ઈમરજન્સી પછી કેટલાક દાઉદીવ્હોરા સુધારકોએ જયપ્રકાશ નારાયણને ફરિયાદ કરી હતી કે તેમના સંપ્રદાયમાં ધર્મગુરુનું રાજ છે. અમે ભારતના નાગરિકો છીએ, પણ તે સાથે ધર્મગુરુની ગુલામ પ્રજા પણ છીએ. જયપ્રકાશ નારાયણે આ બાબતે સાચી વાત શું છે એની તપાસ કરવાનું મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણીને કહ્યું હતું. ન્યાયમૂર્તિ નથવાણીએ બંને પક્ષોને અને બીજા લોકોને સાંભળીને તારણ કાઢ્યું હતું કે સુધારક વ્હોરાઓ જે કહે છે તેમાં તથ્ય છે. એ સમયે અમે યુવકોએ માગણી કરી હતી કે કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુ ધર્મના નામે ભારતના નાગરિકની નાગરિકતાને (એટલે કે નાગરિકને મળતા માનવ અધિકારને) નકારી ન શકે. અમે એ સમયે સુધારક વ્હોરાઓની સ્વતંત્રતાની માગણી સાથે મોરચો કાઢ્યો હતો અને રૂઢિચુસ્ત વ્હોરાઓનો માર ખાધો હતો. આ લખનારે તેમના બે વાર માર ખાધા છે.
૧૯૮૭માં રાજીવ ગાંધીની સરકારે રૂઢિચુસ્ત મુસલમાનોને રાજી કરવા મુસ્લિમ ત્યકતા સ્ત્રીને ન્યાય આપનારો સર્વોચ્ચ અદાલતનો શાહબાનો કેસ ઉલટાવ્યો ત્યારે અમે તેનો વિરોધ કર્યો હતો. આઝાદ અને સેક્યુલર ભારતની કોઈ સરકાર અન્યાયની તરફદારી કેમ કરી શકે? અમે જ્યારે શાહબાનો કેસને ઉલટાવનારા ખરડાનો વિરોધ કર્યો ત્યારે પણ રૂઢિચુસ્ત મુસલમાનોના હાથના માર ખાધા હતા.
એ જ અરસામાં સલમાન રશ્દીની ‘સેતાનિક વર્સીસ’ નામની નવલકથા આવી હતી અને ઈરાનના ખોમેનીએ રશ્દીની હત્યા કરવાનો ફતવો કાઢ્યો હતો. એ સમયે ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે મુંબઈમાં મુસલમાનોએ જે પ્રચંડ દેખાવો કર્યા હતા એ નજરે જોયા છે. શું ગુસ્સો અને ધાર્મિક ઉન્માદ હતો એમાં! રાજીવ ગાંધીની સરકારે એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો જેનો અમે વિરોધ કર્યો હતો. કોઈને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવાનો અધિકાર નથી.
મુસ્લિમ માનસને સમજવા માટે અને રૂઢિચુસ્ત ઇસ્લામ પરત્વેના મુસલમાનોના પ્રતિસાદને સમજવા માટે ડૉ. ઝકીર નાઈકની તકરીરમાં પણ હાજરી આપી છે. છીછરી, નકલી અને પક્ષપાતી બહુશ્રુતતા જોઈને અભિભૂત થઈ જનારા ભણેલા મુસલમાનોને જોઇને મનોમન ચિંતા કરી છે. ભારત સહિત ઇસ્લામિક દેશોમાં મૂળભૂતવાદે અને કેટલાક મુસ્લિમ દેશોમાં ત્રાસવાદે પગ જમાવ્યો ત્યારે કેટલીક મુસ્લિમ બહુમતી કોલેજોમાં સેકયુલરિઝમ પર વ્યાખ્યાનો પણ આપ્યાં છે અને એમાં પણ મુસલમાન વિદ્યાર્થીઓના સેકયુલરિઝમનો પ્રતિકાર કરતા વલણનો અનુભવ કર્યો છે.
૨૦૧૪માં આસામમાં કોકરાજહારમાં બોડો આતંકવાદીઓએ કેટલાક મુસલમાનોની હત્યા કરી ત્યારે મુસલમાનોએ મુંબઈમાં જે પ્રચંડ મોરચો કાઢ્યો હતો એ જોઈને મુંબઈ પોલીસ પણ ડરી ગઈ હતી.
આ દરેક પ્રસંગે મુસલમાનોને એક ટીપિકલ વલણ ધરાવતા જોયા છે. અલ્લાહો અકબર, ઇસ્લામ ખતરે મેં હૈ, ઇસ્લામ જગતનો એક માત્ર સાચો અને સંપૂર્ણ ધર્મ છે એટલે મુસલમાનોને સતાવવામાં આવે છે, વગેરે વગેરે. ઉપરાંત મેદાન લીલા ઝંડાઓથી છવાયેલું હોય એ વધારામાં.
પણ આ વખતે નાગરિક નોંધણી અને નાગરિક ધારામાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં મુસલમાનોનું જે સ્વરૂપ જોવામાં આવ્યું એ નવો અને સુખદ અનુભવ હતો. આશ્ચર્યજનક તો હતો જ હતો. આ કોલમમાં મેં લખ્યું પણ હતું કે કોઈ જગ્યાએ ટીપિકલ નારા નહોતા, લીલા રંગના વાવટા તો ભાગ્યે જ જોવા મળતા હતા, દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો, એક પણ પ્લેકાર્ડ ઉર્દૂમાં નહોતું, મોટી સંખ્યામાં યુવકો અને એટલા જ પ્રમાણમાં યુવતીઓ હતી, ધારાપ્રવાહ અંગ્રેજીમાં તેઓ દલીલો કરતી હતી, મુસ્લિમ વક્તાઓનાં ભાષણમાં ઇસ્લામ ખતરે મેં હૈ અથવા ઇસ્લામ જગતનો એક માત્ર સાચો ધર્મ છે, એટલે મુસલમાનોને સતાવવામાં આવે છે એવી કાગારોળ નહોતી. તેમના હાથમાં ગાંધીજી અને ડૉ. આંબેડકરની તસ્વીરો હતી. ટૂંકમાં તેમના દરેક પ્રતિકારનું સ્વરૂપ ભારતના નાગરિકના પ્રતિકારનું હતું. આવું માત્ર મુંબઈમાં જોવા નહોતું મળ્યું, સમગ્ર ભારતમાં આવું જોવા મળ્યું હતું તે ત્યાં સુધી કે મુસ્લિમ બહુમતીવાળાં શહેરોમાં પણ મુસલમાનોના દેખાવો સેક્યુલર નાગરિકોના હતા.
આવું કેમ બન્યું? બને કે ભારતમાં હિંદુ કોમવાદી ઉન્માદ જોઈને તેમની અક્કલ ઠેકાણે આવી હોય અને તેમને બ્રહ્મજ્ઞાન થયું હોય કે મુસ્લિમ લઘુમતી દેશમાં મુસલમાન તરીકે જીવવા કરતાં ભારતીય નાગરિક તરીકે જીવવામાં ફાયદો છે. બને કે તેઓ પક્ષપાતી ફાસીવાદી સરકારથી ડરી ગયા હોય. અને એવું પણ બને કે તેમને હવે એમ લાગવા માંડ્યું હોય કે સેક્યુલર નાગરિક તરીકે જીવવાથી મુસ્લિમ લઘુમતી દેશમાં મૂળભૂત માનવીય મૂલ્યોની રક્ષા કરી શકાય છે અને જો કોઈ તેના પર તરાપ મારે તો સેક્યુલર હિંદુઓનો ટેકો મળી શકે એમ છે. ટૂંકમાં મુસ્લિમ લઘુમતી દેશમાં મુસલમાનનું હિત નાગરિક બનીને જીવવામાં છે, મુસલમાન બનીને ધાર્મિક લઘુમતીવાદને પંપાળવામાં નથી, એવું તેમને સમજાયું હોય.
આવા કેટલાક વિચારો મનમાં ચાલતા હતા ત્યાં મરાઠી ‘લોકસત્તા’ના સંપાદકીય દ્વારા અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા મુસ્તફા આક્યોલના લેખનો સંદર્ભ મળ્યો. અમેરિકામાં વસતા મૂળ તુર્કી વિદ્વાન આક્યોલે ૨૩મી ડિસેમ્બરના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ‘આરબ બેરોમીટર’ના ડેટાનો હવાલો આપીને કહ્યું છે કે ઇસ્લામિક જગતમાં હવે સેકયુલરિઝમની હવા વહેતી થઈ છે. ‘ધ ઇસ્લામિક જીસસ’ અને ‘ઇસ્લામ વિધાઉટ એક્સ્ટ્રીમ’ એવાં બે પ્રસંશા પામેલાં પુસ્તકોના લેખક કહે છે કે મુસ્લિમ બહુમતી દેશોમાં મુસલમાનોને હવે ઇસ્લામના ધાર્મિક રાજકારણનો મોહભંગ થવા લાગ્યો છે.
‘આરબ બેરોમીટર’ પશ્ચિમ એશિયામાં સમયાંતરે મુસ્લિમ પ્રજાનો મૂડ અને વલણ સમજવા સર્વેક્ષણ કરવાનું કામ કરે છે. તેના છેલ્લામાં છેલ્લા ડેટા મુજબ ૨૦૧૩માં ધર્માચરણ નહીં કરનારા મુસલમાનોનું પ્રમાણ આઠ ટકા હતું જે હવે વધીને ૧૩ ટકા થયું છે. આરબ વિશ્વમાં લોકોનો ઇસ્લામવાદી રાજકીય પક્ષો પરનો અને મૌલવીઓ પરની શ્રદ્ધામાં ઘટાડો થઈ રહ્યો છે. લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ સ્થાપિત હિતો ધરાવે છે અને ધર્મને નામે પ્રજાને મૂરખ બનાવે છે. મુસ્તફા આક્યોલે પશ્ચિમ એશિયાના બીજા કેટલાક નિરીક્ષકોના મત પણ ટાંક્યા છે અને તેમનું પણ આવું જ નિરીક્ષણ છે. બહુ ધીમે પણ સાતત્યપૂર્વક મુસ્લિમ વિશ્વમાં સેક્યુલર પવન વાઈ રહ્યો છે અને લોકોનું ઇસ્લામના નામે કરવામાં આવતું રાજકારણનું સ્વરૂપ જોઇને ભ્રમનિર:સન થઈ રહ્યું છે.
આની અસર ત્રાસવાદ પર પણ થઈ રહી છે. ઇસ્લામિક સ્ટેટ માટેની લડાઈ પાંચ વરસ પહેલાં જેટલી તીવ્ર હતી એ અત્યારે રહી નથી. ઈરાનની અંદર ધાર્મિકતાને નકારીને આધુનિકતા માટેનું આંદોલન શરૂ થયું છે. તુર્કીમાં પણ સેક્યુલર લોકતંત્રની માગણી ધીરે ધીરે તીવ્ર થઈ રહી છે. જો કે આ ટ્રેન્ડ હજુ શરૂઆતનો છે. ૨૦૧૧માં આરબ સ્પ્રિંગ થઈ ત્યારે પણ લોકતંત્રની માંગ કરવામાં આવી હતી, પરંતુ એ આંદોલન ટકી શક્યું નહોતું. આમ છતાં એને અને અત્યારની સ્થિતિને સંબન્ધ છે. ફ્રેંચ ક્રાંતિ પણ પહેલાં તો નિષ્ફળ જ નીવડી હતી. એવું બને કે જે પરિવર્તન નજરે પડી રહ્યું છે એ ગતિ ન પણ પકડે. એવું પણ બને કે નિરીક્ષકોને હકીકત કરતાં વધુ મોટી ક્રાંતિ નજરે પડતી હોય. પણ એક વાત નક્કી છે કે ક્રિયા પ્રતિક્રિયા પેદા કરતી હોય છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રોટેસ્ટંટ આંદોલન કેથલિક ચર્ચના અતિરેક સામેની પ્રતિક્રિયા હતી. હવે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ધર્મમાં પ્રોટેસ્ટંટ મૂવમેન્ટ માટેનો સમય પાકી રહ્યો છે.
લોકોને જ્યારે એમ લાગવા માંડે કે ધર્મના નામે કેટલાક લોકો પોતાની હકુમત સ્થાયી કરવા માગે છે અને તેમાં ધર્મના નામે તેઓ કોઈ પણ હદે જતા શરમાતા નથી ત્યારે સામાન્ય માણસના મનમાં પ્રશ્ન પેદા થાય છે શું આવો ધર્મ ખુદાને કે ઈશ્વરને મંજૂર હશે? ત્રાસવાદીઓની ધમકી છતાં શાળામાં ભણવા જતી મલાલા યુસુફ્ઝાઈને ત્રાસવાદીઓ લમણામાં ગોળી મારે ત્યારે અદના મુસલમાનના દિલમાં જરૂર ચીસ ઊઠી હશે. સમર્થક ધીરે ધીરે બોલ્યા વિના મોઢું ફેરવી લેતો હોય છે.
મુસ્લિમ વિશ્વની જેમ ભારતમાં પણ મુસલમાનોને હવે લાગવા માંડ્યું હોવું જોઈએ કે પોતાને મુસ્લિમ તરીકે ઓળખાવતા રહીને એક બાજુએ ગર્વની ગર્જનાઓ અને બીજી બાજુએ આખું જગત અમારું દુશ્મન છે એવું રુદન કરવાની જગ્યાએ એક પ્રયાસ નાગરિક બનીને આધુનિક રાજ્યમાં ન્યાય અને હક માગવાનો કરવો જોઈએ.
ભારતમાં અને મુસ્લિમ વિશ્વમાં પરિવર્તનનો જે પવન નજરે પડી રહ્યો છે એ જો નક્કર સ્વરૂપ પકડશે તો એ ૨૧મી સદીની મહાન ઘટના હશે. ૨૧મી સદી ઇસ્લામિક પ્રોટેસ્ટંટ મુવમેન્ટની નીવડવી જોઈએ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 જાન્યુઆરી 2020