Opinion Magazine
Number of visits: 9573577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષિણ આફ્રિકામાં ગાંધી મોહનમાંથી મહાત્મા બન્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:

૧. પહેલો પદાર્થ હતો, માત્ર અને માત્ર સત્ત્વનું ગ્રહણ અને સત્ત્વ ન હોય તેનો ત્યાગ પછી ભલે એ ગમે ત્યાંથી મળ્યું હોય અને ગમે તેનું હોય. આની થોડી વાત આગળ કહેવાઈ ગઈ છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ઈશ્વર, કોઈ મસીહા, કોઈ પેગંબર, કોઈ અવતારપુરુષ, કોઈ ગ્રંથ, કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ વંશ, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ રાષ્ટ્ર, કોઈ વિચારક, કોઈ વિચારધારા અને બીજું જે કાંઈ. ફલાણાનું છે માટે અનિવાર્યપણે શ્રેષ્ઠ છે કે સંપૂર્ણ છે અથવા ફલાણાનું છે એટલે એમાં સત્ત્વ હોય જ નહીં એમ માનવાનું નહીં. કોઈને લાગશે કે આ માણસ તો જબરો નકારનારો હતો, પણ તેમના વ્યક્તિત્વનું રહસ્ય એ હતું કે એ નકારનારો નહોતો સ્વીકારનારો હતો.

ગાંધીજી લોકોને નથી સમજાતા અથવા ગાંધીજી વિશે અંદાજે એક લાખ પુસ્તક લખાયાં છે અને લગભગ દરેક કલાસ્વરૂપમાં આવિષ્કાર પામ્યા છે એનું કારણ આ કોયડો છે. ઘણાને લાગે છે કે એ સ્વીકારનારો હતો અને ઘણાને લાગે છે કે એ નકારનારો હતો. ગાંધીમાં એક જ સમયે અને એક સાથે બન્ને વસ્તુ હતી એ લોકોને ધ્યાનમાં આવતી નથી અથવા ધ્યાનમાં લેવી પરવડતી નથી. મળે ત્યાંથી સત્ત્વને સારવી લેવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી અને પુરુષાર્થ એટલો પ્રચંડ હતો કે તપશ્ચર્યામાં કોઈ મુમુક્ષુનો ગજ પણ ટૂંકો પડે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં સાથી મિલી પોલાકે લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં પણ ગાંધીજી તમારી સામે એવી રીતે જુએ અને એવી રીતે સાંભળે કે જાણે આ ધરતી ઉપર તમારા કરતાં વધારે મહત્ત્વની કોઈ વ્યક્તિ નથી અને તમે જે કહો છો એનાથી અગત્યની કોઈ વાત નથી. કારેલાંમાંથી બિયાં કેમ કાઢવાં અને ત્રણ પાઉન્ડનો દંડ કેમ દૂર કરવો એ બંને વાત તેમને માટે એક સરખી મહત્ત્વ ધરાવતી હોય. આવો અનુભવ બીજા સેંકડો લોકોને થયો છે અને અનેકે એ નોંધ્યો પણ છે.

સત્ત્વ હાથમાંથી સરકી ન જવું જોઈએ અને જેમાં સત્ત્વ નથી એ અનાવધાને અંદર પ્રવેશવું ન જોઈએ. નિરંતર ખબરદારી. સત્ત્વ પરાયું હોય તો પણ ગ્રાહ્ય અને સત્વહીન આપણું પોતાનું હોય તો પણ અગ્રાહ્ય. એક બાજુએ જ્યાંથી જે ખપનું મળે એ મેળવી લેવાની બાળસહજ તત્પરતા પણ જોવા મળે અને ગમતાંનો ગુલાલ કરીને તેને વહેંચવાની આસક્તિમાં માતાનું વાત્સલ્ય પણ જોવા મળે તો બીજી બાજુએ જે ખપનું નથી એનું ગ્રહણ ન થઈ જાય અને તે લોકો સુધી તેમના હાથે ન પહોંચે એ માટે યોગીની દક્ષતા અને રુક્ષતા પણ જોવા મળે.

સ્વીકાર અને અસ્વીકારના ગાંધીજીનાં આવાં વસ્તુનિષ્ઠ વલણને કારણે અનેક લોકો ગાંધીજીનો જ સ્વીકાર કરવામાં અને અસ્વીકાર કરવામાં થાપ ખાઈ જાય છે. ગાંધીજીએ અમારું સ્વીકાર્યું એ જોઇને રાજીના રેડ થઈ જનારાઓ ગાંધીજીએ અમારું નકાર્યું એ જોઇને દુઃખી થઈ જાય છે. પણ આ તો એવો માણસ છે જે કોઈનું ય પૂરું સ્વીકારતો નથી અને કોઈનું ય પૂરું નકારતો નથી. તો પછી આ છે કોણ સ્વીકારનારો કે નકારનારો? લોકો પોતપોતાની સગવડ મુજબ ગાંધીજીના સ્વીકાર-નકારને જોઇને ગાંધીજીનો સ્વીકાર-નકાર કરે છે. ગાંધીજી ભારત આવશે ત્યારે ભારતની કહેવાતી જાગૃત પ્રજા માટે અને તેના નેતાઓ માટે આ મોટો કોયડો બનવાનો છે. આ માણસનું કરવું શું? સ્વીકારવો કે નકારવો?

૨. મોહનના મસાલાનો બીજો પદાર્થ હતો; નિર્વૈર. પશ્ચિમની શ્વેત પ્રજા ભેદભાવ કરે એ સ્વીકાર્ય નથી અને એટલો અસ્વીકાર પૂરતો છે. આ સિવાય હજુ પણ શ્વેત પ્રજાનું જે કાંઈ અસ્વીકાર  કરવા જેવું લાગશે એનો ધરાર અસ્વીકાર કરીશું, પણ એને માટે વેરવૃત્તિ ધરાવવાની અને એને પાળવાની શી જરૂર છે? યુરોપની ગોરી પ્રજા કેવી છે, એણે ભૂતકાળમાં કઈ પ્રજા સાથે કેવાકેવા દુરાચાર કર્યા છે, તેમનો ધર્મ તેમને શું શીખવાડે છે વગેરે ઇતિહાસ અને ધર્મની કુંડળી કાઢીને નફરતનું દ્રવ્ય એકઠું કરવાની શી જરૂર છે? ગાંધીજી કહેતા કે તેમની પાસેથી શીખવા જેવું પણ ઘણું છે. એક કથન તેઓ અનેક વાર કહેતા કે ભારત તેમણે પુરુષાર્થથી મેળવ્યું છે અને આપણે આપણી મર્યાદાઓને કારણે ગુલામી વહોરી છે. આપણે તેમની પાસેથી પુરુષાર્થ શીખવો જોઈએ પછી તમારી દૃષ્ટિએ એ ગમે તેવી ખરાબ પ્રજા હોય અને આપણે આપણી મર્યાદા છોડવી જોઈએ પછી તમારી દૃષ્ટિએ આપણે ગમે તેવી મહાન પ્રજા હોઈએ.

પ્રજાનો સ્વભાવ એવો છે કે જેની સામે લડવું હોય એની સામે નફરતનો મસાલો એકઠો ન કરીએ ત્યાં સુધી કોટો ન ચડે. આંખમાં તેલ રેડીને રાત ઉજાગરા કરીને આપણે સાચો-ખોટો નફરતનો મસાલો શોધીએ છીએ અને પછી તેને ઘૂંટીએ છીએ. આ બાજુ આપણા શ્રેષ્ઠત્વનો પણ સાચો-ખોટો મસાલો શીધીએ છીએ અને તેને પણ ઘૂંટીએ છીએ. જ્યાં સુધી આપણા માટેનો અનુરાગ અને બીજા માટેનો દ્વેષ આપણા સ્વભાવનો હિસ્સો ન બની જાય ત્યાં સુધી આપણે તેને ઘૂંટતા રહીએ છીએ.

પણ ગાંધીજી તો કહેતા કે લડવા માટે વેરભાવની જરૂર નથી, સત્યનિષ્ઠાની જરૂર છે. તમે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા સાથે ભેદભાવ કરો છો એ ખોટું છે. અન્યાય છે. અમાનવીયતા છે. અસ્વીકાર્ય છે. મને સત્ય સમજાઈ ગયું છે અને મારા સ્વમાન માટે હું લડવાનો છું. એકલો હોઈશ તો એકલો લડીશ, પણ જે અસ્વીકાર્ય છે તેનો ડરીને સ્વીકાર નહીં કરું. એકલો છે માટે સ્વીકાર નહીં કરું. તમારું રાજ છે, તમારી પાસે પોલીસ અને લશ્કર છે માટે સ્વીકાર નહીં કરું. અંતે તમે મને સત્ય ખાતર ખપી જતા રોકી નહીં શકો. એ મારો અધિકાર છે જેના ઉપર તમારું અધિપત્ય કે શાસન નથી. મારા અંતરાત્મા ઉપર મારું શાસન છે. તમારું શાસન ગમે તેવું શક્તિશાળી અને નિર્દયી હોય, તેનું આધિપત્ય મારા અંતરાત્માના દરવાજે પૂરું થઈ જાય છે. અહીંથી મારું શાસન શરૂ થાય છે. માટે તેમણે મૅરિત્ઝબર્ગ સ્ટેશનની વાત કરતાં આત્મકથામાં લખ્યું છે; 'તેનો (શ્વેત પ્રજાનો) વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ મોહનદાસ છેક ૧૮૯૩માં આમ વિચારતો હતો.

૩. સ્વાભાવિકપણે મોહનના મસાલાનો ત્રીજો પદાર્થ હતો નિર્ભયતા. ગાંધીજીને કોઈ વાતનો ભય નહોતો. તેમણે ૧૯૦૫ની સાલમાં પોતાના મોટાભાઈને લખેલા પત્રમાં કહ્યું હતું કે ભય શું કહેવાય એ હું જાણતો નથી. તેમને મોતનો ડર નહોતો. એકલા પડી જવાનો ડર નહોતો. કોણ શું કહેશે એનો ડર નહોતો. ઇતિહાસ તેમને કઈ રીતે મૂલવશે એનો ડર નહોતો. ૧૯૪૬-૧૯૪૭ના નોઆખલીની કલ્પના કરો! જ્યાં કોમી રાજકારણ ચાલતું હતું, જે પ્રદેશ પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં હિંદુઓને ભગાડવા કોમી રમખાણો થયાં હતાં, શાંતિ સ્થાપવા માટે ગયેલા ગાંધીજીને જ્યાંથી કાઢવા માટે ખટપટ કરવામાં આવતી હતી ત્યાં બીજો કોઈ માણસ બ્રહ્મચર્યનો પ્રયોગ કરે? કરે તો કમરાની કૂંડી વાસીને છાને ખૂણે કરે, દરવાજો ઉઘાડો રાખીને કરે? અને આશ્ચર્ય હવે આવશે; પોતે શું પ્રયોગ કરી રહ્યા છે એ પ્રાર્થનાસભામાં લોકોને કહે અને બંગાળીમાં તેનો તરજુમો કરાવે.

આ એ જ માણસ કરી શકે જે સત્યનિષ્ઠ હોય, જે નિર્વૈર હોય અને જે નિર્ભય હોય.

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આ ત્રણ મૂડી રળીને ૧૯૧૫માં ભારત આવ્યા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

Loading

પાંચ કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|20 September 2020

ઠેકાણું નહીં !

મારું કંઈયે ઠેકાણું નહીં !
સુખ મળે સામું, માણું નહીં !

બિછાવી હતી મેં પણ જાળ
એકેય માછલું ફસાણું નહીં !

બતાવ્યા કેટલા ય રસ્તાઓ
પણ મારાથી ચલાણું નહીં !

કરું દોસ્તી અજાણ્યાઓથી
પોતાનાઓને પિછાણું નહીં !

જોયા બધાં ચહેરા કફનમાંથી
એમાં એક પણ અજાણ્યું નહીં !

રહ્યો એક જ અફસોસ છેલ્લે
દુ:ખ લીધું એને દેવાણું નહીં !

•

સરાણિયાનું ગીત

કોળિયો કેમે ય ન ઊતરે !
ભૂખ્યા જન જ્યાં ફરે !
પેટ ગયું પાતાળે
આંખો ઊંડા કૂવા !
ગણી-ગાંઠી પાંસળીઓ
ક્યાંથી દે તમને દુવા !
નીંદર ક્યાંથી હોય આંખોને
મનમાં દ્રશ્ય એ ફરે !… કોળિયો કેમેય ન ઊતરે !

આગ ઝરતી ક્રૂર બપોરે
એક સરાણિયો, પગ ઢસડતો
ધાર કાઢવા
ઉઘાડા પગે ફરે !
ધમણ થઈને છાતી ફૂલે
અંધારા આંખે ઊતરે ! … કોળિયો કેમેય ન ઊતરે !

સાંજ પડે ને ભૂખ્યા પેટે
ઓટલે કાયા ઢળે !
પાણી પીને, પરસેવાથી
ક્યાંથી નીંદર વળે ! … કોળિયો કેમેય ન ઊતરે !

જીવનની એ ધાર કાઢતો
બુઠ્ઠા સપનાં લઈને !
કાયા થાકી, શ્વાસેય ખૂટ્યા
જે આપો તે લઈ લે !
બટકું રોટલો મળી જાય તો
રાતની પીળા ટળે ! … કોળિયો કેમેય ન ઊતરે !

••

જઈને ક્યારી ક્યારી !

ફૂલ શોધે ફોરમને
જઈને ક્યારી ક્યારી !
ફૂલને જોઈને આવાં બ્હાવરાં
કળીઓ પણ શરમાણી ! … જઈને ક્યારી ક્યારી

રંગો બિચારાં થયા નિમાણા
સામ સામે જોતા !
સુગંધ વિનાનું કેવું જીવન
મનમાં બહુ મૂંઝાતાં !
કળીઓ પણ વાટ જોતી
પાનનો ઘૂંઘટ તાણી ! … જઈને ક્યારી ક્યારી !

ડાળીઓએ ડોક ધૂણાવી
સરવા કર્યાં કાન !
ઓચિંતો પમરાટ પથરાયો
વાંસડી વગાડે ક્હાન !
ફોરમે ફૂલોની સાથે
કરી પછી ઉજાણી ! … જઈને ક્યારી ક્યારી !

•••

મારો એક જ વિસામો

મારો એક જ વિસામો
કૃષ્ણ કેરો પાવો !
તમે રાજા દ્વારિકાના
હું ગરીબ સુદામો ! … મારો એક જ વિસામો !

લાવ્યો છું હું ચપટી તાંદુલ
માંગો તમે તો આપું !
આઘાપાછા જરી થતા ના
નયને બાંધી રાખું !
મિત્ર કહ્યો તો સંગે રહેજો
છોડી બીજા કામો ! … મારો એક જ વિસામો !

મિત્ર, મિત્ર કહી દોડી આવ્યા
ત્રણે લોકના સ્વામી !
સુદામાના પાય પખાળે
વાતો જ્યારે જામી !
સ્વાગત મારું કરવા નાથે
બહુ કર્યો ઉધામો ! … મારો એક જ વિસામો !

••••

મારો હરિ બહુ મોટો !

મારો હરિ બહુ મોટો !
ઉપર બેસી સઘળું જોતો
કોણ ખરો, કોણ ખોટો ! … મારો હરિ બહુ મોટો !

નરસિંહ કાજે શામળિયો ને
મીરાંનો એ ગિરધર !
જળનું પોત એક સરીખું
સરિતા હોય કે સરવર !
પ્રીત પારખી દોડી આવે
દયાનો નહીં કોઈ તોટો ! … મારો હરિ બહુ મોટો !

પાંચાળીનાં ચીર પૂર્યાં
કરી પાર્થને સહાય !
ગોપી કેરાં વસ્ત્રો ચોરી
જમના જળમાં ન્હાય !
શિશુપાલનું શિશ વધેરી
કંસનો પીસે ટોટો ! … મારો હરિ બહુ મોટો !

સુદામા કેરી ઝૂંપડીને
કરે સુવર્ણ મહેલ !
શરત એ છે શામળિયાની
તારે કરવી પહેલ !
એના ઉપર જો હોય ભરોસો
કદી ન પડતો ખોટો ! … મારો હરિ બહુ મોટો !

•••••

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—62

દીપક મહેતા|Opinion - Opinion|19 September 2020

નામ-રૂપ જૂજવાં : બોમ્બે ગ્રીન, એલ્ફિન્સ્ટન સર્કલ, હોર્નિમન સર્કલ

આ સર્કલ એટલે બ્રિટનના બાથ શહેરના રોયલ ક્રેસન્ટનું પ્રતિબિંબ 

માનશો? પહેલું ચર્ચગેટ સ્ટેશન દરિયાને અડીને આવેલું હતું

આપણા દેશમાંથી અંગ્રેજોનું રાજ ગયું તે પછી આખા દેશની જેમ મુંબઈમાં પણ જાહેર ઈમારતો, રસ્તાઓ, રેલવે સ્ટેશનો, વગેરે સાથે જોડાયેલાં અંગ્રેજોનાં નામ દૂર કરવાનું શરૂ થયું જે આજ સુધી ચાલુ રહ્યું છે. હજી થોડા વખત પહેલાં જ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલીને પ્રભાદેવી કરવામાં આવ્યું છે. પણ કંઈ નહિ તો એક દાખલો આના કરતાં ઊંધો જોવા મળે છે. એક બગીચા અને તેની આસપાસના વિસ્તાર સાથે જોડાયેલું એક અંગ્રેજનું નામ દૂર કરીને બીજા અંગ્રેજનું નામ જોડવામાં આવ્યું અને તે નામ આજ સુધી સચવાઈ રહ્યું છે. એ નામ તે હોર્નિમન સર્કલ. જે પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ હતું તે. અને આ બન્યું ૧૯૪૮-૧૯૪૯ના અરસામાં, એટલે કે દેશને આઝાદી મળી એ પછી લગભગ તરત.

“ધ બોમ્બે ક્રોનિકલ”ના તંત્રી હોર્નિમન

આજે આ હોર્નિમનનાં નામ-કામ લગભગ ભૂલાઈ ગયાં છે, એટલે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે આ હોર્નિમન હતા કોણ? અને તેમણે એવું તે શું કરેલું કે દેશ આઝાદ થયા પછી પણ મુંબઈના એક લેન્ડ માર્ક સાથે તેમનું નામ જોડાયું? આખું નામ બેન્જામિન ગાય હોર્નિમન. ઇન્ગ્લંડના સસેક્સ પરગણાના ડવ કોર્ટ ખાતે જન્મ. પિતા વિલિયમ હોર્નિમન રોયલ નેવીમાં કામ કરતા. બેન્જામિન પહેલાં પોર્ટસમાઉથની ગ્રામર સ્કૂલમાં અને પછી મિલિટરી એકેડમીમાં ભણ્યા. પણ પછી ૧૮૯૪માં થયા પત્રકાર. એ વર્ષે તેઓ 'પોર્ટસમાઉથ ઇવનિંગ મેલ’ નામના અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. પછી ‘ડેઈલી ક્રોનિકલ’, ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ જેવાં છાપાંમાં કામ કર્યું. ૧૯૦૬માં હિન્દુસ્તાન આવ્યા ને કલકત્તાના ‘ધ સ્ટેટ્સમેન’ના ન્યૂસ એડિટર બન્યા. સર ફિરોજશાહ મહેતાનું ધ્યાન એમના તરફ ગયું. તેમણે ૧૯૧૦માં મુંબઈથી ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું અખબાર શરૂ કર્યું હતું. એ વખતનાં મુંબઈનાં ઘણાંખરાં અંગ્રેજી છાપાં અંગ્રેજ રાજવટની તરફેણ કરનારાં હતાં. હિંદીઓ અને કૉન્ગ્રેસની નીતિ અને કામગીરીની તરફેણ કરવાની જરૂર જણાતાં તેમણે આ છાપું શરૂ કરેલું. કલકત્તામાં હતા ત્યારે પણ હોર્નિમનનું વલણ હિન્દુસ્તાનીઓની તરફેણમાં હતું. એટલે ફિરોઝશાહ મહેતાએ તેમને ૧૯૧૩માં પોતાના ‘બોમ્બે ક્રોનિકલ’માં તંત્રી તરીકે જોડાવાનું આમંત્રણ આપ્યું અને હોર્નિમન મુંબઈ આવી તેમાં જોડાયા. એ છાપું આઝાદી માટેની ચળવળને ટેકો આપતું એક મહત્ત્વનું સાધન બની રહ્યું.

સાલ ૧૯૧૯. મહિનો એપ્રિલ, તારીખ ૧૩. બ્રિટિશ રાજવટ દરામ્યાન અગાઉ ક્યારે ય બન્યું નહોતું એવું તે દિવસે બન્યું : જલિયાનવાલા હત્યાકાંડ. જનરલ ડાયરના હુકમથી પોલીસે લોકો પર આડેધડ ગોળી ચલાવી. એ દિવસ હતો વૈશાખીનો, પંજાબીઓના નવા વરસનો. બાગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લગભગ દસ મિનિટ સુધી સતત ગોળીબાર ચાલુ રહ્યો. કુલ ૧,૬૫૦ ગોળી પોલીસે છોડી, જેમાં જનરલ ડાયરના જ અહેવાલ પ્રમાણે ૨૦૦-૩૦૦ માણસો મરાયા. એ વખતે દેશમાં અંગ્રેજ સરકારની કડક સેન્સરશિપ હતી એટલે બીજાં છાપાં આ બનાવ વિષે ભાગ્યે જ કશું છાપી શક્યાં. પણ હોર્નિમન જેનું નામ! અહેવાલો મેળવ્યા, ફોટા મેળવ્યા, અને એ બધું બેધડક ‘બોમ્બે ક્રોનિકલ’માં છાપ્યું. તેમાંથી પહેલાં યુરપનાં, અને પછી બ્રિટનનાં છાપાંઓએ આ બધું પ્રગટ કર્યું. બ્રિટનમાં પણ હો હા થઈ ગઈ.

આ બનાવ વિષે તપાસ કરવા માટે ‘હન્ટર કમિશન’ નિમાયું જેણે જનરલ ડાયરને દોષી ઠેરવ્યા. પણ મુંબઈ સરકાર ચોંકી ઊઠી. આ માણસ તો ખતરનાક છે. બ્રિટિશ છે, પણ ઊભો રહે છે હિન્દીઓની તરાફેણમાં. જો કોઈ ‘દેશી’ તંત્રી હોત તો તો તાબડતોબ જેલ ભેગો કરી દીધો હોત. પણ આ તો એક અંગ્રેજ, અને પાછો પ્રતિષ્ઠિત પત્રકાર. ગોવર્ધન દાસ નામના ખબરપત્રીને તો ત્રણ વરસની જેલની સજા ઠોકી દીધી. હોર્નિમનને પણ પકડ્યા તો ખરા, પણ પછી ફરમાવી દેશનિકાલની સજા. એટલે હોર્નિમને છાપું છોડ્યું, મુંબઈ છોડ્યું, હિન્દુસ્તાન છોડ્યું. પણ પોતાને સાચી લાગેલી વાત છોડી નહિ. જલિયાનવાલા બાગની ઘટના વિષે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન એન્ડ ધ અમૃતસર મેસેકર નામનું પુસ્તક લખ્યું જે ૧૯૨૦માં પ્રગટ થયું. દેશનિકાલના હુકમમાં રહી ગયેલું કાનૂની છીંડું શોધીને પાછા હિન્દુસ્તાન આવ્યા અને ફરી ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી બન્યા. ૧૯૨૯માં પોતાનું છાપું કાઢ્યું, ‘ધ ઇન્ડિયન નેશનલ હેરાલ્ડ’. ૧૯૩૩થી બાર વરસ સુધી મુંબઈથી ‘બોમ્બે સેન્ટિનલ' નામનું સાંજનું દૈનિક ચલાવ્યું. અને પછી રૂસી કરંજિયા અને દિનકર નાડકર્ણી સાથે મળીને ૧૯૪૧માં સાપ્તાહિક ‘બ્લિટઝ’ શરૂ કર્યું. ૧૯૪૮માં હોર્નિમનનું અવસાન થયું તે પછી થોડા વખતે એલ્ફિન્સ્ટન સર્કલનું નામ બદલીને હોર્નિમન સર્કલ કરવામાં આવ્યું.

આ સર્કલ નજીકની મેડોઝ સ્ટ્રીટ પર ‘બોમ્બે ક્રોનિક્લ’નાં ઓફિસ અને છાપખાનું આવેલાં હતાં. જનરલ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર હતા. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે. ૧૭૫૬માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. ૧૭૮૮ના સપ્ટેમ્બરની ૬ઠ્ઠી તારીખથી ૧૭૯૦ના જાન્યુઆરીની બીજી તારીખ સુધી તેઓ મુંબઈના ગવર્નર અને લશ્કરના જનરલ હતા. તે પછી તેમની બદલી મદ્રાસના ગવર્નર અને લશ્કરના જનરલ તરીકે થઈ. ટીપુ સુલતાન સાથેની લડાઈની શરૂઆતમાં તેઓ મદ્રાસ લશ્કરના વડા હતા. પણ પાછળથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે પોતે એ લશ્કરનું વડપણ સંભાળ્યું એટલે મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. એક હુમલામાં પોતાની ભૂલને કારણે નિષ્ફળતા મળવાથી તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. લડાઈમાં જીત મળ્યા પછી તેમને પાંચ હજાર પાઉન્ડનું ઇનામ મળ્યું જે રકમ તેમણે પોતે ન રાખતાં પોતાના લશ્કરના સૈનિકોમાં વહેંચી દીધી, અને ૧૭૯૨માં સ્વદેશ પાછા ગયા. લાંબી લશ્કરી કારકિર્દી પછી ૧૮૧૩ના નવેમ્બરની ૧૪મીએ લંડનથી ૯૭ માઈલ દૂર આવેલા બાથ નામના શહેરમાં તેમનું અવસાન થયું. રોમનોએ બાંધેલા જાહેર બાથ(સ્નાનગૃહ)ને કારણે આ શહેરને ‘બાથ’ એવું નામ મળ્યું છે.

  

સ્વાતંત્ર્યસેનાની નગીનદાસ માસ્તર

આ મેડોઝ સ્ટ્રીટનું આજનું નામ નગીનદાસ માસ્તર માર્ગ. તેમનો જન્મ ૧૮૭૫માં. વકીલાતનો વ્યવસાય. મુંબઈની પહેલવહેલી બાર કાઉન્સિલના સભ્ય. એની બેસન્ટની હોમ રૂલની ચળવળ સાથે અને ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સાથે નજીકથી જોડાયેલા. બ્રિટિશ માલના બહિષ્કારમાં સક્રીય ભાગ લીધેલો. છ મહિનાની જેલની સજા ભોગવી. ૧૯૪૪મા મુંબઈના મેયર બન્યા. આ રોડ પર સેન્ટ પીટર્સ ચર્ચ આવેલું છે જે મુંબઈનું એકમાત્ર આર્મેનિયન ચર્ચ છે. ૧૬૭૦ના અરસામાં અહીં આર્મેનિયનો મોટા પ્રમાણમાં વસ્યા હતા. 

સર વિલિયમ મેડોઝનું જ્યાં અવસાન થયું તે બાથ શહેર અને મુંબઈ વચ્ચે પણ સીધો સંબંધ છે. બાથ શહેરમાંના રોમન બાથ જેમ જાણીતા છે તેમ ત્યાં આવેલ ધ રોયલ ક્રેસન્ટ વિસ્તાર અને તેની અર્ધગોળાકાર અને ૧થી ૩૦ નંબર ધરાવતી ઈમારતો પણ ખૂબ જાણીતી છે. જોન વૂડ ધ યંગર નામના સ્થપતિએ તૈયાર કરેલી આ ઈમારતનું બાંધકામ ૧૭૬૭થી ૧૭૭૪ દરમ્યાન થયું હતું. તેનું સ્થાપત્ય જ્યોર્જિયન શૈલીનું છે. ઊંચા, ખમતીધર થાંભલા એ એની ખાસિયત છે. આ ઈમારત બંધાઈ હતી પણ જરા જૂદી રીતે. માત્ર મોખરાનો અર્ધગોળાકાર ભાગ જ બાંધવામાં આવ્યો હતો અને તેને ૧થી ૩૦ સુધીના નંબર આપેલા. ખરીદનારાઓએ તેમાંનો કોઈ ભાગ ખરીદવાનો અને પછી મોખરાની પાછળની ઇમારત પોતાની ઇચ્છા મુજબ બાંધવાની! એટલે આગળથી જોતાં એક સરખી લાગતી આ ઇમારતો પાછલી બાજુથી જોઈએ તો જુદી જુદી લાગે! હા, બધી ઈમારતની ઊંચાઈ એક સરખી અને દરેકને માથે અગાસી રાખવાનું ફરજિયાત. આ ઈમારતો બંધાઈ રહ્યા પછી ‘શહેરમાં વસેલું ગામડું’ તરીકે પણ ઓળખાતી થઈ, કેમ કે દરેક ઈમારતની અગાસી પરથી સામેનું મોટું, ખુલ્લું મેદાન દેખાય છે.

બિંબ-પ્રતિબિંબ : રોયલ ક્રેસન્ટ અને એલ્ફિન્સ્ટન સર્કલ

મુંબઈમાં બોમ્બે ગ્રીન્સ પર જે ઇમારતો બાંધવામાં આવી તે આ ધ રોયલ ક્રેસંટને નમૂના તરીકે નજર સામે રાખીને બંધાઈ હતી. દિલ્હીનું કોનોટ પ્લેસ પણ તેને જ નમૂના તરીકે રાખીને બંધાયું છે. પછી તો આપણા દેશનાં ઘણાં શહેરોમાં આ રીતે ગોળાકાર કે અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ છે. હોર્નિમન સર્કલની ઇમારતોમાં વચમાં ઘણાં વરસ તો માલિકો કે ભાડૂતો મન ફાવે તે રીતે ફેરફારો કરતા, બહારની દિવાલ પર નામનાં પાટિયાં આડેધડ લગાડતા. જુગારીઓ અને ગંજેરીઓ સિવાય બીજું કોઈ વચમાંનાં ગોળાકાર બગીચામાં દાખલ થવાની હિંમત ભાગ્યે જ કરતું. પણ હવે સ્થિતિ થોડી સુધરી છે.

ચર્ચગેટ સ્ટેશન અને દરિયા કિનારો – અડખેપડખે!

હવે આ ગોળ ગોળ ઇમારતો છોડીને ચાલો ચર્ચગેટ સ્ટ્રીટ પર. આજનાં હોર્નિમન સર્કલ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે આવેલો આ રસ્તો અસલના કોટ વિસ્તારના જૂનામાં જૂના રસ્તાઓમાંનો એક છે. મુંબઈના કિલ્લાને ત્રણ દરવાજા હતા તેમાંનો એક ચર્ચગેટ. એ દરવાજાથી સીધો ચર્ચ સુધી આ રસ્તો જતો હતો તેથી તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો. આમ, પહેલાં ચર્ચ, પછી રસ્તો, પછી કિલ્લાનો ગેટ. જીવણજી જમશેદજી મોદીનાં અને બીજાં કેટલાંક લખાણો પરથી જાણવા મળે છે કે ‘દેશી’ લોકો આ દરવાજાને પવન ચક્કી દરવાજા તરીકે અને રસ્તાને પવન ચક્કી રોડ તરીકે ઓળખતા. કારણ એ ગેટની બહાર ખુલ્લા મેદાનમાં એક મોટી પવન ચક્કી આવેલી હતી જ્યાં ઘણા લોકો સાંજે ‘હવા ખાવા’ જતા. પછીથી ૧૮૭૦માં ચર્ચગેટનું રેલવે સ્ટેશન બંધાયું ત્યારે એ સ્ટેશન સુધીનો રસ્તો પણ ચર્ચગેટ સ્ટ્રીટ બન્યો. માનશો? એ વખતે દરિયો અને ચર્ચગેટ સ્ટેશન અડોઅડ આવેલાં હતાં! આજે પણ સ્ટેશન તો એ જ જગ્યાએ છે, પણ દરિયો તેનાથી દૂર ગયો છે. મરીન ડ્રાઈવની પાળ સુધી.

કોટના ત્રણ દરવાજામાંનો એક ચર્ચગેટ

કિલ્લાની દિવાલો બંધાઈ ત્યારે જ આ ચર્ચગેટ પણ બંધાયો હતો. પણ એ મૂળ દરવાજાને તોડીને એ જ જગ્યાએ ૧૮૪૦માં નવો ગેટ બંધાયો. પણ એનું આયુષ્ય હતું માંડ વીસ-બાવીસ વરસનું. ૧૮૬૨ના અરસામાં કિલ્લો તોડી નાખવામાં આવ્યો ત્યારે એ ગેટ પણ ભોંય ભેગો થયો. જો કે કિલ્લાની ઉપયોગિતા કેટલી રહી છે એ અંગેની ચર્ચા તો ઠેઠ ૧૮૪૧થી શરૂ થઈ ગઈ હતી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’એ ૧૮૪૧માં લખ્યું હતું: 'મુંબઈના કિલ્લાને જાળવી રાખવાની હવે કોઈ જરૂર રહી નથી. શહેરનાં રહેવાસીઓ માટે હવે તે માથાનો દુઃખાવો બની ગયો છે. અને સરકાર તેની પાછળ જે પૈસા ખર્ચે છે તે નકરો બગાડ છે. તેમાં વળી હમણાં જ સરકારે ૩૦ હજાર રૂપિયા ખર્ચીને ચર્ચગેટ નવેસરથી બાંધ્યો છે. આ કિલ્લો હવે શહેરને ગળે બાંધેલા ઘંટીના પડ જેવો બની ગયો છે.’

પણ બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ? ૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમને ગળે આ વાત શીરાના કોળિયાની જેમ ઊતરી ગઈ અને તેમણે કિલ્લો તોડી પાડવાનો હુકમ કર્યો. ફોર્ટ કહેતાં કોટ ગયો, પણ નામ રહી ગયું. આજે આ કિલ્લાનો કોઈ અવશેષ જોવા મળે ખરો? ના. કોટ વિસ્તારમાં જ એક દિવાલને આ કિલ્લાની દિવાલ તરીકે ઘણી વાર ઓળખાવવામાં આવે છે, પણ હકીકતમાં એ દિવાલ મુંબઈના કિલ્લાની નહિ, પણ ફોર્ટ સેન્ટ જ્યોર્જની છે. જ્યારે મુંબઈના કોટની અંદરની જગ્યા ઓછી પડવા લાગી ત્યારે એ કિલ્લાની નજીક આ ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવ્યો હતો. કહેવાય છે કે જેનું નામ તેનો નાશ. પણ અહીં તો ફોર્ટ કહેતાં કોટ ગયો તો ય તેનું નામ રહી ગયું. કિલ્લો તોડ્યા પછી શું શું થયું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1692,1702,1712,172...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved