrishna. This is a compilation of significant extracts from writings of Nehru, and important assessments of and contributions of Nehru by prominent personalities.

Dr. Singh went on to add "With an inimitable style…Nehru laid the foundation of the universities, academies and cultural institutions of Modern India. But for Nehru's leadership, independent India would not have become what it is today," This statement of Dr. Singh has great importance in contemporary times, as Nehru is being denigrated by Hindu nationalists for all the problems which India is facing today and attempts are on to undermine his role and glorifying Sardar Vallabh Bhai Patel. This is also significant as it gives us the glimpses of what Nationalism meant for Nehru.

As Singh’s statement captures the present nationalism being practiced by BJP and company, the Hindu nationalists, immediately shot back saying that Dr. Singh is supporting the anti India activities at JNU and Jamia and his party is supporting the anti India nationalists. They asked whether Singh likes the nationalism of the likes of Shashi Tharoor or Manishankar Ayer who are provoking the Shaheen Bagh protest rather than making the protestors quiet. Whether he likes the anti national protests which go on at JNU or Jamia? As per them there is no Nationalism in Congress. One more example being cited is the private visit of Shatrughan Sinha who talked to Pakistani President during his visit there recently!

Most of the arguments being used to oppose Dr. Singh are very superficial. What is being referred to; is not opposition to Indian nationalism and its central values which were the core of anti colonial struggles. While ‘Bharat Mata Ki Jai’ may not be acceptable to a section of population, even the book he was releasing has the title ‘Who is Bharat Mata’. What is being stated by Singh is the twist which slogan ‘Bharat Mata ki Jai’ has been used by Hindu nationalists to frighten the religious minorities.

Indian nation came into being on the values, which later were the foundation of Indian Constitution. Indian Constitution carefully picked up the terminology which was away from the concepts of Hindu or Muslim nationalism. That’s how the country came to be called as ‘India that is Bharat’. The freedom of expression which was the hallmark of freedom movement and it was given a pride of place in our Constitution. It respected the diversity and formulated rules where the nation was not based on particular culture, as Hindu nationalists will like us to believe, but cultural diversity was centrally recognized in the Constitution. In addition promoting good relations with neighbors and other countries of the World was also part of our principles.

JNU, Jamia and AMU are being demonized as most institutions so far regard the freedom of expression as a core part of Indian democracy. These institutions have been thriving on discussions and debates which have base in liberalism. Deliberately some slogans have been constructed to defame these institutions. While Constitution mandates good relations with neighbors, creation of ‘Anti Pakistan hysteria’ is the prime motive of many a channels and sections of other media, which are servile to the ideology of ruling Government. They also violate most of the norms of ethical journalism, where the criticism of the ruling party is an important factor to keep the ruling dispensation in toes.

A stifling atmosphere has been created during last six years. In this the Prime Minster can take a detour, land in Pakistan to have a cup of tea with Pakistan PM, but a Congress leader talking to Pakistani President is a sign of being anti National. Students taking out a march while reading the preamble of Indian Constitution are labeled as anti-national; and are stopped while those openly wielding guns near Jamia or Shaheen Bagh roam freely.

Nationalism should promote amity and love of the people; it should pave the way for growth and development. Currently the nationalism which is dominant and stalking the streets has weakened the very fraternity, which is one of the pillars of our democracy. Nehru did explain that Bharat Mata is not just our mountains, rivers and land but primarily the people who inhabit the land. Which nationalism to follow was settled during the freedom movement when Muslim nationalism and Hindu nationalism were rejected by the majority of people of India in favor of the Nationalism of Gandhi, Nehru, Patel and Maulana Azad, where minorities are equal citizens, deserving affirmative action. In today’s scenario the Hindu nationalists cannot accept any criticism of their policies. 

https://www.newsclick.in/BMKJ-Contemporary-Indian-Nationalism      

Loading

...102030...2,6432,6442,6452,646...2,6502,6602,670...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved