Opinion Magazine
Number of visits: 9684107
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુસ્લિમ લઘુમતી દેશમાં મુસલમાનનું હિત નાગરિક બનીને જીવવામાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2020

ઈમરજન્સી પછી કેટલાક દાઉદીવ્હોરા સુધારકોએ જયપ્રકાશ નારાયણને ફરિયાદ કરી હતી કે તેમના સંપ્રદાયમાં ધર્મગુરુનું રાજ છે. અમે ભારતના નાગરિકો છીએ, પણ તે સાથે ધર્મગુરુની ગુલામ પ્રજા પણ છીએ. જયપ્રકાશ નારાયણે આ બાબતે સાચી વાત શું છે એની તપાસ કરવાનું મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણીને કહ્યું હતું. ન્યાયમૂર્તિ નથવાણીએ બંને પક્ષોને અને બીજા લોકોને સાંભળીને તારણ કાઢ્યું હતું કે સુધારક વ્હોરાઓ જે કહે છે તેમાં તથ્ય છે. એ સમયે અમે યુવકોએ માગણી કરી હતી કે કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુ ધર્મના નામે ભારતના નાગરિકની નાગરિકતાને (એટલે કે નાગરિકને મળતા માનવ અધિકારને) નકારી ન શકે. અમે એ સમયે સુધારક વ્હોરાઓની સ્વતંત્રતાની માગણી સાથે મોરચો કાઢ્યો હતો અને રૂઢિચુસ્ત વ્હોરાઓનો માર ખાધો હતો. આ લખનારે તેમના બે વાર માર ખાધા છે.

૧૯૮૭માં રાજીવ ગાંધીની સરકારે રૂઢિચુસ્ત મુસલમાનોને રાજી કરવા મુસ્લિમ ત્યકતા સ્ત્રીને ન્યાય આપનારો સર્વોચ્ચ અદાલતનો શાહબાનો કેસ ઉલટાવ્યો ત્યારે અમે તેનો વિરોધ કર્યો હતો. આઝાદ અને સેક્યુલર ભારતની કોઈ સરકાર અન્યાયની તરફદારી કેમ કરી શકે? અમે જ્યારે શાહબાનો કેસને ઉલટાવનારા ખરડાનો વિરોધ કર્યો ત્યારે પણ રૂઢિચુસ્ત મુસલમાનોના હાથના માર ખાધા હતા.

એ જ અરસામાં સલમાન રશ્દીની ‘સેતાનિક વર્સીસ’ નામની નવલકથા આવી હતી અને ઈરાનના ખોમેનીએ રશ્દીની હત્યા કરવાનો ફતવો કાઢ્યો હતો. એ સમયે ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે મુંબઈમાં મુસલમાનોએ જે પ્રચંડ દેખાવો કર્યા હતા એ નજરે જોયા છે. શું ગુસ્સો અને ધાર્મિક ઉન્માદ હતો એમાં! રાજીવ ગાંધીની સરકારે એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો જેનો અમે વિરોધ કર્યો હતો. કોઈને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવાનો અધિકાર નથી.

મુસ્લિમ માનસને સમજવા માટે અને રૂઢિચુસ્ત ઇસ્લામ પરત્વેના મુસલમાનોના પ્રતિસાદને સમજવા માટે ડૉ. ઝકીર નાઈકની તકરીરમાં પણ હાજરી આપી છે. છીછરી, નકલી અને પક્ષપાતી બહુશ્રુતતા જોઈને અભિભૂત થઈ જનારા ભણેલા મુસલમાનોને જોઇને મનોમન ચિંતા કરી છે. ભારત સહિત ઇસ્લામિક દેશોમાં મૂળભૂતવાદે અને કેટલાક મુસ્લિમ દેશોમાં ત્રાસવાદે પગ જમાવ્યો ત્યારે કેટલીક મુસ્લિમ બહુમતી કોલેજોમાં સેકયુલરિઝમ પર વ્યાખ્યાનો પણ આપ્યાં છે અને એમાં પણ મુસલમાન વિદ્યાર્થીઓના સેકયુલરિઝમનો પ્રતિકાર કરતા વલણનો અનુભવ કર્યો છે.

૨૦૧૪માં આસામમાં કોકરાજહારમાં બોડો આતંકવાદીઓએ કેટલાક મુસલમાનોની હત્યા કરી ત્યારે મુસલમાનોએ મુંબઈમાં જે પ્રચંડ મોરચો કાઢ્યો હતો એ જોઈને મુંબઈ પોલીસ પણ ડરી ગઈ હતી.

આ દરેક પ્રસંગે મુસલમાનોને એક ટીપિકલ વલણ ધરાવતા જોયા છે. અલ્લાહો અકબર, ઇસ્લામ ખતરે મેં હૈ, ઇસ્લામ જગતનો એક માત્ર સાચો અને સંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોને સતાવવામાં આવે છે, વગેરે વગેરે. ઉપરાંત મેદાન લીલા ઝંડાઓથી છવાયેલું હોય એ વધારામાં.

પણ આ વખતે નાગરિક નોંધણી અને નાગરિક ધારામાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં મુસલમાનોનું જે સ્વરૂપ જોવામાં આવ્યું એ નવો અને સુખદ અનુભવ હતો. આશ્ચર્યજનક તો હતો જ હતો. આ કોલમમાં મેં લખ્યું પણ હતું કે કોઈ જગ્યાએ ટીપિકલ નારા નહોતા, લીલા રંગના વાવટા તો ભાગ્યે જ જોવા મળતા હતા, દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો, એક પણ પ્લેકાર્ડ ઉર્દૂમાં નહોતું, મોટી સંખ્યામાં યુવકો અને એટલા જ પ્રમાણમાં યુવતીઓ હતી, ધારાપ્રવાહ અંગ્રેજીમાં તેઓ દલીલો કરતી હતી, મુસ્લિમ વક્તાઓનાં ભાષણમાં ઇસ્લામ ખતરે મેં હૈ અથવા ઇસ્લામ જગતનો એક માત્ર સાચો ધર્મ છે, એટલે મુસલમાનોને સતાવવામાં આવે છે એવી કાગારોળ નહોતી. તેમના હાથમાં ગાંધીજી અને ડૉ. આંબેડકરની તસ્વીરો હતી. ટૂંકમાં તેમના દરેક પ્રતિકારનું સ્વરૂપ ભારતના નાગરિકના પ્રતિકારનું હતું. આવું માત્ર મુંબઈમાં જોવા નહોતું મળ્યું, સમગ્ર ભારતમાં આવું જોવા મળ્યું હતું તે ત્યાં સુધી કે મુસ્લિમ બહુમતીવાળાં શહેરોમાં પણ મુસલમાનોના દેખાવો સેક્યુલર નાગરિકોના હતા.

આવું કેમ બન્યું? બને કે ભારતમાં હિંદુ કોમવાદી ઉન્માદ જોઈને તેમની અક્કલ ઠેકાણે આવી હોય અને તેમને બ્રહ્મજ્ઞાન થયું હોય કે મુસ્લિમ લઘુમતી દેશમાં મુસલમાન તરીકે જીવવા કરતાં ભારતીય નાગરિક તરીકે જીવવામાં ફાયદો છે. બને કે તેઓ પક્ષપાતી ફાસીવાદી સરકારથી ડરી ગયા હોય. અને એવું પણ બને કે તેમને હવે એમ લાગવા માંડ્યું હોય કે સેક્યુલર નાગરિક તરીકે જીવવાથી મુસ્લિમ લઘુમતી દેશમાં મૂળભૂત માનવીય મૂલ્યોની રક્ષા કરી શકાય છે અને જો કોઈ તેના પર તરાપ મારે તો સેક્યુલર હિંદુઓનો ટેકો મળી શકે એમ છે. ટૂંકમાં મુસ્લિમ લઘુમતી દેશમાં મુસલમાનનું હિત નાગરિક બનીને જીવવામાં છે, મુસલમાન બનીને ધાર્મિક લઘુમતીવાદને પંપાળવામાં નથી, એવું તેમને સમજાયું હોય.

આવા કેટલાક વિચારો મનમાં ચાલતા હતા ત્યાં મરાઠી ‘લોકસત્તા’ના સંપાદકીય દ્વારા અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા મુસ્તફા આક્યોલના લેખનો સંદર્ભ મળ્યો. અમેરિકામાં વસતા મૂળ તુર્કી વિદ્વાન આક્યોલે ૨૩મી ડિસેમ્બરના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ‘આરબ બેરોમીટર’ના ડેટાનો હવાલો આપીને કહ્યું છે કે ઇસ્લામિક જગતમાં હવે સેકયુલરિઝમની હવા વહેતી થઈ છે. ‘ધ ઇસ્લામિક જીસસ’ અને ‘ઇસ્લામ વિધાઉટ એક્સ્ટ્રીમ’ એવાં બે પ્રસંશા પામેલાં પુસ્તકોના લેખક કહે છે કે મુસ્લિમ બહુમતી દેશોમાં મુસલમાનોને હવે ઇસ્લામના ધાર્મિક રાજકારણનો મોહભંગ થવા લાગ્યો છે.

‘આરબ બેરોમીટર’ પશ્ચિમ એશિયામાં સમયાંતરે મુસ્લિમ પ્રજાનો મૂડ અને વલણ સમજવા સર્વેક્ષણ કરવાનું કામ કરે છે. તેના છેલ્લામાં છેલ્લા ડેટા મુજબ ૨૦૧૩માં ધર્માચરણ નહીં કરનારા મુસલમાનોનું પ્રમાણ આઠ ટકા હતું જે હવે વધીને ૧૩ ટકા થયું છે. આરબ વિશ્વમાં લોકોનો ઇસ્લામવાદી રાજકીય પક્ષો પરનો અને મૌલવીઓ પરની શ્રદ્ધામાં ઘટાડો થઈ રહ્યો છે. લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ સ્થાપિત હિતો ધરાવે છે અને ધર્મને નામે પ્રજાને મૂરખ બનાવે છે. મુસ્તફા આક્યોલે પશ્ચિમ એશિયાના બીજા કેટલાક નિરીક્ષકોના મત પણ ટાંક્યા છે અને તેમનું પણ આવું જ નિરીક્ષણ છે. બહુ ધીમે પણ સાતત્યપૂર્વક મુસ્લિમ વિશ્વમાં સેક્યુલર પવન વાઈ રહ્યો છે અને લોકોનું ઇસ્લામના નામે કરવામાં આવતું રાજકારણનું સ્વરૂપ જોઇને ભ્રમનિર:સન થઈ રહ્યું છે.

આની અસર ત્રાસવાદ પર પણ થઈ રહી છે. ઇસ્લામિક સ્ટેટ માટેની લડાઈ પાંચ વરસ પહેલાં જેટલી તીવ્ર હતી એ અત્યારે રહી નથી. ઈરાનની અંદર ધાર્મિકતાને નકારીને આધુનિકતા માટેનું આંદોલન શરૂ થયું છે. તુર્કીમાં પણ સેક્યુલર લોકતંત્રની માગણી ધીરે ધીરે તીવ્ર થઈ રહી છે. જો કે આ ટ્રેન્ડ હજુ શરૂઆતનો છે. ૨૦૧૧માં આરબ સ્પ્રિંગ થઈ ત્યારે પણ લોકતંત્રની માંગ કરવામાં આવી હતી, પરંતુ એ આંદોલન ટકી શક્યું નહોતું. આમ છતાં એને અને અત્યારની સ્થિતિને સંબન્ધ છે. ફ્રેંચ ક્રાંતિ પણ પહેલાં તો નિષ્ફળ જ નીવડી હતી. એવું બને કે જે પરિવર્તન નજરે પડી રહ્યું છે એ ગતિ ન પણ પકડે. એવું પણ બને કે નિરીક્ષકોને હકીકત કરતાં વધુ મોટી ક્રાંતિ નજરે પડતી હોય. પણ એક વાત નક્કી છે કે ક્રિયા પ્રતિક્રિયા પેદા કરતી હોય છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રોટેસ્ટંટ આંદોલન કેથલિક ચર્ચના અતિરેક સામેની પ્રતિક્રિયા હતી. હવે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ધર્મમાં પ્રોટેસ્ટંટ મૂવમેન્ટ માટેનો સમય પાકી રહ્યો છે.

લોકોને જ્યારે એમ લાગવા માંડે કે ધર્મના નામે કેટલાક લોકો પોતાની હકુમત સ્થાયી કરવા માગે છે અને તેમાં ધર્મના નામે તેઓ કોઈ પણ હદે જતા શરમાતા નથી ત્યારે સામાન્ય માણસના મનમાં પ્રશ્ન પેદા થાય છે શું આવો ધર્મ ખુદાને કે ઈશ્વરને મંજૂર હશે? ત્રાસવાદીઓની ધમકી છતાં શાળામાં ભણવા જતી મલાલા યુસુફ્ઝાઈને ત્રાસવાદીઓ લમણામાં ગોળી મારે ત્યારે અદના મુસલમાનના દિલમાં જરૂર ચીસ ઊઠી હશે. સમર્થક ધીરે ધીરે બોલ્યા વિના મોઢું ફેરવી લેતો હોય છે.

મુસ્લિમ વિશ્વની જેમ ભારતમાં પણ મુસલમાનોને હવે લાગવા માંડ્યું હોવું જોઈએ કે પોતાને મુસ્લિમ તરીકે ઓળખાવતા રહીને એક બાજુએ ગર્વની ગર્જનાઓ અને બીજી બાજુએ આખું જગત અમારું દુશ્મન છે એવું રુદન કરવાની જગ્યાએ એક પ્રયાસ નાગરિક બનીને આધુનિક રાજ્યમાં ન્યાય અને હક માગવાનો કરવો જોઈએ.

ભારતમાં અને મુસ્લિમ વિશ્વમાં પરિવર્તનનો જે પવન નજરે પડી રહ્યો છે એ જો નક્કર સ્વરૂપ પકડશે તો એ ૨૧મી સદીની મહાન ઘટના હશે. ૨૧મી સદી ઇસ્લામિક પ્રોટેસ્ટંટ મુવમેન્ટની નીવડવી જોઈએ. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2020

Loading

વધુ સંકુલ બની રહેલા વિશ્વને સીધા અને સરળ નેતૃત્વની જરૂર છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 January 2020

પરિવર્તન અને વિક્ષેપ ઝડપી હોય ત્યારે વિશ્વને સહિષ્ણુ, સમભાવી, વૈચારિક, સત્તા નહીં પણ વહીવટની અનિવાર્યતાને સમજી શકે એવા નેતા જ કામ લાગી શકે

૨૦૨૦નું વર્ષ શરૂ થાય અને આપણે એ.પી.જે. અબ્દુલ કલામને યાદ ન કરીએ એ શક્ય નથી કારણ કે એ દીર્ઘદ્રષ્ટા મિસાઇલ મેન મારફતે આપણને ‘વિઝન ૨૦૨૦’નો વિચાર મળ્યો હતો. ડૉ. કલામે શિક્ષણ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, આ બંન્ને પાસાં પર સૌથી વધારે ભાર મૂક્યો હતો. તેમના મતે કોઇ પણ રાષ્ટ્રનાં વિકાસ અને સમૃદ્ધિ માટે શિક્ષણ સૌથી અગત્યની બાબત છે. આઇ.ટી. ક્ષેત્રે આપણો વિકાસ સારી પેઠે થયો છે તો ટેક્નોલૉજીનો ઉપયોગ શિક્ષણ માટે થતો હોવાની શક્યતાઓ વાસ્તવિકતા બની ચૂકી છે. છતાં પણ કલામનાં ૨૦૨૦નાં વિઝનને સાકાર કરવા માટે આપણો વિકાસ દર એક દાયકા સુધી દસ ટકા હોવો જોઇએ. આ વિકાસ દરની તેજી પાછળ કૃષિ, ઉત્પાદન, ઉદ્યોગ અને ઊર્જાનાં ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન હોવું જોઇએ. હજી સુધી આપણા દેશે આ નિહાળ્યું નથી. આપણી નીતિઓ કરવેરા લક્ષી છે, સર્વાંગી, માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને નથી ઘડાયેલી. સરકારે જી.ડી.પી.નાં ત્રણ ટકા જેટલો હિસ્સો વિકાસ અને સંશોધન પાછળ આપવો પડે જે અત્યારે તો અંદાજે .૭૦ ટકા જેટલો જ છે. કલામે જે ભારતની ધારણા કરી હતી તેનાથી આપણા વિકાસની વાસ્તવિકતા સાવ જુદી છે. નક્કર વિકાસની વાત મૂકીને જો આપણે વૈચારિક અને રાજકીય દ્રષ્ટિએ જોઇએ તો આપણો દેશ અત્યારે અચાનક જ પરિવર્તનની ચક્કીમાં પિસાઇ રહ્યો હોય તેવી લાગણી થાય. બેફામ થઇ રહેલાં પરિવર્તનો, ધારણાથી વિશાળ વિરોધો, લોકોનાં માનસમાં નેતૃત્વને લઇને કાં તો નકરો અહંકાર અથવા તો અસંતોષ વગેરે આપણા દેશની અત્યારની વાસ્તવિકતાઓ છે. જ્યાં હકારાત્મક ફેરફારો થવા જોઇએ એ ચોક્કસ થઇ રહ્યાં છે પણ અરાજકતાનો ઘોંઘાટ બધું દાબી દે છે. જો કે આ માત્ર આપણા દેશની જ સ્થિતિ છે એમ નથી. આખી દુનિયામાં વિરોધ, આમ જનતાનો અવાજ અને સત્તાધીશો સામેનાં રોષનું બૅરોમિટર ઉપર જ જઈ રહ્યું છે.

વૈશ્વિક સંજોગોની વાત કરીએ તો બ્રિટનની બ્રેક્ઝીટ માટેની ઇચ્છા પરથી હંગામી ધોરણે અસ્પષ્ટતા ઘટી શકે તેમ છે. બોરીસ જ્હોન્સનને જે રીતે બ્રેક્ઝીટની ડીલની પુનઃરચના કરી છે તેને હાઉસ ઑફ કોમન્સનો ટેકો મળ્યો છે. આ મહિનાની ૩૧મી તારીખે ઔપચારિક રીતે બ્રેક્ઝીટ થઇ જશે તેવી વકી છે છતાં ય એમ માની લેવાની જરૂર નથી કે બ્રેક્ઝીટનો મુદ્દો અહીં અટકી જશે કારણ કે બ્રેક્ઝીટ થયા પછી બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે આર્થિક અને વ્યાપારી સંબંધો માટે વાટાઘાટ ચાલુ થશે. બીજી તરફ મહાસત્તા યુ.એસ.એ.માં નવેમ્બરમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી થશે અને ડૉનાલ્ડ ટ્રમ્પનાં ઇમ્પીચમેન્ટ પછી અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ વધારે તીવ્ર થયું છે. સ્વાભાવિક છે કે રિપબ્લીકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચેનો સંઘર્ષ પણ વધશે. યુ.એસ.એ.ની ચૂંટણીનું પરિણામ માત્ર યુ.એસ.એ. જ નહીં પણ આખી દુનિયાનાં પરસ્પર સમીકરણો પર પ્રભાવ પાડનારું સાબિત થશે. ટ્રમ્પ માટે ફરી જીતવું કદાચ શક્ય હશે પણ સરળ નહીં હોય એ ચોક્કસ.

રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેનાં સંબંધો યુક્રેઇન ક્રાઇસિસનાં સમયથી એટલે કે, લગભગ પાંચ વર્ષથી યથાવત્ જ રહ્યા છે. યુ.એસ.એ. અને રશિયા વચ્ચેનાં મતભેદ ઉકેલવામાં સિરિયાનાં સંજોગો અને ઇરાનનો ન્યુક્લિઅર મુદ્દો જેવાં પ્રશ્નો આડખીલીની માફક ઊભાં જ છે. પુતીનને યુરોપ સાથે સંબંધ સુધારવામાં રસ છે. આ પરિસ્થિતિમાં તરત કોઇ ગરમાવો તો નહીં આવે પણ ક્યારેક થોડી ઘણી ઉષ્મા જોવા મળી શકે છે. વિશ્વનાં બીજા ખૂણે કોરિયન પેનિન્સૂલાની સ્થિતિ ૨૦૨૦માં પણ અણધાર્યી જ રહેશે એમ લાગે છે. ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયાનાં કિમ જોંગ ઉન અને ટ્રમ્પ વચ્ચે બીજું સમિટ તો પૂર્ણ થયું છે અને તેઓ ફરી જૂનમાં મળવાનાં છે. અત્યાર સુધીની બેઠકો શાબ્દિક યુદ્ધમાં જ પૂરી થઇ છે પણ યુ.એસ.એ.ને પેનિન્સૂલાનો ન્યુક્લિઅરનો પ્રશ્ન ઉકેલવામાં રસ છે તેવી ઇરાદો સત્તાધીશે જાહેર કર્યો છે.

યુ.એસ.એ.ને આ વર્ષ ઘરે લગ્ન, એટલે કે ચૂંટણી હોવાને કારણે તે ઇરાન સાથે યુદ્ધ છેડે એવી શક્યતા તો નથી પણ મિડલ ઇસ્ટનાં દેશો પણ મહત્તમ દબાણ બનાવી રાખવામાં યુ.એસ.એ. પાછળ નહીં પડે. ઇરાન પાસે ન્યુક્લિઅર પ્રગતિ અને સ્ટ્રેઇટ ઑફ હોરમૂઝને અટકાવી દેવાનાં વિકલ્પો હોવાથી તે પોતાના અભિગમને જરા ય કાચો નહીં પડવા દે એ નક્કી. ઇરાન કેટલી ઝડપે ન્યુક્લિઅર પ્રવૃત્તિઓ પાછી શરૂ કરે છે, યુ.એસ.એ. મંજૂરીને મામલે કેટલો કડક થાય છે અને અમુક યુરોપિય દેશો મધ્યસ્થી તરીકે શું પગલાં લે છે તે બધું જ ઇરાનનાં ન્યુક્લિઅર મુદ્દા પર પ્રભાવ પાડનારું સાબિત થશે. વ્યાપારી દ્રષ્ટિએ વિશ્વમાં વૈશ્વિક મુક્ત વ્યાપારનું તંત્ર જોખમમાં છે, કારણ કે યુ.એસ.એ. પોતાનાં મહત્ત્વનાં વ્યાપારી ભાગીદારો સામે એક પક્ષીય પગલાં લીધાં છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને અન્ય સંસ્થાઓએ ૨૦૨૦માં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ મંદીનો અનુભવ કરશે તેવી આગાહી કરી છે.

અહીં જણાવેલી પરિસ્થિતિઓ અમુક દેખીતી બાબતોની યાદી છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. આખી દુનિયામાં આર્થિક અસ્થિરતા, ક્લાઇમેટ ચેન્જનાં પ્રશ્નો, ભૂખમરો, હાડમારી, ટેક્નોલૉજીકલ વિક્ષેપો અને માનવજાતનાં પાયામાં ક્યાંક પડેલી ઉધઇ બધું જ એક સાથે થઇ રહ્યું છે. જ્યારે કશું ધરમૂળથી બદલાવાનું હોય ત્યારે અંધાધૂંધ પરિસ્થિતિનાં એંધાણ વર્તાવા લાગે છે. ડેટા નવું નાણું છેનાં સમયમાં ઇસ્લામોફોબિયા વધી રહ્યો છે તો જે ઇસ્લામી દેશો પાસે તેલનાં ધનનું મજબૂત શસ્ત્ર છે એ રાતોરાત બુઠ્ઠું નહીં થાય એ પણ એક હકીકત છે. ઇતિહાસ તરફ નજર કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી લોકોએ માનસિકતા બદલીને સ્વનો વિચાર કરવાનું શરૂ કરી દીધું અને સાચા અર્થમાં વિશ્વમાં વિકાસ થયો. વૈશ્વિક સ્તરે નેતૃત્વની પેટર્નમાં પણ પરિવર્તન આવ્યું. જો કે વર્તમાન સંજોગોમાં ભારત હોય કે પછી આખું વિશ્વ, એવો પ્રશ્ન ચોક્કસ થાય કે આવનારા દાયકામાં આપણને કેવા નેતૃત્વની જરૂર હશે?

જાત પ્રત્યેની સભાનતા અત્યારનાં નેતૃત્વની માંગ છે. પોતાની ક્ષમતા અને ક્ષતિઓ અંગે પ્રામાણિક રહેવું, આત્મ નિયમનની તૈયારી હોવી, ટકી શકવા માટે જરૂરી ગ્રહણ શક્તિ હોવી એ આજનાં નેતામાં જરૂરી ગુણ છે. બદનસીબે વૈશ્વિક સ્તરે એકેય નેતામાં આ ગુણ નજરે નથી ચઢતાં. આજે ઝડપથી બદલાઇ રહેલી દુનિયામાં નેતાએ પોતાનાં નિર્ણય લેવામાં ત્વરીત રહેવું જરૂરી છે પણ પોતે બહુ બધું કરી શકે છે તે બતાડી દેવાની લ્હાયમાં ત્વરીત નિર્ણયો લેવાય ત્યારે શું થાય એ સમજવા માટે આપણે આપણાં દેશની હાલત પર નજર નાખી લેવી. આપણે ત્યાં ફેલાયેલી અરાજકતાનું એક કારણ એ પણ છે કે નેતૃત્વ પોતાના ઇરાદા અને મુદ્દાને સ્પષ્ટતાથી લોકો સુધી પહોંચાડતું નથી અથવા તો એમ કરવામાં સક્ષમ નથી. લોકો નહીં બોલે, લોકો ચલાવી લેશેની ધારણા કરવાનું આજના નેતૃત્વને પોષાય એમ નથી. ઊંચા અવાજે બોલવાથી, હાંસિયામાંના લોકોને નિશાના બનાવવાથી નેતૃત્વની શક્તિ નહીં વર્તાય, નવા દાયકાના નેતાએ લોકો માટે પ્રેરણાદાયી અને હકારાત્મક માનસિકતા ધરાવવી પડશે. નકારાત્મકાનું ઝનૂન લાંબો સમય ટકતું નથી તે નેતાઓએ સમજવું રહ્યું. સતત પરિવર્તનશીલ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે નેતાઓએ જાતને ‘અપડેટેડ’ રાખવી પડશે નહીંતર તેમની વાતો “રામાયણ કાળમાં આપણે ત્યાં વિમાનો ઊડતા હતા” પ્રકારની અવાસ્તવિક  રહેશે અને એક સમય પછી આવનારી પેઢી તેમને ગંભીરતાથી લેવાનું ટાળશે. વિશ્વનાં અન્ય નેતાઓ સાથે મૈત્રીનો દેખાડો નહીં પણ વિશ્વાસુ સંબંધો અને રાષ્ટ્રના હિતમાં તેનો ઉપયોગ આજના સમય માટે અનિવાર્ય છે. વર્તમાન દાયકાનાં નેતૃત્વમાં બહુપરિમાણીય વિચારશીલતા પણ અનિવાર્ય છે પરંતુ માત્ર પોતાની સત્તાનો સ્વાર્થ જોનારા વૈશ્વિક નેતાઓ આ ગુણ વિકસાવવાનું જ ભૂલી જાય છે. વળી પ્રેસ કૉન્ફરન્સમાં ચૂપ રહેવાને બદલે નેતાઓએ પોતાને પુછાતાં સવાલોનાં પ્રામાણિક ઉત્તર આપવાની સંવેદનશીલતા વિકસાવવી પણ જરૂરી છે. નેતૃત્વ એ કોઇ પણ રાષ્ટ્રની છબીનાં ઘડતરમાં ફાળો આપનારી બાબત છે. આજનું નેતૃત્વ સત્તા ભૂખ્યું અને શક્તિ પ્રદર્શનમાં માનનારું છે, પછી એ વિશ્વનો કોઇપણ ખૂણો હોય. પરિવર્તન અને વિક્ષેપ બંન્ને જ્યારે ઝડપથી થઇ રહ્યાં હોય તેવા સમયમાં વિશ્વને સહિષ્ણુ, સમભાવી, વૈચારિક, સત્તા નહીં પણ વહીવટની અનિવાર્યતાને સમજી શકે તેવા નેતૃત્વની તાતી જરૂર છે.

બાય ધી વેઃ

અચોક્કસતા અને સંભાવનાઓથી ભરપૂર જણાતા આ દાયકામાં નેતૃત્વની ગુણવત્તા આવનારી પેઢીનું ભવિષ્ય ઘડનારી સાબિત થશે. વિશ્વભરમાં લોકો ફરી એકવાર પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે, લોકોમાં અસંતોષની લાગણી વધારે પ્રબળ બની રહી છે, કટ્ટરતા પણ વધી છે પરંતુ સામાન્ય માણસને પોતાનો મુદ્દો સાચો સાબિત કરવા કરતાં પોતાની પ્રાથમિક જરૂરિયાતો બહેતર માહોલમાં પૂરી થઇ શકે તેમાં વધારે રસ છે. ચોખ્ખી હવા, બે ટંકનું ભોજન, શિક્ષણ, રોજગારી જેવી બાબતોને મહત્ત્વ આપનારો નેતા આજે ઝડપથી બદલાઇ રહેલા વિશ્વની જરૂરિયાત છે. વિશ્વ જેટલું સંકુલ બની રહ્યું છે, તેટલી જ સરળ નેતૃત્વની અનિવાર્યતા પ્રબળ બની રહી છે. સંકુલતા કે જટિલતા આસાન છે પણ સરળ વહીવટ બહુ જ અઘરો છે, આ વાસ્તવિક્તા આપણા આજના નેતાઓએ સમજવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2020 

Loading

‘શાસક આવે ને જાય આપણને શું ફરક પડે છે’ની ભારતીય ભાવના

રમેશ ઓઝા|Opinion - Opinion|5 January 2020

આશ્ચર્યની વાત છે નહીં! સનાતન ધર્મની અંદર શ્રમણોએ જે સુધારા કર્યા હતા એની અસર લગભગ ભૂંસાઈ ગઈ હતી. બ્રાહ્મણવાદ, કર્મકાંડનો અતિરેક અને સામાજિક અસમાનતા એના એ સ્વરૂપમાં કાયમ હતી. બીજાને પોતાનામાં સમાવતી અને વાટીને એકરસ કરતી ખરલ સામે પેદા થઈ રહેલા અવરોધોને દૂર કરવામાં હિંદુઓએ ભાગ્યે જ કોઈ પ્રયાસ કર્યા હતા. અને ત્રીજું હિંદુઓ હિંદુ સમાજની મર્યાદા અને ઉકેલની બાબતમાં સાવ બેફીકર હતા. શા માટે હિન્દુસ્તાનમાં હિંદુઓની બહુમતી હોવા છતાં હિંદુઓનો પરાજય થયો હતો અને હજુ પણ શા માટે બહુમતી હિંદુઓ પર લઘુમતી મુસલમાનોનું રાજ છે એવો સામાન્ય પ્રશ્ન પણ હિંદુ માનસમાં જાગ્યો નહોતો. આવી તો કોઈ પ્રજા હોય? પણ આ પૃથ્વી પર ભારતીય ઉપખંડમાં આવી પ્રજા હતી. તુલસીદાસે તો કહ્યું પણ હતું કે શાસક આવે ને જાય આપણને શું ફરક પડે છે.

આની વચ્ચે યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો હતો જેણે પ્રજામાં નવો ઉત્સાહ અને સાહસ પેદા કર્યાં હતાં. શંકા કરો, પ્રશ્ન કરો અને જાતે ખાતરી કરો. તમારી સુખાકારી તમારા હાથમાં છે, તમારા પુરુષાર્થમાં છે, કોઈની કૃપામાં નથી. આ નવા જોમે ભારત અને યુરોપ વચ્ચે જે મુસ્લિમ વિશ્વ હતું એના અવરોધને હટાવી દીધો. જો ભારત નામનો કોઈ સમૃદ્ધ દેશ છે અને એ દેશમાંથી તેજાનાઓ અને બીજી ચીજો મુસલમાનો આયાત કરીને આપણે ત્યાં વેચે છે તો એ છે ક્યાં? આપણે જ કેમ ત્યાં ન પહોંચી જઈએ?

બસ, આ એક પ્રશ્નમાંથી ભારતની ‘ખોજ’ શરૂ થઈ. એ ‘ખોજ’ સાર્વત્રિક અસર કરનારી વ્યાપક નીવડવાની હતી, માત્ર પૃથ્વી પરનો એક ભૂભાગ શોધવા પૂરતી નહોતી રહેવાની. જ્યારે ખોજ શરૂ થઈ ત્યારે તો એ વ્યાપાર કરવાના અને આરબ વિશ્વના મુસ્લિમ વ્યાપારીઓને વચ્ચેથી હટાવીને વધુ નફો કમાવાના ઈરાદે શરૂ થઈ હતી. તેમણે જ્યારે ભારત નામનો ભૂભાગ શોધી કાઢ્યો ત્યાર પછી તેમને ટીપિકલ ભારતીય માનસ(હિંદુ માનસ કહો)નો પરિચય થવા લાગ્યો હતો અને તેમને અનુભવ થવા લાગ્યો હતો કે આ કોઈ અલગ જ વિશ્વમાં વસતી પ્રજા છે. વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એનો પહેલો જ પ્રસંગ જોઈએ.

વાસ્કો ડી ગામાએ કેરળમાં કાલીકટમાં પગ મુક્યા પછી કાલીકટના રાજા ઝમોરીનના દરબારમાં ગયો. રાજાએ વાસ્કો ડી ગામાને આવવાનું કારણ પૂછ્યું તો તેણે શરમાયા કે સંકોચ વિના કહ્યું હતું કે ઈસાઈઓ અને તેજાનાઓની ખોજમાં. ઈસાઈ ધર્મ મૂકી જવા અને તેજાનાઓ લઈ જવા. આમ છતાં પણ કાલીકટનો રાજા વાસ્કો ડી ગામાને મળીને પ્રસન્ન થયો હતો અને પોર્ટુગીઝ રાજાને મૈત્રીનો પ્રસ્તાવ મોકલ્યો. જવાબમાં પોર્ટુગીઝ રાજાએ ભારત જાણે કે કોઈ ગુલામ દેશ હોય એમ હજુ મોટી સંખ્યામાં વેપાર કરવા સાહસિકોને અને ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા મિશનરીઓને ભારત મોકલ્યા.

એ પછી તો કેરળના સમુદ્રમાં મુસલમાનો અને અને પોર્ટુગીઝો વચ્ચે મારામારી થઈ હતી. પોર્ટુગીઝોની પાછળ પાછળ બીજા યુરોપિયનો આવવા લાગ્યા અને તેમની વચ્ચે મારામારી શરૂ થઈ. હવે જે વેપારી કાફલાઓ આવતા હતા તેમાં તેજાનાની સુરક્ષા માટે સૈનિકો અને ચોકિયાતો આવવા લાગ્યા અને વ્યાપારની લડાઈ હજુ વધુ લોહિયાળ બનવા લાગી. ચાંચિયાઓ જહાજોને લૂંટતા હતા. આ બધું ભારતની ચીજવસ્તુઓ યુરોપમાં લઈ જઇને નફો કમાવા માટેની હતી.

આશ્ચર્ય એ વાતનું છે કે એક પણ હિંદુ વેપારીને ભારતીય ચીજવસ્તુઓ માટેની આવી લોહિયાળ લડાઈઓ જોઈને એવો વિચાર નહીં આવ્યો કે બીજા આપણો માલ વિદેશ લઈ જઈને વેચે તો આપણે કેમ ન વેચીએ! રાજાને પણ એવો વિચાર ન આવ્યો કે વિદેશીઓ પર ભારત આવવા ઉપર પ્રતિબંધ મૂકીને ભારતીય વેપારીઓને નિકાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ સિવાય કાલીકટના રાજાને મૈત્રીના પ્રસ્તાવને પોર્ટુગીઝ રાજાએ ઠુકરાવી તો નહોતો દીધો, પણ તેનો ઉત્તર એક રાજા બીજા રાજાને આપે એવો સાલસતાપૂર્વકનો નહોતો એ છતાં ય રાજાને એ વાતનું કોઈ માઠું નહોતું લાગ્યું. કદાચ વાસ્કો ડી ગામાએ વતન પાછા ફરીને ત્યાંના રાજા સમક્ષ ભારત વિશેનું જે વર્ણન કર્યું હશે તેનું આ પરિણામ હશે. તેમણે કહ્યું હશે કે ભારતીય પ્રજા બહાર નજર નાખવાની આદત નથી ધરાવતી, તે પોતાનમાં મશગુલ રહે છે.

બીજું, કાલીકટના રાજા ઝમોરિને એક વાર વિચાર્યું પણ હોત કે વિદેશી વેપારીઓને ભારતમાં આવતા અટકાવવા જોઈએ અથવા એકબીજાનો માલ લૂંટનારાઓને કે ચાંચિયાગીરી કરનારાઓને અટકાવવા જોઈએ તો તે એમ ક્યાં કરી શકે એમ હતો! ભારત પાસે આટલો મોટો દરિયાકિનારો હોવા છતાં ભારતીય શાસકોએ સમુદ્રની સંભાવનાઓ ઓળખી જ નહોતી. સંરક્ષણની દૃષ્ટિએ નહીં, વિસ્તરવાની દૃષ્ટિએ નહીં કે વ્યાપારની દૃષ્ટિએ પણ નહીં. દરિયાપાર જવું એ હિંદુ માટે પાપ ગણાતું હતું, કારણ કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશમાં જતા હતા અને બૌદ્ધોને નીચા બતાવવા માટે આર્યાવર્તને છોડીને વિદેશમાં જવું એને પાપ ગણાવવામાં આવ્યું હતું. આવી ઉદાસીનતાને કારણે સમુદ્રની સુરક્ષા કરવાની પણ કોઈ વ્યવસ્થા ભારતના દરિયાકાંઠાના શાસકો નહોતા ધરાવતા.

આમ હિંદુ પ્રજા, હિંદુ વેપારી અને હિંદુ શાસકની નજર સામે દરિયામાં ભારતીય ચીજવસ્તુઓ દ્વારા નફો કમાવા માટે કત્લેઆમ ચાલતી હતી અને કત્લેઆમ પાંચ પાંચ હજાર ગાવ દૂરથી આવીને લોકો કરતા હતા, પરંતુ અહીંના હિંદુઓને કોઈ ફરક નહોતો પડતો. વિદેશીઓને હિંદુઓનું આ પાસું ધ્યાનમાં ન આવે એવું તો બને જ નહીં. શિકારી ઘરના દરવાજે આવી જાય ત્યાં સુધી તે ન બચવાની કોઈ કોશિશ કરે કે ન શિકારીને તગેડી મૂકવાની. યુરોપિયનોને તરત જ સમજાઈ ગયું હતું કે ભારતમાં ધંધાની અનુકૂળતા તો છે જ, પણ ઈસાઈ ધર્મના પ્રચાર-પ્રસારની પણ અનુકૂળતા છે. આગળ જતા તેમને એ પણ સમજાઈ ગયું કે ધારો તો ભારતને કબજે કરીને રાજ કરવાની પણ અનુકૂળતા છે.

દુન્યવી બાબતો માટે ઉદાસીન હિંદુ એક ગજબનું પ્રાણી છે. શરૂઆતનાં વર્ષોમાં યુરોપિયનોને હિંદુ સમજાતો પણ નહોતો. આવું વલણ ધરાવનારો કોઈ માણસ હોય એ વાતનું તેમને અચરજ થતું હતું. જનકની જેમ ઘરને આગ લાગે તો હિંદુને કોઈ ફરક નહોતો પડતો, પણ ફરક એ હતો કે જનક વેદાંતી હતા જ્યારે મધ્યકાલીન યુગનો હિંદુ નિયતિવાદી હતો. નસીબમાં ન હોય તો મળતું નથી અને નસીબમાં ન હોય તો ટકતું નથી એટલે રડવાનું શું અને રડીને શું ફાયદો! નિયતિ સામે માનવીય પુરુષાર્થ નકામો છે એટલે ધન માટે મ્લેચ્છોને લડતા જોઇને તેને તેમની ઉપર દયા આવતી હતી. અનુસરવાનું બહુ દૂર રહ્યું.

એટલે તો વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એ પછી ૪૧૦ વરસે ગાંધીજીએ તેમની નાનકડી પુસ્તિકા ‘હિંદ સ્વરાજ’માં લખ્યું છે કે ભારતને અંગ્રેજોએ ગુલામ નથી કર્યું, ભારતીયોએ સામેથી ગુલામી વહોરી છે. હિંદુએ પોતે પોતાના માટે રચેલાં વિશ્વને સાચું માની લીધું હતું અને તે બહાર જોતો બંધ થઈ ગયો હતો. ભારતની ખોજ કરવા આવેલા યુરોપિયનોએ ભારતની આ પણ એક ખોજ કરી હતી અને તેમને તેમાં ગોળનો ગાડવો નજરે પડ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જાન્યુઆરી 2020

Loading

...102030...2,6162,6172,6182,619...2,6302,6402,650...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved