Opinion Magazine
Number of visits: 9456394
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમી અને પરિષદ સાહિત્યિક સંસ્થાઓ હોય તો તે એકબીજાથી વિમુખ ન હોવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 March 2025

રવીન્દ્ર પારેખ

મુખ્ય મંત્રીથી માંડીને વડા પ્રધાન સુધીનાં પદો ચૂંટણીથી નક્કી થતાં હોય ને અકાદમીના અધ્યક્ષ ઉપરથી ગોઠવી દેવામાં આવે એ લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. સરકાર પોતે ચૂંટણીથી અસ્તિત્વમાં આવતી હોય તો સરકારની અકાદમીના અધ્યક્ષ નિયુક્તિથી આવે તે બરાબર નથી. 1905માં, ગુલામી કાળમાં સ્થપાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું માળખું લોકશાહી ઢબનું હોય ને 1981માં બનેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું માળખું સ્વાયત્ત ન હોય એનો સરકારને રંજ હોવો જોઈએ, તે પણ એક કાળે અકાદમી સ્વાયત્ત રહી ચૂકી હોય ને તે પછી સ્વાયત્તતાનો ઉલાળિયો થઈ ગયો હોય ત્યારે તો ખાસ ! ખરેખર તો રાજ્યની તમામ સાહિત્યિક, કલાકીય સંસ્થાઓએ આનો જાહેર વિરોધ કરવો જોઈએ, પણ કમભાગ્યે એનો વિરોધ એકલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ જ કરે છે. અકાદમી સ્વાયત્ત હતી ત્યારે ને તે પછી પણ પરિષદ અને અકાદમી વચ્ચે મેળ હતો, તે એ રીતે પણ કે ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા હતા, એટલું જ નહીં, એ બંને પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. અકાદમી સ્વાયત્ત હતી ને તેનાં બંધારણ મુજબ સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા અધ્યક્ષ ચૂંટી શકાતા હતા, પણ 2003થી 2015 સુધી એવું રહ્યું કે સરકાર દ્વારા થવી જોઈતી ચૂંટણી પ્રક્રિયા થઈ જ નહીં. છે ને કમાલ, બાર વર્ષ સુધી સાહિત્ય અકાદમી અધ્યક્ષ વગર જ ચાલી.

એ દરમિયાન પરિષદ પોતાની રીતે સક્રિય રહી. એમાં પણ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ક્યારેક આવનારા પ્રમુખો પર પણ નિર્ભર રહ્યો. કેટલાક પ્રમુખોએ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો કેન્દ્રમાં રાખીને પરિષદની નીતિરીતિ નક્કી કરી, પણ 2015માં સરકારે સીધી જ નિવૃત્ત સનદી અધિકારીને પ્રમુખ તરીકે નિયુક્ત આપી. આ ઠીક ન થયું. ખાનગી સંસ્થાઓમાં પણ પ્રમુખ, મંત્રી ચૂંટાઈને આવતા હોય તો સરકાર અકાદમીના અધ્યક્ષને ઠઠાડી દે એ તો કેમ ચાલે? ન ચાલે, પણ દસેક વર્ષથી ચાલે છે. દેખીતું છે કે પરિષદને આ ન રુચે.

2007ની આસપાસ પરિષદ પ્રમુખ નારાયણ દેસાઇએ 2003થી અકાદમી અધ્યક્ષ વગર જ ચાલે છે એ બાબતે જાહેરમાં સૌનું ધ્યાન ગાંધીનગરમાં જ દોર્યું હતું. એ પછી પરિષદ પ્રમુખ ભગવતીકુમાર શર્માની રાહબરી હેઠળ રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ, રવીન્દ્ર પારેખ, જનક નાયક તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે રૂબરૂ મળ્યા. તેમણે આશ્વસ્ત તો કર્યા, પણ પરિણામ ન આવ્યું. તે પછી પણ અકાદમીની સ્વાયત્તતા માટે ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા, નિરંજન ભગત, સિતાંશુ મહેતા, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી સુધીના પ્રમુખોએ સતત પ્રયત્નો કર્યા, પણ પરિણામ ન મળ્યું. ધીરુ પરીખ અને અન્ય લેખકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરેલી, પણ સરકારનું રૂવાડું આજ સુધી ફરક્યું નથી તે હકીકત છે. આટલા પ્રયત્નો પછી અકાદમીને તો બહુ અસર નથી થઈ, પણ પરિષદને ઘણી અસર થયેલી દેખાય છે.

પરિષદે અકાદમીનો વિરોધ કરવા જે રીતો અપનાવી તેનાથી અકાદમીની તો કાંકરી ય નથી ખરી, પણ પરિષદની શાંતિ ને સ્થિરતા જરૂર દાવ પર લાગી છે. અકાદમી સાથેના અસહકારમાં અકાદમીના કાર્યક્રમોનો બહિષ્કાર, તેનાં મુખપત્રનો નકાર, પારિતોષિકોનો અસ્વીકાર જેવા ઘણા પ્રયત્નો પરિષદે કર્યા, પણ એથી અકાદમી નિયંત્રિત થવાને બદલે, પરિષદ વધુ ને વધુ સંકીર્ણ થતી ગઈ, તે ત્યાં સુધી કે ગૂજરાત વિદ્યાપીઠે યોજેલી ચિનુ મોદીની શોકસભામાં પરિષદે એટલે બહિષ્કાર કરેલો કે એમાં અન્ય સંસ્થાઓની સાથે અકાદમી પણ સામેલ હતી. આ અભિગમ માનવીય ન હતો.

પરિષદના કેટલાક હોદ્દેદારોએ કે સભ્યોએ અકાદમીના કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ બન્યું ને એનું પરિણામ એ આવ્યું કે નક્કી થયેલી નીતિ મુજબ એવા સભ્યોએ પરિષદ છોડવી પડી, તો કેટલાકને પરિષદ છોડાવવી પડી. આવી નીતિને કારણે કેટલાક અન્ય રીતે સક્ષમ લેખકો, કવિઓ, વિવેચકો ગુમાવવાનું બન્યું. એક વસ્તુ સ્પષ્ટ છે કે પરિષદમાં આવતા હોદ્દેદારો કે મધ્યસ્થ સમિતિના સભ્યો લોકશાહી ઢબે ચૂંટણી જીતીને આવે છે, તેમને આવા અવ્યવહારુ નિયમોને કારણે પરિષદ છોડવાનું કહેવું લોકશાહીની વિરૂદ્ધ છે. અકાદમીના કાર્યક્રમોમાં જવું એ બિનસાહિત્યિક પ્રવૃત્તિ નથી કે સભ્યોને ચૂંટણી જીતવા છતાં, પરિષદ છોડવાની ફરજ પડે. અકાદમીના પુરસ્કારો સંદર્ભે પણ પરિષદની નીતિ સ્પષ્ટ નથી રહી. કેટલાક સર્જકોને અકાદમીના પારિતોષિકો કે માન-સન્માન પરત કરવાની ફરજ પડી, તો કેટલાકે ગજવે પણ ઘાલ્યાં ને તેમનો વિરોધ ન થયો.

અકાદમીમાં જવું જો પરિષદ માન્ય પ્રવૃત્તિ ન હોય તો અકાદમીમાં પ્રમુખ રહી ચૂકેલા કે અકાદમીમાં મહામાત્ર રહી ચૂકેલા મહાનુભાવો પરિષદમાં પ્રમુખ કે સંપાદક હોય તે પણ નભવું ન જોઈએ. તાજો જ દાખલો હર્ષદ ત્રિવેદી અને કિરીટ દૂધાતનો લઈએ. અકાદમીમાં સફળતાપૂર્વક મહામાત્રની ભૂમિકા બંને મિત્રોએ બજાવી છે. હર્ષદ ત્રિવેદીએ તો ‘શબ્દસૃષ્ટિ’ના અનેક સ્વરૂપોમાં યાદગાર વિશેષાંકો આપ્યા છે ને બંને અત્યારે પરિષદમાં પણ સફળતાપૂર્વક અનુક્રમે પરિષદ પ્રમુખની ને ‘પરબ’ના સંપાદકની ભૂમિકા ભજવી રહ્યા છે, તો તેઓ અગાઉ અકાદમીમાં હતા એટલે જ તેમની અવગણના કરીશું? એ યોગ્ય ખરું? પરિષદના પૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત ગુજરાતીના સર્જક, પદ્મશ્રી રઘુવીર ચૌધરી પરિષદના એક ટ્રસ્ટી પણ છે. તેઓ અકાદમીનાં નિમંત્રણથી સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેટલા માત્રથી તેમનો વાંધો ઉઠાવવાનું યોગ્ય ગણાય કે પરિષદના હોદ્દેદાર તરીકે અકાદમીમાં ઉપસ્થિત રહીને પરિષદનું માન વધારે તે યોગ્ય ગણાય તે વિચારાવું જોઈએ.

પરિષદે એ પણ જોવાનું રહે કે પરિષદના હોદ્દેદારો ને સભ્યો પરિષદના પગારદાર નોકરો નથી. ઘણા સભ્યો પરિષદ ઉપરાંત સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. એ સંસ્થાઓ અકાદમીની સહાયથી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી હોય ને એ સંસ્થાના સભ્યો પરિષદ સાથે પણ સંકળાયા હોય ને પરિષદે અકાદમીના બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો હોય તો તે કયા જોર પર અકાદમીનો બહિષ્કાર કરશે, જ્યાં તેની સંસ્થા અકાદમીની સહાય મેળવવા વિવશ હોય? પરિષદે પોતે અકાદમીની ઘણી મદદ સ્વીકારી હોય તો તે બીજી સંસ્થાને બહિષ્કારને નામે અકાદમીની સહાય ન સ્વીકારવાનું કહી શકશે?

કોણ જાણે કેમ પણ પરિષદનો સ્વાયત્તતા સંદર્ભે અકાદમીનો વિરોધ ઘણું ખરું તો પરિષદ પૂરતો ને પરિષદમાં જ રહ્યો છે. આ સ્થિતિ જાહેર વિરોધમાં પરિણમવી જોઈએ ને વિરોધ સરકાર સુધી પહોંચવો જોઈએ, પણ તેવું ઓછું જ થયું છે. પરિષદે સમય માંગીને સરકાર સાથે મીટિંગ કરીને સ્વાયત્તતાનું કોકડું ઉકેલવું જોઈએ. આ લખનારે પરિષદ ઉપપ્રમુખ તરીકે અન્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે તે વખતના મંત્રી નાનુ વાનાણીને મુખ્ય મંત્રી સાથે મુલાકાત ગોઠવવા સંમત કર્યા, તો તે વખતના પરિષદ પ્રમુખે રાજેન્દ્ર પટેલને મંત્રીને મળવાની જરૂર ન હતી, એમ કહીને મુખ્ય મંત્રીની સંભવિત મુલાકાત પર પડદો પાડી દીધો. એ પછી સરકારને મળવાનો પ્રયત્ન પરિષદે કર્યો હોય તેવો ખ્યાલ નથી. પરિષદના પ્રયત્નો ટાંચા પડતા હોય એવું ખરું કે કેમ? એનો અર્થ જરા ય એવો નથી કે આ લખનારને અકાદમીની સ્વાયત્તતા ખપતી નથી, પણ પરિષદ ઘર બાળીને તીરથ ન કરે એટલી અપેક્ષા તો રહે જ છે.

અકાદમીની સ્વાયત્તતા માટે સરકાર ઉત્સુક નથી એ દુ:ખદ છે. આમ તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી સરકારની ગ્રાન્ટ લે છે, તે સિવાય તેનું માળખું સ્વાયત્ત છે, એ સાથે જ રાજ્યોની અકાદમીઓ સ્વાયત્ત નથી, એ પણ ખરું. મહારાષ્ટ્ર, બંગાળ, કન્નડ … સાહિત્ય અકાદમીઓને સ્વાયત્ત કરવા જે તે રાજ્યના સર્જકો પ્રયત્ન કરે છે કે આ વિરોધ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પૂરતો જ છે, તેની તપાસ થવી ઘટે. એનો અર્થ એવો નથી કે પરિષદે અકાદમીની સ્વાયત્તતા માટે પ્રયત્ન ન કરવો. કરવો, પણ અન્ય રાજ્યોના સર્જકોને અકાદમીની સ્વાયત્તતા વગર કેમ કોઈ ફરક નથી પડતો કે તેમની પાસે અન્ય વિકલ્પો છે, તેની તપાસ થવી ઘટે. એ રીતે તો ગુજરાતની સાહિત્ય અકાદમી પ્રકાશન, પુરસ્કાર અને પારિતોષિકની પ્રવૃત્તિ કરી રહી છે તે આશ્વસ્ત કરનારી ઘટના છે.

અકાદમીની સ્વાયત્તતા તો આવતાં આવશે, પણ પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગે એટલે પણ પરિષદનાં ધારાધોરણો વધુ માનવીય અને વ્યવહારુ બને એ અપેક્ષિત છે. કમ સે કમ અકાદમીના બહિષ્કાર કે અસ્વીકારની બાબતે પરિષદ પુનર્વિચાર કરી, પ્રચંડ વિરોધ સરકાર સુધી કઈ રીતે પહોંચે એ અંગે ગંભીરતાથી વિચાર કરી શકે. પરિષદનો વિરોધ કુલડીમાં ગોળ ભાંગવા જેવો ન હોવો જોઈએ. અકાદમીની સ્વાયત્તતા પરિષદને ખાલી કરાવનારી પ્રવૃત્તિ બનતી હોય તો નક્કી ધારાધોરણો સંદર્ભે ફેર વિચારણા કરવાની રહે. અકાદમી અને પરિષદ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ છે. બંને વચ્ચે અંટસ હોય એમાં હાનિ સાહિત્યની છે ને એ ન થાય એટલું બંને સંસ્થાઓએ જોવાનું રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2025

Loading

હોળીનો  રંગ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 March 2025

આજે હોળી છે; સૌ કોઈને કોઈ રંગ લઈને એક બીજા સાથે હોળી રમવા થનગની રહ્યા છે; પણ એક વાતનો સૌને રંજ છે કે છેલ્લાં પંદર વર્ષથી અમૂખલભાઈ અને મીનાબહેનનું ઘર હોળીનાં બે દિવસ બંધ હોય છે, એમ આજે પણ ઘર અંદરથી બંધ છે. દર વર્ષની જેમ આ હોળીમાં પણ અમૂલખભાઈ અને મીનાબહેને બે દિવસ ઘરમાં પુરાઈને પોતાની જાતને કેદ કરી દીધી છે; નથી હોળી રમવા આવતાં કે નથી કોઈ સાથે વાત કરતાં. સોસાયટીવાળા અમૂલખભાઈ અને મીનાબહેનનાં ગૃહકેદનું કારણ જાણે છે, એટલે તેમને કોઈ દુઃખ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે. તેમ જ તેમના ઘર પાસે પણ કોઈ હોળી રમીને ધમાલ કરતાં નથી.

અમૂલખભાઈ અને મીનાબહેને સોસાયટીમાં આજથી બાવીસ વર્ષ પહેલાં મકાન ખરીદ્યું હતું. મળતાવડા સ્વભાવ અને મદદ કરવાની ટેવથી સોસાયટીમાં બધાંની સાથે હળીમળી ગયાં હતાં. વળી બંને હોળી રમવાનાં અને લોકોને હોળી રમાડવાનાં ભારે શોખીન હતા. હોળીનાં દિવસે તો તેનું ઘર સપ્તરંગોથી ભરાઈ જતું આખી સોસાયટીનો ભોજન સમારંભ પણ તેને ત્યાં જ હોય. પંદર વર્ષ પહેલાં આવો જ હોળીનો તહેવાર હતો; બધા હોળી રમવામાં મશગૂલ હતા ને કોઈક વાહન અમૂલખભાઈનાં પાંચ વર્ષના નીરવને ઠોકર મારી જતું રહ્યું; માથામાં અને શરીર પર ઠેકઠેકાણે ખૂબ જ ઈજાઓ થઇ હતી. તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વિધિનો ક્રૂર પંજો ફરી વળ્યો; નીરવને ન બચાવી શકાયો. ત્યારથી અમૂલખભાઈ અને મીનાબહેન હોળીનાં બે દિવસ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેતાં હતાં. લોકોથી, સમાજથી અલિપ્ત થઇ પોતાના દુઃખને બંને સહન કરી લેતાં હતાં.

સોસાયટીમાં એક યુવાન ચાર મહિનાથી રહેવા આવ્યો હતો. નામ પણ નીરવ હતું. તેણે જોયું કે અમૂલખકાકા અને કાકી ક્યાં ય બહુ ભળતાં નથી, કામથી કામ રાખે છે. નીરવને અમૂલખકાકામાં રસ પડ્યો; તેણે માહિતી મેળવી અને સમજી ગયો કે કાકા તેના મૃતપુત્ર નીરવનાં શોકમાંથી હજી બહાર આવ્યા નથી, બાકી માહિતી મળી એ પ્રમાણે માણસ ઉમદા છે.

નીરવે વિચાર્યું હું અનાથ છું અને અનાથાશ્રમમાં મોટો થયો છું. મારી ઉપર ક્યાં માબાપની છત્રછાયા છે. નીરવે મનમાં એક સંકલ્પ કર્યો કે આ હોળીમાં અમૂલખકાકા અને કાકીનું પુત્રવિયોગનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. નીરવના મનમાં પ્રશ્ન ઊભો થયો કે મારા નિર્ણયથી કાકાકાકીના મનને ઠેશ તો નહીં પહોચે ને? વળી, મનમાં પ્રશ્ન થયો પ્રયત્ન કરવામાં શું વાંધો છે ? હું કાકાકાકીનું મન ન દુભાય તેનું પૂરતું ધ્યાન રાખીશ. કાકાકાકી મારી વાત પર ધ્યાન આપે, તેવી વંદન કરીને વિનંતી કરીશ. મને ઈશ્વરે જ આ તક આપી છે. મારે ખરા મનથી પ્રયત્ન કરવો જોઈએ. અંતે નીરવે પોતાનો નિર્ણય અમલમાં મુકવાનું નક્કી કરી અમૂલખભાઈ ઘરે ગયો.

“કાકા, બારણું ખોલો.”

“કોણ છે?”

“હું, નીરવ.”

અમૂલખભાઈએ મીનાબહેન સામે જોયું. બંને નીરવ નામ સાંભળી ચમકી ગયા. આ પહેલાં આવો અનુભવ ક્યારે ય થયો નહોતો. અમે નામ તો બરોબર સાંભળ્યું છેને; નીરવ, નીરવ અહીંયા ક્યાંથી હોય? નીરવને તો મૃત્યુ પામ્યા પંદર વર્ષ થઈ ગયાં.અમને નીરવના નામનો ભાસ થયો છે. અમૂલખભાઈએ બારણું ન ખોલ્યું.

ફરીથી બારણું ખખડ્યું, “કાકા, હું નીરવ છું અને તમારી સોસાયટીમાં રહું છું.”

“અમે આ હોળીના બે દિવસ બહાર નથી નીકળતાં; તારે અમારું શું કામ છે? કોઈ કામ હોય તો બે દિવસ પછી આવજે.” 

“કાકા, બારણું ખોલો તો ખરા; હું તમને કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી નહીં કરું; ફક્ત પાંચ મિનિટ માટે તમારું બારણું ખોલો, મારે તમારાં દર્શન કરવાં છે.”

અમૂલખભાઈએ ભારે હૃદયે બારણું ખોલ્યું. નિરવ હાથમાં લાલરંગ લઈને ઊભો હતો. અમૂલખભાઈના ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો. બારણું બંધ કરવા હાથ લંબાવ્યો.

“કાકા, મારી એક વાત સાંભળો; પછી તમે યોગ્ય લાગે તો મને ધક્કો મારી બારણું બંધ કરી દેજો. હું ચાલ્યો જઈશ.”

“કાકા, હું અનાથ છું. અનાથાશ્રમમાં મોટો થયો છું. મારાં માતાપિતા કોણ છે, એ મને ખબર નથી. અનાથાલયે મને ઉછેરી ભણાવી-ગણાવી મોટો કર્યો છે. મને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે; પગાર પણ સારો છે. હું અનાથાશ્રમનું ઋણ ભૂલ્યો નથી. શહેરમાં જોબ મળવાથી ચાર મહિના પહેલાં આ સોસાયટીમાં રહેવા આવ્યો છું. મેં તમારી વિશે વાત જાણી. મારા મનમાં વિચાર આવ્યો કે અમૂલખકાકાને તેના દીકરા નીરવનાં મૃત્યુનું દુઃખ છે; મારે માતાપિતાની છત્ર છાયા નથી. હું અમૂલખકાકાના નીરવને પાછો તો ન લાવી શકું પણ નીરવ બની માતાપિતાની છત્રછાયા તો મેળવી શકું. આ વિનંતી લઈ તમારી પાસે આવ્યો છું. આ બાબતે તમને જે યોગ્ય લાગે તે કહો. હું આજ પછી તમારી પાસે વિનંતી લઈને ક્યારે ય નહીં આવું.” નીરવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

નીરવે કહ્યું, “કાકા મારા હાથમાં લાલ રંગ છે. લાલરંગ ગુસ્સાનું પ્રતીક છે સાથે સાથે પ્રેમ અને શુભદાનું પણ પ્રતીક છે. મેં મારી વાત આપણે જણાવી દીધી. હું નિર્ણય આપની ઉપર છોડું છું.તમારો જે કંઈ નિર્ણય હશે, એ મને માન્ય છે.”

અમૂલખભાઈ અને મીનાબહેનની આંખો ચોધાર આસુથી વહી રહી હતી. નીરવના હાથના ખોબામાં રહેલા લાલરંગમાં આસું ભળી રહ્યાં હતાં. અમૂલખભાઈએ પોતાનાં આસું અને લાલરંગ મેળવી જમણા હાથના અંગૂઠાથી નીરવના કપાળમાં તિલક કર્યું. મીનાબહેને પણ તિલક કરી દુઃખણાં લીધાં. નીરવે બંનેનાં ગાલ પર હળવેથી આંગળાંથી લાલરંગ લગાડી પગે લાગી કહ્યું, “આજથી હું આપ બંનેને મારા માતાપિતાનું સ્થાન આપું છું. સદા ય તમારી સાથે રહીશ, એવું વચન આપું છું.”

સોસાયટીનાં બધાં લોકો અમૂખલભાઈને ઘરે એકઠા થઈ ગયાં હતાં. બનતા બનાવનાં સાક્ષી બનીને ઊભા હતાં. બધાંની આંખમાંથી ખુશીનાં આસુંઓ વહી રહ્યાં હતાં.

અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવ બહાર આવ્યાં. બધાં એ ત્રણેયને હર્ષનાદ અને તાળીઓથી વધાવી લીધાં.

અમૂલખભાઈએ કહ્યું, “આજે મને મારો નીરવ પાછો મળી ગયો છે. આજે પહેલાંની જેવી જ હોળીનું આયોજન કરો. વિવિધ રંગોને ગુલાલ ઉડાડો. રંગની છોળોથી સોસાયટીને રંગી નાખો. ભોજન સમારંભનું આયોજન પણ અહીં જ કરો. પહેલાં જેવો જ ઉત્સવ મનાવો. આજે અમે બહુ જ ખુશ છીએ. તમને બધાંને અમારી ખુશીમાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.”

આખી સોસાયટી હિલોળે ચડી ગઈ. અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવની ખુશીમાં સામેલ થઈ સપ્ત રંગે રંગાઈ ગઈ.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

સ્વયં આપણી ખોજ દર્શાવતા ફિલ્મ દિગ્દર્શક : શ્યામ બેનેગલ

અભિજિત વ્યાસ|Opinion - Opinion|13 March 2025

શ્યામ બેનેગલ

ફિલ્મ ‘અંકુર’ જોઈને વિચારે ચડી જવાયું હતું. મોટા ભાગના કલાકારો નવા જ હતા. ખાસ પરિચિત પણ નહીં. અને તો પણ એ બધા દિલોદિમાગ પર છવાઈ ગયા હતા. એ ફિલ્મ જોયા પછી હું તો વિચારતો થઈ ગયો હતો, દેશના અનેક દર્શકો પણ વિચારતા થઈ ગયા હતા. એક અત્યંત નવા દિગ્દર્શકની પહેલી જ ફિલ્મ અને સત્યજિત રાય અને મૃણાલ સેનથી લઈને અનેક લોકો તેના વિશે લખવા મજબૂર થઈ ગયા હતા. અલબત્ત, સૌને પોતપોતાના અભિપ્રાય હતા.

શ્યામ બેનેગલની ફિલ્મોએ પછી તો ઘેલું લગાડ્યું તેમ કહીએ તો પણ ચાલે. દર્શકોનો એક વિચારશીલ વર્ગ તેમની ફિલ્મોની રાહ જોવા લાગ્યો. અને શ્યામ બેનેગલની ફિલ્મોને સફળતા મળવા લાગી. એક વખત આ સંદર્ભમાં મે શ્યામબાબુને પ્રશ્ન કરેલો કે આપની ફિલ્મો વ્યાવસાયિક ધોરણે ખાસ સફળ નથી હોતી, ત્યારે જવાબમાં એમણે કહેલું કે ફિલ્મ-સર્જન કલા સાથે વ્યવસાય પણ છે. મારી ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ ન થતી હોત તો હું આટલી ફિલ્મો કદી સર્જી ન શકત. આ વાત અલબત્ત, 1985ની સાલની છે.

 1974માં ફિલ્મ ‘અંકુર’ની રજૂઆત થઈ, ત્યારથી એમની બધી ફિલ્મો જોવાનો આગ્રહ રહ્યો છે. એમની કેટલીક ફિલ્મો એકથી વધુ વાર જોવાનું બન્યું છે. શ્યામ બેનેગલને આ બધો સમય ક્યાંક ક્યાંક જોવાનું-સાંભળવાનું બનેલું, પણ મળવાનો અવસર મને 1985માં મળ્યો. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના દીક્ષાંત સમારોહ માટે અમદાવાદ આવેલા, એમને મળીને એમની સાથે નિરાંતે વાત કરવાની ઇચ્છા હતી. એ માટે એમનો સમય માંગ્યો. બીજા દિવસે રવિવારે સવારના જ એન.આઈ.ડી.ના પરિસરમાં મળવાનો સમય આપ્યો. ઘણી બધી વાતો કરી. એ દિવસે એમની સાથેની વાતચીત રેકૉર્ડ પણ કરેલી. એ જ દિવસે એમની સાથે જ બેસીને એમણે સત્યજિત રાય પર સર્જેલી દસ્તાવેજી ફિલ્મ પણ જોવાનો અવસર મળ્યો. આ પછી લગભગ એક વર્ષના સમય બાદ તેઓ ‘ત્રિકાલ’નો શો કરવા પુણેસ્થિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા, ત્યારે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં મળવાનો યોગ થયો. પછી એમની સાથે સાહજિકતાથી મિત્રતા થઈ.

શ્યામ બેનેગલનો જન્મ હૈદરાબાદમાં 14 ડિસેમ્બર 1934ના રોજ થયેલો. એમના પિતા એક વ્યવસાયિક ફોટોગ્રાફર હતા. દસ સંતાનોમાં એક શ્યામને ફોટોગ્રાફીનો શોખ વારસામાં મળેલો. શ્યામે પોતાની પહેલી ફિલ્મ બાર વર્ષની ઉંમરે બનાવી હતી. શ્યામને સાહિત્યનો શોખ હતો અને તેઓ ટૂંકી વાર્તા તથા કવિતાઓ પણ લખતા હતા. કૉલેજના દિવસોમાં રંગભૂમિ ઉપર પણ સક્રિય હતા. અર્થશાસ્ત્રના વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા બાદ ફિલ્મના માધ્યમમાં કામ કરવા માટે મુંબઈ આવ્યા. ફિલ્મ દિગ્દર્શક ગુરુ દત્ત એમના પિતરાઈ ભાઈ થતા હતા. પ્રારંભમાં એડવર્ટાઈઝિંગ એજન્સીમાં કોપી-રાઈટર તરીકે કાર્ય કર્યા બાદ જાહેરાતની ટૂંકી ફિલ્મો તથા દસ્તાવેજી ફિલ્મો બનાવવાનું શરૂ કરેલું. ‘અંકુર’નું સર્જન 1973માં કર્યુ એ પહેલા એમણે 250 જેટલી જાહેરાત માટેની અને ત્રીસેક જેટલી દસ્તાવેજી ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા હતા. એમની બે-એક દસ્તાવેજી ફિલ્મો પર ભારત સરકારે પ્રતિબંધ પણ જાહેર કર્યો છે.

‘અંકુર’ ની જ્યારે રજૂઆત થઈ ત્યારે આપણે ત્યાં નવ્ય સિનેમાનો પ્રભાવ હતો. અને એની શરૂઆતમાં જ આ ફિલ્મની સફળ રજૂઆત અનેક રીતે મહત્ત્વપૂર્ણ રહી. આ મહત્ત્વ ફક્ત દર્શકો પૂરતું જ નહોતું, પણ ફિલ્મ સર્જકો માટે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. ‘અંકુર’ને બંને પ્રકારનો – સમીક્ષકો દ્વારા વિવેચનાત્મક અને આવકની દૃષ્ટિએ પણ સારો આવકાર મળેલો. એ પણ શ્યામ બેનેગલને માટે અને આ દિશામાં જવા માગતા બીજા અને દિગ્દર્શકોને માટે મહત્ત્વનો રહ્યો. પહેલી જ ફિલ્મથી શ્યામ બેનેગલે પોતાની એક ટીમ ઊભી કરી, જેમાં સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાની અને સંગીતકાર વનરાજ ભાટિયાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અદાકારોમાં શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, ઓમ્‌ પુરી અને અમરીશ પુરી વગેરે પણ જોડાયાં હતાં. બીજી જ ફિલ્મથી શ્યામે એક નવી અભિનેત્રી સ્મિતા પાટીલને રજૂ કરી. શબાના આઝમીની પસંદગી શ્યામે ગોવિંદ નિહલાનીની અણગમા છતાં કરી હતી. આજે આ બંને અભિનેત્રીઓ ભારતીય સિનેમાના પ્રત્યેક મહત્ત્વના પડાવ પર ઊભેલી જોવા મળે છે.

‘નિશાન્ત’ ફિલ્મનાં સાથીદારો

શ્યામ બેનેગલની એક ખાસિયત રહી છે કે નિર્દય સત્તાની સાથે સાથે જાતીયતા(sex)ની વાત સાંકળે છે. ‘અંકુર’, ‘નિશાન્ત’, ‘મંથન’, ‘કોન્ડૂરા’, ‘મંડી’ કે ‘સરદારી બેગમ’માં આંતરિક સંબંધોમાં સત્તા (power-પાવર), કર્મકાંડ (ritual), જાતીયતા (sex) અને હિંસા(vilonce)નું પુનરાવર્તન કર્યું છે. પરિણામે એમની શરૂઆતની ફિલ્મમાં સ્ત્રીઓનાં પાત્રમાં કેટલાંક તત્ત્વો સમાન આવ્યાં છે. જાતીયતા અને સત્તાના સંબંધો અને જાતીયતા જ એક સત્તાના પરિબળ તરીકેનું નિરૂપણ શ્યામ બેનેગલની ફિલ્મોમાં મહત્ત્વનું રહ્યું છે. ‘નિશાન્ત’ માં આ પરિબળોની રજૂઆત થઈ છે, જે ‘મંડી’ અને ‘સૂરજ કા સાતવા ઘોડા’ સુધી ફરી-ફરીને અલગ-અલગ રીતે પુનરાવર્તન પામી છે.

‘ભૂમિકા’માં શ્યામ બેનેગલ પ્રથમ વખત શહેરમાં પ્રવેશે છે. ‘ભૂમિકા’ પહેલાની ફિલ્મોમાં ગ્રામ્ય પરિવેશ અને જીવનની રજૂઆત થઈ છે. આ સંદર્ભમાં એમને પૂછેલું ત્યારે શ્યામે જવાબ આપેલો કે જે દેશનો મોટાભાગ ગ્રામ્ય પ્રદેશ છે તેને કેમ ટાળી શકાય? પણ ‘ભૂમિકા’માં શહેરી વાતાવરણ છે. તેમાં પણ એક અભિનેત્રીના જીવનને સ્પર્શતી વાત બેનેગલે કરી છે. તેથી લોકાલનું મહત્ત્વ વધી જાય છે. આમ પણ શ્યામ બેનેગલની ફિલ્મોમાં લોકાલનું મહત્ત્વ અનેરું જોવા મળે છે. અને ક્યારેક ક્યારેક તો આ લોકાલ એક મહત્ત્વનું પાત્ર બની જાય છે. ‘ભૂમિકા’માં બેનગલે અનેક પ્રકારના પ્રયોગો કર્યા છે. જે એમની દૃશ્યરચનાને મહત્ત્વનું પરિણામ આપે છે.

‘ભૂમિકા’માં સ્મિતા પાટીલ

‘ભૂમિકા’ ફિલ્મ હિન્દી-મરાઠી સિનેમાની એક જમાનાની જાણીતી અભિનેત્રી હંસા વાડકરના જીવન ઉપરથી સર્જાઈ છે. એક અભિનેત્રીના જીવન ઉપરથી ફિલ્મ સર્જાતી હોવાને કારણે ફિલ્મમાં કથાની અંદર જ ત્યારના સમાજજીવનની વાતને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નિરૂપવામાં આવી છે. એટલે સાથેસાથે ભારતીય સિનેમાનો ઇતિહાસ પણ જાણવા મળે છે. શ્યામ બેનેગલે આ બધું દૃશ્ય દ્વારા રજૂ કર્યું છે. એટલે એક યુક્તિ-ટેકનિક કરી છે. ફિલ્મની રજૂઆત અલગ-અલગ વૃત્તાંશ(episode)માં કરી છે. અને પ્રત્યેક વૃત્તાંશ એક-એક ભૂતકાલીન ઘટના(ફ્લૅશ બૅક)ને રજૂ કરે છે. પ્રત્યેક ફ્લૅશબૅક અલગ અલગ ટોન અને રંગ આપવામાં આવેલા છે. ફિલ્મ રંગીન (colour) છે, પણ પછી જ્યારે પહેલી ફ્લૅશબૅકની રજૂઆત થાય છે ત્યારે શ્વેત-શ્યામ(black & White)માં રજૂઆત પામે છે. આ પછીની ફ્લૅશબેક શેપિયા અને બ્લ્યુ ટોનમાં રજૂ થઈ છે. તે પછીની ફ્લૅશબૅક રંગીન આવે છે. રંગોમાં પણ બેનેગલે ત્રણ અલગ-અલગ પ્રકારના રંગોની બ્રાન્ડનો ઉપયોગ કર્યો છે. ભારતીય સિનેમામાં સૌ પ્રથમ ઓરવો રંગનો ઉપયોગ થયો હતો. તેથી એ સમયની રજૂઆત ઓરવો (orwo) કલરમાં થાય છે. અને પછીની રજૂઆત ફ્યુજી અને ઈસ્ટમૅન કલરમાં થઈ છે. આમ ભારતીય સિનેમાનો ઇતિહાસ અભિનેત્રીની જીવનની સાથે સાથે જ રજૂઆત પામે છે. પણ કથામાં જે અભિનેત્રી ઉષા છે તેના જીવનમાં આવેલા પ્રણય પ્રસંગો, એનું શોષણ (exploitation), તથા વિવિધ પુરુષો સાથેના સંબંધોની વાત થઈ છે. જે આપણા ઉચ્ચ વર્ગના સામાજિક જીવનની વાત કરે છે. આ અભિનેત્રી સ્વચ્છંદી જીવન જીવી રહી છે, તે જ અભિનેત્રી જ્યારે પોતાની પુત્રીનાં લગ્ન થયાં છે કે નહીં એવું જાણ્યા વગર એવું જુએ છે કે તેણી ગર્ભવતી છે ત્યારે અચાનક જૂનવાણી (orthodox) થઈ જાય છે. વ્યક્તિનાં, પોતાના માનેલાં માટેના અને બીજા માટેનાં મૂલ્ય કેટલાં અલગ-અલગ હોય છે તે આ ફિલ્મમાં સારી રીતે જોવા મળે છે.

‘કલયુગ’માં રેખા

‘અંકુર’થી ‘મંથન’ સુધીની શ્યામ બેનેગલની ફિલ્મોમાં સામ્યવાદ, સામાજિક પ્રતિબદ્ધતા વગેરેનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. પણ ‘ભૂમિકા’થી બેનેગલ નવયથાર્થવાદથી દૂર થઈને વધુ માનવીય સ્તર પર ફિલ્મો સર્જવાનું શરૂ કરે છે. શ્યામ બેનેગલનું એક બીજું પ્રદાન છે, કથાનકની મહત્તાનું સાર્થક સિનેમામાં પુનઃસ્થાપન કર્યું. ચીલાચાલુ ફોર્મ્યુલાને બદલે સારી વાર્તાઓ પરથી પટકથા તૈયાર કરીને ફિલ્મો સર્જવાની શરૂઆત કરે છે. જેના પરિણામે રૂપે ‘ઝનૂન’, ‘કલયુગ’, ‘કોન્ડૂરા’ અને ‘સૂરજ કા સાતવા ઘોડા’ જેવી ફિલ્મો અને ‘ભારત એક ખોજ’ જેવી ટેલિવિઝન સિરિયલ સર્જાય છે.

એવું કહેવાય છે કે શ્યામ બેનેગલ સ્ત્રીના બાળાત્કાર કે માનભંગથી દર્શકોને રીઝવે છે. આ વાત સાચી છે, કારણ કે શ્યામ બેનેગલના સમગ્ર સર્જનનું કેન્દ્રબિંદુ સ્ત્રી જ છે. સ્ત્રી જ બધી વાર્તાઓનું કેન્દ્રબિંદુ છે અને પુરુષ પાત્રો તેની આસપાસ ગોઠવાય છે. ‘અંકુર’ના ગૂંગા પતિથી લઈને ‘ભૂમિકા’ના પરપીડક પતિ અને ‘નિશાંત’ના સ્કૂલ માસ્તરથી લઈને ‘મંડી’ના દીવાના કિશોર કે ‘કલયુગ’ના ધર્મરાજ, કે ‘સૂરજ કા સાતવા ઘોડા’ના માણીક મુલ્લા સુધી, બધા પુરુષ પાત્રો લગભગ નપુંસક ભૂમિકા ભજવે છે. જ્યારે શક્તિ અને સત્તાની કેન્દ્રિય ભૂમિકાઓ સ્ત્રીઓના હાથમાં છે. શ્યામ બેનેગલની સ્ત્રીમાં લાઇફ સ્પિરિટ-વાસ્તવિક પૌરુષ છે જે એના પુરુષ પાત્રોમાં આપણને નથી જોવા મળતું. શ્યામ બેનેગલની મોટાભાગની ફિલ્મોમાં વામપંથી, સમાજવાદી અને માર્કસવાદી જટિલતાના નિરૂપણનો પ્રયાસ કરવાને બદલે એમણે ‘સ્ત્રી સેક્સ’નાં શોષણો સામાન્ય માણસની ભૌતિક સુવિધાઓનું પ્રતીક બનાવી દેવાનું વધુ પ્રતીતિકર સમજ્યું છે. કારણ કે આ પ્રતીક સામાન્ય દર્શકોની સમજમાં બહુ આસાનીથી આવે છે. શ્યામ બેનેગલની નાયિકાઓ દૈહિકતા અને અદૈહિકતાનો અદ્દભુત સમન્વય છે. નૈતિકતા કે સામાજિક મર્યાદાને શ્યામ બેનેગલ કે એમની નાયિકા મહત્ત્વ નથી આપતી. ‘અંકુર’માં ગામની ભરી પંચાયતમાં એક સ્ત્રી એમ કહેવાનું સાહસ કરે છે કે “આ બદન પણ ભગવાનનું બનાવેલું છે અને ભૂખ ફક્ત પેટની જ નથી હોતી”. શ્યામ બેનેગલની નાયિકાઓ પરિસ્થિતિઓનો શિકાર બનવા છતાં પણ ઝૂકતી નથી કે તૂટતી નથી.

જાતીયતાની આટલી વિગતે રજૂઆત કરતા શ્યામ બેનેગલ પડદા ઉપર ગજબનો સંયમ પાળે છે. અને તેઓ કદી પણ તેનું પ્રદર્શન કરતા નથી. બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી જોઈને શકાય છે, પણ બળાત્કાર કે શારીરિક સંબંધોની વાતને પ્રતીકાત્મક જ તેઓ દર્શાવે છે. આ પ્રકારનો સંયમ પાળવો એ ખરે જ કઠિન કાર્ય છે. પણ શ્યામ બેનેગલ તેમાં પૂર્ણ સફળ થયા છે. આજે જાતીયતાના પ્રદર્શનથી જ ફિલ્મને વેચવાના વલણની સામે જાતીયતાની ચર્ચા કરતા વિષયો લેવા છતાં શ્યામ બેનેગલ તેનું પ્રદર્શન ટાળે છે. એ આવકાર્ય છે.

શ્યામ બેનેગલે ટેલિવિઝન માટે જે ધારાવાહિકોનું સર્જન કર્યું, તેમાં પણ ‘ભારત એક ખોજ’ અત્યંત મહત્ત્વની રહી છે. આપણે આપણી જ ખોજ કરવા પણ આ સિરિયલને ફરી ફરી જોવી રહી. તેમ બેનેગલે આપણા બંધારણ પર પણ એક સિરિયલ ‘સંવિધાન’નું સર્જન કરેલું છે.

શ્યામ બેનેગલને અનેક વિષયોની જાણકારી હતી. એમના ઘેર જઈએ ત્યારે એમને સતત કંઈક સંગીત સાંભળતા જોવા મળતા. એમને જમવાનો અને જમાડવાનો પણ અનેરો શોખ હતો. અને બેનેગલના ફિલ્મના શૂટિંગ સમયે સેટ પરના લોકોને પિકનિક જેવું લાગતું. રોજનું જમવાનું પણ અનેરું જમાડતા. એઓ પાકશાસ્ત્ર (રસોઈકળા) અને વાનગીઓ પર પણ મહિલા સંસ્થાઓમાં પ્રવચન આપતા. એજ રીતે કાર ડ્રાઇવિંગ વિષે પણ સારી જાણકારી ધરાવતા. તેમ છતાં તેઓ કદી રસોઈ કરતા નહીં કે મોટર ચલાવતા નહીં. એ બંને કામ એમનાં પત્ની નીરા પર છોડતા. શ્યામ બેનેગલની પુત્રી પિયા એક કૉશ્ચ્યૂમ ડિઝાઈનર છે. બેનેગલની બધી જ ફિલ્મની કૉશ્ચ્યૂમ ડિઝાઈન પિયાએ જ કરી હતી.

કલાત્મક ફિલ્મોનું સર્જન કરતા હોવા છતાં પ્રેક્ષકો સુધી પહોંચેલા દિગ્દર્શક તરીકે શ્યામ બેનેગલનું નામ આગવું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી સજાગ દર્શકોનું ધ્યાન ખેંચનાર આ દિગ્દર્શક સતત કાર્યરત રહ્યા હતા; એ જ એમની મોટી સિદ્ધિ છે. શ્યામ બેનેગલ બહુ થોડા ફિલ્મકારોમાંના એક હતા કે જેમણે એમની ફિલ્મો દ્વારા હિન્દી સિનેમાના વિષે સજદાર દર્શકોની જિજ્ઞાસા વધારી હતી. એક તરફ સમાંતર સિનેમાના મોટા ભાગના દિગ્દર્શકો વિદેશી દિગ્દર્શકોના પ્રભાવ હેઠળ કાર્ય કરતા હતા તો બીજી તરફ વ્યાવસાયિક સિનેમાનો દૃષ્ટિકોણ રાખ્યા વગર ફિલ્મોનું સ્તર જાળવીને શ્યામ બેનેગલે સતત ફિલ્મોનું સર્જન કર્યું હતું. શ્યામ બેનેગલની ફિલ્મો આપણી અને વિદેશની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને માટે અભ્યાસક્રમમાં સામેલ કરી છે. આપણે ત્યાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (પુણે)ના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મ મંથનની કેટલીક દૃશ્ય-શૃંખલાનું પુનઃનિર્માણ કરીને અભ્યાસ કરાવામાં આવેલો છે.

શ્યામ બેનેગલની મોટા ભાગની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂઆત પામી છે અને તેનો ગણનાપાત્ર ઉલ્લેખ થયો છે. એને પારિતોષિકો પણ પ્રાપ્ત થયાં છે. એમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘ભૂમિકા’, ‘ત્રિકાલ’, ‘આરોહણ’, ‘સુસ્મન’ તથા ‘સૂરજ કા સાતવા ઘોડા’નો ઉલ્લેખ કરવો જરૂરી છે. આપણી જ સ્વયંની ખોજને જેમણે ફિલ્મોમાં વ્યક્ત કરી છે એવા એક મહાન દિગ્દર્શકનું 23 ડિસેમ્બર 2024ના રોજ કિડનીની બીમારીના કારણ મુંબઇની વૉકહાર્ટ હૉસ્પિટલમાં સાંજે સાડા છ વાગ્યે અવસાન થયું. એમના જીવનને જાણે ‘પેક અપ’ કરી લીધું. ભારતીય સિનેમાના જ નહીં, વિશ્વ સિનેમાના ઇતિહાસમાં શ્યામ બેનેગલનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે.

ભારત સરકારે શ્યામ બેનેગલને 1976માં પદ્મશ્રી, 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે. 2005માં એમને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન ‘દાદાસાહેબ ફાળકે’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એમને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્ય સભાના સભ્ય તરીકે 2006થી 2012ના સમય માટે નિયુક્ત કરવામાં આવેલા હતા.

શ્યામ બેનેગલ એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક હતા, પણ એમની નામના વૈશ્વિક હતી.

E.mail : abhijitsvyas@gmail.com
પ્રગટ : “નવનીત સમર્પણ”; ફેબ્રુઆરી 2025; પૃ. 38-44

Loading

...102030...218219220221...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved