Opinion Magazine
Number of visits: 9663185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્નૉ વ્હાઈટ, સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા – કોણે લખી હતી આ વાર્તાઓ ?  

સોનલ પરીખ|Opinion - Opinion|3 January 2026

બહુ ઓછા જાણે છે કે વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક–સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લિપિંગ બ્યૂટી જેવી વિશ્વભરના બાળકોની માનીતી વાર્તાઓ 1812માં પ્રગટ થયેલા આ સંગ્રહમાં હતી …

હું નાની હતી ત્યારે કોઈએ ત્યારે ‘વ્યૂ માસ્ટર’ આવતું એ આપેલું. સાદા કેમેરા જેવડું સાધન, વાર્તાઓની સ્લાઇડ નાખો ને ફેરવો એટલે દસબાર ચિત્રોમાં એક આખી વાર્તા દેખાય. એમાં સ્નૉ વ્હાઈટની વાર્તા હતી. એનાં ચિત્રો હજી હું ભૂલી નથી. માનવીની મૂળભૂત વૃત્તિઓ – પ્રેમ, ઈર્ષા, વેર, દોસ્તી – ની એવી મઝાની રજૂઆત કે બાળમન ઝાઝું હેરાન થયા વિના એ વૃત્તિઓને ઓળખતું થાય અને શું અપનાવવું, શું નહીં એ એના મનમાં બેસતું આવે. યુનિવર્સલ અપીલવાળી આવી અનેક વાર્તાઓ આપણા પંચતંત્રમાં અને બીજે પણ છે અને પેઢીઓથી વિશ્વસમસ્તના બાળકોને આકર્ષે છે. 

અમેરિકાએ ‘સ્નૉ વ્હાઈટ’ને સાંસ્કૃતિક રીતે, ઐતિહાસિક રીતે અને સૌંદર્યશાસ્ત્રની રીતે મહત્ત્વની ગણી છે. જે પચીસ ફિલ્મો નેશનલ ફિલ્મ રજિસ્ટ્રીમાં સાચવી રાખવામાં આવી છે, તેમાંની એક વૉલ્ટ ડિઝનીની ‘સ્નૉ વ્હાઈટ છે એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ છે. તેને ‘ધ ગ્રેટેસ્ટ અમેરિકન એનિમેટેડ ફિલ્મ ઑફ ઑલ ટાઈમ’ ગણવામાં આવે છે. આ નામની ઘણી ફિલ્મો આવી છે, થીમ પાર્ક બન્યો છે, વીડિયો ગેમ બની છે અને બ્રોડવે મ્યુઝિકલ પણ બન્યો છે. વૉલ્ટ ડિઝનીનો 5 ડિસેમ્બરે જન્મદિન છે, એ નિમિત્તે જઈએ એમણે ઊભી કરેલી એક અદ્દભુત સૃષ્ટિમાં. 

વૉલ્ટ ડિઝની

વૉલ્ટ ડિઝનીનો જન્મ 1901માં શિકાગોમાં થયો. બાળપણથી પ્રાણીઓનાં ચિત્રો દોરવા ગમતાં. પહેલી નોકરી પણ ચિત્રકાર તરીકે જ મળી. 1928માં તેમણે મિકી માઉસનું પાત્ર સર્જ્યું અને સિન્ક્રોનાઈઝ્ડ સાઉન્ડ સાથે પહેલું કાર્ટૂન ‘સ્ટીમબોટ વિલિ’ બનાવ્યું. 1937માં તેણે પોતાની પહેલી પૂર્ણ લંબાઈની એનિમેટેડ ફિલ્મ બનાવી, ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ અને પછી સ્લિપિંગ બ્યૂટી, સિન્ડરેલા, પિનોકિઓ, ફેન્ટાશિયા, ડમ્બો, બામ્બી, વન્ડરલેન્ડની એલિસ જેવાં અનેક લોકપ્રિય પાત્રો-વાર્તાઓ-એનિમેશન ફિલ્મોનું સર્જન કર્યું. 1955માં કૅલિફૉર્નિયામાં ડિઝનીલૅન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ખોલ્યો. 1966માં ફેફસાંના કૅન્સરથી 65 વર્ષની વયે એમનું મૃત્યુ થયું. ફ્લૉરિડાનું ડિઝની વર્લ્ડ એ પછી પાંચ વર્ષે ખૂલ્યું. વૉલ્ટ ડિઝનીની કંપની વિશ્વના એન્ટરટેન્મેન્ટ સામ્રાજ્યમાં સ્થપાઈ ત્યારથી ટોચ પર છે. વૉલ્ટ ડિઝનીને 59 નૉમિનેશનમાંથી 29 ઑસ્કાર મળ્યા છે, જે એક વિક્રમ છે. 

બહુ ઓછા જાણે છે કે સ્નૉ વ્હાઈટની વાર્તા એમને જર્મન લોકકથાઓના એક પુસ્તકમાંથી મળી હતી, જેના લેખક-સંપાદક હતા બે જર્મન શિક્ષકો જેકબ અને વિલ્હેમ ગ્રીમ. તેઓ બ્રધર્સ ગ્રીમ (1786-1859) તરીકે જાણીતા છે. બન્ને જર્મન અધ્યાપક, ભાષાશાસ્ત્રી, સંસ્કૃતિ-સંશોધક, કોશરચનાકાર અને લેખક હતા અને બન્નેએ મળીને 19મી સદીના લોકગીતોનું સંશોધન-સંપાદન કર્યું હતું. તેઓ ઉત્તમ લોકકથાકથક હતા. જે પુસ્તકમાંથી વૉલ્ટ ડિઝનીને સ્નૉ વ્હાઈટની વાર્તા મળી તે 1812માં પ્રગટ થયું હતું અને તેમાં સિન્ડરેલા, ધ ફ્રોગ પ્રિન્સ, ધ ગુઝ ગર્લ, હેન્સલ એન્ડ ગ્રેટલ, રાપુન્ઝેલ, સ્લીપિંગ બ્યૂટી જેવી વિશ્વભરના બાળકોની માનીતી વાર્તાઓ પણ હતી.  

એમનાં ઉત્પાદક વર્ષો હાનુઆ નામના જર્મન ગામમાં વીત્યાં. 19મી સદીમાં આવેલા રોમેન્ટિસિઝમના જુવાળના કારણે સાહિત્યરસિકોનો લોકકથા તરફનો રસ ફરી જાગૃત થયો હતો અને ગ્રીમ ભાઈઓ તેને રાષ્ટ્રપરંપરા અને સંસ્કૃતિવારસા તરીકે પ્રસ્તુત કરતા. એમણે જે રીતે લોકકથાઓનો વિદ્વદભોગ્ય સંગ્રહ તૈયાર કર્યો હતો તે લોકસાહિત્યના અભ્યાસનો પાયો ગણાય છે. તેઓ બહુ ખાતરીપૂર્વક માનતા કે રાષ્ટ્રની એકતા અને સ્વતંત્રતા માટે લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતા સાંસ્કૃતિક વારસાને બરાબર ઓળખવો જોઈએ. 1812થી 1857 સુધીમાં તેમનો લોકકથાસંગ્રહ અનેક વાર છપાતો ને સંવર્ધિત થતો રહ્યો. લોકકથાઓના સર્જન-સંપાદન સાથે આ ભાઈઓએ જર્મન અને સ્કૅન્ડેનેવિયન પુરાણકથાઓના સંગ્રહો કર્યા અને 1838માં જર્મન શબ્દકોશ રચવાનું શરૂ કર્યું, પણ એ કામ એમની જિંદગીમાં પૂરું થઈ શક્યું નહીં. 

એમની લોકવાર્તાઓ દુનિયાની 100 ભાષામાં પ્રકાશિત થઈ છે. અનેક પર વારંવાર ફિલ્મો બની છે. વૉલ્ટ ડિઝનીએ જ્યારે પહેલી વાર પૂર્ણ લંબાઈની ફિચર એનિમેટેડ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બ્રધર્સ ગ્રીમની લખેલી સ્નૉ વ્હાઇટ અને સાત ઠિંગુજીની વાર્તા પર જ પસંદગી ઉતારી. 83 મિનિટની આ ફિલ્મનું સ્વરૂપ મ્યુઝિકલ ફેન્ટસી પ્રકારનું હતું. તેને દોરવા અને ફિલ્માંકન કરવા પાછળ નિષ્ણાતોની એક આખી ટીમનાં કલાસૂઝ અને પરિશ્રમ હતા. 

પ્રોડ્યુસર મેળવવા ડિઝનીને સારો એવો સંઘર્ષ કરવો પડ્યો, પણ અંતે ‘સ્નૉ વ્હાઈટ એન્ડ ધ સેવન ડ્વાર્ફસ’ની 1937ના ડિસેમ્બર મહિનામાં કૅલિફૉર્નિયાના થિયેટરમાં રજૂ થઈ. વિવેચકોએ વખાણી, પ્રેક્ષકોએ પ્રશંસી અને બૉક્સ ઑફિસમાં પણ ટંકશાળ પડી. પ્રથમ રજૂઆતમાં જ તેણે બજેટ કરતાં આઠગણી કમાણી કરી. જોતજોતામાં એ કમાણી 500 ગણી થઈ હતી.

1938ના ઑસ્કારમાં સ્નૉ વ્હાઈટને સંગીત માટે નૉમિનેટ કરવામાં આવી. બીજા વર્ષે વૉલ્ડ ડિઝનીને એને માટે ઑનરરી ઑસ્કાર મળ્યો. આ અનોખા પ્રકારનો ઑસ્કાર હતો, એક નોર્મલ સાઈઝની અને સાત મિનિએચર ઑસ્કાર-પ્રતિમાઓ એમાં સામેલ હતી. ડિઝની માટે સાત ઠિંગુજીઓનું ખૂબ મહત્ત્વ હતું. ઠિંગુજીઓના પાત્રોમાં એમને નિર્દોષતા, ઈમોશન અને કૉમિકની પુષ્કળ શક્યતાઓ દેખાઈ હતી. મૂળ વાર્તામાં એમનાં નામ ન હતાં અને એમનું હોવું સ્નૉ વ્હાઈટની મૂળ કહાણીના સંદર્ભે જ હતું. વૉલ્ટ ડિઝનીએ તેમને નામ આપ્યાં – મુખ્ય ઠિંગુજીનું નામ ડૉક, અને તેના સાથીઓ ગ્રમ્પી, હેપી, સ્લીપી, બાશફૂલ, સ્નીઝી અને ડોપી. આ ત્રણેના દેખાવ અલગ, ઉંમર અલગ અને વ્યક્તિત્વ પણ અલગ. બધાં રત્નોની ખાણમાં કામ કરતા, ક્યારેક ઝઘડતા પણ સંપીને રહેતા, આંગણે આવી ચડેલી સુંદર સ્નૉ વ્હાઈટને નિર્મળ ભાવે ચાહતા અને એને મારી નાખવા આવેલી ઈર્ષાળુ જાદુગરણી રાણીનો પીછો કરતાં બતાવાયાં છે.  

યાદ છે ને સ્નૉ વ્હાઈટની વાર્તા – અનાથ સુંદર રાજકુંવરી સ્નૉ વ્હાઈટ, એની ઈર્ષાળુ જાદુગરણી સાવકી મા, સાવકી માની સૌથી સુંદર રહેવાની ઘેલછા, જાદુઈ અરીસો ? સ્નૉ વ્હાઈટનું ગીત સાંભળી એક રાજકુમાર તેના પ્રેમમાં પડે છે ત્યારે ઈર્ષાળુ રાણી સ્નૉ વ્હાઈટને મારી નાખવાનું કાવતરું ગોઠવે છે. મારાઓ સ્નૉ વ્હાઈટની હત્યા કરવાને બદલે જંગલમાં છોડી દે છે, સ્નૉ વ્હાઈટ પ્રાણીઓ સાથે દોસ્તી કરતી સાત ઠિંગુજીઓને ઘેર જઈ ચડે છે અને બધા મિત્રો બની આનંદ કરે છે. સ્નૉ વ્હાઈટ જીવતી છે એવી ખબર પડતાં રાણી ઝેરી સફરજન બનાવે છે જે ખાઈને સ્નૉ વ્હાઈટ મરી જશે, માત્ર પહેલું પ્રણય-ચુંબન તેને જીવતી કરી શકશે. વેશ બદલી એ સ્નૉ વ્હાઇટ પાસે પહોંચે છે. પ્રાણીઓ એના પર હુમલો કરે છે, પણ સ્નૉ વ્હાઈટ તેને બચાવે છે. પ્રાણીઓ ઠિંગુજીઓને કહેવા દોડી જાય છે. ઠિંગુજીઓ ભાગતી રાણીનો પીછો કરે છે. રાણી વરસતા વરસાદમાં પર્વત પર ચડતી મોટા પથ્થર ગબડાવતી જાય છે. વીજળી ત્રાટકે છે ને રાણી મૃત્યુ પામે છે. 

ઠિંગુજીઓ સફરજન ખાઈને મૃત્યુ પામેલી સ્નો વ્હાઈટને કાચની સુંદર પેટીમાં સુવાડે છે. એક દિવસ રાજકુમાર આવે છે, સ્નો વ્હાઈટને ચૂમી લે છે અને એ આળસ મરડીને બેઠી થાય છે … આહા, કેવી સુંદર સ્નૉ વ્હાઈટ, કેવી સુંદર એની વાર્તા અને કેવો સુંદર અંત ! મઝાની વાત એ છે કે વેર, ખલનાયિકા, કાવતરા, મૃત્યુ આ બધું વાર્તામાં આવવા છતાં વાતાવરણ આનંદનું, સંગીતનું, દોસ્તીનું અને પ્રેમનું જ રહે છે. સ્નૉ વ્હાઈટ અહીં કિશોર બાલિકા છે. દુ:ખો વચ્ચે પણ સૌંદર્ય, તાજગી, સ્ફૂર્તિ, પ્રસન્નતા, સારપ અને સ્નેહથી તરવરતી. બાળકોને અપીલ કરવાની વૉલ્ટ ડિઝની શક્તિ અપરંપાર હતી. 

સ્નૉ વ્હાઈટની 83 મિનિટમાંથી 70 મિનિટ ગીતસંગીતમય હતી. એકમાં સ્નૉ વ્હાઈટ પંખીઓને કહે છે, ‘મેં કૂવામાં ઇચ્છા નાખી છે. પડઘો પડ્યો છે એટલે સાચી પડશે.’ ને ગાય છે, ‘આઈ એમ વિશિંગ ફોર ધ વન આઈ લવ ટુ ફાઈન્ડ મી ટુડે …’ છેલ્લું ગીત કહે છે, ‘યુ આર નેવર ટૂ ઑલ્ડ ટુ બી યંગ એન્ડ ગે …’ સાચું જ છે – પ્રેમ, આનંદ અને ઉત્સાહની કોઈ ઉંમર નથી હોતી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 ડિસેમ્બર  2025

Loading

ઇન્દોરની ઘટના અને ઉમા ભારતીનું પાપ! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 January 2026

હેમન્તકુમાર શાહ

ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી ૧૫નાં મોત થયાં અને બીજા ઘણા બીમાર પડ્યા. આ ઘટનાના સંદર્ભમાં મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભગવાધારી ઉમા ભારતીએ એક નિવેદન કર્યું છે. તેમના નિવેદનમાં જે વાક્યો છે તે આજના ‘ગુજરાત સમાચાર’ અખબાર અનુસાર આ મુજબ છે :

“(૧) નિર્દોષોનો ભોગ લેનારાઓએ પ્રાયશ્ચિત્ત કરવું પડશે.

“(૨) પીડિતોની માફી માગવી પડશે.

“(૩) જે દોષિત છે તેમને સજા કરવી પડશે.

“(૪) આ પાપનું ઘોર પ્રાયશ્ચિત્ત કરવું પડશે.”

ઉમા ભારતીની ભાષા અહીં બહુ મહત્ત્વની છે. ત્રીજો મુદ્દો શાસન વ્યવસ્થાનો કહેવાય અને બાકીના ત્રણ મુદ્દા ફાલતુ ધાર્મિક અને પ્રાચીન અને સડેલા કહેવાય. આ મુદ્દા સમજીએ :

(૧) જે દોષિત હોય તેને સજા કરે કોણ? સરકાર. પણ જો અધિકારીઓ કે કર્મચારીઓની બદલી કે સસ્પેન્શન એને જ સજા માની લેવામાં આવે તો તે ગંભીર ભૂલ છે. એટલી સજાથી કોઈને કોઈ સજા ખરેખર થતી જ નથી. મોટે ભાગે કોઈ સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ તેમનો અમુક ટકા પગાર તો ચાલુ જ રહે છે. નોકરીમાંથી બરતરફી પણ ઓછી સજા કહેવાય કારણ કે તેનાથી ગુનેગારને આર્થિક ફટકો પડે, એ સિવાય કશું નહીં. સવાલ કડક અને દાખલો બેસાડે તેવી સજાનો છે પણ એવું કશું આવા કિસ્સાઓમાં ભાગ્યે જ થાય છે. આ એક વરવી હકીકત છે અને એનો સુશાસનના સંદર્ભમાં ઉકેલ લાવવાની તાતી જરૂર છે. 

(૨) “પાપ” શબ્દ ધાર્મિક છે. ભગવાધારી ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને એટલી ખબર હોવી જોઈએ કે દેશના કોઈ પણ ફોજદારી કાયદામાં ‘પાપ’ શબ્દ વાપરવામાં આવતો જ નથી. શબ્દ ‘ગુનો’ છે કે જેને માટે રાજ્ય સજા કરે છે. જો તમે ‘પાપ’ શબ્દ વાપરો તો સજા સરકારે કરવાની ન થાય, એ તો ભગવાન કરે. અને ભગવાન દેખાતો હોય તો સજા કરે ને! અને ભગવાનની એવી કોઈ સજાની લોકોને તો ખબર પડતી જ નથી. ‘પાપ’ શબ્દ સરકારનો શબ્દ નથી, એને બદલે ગેરવહીવટ કે કુશાસન યોગ્ય શબ્દ ગણાય.

(૩) ઉમા ભારતીએ બીજો એક શબ્દ વાપર્યો છે અને તે છે “પ્રાયશ્ચિત્ત”. એ કોણે કરવાનું? કેટલું કરવાનું? એનો કોઈ માપદંડ છે જ નહીં. અને કોઈ ગુનેગાર જાતે જાતે જે પ્રાયશ્ચિત્ત કરે તો તેનાથી વાત પતી જાય એમ? એનો અર્થ એવો પણ થાય કે ગુનેગારો જાતે પ્રાયશ્ચિત્ત કરી લે એટલે રાજ્ય સજા પણ ન કરે. અરે, તો રાજ્ય છે શું કરવા, કાયદા છે શું કરવા? 

(૪) ઉમા ભારતીએ અસરગ્રસ્તોની “માફી માગવી જોઈએ” એમ પણ કહ્યું છે. કોણ માફી માગે, કેવી રીતે માફી માગે, ક્યારે માગે? અને અસરગ્રસ્તો માફ ન કરે તો શું? માફી માગવાથી ગુનેગારો છૂટી જાય એમ ચાલે? માફી એ પૂરતી સજા ગણાય? 

ભગવાન કોઈ દોષિતને કશી સજા કરતો નથી એમ માણસને સમજાયું એટલે તો એણે રાજ્યની રચના કરી, કાયદા ઘડ્યા અને કાયદામાં દોષિતોને સજા થાય તેની વ્યવસ્થા કરી. 

પાપ, માફી, પ્રાયશ્ચિત્ત વગેરે ધાર્મિક શબ્દોને સરકાર સાથે કશી લેવાદેવા નથી, અને છતાં ઉમા ભારતી આવા શબ્દો વાપરીને લોકોને ઉઘાડેછોગ છેતરે છે. રાજવ્યવસ્થાના સંદર્ભમાં આવા બધા શબ્દો ગેરબંધારણીય છે. 

આપણા બંધારણમાં પણ ‘પાપ’ શબ્દ ક્યાં ય વાપરવામાં આવ્યો નથી. એટલે આવી ધર્માંધતામાં ફસાવું જોઈએ નહીં. આવું બધું કહીને ઉમા ભારતીએ જ મોટું પાપ કર્યું છે, અને એની સજા ભગવાન તો એમને આપવાનો જ નથી!

તા.૦૩-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રેમ પર પ્રતિબંધ મૂકતું જ્ઞાતિઓનું બંધારણ સામાજિક તાનાશાહી છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 January 2026

હેમન્તકુમાર શાહ

આજના અખબારમાં એક સમાચાર એવા છે કે પાટણમાં ઠાકોર સમાજનું મહાસમ્મેલન મળ્યું હતું અને તેમાં “સામાજિક પરિવર્તનનો નવો સૂર્યોદય” થયો છે એમ કહેવામાં આવ્યું છે. સમાચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે “સંતાનોની સુરક્ષા અને સમાજની આબરૂ સચવાઈ રહે માટે મૈત્રી કરાર કે સંતાનો દ્વારા ભાગીને કરેલાં લગ્નને સમાજ સ્વીકારશે નહિ.” આ મહાસંમેલનમાં જે બીજા ઠરાવો કરવામાં આવ્યા હતા તેમની સાથે સાથે આ ઠરાવો પણ કરવામાં આવ્યા છે. શિક્ષણ અને દેખાદેખીથી થતા ખર્ચને કાબૂમાં લેવા માટે જે ઠરાવો કરવામાં આવ્યા છે તે આવકારદાયક છે પણ મૈત્રી કરાર અને ભાગીને થતા લગ્નના સંબંધમાં જે ઠરાવો કરવામાં આવ્યા છે તે કેવી રીતે સ્વીકાર્ય છે એ સમજાતું નથી. 

સમાજની આબરૂ એટલે શું વળી? આબરૂને નામે દાદાગીરી અને ગુલામી ચાલી રહી છે. 

દરેક જ્ઞાતિનું મંડળ હોય છે જ અને તે જાતજાતના નિયમો બનાવે છે અને જો તેની સંસ્થા સરકારી કાયદા અનુસાર નોંધાયેલી હોય તો તેનું બંધારણ પણ હોય છે. પણ અખબારી સમાચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે “નવા બંધારણ અંગે આગેવાનોની બેઠક મળી.” નાતને વળી બંધારણ કેવું? 

હવે સવાલ એ છે કે મૈત્રી કરાર કરવો કે નહિ એ તો જે તે બે વ્યક્તિઓ નક્કી કરે છે, એમાં પરિવાર કે સમાજ ક્યાં ય વચ્ચે આવતા જ નથી, આવવા જોઈએ પણ નહીં. કઈ વ્યક્તિએ કઈ વ્યક્તિ સાથે મૈત્રી કરવી અને કોની સાથે કેટલો સમય રહેવું તે નક્કી કરવાનો વ્યક્તિને અધિકાર છે. આ અધિકાર આડકતરી રીતે બંધારણે આપેલો જ છે. એ બંધારણની કલમ-૨૧ સાથે સંબંધિત છે કે જેમાં જીવન જીવવાના અધિકારનો સમાવેશ થયેલો છે. એ કલમનું શીર્ષક છે : “જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું રક્ષણ”. વ્યક્તિએ કોની સાથે જીવવું અને કેટલો સમય એની સાથે જીવવું એ વ્યક્તિએ નક્કી કરવાનું હોય અને એને એની આઝાદી હોય જ. તો જ વ્યક્તિના સ્વાતંત્ર્યનું રક્ષણ થાય. આવું કોઈ પણ જ્ઞાતિગત બંધારણ કે જે મૈત્રી કરાર ન સ્વીકારે તે ખરેખર તો દેશના બંધારણની વિરુદ્ધ જાય છે. 

બીજો મુદ્દો ભાગીને લગ્ન કરવા અંગેનો છે. સવાલ એ છે કે છોકરો અને છોકરી ભાગીને લગ્ન કરે છે કેમ? એનું કારણ એ છે કે તેમને ડર હોય છે કે તેમનાં માતાપિતા તેમનાં લગ્ન માટે સંમત નથી અથવા તો સંમત થશે નહિ એવી બીક છે. હવે ઠાકોર સમાજ એમ નક્કી કરે કે એ યુગલનાં લગ્નને સમાજ સ્વીકારશે નહિ તો તે સમાજની સમસ્યા છે, ભાગીને લગ્ન કરનારની નહિ. પરંતુ સમાજમાં આવા ઠરાવો કરીને એક પ્રકારનો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે. 

‘સંયુક્ત રાષ્ટ્રો’(UN)ની ૧૯૪૮ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની કલમ-૧૫માં બે બાબતો લખવામાં આવી છે : 

(૧) જાતિ, રાષ્ટ્રીયતા કે ધર્મને લીધે ઊભી થતી કોઈ પણ મર્યાદા વિના ઉંમરલાયક સ્ત્રી કે પુરુષને લગ્ન કરવાનો અને પરિવારની સ્થાપના કરવાનો અધિકાર છે. લગ્નનો, લગ્ન દરમ્યાન અને લગ્ન વિચ્છેદનો સમાન અધિકાર દરેક વ્યક્તિ ધરાવે છે. 

(૨) બંને વ્યક્તિની સંપૂર્ણ સંમતિથી જ લગ્ન થશે.  

ઠાકોર સમાજ એમ ઇચ્છે છે કે માતાપિતાની સંમતિથી જ લગ્ન થાય. પણ જેને લગ્ન કરવાનું છે એને એના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન કરવું હોય તો? માતાપિતાની સંમતિ હોય તો સારી વાત છે, પણ સંમતિ ન હોય તો લગ્ન જ ન થઈ શકે એવું સામાજિક બંધન તો નોનસેન્સ વાત છે. એનો અર્થ તો એ થાય કે કોઈએ કોઈને રોમેન્ટિક પ્રેમ કરવાનો જ નહિ અને કરો તો પણ લગ્ન તો કરવાનાં જ નહિ અને ન ફાવે તો પણ છૂટાછેડા લેવાના જ નહિ, કારણ કે છૂટાછેડા પછી પણ બીજા કોઈની સાથે લગ્ન કરવા માટે પણ માતાપિતાની સંમતિ જરૂરી બની જાય. 

આ આખી બાબતમાં એક ધારણા એવી છે કે માતાપિતા છોકરા કે છોકરી માટે જે પાત્ર લગ્ન કરવા માટે નક્કી કરશે તે સારું જ હશે અને છોકરો કે છોકરી પોતે જે પાત્ર પસંદ કરશે તે નકામું જ હશે. આ ધારણા તો સાવ બોગસ છે. એવું કેવી રીતે બની શકે? 

થોડાં વર્ષો પહેલાં સુરત અને રાજકોટમાં પટેલ સમાજનાં મંડળોએ સેંકડોની સંખ્યામાં યુવકો અને યુવતીઓ પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તેઓ માતાપિતા કહે ત્યાં જ લગ્ન કરશે. કેટલી બધી દાદાગીરી ઊભી થઈ ગઈ છે સમાજમાં! આ સામાજિક તાનાશાહી છે. 

હિંદુઓમાં તો કૃષ્ણ અને રાધાની જોડી છે કે જેમાં કૃષ્ણ રાધા કરતાં ઉંમરમાં નાના છે અને રાધા તો પાછી પરણેલી સ્ત્રી છે! એ બેનાં મંદિરો બંધાય છે અને પૂજા થાય છે, આરતી થાય છે. મથુરા અને વૃન્દાવનમાં પેડલ રિક્ષાવાળા માર્ગમાં જગ્યા મેળવવા “રાધે રાધે” કહીને બૂમ પડે છે અને ત્યાં યાત્રાએ જઈ આવેલા પાછા એનું ગૌરવ લે છે. અને અહીં એ જ લોકો પ્રેમ કરવાની ના પાડે છે. કેટલો દંભી અને સરમુખત્યારી સમાજ છે આ. હિંદુ ધર્મગ્રંથોમાં તો પ્રેમની અને પ્રેમલગ્નોની ભરમાર છે. એમાં ક્યાં ય જાતિભેદ છે જ નહિ. તો પછી હિંદુ ધર્મની જ્ઞાતિઓમાં આજકાલ આ દૂષણ કેમ ઘૂસ્યું છે તે સમજાતું નથી. 

એક દલીલ એવી છે કે છોકરાછોકરી અણસમજુ હોય છે અને એમને લગ્નની બાબતમાં પસંદગી કરતાં આવડતું નથી. તેઓ પછી ખાડામાં પડે છે અને જિંદગી બરબાદ થઈ જાય છે. અરે, જેની સાથે પ્રેમ થાય એની સાથે લગ્ન ન થાય કે એની સાથે રહી ન શકાય તો જિંદગી બરબાદ થાય એ આ સમાજો કેમ સમજતા નથી એનું આશ્ચર્ય થાય છે. માતાપિતાનો પ્રેમ દીકરાદીકરીને બાંધી રાખે એને પ્રેમ ન કહેવાય, એને જેલ કહેવાય. 

જેને જેની સાથે પ્રેમ કરવો હોય તેની સાથે પ્રેમ કરવા દો, જેની સાથે જેને લગ્ન કરવું હોય એને એની સાથે લગ્ન કરવા દો, જેને જેની સાથે જેટલું રહેવું હોય કે ન રહેવું હોય તેટલું રહેવા દો કે ન રહેવાની આઝાદી આપો. કોઈને કોઈ ખીલે પરાણે બાંધી દેવાની જરૂર શી છે? આ આઝાદી બહુ જ મહત્ત્વની છે મનુષ્યની જિંદગીમાં. જુઓ તો ખરા, છૂટાછેડાના કેસ અદાલતમાં વર્ષો સુધી ચાલે છે અને તેમાં બે વ્યક્તિઓની યુવાન જિંદગી પૂરી થઈ જાય છે. કઈ જાતના કાયદા છે અને નિયમો છે એ સમજાતું નથી. જેઓ છૂટાછેડા માટે અરજી કરે તેને જરૂરી કાર્યવાહી કરીને શક્ય તેટલા વહેલાં છૂટાછેડા આપી જ દેવા જોઈએ. એમને એમની રીતે જિંદગી જીવવા દેવી જોઈએ. 

ટૂંકમાં, રોમેન્ટિક પ્રેમ એ મૂળભૂત માનવ અધિકાર છે અને હિંદુ જ્ઞાતિઓનાં મંડળો સમાજની આબરૂને નામે આતંકવાદીઓ બનીને  ત્રાટકી રહ્યાં છે એ પ્રેમ પર. જેમને જેની સાથે જેમ જીવવું હોય તેની સાથે તેમ જીવે એ જ ખરી આઝાદી છે. 

આ માત્ર ઠાકોર સમાજને લાગુ પડતું નથી, પણ હિન્દુઓની બધી જ નાતો અને તેમના સમાજોને માટે લાગુ પડે છે. 

૦૨-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...23242526...304050...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved