Opinion Magazine
Number of visits: 9965626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતા

બારીન મહેતા|Opinion - Opinion|1 October 2020

આપણે અનેક મહાન વક્તાઓ, વિચારકો, ચિંતકો, લેખકો અને સર્જકોના સર્જકતા, સ્વાયત્તતા અને સ્વતંત્રતાવિષયક અનેક ઉદ્ધરણો અહીં મૂકી આપીને એ અંગે વાત કરી શકીએ અને કોઈ તારણ સુધી પહોંચી શકીએ. પરંતુ, એના કરતાં આજના વર્તમાનમાં બદલાતી અને બદલાઈ રહેલી પ્રવાહી પરિસ્થિતિના સંદર્ભમાં આપણા અનુભવનું ભાથું જ કામે લગાડીને આપણે જે કંઈ વાચ્યું-વિચાર્યું છે અને એક સમજણ ઘડવાની મથામણ કરી છે, એની વાત માંડીએ તો એ વધુ વ્યવહારુ તેમ જ ફળદાયી હોઈ શકે એમ લાગતા આ ત્રણ શબ્દના ઝૂમખા વિશે એક વિમર્શ અર્થે પ્રવૃત્ત થવાનું મુનાસિબ લાગ્યું છે.

જ્યારથી માનવ પોતે સર્જન કરવા લાગ્યો, ત્યારથી એનો મહિમા થવા લાગ્યો. એનું ગણિત બહુ સીધું છે. ત્યારે એ પૂરેપૂરો સ્વાયત્ત પણ હતો. આ સ્વાયત્તતા એની સ્વતંત્રતાને કારણે જ એને મળેલી હતી, પરંતુ જ્યારે એનું આ કે તે સર્જન એના સમાજ-કબીલાના વગદાર કે શક્તિશાળી જૂથને કઠ્યું કે એને એ જૂથ દ્વારા સૂચિત કરવામાં આવ્યું કે આ બરાબર નથી લાગતું! એથી ઊલટું આવા જૂથ દ્વારા એમને ગમે એ કરવાનું સૂચન થવા લાગ્યું અને આગળ જતાં એ આદેશ પણ બનવા લાગ્યું. આપણે જાણીએ છીએ કે આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે છે. તબક્કાવાર સમયસંદર્ભોના લાંબા કાળપટે સમાંતરે સર્જન અને સત્તાના પલટાતા દોર પછીના દોર દરમિયાન અનેક લીલીસૂકી આવી ગઈ તો પણ સર્જકતાની સ્વતંત્રતા અને સ્વાયત્તતા એનું ગજું કાઢતાં ગયાં અને એ છીનવવાની પ્રક્રિયાઓ થઈ, ત્યારે એનો અવાજ બુલંદ થયા કર્યો.

શ્રમ અને સર્જનને સીધો નાતો છે. સર્જન શ્રમ માગે છે. જેવું સર્જન એવો અને એટલો શ્રમ, એ આપણે જાણીએ છીએ. શ્રમ કોઈ પણ પ્રકારનો હોય, કંઈક ને કંઈક સર્જન એ એનું પરિણામ છે. માનવના આદિકાળથી માંડીને આજ સુધી આપણે શ્રમ અને સર્જનની વ્યાપક તપાસ કરીએ, તો એક બાબત સીધી સામે આવે છે કે કોઈ પણ આદેશ એ સર્જકની સ્વાયત્તતામાં અવરોધ ઊભો કરે, તો એ આડકતરી રીતે શ્રમને અને એની પાછળના સર્જક વિચારને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન હંમેશાં સત્તા દ્વારા થતો આવ્યો છે અને એટલે સત્તાપલટામાં સર્જકોનો અને શ્રમિકોનો ફાળો સ્વાતંત્ર્યના સંદર્ભમાં રહેલો છે. વિશાળ કાળપટે ક્રમશઃ એવું જોઈ શકાય છે કે શ્રમ અને સર્જનને વ્યવસ્થા, વહેંચણી અને ઉપાર્જનના સંદર્ભે અલગ કરવામાં-રાખવામાં આવ્યાં, શ્રમિકો અને સર્જકોને વેગળા કરવામાં આવ્યા. આ એક વરવા, સત્તાપરક અને વિભાજક રાજકારણની જ એક નીપજ છે. આજે આપણે શ્રમિકો અને સર્જકો વચ્ચે જે ભેદ પાડીએ છીએ, તે આવા વરવા વિભાજક સત્તાપરક રાજકારણને જ નિર્દેશે છે. આપણે ત્યાં આઝાદી પહેલાંના સમયમાં મોટે ભાગે જે કોઈ આંદોલનો થયાં એમાં શ્રમિકો અને સ્ત્રીઓને સાંકળવામાં આવતાં જ હતાં અને સર્જકો પણ એનો હિસ્સો હતાં, કહો કે એમાં એકવાક્યતા ઉમેરવામાં આવી હતી. કહો કે સમયની તાતી આવશ્યકતા પણ હતી. સર્વસમાવેશક લોકબળ એમાં હતું. એટલે તો ધર્મભેદ, કોમભેદ, વર્ગભેદને એમાં પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું. એમ ચોક્કસ કહી શકાય કે જ્યારે-જ્યારે ધર્મભેદ, કોમભેદ, વર્ણભેદ અને વર્ગભેદને વિભાજક રાજકારણે પ્રવૃત્ત કર્યા, ત્યારથી આજ સુધી એણે મોબલિંચિંગથી માંડીને રાષ્ટ્રદ્રોહ સુધી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને તે એટલે સુધી કે વ્યક્તિની સ્વતંત્રતાને હણવા સુધી લઈ જાય છે. હું કે પછી અન્ય કોઈ પણ જ્યારે ભેદનાં ચશ્માંથી પ્રેરિત બને ત્યારે સહુ પ્રથમ હોડમાં મુકાય છે વ્યક્તિની પોતાની સ્વતંત્રતા. પછી એ કોઈ પણ હોય; સામાન્ય જન, શ્રમિક, ધંધાદારી, વ્યવસાયી કે સર્જક. બીજા અર્થમાં એ રાજકારણથી પ્રેરિત થઈને એનું એક હથિયાર બની રહે છે. એનાં કાર્યોમાં પછી રાજકીય બૂ પ્રવેશી જાય છે અને એની સ્વાયત્તતા ઓળપાઈ જાય છે. સાથોસાથ એ અન્યોના અને ખૂદ પોતાનાં શ્રમ અને સર્જકતાને પણ જોખમમાં મૂકી દે છે.

આ મુદ્દાને જરા જુદી રીતે જોઈએ : જન્મદત્ત સ્વતંત્રતા પ્રત્યેકને મળેલી જ હોય છે, પરંતુ આધુનિક જગત, રાષ્ટ્ર, રાજ્ય એ પ્રકારના એકમોમાં એક અધિકાર લેખે, બંધારણની રુએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દરેક વ્યક્તિને આપવામાં આવ્યું છે અને એ એની વ્યક્તિ તરીકેની સ્વતંત્રતાના ભાગ તરીકે આપવામાં આવ્યું છે, ત્યારે એમાં મુકાતા કોઈ પણ પ્રકારના કાપ એ સ્વતંત્રતા સામેની એક પ્રક્રિયા થઈ ગણાય અને એ સત્તાપક્ષે વ્યક્તિની સ્વતંત્રતા ઉપર ધીમે-ધીમે મુકાતા કાપ સમાન જ હોય છે. આ સંદર્ભમાં આપણે કોઈ પણ સર્જકની સ્વયત્તતાને સમજીએ, તો કઈ રીતે સમજીએ? અને એવા સર્જકોની સાહિત્ય અકાદમી સ્વાયત્ત હોય અને એ સ્વાયત્તતા રાજસત્તા છીનવી લે, તો એને કઈ રીતે સમજાય-જોવાય ? એ ઉપરાંત, લોકશાહીપ્રથા હોવા છતાં રાજસત્તા પોતાની મનમાની કરે; તો સર્જકોએ શું કરવું જોઈએ ? આજે આપણે ગુજરાતના સાહિત્યસર્જકો એક એવા પ્રકારની સ્વાયત્તતા ગુમાવી ચૂક્યા છીએ કે જે પરત મેળવવી એ સહુ સર્જકોની ફરજ પણ બને છે, કારણ કે સ્વાયત્તતા હોવી એ અનિવાર્ય આવશ્યકતા છે. અકાદમીની સ્વાયત્તતા ગુમાવ્યાને અઢાર વર્ષો વીતી ગયાં છે. સાહિત્ય પરિષદે ૨૦૦૭માં એ અંગે ઠરાવ કરેલો. પછી ૨૦૧૫થી અમુક સ્વાયત્તતાપ્રેમી સર્જકોએ સાથે મળી સ્વાયત્ત અકાદમી-આંદોલન સક્રિય કર્યું. પરિષદ એમાં ક્રમશઃ સંકળાવા લાગી. આંદોલનના તબક્કાવાર ચઢાવો પછી પરિષદ હવે પૂરેપૂરી સક્રિય થવા જઈ રહી છે. ૨૦૧૯ના જ્ઞાનસત્રમાં ઠરાવો પણ થયા. હવે એ અંગેના ઠરાવ અને શ્રેણિબદ્ધ કાર્યક્રમો અંગેની પગલાં સમિતિ ઘડાઈને સક્રિય થવામાં હતી, ત્યાં જ કોરોનાકાળ શરૂ થયો, લૉકડાઉન આરંભાયાં. હવે તો સર્જકે અને એની સાથે સંલગ્ન સંસ્થાઓએ પોતાની સ્વાયત્ત સ્વતંત્રતાબળે કરીને એ પરત મેળવવા જે કરવું જોઈએ તે કરવા માટે સર્જક મિજાજ સાથે પ્રવૃત્ત થવાનું રહે. એક સાહિત્ય સર્જકોના એકમ લેખે પરિષદે પરિણામલક્ષી પણ હોવું ઘટે. એટલે એના કાર્યક્રમોમાં જોમ અને નર્મદ કથિત જોસ્સો, ગાંધીપ્રેરિત અપીલ, ઉમાશંકર-દર્શક જેવી દૃઢતા અને નિરંજન ભગત જેવી સ્વકીય મૂલ્યનિષ્ઠા અને એકનિષ્ઠા હોવાં જાઈએ.

આજે ૨૦૨૦નો છેલ્લો તબક્કો ચાલે છે. માથા ઉપર પરિષદ-પ્રમુખના પદ માટે ત્રિપાંખિયો જંગ મંડાઈ ચૂક્યો છે. આ સમય પ્રત્યેક સર્જકે પોતાની જાતને તપાસવાનો પણ છે. સ્વાયત્તતા વિનાની સર્જકતાનું કાઠું કેટલું બળવત્તર ? આ સવાલ એ કોઈ રાજકીય પક્ષનો નથી, સર્જકોનો પોતાનો છે : પોતાને શું ખપે છે, સરકારી સૂચનપરસ્તી કે કોઈ સત્તાધારી પક્ષની દોરવણી? સંભવ છે કે એ માટે નાણું મળે, છતાં એમાં સર્જકની સ્વાયત્તતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ક્યાં ? અમુક સર્જકો કોઈ પક્ષને માનતા હોય. એ પક્ષ સર્જક અને એની સંસ્થાની સ્વાયત્તતામાં ના માનતો હોય અને એનાથી વિરુદ્ધ સત્તાબળે પોતાનાં પક્ષીય ધોરણો આવી સંસ્થાઓમાં સ્થાપવા માગતા હોય. છેવટે તો સર્જક તરીકે એ સર્જકને પણ અસર કરશે જ, જે એ રાજકીય પક્ષમાં માનતો હોય. લોકશાહીમાં આવાં રાજકીય વલણો અંતે તો સર્જકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વાયત્તતાને જ નેસ્તનાબૂદ કરવા ભણી લઈ જાય છે. વ્યાપક રીતે વિચારીએ તો કોઈ પણ દેશની રાજકીય સ્થિતિ એના સ્વતંત્ર નાગરિકો ઉપર નિર્ભર હોય છે. સર્જકો પણ નાગરિકો જ છે. આપણા દેશની હાલની તમામ સરકારી ગતિવિધિઓ જોતાં માત્ર સર્જકોના જ નહીં, નાગરિકોની સ્વાયત્તતાના સવાલો ઊભા થઈ ચૂક્યા છે, ત્યારે સર્જકે રાજકીય પક્ષના ઓઠે રહેવાનો કશો અર્થ નથી. એણે તો જેવી છે તેવી, એની પોતાની અને એની સાથે સંલગ્ન તમામ સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતા અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય અંગે ના કેવળ સચેત થવાની જરૂર છે, પરંતુ એ અંગે સક્રિય ભાગીદારી કરી એવાં બળોને સાથ આપવાની જરૂર છે, જે સ્વાયત્તતા માટે મથે છે, સંઘર્ષ કરે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 05-06

Loading

ફોજદારી કાયદાના સુધારામાં ‘ફોજદારી’ ના ચાલે

સુબોધ પરમાર|Opinion - Opinion|30 September 2020

કોરોના મહામારીના કાળમાં સરકારો દેશના લોકશાહી મૂલ્યોનો મૃત્યુઘંટ વગાડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ધારાગૃહો બોલાવી શકાય એમ નથી, એમ કહીને વટહુકમોના બહાને બંધારણીય મૂલ્યો અને લોકશાહી સાથે છડેચોક બે-રોકટોક ચેડાં કરી રહી છે એ ખરેખર આવનારા દિવસોનું ચિંતા ઉપજાવે તેવું ચિત્ર છે. કોરોના મહામારીનો કપરો કાળ સરકાર માટે વરદાનરૂપ સાબિત થયો છે. વટહુકમના નામે સત્તાનો બેફામ ઉપયોગ થાય છે.

ફોજદારી કાયદામાં સુધારા માટે સમિતિ

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ભારત સરકાર દ્વારા તા. ૪ મે, ૨૦૨૦ના નૉટિફિકેશનથી ફોજદારી કાયદાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય કક્ષાની પાંચ સભ્યોની સમિતિ, નેશનલ લૉ યુનિવર્સિટી, દિલ્હીના કુલપતિ રણબીર સિંઘના અધ્યક્ષસ્થાને રચવામાં આવી છે. તે લગભગ દોઢસો વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહેલા ફોજદારી કાયદાઓનું પુનઃઅવલોકન કરીને હાલની સામાજિક સ્થિતિ અને બંધારણીય ભાવનાને સુસંગત હોય તે રીતે સુધારા સૂચવશે.

ભારતીય ફોજદારી ધારાની વ્યાખ્યાઓ, સજાનો પ્રકાર, સજાનો દર, સામાન્ય અપવાદો, પુનઃનિરીક્ષણ, ફેરફાર, નવા સ્વરૂપોનું ઉમેરણ-બાદબાકી, ભારતીય ફોજદારી ધારાના પ્રકરણ-૩માં સમાવિષ્ટ સજાના માળખાનું પુનઃનિરીક્ષણ અને પુનઃવિચારણા, ઇન્ડિયન પિનલ કોડમાં ઉમેરવા અને બાદ કરવાલાયક ગુનાઓની ઓળખ, ઇ.પી.કો.ના ગુનાઓનું પુનઃ.વર્ગીકરણ જેવા મહત્ત્વના અને દરેક નાગરિકને અસર કરતાં સુધારા કરવાની હિલચાલ ચાલી રહી છે.

સમિતિ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર(ફોજદારી કાર્યરીતિ સંહિતા)ના માળખામાં સુધારા કરીને ફક્ત પીડિત અને આરોપીઓના અધિકારો વિષે જ નહીં, પણ જનતાની સુરક્ષાને પણ આવરી લે. સી.આર.પી.સી.ની મૂળભૂત વ્યાખ્યાઓ અને વર્ગીકરણમાં સુધારો કરવો પુરાવાના કાયદામાં પુરાવાની ગ્રાહ્યતા, સાબિતીનો ભાર, ઈલેક્ટ્રોનિક પુરાવાની ગ્રાહ્યતા, ફોરેન્સિક વિજ્ઞાનની હાલની ટેક્નોલોજીને અનુરૂપ કાયદાની જોગવાઈઓને સુધારવા બાબતે વિચારણા કરશે. અગાઉની સમિતિઓ અને કમિશનના અહેવાલો અને ભલામણોની સમીક્ષા કરીને જ્યાં કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ ના હોય ત્યાં ન્યાયિક ચુકાદાઓ સાથે સુસંગત રહીને કાયદામાં સુધારા કરવાની બાબત પણ વિચારશે.

દોઢસો વરસ જૂના કાયદામાં દોઢ દિવસમાં સુધારા?

અંગ્રેજોના જમાનાના અપરાધિક કાનૂનોની સંહિતામાં ઇન્ડિયન પિનલ કોડ, ૧૮૬૦, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ૧૯૭૩ અને ઇન્ડિયન એવિડન્સ એકટ, ૧૮૭૨નો સમાવેશ થાય છે. ભારતના ફોજદારી કાયદાઓ અપરાધની સજા માટે રચાયેલા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, મારપીટ, લૂંટ, અપહરણ, છેતરપિંડી ચોરી જેવા ગુનાઓની સજા અને પોલીસ કાર્યવાહી ફોજદારી કાયદાઓ અન્વયે થાય છે. હાલના કાયદા અને કાર્યવાહી અપરાધનો ભોગ બનેલા ને બદલે અપરાધી તરફ ઝૂકેલા છે. તેથી તેમાં સુધારા જરૂરી છે. પરંતુ હાલના મહામારીના સમયમાં સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તે ટીકાપાત્ર છે. સમિતિને માત્ર છ માસમાં પોતાનો રિપોર્ટ જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે સમિતિએ લોકો સાથે ચોથી જુલાઈથી ઑનલાઈન પરામર્શ શરૂ કર્યો છે. આગામી ત્રણ મહિનામાં તે પૂર્ણ કરીને છ માસમાં રિપોર્ટ જમા કરાવવાની તજવીજ હાથ ધરી છે.

સામાન્ય રીતે આ પ્રકારના સુધારા કરવા માટે લૉ કમિશનની રચના કરવામાં આવે છે, જેમાં સરકારી અધિકારીઓ ઉપરાંત વિષયનિષ્ણાતો અને ધારાશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. લૉ કમિશન ત્રણ વર્ષ સુધી લોકો સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ કરીને રિપોર્ટ આપે છે. કાયદા મંત્રાલય આ રિપોર્ટનો અભ્યાસ કરીને તેને સંસદમાં મૂકે છે. પરંતુ, હાલ તો સરકારે નેશનલ લૉ યુનિવર્સિટીના કુલપતિને આ કામ સોંપ્યું છે અને છ મહિનાનો ટૂંકો સમય આપ્યો છે. તેથી સરકારની મંશા સામે સવાલો ઉઠાવીને સમગ્ર પ્રક્રિયા અંગે સમાજના વિવિધ વર્ગો, સામાજિક સંસ્થાઓ, ક્ષેત્ર નિષ્ણાતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

સુધારણા સમિતિનો સાર્વર્ત્રિક વિરોધ

બાર કાઉન્સિલ ઑફ દિલ્હી દ્વારા સૌ પ્રથમ આ સમિતિમાં વકીલોની અને વકીલમંડળની થયેલી અવગણના બાબતે વાંધો લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશો અને સિનિયર વકીલો દ્વારા સમિતિના સભ્યોમાં વિવિધતાનો અભાવ, મર્યાદિત સમય, સુધારણાના હેતુઓમાં સ્પષ્ટતાનો અભાવ જેવી બાબતોએ પણ  વિરોધ છે.

દેશના મહિલાઓના બાર દ્વારા કમિટીના ગઠનનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને નવેસરથી કમિટી બનાવવાની માગ ઉઠાવવામાં આવી છે. દિલ્હી, બૉમ્બે, કલકત્તા, બેંગલોર અને મદ્રાસ હાઇકોર્ટનાં ૧૧૨ મહિલા વકીલોએ આ કમિટીના ચેરમેનને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે સુધારણા સંસ્થાનવાદ પછીના અને બિનપિતૃસત્તાક પાસાં ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓમાં સુધારણા કરવાનું વિચારી રહી છે તેમાં મહિલા, લઘુમતી અને સમાજના હાંસિયામાં ધકેલાયા વર્ગનું પ્રતિનિધિત્વ જાળવવામાં આવ્યું નથી.

સમિતિએ પરામર્શ માટે પ્રશ્નોત્તરીની કાર્યપદ્ધતિ અપનાવી છે. તેથી આ બાબતમાં મુક્ત રીતે ચર્ચા કરીને સુધારાઓમાં કોને મહત્ત્વ આપવુ તેના વિચારને બદલે સમિતિ દ્વારા અગાઉથી જ સુધારાઓ નક્કી કરવામાં આવ્યા છે અને તેના પર લોકમત લેવાની નીતિ અપનાવી છે.

જુલાઇ ૮, ૨૦૨૦ના રોજ ૬૯ પૂર્વ ન્યાયાધીશો, નિવૃત્ત નોકરશાહો, જાણીતા વકીલો, શિક્ષણ અને કાયદાવિદોએ સમિતિને તેની રચના, કાર્ય અને પરમર્શનમાં સંપૂર્ણ પારદર્શિતા, વિશ્વનીયતા અને પ્રતિબદ્ધતા દર્શાવવા અનુરોધ કર્યો. જુલાઇ ૯, ૨૦૨૦ના રોજ ઇન્દિરા જયસિંઘ, પ્રિયા હિંગોરાની, ગાયત્રીસિંઘ અને અન્ય નામી મહિલા વકીલોએ મહિલા પ્રતિનિધિત્વના મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. (સમિતિમાં એક પણ મહિલા સભ્ય નથી!) આ ઉપરાંત, દલિત, ધાર્મિક લઘુમતી, દિવ્યાંગ વકીલો, એલ.જી.બી.ટી. અને સમાજના પાયાના કાર્યકરોની ઉપેક્ષા વિશે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ઓગસ્ટ ૧૩, ૨૦૨૦ના રોજ નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટના ગૃહમંત્રી જોગ પત્રમાં પણ પ્રતિનિધિત્વના મુદ્દાની વાત કરવામાં આવી. ઓગસ્ટ ૨૧, ૨૦૨૦ના સોથી વધુ શિક્ષણવિદોના પત્રમાં સમિતિની સમગ્ર પ્રક્રિયા મુદ્દે વાંધા અને મંતવ્યો જણાવાયાં હતાં. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુરે પણ એક ઈન્ટરવ્યૂમાં પારદર્શિતા મુદ્દે સવાલો ઉપસ્થિત કર્યા છે.

ફોજદારી કાયદાઓમાં સુધારા કરવા માટે અગાઉ માધવ મેનન અને મલીમથ સમિતિની રચના કરવામાં આવેલી. વાજપાઈ સરકારે રચેલી મલીમથ સમિતિએ તેનો અહેવાલ ૨૦૦૩માં સુપરત કરેલો, જેનો ક્યારે ય સ્વીકાર કરવામાં આવ્યો નથી.

શા માટે સુધારા સમિતિનો વિરોધ ?

હાલની સમિતિને વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે, પોતાના વાંધા-વિરોધ વ્યક્ત કર્યા છે તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

૧. સમયમર્યાદા જસ્ટિસ મલીમથ કમિટીએ આ જ પ્રકારના સુધારા સુચવવા લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લીધેલો ત્યાર બાદ જ સુધારા સૂચવી શકાયેલા, જ્યારે હાલની કમિટીને આ કામ માત્ર છ માસમાં પૂરું કરવાનું સરકારનું ફરમાન છે.

૨. કાર્યપદ્ધતિ લોકસંવાદિતાનો અભાવ:  સમગ્ર પ્રક્રિયામાં લોકપરામર્શ પ્રશ્નોત્તરી મારફત થઈ રહ્યો છે, જે અલગ-અલગ સમયે છ ભાગોમાં વહેંચીને પ્રસારિત કરવામાં આવે છે. શરૂઆતમાં આ પ્રશ્નોત્તરી સંદર્ભે વાંધા રજૂ કરવા માત્ર ૨૦૦ શબ્દોની મર્યાદા જ આપવામાં આવેલી. ભારે વિરોધને પગલે જુલાઇ ૮, ૨૦૨૦ની નોટિસથી તે દૂર કરવામાં આવી છે. સમિતિએ પ્રસારિત કરેલા પ્રશ્નો ઉપરથી આવ્યા હોય એ પ્રકારના છે. હકીકતમાં તે સામાન્ય રીતે લોકો સાથે ચર્ચા કરીને પછી નક્કી કરવા જોઈએ. અહીં તો બધા પ્રશ્નો સમિતિએ આપ્યા છે. જે લોકો ફોજદારી કાયદાઓમાં પોતાનું ‘એક્સપર્ટ’ તરીકે રજિસ્ટ્રેશન કરાવશે તેમને જ સૂચનો કરવાની તક મળવાની છે. જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે તે અત્યંત લાંબી છે ને માત્ર ‘એક્સપર્ટ’ લોકો માટે જ ખુલ્લી છે. આ સુધારા વિશે મંતવ્યો જણાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમાં સંસ્થાનું નામ અને હોદ્દો જણાવવો પડે. આ બધું criminallawreforms.in નામની વેબસાઇટ પર અંગ્રેજીમાં જ મૂકવામાં આવી છે. એનો અર્થ કે વિમર્શમાં માત્ર અંગ્રેજી ભાષાના જાણકાર જ જોડાઈ શકશે (કાશ, આ કાયદા પણ જેમને અંગ્રેજી આવડતું હોય તેમને જ લાગુ પડવાના હોત!) અંગ્રેજી સિવાયની ભાષા જાણતા અને ઇન્ટરનેટ વિનાના છેવાડાના માણસને આ વિમર્શમાંથી બાદ કરી દેવામાં આવ્યો છે.

૩. કમિટીની રચનામાં વિવિધતાનો અભાવ સૌએ એકસૂરે કમિટીની રચનાને વખોડી છે. તમામનું કહેવું છે કે આ કમિટીમાં વિવિધતાનો સદંતર અભાવ છે. એ વાત સર્વવિદિત છે કે આ સુધારણાની સમાજના અલગ અલગ ક્ષેત્રના લોકો પર જુદી જુદી અસર થવાની છે. ત્યારે આ કમિટી જે માત્ર પાંચ પુરુષ સભ્યોની બનેલી છે એમાં દલિત, આદિવાસી, LGBTQIA+, દિવ્યાંગો, મહિલાઓ, કર્મશીલો વગેરેના પ્રતિનિધિત્વના નામે મીંડુ છે. આ કમિટીની રચના સંદર્ભે જે પત્રો લખવામાં આવ્યા છે, તેમાં એવો આક્ષેપ થયો છે કે આ પાંચેય પુરુષો ભારતીય સમાજના ભદ્ર વર્ગમાંથી આવે છે અને કહેવાતી ભદ્ર એવી દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટી સાથે ઘરોબો ધરાવે છે તેથી તેઓ સમાજના દરેક વર્ગના ફોજદારી કાયદાઓ સંબંધિત પ્રશ્નોને વાચા આપી શકશે એવો વિશ્વાસ સંપાદિત નથી કરી શકતા. લૉ કમિશનની માફક આ કમિટીમાં કોઈ પૂર્ણકાલીન સભ્યો નથી. આ તમામ સભ્યો પોતાની વ્યાવસાયિક ઉપરાંત વધારાની ફરજના ભાગરૂપે આ કામ કરી રહ્યા છે. તે સ્થિતિમાં સમિતિ માત્ર છ માસના સમયગાળામાં ૧૫૦ વર્ષથી વિકસિત થયેલા આ કાયદાઓને કેવી રીતે યોગ્ય અને અસરકારક રીતે સુધારી શકશે? એક માગ એ પણ ઊઠી છે કે સમાજના વિવિધ તબક્કાના લોકો ઉપરાંત હાઇ કોર્ટ અને જિલ્લા કોર્ટોના પૂર્વ ન્યાયાધીશોને પણ આ કમિટીમાં સમાવવા જોઈએ.

૪. સુધારણાનો સમય ૧૫૦ વર્ષથી જૂના કાયદાઓ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે બંધબારણે સુધારવાની કાર્યપદ્ધતિ કેટલી યોગ્ય છે? લોકોના જીવન સાથે જોડાયેલા કાયદાઓમાં સુધારણા કરવા માટે વ્યાપક પ્રમાણમા સહમતી અને ભાગીદારી જરૂરી છે. જ્યારે સમગ્ર દેશ લોકડાઉન વચ્ચે મજૂરોની કફોડી પરિસ્થિતિ અને તૂટતાં અર્થતંત્રનો સાક્ષી બની રહ્યો હોય એવા સમયે અચાનક આ કાયદાઓમાં સુધારણા કરવાની નોટિસ એ સરકારના લોકશાહીવિરોધી માનસની ચાડી ખાય છે. સમગ્ર ન્યાયતંત્રની કાર્યવાહી અત્યારે પૂરી સક્રિયતા-પૂરેપૂરી ક્ષમતા સાથે ચાલતી ન હોય, ત્યારે અતિ મહત્ત્વના કાયદાઓમાં સુધારણા કરવાની સરકારને કેમ ઉતાવળ છે એ સમજાતું નથી.

૫.પારદર્શિતાનો અભાવ સમિતિને મર્યાદિત સમયમાં કામ કરવાનું છે. પરંતુ હજી સુધી કમિટીના ટર્મ ઑફ રૅફરન્સ લોકો સમક્ષ મૂકવામાં આવ્યા નથી. કમિટીની રચના માટેના કોઈ પ્રસ્તાવ અને એની પર શું ચર્ચા કરવામાં આવી તથા કમિટીના સદસ્યોની પસંદગી કેવી રીતે કરવામાં આવી એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી નથી. જે પ્રશ્નોત્તરી મૂકવામાં આવી છે તે લોકો સમક્ષ મૂકવાના બદલે, ફક્ત કહેવાતા ‘એક્સપર્ટ’ માટે જ ખુલ્લી મૂકવામાં આવી છે. સરકાર અને કમિટી આ પ્રશ્નોત્તરી અંગે લોકોનાં સૂચનો મંગાવીને પછી કઈ પ્રક્રિયા અનુસરીને આ કાયદાઓમાં સુધારો કરવાની છે અને કમિટીના રિપોર્ટનું શું કરવાની છે એ બાબતે પણ કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો. કમિટી દ્વારા જે અંતિમ અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે તે સંદર્ભે લોકોને કોઈ વાંધા-સૂચનો હોય તો એ તક લોકોને મળવાની છે કે કેમ, એ પ્રશ્નનો જવાબ પણ અધ્ધરતાલ જ છે.

૬. પ્રથમ લો કમિશન સાથે સરખામણી ભારતના પ્રથમ લૉ કમિશને છ હજાર કરતાં પણ વધારે પ્રશ્નોત્તરીની નકલો વ્યક્તિગત, હાઇ કોર્ટ-બાર એસોસિયેશન-ચેમ્બર ઑફ કૉમર્સ વગેરે સંસ્થાઓમાં વહેંચી હતી, ૧૪ હાઇ કોર્ટની મુલાકાત લીધેલી. ૧૪ રાજ્યોના બે-બે સભ્યોનો સમાવેશ કર્યો હતો અને ૪૭૩ વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. આ બધુ એ વખતે થયેલું, જેનું ભૂત વર્તમાન પ્રધાનમંત્રીને કામ કરવા નથી દેતું! જ્યારે હાલમાં લોકોની સહભાગિતા ફક્ત ઇન્ટરનેટના માધ્યમ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે.

સમિતિ સર્વસમાવેશી અને પારદર્શી બને

કમિટી જે પ્રશ્નો પર સૂચનો મંગાવવા ઇચ્છતી હોય તે બધા પ્રશ્નો એકસાથે જાહેર કરી દેવા. ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ભારતીય પુરાવાનો કાયદો એ તમામ એકબીજા સાથે જોડાયેલા છે. જેથી એક કાયદામાં અમુક સુધારણાથી એની સાથે જોડાયેલા બીજા કાયદાઓમાં શું અસર પડશે અને આની લોકો પર શું અસર થવાની છે એ જાણ્યા વગર જ અલગ-અલગ પ્રશ્નો પૂછીને એના જવાબો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાથી વિપરીત પરિણામો આવવાની શક્યતાઓ રહેલી છે જેથી આ ગૂંચવણ સત્વરે નિવારવી જોઈએ.

જે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે એના પર પ્રતિક્રિયા, વાંધા-સૂચનો આપવા માટે ઓછામાં ઓછો ત્રણ માસનો સમયગાળો આપવામાં આવે. જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે એ તમામ ભારતીય ભાષાઓમાં જાહેર કરવામાં આવે. સમાજના વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓને સમાવવામાં આવે તથા કમિટી દ્વારા જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે તેમાંથી અમુક પ્રશ્નોની બાદબાકી તથા નવા પ્રશ્નોનો ઉમેરો કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. કમિટીને મળેલા તમામ પ્રતિભાવ વેબસાઇટ પર જાહેર કરવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ અંગે યથાયોગ્ય કાર્યવાહી કરવાને બદલે આપખુદ પદ્ધતિથી કામ લેવામાં આવશે તો તે સરકારની બિનલોકશાહી નીતિરીતિનો વધુ એક નમૂનો બની રહેશે.

subodhparmar90@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 09-12

Loading

દવા એ જ દારૂ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 September 2020

'હેલો, આ એકટ્રેસોનું શું છે?'
'શું હોય? બધીઓ માંદી છે.'
'મેં તો જુદું જ સાંભળ્યું છે.'
'શું?'
'એ જ કે બધી ડ્રગ્સ લે છે.'
'તે બરાબર જ છેને ! '
'એ કઈ રીતે?'
'માંદી હોય તો જ ડ્રગ્સ લેને!'
'હેલો, તું ડોબીની ડોબી જ રહી !'
'તે કઈ રીતે?'
'હું દવાની નહીં, 'ડ્રગ્સ'ની વાત કરું છું.'
'ડોબી હું નથી, તું છે.'
'તે કઈ રીતે?'
'હવે માંદા હોય તે જ ડ્રગ્સ લે એવું નથી.'
'એમ? તો, તો કાલથી હું પણ લઈશ.'
'હવે તો લોકો જુદી રીતે નશો કરે છે.'
'મને તો ખબર જ નહીં !'
'તો શું? આ લોકો તો ખાંસીના સિરપ લે છે,'
'તે તો ખાંસી રોકવા હશે.'
'કપાળ તારું. ખાંસી રોકવા આખી બાટલી ?'
'ઓત્તારીની ! આ હાળું ખરું.'
'લોકો તો સિરપમાં સોડા નાખીને ઢીંચે છે.'
'એ ખરું. દવાની દવા ને નશાનો નશો.'
'દવા ને દારૂ એ બધું જુદું નથી કૈં !'
'હા, હવે તો દવા જ દારૂ થઈ ગઈ છે !'

૦

દંડને દંડવત …

૦

પોલીસ : એઈ, માસ્ક ક્યાં છે?
ચોર : આ રહ્યું.
પોલીસ : તે ગજવામાં કેમ રાખ્યું છે?
ચોર : માસ્ક ચોરેલું છે.
પો : તે પહેર્યું કેમ નથી?
ચો : પહેરું તો ચોર લાગુને !
પો : એ તો મંત્રીઓ પણ પહેરે, ને તું તો ચોર જ –
ચો : ચોર નથી. ખાલી માસ્ક ચોર્યું છે.
પો : તે ચોર જ કહેવાય.
ચો : સોરી. માસ્ક ચોર્યું, પણ પહેર્યું નથી.
પો : પહેર્યું કેમ નથી?'
ચો : પહેરતાં આવડતું નથી.
પો : પહેરાવી આપું. બોલતો કેમ નથી?
ચો : થેંક યુ !
પો : એઈ, જાય છે ક્યાં?
ચો : હવે શું છે?
પો : દંડ લાવ.
ચો : શેનો દંડ?
પો : માસ્ક નથી પહેર્યું તેનો.
ચો : આ શું, માસ્ક પહેરેલું તો છે.
પો : પહેલાં નો'તું પહેર્યુને !
ચો : હવે તો પહેરેલું છેને !
પો : તે નહીં ચાલે.
ચો : તો કાઢી નાખું?
પો : બકવાસ નહીં ! ફાઈન ભર ! 
ચો : ફાઈન? વેરી ફાઈન !
પો : વેરી ફાઈન નહીં, ફાઈન !  દંડ !
ચો : કેટલો?
પો : હજાર રુપિયા !
ચો : પૈસા જ નથી.
પો : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ ચાલશે.
ચો : કાર્ડ હોત તો માસ્ક શું કામ ચોરતે ?

૦ 

અટપટું ચટપટું

૦

'પપ્પા, આ વિચિત્ર લિંક ભણવામાં આવી છે.'
'અરે ! આ તો deoએ મોકલી છે ! '
'એ શું છે?'
'એ પોર્ન લિંક છે.'
'એટલે શું? સમજાયું નહીં.'
'એ તો તારા deoને પણ સમજાયું નથી.'
'આવું મારે ભણવાનું?'
'મારે ભણવાનું તે તને મોકલી દીધું લાગે છે.'

૦

'હવે દાળ-શાક આવશ્યક ચીજોમાંથી પણ બાકાત?'

'હા. ગરીબો માટે ઝેર જ આવશ્યક રહ્યું છે હવે તો!'

૦

૦૦૦   

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 30 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,2702,2712,2722,273...2,2802,2902,300...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved