Opinion Magazine
Number of visits: 9965633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—65

દીપક મહેતા|Opinion - Opinion|10 October 2020

ચર્ની રોડ સ્ટેશન અને સરસ્વતીચંદ્ર નવલકથા વચ્ચેનો સંબંધ

મુંબઈમાં કેનેડી સી ફેસ ક્યાં આવેલો?

જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો

બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે પરનું ૧૮૬૭માં બંધાયેલું ચર્ની રોડ સ્ટેશન. તેના પછી વીસ વર્ષે, ૧૮૮૭માં પ્રગટ થયેલી ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી અને માનીતી નવલકથા સરસ્વતીચંદ્ર (ભાગ ૧). આ બે વચ્ચે કશો સંબંધ ખરો? હા. આ નવલકથાના પાયામાં જે ઘટના રહેલી છે તે ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન જોડાયેલું છે. આ ઘટના તે કથાનાયક સરસ્વતીચંદ્ર ઉર્ફે નવીનચંદ્રનો ગૃહત્યાગ. પિતા લક્ષ્મીનંદનનું ઘર છોડીને સરસ્વતીચંદ્ર નીકળી પડ્યો ન હોત તો પછીની કોઈ ઘટના બની શકી જ ન હોત. અપર માનાં મેણાંટોણાંથી કંટાળેલો સરસ્વતીચંદ્ર ઘર છોડવાનું નક્કી કરે છે અને પોતાના આ નિર્ણયની જાણ નિકટના મિત્ર ચંદ્રકાન્તને પત્ર દ્વારા કરે છે. એ પત્રમાં બીજી કેટલીક વાતો ઉપરાંત લખ્યું છે કે ‘મારી શોધ કરીશ નહિ.’ પિતા લક્ષ્મીનંદન પર લખેલો કાગળ પણ સરસ્વતીચંદ્રે એ જ કવરમાં મૂક્યો છે. એક જમાનામાં ખૂબ જાણીતી થયેલી પંક્તિઓ આ પત્રમાં જ લખાઈ છે :

સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ ને સુખી કંઇક.

વાલકેશ્વર પર આવેલા લક્ષ્મીનંદનના બંગલે ચંદ્રકાંત ગયો તો ખબર મળ્યા કે સરસ્વતીચંદ્ર તો વહેલી સવારે ઘરની ઘોડા ગાડીમાં બેસીને ચોપાટી ફરવા ગયો છે. એટલે ચંદ્રકાંતે ભાડાની ગાડી ચોપાટી તરફ દોડાવી. ત્યાં સરસ્વતીચંદ્રની ઘોડા ગાડી દરિયા કિનારે ઊભેલી તેને મળે છે. ગાડીવાન કહે છે કે ભાઈ તો અહીંથી પગે ચાલીને આગળ ફરવા ગયા છે. ઘણો વખત થયો પણ પાછા ફર્યા નથી. આ ‘આગળ’ એટલે ચર્ની રોડ સ્ટેશન તરફ. અહીં લેખક કહે છે : ‘મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં રેલવેની સડકનું ક્રોસિંગ આવે છે તે ઓળંગતાં ચર્ની રોડ સ્ટેશન છે.'  ગોવર્ધનરામ જેને રેલવેની સડકનું ક્રોસિંગ કહે છે તે આજે પી.એમ. બાથની સામે જે લાંબો ફૂટ ઓવર બ્રિજ છે તેની નજીક આવેલું હતું.

જૂનું ચર્ની રોડ સ્ટેશન

બાળપણમાં ગીરગામના ઘરેથી ચોપાટી જવા માટે આ ક્રોસિંગ પસાર કરવું પડતું હતું, તે આ લખનારને યાદ છે. ચોપાટીનું સત્તાવાર નામ એ જમાનામાં કેનેડી સી ફેસ હતું. ગયે અઠવાડિયે આપણે જેમની વાત કરી હતી તે જોન પિટ કેનેડીનું નામ રેલવે લાઈન પરથી પસાર થતા પૂલ ઉપરાંત આ દરિયા કિનારા સાથે પણ જોડવામાં આવ્યું હતું. દરિયા કિનારે, આજના પી.એમ. બાથ પાસે આવેલા એક થાંભલા ઉપર આ નામ કોતરેલું છે. એટલે કે વાલ્કેશ્વરનું ઘર છોડ્યા પછી સૌથી પહેલાં સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો હતો. એ વખતે મરીન ડ્રાઈવનો રસ્તો, આજનો નેતાજી સુભાષ રોડ હજી બંધાયો નહોતો. એનું બાંધકામ ૧૯૧૫માં શરૂ થયું અને ૧૯૩૦ના અરસામાં પૂરું થયું. એટલે રેલવે લાઈનની પશ્ચિમે રસ્તો નહોતો. થોડે દૂર દરિયા કિનારો હતો. મલબાર હિલ-વાલકેશ્વરથી નીચે ઊતરતો રસ્તો ચર્ની રોડ સ્ટેશન પહેલાં પૂર્વ દિશામાં વળીને ફાટક દ્વારા ક્વીન્સ રોડ સાથે ભળી જતો. આ ક્વીન્સ રોડના જૂના ફોટામાં તેના નામની સાથે ‘પ્રોમોનાડ’ શબ્દ જોડેલો જોવા મળે છે. પ્રોમોનાડ એટલે દરિયા કિનારે બાંધેલો રસ્તો. ચર્ચગેટ સુધીની રેલવે લાઈનની એક બાજુએ એક જમાનામાં ક્વીન્સ રોડ અને બીજી બાજુએ દરિયા કિનારો.

દરિયા કિનારે આવેલો ક્વીન્સ રોડ

સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો છે એમ જાણતાં વેંત ચંદ્રકાંતના પેટમાં ફાળ પડે છે અને તે ભાડાની ગાડી કરી તરત એ સ્ટેશને પહોંચે છે. કેમ? કારણ એ વખતે બહાર ગામ જતી ટ્રેનો પણ ચર્ની રોડ સ્ટેશને થોભતી. ૧૮૭૩માં કોલાબા ટર્મિનસનું સ્ટેશન બંધાયા પછી લોકલ તેમ જ બહાર ગામની ટ્રેનો ત્યાંથી આવતી-જતી, અને ચર્ની રોડ રોકાતી. એટલે તે માની લે છે કે સરસ્વતીચંદ્ર અહીંથી ટ્રેન પકડી બહાર ગામ ચાલ્યો ગયો હોવો જોઈએ. એ સ્ટેશને જઈને પૂછપરછ કરે છે. લક્ષ્મીનંદન એ જમાનાના મુંબઈની જાણીતી વ્યક્તિ હોવાથી સ્ટેશન માસ્તર, ટિકિટ માસ્તર, વગેરે સૌ તેની આસપાસ ઘેરાઈને ઊભા રહે છે. મેલ અને પેસેન્જર ટ્રેનોની ટિકિટોનું વેચાણ તપાસે છે, પણ કશી ભાળ મળતી નથી. એ જમાનામાં ટ્રેનની ટિકિટ ખરીદનારાઓનાં નામ સ્ટેશન પર નોંધાતાં હોવાં જોઈએ. નહિતર ટિકિટોનું વેચાણ તપાસવાનો શો અર્થ?

આજે ચોપાટી, ત્યારે કેનેડી સી ફેસ

પણ ચર્ની રોડ સ્ટેશનેથી બહારગામ જતી ટ્રેનમાં જવાને બદલે સરસ્વતીચંદ્ર વહાણની મુસાફરી પસંદ કરે છે. ગુજરાતનાં દીવ, ઘોઘા, સુરત જેવાં બંદરો સાથે મુંબઈનો વહાણ વ્યવહાર ઘણો જૂનો હતો, અને ટ્રેન શરૂ થયા પછી પણ કેટલોક વખત તે ચાલુ રહ્યો હતો. ૧૮૫૯માં કવીશ્વર દલપતરામ પહેલી વાર મુંબઈ આવ્યા, ત્યારે તેઓ અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી ‘આગબોટ’માં મુંબઈ પહોચ્યા હતા. પણ સરસ્વતીચંદ્ર તો આગબોટ નહિ, ‘વહાણ’માં મુસાફરી કરે છે! એ જ્યાં પહોંચે છે તે સુવર્ણપુર લેખકની કલ્પનાનું ગુજરાતનું એક દેશી રજવાડું છે. તે ભદ્રા નદી સાગરને મળે છે ત્યાં આવેલું છે, એમ લેખક કહે છે. આ ભદ્રા નદી પણ કાલ્પનિક નામ છે. પણ છેક ૧૮૭૩ પછી પણ સરસ્વતીચંદ્ર આગબોટને બદલે વહાણમાં મુસાફરી કરે એ જોઈ નવાઈ લાગે છે. મુંબઈના કયા બંદરેથી તે વહાણમાં બેઠો, અજાણ્યા રજવાડા સુવર્ણપુરમાં જવાનું તેણે કેમ નક્કી કર્યું તે અંગે લેખક મૌન છે. નવલકથાના ચોથા ભાગને અંતે કુસુમને લઈને સરસ્વતીચંદ્ર મુંબઈ આવ્યો એટલું જ લેખક જણાવે છે. તેઓ કઈ રીતે પ્રવાસ કરીને આવ્યાં તે કહેતા નથી. પણ પછી કુમુદ અને તેની સાથેનું મંડળ ટ્રેનથી મુંબઈ આવ્યું હશે એમ લાગે છે કારણ લેખક કહે છે કે તેમને લેવા માટે કુસુમને લઈને હરિદાસ સ્ટેશને ગયો હતો. જો કે એ સ્ટેશનનું નામ પાડતા નથી.

 

ચોપાટીના થાંભલા પર કોતરેલું નામ : કેનેડી સી ફેસ

કથાનાયક સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામના પડછાયા જેવો છે એમ તો ન કહી શકાય, પણ એ બંને વચ્ચે ઘણી સમાનતા તો જોવા મળે જ છે. એ બંને ૧૯મી સદીના ઉત્તરાર્ધના મુંબઈના ફરજંદ છે. ગોવર્ધનરામનો જન્મ ભલે નડિયાદમાં, પણ તેમના જીવનનાં મહત્ત્વનાં વર્ષો તો મુંબઈમાં જ વીત્યાં હતાં. એટલે, બંને મુંબઈવાસી છે. બંને મુંબઈ છોડીને દેશી રાજ્યમાં જાય છે, પણ અંતે મુંબઈ પાછા ફરે છે. નવલકથાને અંતે સરસ્વતીચંદ્ર મુંબઈ પાછો ફરે છે. ગૃહત્યાગ એ કથાનું આરંભબિંદુ છે, તો ઘરવાપસી એ અંતિમ બિંદુ છે. એ બે વચ્ચે તે ઠીક ઠીક ભ્રમણ કરે છે. ૧૯મી સદીના અંગ્રેજી સાહિત્યમાં ભ્રમણકથાઓ (પિકરસ્ક નોવેલ – Picaresque novel) સારી એવી લેખક-પ્રિય અને લોકપ્રિય હતી. ગોવર્ધનરામની નવલકથા પણ આ પ્રકારની નવલકથાના ઘણા અંશો ધરાવે છે. કૌટુંબિક કલેશથી ત્રાસીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં ઘર છોડીને ભાગી ગયા હતા. ચોપાટીથી ભાયખલા સ્ટેશન સુધી ગયેલા. પણ ટ્રેન ચૂકી જતાં પોતાના પગલા અંગે વિચાર કર્યો અને ઘરે પાછા ફર્યા. તેમના નિષ્ફળ ગૃહત્યાગની સામે સરસ્વતીચંદ્ર તેમાં સફળ થાય છે.

બંને વચ્ચે બીજી પણ કેટલીક સમાનતા છે જેના મૂળમાં મુંબઈ રહેલું છે. બંને યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થી. ગોવર્ધનરામ બી.એ., એલએલ.બી., જ્યારે તેમનો કથાનાયક એમ.એ., એલએલ.બી. ગોવર્ધનરામને એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો હતો, જ્યારે તેમનો કથાનાયક ‘સત્તર-અઢારની ઉંમરે’ એમ.એ. થઈ ચૂક્યો છે. મેટ્રિકની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ એવો નિયમ આ યુનિવર્સિટીની શરૂઆતથી ઘણાં વરસો સુધી હતો અને ગોવર્ધનરામે પોતે આ નિયમનો લાભ લઈ છઠ્ઠા ધોરણ પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી હતી. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ અને એમ.એ.નાં બે, એમ કુલ પાંચ વરસ થતાં. એટલે એકવીસ વરસની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ શકે નહિ. ગોવર્ધનરામ પોતે બી.એ.માં બીજી ટ્રાયલે અને એલએલ.બી.માં ચોથી ટ્રાયલે પાસ થયા હતા તેનો રંજ તેમને રહ્યો જ હોય. પોતાના કથાનાયકને ખૂબ વહેલો અભ્યાસ પૂરો કરતો બતાવીને તેમણે એ રંજનું સાટું વાળ્યું હોઈ શકે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના મુંબઈમાં, આધુનિક વિચાર, શિક્ષણ, રહેણીકરણીના જે અંશો પ્રગટ થયા હતા, તેનો અણસારો ગોવર્ધનરામની નવલકથામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. સરસ્વતીચંદ્રનો પિતા લક્ષ્મીનંદન બહુ ભણ્યો નહોતો પણ મુંબઈનો એક ધનાઢ્ય વેપારી હતો. આપબળે શીખીને થોડું અંગ્રેજી બોલી શકતો. બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં બેસાડીને (પહેલી) પત્ની ચંદ્રલક્ષ્મી સાથે ફોટો પડાવીને ઘરની દીવાલ પર ટાંગી શકે એટલો ‘સુધરેલો’ હતો. છતાં એ જમાનાના ચાલ પ્રમાણે પહેલી પત્નીનું અવસાન થયું તે જ દિવસે ગુમાન નામની બીજી સ્ત્રી સાથે તેના વિવાહ થયા હતા. પૈસા વેરીને વિદ્વાનો, સરકારી અધિકારીઓ, વગેરેને તે પોતાની પડખે રાખતો. એ વખતના મુંબઈમાં કોટન મિલોની બોલબાલા હતી. લક્ષ્મીનંદન આવી એક-બે મિલોનો કારભાર સંભાળતો હતો. અંગ્રેજ અમલદારોને ઘરે બોલાવી આગતાસ્વાગતા કરતો. ગવર્નર તરફથી અપાતી પાર્ટીઓમાં હાજર રહેવાનાં આમંત્રણ તે મેળવી શકતો. અંગ્રેજી અને ગુજરાતી અખબારોના તંત્રીઓ સાથે તેને મીઠા સંબંધો હતા. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’ની પ્રથા શરૂ થઈ હતી. ‘સેક્રેટરિએટના એક અમલદારની વગથી’ તેને આ માન પણ મળ્યું હતું. લક્ષ્મીનંદન પાસે પોતાની ઘોડાગાડી છે, પણ મોટર નથી. કારણ મુંબઈમાં પહેલવહેલી ચાર મોટર ૧૮૯૮માં સર જમશેદજી તાતા અને બીજા ત્રણ પારસીઓએ ખરીદી હતી. કલકત્તા, મુંબઈ, મદ્રાસ, અને અમદાવાદમાં પહેલવહેલા ટેલિફોન એક્સચેન્જ ૧૮૮૧માં ઇંગલન્ડની ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીએ શરૂ કર્યાં હતાં અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખથી દેશમાં ટેલિફોન સેવા શરૂ થઈ હતી. છતાં કોણ જાણે કેમ ધનાઢ્ય લક્ષ્મીનંદનના ઘરમાં ટેલિફોન નથી.

સરસ્વતીચંદ્ર નવલકથામાં પ્રણયકથા છે ખરી, પણ ગોવર્ધનરામનો મુખ્ય હેતુ અહીં વ્યક્તિની કથા કહેવાનો નહિ, તેટલો પોતાના જમાનાની, ૧૯મી સદીનાં છેલ્લાં પચાસેક વર્ષની સંસ્કૃતિકથા કહેવાનો છે. આ માટે તેમણે મુખ્યત્વે બે સ્થળોને સામસામે મૂક્યાં છે : એક મુંબઈ, અને બીજું, સુવર્ણપુરનું કલ્પિત દેશી રાજ્ય. સુવર્ણપુરના દરબારમાં હાજર રહીને, ત્યાં ચાલતી ખટપટોનો સાક્ષી બનીને સરસ્વતીચંદ્ર અમાત્ય બુદ્ધિધન સાથે ઘરે પાછો ફરે છે ત્યારે તેના મનમાંથી જાણે ચીસ ઊઠે છે : 'અંધકાર! અંધકાર! સુવર્ણપુરની દીન પ્રજા! ચાર ચાર કલાકની વાર્તામાં તારે સારુ પા કલાકનો પણ અવસર ન મળ્યો.’

ગુજરાતી નવલકથાનું સીમાચિહ્ન સરસ્વતીચંદ્ર. તો ગુજરાતી કવિતાનું સીમાચિહ્ન નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા.’ સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ અને કુસુમમાળા બંને, એક જ વરસે, ૧૮૮૭માં પ્રગટ થયાં. એક પુસ્તકે ગુજરાતી નવલકથાની દશા બદલી નાખી, તો બીજાએ ગુજરાતી કવિતાની દિશા બદલી નાખી. અને બંને પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. બંનેના સર્જકો યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થીઓ. બંનેએ જીવનનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં. મુંબઈએ તેમના જીવન અને લેખન પર જે કાયમી પ્રભાવ પાડ્યો તેની વાત હવે પછી.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઑક્ટોબર 2020

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

Loading

ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પ્રસંગે સુદર્શન આયંગર સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ|Opinion - Interview|9 October 2020

પ્રશ્ન : સુદર્શનભાઈ, નમસ્કાર. ગૂજરાત વિદ્યાપીઠ હમણાં શતાબ્દી પૂર્ણ કરી રહી છે અને આપનો વિદ્યાપીઠ સાથેનો સંબંધ ખાસ્સો દીર્ઘ રહ્યો છે. વિદ્યાપીઠની સ્થાપનાથી વાતચીતની શરૂઆત કરીએ. ગાંધીજીના મનમાં વિદ્યાપીઠની સ્થાપનાનો હેતુ શું હતો? સ્થાપન સમયે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ કેવું હતું?

ઉત્તર : ગાંધીજી જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એમના મનમાં શિક્ષણને લઈને કેટલાક પ્રશ્નો હતા. તે પહેલાં આપણા દેશમાં જે પદ્ધતિ હતી તે મકોલેની શિક્ષાપદ્ધતિ તરીકે ઓળખાતી હતી, એને લઈને ઘણા રાષ્ટ્રવાદી લોકોને પ્રશ્નો હતા. એટલે ગાંધીજી આવ્યા તે પહેલાં પણ ઘણી એવી રાષ્ટ્રીય સંસ્થાઓ ઊભી થઇ હતી, પરંતુ ગાંધીજી જેને રાષ્ટ્રીય સમજતા હતા એની ચોખવટ એમણે ઓગસ્ટ મહિનમાં અમદાવાદમાં થયેલી પોલિટીકલ કોન્ફરન્સમાં કરી, અને કહ્યું કે આપણા દેશને અને આપણી સંસ્કૃતિને છાજે એવું, આપણી માતૃભાષામાં અને આપણે સ્વતંત્ર થઇ શકીએ એ દિશામાં બાળકોને તૈયાર કરવા માટેનું, હિંદ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટેનું, શિક્ષણ હોવું જોઈએ. એમણે દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બાળકો સાથે ફિનિક્સમાં અને ટોલ્સટોય ફાર્મમાં શિક્ષક તરીકે છ વર્ષ સુધી શિક્ષણના જે પ્રયોગો કરેલા એ બધા અનુભવોનો એમાં નીચોડ હતો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે એમના મનમાં રાષ્ટ્રવાદી, એટલે આજે જેને આપણે રાષ્ટ્રીયતા ગણીએ છીએ એ સંદર્ભે નહીં, પણ આપણી ગ્રામ્ય સંસ્કૃતિને પોષણ આપે એવા સમાજના નિર્માણ માટેનું, શિક્ષણ હતું. એમને એમ હતું કે હિન્દુસ્તાન પાસે પોતાની એક યુનિવર્સિટી હોવી જોઈએ. આવી કલ્પના કોઈ પણ રાજનીતિક નેતાએ અત્યાર સુધીમાં કરી નહોતી. અને પાંચ જ વર્ષમાં ૧૮ ઓક્ટોબર ૧૯૨૦એ એમણે એક રાષ્ટ્રીય પ્રયત્ન તરીકે આ યુનિવર્સિટી શરૂ કરી. યુનિવર્સિટીનાં મુખ્ય બે ઉદ્દેશ હતા. ગાંધીજીના મનમાં એવું હતું કે અમુક સંસ્કાર છેક બાળપણથી પાડવા જોઈએ, એટલે છેક પ્રિ-સ્કૂલથી માંડીને પીએચ.ડી સુધી અભ્યાસ થઇ શકે એવી સંસ્થા હોવી જોઈએ, એ એક ઉદ્દેશ.

બીજું એમને એમ પણ હતું કે આના આધારે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શાળાઓ-કોલેજો ખુલશે ત્યારે આ યુનિવર્સિટી એક એફીલિયેટિંગ સંસ્થા તરીકે પણ કામ કરશે. આ સમજ સાથે એમણે એની શરૂઆત કરી. નોંધવા જેવી બાબત એ છે કે અસહકારની લડત ચાલુ હતી, પંજાબમાં આગ લાગેલી હતી તેથી એના સ્થાપના દિવસે ગાંધીજી પોતે અમદાવાદમાં હાજર નહોતા પરંતુ એ દિવસે વિદ્યાપીઠ શરૂ થઇ હતી. શરૂઆતનું જે શિક્ષણ છે એમાં બે-ત્રણ વસ્તુઓ બહુ નોંધપાત્ર છે. ગુજરાત કોલેજ એ વખતે સરકારી કોલેજ હતી. એટલે સરકારી કોલેજોમાં શિક્ષણ મેળવતા બહુ હોશિયાર વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈ ગુજરાત કોલેજ છોડીને આવ્યા, શિક્ષકો પણ આવ્યા અને ઓક્સફર્ડના વિદ્વાન પ્રોફેસર ગિદવાણીની પસંદગી ગાંધીજીએ પ્રથમ કુલનાયક તરીકે કરી. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેઓ આજીવન એના કુલપતિ રહેશે અને એ ૧૯૪૮ સુધી રહ્યા. ૧૯૨૦-૧૯૩૦ વચ્ચે ત્યાં બહુવિધ શિક્ષણના પ્રયોગો થયા, અમદાવાદમાં પણ એને સંલગ્ન ઘણી શાળાઓ શરૂ થઇ.

એક સમયે તો ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એમાંથી મેટ્રીક્યુલેશનની પરીક્ષા આપીને પાસ થયા. ૧૯૨૦-૩૦ ના દાયકામાં ઝળહળતા લોકો પણ ત્યાં આવીને ગયા, જેમાં રંગ અવધૂત, પૂ. શ્રીમોટા જેવા આધ્યાત્મિક પુરુષો હતા. પછી એમાં મગનભાઈ દેસાઈ, બબલભાઈ મહેતા જેવા લોકો શિક્ષકો અથવા વહીવટકારો તરીકે જોડાયા, એમાંના અનેક લોકો આઝાદીની લડતમાં પાછળથી જોડાયા અને જેલમાં ગયા. પંડિત સુખલાલજી જેવા પણ શિક્ષણ માટે આવ્યા, એક સમયે ધર્માનંદ કોસાંબી પણ આવીને ભણાવી ગયા. ૧૯૨૯-૩૦નું વર્ષ વિદ્યાપીઠના ઇતિહાસમાં બહુ મહત્ત્વનું હતું કારણ કે ખેડા જિલ્લામાં પડેલા દુષ્કાળમાં માતર તાલુકાનો પહેલો સર્વે થયો, જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યો. ત્યાર પછી ૧૯૬૫-૬૬માં અને ૧૯૭૫-૭૬માં આ સર્વે ફરી થયો. એ ઉપરાંત શાસ્ત્રો પર, સંસ્કૃતમાં-ફારસીમાં વગેરે ખૂબ સરસ કામો થયાં. મારે કહેવું જોઈએ કે બાપુ હિન્દુસ્તાની ભાષાના આગ્રહી હતા. એટલે હિન્દુસ્તાની અને સાથે સંસ્કૃત અને ફારસી એ વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થીને શિખવાડવામાં આવતી. એટલે સમ્યક સંસ્કૃતિ ઊભી થાય એ રાષ્ટ્રવાદી સંદેશ ગાંધીજી આપવા માંગતા હતા.

પ્રશ્ન : સુદર્શનભાઈ, ઉત્ક્રાંતિ એ જીવનનો ક્રમ છે. સમય સાથે મેળ સાધીને વિદ્યાપીઠમાં કેટલા માળખાકીય અને શૈક્ષણિક ફેરફારો થયા? અને આજે વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓને કેટલી હદે જીવનનિર્વાહ માટે પગભર થવા સજ્જ કરે છે?

ઉત્તર : તમે બહુ પેચીદો અને અઘરો સવાલ પૂછી લીધો છે. તમે એમ કહ્યું કે આપણે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. મારે એમ સ્વીકારવું જોઈએ કે આપણી કેફિયતમાં ઈમાનદારી હોવી જોઈએ. આઝાદી પહેલાંનું એ રાષ્ટ્રીય શિક્ષણ અને પછી ૧૯૩૭માં જે નયી તાલિમની નીતિ આવી, જેમાં શિક્ષણમાં કૌશલ્ય એ એક ભાગ હોય, જેનો સૌથી પહેલાં અમલ ગુજરાત વિદ્યાપીઠમાં થયેલો. વસ્ત્રવિદ્યા ઉપર ખૂબ ભાર હતો, ચરખો એની ઓળખ થયેલી, કાંતવું અને વણવું એ મુખ્ય પ્રયાસ હતો. ગાંધીજીએ એમના કુલપતિ તરીકેના એક ભાષણમાં એવું પણ કહ્યું કે મારો વિદ્યાર્થી બીજું કશું ન શીખે પણ કાંતતાં શીખી જાય તો હું સમજીશ કે શિક્ષણ થયું. એટલે ચરિત્ર-નિર્માણ અને કૌશલ્ય એ બે મુદ્દા પર ભાર હતો. આઝાદી પછી ૧૯૬૩ સુધી આ કામ વિદ્યાપીઠે કર્યું અને સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અપાતું હતું અને એમાં ૩૯ વિષયો હતા. ઉદ્યોગના શિક્ષકો જ વિષયોનું શિક્ષણ પણ આપતા. ગાંધીજીની સમજણ એ હતી કે કૌશલ્ય મારફત વિષયો શીખવવા.

જુવો, આજની પરિસ્થતિને ગાંધીજી ત્યારે પણ જોઈ શકેલા. ૧૯૬૪માં યુ.જી.સી.એ વિદ્યાપીઠને યુનિવર્સિટી સમકક્ષ ગણીને એને મદદ કરવાની કોશિશ કરી, પણ ધીમેધીમે પરિસ્થતિ એવી થઇ કે વિદ્યાપીઠે મુખ્ય ધારાના શિક્ષણનું અનુકરણ કરવા જતાં એની અસર વિદ્યાપીઠના શિક્ષણ પર થઇ. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના વડપણ હેઠળના યુ.જી.સી.ના પહેલા રિપોર્ટમાં આવ્યું કે ગાંધીજીના ગ્રામીણ શિક્ષણને અનુસરવાથી કદાચ ભારતીય પ્રજાને આધુનિક શિક્ષણથી વંચિત રહેવાનો વખત આવે. એટલે વિદ્યાપીઠ એ માળખામાં ગઈ, ધીમેધીમે યુ.જી.સી.ની ગ્રાન્ટ વધતી ગઈ. અને હવે તો આ આર્થિક અનુદાન મેળવતી એક યુનિવર્સિટી બની છે, જેમાં પગાર, પેન્શન બધું જ આવ્યું. એની સાથે સાથે શિક્ષકોની લાયકાતો આવી, અને એ લાયકાતો એ ગાંધીવિચારને લગતી લાયકાતો ન હતી, પણ એ સામાન્ય યુનિવર્સિટી જેવી લાયકાતો હતી. પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે કેટલીક બાબતો, જેને આપણે વિદ્યાપીઠનાં મૂલ્યો અને પરિપાટી કહીએ, એમાં સમાધાન નહોતું થયું. એટલે કાંતવાનું ચાલુ રહેલું, પ્રાર્થના ચાલુ રહેલી, સમૂહજીવન હતું.

એ બધું હોવા છતાં ધીમેધીમે એ વસ્તુઓ કર્મકાંડ થતી ગઈ અને એનું હાર્દ જતું રહ્યું. ૨૦૦૪માં ‘લોકભારતી’થી અરુણ દવે વાઈસ-ચાન્સેલર બનીને આવ્યા, રજીસ્ટ્રાર તરીકે રાજેન્દ્ર ખીમાણી આવ્યા. અને ત્યારે એ બંનેએ એક નવો પ્રયાસ આદર્યો. ત્યાર પછી મને જોડાવાનો મોકો મળ્યો અને ૨૦૦૫થી એક નવો અધ્યાય શરૂ કરવાની, ‘બેક ટુ બેઝિક્સ’ જવાની કોશિશ અમે બહુ ઈમાનદારીપૂર્વક કરી. યુ.જી.સી.ના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર અમે ઉદ્યોગ અને સમૂહજીવન સરસ રીતે ચાલે અને સાથે વિદ્યાર્થી કૌશલ્ય ખીલવી શકે એ પ્રયત્ન કર્યો. અને મારે કહેવું જોઈએ કે એ પ્રયત્ન ઠીક રહ્યો. કારણ કે અમે વિદ્યાર્થીઓને કહ્યું કે તમને ખાદી ખરીદવી મોંઘી પડે છે તો તમારા પોતાના ડ્રેસ કાંતો અને વણી લો. તમે જો કાંતીને અમને આપશો તો અમે વણીને ખાદી તમને પાછી આપીશું. આને ભારે પ્રતિસાદ મળ્યો. અને છાત્રાલય, જે મરજિયાત થયેલું, એને ૨૦૦૬થી અમે ફરી ફરજિયાત કર્યું. અમે સમૂહજીવનને મજબૂત કર્યું, અમે ગ્રામજીવન તરફ જવા માટે પદયાત્રાઓ શરૂ કરી. ખાસ કરીને અમારે ત્યાં ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીઓ જ હતા, ખાસ કરીને આદિવાસીઓ અનુસૂચિત જાતિના લોકો હતા, બધું મળીને વિદ્યાપીઠમાં ૮૫ ટકા વિદ્યાર્થીઓ એ હોય. એ લોકો નોકરીઓ મળે એ માટે જ અહીં ભણવા આવે. કારણ કે અહીં ફી ઓછી અને રહેવાની સગવડ મળે, વગેરે. પણ એક વસ્તુ મારે કબૂલવી જોઈએ કે અહીંના વાતાવરણમાં કર્મકાંડ સ્વરૂપે બધું ચાલતું હતું તેમ છતાં મને જ્યારે વિદ્યાર્થીઓ મળે, ત્યારે એક વસ્તુ કહે કે, ‘જીવનનાં મૂલ્યો અમે વિદ્યાપીઠમાં શીખ્યા. પહેલાં અમને ખૂબ કંટાળો આવતો કે આ શું ખાદી પહેરવાની અને રસોડામાં ઘૂસવાનું અને સફાઈ કરવાની, કાંતવાનું. પણ જીવનમાં અનુશાસનનું મૂલ્ય અહીંથી શીખ્યા.’ અને હવે ગુજરાતમાં કોઈપણ એન.જી.ઓ. અથવા ગુજરાત સરકારનું સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ જ્યારે સોશિયલ વર્કર લેવાની વાત આવે ત્યારે વિદ્યાપીઠના સ્નાતકોને પહેલી પસંદગી આપે છે. કારણ કે એ સ્નાતકોમાં આવડત કદાચ થોડી ઓછી હોય પણ ચરિત્ર મજબૂત હશે, ઈમાનદાર હશે, નિષ્ઠાવાન હશે, ગામમાં જવાની તૈયારી રાખશે.

પ્રશ્ન : હિન્દુસ્તાની ભાષામાં શિક્ષણ અપાય એ ગાંધીજીના વિચારનો આપે ઉલ્લેખ કર્યો. આજે ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે અને રોજ-બ-રોજના જીવનમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે. આવા કાળમાં વિદ્યાપીઠમાં અપાતું શિક્ષણ ગાંધીજીનો હેતુ સિદ્ધ કરે છે?

ઉત્તર : આમાં શું થયું કે ‘માતૃભાષાનું શિક્ષણ’ એનો બહુ સંકુચિત અર્થ કરવામાં આવ્યો. જ્યારે ગાંધીજી માતૃભાષાની વાત કરતા હતા, ત્યારે એમના મનમાં એમ હતું કે કોઈ પણ ભાષા વર્જ્ય નથી. એટલે સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, ફારસી બધા જ વિષયો હતા. અને ગાંધીજી પોતે પણ અંગ્રેજીમાં બહુ સારા હતા. આ સંદર્ભ વિદ્યાપીઠ ચૂક્યું. પછીથી એક સંદેશ આવેલો એ પણ વિદ્યાપીઠ ચૂક્યું. એ સંદેશ કોનો હતો? નિરંજન ભગતનો. એમણે એમ કહ્યું ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. આ બાબત વિદ્યાપીઠ ચૂકી ગયું. હું જ્યારે વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે અંગ્રેજીના એક પણ શિક્ષક નહોતા. બધા નીકળી ગયેલા, અંગ્રેજી વિષયે જ વિદાય લઇ લીધેલી. પણ પછી અમે અંગ્રેજીના ત્રણ શિક્ષકો લીધા. આજે અંગ્રેજીમાં એમ.એ.નો કોર્સ શરૂ થયો છે અને સ્નાતક કક્ષા સુધી બધા માટે અંગ્રેજી એક વિષય તરીકે ભણવાનું આવે જ છે. અને વિજ્ઞાનની જે તરાહો છે જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કે માઈક્રોબાયોલોજી છે એમાં વ્યાકરણ ગુજરાતી વપરાય છે પણ બાકી બધા શબ્દો અંગ્રેજી હોય છે. કારણ કે આપણે કેટલાક વિષયો આપણી ભાષામાં વિકસિત નથી કરી શક્યા. જાપાન, ચીન અને યુરોપે પોતપોતાની ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બધું જ વિકસિત કર્યું, પણ ભારત અંગ્રેજીની અસરમાંથી બહાર નીકળ્યું જ નહીં. એટલે નવાં જ્ઞાનને પોતાની ભાષામાં અનુદિત ન કરો ત્યાં સુધી આપણે જે બીજી-ત્રીજી કોટિના અનુવાદો કરાવીએ એમાં કોઈ ભલીવાર આવે જ નહીં. પણ હવે આ સભાનતા આવી છે અને હવે આપણી પાસે જે ટેકનોલોજી છે એના આધારે આ પ્રશ્ન ઉકેલી શકાય એમ છે.

પ્રશ્ન : આ મુલાકાતના સમાપને બે પ્રશ્નો, સુદર્શનભાઈ. આ સો વર્ષમાં ગાંધીજીનો હેતુ કેટલી હદે સિદ્ધ થયેલો જણાય છે? અને આવતાં સો વર્ષમાં વિદ્યાપીઠનું ભાવિ કેવું લાગે છે?

ઉત્તર : ગાંધીજીએ વાવેલું બીજ વિશાળ વટવૃક્ષ તો નથી થયું. પણ એ છોડ મોટો થયો છે અને એનું નવેસરથી સિંચન કરવાની જરૂર છે. ગાંધીજીનો એ વિચાર અને એનું વાતાવરણ બંને જીવે છે. એ બહુ જ વિધેયાત્મક વસ્તુ છે. વિદ્યાપીઠ ફરીથી વાઈબ્રન્ટ થઇ શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યમાં વ્યક્તિ નિયમનની તાલિમ વિદ્યાપીઠમાં મળે છે. વ્યક્તિગત સ્વરાજ્ય હોય અને એકાદશ વર્ષનો અભ્યાસ એને થાય તો એવી વ્યક્તિઓને માળખાકીય નિયમનની જરૂરત બહુ નથી પડતી. એટલે દાખલા તરીકે મારો આદર્શ છે કે મારી ઓફિસમાં બાયોમેટ્રિક્સ નહીં લાગવું જોઈએ, મારા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પકડવા માટે મારે સી.સી.ટી.વી. કેમેરા નહીં રાખવા જોઈએ કારણ કે અમે દિલથી એટલા શુદ્ધ છીએ, એ રહેવું જોઈએ. અને તંત્ર વ્યક્તિના સ્વાતંત્ર્યનું નિયમન ન કરે કારણ કે એમ કરવાથી આપણે રિસોર્સ વાપરીએ છીએ અને પર્યાવરણ પર ખતરો ઊભો કરીએ છીએ. અહિંસક જીવનશૈલી, સાદગીપૂર્ણ જીવનશૈલીથી શાંતિ પ્રવર્તે અને પોતાની જરૂરિયાતનો લોપ થઇ જાય તો કુદરત પરનું ભારણ ઓછું થાય. એટલે વ્યક્તિ, સૃષ્ટિ અને સમષ્ટિની વચ્ચે સમ્યકતા લાવવી હોય અને એક સિમ્ફની બનાવવાની હોય તો અત્યારની વિસંવાદિતા વચ્ચે ગાંધીવિચાર આવી સિમ્ફની રચી શકે છે એ હવે લોકોને દેખાઈ રહ્યું છે. વિદ્યાપીઠ આવતાં સો વર્ષમાં આ દિશામાં સતત પ્રગતિ કરે તો આપણે સમાજને એક સરસ દાખલો પૂરો પાડી શકીશું અને ગાંધીજીને એ સાચી શ્રદ્ધાંજલિ હશે.

e.mail : aradhanabhatt@yahoo.com.au

https://sursamvaad.net.au/dr-sudrashan-iyengar/

છવિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર ચૌહાણ 

Loading

‘જયનો જય જયકાર’

સૂચિ વ્યાસ|Profile|8 October 2020

નિશાળમાં કે કૉલેજમાં ભણતાં ભણતાં આપણે સૌ લોકો અમુક ચેપ્ટર બસ ધૂનમાં ને ધૂનમાં ઓમિટ કરતાં હોઈએ છીએ. પછી પરીક્ષામાં આ જ ચેપ્ટરના બે પ્રશ્નો આવે, આવે ને આવે! હવે મોટી ઉંમરે આવી ભૂલ ન કરવી એમ સમજીને આગલા ચેપ્ટર ‘બિનકુ’માં જયને ઓમિટ કરવાનો વિચાર બદલાવી જય વિશે લખવું એવો હકારાત્મક વિચાર રજૂ કરું છું.

જય મારી મોટીબહેનની વહાલસોયી નાની દીકરી, ને આપણી બિનકુની નાની બહેન. જય નાની દીકરી છે અને આમ પણ શરીરે નાની નમણી નાર છે. માંડ પાંચ ફૂટ બે ઇંચ (કદાચ) હોય તો હોય! લાંબા, સીધા, ભરાવદાર વાળ, ૫૦૦-૫૦૦ની લાઇટના ગોળા જેવી ગોળ ભાવભરી આંખો, નિર્ભયતાથી ભરપૂર આંખો. એની તેજદાર બુદ્ધિનું ધસમસતું ધારદાર મોજું તમને એકાદ મિનિટ પાડી દ્યે જ, હોં!

જોરજોરથી બોલવું, જોરજોરથી હસવું અને સતત પ્રશ્નોની ઝડી વરસાવતી જય, ‘ચેટર બોક્સ’ તરીકે પ્રખ્યાત છે. બુદ્ધિગમ્ય વાતો કરી કરી આખી વંશાવળી જાણી લે. કાઠિયાવાડી ભાષામાં આવાં લોકોને અમે ‘સળી માસ્તર’ કહીએ છીએ.

૧૯૯૦માં જય પોતાનાં મા-બાપ, મોટીબહેન બિનકુ પાસે આવે છે. જેમ બિનકુને સેટ કરવાની હતી, એમ જયને સેટ કરવાનું બીડું ઝડપ્યું. જય ફક્ત ૧૮ વર્ષની કુમળી કન્યા હતી. છોકરીને સાચવવાની. પાછી આવી તરવરાટથી ઊભરાતી, દેખાવડી, ટેસડેદાર દીકરીનું કેમ ધ્યાન રાખશું? દોડાદોડ ચાલુ કરી. અનેક કૉલેજો, યુનિવર્સિટી વગેરેમાં એડમિશન ક્યાં લેવું …. વગેરે ચર્ચાઓ કુટુંબમાં ચાલી. અમારાં ઘરમાં સૌ પોતાના અભિપ્રાયો આપે. કુટુંબજીવનનું આબેહૂબ દર્શન થાય. વાતે વાતે ગરમ ચર્ચાઓ વચ્ચે મતભેદની તલવારુ ઊડે. અમેરિકામાં વસતાં તમામ કુટુંબીજનો એવું માનતાં કે ‘ધીમે બોલવું’. રાડારાડી જ ઘરનું સુખ દેખાડે છે, શાંતિ દેખાડે છે. મોટેથી હસવું અને મોટેથી બોલવું એ જ સંસ્કાર અને શિષ્ટાચાર છે. લાખો મતભેદ થાય, પણ ક્યારે ય મનભેદ નહીં. આમ, યુદ્ધ પછી શાંતિ થાય, એ રીતે જયને બિનકુ પાસે રેડિંગ પેન્સિલવેનિયામાં ઓલ-બ્રાઇટ કૉલેજમાં કમ્પ્યૂટર સાયન્સમાં ફ્રેશ મેન (એટલે કે કૉલેજનાં પહેલાં વર્ષમાં) એડમિશન અપાવી, સ્ટુડન્ટ વિઝા અપાવ્યો. તે દી’ની ઘડી ને આજનો દી’. જય, બિનકુના સહારે સહારે પોતાની સંઘર્ષમય જિંદગીમાં સિદ્ધિઓ પામતી જાય છે.

નાનપણથી જય માંદી રહે. એટલે બહેન-બનેવીનાં વધુ પડતાં લાડકોડમાં ઊછરેલી. જય સ્કૂલેથી આવે ત્યારે એની મા એને જાતજાતનાં ફ્રૂટ સુધારી આપે. દૂધનો ગ્લાસ ભરેલો તૈયાર હોય. બે’નબા તૈયાર થાય, ત્યારે નીચે ગાડી-ડ્રાઇવર ઊભાં જ હોય. મોંઘાંદાટ કપડાં અને ચંપલ પહેરી નિશાળે જાય, તો તો શુંયે વાત! હવે જયને જ્યારે ઓલ-બ્રાઇટ સ્કૂલમાં ભણવાનું તો ખરું જ, પણ સાથે સાથે કામ પણ કરવાનું માથે આવ્યું. કૉલેજનાં કાફેટ એરિયામાં ફ્રૂટ સુધારવાની નોકરી હતી! (મા ક્યાં ગઈ!)

આ વાર્તામાં હવે જુવાની, કૉલેજ, સ્વતંત્રતા અને સુંવાળા સાથની વાત આવે છે. કૉલેજમાં જયને પાકિસ્તાનથી આવેલી દસ-બાર છોકરાની ટોળકી સાથે દોસ્તી થાય છે. એમાંનો એક ફૂટડો જુવાન. જેનું નામ છે અદનાન અહમદ. અમે લોકો એને ગુજરાતીમાં જુદા જુદા નામે બોલાવીએ છીએ. ‘અદનાન’, ‘અદુમિયાં’. તેની સાથે બે’નબા પ્રેમમાં પડે છે. અમે લોકો અણીશુદ્ધ બ્રાહ્મણ અને છોકરો પાક મુસલમાન. બંને એક ક્લાસમાં ભણે. એક જ હોસ્ટેલમાં સાથે રહે અને ધીમે ધીમે પ્રેમમાં ને પ્રેમમાં લગ્ન કરવાં છે, ત્યાં સુધી આગળ વધી ગયાં. બંને કુટુંબના અનેક તોફાનો, ઝંઝાવાતો સાથે ઝઝૂમી, ઝઝૂમી પોતાનું વહાણ ચલાવ્યે રાખ્યું. ૧૯૯૩માં બંને લોકોએ ૩ વર્ષનો અભ્યાસ પૂરો કરી અમેરિકા(Work force main stream)માં ઝંપલાવ્યું. એ જમાનામાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરેલા માણસોને ઢગલો ભરી ખણ…ખણ…ખણ પૈસા મળતા હતા. બંને જણાં મંડી પડ્યાં પૈસા કમાવા. કેલિફોર્નિયામાં ઘર રાખ્યું હતું અને નોકરી આખાયે અમેરિકામાં કરે. દર શુક્રવારે ઊડીને ચકલો-ચકલી પોતાનાં માળામાં મળે. કાળક્રમે લગ્નગ્રંથિથી જોડાઈને જલસા કરતાં થઈ ગયાં.

અમારાં કુટુંબમાં તમામ લોકોને એક ખાસ પ્રકારનો રોગ છે. આ માનસિક પ્રશ્નનો કોઈ જવાબ નથી. જેનું નામ અમે જ આપ્યું છે : ‘ઉધામો’. જયના કેસમાં આ રોગનું વિશેષ પ્રમાણ છે. જયના દાદાને પણ આ રોગ હતો. આખી જિંદગી તેઓ ક્યાં ય ઠરીઠામ થઈને નોકરી-ધંધો કરી શક્યા નહોતા. આજે જ્યાં મુંબઈમાં ચોપાટી ઉપર ‘ક્રીમ સેન્ટર’ છે, તેના તેઓ માલિક હતા. સો વર્ષ જૂની વાત છે. ત્યાં બ્રાહ્મણભાઈએ ભજિયાં વેંચવાની દુકાન ખોલેલી. બહારથી જુઓ તો ઘરાકથી ઊભરાતી દુકાન દેખાય. પણ દુકાન ફાડચામાં ગઈ. કારણ શું હતું ખબર છે? મુંબઈમાં રહેતા તમામ હરિજન તથા બ્રાહ્મણને મફત ભજિયાં ખાવા મળતાં હતાં. મોસાળપક્ષે પણ ઉધામાની માંદગીથી સૌ પિલાય છે. જેમાં જયનો નંબર પહેલો આવે.

આવી ધીકતી નોકરી છોડી, પૈસા-વૈભવ છોડી જયને ઉધામો ચડ્યો કે કોર્પોરેટ વર્લ્ડ-કમ્પ્યૂટરમાં નોકરી કરવા કરતાં આપણે એક સરસ મજાનું આગવું, બાળકો માટે – શિક્ષણ માટે ડે-કેર સેન્ટર ખરીદવું અને આદર્શ શિક્ષણ સંસ્થા ઊભી કરવી. અને ખરેખર … સુંદર વ્યવસ્થા કરી, શિક્ષણમાં જીવ નિચોવી નાખ્યો. લબડ ધક્કે ૧૦ વર્ષ સુધી આ સંસ્થામાં પોતાના પ્રાણ પાથરી દીધાં. પણ છેવટે તો બ્રાહ્મણભાઈ ને! ધંધો એટલો ખોટમાં ચાલતો હોવાથી વેંચી નાખ્યો. આ ઉધામામાં એક જમા પાસું એ છે કે પોતે ભાગી ભાગીને કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી Educationમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધી. અદનાન મિયાંએ પણ તે દરમિયાન રડગર યુનિવર્સિટીમાંથી M.B.A. પતાવી દીધું. બંને લોકો ફરી કોર્પોરેટ વર્લ્ડમાં જોડાઈ ગયાં. અમેરિકન ભાષામાં કહું તો on going stressમાં સંઘર્ષોની વચ્ચે સિદ્ધિઓ પામતાં જ ગયાં. આ બાજુ અદનાનને મિડલ ઇસ્ટમાં સારી નોકરી મળતાં તેઓશ્રી ધંધાર્થે ત્યાં ઊડી ગયા.

વચ્ચે એક લાંબી આડવાત કરવી જરૂરી જણાતાં કહું છું કે જયલાલ જન્મ્યાં, ત્યારે આશા હતી કે દીકરો આવશે. પણ પુત્રીરત્ન દીકરાથી પણ વધુ બાહોશ નીકળતાં અમે સૌ જયદેવીને બદલે એને જયલાલ કહીએ છીએ. મોટીબહેનનાં લગ્નમાં પણ ભાઈ તરીકે જવ-તલ હોમવા જયલાલ ઊભા રહેલાં. દર વર્ષે રક્ષાબંધનમાં મોટીબહેન જયલાલને રાખડી બાંધે છે. પિતાશ્રીના અવસાન પછી બંને બહેનોએ અગ્નિદાહ આપેલો અને શ્રાદ્ધ કરવા છેક સોમનાથ ગયેલાં. આવા તમામ પ્રસંગે અધાધોંગ બ્રાહ્મણો-પંડિતો સાથે દલીલબાજી નિર્ભયતાથી કરવા હરહંમેશાં જયલાલ તૈયાર ઊભાં રહે છે.

જયલાલ! આમ જોવા જઈએ તો મારું પોતાનું બાળસ્વરૂપ છે. દેખાવે તો મારા જેવી લાગે જ છે, પણ કૌતુક જેવી વાત તો એ છે કે રોજે રોજેની જિંદગીમાં એટલું બધું સામ્ય રહે છે કે કુટુંબનાં લોકો અમને ‘ભૂત’ કહે છે. આધ્યાત્મિક વાત પ્રમાણે અમે બે સ્વરૂપે એક જિંદગી જીવીએ છીએ. દાખલા તરીકે મને ડાબી બાજુની દાઢ દુખતી હોય, તો એની પણ એ જ દાઢ દુખે. નવા ઘરમાં અમે બંને એક જ દિવસે મૂવ થયાં. અમારાં બંનેનાં ઘરમાં આઠ દિવસ બાદ રૅફ્રિજરેટર આવે. બંનેને સાથે જ શરદી-તાવ, ઝાડા-ઊલટી થાય. મારી જેમ ૪૦ વર્ષ પછી જ જયલાલને પણ માસ્ટર ડિગ્રી મળે. અને હવે એની દીકરી સાવે સાવ મારી દીકરી જેવી લાગે. ક્યારેક અમને બંનેને બીક લાગે છે કે જો કાંઈ ખરાબ કરશું તો …! કાંઈ ખરાબ વિચારશું તો …! અમે ક્યારે ય એકબીજાંને ફોન નથી કર્યાં. કારણ કે ખબર જ છે કે સામે કાંઠે શું વિચારધારા ચાલી રહી હશે. છેવટે એક જગ્યાએ ઊભા રહી નક્કી કરી નાખ્યું છે કે જય મારી સાથે છે એ મારું ભાગ્ય છે અને હું એની સાથે છું તે અમારાં બંનેનું સદ્દભાગ્ય છે. જય જ્યારે પણ મળે ત્યારે મનમાં સુગંધ મઘમઘે. મારા કાનમાં નાખેલો અત્તરનો ફોયો નાક વાટે આખી કાયાને જગાડે!!

આમ ને આમ જય ૨૮ વર્ષ સુખી સંસાર ભોગવે છે. અનેક તોફાન- ઝંઝાવાતો, સંઘર્ષો હોવા છતાં જલસેથી ચાલતી જિંદગી હતી. ક્યારેક વેકેશનમાં જાય તો ધરતીકંપમાં ફસાય. ક્યારેક વેકેશન દરમિયાન મા-બાપને ત્યાં આગ લાગે. અરે! જય-અદનાન ‘9/11’ જેવા અમેરિકાને લાગેલા ઘામાં, તોફાનમાં ફસાય. બંને આવા ભયંકર અંધાધૂંધીમાં છૂટા પડી જાય. અનાયાસે ફરી ભેટો થઈ જાય. છતાંયે સુખી સંસારમાં, લગ્નજીવનમાં મોટો ઘા લાગે છે. અદનાને કોઈ પણ કારણ વગર છૂટાછેડા માગ્યા, ત્યારે મારાં મનનાં મનોજગતમાં સાચવેલી મોંઘેરી મૂડીના ભાંગીને ભુક્કા થઈ ગયાં. જયલાલે નહીં નહીં તો ૨૮ વર્ષની યાત્રામાં ૧૪ વખત ઘર બદલાવ્યાં હશે. પાંચ-સાત સ્ટેટ (પ્રાંત) અને ૧૭-૧૮ શહેરમાં રહી હશે. ૩-૪ વાર કૅરિયર બદલી હશે. પાંચ-સાત નોકરી બદલી હશે. પતિ મિડલ ઇસ્ટમાં નોકરી કરે એટલે દીકરીને એકલા હાથે જતનથી મોટી કરતી રહી છે. આવી કપરી સ્થિતિમાં હસતી રમતી જયને જોઈને હંમેશાં થાય છે કે હકારાત્મક અભિગમથી નરમાં પણ નારાયણનાં દર્શન જોવા મળે.

નાના એવા હ્રદયમાં લાખો જખમ હોય છે. પણ મોટીબહેન, માસી, કાકા તથા તમામ કુટુંબીજનોની હૂંફમાં-દુવાઓમાં બહુ દમ હોય છે એવું જય કહેતી ફરે છે.

આવી પાણીદાર, જોરદાર જયને મળીએ ત્યારે અંદરથી છલકાઈ જવાય છે. અમને સૌને સભર કરવા આવા અકારણ સ્નેહનાં સરનામાં જ પૂરતાં છે.

જયનો હરહંમેશાં જય જયકાર હો!!

e.mail : girishsuchi@comcast.net

Loading

...102030...2,2532,2542,2552,256...2,2602,2702,280...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved