Opinion Magazine
Number of visits: 9558006
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહાર ચૂંટણીમાં મહિલા : તુષ્ટિકરણ અને સશક્તિકરણ

નેહા શાહ|Opinion - Opinion|22 November 2025

નેહા શાહ

પાછલા એક વર્ષમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓમાં લગભગ બધે જ સત્તા પક્ષને જ પાછી સત્તા મળી છે. મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ માટે જાહેર કરાયેલ નાણાંકીય સહાયની ચૂંટણી પરિણામ પર નિર્ણાયક રહી છે. મહિલા મતદારોને આકર્ષવા મધ્ય પ્રદેશની લાડલી બહન યોજના, મહારાષ્ટ્રની માઝી લાડલી બહન યોજના, કર્ણાટકની ગૃહ લક્ષ્મી યોજનાની જેમ બિહારમાં પણ મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાની ભૂમિકા ચૂંટણી પરિણામની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બની રહી. બિહારમાં મહિલા મતદાતાઓની સંખ્યા ૩.૫ કરોડ છે, એટલે કે લગભગ પચાસ ટકા. દરેક રાજકીય પક્ષ આટલા મોટા વર્ગને રીઝવવાના પ્રયત્ન કરતા રહે છે. જે સત્તામાં હોય એને ફાયદો વધારે મળે – જે વાયદો કરે એની યોજના બનાવીને ચૂંટણી ટાણે જ અમલમાં પણ મૂકી દે. એવું જ ‘દસ હજારી’ યોજનામાં થયું. મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ આર્થિક-સામજિક રીતે પછાત વર્ગોની ૨.૭૭ કરોડ મહિલાઓને દસ હજાર રોકડનો લાભ સ્વ-રોજગાર ઊભો કરવા માટે મળ્યો. 

બે દાયકાનો ઇતિહાસ બતાવે છે કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી છે. બિહાર જેવા રાજ્યમાં તો નોંધપાત્ર રીતે વધી છે. પાછલા દોઢ દાયકામાં મહિલા મતદાતાનું પ્રમાણ પુરુષો કરતાં સતત ઊંચું રહ્યું છે. ૨૦૨૦ની ચૂંટણીની સરખામણીએ ૨૦૨૫માં ૪.૪ કરોડ વધુ મહિલા મતદાતા હતી અને પુરુષોની સરખામણીએ ૮.૮ ટકા વધુ મતદાન કર્યું ! એક સમયે મહિલાઓને  મતદાન મથક સુધી લાવવી એ પડકાર હતો. વળી, પતિ કે કુટુંબના મોભીની છાયામાંથી બહાર આવીને એ પોતાનો આગવો નિર્ણય લે એ શક્ય લાગતું ન હતું. હવે, સમયની સાથે મહિલાઓ પોતાનો આગવો આભિપ્રાય વ્યક્ત કરે છે, એની આકાંક્ષા છે અને મતાધિકારનું મહત્ત્વ એ જાણે છે. મહિલાઓ બહાર આવી રહી છે અને ભારપૂર્વક પોતાનો હક દાવો રજૂ કરી રહી છે, તેમના મત ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ સત્તાધીશ પક્ષ રોકડ સહાય દ્વારા એમને આકર્ષે છે. 

એ વાતમાં કોઈ શક નથી કે મહિલાઓમાં નીતીશ કુમારની લોકપ્રિયતા માત્ર આ દસ હજાર રૂપિયા પૂરતી મર્યાદિત નથી. બિહારમાં દારુબંધી આવી એને કારણે ઘરેલું હિંસા ઘટી તેમ જ બચત વધી જેનો ફાયદો સ્ત્રીઓની જિંદગી પર સીધો પડ્યો. આ ઉપરાંત પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અને સરકારી નોકરીઓમાં ૩૫ ટકા અનામત લાગુ થયું જેને કારણે તેમની રાજકીય ભાગીદારી અને આર્થિક તકોમાં ઘણો સુધારો થયો. આ ઉપરાંત સ્વ સહાય જૂથો ઊભા થયા જેનો કરોડો ગરીબ મહિલાઓને ફાયદો થયો. એટલે, જમીન પર કામ કરનારા અનેક રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે જ્ઞાતિ-વર્ગથી ઉપર ઊઠીને મહિલા મત નીતીશકુમારની તરફેણમાં જશે. આમ છતાં ‘દસ-હજારી’ જેવી યોજના – જેનો અમલનો હેતુ વિકાસ નહિ પણ રાજકીય હતો એટલે એની નૈતિકતા અંગે ચર્ચા થવી જ જોઈએ. પૈસા ટ્રાન્સફર કરવાથી મહિલાઓને ભલે મદદ મળી હોય પણ ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં મહિલાઓના  સ્વરોજગારના નામે દસ હજાર રૂપિયાની આર્થિક મદદની યોજનાની જાહેરાત કરવી અને આચાર સંહિતા લાગુ પડ્યા પછી લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થાય અને ચૂંટણી પંચ આ અંગે મૌન રહે તો ચૂંટણીની નિષ્પક્ષતા અંગે સવાલ ઊઠવા વાજબી છે.  

સરકાર દ્વારા અપાતી રોકડ સહાયના સારાં અને નરસાં બંને પાસાં છે. જેનો ઉલ્લેખ ‘રેવડી’ તરીકે થાય છે તેવા ખર્ચનું ભારણ સરકારી તિજોરી પર પડે છે. એનો લાભ સામાન્ય રીતે આર્થિક અને સામજિક રીતે નબળા વર્ગને મળતો હોય છે એટલે ‘ટેક્સ પેયર’ને આ ભાર પોતાના માથે લાગે છે. સરકારના નિરર્થક ખર્ચ સામે સવાલ થવા પણ જોઈએ. પણ, હકીકત એ છે કે કહેવાતું મુક્ત બજાર સૌને સરખી તક નથી આપતું. વિકાસના આ તબક્કામાં સમાજના ઘણાં વર્ગોને રાજ્ય તરફથી ટેકાની જરૂર છે. જ્યારે આવી યોજના મહિલા લક્ષી હોય તો સામાજિક અને આર્થિક બંને પક્ષે  ફાયદા થઇ શકે છે. લોકોની સહાય માટે કરેલ ખર્ચની લાંબા ગાળાની અસર વિકાસ લક્ષી હોઈ શકે છે જો એની પાછળ યોગ્ય આયોજન હોય તો. દા.ત. કર્ણાટક સરકારની મહિલા સશક્તિકરણ માટેની પાંચ યોજનાની અસર અંગે તાજેતરમાં બહાર આવેલા અભ્યાસો બતાવે છે કે બસમાં મફત મુસાફરીને કારણે તેઓ કામની શોધમાં દૂર સુધી પ્રવાસ કરે છે, મફત રેશન અને દર મહીને આવતા બે હજાર રૂપિયાની મદદથી કુટુંબના પોષણનું સ્તર સુધર્યું છે તેમ જ ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળીને કારણે જીવનધોરણ ઊંચું આવતું દેખાય છે, કન્યા શિક્ષણ પર મહિલાઓના રોજગાર પર પણ અસર દેખાય છે. જો મહિલાઓમાં રોજગાર સુધરશે તો રાજ્યની આવકમાં(જી.ડી.પી.)માં પણ સુધારો થશે. પણ, કોઈ યોગ્ય આયોજન વગર રાતોરાત એક જ વખત માટે હાથમાં આવેલ દસ હજાર જેટલી નાનકડી રકમનો ઉપયોગ સ્વરોજગાર ઊભો કરવા માટે થશે એવું માની લેવું પણ હાસ્યાસ્પદ છે. બિહારની નવી ચૂંટાયેલી સરકારે આ યોજના પાછળની તેમની દૃષ્ટિ સમજાવવી રહી, ત્યાં સુધી એ સવાલોના નિશાન પર રહેશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

BLOને BLOW …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 November 2025

રવીન્દ્ર પારેખ

સ્કૂલો, SMC અને આંગણવાડીનાં કાર્યકરોને BLO(બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાં જોતરાતા ઊહાપોહ થઈ રહ્યો છે ને BLOને ‘BLOW’ પડ્યો હોય તેમ સૌ ડઘાયેલા છે. બધાંને જ કોઈને કોઈ પ્રકારનો વાંધો પડ્યો છે. તેમાં કામગીરીમાં ગેરહાજરી સંદર્ભે ધરપકડનાં વોરંટ નીકળતાં શૈક્ષિક સંઘોએ પણ વિરોધ કર્યો છે ને સંપૂર્ણપણે વોરંટ બંધ થાય એવી માંગણી કરી છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરો BLOની કામગીરીમાં જોડાતા જે તે સંસ્થાઓની કામગીરીઓ ટલ્લે ચડી છે. વર્ગોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વગર અટવાયા કરે એવી સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષકો કામગીરીમાં હોવાને લીધે એક શિક્ષકે એકથી વધુ વર્ગો સંભાળવા પડે છે. ઓફિસોમાં આવનારા લોકોનાં કામ કર્મચારીની ગેરહાજરીને કારણે થતાં નથી અથવા તો એકથી વધુ ધક્કા પછી થાય છે.

આ સમસ્યાઓ ગુજરાતમાં જ સર્જાઈ છે એવું નથી. દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી ચાલી રહી છે અને BLO અનેક દબાણો અને સંજોગો વચ્ચે કામગીરી કરી રહ્યા છે. કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં BLOએ આત્મહત્યા કર્યાના તો ક્યાંક આત્મહત્યાના પ્રયાસના સમાચારો પ્રગટ થયા છે. મોડે સુધી કામગીરી પહોંચતી હોવાથી મહિલા BLOને છેડછાડના અનુભવો પણ થઈ રહ્યા છે, એ ઉપરાંત તેમને કુટુંબ, બાળકો તરફ પૂરતું ધ્યાન આપવામાં ય મુશ્કેલીઓ ઊભી થઈ છે. સુરતમાં મહિલા BLO સ્કૂલમાં એકલી બેસે છે, તો મતદારો દારૂ પીને આવે છે ને લવારાઓ કરે છે. 2002 મતદાર યાદીમાં પરપ્રાંતીયોનાં નામ શોધવામાં કલાકો જાય છે. 23 વર્ષ પહેલાંની વિગતો મતદારો પાસેથી માંગવામાં આવે તે મળવાની શક્યતાઓ ઓછી જ છે. ફોર્મ તો શિક્ષિતો ભરે પણ ખરા, પણ જે શિક્ષિત નથી એમની વિગતો મેળવવાનું વધારે મુશ્કેલ છે. એમની સાથે ફોર્મને મામલે BLOએ કામ લેવાનું સહેલું નથી. મોટે ભાગે સ્થાનિક નેતાનો પ્રભાવ નામ રાખવા કે કાઢવા અંગે રહે છે. એ સ્થિતિમાં મતદાર યાદી સુધારણા ઉપક્રમ દૂષિત થયા વગર કેટલો રહે તે જોવાનું રહે.

ખરેખર તો આ સરવે મતદારોના ઘરે જઈને BLOએ કરવાનો છે, પણ ટાર્ગેટ પૂરો કરવા કે કામનાં દબાણને કારણે BLO ઘરે ઘરે ફરવાનું ટાળે ને મતદારોને એક સાથે કોઈ જાહેર સ્થળે બોલાવે ને વિગતો ભરે એમ બને. એ સ્થિતિમાં મતદાર અન્યની હાજરીમાં પોતાની વિગતો આપવામાં સંકોચ અનુભવે એ  શક્ય છે. આમ મતદાર અને BLO, બંને પક્ષે મુશ્કેલીઓ છે. સુરતમાં BLOને 1,200 ફોર્મનાં ટાર્ગેટ અપાયા છે. નવસારી જેવામાં મુખ્ય શિક્ષક-વિષય શિક્ષકોને મુક્ત રાખવાનો પરિપત્ર હોવા છતાં તેમના ઓર્ડર નીકળ્યા છે. ઘણાં રાજ્યોમાં BLOએ કામના કલાકો અને 4 ડિસેમ્બરની અવધિનો વિરોધ કર્યો છે. રાજસ્થાનના BLO અપાયેલા ટાર્ગેટને કારણે બોજ અનુભવે છે. તેમણે રોજ 200 મતદારોના ઘરે જઈ ફોર્મ કમ્પ્લિટ કરવાં પડે છે ને સવારે 8થી રાત્રે 10 સુધીમાં દર બે કલાકે ઈ.આર.ઓ.ને રિપોર્ટ મોકલવા પડે છે. છત્તીસગઢ જેવામાં BLO શિક્ષકો પણ છે ને તેમને SIRની કામગીરી ઉપરાંત વર્ગમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી છે, એટલે ઘણાં બેવડું દબાણ અનુભવે છે.

મોટે ભાગે BLOની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. એનાથી બાળકોનું ભણતર બગડે છે તે સૌ જાણે છે. માત્ર આ એક જ કામગીરી હોય તો ધૂળ નાખી, પણ 56 જેટલી અન્ય કામગીરી શિક્ષકોને માથે નાખવામાં આવી છે. એમાં પરિપત્રોના જવાબો ને ડેટા ફીડ કરવાની કામગીરી તો નફામાં ! શિક્ષક આમ તો ભણાવવા માટે રખાય છે, પણ તે ભણાવી જ ન શકે એવી જાળ તેની ફરતે ગૂંથાતી રહે છે. જે કામચોર છે તેને તો આમાંથી ય રસ્તા કાઢતા આવડે છે, પણ જે સિન્સિયર છે ને જેને હૈયે વિદ્યાર્થીઓનું હિત છે, તેનો મરો થાય છે. તેને ભણાવવાનો પગાર મળે છે ને તે ભણાવી નથી શકતો એનું ગિલ્ટ તેને પીડે છે.

થાય છે એવું કે કેટલાક આચાર્યો સ્કૂલની ફરજ પૂરી કરાવીને પછી BLOની કામગીરીની પણ ફરજ શિક્ષકોને પાડે છે. ભિલોડા તાલુકામાં પ્રાથમિક શાળાના 229 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. કેટલીક શાળામાં તો બે જ શિક્ષકો છે. આવામાં તાલુકાના કેળવણી નિરીક્ષક આગ્રહ રાખે છે કે શિક્ષક શાળાની ફરજ પહેલાં પૂરી કરે. એ કામગીરી કરવા જતાં BLOની કામગીરી થતી નથી ને ક્યાંક બંને કામગીરી કરવા જતાં બાવાના બે ય બગડે છે. પેટલાદમાં પણ શૈક્ષણિક મહાસંઘે શિક્ષકોની આવી મુશ્કેલીઓ દૂર કરવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વાત ચૂંટણી પંચ સુધી પહોંચાડવા રજૂઆત કરી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીએ પણ BLO અને સુપરવાઈઝરોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા નિઝર પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. એમાં વોરંટ રદ્દ કરવાની માંગ પણ છે જ ! તંત્ર ડંડાવાળા પોલીસની ભૂમિકામાં હોય તેવું ગુજરાતના અઢી લાખથી વધુ શિક્ષકો અનુભવી રહ્યા છે ને એ ઠીક નથી. આવામાં શિક્ષક વધારે સારી રીતે ભણાવી શકે તે વ્યવસ્થા કરવાની હોય, તેને બદલે તેને ભણાવવામાંથી જ મુક્ત કરવાનો પરિપત્ર ચૂંટણી પંચે બહાર પાડ્યો છે. આમેય શિક્ષકોની ઘટ તો છે જ, તેમાં છે તે શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા સ્કૂલોએ આંગળાં ચાટીને પેટ ભરવાના દા’ડા આવ્યા છે.

શિક્ષકો વર્ગમાં નથી ને SIRની કામગીરીમાં દોડે છે, પણ પ્રયત્ન છતાં પહોંચી વળતા નથી ને કલેક્ટરનો મિજાજ જાય છે. સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા પૈકી 10માં, ફોર્મ પરત લેવાથી માંડીને ઓનલાઈન અપલોડ કરવાનું કામ ઢીલું ચાલે છે, એવું લાગતાં કલેકટરે સંબંધિત 10 મતદાર નોંધણી અધિકારીને નોટિસ ફટકારી છે ને 23 નવેમ્બર સુધીમાં 95 ટકા કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી છે. લિંબાયત જેવામાં મોટે ભાગના પરપ્રાંતીયો છે ને સતત સ્થળાંતરિત થતાં રહે છે. એવામાં વિગતોની ચોકસાઈના ઘણા પ્રશ્નો છે.

છેલ્લે 2002માં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયેલો. તે વખતે કામ કરનારાઓમાંના હવે કોઈ નથી એટલે માર્ગદર્શક ભૂમિકા નથી ને નવા અધિકારીઓ ને તેના ઉપરીઓ હુકમો કરવાથી કામ થઇ જાય એવી સમજ ધરાવે છે, પરિણામે કામમાં કેટલો ભલીવાર રહે તે સમજી શકાય એવું છે. અત્યારે તો ટોટલ કેઓસ જેવું જ છે. આગળ જતાં કંઇ ફેર પડે તો મતદારોને, BLOને સુપરવાઈઝરોને રાહત થાય એમ બને. એમાં વળી રાજકીય પક્ષો એની રમત રમતા રહે છે, એટલે કામનો છેડો આવવાનું મુશ્કેલ થતું જાય છે.

એક બાજુ SIRની કામગીરીનું ઠેકાણું પડતું નથી, ત્યાં શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી, ધોરણ એક અને બેના શિક્ષકોની, નવેમ્બરમાં, બે દિવસની તાલીમનો પરિપત્ર બહાર પાડે છે. કેમ જાણે તેને BLO-બબાલની કંઇ ખબર જ નથી ! કોણ જાણે કેમ, પણ શિક્ષણ વિભાગને રોજ જ ફરફરિયાં બહાર પાડવાની ટેવ પડી ગઈ છે. વિભાગના અધિકારીઓને તો એમ જ છે કે ફરફરિયાં બહાર પાડવાથી જ શિક્ષણ સુધરશે. 2020થી નવી શિક્ષણ નીતિ ગુજરાતમાં ય લાગુ થઈ છે, પણ ત્યારથી એવી પનોતિ બેઠી છે કે શિક્ષણમાં ગુજરાત શ્રેષ્ઠ તો ઠીક, નબળામાં પણ તળિયે બેઠું છે ને કોઈને જ તેની પડી ન હોય તેમ સૌ આંખ કાન બંધ કરીને શિક્ષણનું ઉઠમણું ઊજવી રહ્યાં છે. રાજકારણ સિવાય બીજું કોઈ શિક્ષણ જ બાકી રહ્યું ન હોય તેવું વાતાવરણ છે.

એમ લાગે છે ગુજરાતમાં ને અન્ય રાજ્યોમાં પણ જે સરળ છે તે ન કરવાનું તંત્રોએ સ્વીકારી લીધું છે. શિક્ષકો, કારકૂનો, કાર્યકરોને ચાલુ નોકરીએ SIRની કામગીરી સોંપીને તેમને આત્મહત્યા તરફ ધકેલ્યા છે. એ ઉપરાંત અનેક ઉપરી અધિકારીઓ, BLO અને સુપરવાઈઝરો આ કામગીરીને લીધે તાણ અનુભવી રહ્યા છે ને તેઓ આગામી દિવસોમાં કેવી રીતે પોતાને સાચવી શકશે ને SIRની કામગીરી પૂરી કરી શકશે તે ચિંતાનો વિષય છે. એને બદલે સરકાર શિક્ષિત બેકારોને ટ્રેનિંગ આપીને આ કામગીરીમાં જોતરી શકે, તો તેમને આવક થાય ને શિક્ષકો બાળકોને ભણાવવા તરફ વળી શકે, કારકૂનો ને કાર્યકરો પણ પોતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરી શકે, પણ થોડા કરોડ ખર્ચવા ન પડે એટલે સરકાર શિક્ષકોને, કારકૂનોને, કાર્યકરોને SIRની કામગીરીમાં જોતરી રહી છે. એ શરમજનક છે કે અબજો અબજો રૂપિયા ખર્ચી શકતી સરકાર શિક્ષિત બેકારો પાછળ ખર્ચવા જરા ય રાજી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2025

Loading

લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે!

રમેશ સવાણી|Opinion - Opinion|20 November 2025

રમેશ સવાણી

અખબારો / ટી.વી. ચેનલોને ગોદી બનાવ્યા પછી પણ મોદીજીને સંતોષ થતો નથી. ચૂંટણીઓમાં જબરજસ્ત સફળતા મળે છતાં તેમને સંતોષ થતો નથી. મોદીજી રાહુલ ગાંધીનું ચરિત્રહનન સતત કરે છે. કેમ કે મોદીજીને રાહુલ ગાંધી સતત સવાલો કરે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ગોટાળાઓનો પર્દાફાશ કર્યો તેથી મોદીજીને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો છે. આ દુખાવાને બિહાર વિધાનસભાની ચૂંટણીની જીત પણ શાંત કરી શકી નથી. 

મોદીજીએ બીજું એક હથિયાર રાહુલ ગાંધી સામે ઉગામ્યું છે. પૂર્વ ન્યાયાધીશો, IAS-IPS અમલદારો, રાજદૂતો સહિત 272 હસ્તીઓએ રાહુલ ગાંધીને 18 નવેમ્બર 2025ના રોજ ખુલ્લો ‘પ્રાયોજિત પત્ર’ લખ્યો છે. આ પત્રમાં 272 લોકોએ સહી કરી છે, જેમાં 16 નિવૃત્ત ન્યાયાધીશો, 123 ભૂતપૂર્વ અમલદારો, 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને 14 ભૂતપૂર્વ રાજદૂતોનો સમાવેશ થાય છે. 

શું છે આ પત્રમાં? 

[1] રાજકીય હતાશા છુપાવવા માટે રાહુલ ગાંધી ચૂંટણી પંચને નિશાન બનાવે છે. 

[2] ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આ હુમલો બળ દ્વારા નહીં, પરંતુ લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા કરવામાં આવે છે. 

[3] કોઈ વાસ્તવિક નીતિગત વિકલ્પો આપ્યા વિના તેમની નાટકીય રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો લઈ રહ્યા છે. 

[4] ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવીને; ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવીને; અને સંસદ અને તેના અધિકારીઓ પર પ્રશ્ન ઉઠાવીને; તેની છબીને કલંકિત કર્યા પછી, હવે ભારતના ચૂંટણી પંચ પર હુમલો થઈ રહ્યો છે. 

રાહુલ ગાંધી

[5] રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે મત ચોરીના પુરાવા છે. છતાં તેમના દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. કાઁગ્રેસ અને અન્ય પક્ષો, ડાબેરી NGO વગેરે SIR વિરુદ્ધ છે. 

[6] ચૂંટણી પંચ બેશરમીથી ભા.જ.પ.ની બી-ટીમ તરીકે કામ કરી રહ્યું છે તેવો આક્ષેપ રાહુલ ગાંધી કરે છે. ચૂંટણી પંચે SIR પદ્ધતિને જાહેરમાં શેર કરી છે, કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર તેનું નિરીક્ષણ કર્યું છે, અયોગ્ય નામો દૂર કર્યા છે અને નવા પાત્ર મતદારો ઉમેર્યા છે. આ સૂચવે છે કે આ આરોપો રાજકીય હતાશાને છુપાવવા માટે એક ઢાંકપીછોડો છે. 

[7] કાઁગ્રેસના નેતાઓનું વર્તન વારંવારની ચૂંટણી નિષ્ફળતાઓ અને હતાશાથી જન્મેલા ગુસ્સાને આભારી હોઈ શકે છે. જ્યારે રાજકારણીઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ ભૂલી જાય છે, ત્યારે તેમની વિશ્વસનીયતા ફરીથી બનાવવાને બદલે, તેઓ સંસ્થાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. વિશ્લેષણનું સ્થાન નાટકે લીધું છે. જાહેર સેવાનું સ્થાન તમાશાએ લીધું છે. વિડંબના એ છે કે, જે થોડા રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પરિણામો તેમના પક્ષે ન જાય, ત્યારે પંચ ખલનાયક બની જાય છે.”

થોડાં મુદ્દાઓ :

[1] રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. સરકારની અને બંધારણીય સંસ્થાઓની ભૂલ દર્શાવવી એ તેનું કામ છે. શું આ 272 મહાનુભાવોને એ યાદ નથી કે મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મનમોહન સિંહની સરકારની ભયંકર આલોચના કરતા ન હતા? ત્યારે CBI પર આક્ષેપો કરતા ન હતા? માની લઈએ કે રાહુલ ગાંધી રાજકીય હતાશા છુપાવવા માટે આક્ષેપો કરે છે, તો લોકોને નક્કી કરવા દો કે તે આક્ષેપો રાજકીય હતાશા છુપાવવા માટે છે કે નહીં? 

[2] માની લઈએ કે ‘લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા હુમલો રાહુલ ગાંધી કરે છે’ તો લોકોને નક્કી કરવા દો કે રાહુલ ગાંધી ઝેરીલાં ભાષણ આપે છે કે મોદીજી? ‘તમારી પાસે બે ઓરડા હોય તો એક ઓરડાનો કબજો ઘૂસપેઠિયા કરી લેશે’ ‘અમે પાંચ અમારા પચ્ચીસ’ આવું નફરતી ઝેર આ 272 મહાનુભાવોને દેખાયું નહીં હોય? 

[3] જો રાહુલ ગાંધી ‘ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો’ લેતા હોય તો તેમની વિરુદ્ધ FIR કરી કાયદેસર કાર્યવાહી કરોને ! મોદીજીને નેહરુ રોકે છે? 

[4] રાહુલ ગાંધીએ ‘ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો’ હોય તો તેનો કોઈ પુરાવો છે? જો હોય તો દેશદ્રોહ સબબ તેમની સામે કાર્યવાહી કેમ કરતા નથી? 

[5] જો ‘રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા હોય’ તો તેમની સામે ચૂંટણી પંચ સ્પષ્ટતા કેમ કરતું નથી? તેના બદલે ભા.જ.પ.ના નેતાઓ કેમ સ્પષ્ટતા કરે છે? શું ચૂંટણીપંચની જવાબદારી નથી કે વિપક્ષી નેતાએ ઉઠાવેલ સવાલોની સ્પષ્ટતા કરવી? શું રાહુલ ગાંધી ગોટાળા અંગે FIR નોંધાવે તો જ ચૂંટણી પંચે જાગવાનું છે? તો જ કાર્યવાહી કરવાની છે? પ્રશ્નો પૂછે એટલે NGO ડાબેરી થઈ જાય? ડાબેરી હોવું ગુનો છે? ભગતસિંહ / સુભાષચંદ્ર બોઝ પણ ડાબેરી હતા. 

[6] SIR-Special Intensive Revision અંગે માત્ર રાહુલ ગાંધીએ જ સવાલો કર્યા નથી, કેટલાક જાગૃત નાગરિકોએ પણ સવાલ કર્યા છે, જેઓ કદી ચૂંટણી લડતા નથી. તેમના સવાલોની સ્પષ્ટતા ચૂંટણી પંચ કેમ કરતું નથી?

[7] જો રાહુલ ગાંધી નાટક કરતા હોય / તમાશો કરતા હોય તો આ 272 મહાનુભાવોને ચિંતા કરવાની જરૂર કેમ પડી હશે? ‘જે રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે’ આ વાત તદ્દન ગેરમાર્ગે દોરનારી છે. કર્ણાટકમાં કાઁગ્રેસની સરકાર છે ત્યાં ચૂંટણીમાં કેવી ગેરરીતિ થઈ હતી તે અંગે રાહુલ ગાંધીએ પુરાવા સહિત રજૂઆત કરી હતી. 

આ 272 મહાનુભાવો ત્યારે કેમ ચૂંપ હતા જ્યારે 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકશાહી બચાવોની હાકલ કરી હતી ! આ ચાર ન્યાયાધીશોએ કેસ ફાળવણી ઉપરાંત, ન્યાયાધીશ બી.એચ. લોયાના મૃત્યુની તપાસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. શું આ ચાર ન્યાયાધીશોએ લોકશાહી સંસ્થા પરના હુમલાનો પર્દાફાશ કર્યો ન હતો? શું આ 272 લોકો એવું કહેવાની હિંમત એકઠી કરી શકે છે કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન મતદારોને કરોડો રૂપિયાનું વિતરણ કર્યુ તે ખોટું હતું? શું ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ન હોવી જોઈએ? ઈલેક્ટોરલ બોન્ડની યોજના સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી તે અંગે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા હશે? શું તે યોજના ચૂંટણી-ભ્રષ્ટાચારનો પુરાવો ન હતી? શું દેશમાં પ્રવર્તતી મોંઘવારી, વધતી જતી બેરોજગારી, ગગડતો રૂપિયો, મહિલાઓની અસુરક્ષા, બળાત્કારીઓ-હત્યારાઓને જેલમુક્ત કરવા, આશારામ-રામરહિમને જામીન મળવા, બેજવાબદાર વર્તન અને સરમુખત્યારશાહી સામે આ 272 પ્રભાવશાળી લોકોએ કેમ અવાજ ઊઠાવ્યો નહી હોય? જ્યારે ભા.જ.પના સંસદસભ્યે ગૃહયુદ્ધ માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને દોષી ઠેરવ્યા ત્યારે આ પૂર્વ ન્યાયાધીશો ક્યાં છૂપાયેલા હતા? જ્યારે મોદી-સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી હતી ત્યારે આ પૂર્વ અમલદારો કેમ ચૂપ હતા? જ્યારે ચૂંટણી કમિશનરની નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મોદીજીએ કાઢી નાંખ્યા ત્યારે આ 272 પ્રતિષ્ઠિત લોકો કેમ ચૂપ રહ્યા હતા? શું આ ચૂંટણી કમિશનર તરીકે ચાપલૂસ-ભગતડાને નિમવાનું કાવતરું ન હતું? ઈલેકશન કમિશનર પર કોઈપણ પ્રકારનો કેસ કે કોર્ટમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ન થઈ શકે એવો મોદીજીએ કાયદો બનાવ્યો ત્યારે આ 272 મહાનુભાવો કેમ ચૂપ રહેલ?

આ 272 જજ અને નોકરશાહો સામે જો સાચી તપાસ થાય તો 90%થી વધુ પાસેથી અઢળક સંપત્તિ મળે. તેઓ લોકશાહી સંસ્થાઓને બચાવવાનો ઢોંગ કરી રહ્યા છે. આ 272માં ગુજરાતના કોઈ પૂર્વ IAS-IPS / જજ કેમ નથી? વળી આ 272માં 90%થી વઘુ ચોક્કસ વર્ણના જ કેમ છે? SC / ST / OBC વર્ગના કેમ નથી? શું આ 272 મહાનુભાવો RSSના Sleeper Cells તો નથી?

272 મહાનુભાવોમાંથી કોઈએ ચૂંટણી કમિશનર તરીકેનો અનુભવ નથી. પરંતુ ત્રણ પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા / ઓ.પી. રાવત / એસ.વાય. કુરેશીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વલણની આલોચના કરી છે; એ પણ ખોટા? લોકશાહીમાં, પ્રશ્નો પૂછવા એ ગુનો નથી, પણ ફરજ છે. વિરોધ લોકશાહીનું હૃદય છે. પ્રશ્નો પૂછવા એ લોકશાહીનો શ્વાસ છે. અને રાહુલ ગાંધી એવા પ્રશ્નો પૂછી રહ્યા છે જેનો શાસક પક્ષને ડર લાગે છે. આ 272 લોકોમાં આ વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમતનો અભાવ છે; તેથી, તેઓ બંધારણનું રક્ષણ કરનારાઓ પર આંગળી ચીંધી રહ્યા છે. કોઈ પણ સ્વતંત્ર નાગરિક, કોઈ પણ સાચી લોકશાહી-પ્રેમી વ્યક્તિ, લોકો દ્વારા ચૂંટાયેલા સૌથી મોટા વિપક્ષી અવાજ પર આ રીતે હુમલો ન કરી શકે. 272 લોકોએ લખેલો ‘પત્ર’ વાસ્તવમાં જાહેર પ્રશ્નો ટાળવા માટેનું રાજકીય કાવતરું નથી? કોના ઇશારે આ ચૂંટણીપંચ સતત જાહેર પ્રશ્નો ટાળી રહ્યું છે? જ્યારે વોટ ચોરીના વીડિયો, EVM સાથે છેડછાડ અને પોસ્ટલ બેલેટની અનિયમિતતાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા? જ્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહ્યું અને પારદર્શિતા ટાળી, ત્યારે શું લોકશાહી ખતરામાં ન લાગી? લોકશાહી માટે ખરો ખતરો વિપક્ષ તરફથી નથી, પરંતુ એ લોકો તરફથી છે જેઓ ડર અથવા સત્તાના લોભથી ચૂંટણીપંચના મૌનને નૈતિકતાનું પ્રમાણપત્ર તરીકે રજૂ કરી રહ્યા છે. જો લોકશાહી સંસ્થાઓની ગરિમા માટે ખરેખર ચિંતા હોય, તો પહેલા જવાબદાર લોકોને પૂછો : તેઓ લોકોના પ્રશ્નોથી કેમ ડરે છે? લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે ! લોકશાહી સંસ્થાઓની આબરુ કોણ લઈ રહ્યું છે? રાહુલ ગાંધી કે મોદીજી? 

20 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...23242526...304050...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved