Opinion Magazine
Number of visits: 9843125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૩૧) 

સુમન શાહ|Opinion - Opinion|7 August 2025

સુમન શાહ

આજે દરેક માણસ યુદ્ધગ્રસ્ત નથી પણ ત્રસ્ત જરૂર છે. રશિયા-યુક્રેઇન, ગાઝા-ઇઝરાઇલ, સુદાન, સિરિયા, મ્યનમાર, યેમેન, હયિતિ, અફઘાનીસ્થાન, કૉન્ગો, ઇથિયોપિયા, માલિ કે નાઇજેરિયામાં જુદા જુદા અને નાનામોટા સ્વરૂપે યુદ્ધ અથવા યુદ્ધકીય પરિસ્થતિ, બળવા, લડાઈઓ કે સંઘર્ષો પ્રવર્તે છે. બીજું વિશ્વયુદ્ધ ભલે ને 1945માં પત્યું!

યુદ્ધની કથાને રમણીય કહેનારાઓની વાત મને એ રીતે સાચી લાગે છે કે પરોક્ષપણે તેઓ સૂચવે છે કે કથા રમણીય છે, નહીં કે યુદ્ધ. 

અમેરિકાએ 9 ઑગસ્ટ, 1945ના રોજ જાપાનના નાગાસાકી શ્હૅર પર બીજો અણુબોમ્બ ફેંક્યો ત્યારથી એક પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે કે શું બીજા વિશ્વયુદ્ધને ખતમ કરવા આટલા મોટા પાયે મૉત અને વિનાશને નૉંતરવાંની ખરેખર જરૂરત હતી? 

6 ઑગસ્ટ, 1945એ અમેરિકાના B-29 બૉમ્બર એનોલા ગેએ જાપાનના હિરોશિમા શ્હૅર પર ‘લિટલ બૉય’ નામનો પહેલો અણુબૉમ્બ ફેંકેલો. તેના માત્ર 16 કલાક પછી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવેલું. એમાં પરમાણુ સંશોધન કાર્યક્રમ મેનહટન પ્રોજેક્ટ (Manhattan Project) વિશે માહિતી હતી.

ઉપરાન્ત, એમાં ટ્રુમેને જાપાન માટે પરમાણુ હથિયારોથી ઊભા થયેલા ખતરા પર ભાર મૂક્યો હતો. તે સમયે અમેરિકાનું યુદ્ધમાં બાકી રહેલું એક માત્ર શત્રુ જાપાન હતું. ટ્રુમેને લખ્યું હતું કે જો જાપાનીઓ પોટ્સડેમ ઘોષણાપત્ર(Potsdam Declaration)માં સાથી નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી બિનશરતી શરણાગતિનો સ્વીકાર નહીં કરે, તો તેઓએ —

“આકાશમાંથી એવા વિનાશની અપેક્ષા રાખવી જોઈશે, જેવો વિનાશ આ પૃથ્વી પર પહેલાં ક્યારે ય જોવા મળ્યો નથી.”

ટ્રુમેને એ નિવેદન બહાર પાડ્યું ત્યાં સુધીમાં બીજો અણુહુમલો પહેલેથી જ ચાલી રહ્યો’તો. રાષ્ટ્રપતિએ, જેવું હવામાન અનુકૂળ થાય કે તરત કોકુરા (હાલનું કીટાક્યુશુ) અને નિગાતા શ્હૅરો પર વધારાના બૉમ્બ ફેંકવાની મંજૂરી આપી હતી. 9 ઑગસ્ટ, 1945ના રોજ વહેલી સવારે, ‘બોક્સકાર’ નામનું B-29 વિમાન પશ્ચિમ પ્રશાન્ત મહાસાગરમાં ટિનિયન ટાપુ પરથી ઉડાન ભરે છે, એમાં લગભગ 10,000 પાઉણ્ડનો પ્લુટોનિયમ આધારિત બૉમ્બ છે, એનું નામ પાડ્યું છે, ‘ફૅટ મૅન’. પેલો લિટલ બૉય ને આ ફૅટ મૅન! 

‘લિટલ બૉય‘ અને નીચે ‘ફૅટ મૅન‘.

એ બૉમ્બ કોકુરા શ્હૅર તરફ જઈ રહ્યો’તો જ્યાં જાપાની સૈન્યનો મોટો ભંડાર હતો. પણ બોક્સકારના ક્રૂને કોકુરા વાદળોથી ઢંકાયેલું જણાય છે અને તેઓ બીજા લક્ષ્ય નાગાસાકી તરફ જવાનો નિર્ણય લે છે. ‘ફૅટ મૅન’ બૉમ્બ સવારે 11:02 વાગ્યે 1,650 ફૂટની ઊંચાઈએથી ફૂટે છે. ત્રણ દિવસ પહેલાં હિરોશિમામાં ‘લિટલ બોય’થી જેટલા લોકો મર્યા હતા તેના કરતાં એથી 185 માઈલના અંતરે આવેલા નાગાસાકીમાં અડધા લોકો મર્યા, તેમછતાં, એની શક્તિ 21 કિલોટન એટલે કે 40 ટકા વધુ હોવાનો અંદાજ હતો. પણ તેની અસર તો વિનાશક હતી: લગભગ 40,000 લોકો તરત જ માર્યા ગયેલા, અને ત્રીજા ભાગનું નાગાસાકી ભસ્મ થઈ ગયેલું.

સત્તાવાર અણુબૉમ્બ વાપરવાનું કારણ આપવામાં આવ્યું હતું: અણુબૉમ્બનો ઉપયોગ પ્રશાન્ત મહાસાગરમાં ચાલી રહેલા યુદ્ધને ટુંકાવવા, જાપાન પર યુ.એસ.ના આક્રમણને ટાળવા, અને હજારો અમેરિકન સૈનિકોના જીવ બચાવવા માટે કરવામાં આવ્યો છે.

દુષ્ટ સત્તાધીશો કેવી કુટીલ નીતિથી દોરવાઈને સાહિત્યિક કહેવાય એવાં રૂપકો પ્રયોજે છે – લિટલ બૉય! – ફૅટ મૅન! અને કેવાં વિરોધી પદોને જોડે છે – યુદ્ધ ‘ટુંકાવવા’ વિનાશ! પોતાનાઓના જીવ ‘બચાવવા’ હજારો નિર્દોષોની ‘હત્યા’! પોતાના આક્રમણને ‘ટાળવા’ ‘બૉમ્બમારો’! 

આલ્બેર કામૂને વિશ્વની રચનામાં અસંગતિ absurdity જોવા મળી એ એમનું દર્શન જરા ય નિરાધાર ન્હૉતું. 

= = =

(060825USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઑલ ગૂડ થિંગ્સ આર વાઇલ્ડ એન્ડ ફ્રી : થૉરો

સોનલ પરીખ|Opinion - Opinion|7 August 2025

બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ 

— હેનરી ડેવિડ થૉરો 

હેનરી ડેવિડ થૉરો

‘જો સરકારનું માળખું એવી જાતનું હોય કે તમારે અન્યાય કરવા અથવા સહેવા મજબૂર બનવું પડતું હોય, તો હું કહું છું કે એવો કાયદો તોડો.’ એણે એ કહ્યું જ નહીં, કર્યું પણ ખરું. સરકારે યુદ્ધવેરો નાખ્યો તે ન ભર્યો અને જેલમાં ગયો. મળવા આવેલા મિત્રે પૂછ્યું, ‘તું જેલમાં કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘તું જેલની બહાર કેમ છે?’

મળવા ગયેલા મિત્ર તે રાલ્ફ વાલ્ડો ઈમર્સન અને જેલમાં પુરાયેલા હતા તે હેન્રી ડૅવિડ થૉરો. ઓગણીસમી સદીના અમેરિકાની વિખ્યાત બૌદ્ધિક, વિચારક, ફિલોસોફર, અગ્રણી ટ્રાન્સડેન્ટાલિસ્ટ અને સર્જક એવી આ બન્ને વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પૈકી થૉરોના જન્મદિન નિમિત્તે એમને સ્મરીએ. 

થોરોનો જન્મ 1817માં, મહાત્મા ગાંધીનો 1869માં. મહાત્મા ગાંધીને સવિનય કાનૂનભંગનો વિચાર થોરો પાસેથી મળ્યો હતો. સવિનય કાનૂનભંગ એટલે અનૈતિક કાયદાનો વિનયપૂર્વક ભંગ. સત્યાગ્રહ શબ્દ પહેલવહેલો વાપર્યાના વર્ષે એટલે કે 1906માં થૉરોના બહુચર્ચિત પુસ્તક ‘વૉલ્ડન’થી ગાંધીજી તેમનાં લખાણોના પરિચયમાં આવ્યા. એ પછીના વર્ષે થૉરોના લેખ ‘સિવિલ ડિસઓબિડિયન્સ’નો અનુવાદ કરી એમને ‘ઈંડિયન ઓપિનિયન’માં છાપ્યો. એની પુસ્તિકાઓ બહાર પાડી અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન તેનો બરાબર ઉપયોગ કર્યો. પશ્ચિમના મૂડીવાદની ટીકા કરતા થૉરોના ‘લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ’ લેખથી પણ ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમમાં થૉરો નિયમિત વંચાતો અને ચર્ચાતો. 

થૉરો જ્યાંનો વતની હતો તે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યની સરકાર ગુલામીપ્રથાની ટેકેદાર હતી. તેણે મેક્સિકો સામે જે નીતિથી યુદ્ધ જાહેર કર્યું તે થૉરોને ન્યાયની વિરુદ્ધ લાગ્યું એથી એણે યુદ્ધવેરો આપવાનો અને એમ કરીને સરકારની અન્યાયી નીતિમાં ભાગીદાર બનવાનો ઈનકાર કર્યો. પરિણામે તેને જેલ જવું પડ્યું. જેલમાં તેના મનમાં જે વિચારો આવ્યા તેનું પરિણામ તે પાછળથી ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ નામે જાણીતો થયેલો ‘રેઝિસ્ટન્સ ટુ સિવિલ ગવર્ન્મેન્ટ’ નામનો લેખ. તેની પાછળની પ્રેરણા 1819માં લખાયેલું શેલીનું ‘ધ માસ્ક ઑફ એનાર્કી’ હતું, જેમાં તેણે એ વખતના અન્યાયી શાસનનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો. 

છૂટ્યા પછી તેણે નાગરિકોનાં કર્તવ્યો અને અધિકારો પર વ્યાખ્યાનો આપ્યાં. ઇતિહાસ કહે છે કે અમેરિકામાં ગુલામી બંધ થવાના મુખ્ય કારણોમાંનું એક એ થૉરોનું જેલ જવું અને જેલમાંથી નીકળ્યા બાદ આ લેખનું પ્રગટ થવું એ હતું. આ લેખમાં થોરોએ કહ્યું છે કે ‘હું ચોક્કસપણે માનું છું કે લોકો પર રાજ્યસત્તાનો અંકુશ જેટલો ઓછો હોય તે સારું. આદર્શ સ્થિતિ તો રાજ્યસત્તામાંથી સંપૂર્ણપણે મુક્તિની છે, પણ હાલ તુરત તો હું એ નહીં, સારો કારભાર માગું છું, જે માગવાની દરેક માણસની ફરજ છે.’ 

વિશ્વમાં આજે બહુમતીવાદ ખૂબ વકર્યો છે ત્યારે થૉરોના શબ્દો યાદ આવે, ‘બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ.’ 

ટૉલ્સટૉય, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને જહોન કેનેડી પણ થોરોથી પ્રભાવિત હતા. થોરો માત્ર 44 વર્ષ જીવ્યા. આટલા ટૂંકા જીવનકાળમાં પોતાના વિચારો અને લેખનથી તેઓ વિશ્વના જ્ઞાનજગતમાં તેજલિસોટા સમા પુરવાર થયા અને શાશ્વત એવો પ્રભાવ ઊભો કરી શક્યા. ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ ઉપરાંત એમની સૌથી વધુ જાણીતી કૃતિ છે ‘વૉલ્ડન’. થૉરોએ ખૂબ લખ્યું છે. ઘણુંખરું મરણોપરાંત પ્રગટ થયું છે અને 20 બૃહદ્દ ગ્રંથોમાં સમાવાયું છે. 

મેસેચ્યુસેટ્સના કૉન્કૉર્ડમાં, ફ્રેન્ચ મૂળના એક પરિવારમાં થોરોનો જન્મ. થોરો હાર્વર્ડમાં ભણ્યા; પણ ચર્ચ, લૉ, મેડિસિન કે બિઝનેસ જેવા પ્રચલિત વ્યવસાયોએ એમને આકર્ષ્યા નહીં. ગ્રેજ્યુએટ થયા પછી ભાઈ જૉન સાથે એમણે કૉન્કૉર્ડ એકેડમી ખોલી જેમાં પ્રકૃતિ સાથે નિકટતા અને સ્થાનિક વ્યવસાયોને ઓળખવા એવા વિષયો સામેલ હતા. 

આ ગાળામાં એક મિત્ર દ્વારા થોરોની ઓળખાણ રાલ્ફ વાલ્ડો ઈમર્સન સાથે થઈ. ઈમર્સન થોરોથી 14 વર્ષ મોટા હતા. એમણે થોરોમાં ખૂબ રસ લીધો, ત્યારના મોટા લેખકો-ચિંતકો સાથે થોરોની ઓળખાણ કરાવી. એમના કહેવાથી જ થોરોએ ‘ધ ડાયલ’ નામના ત્રિમાસિકમાં નિયમિત લખવા માંડ્યું. 

થૉરો હંમેશાં પ્રકૃતિ અને માનવીના સંબંધ વિશે વિચારતા. તેમને ટ્રાન્સડેન્ટાલિઝમમાં ખૂબ રસ પડ્યો. ટ્રાન્સડેન્ટાલિઝમ, 1820-30માં ન્યૂ ઇંગ્લેન્ડમાં બુદ્ધિવાદની સામે રજૂ થયેલી વિચારણા હતી, જેના પાયામાં  માનવીમાં મૂળભૂત રૂપે રહેલી સારપ અને પ્રકૃતિના શુભતત્ત્વો પરની શ્રદ્ધા હતી. ઈમર્સન, ફૂલર અને ઍલ્કોટ તેના પ્રણેતા હતા. તેઓ માનતા કે લોકો આત્મનિર્ભર હોય ત્યારે જ માણસ તેના શ્રેષ્ઠ રૂપમાં હોય છે. 

થૉરોએ સાદું જીવન અપનાવ્યું. વૉલ્ડન તળાવ પાસે ઈમર્સને વૃક્ષાચ્છાદિત ભૂમિ ખરીદી હતી. 1845માં થૉરો ત્યાં ગયા ને એક કુટિર બાંધીને રહ્યા. વૉલ્ડન તળાવ કોન્કોર્ડ ગામથી દોઢબે કિલોમીટરના અંતરે દસથી બાર હજાર વર્ષ પહેલા હિમનદીનું વહેણ ખસવાથી રચાયું છે. ત્યાં રહેવાનો તેમનો ઉદ્દેશ જીવનમાં સાદગી લાવવાનો, ખર્ચ ઘટાડી દેવાનો અને લેખનપ્રવૃત્તિ તેમ જ પ્રકૃતિનિરીક્ષણમાં સમયનો સદુપયોગ કરવાનો હતો. 

વૉલ્ડનનિવાસ દરમ્યાન તેઓ સવાર લેખન અને સ્વાધ્યાયમાં ગાળતા; બપોર પછી કૉન્કૉર્ડનાં જંગલો ને ખેતરોમાં ફરતા અને નદી-સરોવરોમાં નાવ હંકારતા. ‘વૉલ્ડન’માં તેણે લખ્યું છે, ‘હું જંગલમાં રહેવા ગયો કેમ કે મારે હેતુપૂર્ણ જીવન જોઈતું હતું. પ્રકૃતિ શીખવે એ મારે શીખવું હતું. મરું ત્યારે જીવ્યો નહીં એવો અફસોસ મને જોઈતો નથી. મારે ઊંડાણપૂર્વક જીવવું છે ને તેનો અર્ક ચાખવો છે.’ વૉલ્ડન સરોવરના કિનારે તેઓ બે વર્ષ રહ્યા. તેમણે બનાવેલી કુટિર હજી પણ ત્યાં છે. ત્યાં થોરોની પ્રતિમા છે અને લોકો એ સ્થળ જોવા ખાસ જાય છે. 

1854માં વૉલ્ડનના અનુભવો અને આંતરશોધને વર્ણવતું પુસ્તક ‘વૉલ્ડન, લાઈફ ઈન અ વૂડ્ઝ’ પ્રગટ થયું, જે અત્યારે પણ આપણને પ્રેરણા આપે એવું છે. થૉરો પર ભારતીય તત્ત્વજ્ઞાનની અસર હતી. ‘વૉલ્ડન’માં એના દેખીતા ઉલ્લેખો પણ છે. ઈશ્વર દુનિયાથી જુદો છે એવી પશ્ચિમી કલ્પના કરતાં સર્વ જડચેતનમાં ઈશ્વરનો વાસ હોવાની પૂર્વની થિયરી થોરોને ખૂબ ગમતી. એક જગ્યાએ તેણે વૉલ્ડનના સ્વચ્છ જળરાશિને ગંગાના પાવન પ્રવાહ સાથે સરખાવ્યો છે. ઋતુઓમાં તેને ખૂબ રસ હતો. થૉરોની દ્વિશતાબ્દી નિમિત્તે જર્મન ભાષામાં એક પુસ્તક લખાયું, જેના લેખક ડાઈટર શુલ્ઝે કહ્યું કે થોરોના વિચારો આજે પ્રસ્તુત છે એટલા ક્યારે ય નહોતા.  

35માં વર્ષે તેને ટી.બી. થયો. ખૂબ હેરાન થતા. રાતોની રાતો સૂઈ ન શકતા. બહાર નીકળી રસ્તાઓ પર ફરતા. એક વાર આ રીતે ફરતાં તેઓ વરસાદમાં ભીંજાઈ ગયા અને બ્રોંકાઈટિસ થયું. એમાંથી એ ઊઠ્યા નહીં. પથારીવશ સ્થિતિમાં લાંબો ગાળો ગયો. એનો બીમારી અને ભાવિ મૃત્યુ પ્રત્યેનો સ્વીકૃતિભાવ જોઈ સૌ નવાઈ પામતાં. 

છેલ્લા દિવસોમાં એની લુઈઝાઆન્ટીએ પૂછ્યું, ‘ઈશ્વર સાથે શાંત ભાવમાં છો ને?’ થૉરોએ હસીને કહ્યું, ‘અમારી વચ્ચે ઝઘડો ક્યારે હતો?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 જુલાઈ  2025

Loading

શિબૂ સોરેનનું જવું અને સંમિશ્ર સ્વરાજસ્પંદનોનું જાગવું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2025

 સ્મરણાંજલિ

શોષણયંત્રણા સામે મજબૂત અવાજ

અગ્રવર્ગની ધરાર હિસ્સેદારીથી નિરપેક્ષપણે કથિત ભ્રષ્ટાચારી કારકિર્દી આવે વખતે ધસમસતી સાંભરી આવે છે, પણ ખૂનામરકીની રાજનીતિથી ઉફરાટે લોકશાહી પ્રક્રિયામાં ભળી શકવાની સ્વરાજસંક્રાંતિ ભદ્રવર્ગને પલ્લે પડતી નથી.

પ્રકાશ ન. શાહ

ઝારખંડ જોધ્ધા શિબૂ સોરેનને જોહાર પાઠવવાની ક્ષણે કમબખ્ત પહેલા જેવી જે યાદ ઊભરી આવી તે 1993માં નરસિંહ રાવની લઘુમતી સરકારને બચાવવા સબબ થયેલી લેતીદેતીની હતી. નહીં કે આ યાદ ખોટી હતી, પણ અણી વેળાએ એનું આગળ પડતું ઊબરી આવવું, ઇતિહાસની પ્રક્રિયા અને મુખ્ય પ્રવાહની રીતે જોતાં બેલાશક માત્ર બહારનું હતું. 

એની બધી મર્યાદાઓ સાથે શિબૂ લડ્યા ને ઝૂઝ્યા હતા એ તો આદિવાસીને સારુ ન્યાયને વાસ્તેઃ ઝારખંડનું રાજ્ય બની આવ્યું એની પૂંઠે, એક રીતે, સ્વરાજની બાકી ને ચાલુ લડાઈનો આવડ્યો એવો ધક્કો હતો. નવમી ઑગસ્ટને સામાન્યપણે આપણે સન બયાલીસના ક્રાંતિ દિવસ તરીકે યાદ કરીએ છીએ, અને એક પ્રેરક ઇતિહાસવિગત તરીકે એ ખોટું પણ નથી. પણ હમણેનાં વરસોમાં આ દિવસ આદિવાસી દિવસ તરીકે વ્યાપકપણે ઉજવાતો થયો છે. બે નવમી ઑગસ્ટની આ જોડકતા, કંઈક અજોડ છે, કેમ કે ‘ક્વિટ ઇન્ડિયા’ની અનુઘટના સ્વરાજ નીચે લગી ઝમે તે સ્તો હોવી જોઈએ. 

શિબૂ સોરેન

આ પ્રક્રિયા સર્વસરલ ને સહજ સંભવ તો ક્યાંથી હોય? ઝારખંડને, વેડછી પંથકને જેમ ગાંધીસરકાર પ્રતાપે જુગતરામ મળ્યા એવું તો સૌના નસીબમાં નયે હોય. છતે સ્વરાજે મહાજની પ્રથા તળે ને શાહુકારી-સરકારી સહિયારાં તલે દબાતાંજીતવાં ‘જીવતર વચાળે ન્યાયનો રસ્તો કદાચ હિંસક જ હોઇ શકતો હતો. સોરેન ને સાથીઓ તે રીતે લડ્યા ઝગડ્યા અને સ્થાપિત કાયદાની દૃષ્ટિએ બેલાશક તેઓ ગુનાઇત પૈકી ઠર્યા. પણ એમના પંથકને કે.બી. સક્સેના, કિચિંગ્યા અને લક્ષ્મણ શુકલ જેવા અધિકારીઓ મળી રહ્યા જેમણે સામાન્ય સંજોગોમાં જે પ્રાયોજિત એન્કાઉન્ટરનું કથિત કાનૂની સુખ અને મુક્તિ પામ્યા હોત એ શિબૂ સોરેનને ગુનો કબૂલ કરી તાબે આવવા સારુ પ્રેર્યા ને શીર્ષ સત્તાસ્થાનેથી તે માટે સહુલિયત કરી આપી. આદિવાસી ઇલાકાને જમીન પરના તળ અધિકારી સહિતની સોઈ મળી રહે તે માટે સંઘર્ષ સારુ સુવાણની આથી ‘એક ભૂમિકા બની રહી. ઇંદિરા ગાંધીનો કાર્યકાળ એને અંગે ઇતિહાસનિમિત બન્યો અને આગળ ચાલતાં ઝારખંડનું અલગ રાજ્ય શક્ય બન્યું.

ઝારખંડ મુક્તિ મોરચાની ચળવળ, એમાં જેમ એક છેડેથી સોરેનનું અર્પણ તેમ બીજે છેડેથી ધનબાદના કોલસા કામદારોના યુનિયને ખ્યાત, માર્કસીય મૂળના એ.કે. રોય તો આ જ વિસ્તારના બિનઆદિવાસી એવા કુર્મી વંચિતો વચ્ચેની બિનોદ બિહારી મહતો સરખાની કામગીરી પણ સંભાળશે. 

આવું સમગ્ર ચિત્ર લક્ષમાં લેતાં શુ સમજાય છે? કોરીધાકોડ તપસીલ વાંચીએ શિબૂ હસ્તકની કથિત હત્યાઓની કે નાગરિક શાંતિનો ભંગ કરતી હિંસક હિલચાલોની, તો એક ભારતીય નાગરિક તરીકે આપણને ભાગ્યે જ કળ વળે. પણ જ્યારે સમજાય કે વાસ્તવિક અન્યાય, હાડમાં પે’ધેલ ગેરબરાબરી, આજન્મ શોષણયંત્રણા સામે લડવાની વાજબી કોશિશ માથાં ભાંગવાની જૂની પરંપરાથી ઊંચે ઊઠી, વંડી ઠેકી ‘એક માથું – એક મત’ની શાંતિમય પ્રક્રિયાના સ્વરાજ પ્રવાહમાં પ્રવેશી રહી છે. ત્યારે કેવું મોટું ગુણાત્મક પરિવર્તન આકાર લઈ રહ્યું છે એ પકડાય. 

કબૂલ કે પરિવર્તનના આ ઝંડાબરદારોને નામે ખૂનો બોલે છે, પણ ઊલટ પક્ષે રાજ્ય પોતે સ્થાપિત સંસ્થીકૃત હિંસા હોઈ શકે એ સંજોગોમાં આવું બધું કદાચ દુર્નિવાર પણ હોવાનું. જંગલમાંથી આવે તે જંગલી એવી આપણી ‘નાગરી’ સમજને આ બધું ઝટ પમાતું નથી એટલે ચાલુ પ્રવાહમાં આવ્યા પછી એમના ભ્રષ્ટાચારો આપણને ટીકા વાસ્તે ઝટ જડે છે. ભાઈ, એમના ભ્રષ્ટાચારો આપણે જે નાગરી સ્થાપિતો, એમની હિસ્સેદારીમાં સ્તો હોય છે. 

વારુ. શિબૂને જોહાર પાઠવતી વેળાએ આ લગરીક પણ ઇતિહાસવિવેક કેળવી શકીએ તો બને કે સ્વરાજે નવમી ઑગસ્ટ(1942)થી આરંભી પંદરમી ઑગસ્ટ (1947) એ ય નહીં અટકતાં છવ્વીસમી જાન્યુઆરી(1950)ની સીમાઘટનાને લાંઘી હજુ જે લાંબો પંથ કાપવાનો છે એને માટે સંબલ મળી રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ઑગસ્ટ 2025

Loading

...102030...237238239240...250260270...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved