Opinion Magazine
Number of visits: 9967345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 April 2020

કેન્દ્રનો સત્તાપક્ષ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરે અને રાજ્યનો સત્તાપક્ષ સમર્થન કરે તેમાં ચૂંટણી સ્ટંટ કેટલો અને પછાતોના હામી હોવાનો દેખાડો કેટલો તે જણાઈ આવે છે.

બિહાર વિધાનસભાના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના તાજેતરના સર્વસંમત પ્રસ્તાવ પછી ફરી એકવાર આ મુદ્દે ચર્ચા ઊઠી છે. આ વરસે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ પ્રમુખ મુદ્દો હોય ત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવનું સમર્થન કરવું તે રાજ્યના તમામ રાજકીય પક્ષોની મજબૂરી હતી.

અંગ્રેજોએ ગુલામ ભારતને આપેલી મહત્ત્વની ભેટો પૈકીની એક દર દાયકે થતી વસ્તી ગણતરી છે. ઈ.સ. ૧૮૬૧થી તેનો આરંભ થયો હતો. એ હિસાબે ૨૦૨૧ની વસ્તી ગણતરી સળંગ સોળમી અને આઝાદ ભારતની આઠમી વસ્તી ગણતરી છે. વસ્તી ગણતરીનો ઉદ્દેશ દેશના તમામ નાગરિકો પાસેથી વિગતો મેળવી સમગ્ર સમાજની આવશ્યક સામાજિક, આર્થિક માહિતી એકત્ર કરવાનો છે. વસ્તી ગણતરીમાં ૧૯૩૧ સુધી જ્ઞાતિની માહિતી પણ મેળવવામાં આવતી હતી. સ્વતંત્ર ભારતની, ૧૯૫૧ની, પહેલી વસ્તી ગણતરીથી જ્ઞાતિની માહિતી મેળવવાનું બંધ કરવામાં આવ્યું હતું જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીથી દેશના સામાજિક તાણાવાણાને અસર થશે તેવું તત્કાલીન દેશનેતાઓનું માનવું હતું.

છેલ્લા ત્રણ ચાર દાયકાથી, ખાસ તો મંડલ કમિશનના અમલ પછીથી, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ ઊઠી રહી છે. અન્ય પછાતવર્ગોને જે ૨૭% અનામત આપવામાં આવી તેનો આધાર ૧૯૩૧ની વસ્તી ગણતરી હતી. જો કે દેશમાં ઓ.બી.સી. વસ્તી તેમની અનામતો કરતાં બેવડી હોવાનું મનાય છે. તેથી દેશના પછાતવર્ગો, તેમની દેશમાં ખરેખર કેટલી વસ્તી છે તે જાહેર કરવા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી રહ્યાં છે. વસ્તી ગણતરીમાં દલિતો-આદિવાસીઓની જ્ઞાતિના ધોરણે ગણતરી થાય છે એટલે ન માત્ર ઓ.બી.સી.ની દેશના પ્રત્યેક નાગરિકની જ્ઞાતિની ગણતરી થવી જોઈએ તેવી માંગ પણ છે. ૨૦૦૧ અને ૨૦૧૧માં આ માંગ બળવત્તર બની હતી અને ૨૦૧૧માં તે વખતની યુ.પી.એ. સરકારે વસ્તી ગણતરીમાં જ્ઞાતિને તો સામેલ ન કરી પણ અલગથી સામાજિક, આર્થિક, જ્ઞાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. આ માટે રૂ.૪,૮૯૩ કરોડનો ખર્ચ થયો હતો. પરંતુ તે પછી ૨૦૧૪માં સત્તારૂઢ થયેલી એન.ડી.એ. સરકારે જ્ઞાતિવાર વસ્તીના આંકડા જાહેર કર્યા નહીં.

બિહારમાં એન.ડી.એ. ગઠબંધનની સરકાર છે. બી.જે.પી. સત્તામાં ભાગીદાર છે. અને તે રાજ્ય સરકારના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવનું સમર્થન કરે છે. પરંતુ કેન્દ્રમાં સત્તાપક્ષે રહેલ બી.જે.પી. તેના સમર્થનમાં નથી ! ૧૯૪૮ના વસ્તી ગણતરી અધિનિયમ અન્વયે ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં જ્ઞાતિને સામેલ કરવાનો તે ઈન્કાર કરે છે. ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં સરકાર જ્ઞાતિનો સમાવેશ કરવા માંગે છે કે કેમ ? એવા બિહારના જનતા દળ(યુ)ના લોકસભા સભ્ય કૌશેલેન્દ્ર કુમારના પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે એવો અસ્પષ્ટ જવાબ આપ્યો છે કે વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની ગણતરી થાય જ છે ! આ જવાબ પરથી સરકારનું વલણ જણાય આવે છે.

રાજકીય પક્ષો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ અને વિરોધ તેમની રાજકીય ગણતરીઓના આધારે ફેરવતા રહે છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી દેશમાં વિઘાતક નીવડશે અને તેનાથી દેશમાં જ્ઞાતિના ધોરણે ભાગલા પડશે તેવી દલીલો તેના વિરોધીઓ કરે છે. જો કે તેઓ એ બાબતે નિરુત્તર છે કે આપણો દેશ બિન-સાંપ્રદાયિક છે અને છતાં વસ્તી ગણતરીમાં ધર્મની ગણતરી થાય છે તેનું શું? જો દેશના ધર્મના ધોરણે ભાગલા થયા હોય અને તે પછી આપણા બંધારણે બિન-સાંપ્રદાયિકતાનો આદર્શ સ્વીકાર્યો હોય તો પછી વસ્તી ગણતરીના પત્રકમાં ધર્મનું કોલમ શા માટે હોવું જોઈએ ? જો વસ્તી ગણતરીમાં ધર્મને સામેલ કરવા છતાં બિન-સાંપ્રદાયિકતા જળવાઈ રહેતી હોય તો જ્ઞાતિવિહીન રાજ્યની કોઈ ઘોષણા વિના જ્ઞાતિવાર વસ્તીના આંકડા જાહેર થાય તો દેશ કઈ રીતે વિભાજિત થશે તેનો કોઈ જવાબ મળતો નથી. ખરેખર તો વસ્તી ગણતરીમાં ધર્મનું કોલમ રાખીને દેશમાં હિંદુઓ બહુમતીમાં છે તે દુનિયાને દેખાડવું ગમે છે પરંતુ હિંદુ ધર્મ જ્ઞાતિના ધોરણે કેટલો વિભાજિત છે તે જગત ચોકમાં મૂકતાં શરમ આવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૭૯.૮% (૯૬.૮ કરોડ) હિંદુઓ અને ૧૪.૨% (૧૭.૨ કરોડ) મુસ્લિમો છે. આ આંકડા દેશ બહુસંખ્યક હિંદુઓનો છે તે દર્શાવે છે પણ તેમાં કેટલી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ છે તે દર્શાવતા નથી.

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થકો જ્ઞાતિને ભારતીય સમાજની વાસ્તવિકતા ગણાવે છે અને જ્ઞાતિ જો યથાર્થ છે તો તેનો સમાવેશ વસ્તી ગણતરીમાં થવો જોઈએ તેમ માને છે. ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના કમિશનર જે.એચ. હટને પણ કહ્યું હતું કે, ‘એક એન્થ્રોપોલોજિકલ ફેકટની નોંધણી કરવી તેને ખોટું કામ ગણવામાં આવે, એ વાતની મને નવાઈ લાગે છે સંસ્થા સમાજની આ વાસ્તવિકતા, એટલે કે જ્ઞાતિને. નજરાઅંદાજ કરી શકે નહીં.’ જ્ઞાતિવાર જનગણનાને અનામત સાથે પણ જોડવામાં આવે છે. જો વસ્તી ગણતરીમાં ઓ.બી.સી.ની વસ્તી વધારે જણાશે તો તેમની અનામતની ટકાવારી વધારવી પડશે એટલે પણ આવી માંગનો વિરોધ થાય છે. બંધારણના અનુચ્છેદ ૧૬(૪)માં પછાતવર્ગોના સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ સાથે અનામતને જોડવામાં આવી છે. હવે જો વસ્તી ગણતરી થાય અને તેમાં પછાતવર્ગોની વસ્તી વધુ જણાય અને વહીવટમાં તેમનું પ્રતિનિધિત્વ અલ્પ હોય તો સ્વાભાવિક છે કે અનામત વધારવી પડે. પણ જો તમામ ભારતીયોની જ્ઞાતિ જાણવામાં આવે તો જેઓની વસ્તી અલ્પ છે તેવી કથિત ઉપલી જ્ઞાતિઓનું સરકાર, શાસન અને રાજકારણમાં જે બેસુમાર પ્રતિનિધિત્વ છે તેના પર પ્રશ્નો ખડા થાય એટલે પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ થાય છે.

વસ્તી ગણતરીમાં જ્ઞાતિના મુદ્દાને માત્ર ઓ.બી.સી.ની ગણતરી પૂરતો સીમિત કરવાની જરૂર નથી. પરંતુ પ્રત્યેક ભારતીયના ધર્મની જેમ તેની જ્ઞાતિ પણ જાહેર થવી જરૂરી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૨૮,૭૦,૦૦૦ (૦.૨૭%) ભારતીય નાગરિકોએ પોતાને ધર્મવિહીન જાહેર કર્યા હતા. જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો કેટલા ભારતીયો પોતાને જ્ઞાતિમુક્ત માને છે તેનાં પણ પારખાં થઈ શકશે. જો દલિતો આદિવાસીઓને તેમની જ્ઞાતિ જાહેર કરવી જરૂરી છે તો બાકીના ભારતીયોને તેમાંથી મુક્ત રાખવા ઉચિત નથી. વળી જ્ઞાતિવાર વસ્તીના આંકડા ઉપલબ્ધ થાય તો સરકારને તેની જ્ઞાતિ આધારિત સમાજ કલ્યાણ યોજનાઓને વધુ સારી બનાવવામાં મદદ પણ મળી રહેશે.

બિહાર પૂર્વે ગયા જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાએ પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો સર્વસંમત પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. પરંતુ દેશના વસ્તી ગણતરી કમિશનરે તેમની માંગણીનો તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦ના પત્રથી લેખિત અસ્વીકાર કર્યો છે. તેમની એવી દલીલ હતી કે કેન્દ્ર અને  રાજ્યોની ઓ.બી.સી. જ્ઞાતિઓની કુલ સંખ્યા ૭,૨૦૦ જેટલી છે. વળી લોકો જો પોતાની જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, કુળ અને ગોત્રના ઉચ્ચાર કરવામાં ભૂલ કરે તો ખોટું વર્ગીકરણ થઈ શકે છે. સરકારના લેખિત નન્ના પછી બિહાર સરકારના જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રસ્તાવમાં ચૂંટણી સ્ટંટ કેટલો છે અને પછાતોના હામીનો ઠાલો દેખાડો કેટલો છે તે જણાવવાની જરૂર ખરી?

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 ઍપ્રિલ 2020

Loading

હે કોરોના ! (2)

સુમન શાહ|Opinion - Opinion|1 April 2020

= = = = મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે. પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું. એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે. = = = =

= = = = ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. = = = =

હે કોરોના ! હું માણસમાંથી સાહિત્યકાર કેવી રીતે થઈ ગયો એ કથા બહુ લાંબી છે.

પણ ખંચકાઉં છું કે એ મારે તને શું કામ જણાવવી જોઈએ ને એમ પણ ખરું કે તારે પણ શું કામ જાણવી જોઈએ …

પણ આજકાલ હું તારા પ્રતાપે સાહિત્યકાર નથી રહ્યો. કેમ કે વાર્તા કાવ્ય કશું લખવાના હોશ જ નથી રહ્યા. મને થાય છે, એ બધાથી શું? હું નહીં હોઉં ત્યારે મારી બધી ચૉપડીઓ કોઈના ઘરે કે કોઈ લાઈબ્રેરીમાં મૂંગીમંતર બેઠી હશે – આવતા-જતાને કાચના કબાટમાંથી તાકીને જોતી … બાકી, ચૉપડી એને ક્હૅવાય જે કોઈએ વાંચી હોય ને જેને વિશે એ કોઈથી બે સાચા શબ્દ બોલાયા હોય. ચૉપડીનું છેલ્લું પાનું એ કોઈના અદૃશ્ય બોલથી ભરાયું હોય. લેખક, ચૉપડી અને એ કોઈ વાચકના એ બોલ, એમ થાય ત્યારે માની શકાય કે ચૉપડી અને ચૉપડી નામનું ઘટનાચક્ર પૂરું થયું. જો કે આ બધું પણ મારે તને શું લેવા કહેવું જોઈએ ને તારે પણ શું લેવા સાંભળવું જોઈએ …

હા, તારા જેવા જે છે પ્રાણઘાતક — પ્લેગ કૉલેરા વગેરે, મહામારીનું બિરુદ પામેલા — એમને વિશે અમારા કામૂ કે માર્ક્વેઝ વગેરેએ જે લખ્યું છે તેની હું વાતો કરી શકું છું. જેથી કરીને આ કપરો સમય થોડો કપાય.

તને કહું, માનવજાતના સુખને અવરોધનારી કે હરી લેનારી ઑચિન્તી ઘટનાને અમે મહામારી કહીએ છીએ – અંગ્રેજીમાં disaster એમ બોલીએ છીએ. સુનામી ચક્રવાત ઝંઝા કે અતિ / અલ્પ વર્ષા જેવી મહામારીઓ કુદરત તરફથી હોય છે. વનવિનાશ, જાનવરોના શિકાર, પ્રેમમાં કે સમ્બન્ધમાં બેવફાઈ, કે ખૂનામરકી જેવી મહામારીઓ અમારા તરફથી હોય છે – એટલે કે માણસો તરફથી. મહામારીને અમે ‘મરકી’ પણ કહીએ છીએ. આમાં તને માણસ-તરફી મહામારી તો કેવી રીતે ગણું? ને કુદરત તરફથી પણ શા માટે ન ગણું? જે હોય તે. તું ન સમજાય એવો છું ને સૌ મહામારીઓમાં શ્રેષ્ઠ છું એટલું નક્કી છે.

આ માર્ક્વેઝ નામ મેં ના લીધું? એ બિરાદરે ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ નામની નવલકથા લખી છે. આ કૉલેરા પણ પ્રાણઘાતક તો ખરો જ ને? પરન્તુ ક્યાં અમારા જીવનનો મૂળાધાર લવ – એટલે કે પ્રેમ – ને ક્યાં કૉલેરા ! મને તો એ બન્નેનું સાથે હોવું ખતરનાક જક્સ્ટાપોઝિશન લાગે છે. પણ એમ બને છે, એમ જ બને છે. અમે પ્રેમમાં પડીને અમારા ટૂંકા જીવનમાં જરા જેટલી મજા લેતા હોઇએ ત્યાં જ તમે મહામારી-લોકો, ટપકી પડો છો – ભાલા તલવાર છરા બંદૂક ને રાયફલો સાથે નહીં, અપૂર્વ અકલ્પ્ય અચિન્ત્ય અદૃશ્ય હથિયારો લઈને ! જવા દે, આગળ કહીશ તે તને નહીં ગમે. જક્સ્ટાપોઝિશન માટે મેં અમારે ત્યાં ‘સન્નિધીકરણ’ શબ્દ વાપરેલો.

મને કેટલાંક કાવ્યો ગમતાં’તાં પણ હાલ એનો કશો સ્વાદ નથી આવતો. હું ઇન્ટર આર્ટ્સમાં હતો ત્યારે અમારા એક કવિ સુન્દરમ્-નું ‘સળંગ સળિયા પરે’ કાવ્ય હું હીંચકે ઝૂલતાં ઝૂલતાં પઠ્યા જ કરું તે એનો છન્દોલય મગજમાં રમતો થઈ ગયેલો ને હુંયે એ છન્દમાં એક કાવ્ય કરી બેઠેલો. પરન્તુ હાલ હું ‘છન્દ’ શબ્દ બોલતાં પણ ધ્રૂજી જઉં છું કેમ કે શરમ આવે છે. મારા ગુરુ હતા સુરેશ જોષી, એમના એક કાવ્યની પંક્તિ ‘હસી શકે તો હસજે જરા વધુ’ તે, તને કહું, આજકાલ બિલકુલ અખરે છે મને. હસવાનું ને તે ય વધુ? રોજ કેટલાં નિર્દોષ મનુષ્યો મરણને પામે છે. જો કે મરણની એ વાત તને કરવામાં હું કશો મહા તાર્કિક દોષ કરી રહ્યો છું. ‘સન્નિધીકરણ’ શબ્દ મેં એમની વાર્તાઓ માટે વાપરેલો.

એવા વાપરેલા કે ન વાપરેલા કે ચિત્તમાં સેવ્યા કરેલા શબ્દોની આખી વાત જ હાલ પત્તાનાં મહેલની જેમ ભૂમિસાત્ થઈ ગઈ છે. જવા દે. મારે મારા સ્વરૂપાન્તરની વાત વધારે કરવી જોઈતી’તી. પણ અમારા અધ્યાપકના વ્યવસાયમાં વિષયાન્તર પણ કો’ક વાર ગુણ ગણાય છે. સાંભળ, મારા હું-નાં બદલાઈને અનેક રૂપો સરજાયાં છે.

પહેલું રૂપ તો એ કે હું હવે ગૃહિણી છું.

ગુજરાતી ભાષામાં ‘ગૃહણ’ જેવું પુલ્લિંગ નામ નથી તો શું કરું? ગૃહિણી એટલે ઘર સમગ્રને વહેલી સવારથી રાતે પથારીમાં પડે ત્યાં લગી ભરપૂરે સંભાળનારી સ્ત્રી. અમારે ત્યાં ગૃહિણી સામાન્યપણે પત્ની હોય છે. અમારામાંના કેટલાક પુરુષો મીઠી મુસ્કાન સાથે પત્નીને ક્હૅતા હોય છે, ‘તું જ છું ઘરની માલિક’ ‘તું ગૃહપ્રધાન છું’ ‘હોમ-મિનિસ્ટર છું’ જેવાં વૅણ વેરતા હોય છે. વળી, એને ચાવીઓનો ઝૂડો અર્પી દેતા હોય છે. એ ય ભોળી કૅડે લટકાવીને ઢમક ઢમક મ્હાલતી હોય છે. પણ ખરેખર તો એ પુરુષો પત્નીઓને છેતરે છે. જવા દે, હું આડે પાટે ચડી જઈશ. હું એમ ક્હૅતો’તો કે હું હવે ગૃહિણી છું. ઉમેરું કે એ મારું અગ્રિમ સ્વરૂપાન્તર છે.

વધુ, હવે પછી. તું તો થાકે એમ છું જ નહીં, અપાર ને અગાધ છું, પણ મારે સમજવું પડે છે …

= = =

(March 31, 2020 : Ahmedabad)

Loading

ગુજરાતી ડાયસ્પોરિક જનજીવનના પીઢ પત્રકાર : રમણીકલાલ સોલંકી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|31 March 2020

રમણીકલાલ સોલંકીને 1972ના અરસે પહેલી વાર જોયાનું સ્મરણ છે. એ દિવસોમાં “જન્મભૂમિ”માં પત્રકારત્વ કરતો અને રમણીકભાઈ લંડન બેઠે “જન્મભૂમિ” જૂથનું પ્રતિનિધિત્વ કરતા. પણ મુંબઈ આવે ત્યારે રમણીકભાઈની બેઠકઊઠક તંત્રી જોડે કે તંત્રી ખાતાને બદલે સવિશેષ ‘સૌરાષ્ટૃ ટૃસ્ટ’ના તત્કાલીન વહીવટી સંચાલક રતિલાલભાઈ શેઠ જોડે રહેતી. બીજે માળે રતિભાઈની પણ કૅબિન હતી. રમણીકભાઈ બહુધા ત્યાં જ બેસતા. જ્યારે આજની જેમ તંત્રીખાતું પહેલે માળે. તંત્રીખાતાના દરવાજે આવી પટાવાળાને એ લખાણના કાગળિયા ભળાવી જાય; તે વેળાના તંત્રી મનુભાઈ મહેતાની કૅબિન લગી પહોંચવાનું એ ટાળતા. કેમ હશે ? મને ભારે અચરજ થતું. તેમ છતાં, મનમાં ને મનમાં, રમણીકલાલ સોલંકીને ક્યારેક મળવાનાં પલાખાં માંડતો રહેતો.

એ ત્યારે શક્ય થયું જ નહીં. … સન 1975ના ઉત્તર ભાગે વિલાયત જવાનો જોગ થયો. ગોઠવાઉં એની પળોજણ હતી. પાનખર બેઠી હતી, ને શિયાળાની ઝીંક સહન કરવાની હતી. સનંદી સેવામાં નોકરી સાંપડી હતી અને વળી, જોડાજોડ, પગભર થવાની કસરત થતી. પરિણામવસ, “ગરવી ગુજરાત”ના તંત્રી રમણીકલાલ સોલંકીને મળવાનો જોગ ન જ થયો. પરંતુ મારી કિશોરાવસ્થાના દોસ્ત વિનોદ એમ. પટેલ વાટે “ગુજરાત સમાચાર”નાં તંત્રી કુસુમબહેન શાહને મળવાનો જોગ જરૂર થયો. એ દિવસોમાં એમનું દફતર સાઉથહૉલમાં હતું અને મારો વાસો પડખેના હાન્સલોમાં. કુસુમબહેન કહે, બેત્રણ અઠવાડિયા પહેલાં જો તમે મળ્યા હોત ! … ખેર ! … એ દિવસોમાં કુસુમબહેન શાહ “ગુજરાત સમાચાર”ના કબજા હક અધિકાર વેંચવાની પળોજણમાં હતાં. વાટાઘાટો નિર્ણાયક સ્તરે પહોંચી ગયેલી.

આમ, “ગુજરાત સમાચાર”નો માલિકી હક ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલે મેળવી લીધો. એ પણ વિનોદ પટેલને જાણે. બન્ને વચ્ચે નિજી સંબંધ. વિનોદને કારણે સી.બી.ને નામે જાહેર ઓળખાતા આ ચન્દ્રકાન્તભાઈને મળવાનું થયું. બન્નેના આગ્રહે “ગુજરાત સમાચાર”માં તંત્રી તરીકે જોડાવાનું કબૂલ કર્યું. આ તંત્રીપદ નભ્યું તો માંડ 13 મહિના; પણ તેને પરિણામે રમણીકભાઈને મળવાનું દોહ્યલું થતું ગયું. પરિસ્થિતવસાત્‌ “ગરવી ગુજરાત” અને “ગુજરાત સમાચાર” વચ્ચે ઉગ્ર રસાકસી. જાણે કે એક જાતનો ગરાસ સાંચવવાની મથામણ !

“ગુજરાત સમાચાર”નું પ્રકરણ આટોપાયું; તો બીજી પાસ, વેમ્બલીના એક બડા વ્યાપારી હીરાભાઈ પટેલ “નવજીવન”નો આદર કરે. એમના આગ્રહે જોડાયો. બારેક મહિના આ સાપ્તાહિક ટક્યું હશે; તેમાંથી આરંભે છએક માસ મારે ફાળે હતા. અને પછી, કાયમી નોકરીની તલાશે પૉસ્ટ ઑફિસના કમઠાણમાં જોડાઈ ગયો. આટલું કમ હોય તેમ, 1977/8થી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વરિષ્ઠ અધિકારીપદે નિયુક્ત થયો. અકાદમીના ઉછેરમાં, સંગોપનમાં તેમ જ તેના વિસ્તરણમાં ય ખૂંપી ગયો. બન્ને સાપ્તાહિકોથી અંતર જાળવીને અલિપ્તપણે કારભાર કરવાનો થતો. ઐતિહાસિક કારણોને લીધે “ગુજરાત સમાચાર”માંના સાથીસહોદરો અકાદમીની બેઠકોમાં સામેલ થયા કરતા. કેટલાક વળી કારોબારમાં ય સામેલ થયા.

આ સાડાચાર દાયકાઓની જાણકારી હોવા છતાં, માહિતીવિગતો છતાં, રમણીકલાલ સોલંકી જોડે ઈચ્છિત ઘનિષ્ટતા કેળવી ન જ શકાઈ. પરંતુ છતાં, એક પ્રકારના આદરમાનનું પલ્લું સતત નમતું જ અનુભવાયું છે. ઉભય પક્ષે પરિચિત હતા. ક્યારેક મળવાનું થાય તો વિવેકસભર હળવામળવાનો વ્યવહાર રહેતો. રમણીકભાઈનાં સંતાનોએ પણ આ કેડો જાળવી જાણ્યો છે.

°°°°°

વારુ, આપણા આ રમણીકલાલ સોલંકીનો જન્મ સુરત જિલ્લાના રાંદેરમાં 12 જુલાઈ 1931ના રોજ થયો. એમના પિતાનું નામ છોટાલાલ સોલંકી અને માતાનું નામ ઈચ્છાબહેન. ભાંડુઓમાં એ સૌથી મોટેરા. કિશોરાવસ્થાથી એમને વાંચનનો શોખ અને કહે છે કે શાળાના પુસ્તકાલયમાંનાં મોટાં ભાગનાં પુસ્તકો એમણે વાંચી કાઢેલાં. વળી એમને લેખનમાં ય રસ. અર્થશાસ્ત્રના વિષય સાથે રમણીકલાલે ઉપાધિ મેળવી અને પછી કાયદાનો ય અભ્યાસ કરેલો. નવસારી જિલ્લાના પેથાણનાં વતની મકનજીભાઈ ચાવડાનાં દીકરી પાર્વતીબહેન જોડે રમણીકલાલનું સન 1955માં લગ્ન થયું. અમદાવાદ ખાતે એ વેચાણવેરા વિભાગમાં, દરમિયાન, ઇન્સ્પેકટર તરીકે નોકરીએ લાગેલા. પાલણપુર, ભરૂચ અને વલસાડ ખાતે ય એમની બદલી થયા કરી. આ ગાળામાં દંપતીને ત્યાં સાધના, સ્મિતા અને કલ્પેશ નામે ત્રણ સંતાનો થયાં. આ ત્રિપુટીની પછીતે, છેલ્લે, શૈલેષનો જન્મ થયો.

પાર્વતીબહેનના મોટાભાઈ સુબોધભાઈ ચાવડા લંડન રહેતા હતા. મહિલાઓ માટે તૈયાર કપડાં બનાવવાનો સુબોધભાઈનો વ્યવસાય. જાહેર જીવનમાં આગળ પડતો ભાગ લેનારા સુબોધભાઈ સજ્જન તેમ જ આદરમાન વ્યક્તિ હતા. પાર્વતીબહેનના અતિ આગ્રહને કારણે રમણીકલાલ 1964માં માંડ વિલાયત જવાને તૈયાર થયા. ગુજરાન ચલાવવા નાનીમોટી નોકરી અહીં એ કરતા રહ્યા અને સાળા સુબોધભાઈની નિશ્રામાં ઠરીઠામ થવાનું ગોઠવતા ગયા. પાંચેક વરસે પાર્વતીબહેન અને સંતાનો પણ લંડન પહોંચ્યાં. રમણીકભાઈનાં માતા ઈચ્છાબહેન પણ તેમની સાથે લંડન આવ્યાં.

પાર્વતીબહેન અને સંતાનો આવવાની તૈયારીમાં હતાં તે દરમિયાન, રમણીકભાઈએ સગવડ સાંચવવા એક સાધારણ ઘરની ખરીદ કરી લીધી હતી. રમણીકભાઈની નોકરી પણ ચાલુ હતી. પાર્વતીબહેનને વળી એક લૉન્ડૃીમાં કામ મળી ગયું. આમ ગુજારો થતો ગયો.

રમણીકભાઈનો લેખનનો સળવળાટ ચાલુ હતો. સુરતથી પ્રગટ થતાં “ગુજરાતમિત્ર” માટે નિયમિત ‘લંડનનો પત્ર’ મોકલતા રહેતા. ગુજરાતના પહેલવહેલા મુખ્યપ્રધાન જીવરાજ મહેતા તે દિવસોમાં યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ભારતના ઉચ્ચ આયુક્તપદે હતા. જીવરાજભાઈ મહેતા સાથે મુલાકાત થઈ તો જીવરાજભાઈએ એકાદ ગુજરાતી છાપું શરૂ કરવાનું સૂચન રમણીકભાઈને કર્યું, તેમ કહેવાય છે. ‘ઇન્ડિયા હાઉસ’માં અવારનવાર રમણીકભાઈ જતા. ત્યાંના જાહેર કાર્યક્રમોમાં ય હાજરી આપતા. જીવરાજભાઈ સાથેનો પરિચય પણ વધતો ગયો તેમ તેમનું સૂચન પણ દૃઢ થતું ગયું.

એક અહેવાલ મુજબ રમણીકભાઈ જીવરાજભાઈને સવાલતા હતા : ‘આ છાપું ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ?’ આ સૂત્રો અનુસાર, જીવરાજભાઈએ જવાબ આપ્યો : ‘ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલાં છાપું ચાલુ કરો.’ કહે છે કે જીવરાજભાઈએ કેટલાક ઉદ્યોગપતિઓ જોડે આ અંગે સહાયક થવાની વાત પણ કરી હોય. અને આમ, રમણીકલાલ સોલંકીએ 01 એપ્રિલ 1968ના આ સૂચિત છાપાનો ઉત્તર વેમ્બલીના પીલ રોડ પરના આવાસેથી આદર કર્યો. નામાભિકરણ પણ થયું : “ગરવી ગુજરાત”. રમણીકભાઈ તેમ જ “ગરવી ગુજરાત” વતી, વડીલ સહાયક, સલાહકાર તરીકે જાણીતા ઉદ્યોગપતિ મૂળજીભાઈ નાગડાએ પહેલા અંકની નકલ તત્કાલીન ઉચ્ચ આયુક્ત એસ.એસ. ધવનને અર્પણ કરેલી. આજ પર્યન્ત પ્રગટ થતાં “ગરવી ગુજરાત”ને હવે 52 વર્ષ થયાં. આ ખુદ એક મોટી સિદ્ધિ છે.

આરંભના એ દિવસોમાં રમણીકલાલભાઈએ નોકરી પણ ચાલુ રાખી અને બાકીના સમયમાં આ આદરેલા સાહસને સંગોપવામાં સમયશક્તિ આપવાનું રાખ્યું. સપ્તાહઅંત દરમિયાન સામયિકના પ્રચાર પ્રસાર સારુ બ્રિટન ભરમાં ઘુમવાનું જરૂરી હતું. અને એમણે શક્ય દોડધામ કરીને લવાજમ ઉઘરાવવાનું રાખ્યું. આરંભે પખવાડિયે નીકળતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર દોઢ પાઉન્ડ હતું. અથાગ પરિશ્રમને કારણે શરૂઆતમાં “ગરવી ગુજરાત” માટે 150 જેટલાં લવાજમો ઉઘરાવી શકાયા હતા. બે વરસની અવધિ બાદ, આ પખવાડિકને અઠવાડિક કરવામાં આવ્યું. લંડનમાં એમને માટે હરવાફરવાનું સરળ હતું, પરંતુ દેશ ભરમાં થોડુંક મુશ્કેલ હતું. કેમ કે એ ગાડી ચલાવતા નહીં. જાહેર પરિવહનનાં વિધવિધ સાધનોનો ઉપયોગ કરતા. પાછળથી પાર્વતીબહેન ગાડી હંકારતાં શીખ્યાં અને એ રમણીકભાઈના સારથિ જ બન્યાં, એમના સાથીસહોદર પણ થયાં. ચાર સંતાનોના ઉછેરમાં પરોવાતાં રહેવા ઉપરાંત લૉન્ડૃીમાંની નોકરી કરવાની તેમ જ રમણીકભાઈને “ગરવી ગુજરાત” માટે અસીમ સહાય કરવી, એ પાર્વતીબહેનનો રોજિંદો વ્યવહાર બની ચુક્યો.

આ સામયિકના પ્રસાર માટે રમણીકલાલ સોલંકી 1970માં નોકરી છોડે છે અને પૂરો સમય તેના વિકાસમાં મચી પડે છે. આ સાપ્તાહિકમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક બાબતો તેમ જ અનેકવિધ કાર્યક્રમોને આવરી લેવાયા હોઈ, તેની લોકપ્રિયતા વધતી ગઈ. તો બીજી બાજુ, કોઈ પણ આપ્રવાસી અહીંતહીં સર્વત્ર સ્વાભવિકપણે કરતો આવ્યો છે, તેમ રમણીકભાઈએ પણ પરિવારને એક પછી એક પડખે તેડાવી લીધા કે જેથી વિસ્તૃત બનતી જવાબદારીઓ સરળતાએ, વિશ્વાસે નિભાવી શકાય. મોટાં દીકરી, સાધનાબહેન આરંભે જાહેરાત વિભાગનું સંચાલન કરતાં રહેતાં. હવે એ જવાબદારીઓ નાના ભાઈ જયંતીલાલ સોલંકી નિભાવે છે. વળી, બન્ને દીકરાઓ, કલ્પેશભાઈ તેમ જ સૈલેષભાઈ તંત્રી ખાતામાં જવાબદારીઓ સાંચવે છે.

મહારાણી ઇલિઝાબૅથ બીજાંએ 1999માં રમણીકલાલ સોલંકીને ‘ઑર્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ એનાયત કરેલું અને તે પછી 2007માં ‘કમાન્ડર ઑવ્‌ ધ બ્રિટિશ એમ્પાયર’ની નવાજેશ કરી હતી.

આજે “ગરવી ગુજરાત” યુનાઇટેડ કિંગ્ડમનું એક અગ્રણી પ્રકાશનગૃહ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર “ઇસ્ટર્ન આઇ” તો માત્ર એશિયનો જ નહિ, પણ યુનાઇટેડ કિંગ્ડમના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. “એશિયન રિચ લિસ્ટ” એશિયાઈ વ્યાપારી જગતની પારાશીશી સમાન બન્યું છે. “એશિયન ટ્રેડર”, “ફાર્મસી બિઝનેસ” અને “એશિયન હોસ્પિટાલિટી” જેવાં પ્રકાશનો જે તે ક્ષેત્રના વ્યાપારીઓ વચ્ચે સેતુરૂપ બન્યાં છે. “ઇસ્ટર્ન આઈ”ને એમણે “જ્યુઈસ ક્રોનિકલ”ની જેમ રાષ્ટૃીય અખબાર બની રહે તેની ચીવટ રાખી છે. તેને વંશવાદી છાપાનો પાનો ન ચડે તેની તેમણે કાળજી લીધી છે. આ પગલું તેથીસ્તો ભારે સરાહનીય બની રહ્યું છે.

ભારતની અવારનાવ મુલાકાત લેતા, રમણીકલાલ સોલંકીનું અમદાવાદ ખાતે ટૂંકી માંદગી બાદ 01 માર્ચ 2020ના અવસાન થયું.

°°°°°

આરંભના વરસો દરમિયાન, લાગે છે, સમાજના વિવિધ સ્તરે રહી, પહોંચી સાપ્તાહિકને મજબૂત કરવાનું રાખ્યું છે. અનેક વ્યક્તિઓ તથા સમાજના આગેવાનોનો શક્ય સાથ લીધા કરેલો. એક દા પ્રાણલાલ શેઠનું નામ પણ પહેલે પાને તંત્રી તરીકે પ્રકાશિત થયાનું સાંભરે છે. વળી, ગુજરાતી સમાજને એક સાંકળે બાંધી શકાય તે માટે ય રમણીકલાલ સોલંકીએ તનતોડ પ્રયાસ કરેલા છે. પાંચેક દાયકાઓ પહેલાં ‘ફેડરેશન ઑવ્‌ ગુજરાતી ઓર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં માત્ર પૂરેવચ્ચ નહોતા રહ્યા, તેની સક્રિયતા માટે ય યોગદાન એમણે આપેલું છે. મારી જન્મભૂમિમાં જેમનો અમને નિજી પરિચય હતો તેવા અરુશાના નામી શહેરી કાશીગર ગોસ્વામીના વડપણ સાથે ફેડરેશનની પ્રવૃત્તિઓમાં રમણીકભાઈ અને “ગરવી ગુજરાત” અગ્રેસર રહ્યાં હતાં. છેલ્લા દસકાઓમાં, જો કે, રમણીકલાલ સોલંકી વિશેષપણે ગુજરાતી સમાજના વિવિધ સ્તરેથી અલિપ્ત બનતા ગયા હતા, તેથી હેરત અનુભવતો હતો.

જીવરાજ મહેતા – હંસાબહેન મહેતાનો રમણીકભાઈએ જેમ સંપર્ક મજબૂત કરેલો, તેમ એ પછીના દરેક ભારતીય ઉચ્ચ આયુક્ત જોડે સંબંધ કેળવેલો. વળી, એમને ત્યાં આ સાપ્તાહિકને પ્રતાપે “કુમાર”ના બચુભાઈ રાવત, ‘પરિચય ટૃસ્ટ’ના એક ટૃસ્ટી તેમ જ “કોમર્સ”ના તંત્રી વાડીલાલ ડગલી, આપણા વરિષ્ઠ સાહિત્યકાર ઉમાશંકર જોશી તથા નિરંજન ભગત પણ મહેમાન તરીકે પધાર્યા હતા. તે રીતે કેટલા ય સાધુસંતોની તથા પારાયણીઓની પણ આવનજાવન થતી રહેતી. આમાંના ઘણા આગંતુકોનો જો કે સમાજને સ્તરે પરિચય કેળવવો શક્ય થતો નહોતો. આના કેટલા ય અનુભવો અકાદમીને સારુ મને થયા છે. ઉમાશંકર જોશી સિવાય એમાંના મોટા ભાગના લોકો અકાદમીને કે મને હળેમળે નહીં તેવી ગોઠવણ પણ સહજ થયા કરતી, તેમ સમજાયું છે.

(ડાબેથી) શૈલેષ સોલંકી, સાધના કારીઆ, પાર્વતીબહેન સોલંકી, રમણીકલાલભાઈ સોલંકી, જયંતીલાલ સોલંકી તેમ જ કલ્પેશ સોલંકી

આ દેશના જાણીતા પત્રકાર અમિત રોયે અંજલિ આપતા જે લેખ કર્યો છે, તેમાંથી આટોપતાં આટોપતાં આ અવતરણ લેવાનું રાખું છું :

‘એક દિવસ હું તેમની સાથે બેઠો હતો ત્યારે મેં તેમને રોકયા બીબીની વાર્તા અક્ષરસ: સંભળાવવા કહ્યું. 1971ના ઉનાળામાં થેમ્સ નદીમાંથી મળી આવેલા 22 વર્ષની સુંદર મુસ્લિમ મહિલાના મૃતદેહ અને તેની હત્યાના ઉકેલાયેલા તાણાવાણાની તાદૃશ્ય વાત તેમણે એટલી બારીકાઈ અને સ્પષ્ટતાથી કરી હતી. … પોતાના ઉપરના કેટલાક જોખમ છતાં તેમણે ‘સ્કૉટલૅન્ડ યાર્ડ’ને આ કેસ ઉકેલવામાં જે મદદ કરી હતી તે બદલ 2003માં મેટૃોપોલિટન પોલિસના તત્કાલીન નાયબ કમિશનર સર ઇઅન બ્લેરે તેમને જાહેરમાં બિરદાવ્યા હતા.

‘તેમણે કરેલી રોકયા બીબીની વાત મને ફિલ્મની સ્ક્રીપ્ટ જેવી લાગતા મેં રમૂજ પણ કરી હતી કે જો આના ઉપરથી ફિલ્મ બનાવાય તો તમારું પાત્ર કોણ ભજવશે ? આ ક્ષણે રમણીકભાઈ હસી પડ્યા હતા.

‘રોકયા બીબીની હત્યાના 50 વર્ષ પછી પણ મને લાગે છે કે આ હત્યા-કેસ બી.બી.સી. ડૃામાના છ ભાગમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. 1964માં 33 વર્ષની વયે ગુજરાતથી યુનાઇટેડ કિંગ્ડમ આવેલા રમણીકભાઈ તેમની કારકિર્દીના પ્રારંભમાં જ આ વાતમાં એક સ્ટોરી નિહાળવાની દાખવેલી રિપોર્ટરની સૂઝ અને તેના તાણાવાણાને ભેગા કરવાની તથા વ્યક્ત કરવાની જે કુનેહ દર્શાવી હતી, તે અદ્દભુત હતી.’

રમણીકલાલ સોલંકી તેમ જ “ગરવી ગુજરાત”ને ઇતિહાસ, વારુ, કઈ રીતે મૂલવશે ? આજના સંદર્ભે, પશ્ચિમના વાતાવરણમાં, ગુજરાતીની ખિદમત કરતાં કરતાં એમણે આજ પર્યન્ત 52 વર્ષ આપ્યા, તે જ સૌથી મોટી મિરાત લેખાય. રમણીકભાઈએ સાપ્તાહિક ચલાવતા ચલાવતા તેની મજબૂતાઈ કરીને વિસ્તાર કર્યો છે; અને હવે તો તે પ્રકાશનગૃહ બની ય ગયું છે. બૃહદ્દ ગુજરાતી ડાયસ્પોરાના પત્રકારત્વમાં આ સાપ્તાહિક તેમ જ રમણીકલાલ સોલંકીનું પહેલી હરોળે નામ અંકિત રહેશે. આ દેશે જે નામી ગુજરાતી પત્રકારો આપ્યાં છે : પ્રાણલાલ શેઠ, કુસુમબહેન શાહ, શિવકુમાર અય્યર, જયંતીલાલ ઠાકર ‘જયમંગલ’, કિશોર કામદાર, વગેરે વગેરે તેમાં રમણીકલાલ સોલંકીનું નામ તેમ જ કામ નિ:શંક સતત સોહતું રહેશે.

પાનબીડું :

બીજી તરફ છે બધી વાતોમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

                                                         − ‘મરીઝ’

હૅરો, 20-24 માર્ચ 2020

[1,719 શબ્દો]

e.mail : vipoolkalyani.opinion@btinternet.com       

Loading

...102030...2,6132,6142,6152,616...2,6202,6302,640...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved