Opinion Magazine
Number of visits: 9574952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાદગી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનુકરણીય દાખલો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 May 2020

કોઈ દેશનો વડો પેટપૂજા કરવા માટે સામાન્ય માણસની જેમ કોઈક રેસ્ટોરાંમાં પહોંચી જાય એવું ભાગ્યે જ બને, અને એથી ય વિરલ વાત તો એ કે તેને 'હમણાં જગ્યા નથી' કહીને પાછો વાળવામાં આવે.

ન્યૂ ઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસિંડા અર્ડન સાથે તાજેતરમાં આવું જ થયું હતું. દુનિયાના બીજા નેતાઓ તેમના સ્ટાફને અગાઉથી સંબંધિત સ્થળે મોકલી દે છે, પરંતુ જેસિંડા અને તેમનો સાથીદાર ક્લાર્ક ગેફોર્ડ  વેલિંગ્ટનના પ્રખ્યાત કાફે પર ચૂપચાપ પહોંચી ગયાં હતાં, પરંતુ સોશ્યલ ડિસ્ટનસિંગના કારણે કાફેમાં જગ્યા ન હતી. એટલે તેમણે થોડી વાર રાહ જોઇને પછી ચાલતી પકડી હતી.

મેનેજરે તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ કરી ન હતી, પણ જેવું એક ટેબલ ખાલી થયું કે તરત તે દોડતો પ્રધાનમંત્રી પાછળ ગયો હતો અને બંનેને પાછા લઇ આવ્યો હતો. જેસિંડાની ઓફિસે પાછળથી કહ્યું હતું, "પ્રધાનમંત્રી બીજા લોકોની જેમ જ રાહ જોવામાં માને છે." સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાદગીની વાતો ભાષણોને બદલે વ્યવહારમાં હોય તો આકર્ષક લાગે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020

 

Loading

‘માણસ ગંધાય, માણસ ખાઉં’ વૈશ્વિકીકરણ અને કોરોના

ભરત મહેતા|Opinion - Opinion|31 May 2020

પૃથ્વીને આપણે નારંગી કે સંતરા જેવી કહીએ છીએ. કાર્લ માર્ક્સે આ જ રૂપકનો ઉપયોગ કરીને તેમના મહાગ્રંથ 'દાસ કેપિટલ'માં લખ્યું છે કે 'આ મૂડીવાદીઓ પૃથ્વીના ગોળાને સંતરાની માફક નિચોવશે.'  અમેરિકા પોતાને ત્યાં કનાવા ઘાટીમાં માંડ બનાવી શકે તેવો ઝેરી વાયુ ભારતના હૃદયસમા ભોપાલમાં બનાવતા અચકાતું નથી, અને બંધ કંપનીના લિકેજના કારણે 30 હજાર નાગરિકો મરી જાય છે ! 1990 પૂર્વેની આ ઘટના યુરોપના દેશો સલામત સ્થળ અને સસ્તા શ્રમ માટે શું કરી શકે એની ચેતવણીરૂપ હતી. 1990 પછીના નવ્ય ઉદારવાદમાં આવી ઘટનાઓ વધી. કોરોના એનું જ પરિણામ જણાય છે. કોરોનાએ દુનિયા આખીને પોતાની ઝપેટમાં લીધી છે. તે એક વૈશ્વિક મહામારી છે અને વૈશ્વિકીકરણ સાથે એનો પ્રગાઢ સંબંધ છે.

કોરોનાના આ અનુભવ પછી આપણને એ સમજાયું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની નફો મેળવવાની અમાનુષી તરકીબો અને બીજી તરફ વૈશ્વિકીકરણના પ્રભાવમાં રાજ્ય દ્વારા ક્રમશ: આરોગ્ય સુવિધાઓનું ખાનગીકરણ એના પ્રસાર માટે ઘણી હદે જવાબદાર છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આ વાઇરસ પ્રયોગશાળામાં નથી બન્યો એ ભલે કહ્યું. એ વાત સાવ સાચી પણ છે. છતાં આ સંકટ માનવસર્જિત છે તે સ્વીકારવું પડશે. 1906માં લખાયેલી અપ્ટન સિંક્લરની નવલકથા 'જંગલ'માં માંસ ઉત્પાદન કરતી કંપનીનું વર્ણન કરતાં લખાયું છે કે, 'તમે ત્યાંથી પસાર થાવ તો તમને ભૂંડની કિકીયારીઓ સિવાય બીજું કશું નહીં સંભળાય.' ગઈ સદીની આ કિકીયારીઓ આજે તો ખૂબ જ વધી ગઈ છે.

ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓએ ખાણીપીણીનું બજાર કબજે કરવા માટે અપ્રાકૃતિક ધોરણે ઉત્પાદન કરી ખેતી (જમીન) અને પશુઓ સાથે અકલ્પ્ય અત્યાચાર કર્યો છે. થોડાં વર્ષ પૂર્વે આવેલો સ્વાઇન ફ્લુ પણ કોરોનાની જેમ પશુ-પક્ષીજન્ય જ હતો અને એની સાથે જ કામ કરતાં, પશુ જેવી મજૂરી ફૂટતાં મજૂરો દ્વારા એ સંક્રમિત થયેલો. આ ઘટનાનું પહેલું ઠેકાણું ચીનના વુહાનનું 'વેટ માર્કેટ' ચીંધાય છે. જેમ ભૂંડનું મોટા પાયે ઉત્પાદન કરતાં મૅક્સિકોમાંથી સ્વાઈન ફ્લુ આવેલો, એ જ રીતે વુહાન ભૂંડના માંસના નિકાસનું મોટું કેન્દ્ર છે. દુનિયામાં છવાયેલી મૅકડોનાલ્ડ અને KFC જેવી કંપનીઓ આ ખરીદે છે.

ભૂંડના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા સ્થાનવાળી અમેરિકન કંપની' સ્મિથફિલ્ડ ફૂડ કંપની' છે. જે પ્રતિ વર્ષ 2.8 કરોડ ભૂંડ કાપે છે! એપલ, નાઇકી, પેપ્સી, જનરલ મોટર્સની માફક આ કંપનીનાં થાણાં ચીનમાં જ આવેલાં છે. ત્યાર બાદ (ભૂંડ ઉત્પાદનમાં) વિશ્વમાં પાંચમાં ક્રમે આવતી ડેનમાર્કની 'ડેનિસ' અને સાતમા ક્રમે આવતી જર્મનીની 'ટોની' સહુ ચીનમાં સક્રિય છે! વળી આ બધી કંપનીઓનાં શેરબજારને કારણે અન્ય જોડાણો પણ થાય છે. 'ગોલ્ડમેન ઝાક્સ' કંપનીએ ચીનમાં 30 કરોડ ડૉલર મરઘાં ફાર્મ પાછળ અને ૨૦ કરોડ ડૉલર ભૂંડના માંસ ઉત્પાદન કરતી કંપની પાછળ રોક્યા છે. વિશ્વમાં 945 અબજ ડૉલરનો માંસનો કારોબાર છે.

આહાર તરીકે વપરાતાં માંસ કે શાકભાજીનું અપ્રાકૃતિક ધોરણે ઉત્પાદન થાય, ત્યારે આવા પ્રશ્નો સર્જાતા હોય છે. ભૂંડ કે મરઘીને સતત દવાઓ અપાય છે, એટલાં ગીચોગીચ રખાય છે કે તે  હાલીચલી પણ ન શકે. મરઘીની પાંખ ખાવામાં કામ લાગતી નથી તેથી કંપનીઓને શ્રમ અને સમયનો બગાડ થાય છે! તેથી એમના જીનમાં ફેરફાર કરી પાંખ આવે જ નહીં અથવા તો નાની આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી. વિજ્ઞાનીઓએ 'ગોલ્ડમેન ઝાક્સ' કંપનીને આવી 'જીન-થેરેપી' યોગ્ય નથી એવું સૂચન કરેલું, પણ જેના માટે મરઘી કમાઉ દીકરો હોય તે આવાં સૂચનોને ગણકારે નહીં. WHO પણ આવાં પ્રતિબંધો લાદતું નથી. આવાં પ્રયોગોનું જ પરિણામ સાર્સ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, જીકા, મર્સ અને હવે કોરોના જેવાં વાઇરસ છે. રોબ વાલેસના પુસ્તક ‘બિગ ફાર્મ્સ મેક બિગ ફ્લુ’માં આની ઝીણી વિગતો છે.

ખેતી કે પશુપાલનનું આ ઉત્પાદન ઔદ્યોગિક મૉડેલનું પરિણામ છે. ખેતીમાં પેસ્ટીસાઈડ્સ, હર્બીસાઇડ્સ આવું જ કરી રહ્યા છે. ડાઉ કેમિકલ, મોન્સાન્ટો, બાયર જેવી કંપનીઓ શાકાહારમાં આવું જ કરી રહી છે. આ બાયર કંપનીએ જ હિટલરને ઝેરી ગેસ પૂરો પાડયો હતો. મોન્સાન્ટોએ વિયેટનામને તબાહ કરનાર 'એજન્ટ ઓરેન્જ' ગેસ કે નેપામ બૉમ્બ અમેરિકાને પૂરાં પાડયાં હતા. પંજાબના ખેડૂતોને થતા કેન્સરમાં મોટા પાયે પેસ્ટિસાઇડ્ઝ કારણભૂત મનાય છે. પંજાબથી જયપુર ચાલતી ટ્રેન જે સારવાર માટે જતી હોય છે, તેને પંજાબમાં મજાકમાં 'કેન્સર એક્સપ્રેસ' કહેવામાં આવે છે.

વર્ષ 2018માં WHOએ 172 દેશોમાં 1,483 પ્રકારની મહામારીની વકી હોવાનું જણાવ્યું હતું. ગ્લોબલ પ્રિપેડનેસ બોર્ડે (G.P.M.B.) સપ્ટેમ્બર 2019માં કોરોના જેવાં વાઇરસની ચેતવણી 'અ વર્લ્ડ એટ રિસ્ક' નામના તેના રિપોર્ટમાં આપી હતી. વર્ષ 2007-08થી મંદીના કારણે મૂડીવાદ ખુદ જ ICUમાં હોવાથી આવી ચેતવણી તરફ આંખ આડા કાન કરાયા. વિશ્વબજાર આજે 270 ટ્રિલિયન ડૉલરના દેવામાં છે. એમાં કલ્યાણરાજ્યની કલ્પના જ ક્યાંથી હોય? રાજ્યની નાગરિકો તરફની  ઉપેક્ષા ચિત્રિત કરતી અમેરિકન દસ્તાવેજી ફિલ્મકાર માઈકલ મૂરની ફિલ્મ 'જોન પીલ્જર' આ સંદર્ભે જોવા જેવી છે. ત્રણ દાયકાના વૈશ્વિકીકરણનું પરિણામ એ છે કે આ વિશ્વની મહાસત્તા પાસે દવા કે વેન્ટિલેટર્સ નથી! બીજી તરફ વિશ્વના 2,153 લોકો પાસેની સંપત્તિ, વિશ્વના 4 અબજ, 60, કરોડ વ્યક્તિની સંપત્તિ બરાબર છે. આ ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ વૈશ્વિકીકરણ છે. જ્યાં આવું નથી ત્યાં ચિત્ર જુદું છે. ક્યુબામાં કોરોના તો નથી, પરંતુ વિશ્વના 62 દેશોમાં એમના ડૉક્ટર સેવા આપે છે. સમાજવાદી વૈશ્વિકીકરણ અને સામ્રાજ્યવાદી વૈશ્વિકીકરણનો આ ફરક છે.

કોરોનાથી માત્ર નાગરિકો જ નથી મરી રહ્યા. નાગરિક-જાગૃતિનું પણ મૃત્યુ થયું છે. 2019નું વર્ષ, 1848 કે 1967ની માફક વિશ્વમાં જનઆંદોલનથી ગૂંજતું વર્ષ હતું. ઘરઆંગણે JNU, શાહીનબાગ કે CAAની લડત નોંધી શકાય. આવી મહામારી તાનાશાહીને લડત દાબી દેવા મોકો આપે છે. આજે ‘પિંજરા તોડો’ની બહેનો પર, નવલખા કે આનંદ તેલતુંબડે જેવા લેખકો પર કાર્યવાહી થઈ રહી છે. સેંગર અને સાધ્વી પ્રજ્ઞા છુટ્ટાં ફરે છે, પણ સ્થળાંતરિત મજૂરો વિશે લખનાર હિમાચલના 6 પત્રકારો પર સરકાર FIR દાખલ કરે છે. ફેસબુક પર સરકારની ટીકા કરનાર કૈલાશ ભટ્ટની ધરપકડ કરાય છે! બીજી તરફ શ્રમકાનૂનને હળવા કરવા ઉદ્યોગપતિઓને ભરચૂર લોન માફી અને પછી લોન આપી, નવ જાહેર એકમોનું લીલામ પ્રજાના પ્રતિરોધ વિના કરી શકાય છે. કેન્યામાં કોરોના કરતાં પોલીસ ગોળીબારથી મરનારની સંખ્યા વધુ છે. કોલંબિયામાં પોલીસ અને  કેદીઓ સામ સામે આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં યોગીજી સ્થળાંતરિત મજૂરોને મદદ કરતા નથી, કરવા દેતા ય નથી! ધરપકડ પર ધરપકડ કરી રહ્યા છે.

લૉક ડાઉનમાં નાગરિક માછલીઘરની માછલીઓ જેવો થઈ ગયો છે. ઘણા એવું કહ્યા કરે છે કે કોરોનાએ અમીર-ગરીબનો ભેદ રહેવા દીધો નથી. આ એક ભ્રમ છે. વતનમાં નહીં જઈ શકનાર સુરતના મજૂરોએ આત્મહત્યા કરી છે. વતન જઈને માને પગે પડે, એ પહેલાં જ હાથ-પગ પર ટ્રેન ફરી વળી છે કિલોમીટરના કિલોમીટર આ ટોળાં ચાલી રહ્યાં છે. એમના રક્તથી રંજિત હાઈવે રૂપક બની ગયો છે. અમેરિકામાં મરનારામાંના 70 ટકા આફ્રિકન-અમેરિકન છે. નેતાઓ, અમીરોનો મૃત્યુઆંક શૂન્ય છે. આજીવિકા માટે ફાંફા પડતાં હોય તેમની વાત જુદી છે. સામાજિક દૂરતા ઝૂંપડપટ્ટીમાં સપનાં સમાન છે. ધારાવી ઝૂંપડપટ્ટીમાં 16 લાખ લોકો પણ રહે છે! મુકેશ અંબાણીની લોક ડાઉનમાં કમાણી 17 ટકા વધી છે. અમેરિકાનું ચિત્ર પણ આવું જ છે. ત્યાં કોરોનાને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે, તો બીજી તરફ ઉદ્યોગપતિની સંપત્તિમાં 434 અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે. એમેઝોનના CEO જેફ બેઝોસની સંપત્તિ 34.5 અબજ ડૉલર વધી. ફેસબુકના માર્ક ઝૂકસબર્ગની સંપત્તિ 25 અજબ ડૉલર વધી. અમેરિકાના શીર્ષસ્થ પાંચ ઉદ્યોગપતિઓ — જેફ બેઝોસ, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, લેરી એરિસન (ઓરેકલવાળા) અને વૉરેન બફેટની કુલ સંપત્તિમાં આ દિવસોમાં ૧૯ ટકા વૃદ્ધિ થઈ છે. જેમ પૂર આવે અને પછી એની તબાહીનાં દૃશ્યો નજરે પડે, એવી રીતે કોરોનાનો પ્રભાવ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે.

છતાં, અત્યારે પણ અમાનવીય દૃશ્યો નજરે પડી રહ્યાં છે. 60 વર્ષથી ઉપરના નાગરિકને સ્પેનમાં ICUની સગવડ માટે મનાઈ છે. ટ્રમ્પે પણ વૃદ્ધો માટે આવું જ કહ્યું છે. અમેરિકન અબજોપતિ ટોમ ગેલિસાનોએ 'બ્લૂમબર્ગને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થાને જાળવવા કેટલાંકે મરવું પડશે ! સંક્રમિત થઈને માંડ માંડ બચેલાં બ્રિટનના પ્રધાનમંત્રીએ પણ આવા જ ઉદ્ગાર કાઢેલા. ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલ 'હવે તો ભગવાન બચાવે તો ખરું' એ મતલબનું કહી રહ્યા છે. ગુજરાત હાઇ કોર્ટે ગુજરાત સરકારને ઓછાં ટેસ્ટિંગ બદલ ખખડાવી છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ દુષ્યંત દવેએ મજૂરોના સંદર્ભે સુપ્રીમ કોર્ટે એફિડેવિટની ચકાસણી ન કરી, તેની ટીકા કરી છે. ટ્રમ્પ પ્રાર્થનાઓ કરવાનું કહી રહ્યા છે. કોરોના સિવાયના દરદીઓ માટે સરકારી કે ખાનગી દવાખાના બંધ છે બિહારમાં 18 જિલ્લાઓમાં એક પણ વેન્ટિલેટર નથી. અમસ્તા પણ ભારતમાં પ્રતિ વર્ષ લાખો નાગરિકો આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે મૃત્યુ પામે છે. સંકટમાં આંકડો વધશે. 94 ટકા શ્રમશક્તિ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. ખબર નથી એનું શું થશે. ILOના અંદાજ મુજબ ભારતમાં 40 કરોડ લોકો બેરોજગાર થશે!

કોરોના ટેસ્ટિંગ ભારતમાં દસ લાખે 137, ઇટલી-જર્મનીમાં 15,000 પાકિસ્તાનમાં 262 અને શ્રીલંકામાં 152 ! આ શરૂઆતનો  આંકડો હતો. વળી, પરીક્ષણ ગંભીર રીતે થતાં નથી. કનિકા કપૂરે જ ક્રમશ: સાત વાર ટેસ્ટ કરાવવાં પડેલા! કોરોના પછીના ગાળામાં દુનિયાભરમાં પર્યાવરણ, સ્વાસ્થ્ય, ગરીબી, જળ-જંગલ-જમીનના આંદોલનો, મજૂરોને સુવિધા માટેની લડતો તીવ્ર બનશે. અત્યારે જ ભારતના મહાનગરોમાંથી મજૂરો ચાલ્યા જતાં ઝૂંપડપટ્ટી પર કબજો જમાવવા બિલ્ડર લૉબી સક્રિય થઈ ચૂકી છે.

14મી સદીમાં પ્લેગના કારણે 33 ટકા યુરોપ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી લોકોએ ચર્ચ પરથી આસ્થા ગુમાવી, જેને કારણે વૈજ્ઞાનિક ચેતના પ્રગટી અને નવજાગૃતિકાળ આવ્યો. કાશ, કોરોના પછી આપણે ત્યાં આવું કંઈક થાય. ઇતિહાસ ક્યારે ય 'આવજો' નથી કહેતો, 'ફરી મળીશું' એમ જ કહે છે.

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020

Loading

કોરોનાકાળમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ થકી વિદ્યાર્થીઓની કસોટી

સંજય ભાવે|Opinion - Opinion|31 May 2020

ગુજરાતના શિક્ષણ મંત્રીએ 24મેએ ખુદ ફેસબુક પર આવીને, અને અન્ય માધ્યમો દ્વારા, જાહેરાત કરી કે રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા લેવાનાર સ્નાતક અને અનુસ્નાતક સ્તરની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયનો થોડાંક વિદ્યાર્થી સંગઠનો, અધ્યાપક સંગઠનો, સેનેટસભ્યો, આચાર્યો અને અધ્યાપકો દ્વારા વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર વાંચવા મળ્યા છે. વિરોધનાં મુખ્ય અને દેખીતાં કારણો એકંદરે આ મુજબ છેઃ કોરોનાનો ચાલુ રહેલો ફેલાવો, અમદાવાદ-વડોદરા-સુરત જેવાં શહેરોમાં મોતની અને અસરગ્રસ્તોની સંખ્યા, હૉસ્ટેલમાં રહીને શહેરોની કૉલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા, હજારો વિદ્યાર્થીઓને સાંકળતી પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ-કૉન્ટૅક્ટ-ટ્રાન્સમિશનના પ્રશ્નો. આ દરેક પાસાની જટિલતા અને ગંભીરતાનો અંદાજ તેના અંગે અમસ્તો વિચાર કરવાથી પણ આવી શકે.

ગુજરાત સરકારે પણ આ નિર્ણય ‘કાળજીપૂર્વકની વિચારણા’ના અંતે લીધો છે, એમ શિક્ષણ વિભાગે 24 મેએ બહાર પાડેલાં ઠરાવમાં નોંધવામાં આવ્યું છે (જો કે ઠરાવમાં 26 મેએ બે સુધારા બહાર પાડવા પડ્યા છે.) આ ઠરાવમાં પરીક્ષાઓનાં આયોજન ઉપરાંત આગામી વર્ષમાં પ્રવેશ અને શિક્ષણકાર્ય અંગેના નિર્ણયો પણ વાંચવા મળે છે. રાજ્યમાં કોરોનાના સંદર્ભે પરીક્ષાના કલાકો, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક-સેનિટાઇઝર જેવા મુદ્દાનો ઉલ્લેખ આ પત્રમાં છે, પણ એનાથી વિશેષ કશું નહીં. કોરોના-કાળમાં પરીક્ષા લેવાનાં બધાંને સમજાતાં અનેકવિધ જોખમો શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ મંત્રીને કે તેમના ખાતાંના અધિકારીઓને સમજાયાં ન હોય, એમ માનવાની જરૂર નથી. તેને બદલે તેની ભૂમિકાને રાજ્યસત્તાના – ધ સ્ટેટના અથવા સાદા શબ્દોમાં કહીએ તો રાજ્ય સરકારના સંદર્ભમાં જોવાની જરૂર છે.  

અત્યારે ગુજરાત સરકાર કોરોના નિયંત્રણના મોરચે ટીકાનું નિશાન બની છે. કોરોનાના અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો, ટેસ્ટિંગની નીતિ અંગેના ગૂંચવાડા, સત્તાધારીઓની અંદરઅંદરની ખેંચતાણ, તેમની સાંઠગાંઠો, તેમની અણઆવડત, અમલદારોની પકડ, તબીબી અને પોલીસ કર્મચારીઓની અવહેલના જેવી બાબતોના સમાચાર રોજેરોજ આવતા રહે છે. અદાલતોને એક કરતાં વધુ વખત સક્રિયતા દાખવવી પડી છે. ગુજરાત મૉડેલનાં છીંડા ખુલ્લાં પડતાં જાય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર અનેક રીતે પોતાની કામગીરી સારી છે અને રાજ્યમાં સબ સલામત છે એવી છાપ ઊભી કરવા માટે ડેસ્પરેટ છે. પાન-તમાકુની દુકાનો ખોલવાની છૂટ, કેરી મહોત્સવ, જાહેર હૉસ્પિટલ કાર્યક્ષમ બનાવવા તેમ જ  ખાનગી હૉસ્પિટલો પર અંકુશ વધારવા પર ધ્યાન આપવાને બદલે આખા વિસ્તારોમાં સેનિટાઇઝેશનની (અલબત્ત, આવકાર્ય) કામગીરી પર ભાર, સંદિગ્ધ સમાંતર ઔષધોપચારની ઝુંબેશો, ‘હું પણ કોરોના વૉરિયર’ ઘોષણા જેવી બાબતો આ આલબેલના પોકારનો હિસ્સો છે. એ જ રીતે પરીક્ષાઓ લેવાય, એ પણ રાજ્યમાં બધું થાળે પડતું હોવાનો એક માપદંડ હોય છે.

આ માપદંડ કેટલો મહત્ત્વનો હોય છે અને તે જાળવવામાં રાજ્ય કેટલી હદે જઈ શકે છે, તેનો એક દાખલો ગોધરાકાંડને પગલે 2002માં થયેલા તોફાનો દરમિયાનનો એપ્રિલ-મેના સમયગાળામાંથી મળે છે. આ હિંસક સમયમાં પણ રાજ્યે પરીક્ષા લેવાની સંવેદનહીનતા બતાવી હતી. તેમાં ય એપ્રિલનાં પાછલાં બે અઠવાડિયામાં તો એક તબક્કે અમદાવાદનાં અનેક પોલીસ સ્ટેશનો હેઠળના વિસ્તારો કરફ્યૂમાં હતા, રમખાણોનો ભોગ બનેલાં પરિવારોના વિદ્યાર્થીઓ રાહતછાવણીમાં હતાં અને વારંવાર હિંસક બનાવો બની રહ્યા હતા. છતાં દસમા-બારમાની અને કૉલેજનાં કેટલાંક વર્ષોની પરીક્ષા ચાલુ હતી. એ વખતે, આવનાર સંજોગોનો અંદાજ બાંધીને ગુજરાત યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોએ અને આચાર્યોએ સરકારને આગોતરું આવેદનપત્ર પણ આપ્યું હતું, પણ સરકાર પર તેની કોઈ અસર થઈ ન હતી. સરકારને ઢંઢોળવાની કોશિશોમાં આ લખનાર અધ્યાપક તરીકે અને સરકારની જડતાને કારણે જે કંઈ બન્યું તેના વિશે લખવામાં લેખક તરીકે સામેલ હતો. અહીં એ પણ યાદ કરાવવું જોઈએ કે 1985માં ગુજરાતમાં અનામત બેઠકોની જોગવાઈ વિરુદ્ધનું હિંસક આંદોલન ઘણું લાંબું ચાલ્યું હતું. પણ એ સમયની સરકારે રમખાણોની વચ્ચે પરીક્ષા યોજી ન હતી. એ વખતે દસમા-બારમાની પરીક્ષાઓ ઑગસ્ટમાં અને કૉલેજોની પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં થઈ હતી.

અત્યારે માત્ર ગુજરાત જ નહીં, દુનિયાના ઘણાં હિસ્સાનાં સમયપત્રકો અવળસવળ થઈ ગયાં છે. એવા સંજોગોમાં ગુજરાત સરકારની કૉલેજોની પરીક્ષા બાબતની અધીરાઈ તેના ધીરજવાન તંત્ર સાથે સાથે બંધબેસતી નથી. તંત્રે લૉક ડાઉનને કારણે વંચિતોને પડેલી મુશ્કેલીના ઉકેલમાં કે લોકોની કોરોના ટેસ્ટિંગ જેવી બાબતે ધીરજવાળું વલણ અપનાવ્યું છે. પરીક્ષા યોજવામાં પણ તે યથાર્થ ધીરજ દાખવે તે જરૂરી છે. બધું સમુસૂતરું પાર ઊતરે તે દરેકનું સપનું હોય, પણ તે કોઈ વર્ગના ભોગે નહીં. દેશની સરકાર લૉક ડાઉનમાં સમીસૂતરી પાર ઊતરી, પણ વંચિતો અને કરોડો સ્થળાંતરિત શ્રમજીવીઓને ભોગે. રાજ્યની સરકાર વિદ્યાર્થીઓને ભોગે પરીક્ષા પાર પાડવાની સફળતા ન બતાવે, એવી સદેચ્છા સેવનારા અધ્યાપકો અનેક  છે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુ.જી.સી.)ની ગાઇડલાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યો છે, એ મતલબની વાત છે. જો કે યુ.જી.સી.એ એપ્રિલના આખરે બહાર પડેલી માર્ગદર્શિકાથી આપણો શિક્ષણ વિભાગ ઘણો અલગ પડે છે. જેમ કે, યુ.જી.સી.એ પરીક્ષાઓ શરૂ કરવા માટેની તારીખ 1 જુલાઈ સૂચવી છે, જ્યારે ગુજરાત સરકારે તે 25 જૂન નક્કી કરી છે. તે જ પ્રમાણે તમામ પ્રવેશ પ્રક્રિયા માટે યુ.જી.સી.એ આપેલ સમયગાળો 1 થી 31 ઑગસ્ટ 2020 સુધીનો છે. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ વિજ્ઞાન પ્રવાહમાં ઑનલાઇન પ્રવેશ ફૉર્મના વિતરણની શરૂઆત 26 મેથી થશે, એમ સરકારે જાહેર કર્યુ છે. ઍડમિશન કમિટી ફૉર પ્રોફેશનલ કોર્સેસ (એ.સી.પી.સી.) દ્વારા જે અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે, તેના સિવાયના બધા અભ્યાસક્રમો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તારીખ 15 જૂન જાહેર કરવામાં આવી છે. એકી સંખ્યાના સેમિસ્ટર શરૂ થવાની યુ.જી.સી.ની તારીખ 1 ઑગસ્ટ છે, જ્યારે પહેલું સેમિસ્ટર શરૂ થવાની યુ.જી.સી.એ જાહેર કરેલું છે. ગુજરાત સરકારે સેમિસ્ટર 3, 5 અને 7ના આરંભની તારીખ 21 જૂન જાહેર કરી છે, પણ પહેલાં સેમિસ્ટરના આરંભની તારીખ પરિપત્રમાં જોવા મળતી નથી. પરીક્ષાની શરૂઆત-યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – જુલાઈ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જૂન ૨૫, ૨૦૨૦. પ્રવેશપ્રક્રિયા – યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – જુલાઈ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – વિજ્ઞાનપ્રવાહઃ જૂન ૨૫, ૨૦૨૦થી, અન્ય શાખાઓ – જૂન ૧૬, ૨૦૨૦થી, શૈક્ષણિક કાર્યની શરૂઆત (સેમિસ્ટર ૩,૫,૭) – યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – ઑગસ્ટ ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જૂન ૨૧, ૨૦૨૦, શૈક્ષણિક કાર્યની શરૂઆત (સેમિસ્ટર ૧), યુ.જી.સી.એ જાહેર કરેલી તારીખ – સપ્ટેમ્બર ૧, ૨૦૨૦, ગુજરાત સરકારે જાહેર કરેલી તારીખ – જાહેર કરી નથી.

જો કે ગુજરાત સરકારના ઉપર્યુક્ત પરિપત્રમાં ‘મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં’ ‘મેરિટબેઝ્ડ પ્રોગ્રેશન’ની જોગવાઈની વિગતે સમજ આપવામાં આવી છે.

એ પણ નોંધવું જોઈએ કે નિષ્ણાતોએ જૂન-જુલાઈમાં કોરોનાકેસમાં ઉછાળા આવવાની સંભાવના બતાવી છે. તેમાં દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના વડા ડૉ. રણદીપ ગુલેરિઆ પણ છે. આપણે ત્યાં કોરોના ખૂબ કાબૂ બહાર જવા માંડ્યો હતો ત્યારે મે મહિનાના બીજા અઠવાડિયે ગુજરાત સરકારે ડૉ. ગુલેરિઆને વિશેષ માર્ગદર્શન માટે બોલાવ્યા હતા. તેમનાં સૂચનોને આપણી સરકાર અનુસરી કે નહીં તે તપાસનો વિષય બને છે. જૂન-જુલાઈમાં કોવિડ-૧૯માં ઉછાળો આવશે એવી સંભાવના દર્શાવનારામાં આ ડૉ. ગુલેરિઆ પણ છે. આ સંભાવનાનો ગુજરાત સરકાર પરીક્ષાના સંદર્ભમાં વિચાર કરશે ખરી? આમ તો, નિષ્પક્ષ નિષ્ણાતોને નહીં પૂછવા-સાંભળવા-માનવાની અહમ્‌કેન્દ્રીતા ઘણા શાસકોની તરેહ હોય છે. તેને કારણે ખરેખર તો કોરોના નિવારણ માટે જરૂરી લૉક ડાઉનની વંચિતવિમુખતાનો આપણા શાસકોને અંદાજ જ ન મળ્યો અને વંચિતલક્ષી આયોજન નહીંવત્ થયું. ચાર-ચાર લૉક ડાઉને ગરીબો અને સ્થળાંતરિત શ્રમિકોનાં જીવતરની દુર્દશા કરી. શિક્ષણમંત્રીએ પરીક્ષા અંગેની નીતિ જાહેર કરતા પહેલાં તેની સાથે સંકળાયેલા વર્ગોના પ્રતિનિધિઓ સાથે અધિકૃત ચર્ચાવિચારણા નહીં કરી હોવાની છાપ શિક્ષણખાતાના ઠરાવ પરથી ઉપજે છે. સામાન્ય સંજોગોમાં કૉલેજો પરીક્ષાકેન્દ્રો બને છે ત્યારે તેમાં બે કે ત્રણ પાળીમાં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા, પરીક્ષા કેન્દ્રોની સંખ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગની ગણતરી મુજબ પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં થનાર વધારો, વર્ગનિરીક્ષકોની સંખ્યામાં વધારો જેવી પાયાની બાબતોનો વિચાર સરકારે કર્યો નથી, એમ પણ સહજ રીતે ધારી શકાય.

આજે આ લખાય છે, ત્યારે વાંચવા મળે છે કે તેમણે પરીક્ષાના ઠરાવની જાહેરાત બાદ ચાર  દિવસે એટલે કે 29 મેએ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલર્સ સાથે વેબિનાર કર્યો, જેમાંથી ખાસ કંઈ નક્કર નીપજ્યું હોવાના સમાચાર નથી. રાજયના સહુથી મોટા, અને કૉરોનાનો સહુથી વધુ ભોગ બનનાર શહેરમાં વડું મથક ધરાવતી સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ પણ આ વેબિનારમાં કંઈ જણાવ્યું હોવાના સમાચાર નથી. આપણા રાજ્યના શિક્ષણ મંત્રીએ વેબિનારનું જે કામ પરીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત પછી કર્યું, તે કેન્દ્રના માનવસંસાધન વિકાસ મંત્રી રમેશ પોખ્રિયાલે પહેલાં કર્યું. તેમણે 29 મેની સાંજે દેશની શિક્ષણસંસ્થાઓ સાથે લાઇવ સેશન કર્યું. તે દરમિયાન ‘ફાઇનલ વર્ષની પરીક્ષાઓ થશે જ’ એમ ભારપૂર્વક જણાવવાની સાથે, તે જુલાઇમાં યોજાશે અને જો સંજોગો પ્રતિકૂળ હશે તો નવી તારીખો/પરીક્ષાપદ્ધતિની વિચારણા કરવામાં આવશે, એમ પણ જણાવ્યું. વળી ઉચ્ચ શિક્ષણ બાબતે તેમના અભિગમમાં લવચિકતા(ફ્લેક્સિબિલિટી)નો પાસ હતો, એમ સમાચાર વાંચતા જણાય છે. આવી લવચિકતા આપણા રાજ્ય પાસે પણ અપેક્ષિત છે. જી.પી.એસ.સી.એ તેની પરીક્ષાઓ 30 જૂન સુધી મોકુફ રાખી છે. ગુજરાતમાં મહેસૂલ, સંસદીય બાબતો અને કાયદાનાં પણ ખાતાં સંભાળનાર શિક્ષણ મંત્રીને તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે રાહત આપી છે. હવે તેમનું શિક્ષણ ખાતું  પરિપક્વ પુનર્વિચારણા સાથે ઉચ્ચ શિક્ષણ જગતને રાહત આપે તો સારું ! 

(30 મે, 2020)

e.mail sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020

Loading

...102030...2,3292,3302,3312,332...2,3402,3502,360...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved