Opinion Magazine
Number of visits: 9576613
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીયકૃત બૅંકોની બેહાલીઃ અપેક્ષા અને વાસ્તવિક્તા વચ્ચેનું અંતર જવાબદાર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 November 2019

સરકારી યોજનાઓનો અવિચારી અમલ, ઓળખાણ અને દબાણમાં અપાયેલી લોન્સ, ગ્રાહકો સાથે તંગ પણ મોટાં માથા સાથેનો ઢીલો વહેવાર સરકારી બૅંકો માટે ઉધઇ સાબિત થયો

ગયા અઠવાડિયે કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારામને રાજ્યસભામાં જણાવ્યા અનુસાર ૨૦૧૯-૨૦નાં નાણાકીય વર્ષનાં પહેલા છ મહિનામાં જ સરકારી બૅંકોમાં છેતરપીંડીનાં ૫,૭૪૩ કેસીઝ નોંધાયા છે. આ છેતરપીંડીઓની રકમ ૯૫,૭૬૦ કરોડ જેટલી છે. ૨૦૧૮-૧૯નાં સંપૂર્ણ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નોંધેલા છેતરપીંડીના કેસીઝ કરતાં આ આંકડો કંઇક ગણો વધારે છે. ભારતીય બૅંકોની હાલત ‘એક સાંધો અને તેર તૂટે’ જેવી થઇ છે. માલ્યા અને મોદી જેવા વ્યાપારીઓને કારણે બેંકની શક્તિને ઉધઇએ કોરી ખાધી છે.

આમ તો ભારતીય અને ચાઇનિઝ અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યાં છે, પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યા છે. ચીનમાં ક્રેડિટ એક્સપેન્શનને કારણે અર્થતંત્રનાં વિકાસને નવી ગતિ મળી છે અને જી.ડી.પી.માં પણ વધારો થયો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં પણ ક્રેડીટમાં વધારો થયો છે પણ એ એટલા નીચા સ્તરેથી શરૂઆત થઇ હતી કે જી.ડી.પી.માં ખાનગી ક્ષેત્રનું દેવું ઓછું થતું ગયું – એ સ્તરે કે વિકસિત અર્થતંત્રની સરેરાશનાં અડધા ભાગ કરતાં ય ઓછું. આ તફાવત જોતા એમ લાગે કે ચીનમાં બેંકની હાલત કથળી હશે કારણ કે દેવાનાં બોજ તળે તેનાં પાયા હચમચી ગયા હશે અને ભારતીય બૅંકો ધીમા ક્રેડીટ એક્સપેન્શનને કારણે સ્થિરતા માણી રહી હશે, પણ કમનસીબે પરિસ્થિતિ આનાથી તદ્દન ઊંધી છે. વિશેષજ્ઞોનાં મતે ચીનમાં ગમે ત્યારે ક્રેડિટ ક્રાઇસિસની સ્થિતિ ખડી થઇ શકે છે પણ ભારતમાં તો ક્રેડિટ ક્રાઇસિસ ક્યારની ય ચાલે છે. મંદીનાં આકરાં સંજોગોમાં ગ્રીસ, પોર્ટુગલ અને ઇટાલીમાં પણ આપણે ત્યાં થઇ છે એવી કફોડી હાલત નથી થઇ.

૧૯૬૯માં બૅંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને ૨૫ વર્ષ સુધી આ તંત્રએ ભારતીય બેંકિગ ક્ષેત્રમાં ઇજારાશાહી માણી. તમામ રાષ્ટ્રીયકૃત બૅંકોમાં મેનેજમેન્ટનું માળખું, માનવ સંસાધનને લગતી નીતિઓનાં ધોરણ એક સરખા હતા અને સરકારી બૅંકો જાણે જુદાં નામ હેઠળ કામ કરતું એક માળખું હતું. ૧૯૯૧માં આર્થિક ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિને પગલે નવી બૅંકો માટે લાઈસન્સ અપાયા. ૨૦૦૦નાં દાયકામાં ખાનગી બૅંકોએ સરકારી બૅંકોને સ્પર્ધા આપવાનું શરૂ કર્યું અને સરકારી બૅંકોની નબળાઇઓ ‘પેંડોરાઝ બૉક્સ’ની માફક જાહેર થઇ ગઇ. સરકારી બૅંકોમાં વહીવટી તંત્ર સાવ નબળું સાબિત થયું. સરકાર હેઠળ આવતી હોવાને કારણે અહીં રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સનાં ‘હુકમ’ પ્રમાણે પણ કામ થતું. સરકારી ઓળખાણ ધરાવતા ઉધારિયાઓ સરકારી બૅંકો માટે ઉધઇ સાબિત થયા. રાષ્ટ્રીયકૃત બૅંકોનો ઉપયોગ સરકારી યોજનાઓ માટે થતો હોવાથી આંતરિક વહીવટ વધુ નબળો થતો જાય. સરકારની મુદ્રા યોજના અને જન ધન યોજનાને જે રીતે વેગ અપાયો તેમાં રાષ્ટ્રીયકૃત બૅંકોને ઘણું વેઠવું પડ્યું કારણ કે જે પણ યોજનાઓ કે વ્યવસાયોને લોન્સ અપાઇ તે કોમર્શયલી કેટલા સફળ થઇ શકશે તેની કોઇ નક્કર ખાતરી કે ચોકસાઇ ન મળી શકી. વળી સરકારી બૅંકોમાં રિસ્ક મેનેજમેન્ટ પણ જોઇએ એટલું મજબૂત નથી.

રાષ્ટ્રીકૃત બૅંકો પ્રત્યે સરકારનો પોતે જ માલિક અને પોતે જ મેનેજર જેવો અભિગમ જ આ બૅંકોની બેહાલીનું ખરું કારણ છે. આ બૅંકો જ્યારે તેના ગ્રાહકો સાથે કામ પાર પાડે ત્યારે સ્પર્ધાત્મક વલણ રાખે અને બાકી બધી કામગીરીમાં સરકારી ખાતું હોય તે વલણ અપનાવે પ્રકારની અપેક્ષા રાષ્ટ્રીયકૃત બૅંકોની પાયમાલી નોતરી ચૂકી છે. દરેક રાષ્ટ્રીયકૃત બેંકની કામગીરી ભૌગોલિક સંજોગો અને ગ્રાહકોની માંગ અનુસાર અલગ હોવી જોઇએ, પણ સરકારનાં હાથમાં સુકાન હોવાથી આ કરવું તેમને માટે શક્ય નથી રહ્યું. ‘બૅડ લોન્સ’નો ઉકેલ લાવવા માટે પણ આ બૅંકો સક્ષમ નથી જેનું એક કારણે એ પણ છે કે પબ્લિક સેક્ટર બેંકર્સને લોન રિકવરીનાં બદલામાં મળતું વળતર બહુ ઓછું છે.

આ તમામ બૅંકોની કામગીરીમાં શિસ્ત, નિયમિતતા અને ચોકસાઈપૂર્વકની કડક દેખરેખ રાખવી એ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની જવાબદારી છે, જેમાં ઢીલું મુકાયું હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. તાજેતરમાં સરકારે રાષ્ટ્રીયકૃત બૅંકોનાં એકીકરણનું પગલું લીધું છે જેને કારણે વહીવટ સરળ બની શકશે પણ જે સડો પેઠો છે તે રાતોરાત સાફ થઇ જશે તેમ માનવાની ભૂલ ન કરી શકાય. નોન પરફોર્મિંગ એસેટ્સનો પ્રશ્ન ખાનગી બૅંકોમાં એટલો ગંભીર નથી જેટલો રાષ્ટ્રીયકૃત બૅંકોમાં છે. રાષ્ટ્રીયકૃત બૅંકોનું ખાનગીકરણ આ સમસ્યાનો ઉકેલ સાબિત થઇ શકે છે. આપણા દેશને બહુ સ્પષ્ટ માળખાકિય પરિવર્તન કરીને બેંક ક્રાઇસિસનો અંત આણવો પડશે. ફાઇનાન્શિયલ રિઝોલ્યુશન અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ દ્વારા અપાયેલા પ્રસ્તાવમાં આ માળખાકિય પરિવર્તનની વાત હતી પણ સરકારે તે પાછા ખેંચી લીધા.

આપણે ત્યાં ઉધાર અપાતા નાણાંનો, એટલે કે લોન્સનો ૭૦ ટકા હિસ્સો સરકારી બૅંકો આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તગડી લોન આપી હોય અને પછી ભરપાઇ ન થવાને કારણે જેની છાતીનાં પાટિયા બેસી ગયાં હોય તે બધી સરકારી બૅંકો જ છે. મસમોટા ઉદ્યોગપતિઓ ‘ડિફૉલ્ટર’ સાબિત થયાં છે અને મોટે ભાગે આ બધી લોન ભરપાઇ ન થવા પાછળ ઓવરકૅપેસિટી, કોમોડિટીની કિંમતોનું પતન અને ઘોંચમાં પડેલા માળખાકિય પ્રોજેક્ટ્સ મુ્ખ્ય કારણો સાબિત થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોટા ૧૨ ડિફોલ્ટર્સ સામે બેંકરપ્સી જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા બૅંકોનો સૂચના આપી છે. આ એવા ડિફોલ્ટર્સ છે જે બેંકની નોન-પરફોર્મિંગ લોન્સનો ૨૫ ટકા હિસ્સો છે. નોન-પરફોર્મિંગ લોનની વધતી સંખ્યાને કારણે સરકારી બૅંકોની આવક જાળવવાની ક્ષમતા તળિયે ગઇ છે અને આ કારણે તેની મૂડીની સ્થિતિને પણ ઈજા પહોંચી છે. સરકારી બૅંકોનાં નોન-પરફોર્મિંગ એસેટ્સનો આંકડો આકાશે પહોંચ્યો છે અને અત્યારે આ સંજોગો વણસી રહ્યાં છે કારણ કે રોકાણનો વિકાસ ધીમો પડ્યો છે અને સાથે આર્થિક મંદીનો પ્રભાવ પણ છે. નોન પરફોર્મિંગ એસેટ્સમાંથી ૯૦ ટકા જેટલાં સરકારી બૅંકોનાં એસેટ્સ છે.

દિવસે દિવસે કફોડી બની રહેલી સ્થિતિમાં સૌથી મોટું કારણ છે કે આપણા આર્થિક તંત્રમાં સરકારી બૅંકોની પકડ અને વિસ્તાર ઘણાં વધારે છે. છેલ્લા એક દાયકામાં સરકારે બૅંકોને રિ-કેપિટલાઇઝ્ડ કરીને પબ્લિક સેક્ટર બૅંકોમાં દેશનાં જી.ડી.પી.નાં બે ટકા જેટલાં નાણાનું ઇંધણ પૂરું પાડ્યું છે. હવે જો સરકાર નાણાં ભંડોળ મજબૂત કરવા માગતી હોય તો આ રીતે બૅંકોનું રિ-કેપિટલાઇઝેશન એ અણધાર્યો અને તોતિંગ ખર્ચો જ સાબિત થાય. જે બૅંકો દેશનાં અર્થતંત્રને મજબૂત કરવા માટે ઘડાઇ છે તે જાણે પગ પર મારેલી કુહાડી સાબિત થઇ રહી છે. નિષ્ણાત અર્થશાસ્ત્રીઓની સલાહ આ સંજોગોમાં ચોક્કસ કામ લાગી શકે છે, પણ એ સાંભળવાની ધીરજ અને સમજણ હોવી જરૂરી છે.

બાય ધી વેઃ

આફતને અવસરમાં પલટાવવાની વાતો આપણે ઘણીવાર સાંભળી છે. રાજકીય અને આર્થિક સત્તાધિશોએ રાષ્ટ્રીયકૃત બૅંક્સને માથે પડેલી પસ્તાળને યોગ્ય રીતે નાણીને સ્વીકારવું જોઇએ કે નબળો વહીવટ આ નીતિ અને ધારા ધોરણ આધારિત તંત્રનાં પતનનું કારણ છે, જે આર્થિક વિકાસને પણ રૂંધી રહ્યો છે. વહીવટમાં ધરમૂળથી પરિવર્તન આ આફતથી બચવાનો એક લાંબા ગાળાનો પ્રભાવી ઉપાય છે જે અપનાવવાની અનિવાર્યતા સરકારે સમજવી રહી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2019

Loading

ભારતમાં રાષ્ટૃવાદ એટલે વિનાશ !

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2019

૧૯૧૭માં અમેરિકામાં ભારતીય રાષ્ટ્રવાદ વિષે પ્રવચન આપતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ એક ભૂંડી કલ્પના છે અને ખાસ કરીને ભારત માટે તો એ વધારે ભૂંડી છે; કારણ કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે. રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક પ્રવચન આપીને અને તેને છપાવીને થોભ્યા નહોતા, પણ ગાંધીજીએ ૧૯૨૦-૧૯૨૧ની સાલમાં જ્યારે અસહકારનું આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ ગાંધીજી સાથે પણ વિવાદમાં ઉતર્યા હતા. અસહકારના આંદોલનનો વિરોધ કરતા તેમણે ગાંધીજીને કહ્યું હતું કે રાષ્ટ્રીય જાગૃતિના નામે તેઓ (ગાંધી) આગ સાથે રમત રમી રહ્યા છે. ગાંધીજીએ ‘કવિની ચોકી’ (ચોકીદારી) નામનો લેખ લખીને ગુરુદેવને નિશ્ચિંત રહેવાનું આશ્વાસન આપ્યું હતું.

આવું કવિવરે શા માટે કહ્યું? રવીન્દ્રનાથ ટાગોર વીસમી સદીના મેધાવી અને મૌલિક વિચારક હતા. આ બાજુ સદીઓથી સુષુપ્ત અને અધમરેલા ભારતીય સમાજને ગાંધીજી જાગૃત કરી રહ્યા હતા. પહેલીવાર અંગ્રેજોને એમ લાગવા માંડ્યું હતું કે હવે ભારતમાંથી ઉચાળા ભરવા પડશે. બ્રિટિશ વડા પ્રધાને ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ (જે દિવસે ગાંધીજીને છ વરસની સજા કરવામાં આવી હતી એ જ દિવસે) લંડનમાં આમની સભામાં પ્રજાને સધિયારો આપતા કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સુરક્ષિત છે અને આપણે લાંબો સમય રાજ કરી શકીશું. ૧૯૨૩ના નવેમ્બરમાં મુંબઈના ગવર્નર સર જૉર્જ લૉઈડે અમેરિકન પત્રકાર ડ્રુ પિયર્સનને કહ્યું હતું કે, “એ તો ચૌરાચૌરીની ઘટના બની અને આંદોલન પાછું ખેંચાયું, પણ જો એમ ન બન્યું હોત અને અસહકારની લડતમાં ના-કરની લડત ઉમેરાઈ હોત તો અમારું શું થાત?” આમ રાષ્ટ્રીય જાગૃતિ અને અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતાને કારણે બ્રિટિશ સામ્રાજ્ય ધ્રુજી ગયું હતું.

આમ છતાં એ જ અરસામાં રવીન્દ્રનાથ ટાગોર કહે છે રાષ્ટ્રવાદ સ્વયં એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી નીવડી શકે એમ છે. જ્યારે ગાંધીના વિરોધીઓ સમય વર્તીને શુભ શુભ બોલતા હતા ત્યારે ગાંધીના અત્યંત સ્નેહી અને આદરણીય ગુરુદેવને ખરે ટાણે અશુભ બોલીને અપશુકન કરવાની શી જરૂર પડી? આખરે રવીન્દ્રનાથ દૂરનું ભાળી શકનારા કવિ હતા. તેમણે ગાંધીજી હજુ ભારતનું નેતૃત્વ સંભાળે એ પહેલાં જ ભારતીય રાષ્ટ્રવાદ વિષે ખતરાની ઘંટી વગાડી હતી અને અસહકારની લડત વખતે તો ગાંધીજી સાથે વિવાદમાં ઉતર્યા હતા. શા માટે?

રવીન્દ્રનાથે તેમના ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે ભારતની સમસ્યા રાજકીય નથી, સામાજિક છે એટલે રાષ્ટ્રવાદ ભારત માટે ખતરનાક છે.

આમ કહીને રવીન્દ્રનાથ શું કહેવા માગે છે? રાજકીય અને સામાજિકમાં શો ફરક? રાષ્ટ્રવાદી દેશભક્તોએ આ વાત સમજી લેવાની જરૂર છે. રવીન્દ્રનાથ કહે છે કે જગતના કોઈ પણ દેશ કરતાં ભારતમાં બહુવિધતા વધુ છે. જ્યાં રાષ્ટ્રવાદનો પ્રાદુર્ભાવ થયો છે એ યુરોપના દેશોની અને ભારતની સામાજિક-સાંસ્કૃતિક-ભૌગોલિક સ્થિતિ અલગ છે. સતત ઊભા પગે રહેવું, સતત અસલામતિ વચ્ચે જીવવું, સતત બાજનજર રાખવી અને મોકો શોધીને તક ઝડપી લેવી, જરૂર પડે તો લડવું- ઝઘડવું- આંચકવું એ પશ્ચિમની સભ્યતાનો સ્વભાવ છે. ઓછી વસ્તી, ઓછી બહુવિધતા, ઓછાં કુદરતી સંસાધનો અને સંઘર્ષમય જીવનને પરિણામે પશ્ચિમની પ્રજાનો આવો સ્વભાવ ઘડાયો છે. તેમને પોતા પાસે હોય તે પકડી રાખવા માટે અને બીજા પાસેથી આંચકી લેવામાં રાજ્ય (એટલે કે જે તે યુગના શાસકો) મદદ કરતું આવ્યું છે.

આમાંથી “આપણે” અને “બીજા”ની માનસિકતા વિકસી છે. આમાંથી રાજ્ય(એટલે કે એક શાસકીય એકમ અથવા તો વહીવટી વ્યવસ્થા)ને ઓળખના વાઘા પહેરાવીને રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. “આપણે છોડવાનું નથી”, “આપણે સાબદા રહેવાનું છે”, “આપણે મેળવીને જ રહીશું”, “આપણે લડી લઈશું”, એમ “આપણે”, “આપણે”, “ આપણે”! આ આપણે એટલે કોણ? સાવ આપણે કહેવાથી તો પહેલો પુરુષ બહુવચન થયું અને એટલાથી કામ ન ચાલે. જો છિનાઝપટી કરવી હોય અને પોતાનું પકડી રાખવું હોય તો છિનનારમાં અને પકડી રાખનારમાં મહાનતાનું અને શૌર્યનું આરોપણ કરવું પડે. લૂંટારાઓની ટોળકીઓમાં પણ આગલી પેઢી પછીની પેઢીને “આપણે કેટલા મહાન છીએ અને આપણે કેટલા શૂરવીર છીએ” એના પાઠ આપતી જતી હોય છે. ઝનૂન ટકાવી રાખવા માટે આ જરૂરી છે, પછી ઉદ્દેશ ગમે તે હોય. ઝવેરચંદ મેઘાણીની બારવટિયાઓની શૌર્યગાથાઓમાં આ તત્ત્વ જોવા મળશે. ઝનૂન ટકાવી રાખવા માટે સદ્ગુણ અને શૌર્યનું લીંપણ જરૂરી છે.

આમ પશ્ચિમમાં જરૂરિયાતના ભાગરૂપે “આપણે”ની ઓળખ વિકસાવવામાં આવી અને તેના સ્વાભાવિક પરિણામ સ્વરૂપે ‘બીજા’ની ઓળખ પણ વિકસાવવામાં આવી હતી. “આપણે” મહાન અને શુરવીર અને “બીજા” નીચ અને નિર્વીર્ય. પણ ભારતને આની જરૂરિયાત છે? ભારતમાં આ શક્ય છે? જો શક્ય બનાવાવમાં આવે તો ભારત માટે હિતાવહ છે? રાષ્ટ્રવાદના રાવણામાં ચાલી નીકળતા પહેલાં આ પ્રશ્નોના ઉત્તર શોધવા જોઈશે. જો એવી તસ્દી નહીં લો તો તમારું સંતાન રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ શકે છે, જેમ જર્મની અને ઇટાલીમાં બન્યું હતું અને અત્યારે જ્યાં ઇસ્લામિક રાષ્ટ્રવાદ પ્રબળ છે એ મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે.

આગળ વધતાં પહેલાં ભારતીય સભ્યતા કઈ રીતે આકાર પામી છે એ સમજી લો. માનવ સભ્યતાનો ઇતિહાસ એમ કહે છે કે જ્યાં આકરી આબોહવા ન હોય એટલે કે ઋતુ સમશીતોષ્ણ હોય, જ્યાં વિપુલ પાણી હોય અને જ્યાં જમીન ફળદ્રુપ હોય ત્યાં લોકો જઈને વસવાનું પસંદ કરે છે. દેખીતી રીતે જ્યાં જીવન ઓછું કષ્ટપ્રદ હોય અને જીવન જીવવા માટે બધું જ મળી રહેતું હોય ત્યાં માણસ રહેવાનું પસંદ કરશે. આ માનવસ્વભાવ છે અને ભારત આવી ભૂમિ છે. આખા જગતને ઈર્ષા થાય એવી હરીભરી આ ભૂમિ છે. હવે આપણે ગોળનો ગાડવો રાખીને બેઠા હોય અને મકોડા ન આવે એવું તો બને નહીં.

ભારતમાં ચારે બાજુથી લોકો આવવા લાગ્યા. કોઈ ફરતા ફરતા સુખની શોધમાં આવ્યા, કોઈ આક્રમક તરીકે આવ્યા, કોઈ વેપાર કરવા આવ્યા; પણ જે આવ્યા એ બધા જ અહીં આવીને વસી ગયા. માત્ર યુરોપિયનો ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કારણ કે તેઓ ઘણા મોડેથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં તેમણે “બીજાનું” ધન લૂંટીને “આપણે” ત્યાં લઈ જવાની આવડત વિકસાવી લીધી હતી અને તે પણ રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું. પશ્ચિમના એ શોષણ આધારિત રાષ્ટ્રવાદને જે તે દેશોના રાજ્યની મદદ હતી.

યુરોપિયનો ભારતમાં આવ્યા એ પહેલાનાં પાંચેક હજાર વરસના સમયખંડમાં સેંકડો લોકો ભારતમાં આવ્યા હતા અને વસી ગયા હતા. આદિવાસીઓને છોડીને કોણ મૂળ ભારતીય છે એ પણ આપણે જાણતા નથી. ગર્વીલા હિંદુઓ પોતાને આર્ય અને ભારતને આર્યાવર્ત તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, પણ ઇતિહાસકારો એમ કહે છે કે આર્યો જ મધ્ય એશિયામાંથી ભારત આવ્યા હતા. આમ કોણ અસ્સલ ભારતીય અને કોણ આગંતુક ભારતીય એ કોઈ જાણતું નથી. ટૂંકમાં ભારતમાં જીવન ઓછું મુશ્કેલ હોવાને કારણે લોકો આવતા ગયા અને વસતા ગયા. આનો અર્થ એવો નથી કે ભારત ધર્મશાળા હતું. ધર્મશાળામાં લોકો આવે છે અને થોડા દિવસ રહીને જતા રહે છે. અહીં તો લોકોએ કાયમ માટે આશ્રય લીધો હતો એટલે આપણે એમ કહી શકીએ કે ભારતીય સભ્યતા ધર્મશાળામાં વિકસેલી સભ્યતા છે અને આખા જગતમાં આવી એક માત્ર સભ્યતા છે.

આવી સ્થિતિમાં લોકોની ઓળખ થોડી ટકી, થોડી ઝાંખી પડી, થોડી ભેળસેળ થઈ અને થોડી લુપ્ત થઈ ગઈ. ભારત આ રીતે ઘડાયેલો દેશ છે. બીજું, જીવન ઓછું કષ્ટપ્રદ હોવાને કારણે પશ્ચિમમાં જેમ સતત ઊભા પગે રહેવાની, સતત અસલામતિ વચ્ચે જીવવાની, સતત બાજનજર રાખીને અને મોકો શોધીને તક ઝડપી લેવાની અને જરૂર પડે તો લડવા – ઝઘડવા – આંચકવાની મનોવૃત્તિ જન્મી છે એ સ્વાભાવિકપણે ભારતમાં જન્મી નહોતી. ભારતમાં વસતા દરેકને જીવનનિર્વાહ માટે જે જોઈએ એ બધું જ આસાનીથી મળી રહેતું હતું. અસ્તિત્વ ટકાવી રાખવાનો જીવસટોસટનો સંઘર્ષ નહોતો એટલે ભારતમાં માનવીય ઉર્જા સર્જકતામાં પરિણત થઈ હતી. આપણું પ્રાચીન સાહિત્ય (દાર્શનિક અને લલિત બંને) આની સાક્ષી પૂરે છે.

એક બાજુ કુદરતની ઓછી મહેરને કારણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત સાબદો રહેતો સંઘર્ષરત સમાજ અને બીજી બાજુ કુદરતની મહેરને કારણે સંતોષી અને ફૂલેલી-ફાલેલી સર્જકતા ધરાવતો સમાજ. એક બાજુએ સતત સુખ શોધનારો સતત જાગૃત સમાજ અને બીજી બાજુએ આવતીકાલની ચિંતાથી મુક્ત સંયુક્ત પરિવાર જેવો સમાજ. અભાવને કારણે જેમ પશ્ચિમના સમાજનાં કેટલાંક સ્વભાવ લક્ષણો વિકસ્યાં એમ ભારતમાં પણ ઈચ્છો એના કરતાં વધુ હોવાને કારણે વિકસ્યાં. થોડો આળસુ, થોડો ઉદાસીન, થોડો સંતોષી, આળસ અને સંતોષ વચ્ચે તેમ જ  ત્યાગ અને પુરુષાર્થ વચ્ચે વિવેક નહીં કરી શકનારો ઢોંગી, એક બાજુએ મહાન દર્શન આપનારો અને બીજી બાજુએ આળસ તેમ જ ક્ષુદ્રતાને મહાન દર્શનના પડીકામાં લપેટનારો વગેરે ભારતીય સમાજનાં સ્વભાવલક્ષણો છે.

પૂર્વ અને પશ્ચિમનો આ સ્થાયીભાવ છે. પશ્ચિમી સમાજના સ્થાયીભાવે રાષ્ટ્રવાદને જન્મ આપ્યો છે જે ભારતીય સમાજના સ્થાયીભાવ સાથે સુસંગત નથી. પશ્ચિમના સામાજિક સ્વરૂપને જોતાં  તો રાષ્ટ્રવાદ હજુયે પરવડી શકે, પણ ભારતનું સામાજિક સ્વરૂપ જોતાં તે જરા ય પરવડે એમ નથી. પશ્ચિમમાં રાષ્ટ્રવાદે કોઈ ઓછું નુકસાન નથી કર્યું, પણ ભારતમાં રાષ્ટ્રવાદ એટલે વિનાશ! માટે રવીન્દ્રનાથે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ પોતે જ એક ભૂંડી કલ્પના છે અને ભારત માટે તો એ વધારે ભૂંડી છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 19

દીપક મહેતા|Opinion - Opinion|24 November 2019

અહીંની કમાણી ભલે અહિયાં સમાણી

તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ

મુંબઈમાંનું કનૈયાલાલ મુનશીનું જીવન ભલે એક ચાલમાં શરૂ થયું, પણ પછી તો સાહિત્ય, સંસ્કૃતિ, રાજકારણ, જાહેર જીવન વગેરે ક્ષેત્રોના રાજાધિરાજ પદે તેઓ પહોંચ્યા. પણ લાખો લોકો એવા છે જેમનું જીવન કોઈ ચાલમાં શરૂ થાય છે, અને પૂરું પણ કોઈ ચાલમાં જ થાય છે. આ ચાલ અથવા ચાળી, અથવા વાડી, અથવા માળો એ મુંબઈના જીવનની, તેની ઈમારતોની, તેની સંસ્કૃતિની એક આગાવી નિશાની છે. ૧૯મી સદીમાં મુંબઈમાં ધીમે ધીમી જુદા જુદા પ્રકારના ઉદ્યોગ, ધંધા, વ્યવસાય, વિકસતા ગયા તેની સાથે આ ‘ચાલ’ને સીધો સંબંધ છે. જેમાં મોટી સંખ્યામાં કામગારોની જરૂર પડે તેવો મુંબઈમાં શરૂ થયેલો પહેલો ઉદ્યોગ તે કોટન મિલ ઉદ્યોગ. ૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે આખા દેશની પહેલવહેલી કોટન મિલ મુંબઈમાં તારદેવ ખાતે શરૂ કરી – બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની. કાવસજીનો જન્મ ૧૮૧૫માં, બેહસ્તનશીન થયા ૧૮૭૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે. ૧૮૫૩ના ઓક્ટોબરમાં બીજા કેટલાક વેપારીઓને ભાગીદાર તરીકે સાથે લઈને તેમણે બોમ્બે મર્કન્ટાઇલ બેંક શરૂ કરી. ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની થાપણ સાથે ૧૮૫૪માં બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની શરૂ કરી. ત્યાર બાદ મુંબઈમાં બહુ ઝડપથી નવી નવી મિલો શરૂ થઈ. ૧૮૬૫ સુધીમાં કોટન મિલની સંખ્યા વધીને ૧૦ની થઇ હતી. ઈ.સ. ૧૯૦૦ સુધીમાં તો મુંબઈ ૧૩૬ મિલોથી ધમધમવા લાગ્યું હતું.

પહેલી મિલના સ્થાપક કાવસજી નાનાભાઈ દાવર

આ બધી મિલોમાં કામ કરવા માટે બહુ મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડી જે મુંબઈમાં રહેતા લોકોથી પૂરી કરી શકાય તેમ નહોતું. એટલે આજના મહારાષ્ટ્રના જુદા જુદા ખૂણેથી કામદારોને મુંબઈ લાવવા પડ્યા. બહારથી આવેલા આ કામદારોના રહેઠાણની વ્યવસ્થા કરવી જરૂરી બની. ‘મિલ’ને મરાઠીમાં ‘ગિરણી’ કહે છે. ઘણીખરી મિલો મુંબઈના અમુક ચોક્કસ વિસ્તારમાં શરૂ થઈ હતી એટલે એ વિસ્તાર ‘ગિરણગાંવ’ તરીકે ઓળખાવા લાગ્યો. (આ ગિરણગાંવ વિસ્તાર તે આજનો ‘ગિરગાંવ’ વિસ્તાર નહિ જ. પણ એલ્ફિન્સ્ટન, લોઅર પરેલનો વિસ્તાર. એ વખતે મુંબઈમાં વાહન વ્યવહારનાં સાધનો ન જેવાં હતાં. એટલે મુંબઈ બહારથી આવેલા કામદારોને તેમના કામના સ્થળથી બની શકે તેટલા નજીક રહેવાની વ્યવસ્થા કરવી પડે. કંઈ નહિ તો છેવટે શરૂઆતમાં કુટુંબની સ્ત્રીઓને ‘દેશ’માં રાખીને માત્ર પુરુષો મુંબઈમાં કામ કરવા માટે આવતા. એટલે તેમને મોટા ઘરની, બહુ સાધન સગવડની, જરૂર નહોતી. વળી દિવસના ૮-૧૦ કલાક તો કામના સ્થળે તેઓ રહેતા. એટલે એક-દોઢ રૂમનું ઘર તેમને માટે બસ થાય. આવાં જે ઘરો ગિરણગાંવ વિસ્તારમાં બંધાયાં તે ‘ચાલ’ તરીકે ઓળખાયાં.

મુંબઈની પહેલી કોટન મિલ

(સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ‘ચાલ’ શબ્દનો આ અર્થ આપ્યો જ નથી! હા, ભગવદ્ ગોમંડળ કોશે આપ્યો છે. કહે છે: પાઘડીપને બાંધેલું અને ઘણી ઓરડીઓવાળું મકાન; ચાલી.) મોટે ભાગે બે માળનાં મકાનો. એક ઓરડી કે ‘ખોલી’નું એક ઘર એવાં હારબંધ ઘર. એ બધાંને જોડતી લાંબી ગેલેરી. એક કે બંને છેડે કોમન ટોઇલેટ અને નાહવાની ઓરડી. મોટે ભાગે ચોરસ કે લંબચોરસ આકારનાં મકાનો. વચ્ચે ચોક કે ખુલ્લી જગ્યા. મકાનોને ભોંયતળિયે મોટે ભાગે દુકાનો, મુખ્યત્વે રોજિંદી જરૂરની વસ્તુઓ વેચતી દુકાનો. એકલા રહેતા કામદાર પુરુષો મોટે ભાગે ‘ખાણાવળ’માં જમે એટલે શરૂઆતમાં ચાલીનાં ઘરોમાં રસોડાની જરૂર નહોતી. સ્ત્રીઓ સાથે ન હોય એટલે ‘બેડ રૂમ’ની જરૂર નહિ. એક ખોલીમાં પણ ત્રણ-ચાર પુરુષો સાથે રહે એટલે દરેકને ભાગે ભાડું પણ બહુ ન આવે. મોટે ભાગે પગે ચાલીને મિલ સુધી પહોંચી શકાય એટલે વાહન પર આધાર રાખવો ન પડે. વળી આ ચાલોમાં મોટે ભાગે એક ‘જાત’ કે એક ગામના પુરુષો રહે. એટલે રીતરિવાજ, ખાણીપીણીની સમાનતા. તહેવારો સાથે મળીને ઉજવે, ચાલના ચોકમાં. અને એ રીતે પાછળ છૂટી ગયેલા ગામડાના જીવનને ભલે થોડી વાર માટે, પણ ફરીથી જીવી લે.

આજે નામશેષ બની ગયેલું ગિરણગાંવ

પણ પછી ધીમે ધીમે બૈરી-છોકરાં પણ મુંબઈ આવી રહેવા લાગ્યાં. એટલે એક ખોલીનાં ઘરો દોઢ ખોલીનાં બન્યાં. જગ્યા તો લગભગ પહેલાં જેટલી જ – ૧૨ X ૧૨ કે ૧૪ X ૧૪ ફૂટની. તેમાંથી આગલી પોણી જગ્યામાં મુખ્ય ખોલી, પાછળની જગ્યામાં રસોડું. સ્ત્રીઓ આવી એટલે રસોડાના એક ખૂણામાં નહાવા માટેની મોરી કે ચોકડી આવી. પણ કોમન ટોઇલેટ તો જેમનાં તેમ રહ્યાં. જગ્યા ઓછી પડવા લાગી એટલે કેટલીક ઘરવખરી બહારની કોમન ગેલેરીમાં આવી, અલબત્ત હાલતાં-ચાલતાં તકલીફ ન પડે એ રીતે. પુરુષો કામે જાય પછી સ્ત્રીઓ કોમન ગેલેરી કે ચોકમાં મળે. વીણવા-ખાંડવાનાં, ભરવા-ગૂંથવાનાં કે બીજાં ઘરઘથ્થું કામ સાથે મળીને કરે. એકબીજાને મદદ પણ કરે ને ઝગડે પણ. ગીતો પણ ગાય ને એકબીજીને ગાળો પણ ભાંડે. પણ અણીને વખતે મદદ કરવા બધાં જ તત્પર. ચાલના જીવનમાં ‘પ્રાઈવસી’નો કન્સેપ્ટ લગભગ નહિ. સહિયારાં ઘર, સહિયારાં સુખ-દુઃખ, સહિયારાં જીવન. જો કોઈ બારણું વાસીને ખોલીમાં ભરાઈ રહે તો હાંસીને પાત્ર બને. જગ્યા નાની એટલે તસુએ તસુ જગ્યાનો ઉપયોગ કરવાનો. મલ્ટી પર્પઝ રાચરચીલાને પહેલી પસંદગી. ફ્લેટમાં હોય તેવું હેવી ફર્નિચર – સોફા સેટ, ડબલ બેડ વગેરે તો આ ખોલીમાં સમાય કે પોસાય જ નહિ. બે-ચાર ફોલ્ડિંગ ખુરસી, એક આરામ ખુરસી, એક-બે ફોલ્ડિંગ ટેબલ. એક સ્ટીલનો કબાટ. બે-ત્રણ શેતરંજી કે સાદડી. મુખ્ય બારણે પડદો હોય કે નયે હોય. હા, બીજું કશું હોય કે ન હોય, હવે બે વસ્તુ તો આ ચાલની ખોલીમાં પણ લગભગ ‘મસ્ટ’ બની ગઈ છે – ટીવી અને ગેસનો ચૂલો. નાનકડું ફ્રિજ પણ કોઈક ખૂણામાં ગોઠવાઈ જાય. ફ્લેટમાં રહેલાંને થાય કે આવી સાંકડી જગ્યામાં, આટલી અગવડો સાથે તે કેમ કરી રહેવાય? પણ ચાલનાં રહેવાસીઓને આ જીવન કોઠે પડી ગયું છે, ગમે છે પણ ખરું. ચાલ ‘રિડેવલપમેન્ટ’માં જાય અને રહેવા ફ્લેટ મળે તો તેમને અડવું અડવું લાગે છે, એકાકીપણું અનુભવે છે – જાણે મૂળ સોતાં ઉખડી ગયાં ન હોય!

બી.ડી.ડી. ચાલ, વરળી

મુંબઈની ચાલ વિષે ઘણાબધા અભ્યાસ થયા છે, પી.એચ.ડી.ની ડિગ્રીઓ મેળવાઈ છે, લેખો લખાયા છે. પણ તેમાંના ઘણાખરા ગિરણગાંવની ચાલ વિષે – મિલ મજૂરો માટેની ચાલ વિશેના છે. પણ મિલ મજૂરો માટે ન હોય તેવી પણ ઘણી ચાલ મુંબઈમાં છે. ૧૯મી સદીમાં જેમ મિલ અને બીજાં કારખાનાં મુંબઈમાં શરૂ થયાં તેમ નવા નવા વેપાર-ધંધા પણ શરૂ થયા. સરકારી અને બિન-સરકારી નોકરીઓની ઘણી નવી તકો ઊભી થઈ. આ નવા વાતાવરણમાં પોતાનું ભાગ્ય અજમાવી જોવા ગુજરાતનાં ઘણાં શહેરોમાંથી પણ ગુજરાતી લોકો મુંબઈ આવ્યા. તેમાં પણ શરૂઆતમાં પુરુષો એકલા જ આવતા. સ્ત્રી વર્ગ નહિ. એટલે આવા આગંતુકો માટે પણ કાલબાદેવી, ગિરગામના કેટલાક ભાગો (જેમ કે કાંદા વાડી), ગ્રાન્ટ રોડ વગેરે વિસ્તારોમાં ચાલો ઊભી થઈ. જેમ જેમ પરાં વિકસતાં ગયાં તેમ તેમ ત્યાં પણ ચાલીઓ બંધાઈ. જો કે ઘણી વાર તેના નામમાં ‘ચાલ’ને બદલે ‘માળો’ કે ‘વાડી’ જેવા શબ્દો વપરાતા. જેમ કે ચંદારામજીનો માળો કે લાડની વાડી. તો કેટલીક ચાલોનાં નામ પરથી ખ્યાલ જ ન આવે કે તે ચાલ હશે. જેમ કે ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક આવેલ પાર્વતી મેન્શન અને પન્નાલાલ ટેરેસ. પણ આ બન્ને ખૂબ મોટાં મકાનો હકીકતમાં મોટી ચાલ જ છે. ગિરણગાંવની ચાલોમાં મોટે ભાગે એક ગામથી આવેલા લોકો એક ચાલમાં સાથે રહેતા. જ્યારે ગુજરાતી ચાલોમાં એક જ્ઞાતિનાં લોકો અમુક ચાલમાં સાથે રહેતા હોય તેવું જોવા મળતું. એ બધા પણ એકંદરે હળીમળીને સાથે રહેતા, સારે-માઠે પ્રસંગે એકબીજાને મદદ કરતાં, તો ક્યારેક ઝગડતા પણ ખરા. બીજા બધા ઉત્સવો તો ચાલના ચોકમાં ઉજવાતા જ, પણ ચાલના ચોકમાં થતા નવરાત્રીના ગરબા એ ગુજરાતી ચાલોની આગવી વિશિષ્ટતા હતી. ગામડાંની ધરતી પરનો ગરબો પહેલાં મુંબઈની ચાલોના ચોકમાં આવ્યો અને પછી ત્યાંથી સ્ટેજ પર જઈ પહોંચ્યો. આઝાદીની લડત વખતે પણ ચાલના લોકો પ્રભાતફેરી કે પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં હોંશભેર જોડાતા, સ્ત્રીઓ પણ. ચાલમાં રહેતા ગુજરાતીઓ મોટે ભાગે વચલા મધ્યમ વર્ગના. ખિસ્સામાં ફદિયાં હોય તેનો થોડો ચળકાટ ચાલની ‘ડબલ રૂમ’માં પણ દેખાય. બે પાંદડે થયા પછી ડાબી કે જમણી બાજુની રૂમ પણ ભાડે લઈને ‘ખોલી’ને ‘ફ્લેટ’માં ફેરવી નાખ્યાનો સંતોષ મેળવે.

આજના મુંબઈની એક ચાલ

આ બધી ચાલો બાંધતું કોણ? ખાનગી માલિકો બાંધતા, જ્ઞાતિ કે ગામની સેવાભાવી સંસ્થાઓ બાંધતી, ચેરિટેબલ ટ્રસ્ટો બાંધતાં, અને સરકાર પણ બાંધતી. ૧૯૨૦ના અરસામાં સરકારી બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (બી.ડી.ડી.) દ્વારા વરળી ખાતે ૧૨૧ મકાનોની બી.ડી.ડી. ચાલ બાંધવામાં આવી. કેટલાકને મતે આ મકાનો મૂળ તો જેલ તરીકે વાપરવા બંધાયાં હતાં, પણ પછી તેનો ઉપયોગ રહેઠાણ માટે થયો. આ વાત સાચી હોય કે નહિ, પણ એ તો એક હકીકત છે કે આ મકાનોની દિવાલો એટલી તો જાડી અને મજબૂત છે કે તેમાં ખીલી ખોડવાનું લગભગ અશક્ય છે. મુંબઈની બીજી ચાલોમાં ઘણુંખરું ઉજળિયાત વર્ગના અથવા સવર્ણ લોકો જ રહેતા હોય છે. પણ બી.ડી.ડી. ચાલમાં દલિતો, નવ્ય બૌદ્ધો, અગાઉ અસ્પૃશ્ય ગણાતી જાતિના લોકો પણ વસે છે. બીજી ચાલોની જેમ બી.ડી.ડી. ચાલના રહેવાસીઓને પણ ચાલની માયા બંધાઈ ગઈ છે. પણ હવે સરકારે આ ચાલોનું ‘રિડેવલપમેન્ટ’ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી બાજુ ખાનાગી માલિકીની ચાલોની દશા વધુ ને વધુ બગડતી જાય છે. જ્યારથી મુંબઈમાં ‘રેન્ટ કંટ્રોલ એકટ’ લાગુ કરવામાં આવ્યો ત્યારથી ભાડાનાં મકાનોના ખાનગી માલિકોને પોતાનાં મકાનોની જાળવણીમાં રસ રહ્યો નથી. મુંબઈની કોઈ પણ ચાલમાં એક ખોલીનું ભાડું મહિને ૨૫૦ રૂપિયા કરતાં વધુ ન હોય. આવક ઓછી, અને બાંધકામના ભાવ સતત વધતા રહે. એટલે ચાલના સમારકામ કે જાળવણી કરવાનું મકાન માલિકને પોસાય નહિ. ભાડૂતો પોતાની ખોલીની જાળવાની કરે, જરૂરી સમારકામ પણ પોતે કરાવી લે, પણ ‘કોમન એરિયા’નું તો કોઈ ધણીધોરી નહીં. ગિરણગાંવ વિસ્તારની મિલો ૧૯૮૨ પછી ટપોટપ બંધ થઈ, લાખો મિલ કામદારો બેકાર બન્યા. તેની અસર ત્યાંની ચાલો પર પણ પડી. વખત જતાં મિલની જગ્યાએ મોટા મોલ કે બહુમાળી કમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા થયા. સાથોસાથ ઘણીખરી ચાલો પણ રિડેવલપમેન્ટમાં ગઈ. પણ શહેરના અન્ય વિસ્તારોમાં હજી ચાલો ઊભી છે, જીવે છે, અલબત્ત, મરવાને વાંકે જીવે છે. વહેલી કે મોડી એ પણ વીરગતિને પામશે.

પાર્વતી મેન્શન, ગ્રાન્ટ રોડ

કોઈ પણ મુંબઈગરો, પછી એ ચાલમાં રહેતો હોય કે બંગલામાં, મુંબઈથી પૂરેપૂરો ખુશ નથી, તો પૂરેપૂરો નાખુશ પણ નથી. ‘સમય સાથે’ નામના નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત છે જેમાં મુંબઈગરો અંતે કહે છે કે ‘તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.’ શ્રી દેશી નાટક સમાજે ૧૯૪૫માં આ નાટક ભજવેલું. સંગીત હતું માસ્ટર કાસમભાઈનું, અને ગાનાર કલાકાર હતાં વત્સલા. નાટકના પ્રહસન વિભાગમાં પ્રખ્યાત નટો છગન રોમિયો અને અનંત વીણ છગલો અને જગલોની ભૂમિકા ભજવતા, અને આ નાટક સફળ થયું હતું મુખ્યત્વે તેના પ્રહસન વિભાગને કારણે. સાંભળીએ પ્રહસન વિભાગનું એ ગીત:

મનને ગમે મુંબઈ,
આંખોમાં રમે છે મુંબઈ, જાવું ગમે ના.

અલક આ જુગની સાગરના પારણે,
નગરી નવયુગની પશ્ચિમના બારણે,
તોયે જૂના ગૌરવને નમે મુંબઈ.

નવી નવી લ્હાણ, અહીં નવી નવી ભાવના,
જુદાં જુદાં માનવીઓ જુદા સ્વભાવના,
સાથે બેસીને જમે મુંબઈ.

જાગ્યું નસીબ અમે કીધી કમાણી,
અહીંની કમાણી ભલે અહિયાં સમાણી,
તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 નવેમ્બર 2019

Loading

...102030...2,6142,6152,6162,617...2,6202,6302,640...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved