Opinion Magazine
Number of visits: 9573780
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંજાનું ગણિતઃ બ્રિટિશ યુગથી તેના વ્યાપારની ઇજારાશાહી માટે યુદ્ધો થયાં છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 September 2020

અર્થશાસ્ત્રીઓને મતે હાલના અર્થતંત્રના મૉડલ માટે ગેરકાયદે ડ્રગ્ઝનો વ્યાપાર એક પાયારૂપ બાબત છે. ડ્રગ વૉર પણ એટલું જ કટ્ટર છે, અને તે ડ્રગ્ઝનો ખાત્મો બોલાવવા નહીં પણ વ્યાપાર વ્યવસ્થિત ચાલે તે માટે થતું વૉર છે.

આપણે છેલ્લા કેટલાક વખતી ડ્રગ્ઝ, રૅવ પાર્ટીઝ અને ડ્રગ કાર્ટેલ જેવા શબ્દો સતત સાંભળીએ છીએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્ઝનું બહુ ચલણ છે, એ તો બધું સામાન્ય છે અને વીડ-ગાંજો-મારિઆનાથી માંડીને કોકેઇન, હેરોઇન જેવા કેટલા ય શબ્દો આપણા કાને અથડાય છે. આ તો એક અપમૃત્યુને પગલે ચલણમાં આવી ગયેલા શબ્દો છે, અને તમામ માણસ પોતે બધું જ જાણે છે, એ રીતે ડ્રગ ટ્રાફિકિંગને મામલે પણ એક્સપર્ટ બની ગયો છે. પણ તમે જાણો છો કે કેટલાક અર્થશાસ્ત્રીઓને મતે હાલના અર્થતંત્રના મૉડલ માટે ગેરકાયદે ડ્રગ્ઝનો વ્યાપાર એક પાયારૂપ બાબત છે? ડ્રગ વૉર પણ એટલું જ કટ્ટર છે, અને તે ડ્રગ્ઝનો ખાત્મો બોલાવવા નહીં, પણ વ્યાપાર વ્યવસ્થિત ચાલે તે માટે થતું વૉર છે.

ડ્રગ્ઝનો ગેરકાયદે વ્યાપાર વૈશ્વિક અર્થતંત્રમાં મોટો રોલ ભજવે છે અને મની લોન્ડરિંગ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ડ્રગ્ઝનું કોકડું પરસ્પર બહુ જ ગુંચવાયેલું છે. ફ્રી માર્કેટ ઇકોનોમીમાં પૈસાની મુવમેન્ટ પર કોઇ ચોક્કસ બંધનો નથી હોતા અને સરકાર નાણાંનું મૂલ્ય નિયંત્રિત કરી શકે છે – આ એવો વિરોધાભાસ છે જેને કારણે આમ જોવા જઇએ તો વિશ્વમાં ‘ફ્રી માર્કેટ’ જેવું ખરેખર કંઇ જ નથી. દરેક દેશમાં નિયમો અલગ હોઇ શકે છે, પણ વ્યાપાર વાણીજ્ય અંતે તો ટેક્સેશન અને નિયમાધિન જ છે. આખા વિશ્વના જી.ડી.પી.નાં એક ટકા જેટલા ડ્રગ મની છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. યુ.એન.ની ડ્રગ એન્ડ ક્રાઇમ ઑફિસના પૂર્વ વડા એન્તોનિયો મારિઆ કોસ્તાએ કહ્યું હતું કે કે ઇન્ટર બેંક્સ લોન એવા પૈસાથી ફંડ થાય છે જે ડ્રગ ટ્રેડ અને અન્ય ગેરકાયદે કામમાંથી આવ્યા હોય. તેમના મતે જો આમ ન હોત તો ૨૦૦૮ની મંદીમાં બેંકિંગનો પૂરેપૂરો સફાયો થઇ ગયો હોત. જે બેંક્સ બચી શકી તે ગેરકાયદેસરના નાણાંથી જ બેઠી થઇ હતી. ડ્રગ ટ્રેડમાંથી કયા દેશોને ફાયદો થાય છે, તેની વાત કરવા જઇએ તો જિઓ પોલિટકલ દ્રષ્ટિએ અફધાનિસ્તાનમાં થતી અફીણની ખેતી, યુરોપમાં ડ્રગ્ઝ પહોંચાડવા સ્પેઇનનો ઉપયોગ, કોલંબિયામાં કોકેઇન ઉદ્યોગ પરથી ઘણી બાબતો સમજી શકાય છે. હવે જરા આસપાસ નજર કરીએ તો પાકિસ્તાનના ડ્રગ કાર્ટેલ્સ કેવી રીતે કામ કરે છે એ સમજવું પડે. દરિયાઇ રસ્તે મોટા પાયે ડ્રગ ટ્રાફિકિંગ પાકિસ્તાન તરફથી થતું રહ્યું છે. મેથાફેટામાઇનની દરિયાઇ માર્ગે લેવડ-દેવડ નવો ટ્રેન્ડ છે, તો અફઘાનિસ્તાનમાં ઊગેલાં અફીણ પર પાકિસ્તાનની લેબ્ઝમાં પ્રોસેસ થતી હોય છે. ડ્રગ્ઝ અને દાઉદને ગાઢ સબંધ છે એવું તો ઘણા લાંબા વખતથી કહેવાય છે.

હવે બીજા બધા ડ્રગ્ઝને બાજુમાં મૂકીને જે વીડ-ગાંજા કે મારિઆનાની સતત વાત થાય છે એની ચર્ચા કરીએ. કેનબિઝ ઇન્ડિકા નામના ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો-ભાંગ વગેરે બને છે. આ છોડ બિચારો નશીલો નથી, પણ તેની પર પ્રકાશ પડે એટલે તેમાંથી ટેટ્રાહાલ્કેનાબિનોલ નામનો નશીલો પદાર્થ બને છે. આ જ છોડનાં સૂકાં પાનને ઉકાળીને ભાંગ બને છે. આ છોડનાં પીળાં ફૂલમાં પાનના ગુચ્છા જેવી કળીઓ થાય છે, અને આ ફૂલમાંથી મારિઆના એટલે કે ગાંજો બને છે જે ‘ફુંકવા’નો હોય છે, અને છોડની ડાળી અને પાનમાંથી રેઝિન્સ બને ત્યારે તેમાંથી બને છે ચરસ અથવા હશીશ જે પણ હુક્કા કે પાઇપથી જ ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં ગાંજાનો ઇતિહાસ ઓગણીસમી સદીના પહેલા દસકાથી શરૂ થાય છે, જ્યારે તેની દાણચોરી શરૂ થઇ. મધ્ય ભારતમાં જે ગાંજા-અફીણની ખેતી થતી તે ચીન પહોંચાડાતું. બિહારમાં ઊગતાં અફીણ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પકડ હતી. એક સમયે મુંબઇના પારસીઓએ ચીન સાથેના અફીણના વ્યાપારને હસ્તગત કર્યો હતો. ભારતની અનેક વ્યાપારી જ્ઞાતિઓએ ગાંજાના વ્યાપારમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ પારસીઓને આ વ્યાપારનો સૌથી વધુ લાભ મળ્યો હતો. આ ફાયદાનું કારણ હતું કે પારસીઓ મુંબઇ પર સારી એવી પકડ ધરાવતા હતા, જ્યાં બ્રિટિશરોની પકડ ઓછી હતી, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ઝૂકાવ, પહોંચ અને પકડ કોલકાત્તામાં વધારે હતા. અંગ્રેજોને ચીનમાં અફીણનું માર્કેટ વિસ્તારવામા બહુ રસ હતો અને તેમને માટે ઉત્પાદનનો બેઝ હતો ભારત, જ્યાં હજી અફીણનું માર્કેટ બહુ વિસ્તર્યુ નહોતું. ચીનમાં અફીણના વ્યસનીઓની સંખ્યા મોટી હતી, સરકારે અફીણ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં ય વેપારીઓએ દાણચોરી ચાલુ રાખી હતી.

બ્રિટન અને ચીન વચ્ચે થયેલા ઓપિયમ વૉર્સ અફીણની આયાત ત્યાં ચાલુ રહે એટલા માટે જ છેડાઈ હતી. આ તરફ મુંબઇ એટલે કે બોમ્બેના અમુક વ્યાપારીઓએ ટેક્સ્ટાઇલનો ધંધો ચાલુ કરી દીધો હતો, કારણ કે ચીન સાથેના વ્યાપારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની મારફતે ક્લિયર થતા બિલ્સનું તંત્ર પડી ભાંગ્યુ હતું. અંગ્રેજો માટે અફીણ એક રોકડિયો પાક હતો, અને ઉત્તર ભારતના ૧.૩ મિલિયન ખેડૂતો ગાંજાની ખેતી કરતા. હજારો કામદારો ગંગા કાંઠે આવેલી અફીણની ફેક્ટરીઓમાં કામ કરતા અને ત્યાં બીજમાંથી દૂધિયું પ્રવાહી બહાર કાઢતા, પાંદડા સુકવતા અને તેની લાટીઓ બનાવી અફીણની ગોળીઓ લાકડાની પેટીઓમાં પૅક કરતા.

ઇતિહાસકાર વિલિયમ ડાર્લિમ્પરે નોંધ્યું છે કે અંગ્રેજો હોંગકોંગને પોતાના માટે ઑફશોર બેઝ બનાવીને નશીલા પદાર્થોને મામલે પોતાની ઇજારાશાહીને સાંચવી લેવા માગતા હતા. અફીણને કારણે ભારતમાં અંગ્રેજોના શાસનને જાણે ટેકો મળી રહ્યો હતો. સામ્રાજ્યવાદી અંગ્રેજો માટે અફીણ એ તેમના શાસન માટે આવકનો સૌથી મોટો, બીજા ક્રમાંકનો સ્રોત હતો. આજે પણ વૈશ્વિક ફાર્મા માર્કેટ માટે ઊગાડાતું કાયદેસરનું અફીણ ભારતમાં જ થાય છે. આજે અફઘાનિસ્તાનમાંથી હેરોઇન આખા વિશ્વમાં પહોંચે છે અને અફઘાનિસ્તાન આપણાથી કંઇ બહુ દૂરનો દેશ તો છે નહીં અને એમાં પાછું પાકિસ્તાન અને એવું બધું તો અડખ-પડખે એટલે બધા છેડા ક્યાંકને ક્યાંક તો મળેલા જ છે. અફીણની ખેતી કરનારા ખેડૂતોની હાલત કંઇ બહુ સારી નહોતી, તેમને કોઇ મોટા ફાયદા નહોતા થતા ન તો આ અફીણ ઊગાડવામાં થતો ખર્ચો ય તે પહોંચી વળતા. કરારને લીધે માથે પડેલી જંજાળમાંથી નીકળવાના નિષ્ફળ પ્રયાસોને પગલે તેઓ આ કળણમાં વધુ ઊંડા ખૂંપતા જતા. અંતે ૧૯૧૫માં ચીન સાથેનો અફીણનો વ્યાપાર ભાંગી પડેલો, પણ અંગ્રેજોએ ભારતમાં અફીણ પર જે પકડ જમાવી હતી તે તો તેઓ દેશ છોડીને ગયા ત્યાં સુધી યથાવત્ રાખી.

કેનાબીઝ કે ભાંગ કે અફીણ એ સૌથી વધુ વપરાતો નશીલો પદાર્થ છે. ૧૯૮૪ સુધી તો તેનો ઉપયોગ કાયદેસર ગણાતો. ભારતમાં ગાંજાના છોડની સાબિતી ૫,૦૦૦-૪,૦૦૦ બી.સી.માં રેકોર્ડ થઇ છે. ભારતમાં અમુક નશીલા પદાર્થો પરનો પ્રતિબંધ યુ.એસ. નીતિના પ્રભાવ હેઠળ લદાયો. એક ૨૦૧૮ના સંશોધન અનુસાર જો ગાંજા પર ટેક્સ લાદવામાં આવે તો દિલ્હીને ૭૨૫ કરોડ રૂપિયા અને મુંબઇએ ૬૪૧ કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થાય, જે ગાંજાના વ્યાપાર, ઉપલબ્ધિ અને ઉપયોગનું સત્ય છે.

બાય ધી વેઃ

અફીણ જે ઇતિહાસમાં હતું તે વર્તમાનમાં પણ છે. લૉકડઉનમાં કાયદેસરના અફીણની ખેતી કરનારા ખેડૂતોને ભારે તાણ થઇ છે કારણ કે પાક સૂકાવા માંડ્યો જેના કારણે તેમનુ લાઈસન્સ રદ્દ થઇ શકે તેવા સંજોગો ખડા થઇ ગયા. આ ગાંજા કથાના અમુક અગત્યનાં દ્રશ્યો છે. ભારતમાં પંજાબમાં ગાંજો અને નશીલા દ્રવ્યોનો કેવો ખેલ ચાલે છે તે બધા જ જાણે છે, એમાં પાછી અનુરાગ કશ્યપે ઊડતા પંજાબ ફિલ્મ પણ બનાવી હતી, જે વાસ્તવિકતાની નજીક હતી. મુદ્દો એ છે કે એક નશીલા છોડ પરની ઇજારાશાહી, તેનું અર્થતંત્ર, તેને લીધે થતું મની લૉન્ડરિંગ જે બહુ મોટો પ્રભાવ ધરાવે છે તે કોરાણે મુકાઇ ગયું છે અને તેની આસપાસના કોઇ ભળતાં જ દાવપેચ પર ધ્યાન અપાઇ રહ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 સપ્ટેમ્બર 2020 

Loading

ઉલેચો અંધારા ઉલેચો

કમલેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ઉલેચો અંધારા ઉલેચો
ઉલેચો ભાઇ, હવે તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે સૂર્યોદયના સથવારે
પંખીના કલરવ સાથે
જાતને, તમારી બસ ઢંઢોલી ફંફોળીને
હવે, તો ઉલેચો અંધારા ઉલેચો
ને, માણસાઇના દીવાઓ પ્રગટાવો
નફરતના આખેઆખા વૃક્ષને પૂરેપૂરું બાળો
કટ્ટરવાદ કોમવાદને વર્ણ વ્યવસ્થા મહારોગને
બસ, હવે તો દફનાવો
હા, ગાંધી મૂલ્યનાં પરિપ્રેક્ષમાં
સંપૂર્ણ કક્ષાના પેલા, માણસને ઊગાડો
ભાઇ, ઉલેચો હવે તો અંધારા ઉલેચો
ધર્મના અંચળા વચ્ચે
અહમ્‌ અને અહંકારના ઓછાયા વચ્ચે
માણસને માણસમાંથી લોપાતો, બચાવો
ઉલેચો અંધારા ઉલેચો
હું શું છું, જગમાં, દોસ્તો
એક તણખલાનું નાનું તરણું
અસંખ્ય માનવ મહેરામણમાં મારું શું ગજું છે, દોસ્તો,
હું પણ માણસ તું પણ માણસ
છે, આ કુદરતની મોટી ભેટ, દોસ્તો
આ ભેટને સાર્થક કરી
માણસાઇના દીવા પ્રગટાવો
ભાઇચારાનો મિસાલ સ્થાપો
અને નવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનો
ઉલેચો દોસ્તો અંધારા ઉલેચો
પ્રકાશના પગરવ સાથે
ભાઇચારાના મિસાલ સાથે
માણસાઇના માહોલ સાથે
દોસ્તો, ચાલો, આપણે સૌ
ઉલેચી અંધારા હવે તો
નવા ભારતનાં નિર્માણ તરફ પ્રયાણ કરીએ
ઉલેચો અંધારા ઉલેચો
ભાઇ, હવે તો અંધારા ઉલેચો

e.mail : koza7024@gmail.com

તારીખ : ૧૨-૭-૨૦૧૯

Loading

દક્ષિણ આફ્રિકામાં ગાંધી મોહનમાંથી મહાત્મા બન્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:

૧. પહેલો પદાર્થ હતો, માત્ર અને માત્ર સત્ત્વનું ગ્રહણ અને સત્ત્વ ન હોય તેનો ત્યાગ પછી ભલે એ ગમે ત્યાંથી મળ્યું હોય અને ગમે તેનું હોય. આની થોડી વાત આગળ કહેવાઈ ગઈ છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ઈશ્વર, કોઈ મસીહા, કોઈ પેગંબર, કોઈ અવતારપુરુષ, કોઈ ગ્રંથ, કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ વંશ, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ રાષ્ટ્ર, કોઈ વિચારક, કોઈ વિચારધારા અને બીજું જે કાંઈ. ફલાણાનું છે માટે અનિવાર્યપણે શ્રેષ્ઠ છે કે સંપૂર્ણ છે અથવા ફલાણાનું છે એટલે એમાં સત્ત્વ હોય જ નહીં એમ માનવાનું નહીં. કોઈને લાગશે કે આ માણસ તો જબરો નકારનારો હતો, પણ તેમના વ્યક્તિત્વનું રહસ્ય એ હતું કે એ નકારનારો નહોતો સ્વીકારનારો હતો.

ગાંધીજી લોકોને નથી સમજાતા અથવા ગાંધીજી વિશે અંદાજે એક લાખ પુસ્તક લખાયાં છે અને લગભગ દરેક કલાસ્વરૂપમાં આવિષ્કાર પામ્યા છે એનું કારણ આ કોયડો છે. ઘણાને લાગે છે કે એ સ્વીકારનારો હતો અને ઘણાને લાગે છે કે એ નકારનારો હતો. ગાંધીમાં એક જ સમયે અને એક સાથે બન્ને વસ્તુ હતી એ લોકોને ધ્યાનમાં આવતી નથી અથવા ધ્યાનમાં લેવી પરવડતી નથી. મળે ત્યાંથી સત્ત્વને સારવી લેવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી અને પુરુષાર્થ એટલો પ્રચંડ હતો કે તપશ્ચર્યામાં કોઈ મુમુક્ષુનો ગજ પણ ટૂંકો પડે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં સાથી મિલી પોલાકે લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં પણ ગાંધીજી તમારી સામે એવી રીતે જુએ અને એવી રીતે સાંભળે કે જાણે આ ધરતી ઉપર તમારા કરતાં વધારે મહત્ત્વની કોઈ વ્યક્તિ નથી અને તમે જે કહો છો એનાથી અગત્યની કોઈ વાત નથી. કારેલાંમાંથી બિયાં કેમ કાઢવાં અને ત્રણ પાઉન્ડનો દંડ કેમ દૂર કરવો એ બંને વાત તેમને માટે એક સરખી મહત્ત્વ ધરાવતી હોય. આવો અનુભવ બીજા સેંકડો લોકોને થયો છે અને અનેકે એ નોંધ્યો પણ છે.

સત્ત્વ હાથમાંથી સરકી ન જવું જોઈએ અને જેમાં સત્ત્વ નથી એ અનાવધાને અંદર પ્રવેશવું ન જોઈએ. નિરંતર ખબરદારી. સત્ત્વ પરાયું હોય તો પણ ગ્રાહ્ય અને સત્વહીન આપણું પોતાનું હોય તો પણ અગ્રાહ્ય. એક બાજુએ જ્યાંથી જે ખપનું મળે એ મેળવી લેવાની બાળસહજ તત્પરતા પણ જોવા મળે અને ગમતાંનો ગુલાલ કરીને તેને વહેંચવાની આસક્તિમાં માતાનું વાત્સલ્ય પણ જોવા મળે તો બીજી બાજુએ જે ખપનું નથી એનું ગ્રહણ ન થઈ જાય અને તે લોકો સુધી તેમના હાથે ન પહોંચે એ માટે યોગીની દક્ષતા અને રુક્ષતા પણ જોવા મળે.

સ્વીકાર અને અસ્વીકારના ગાંધીજીનાં આવાં વસ્તુનિષ્ઠ વલણને કારણે અનેક લોકો ગાંધીજીનો જ સ્વીકાર કરવામાં અને અસ્વીકાર કરવામાં થાપ ખાઈ જાય છે. ગાંધીજીએ અમારું સ્વીકાર્યું એ જોઇને રાજીના રેડ થઈ જનારાઓ ગાંધીજીએ અમારું નકાર્યું એ જોઇને દુઃખી થઈ જાય છે. પણ આ તો એવો માણસ છે જે કોઈનું ય પૂરું સ્વીકારતો નથી અને કોઈનું ય પૂરું નકારતો નથી. તો પછી આ છે કોણ સ્વીકારનારો કે નકારનારો? લોકો પોતપોતાની સગવડ મુજબ ગાંધીજીના સ્વીકાર-નકારને જોઇને ગાંધીજીનો સ્વીકાર-નકાર કરે છે. ગાંધીજી ભારત આવશે ત્યારે ભારતની કહેવાતી જાગૃત પ્રજા માટે અને તેના નેતાઓ માટે આ મોટો કોયડો બનવાનો છે. આ માણસનું કરવું શું? સ્વીકારવો કે નકારવો?

૨. મોહનના મસાલાનો બીજો પદાર્થ હતો; નિર્વૈર. પશ્ચિમની શ્વેત પ્રજા ભેદભાવ કરે એ સ્વીકાર્ય નથી અને એટલો અસ્વીકાર પૂરતો છે. આ સિવાય હજુ પણ શ્વેત પ્રજાનું જે કાંઈ અસ્વીકાર  કરવા જેવું લાગશે એનો ધરાર અસ્વીકાર કરીશું, પણ એને માટે વેરવૃત્તિ ધરાવવાની અને એને પાળવાની શી જરૂર છે? યુરોપની ગોરી પ્રજા કેવી છે, એણે ભૂતકાળમાં કઈ પ્રજા સાથે કેવાકેવા દુરાચાર કર્યા છે, તેમનો ધર્મ તેમને શું શીખવાડે છે વગેરે ઇતિહાસ અને ધર્મની કુંડળી કાઢીને નફરતનું દ્રવ્ય એકઠું કરવાની શી જરૂર છે? ગાંધીજી કહેતા કે તેમની પાસેથી શીખવા જેવું પણ ઘણું છે. એક કથન તેઓ અનેક વાર કહેતા કે ભારત તેમણે પુરુષાર્થથી મેળવ્યું છે અને આપણે આપણી મર્યાદાઓને કારણે ગુલામી વહોરી છે. આપણે તેમની પાસેથી પુરુષાર્થ શીખવો જોઈએ પછી તમારી દૃષ્ટિએ એ ગમે તેવી ખરાબ પ્રજા હોય અને આપણે આપણી મર્યાદા છોડવી જોઈએ પછી તમારી દૃષ્ટિએ આપણે ગમે તેવી મહાન પ્રજા હોઈએ.

પ્રજાનો સ્વભાવ એવો છે કે જેની સામે લડવું હોય એની સામે નફરતનો મસાલો એકઠો ન કરીએ ત્યાં સુધી કોટો ન ચડે. આંખમાં તેલ રેડીને રાત ઉજાગરા કરીને આપણે સાચો-ખોટો નફરતનો મસાલો શોધીએ છીએ અને પછી તેને ઘૂંટીએ છીએ. આ બાજુ આપણા શ્રેષ્ઠત્વનો પણ સાચો-ખોટો મસાલો શીધીએ છીએ અને તેને પણ ઘૂંટીએ છીએ. જ્યાં સુધી આપણા માટેનો અનુરાગ અને બીજા માટેનો દ્વેષ આપણા સ્વભાવનો હિસ્સો ન બની જાય ત્યાં સુધી આપણે તેને ઘૂંટતા રહીએ છીએ.

પણ ગાંધીજી તો કહેતા કે લડવા માટે વેરભાવની જરૂર નથી, સત્યનિષ્ઠાની જરૂર છે. તમે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા સાથે ભેદભાવ કરો છો એ ખોટું છે. અન્યાય છે. અમાનવીયતા છે. અસ્વીકાર્ય છે. મને સત્ય સમજાઈ ગયું છે અને મારા સ્વમાન માટે હું લડવાનો છું. એકલો હોઈશ તો એકલો લડીશ, પણ જે અસ્વીકાર્ય છે તેનો ડરીને સ્વીકાર નહીં કરું. એકલો છે માટે સ્વીકાર નહીં કરું. તમારું રાજ છે, તમારી પાસે પોલીસ અને લશ્કર છે માટે સ્વીકાર નહીં કરું. અંતે તમે મને સત્ય ખાતર ખપી જતા રોકી નહીં શકો. એ મારો અધિકાર છે જેના ઉપર તમારું અધિપત્ય કે શાસન નથી. મારા અંતરાત્મા ઉપર મારું શાસન છે. તમારું શાસન ગમે તેવું શક્તિશાળી અને નિર્દયી હોય, તેનું આધિપત્ય મારા અંતરાત્માના દરવાજે પૂરું થઈ જાય છે. અહીંથી મારું શાસન શરૂ થાય છે. માટે તેમણે મૅરિત્ઝબર્ગ સ્ટેશનની વાત કરતાં આત્મકથામાં લખ્યું છે; 'તેનો (શ્વેત પ્રજાનો) વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ મોહનદાસ છેક ૧૮૯૩માં આમ વિચારતો હતો.

૩. સ્વાભાવિકપણે મોહનના મસાલાનો ત્રીજો પદાર્થ હતો નિર્ભયતા. ગાંધીજીને કોઈ વાતનો ભય નહોતો. તેમણે ૧૯૦૫ની સાલમાં પોતાના મોટાભાઈને લખેલા પત્રમાં કહ્યું હતું કે ભય શું કહેવાય એ હું જાણતો નથી. તેમને મોતનો ડર નહોતો. એકલા પડી જવાનો ડર નહોતો. કોણ શું કહેશે એનો ડર નહોતો. ઇતિહાસ તેમને કઈ રીતે મૂલવશે એનો ડર નહોતો. ૧૯૪૬-૧૯૪૭ના નોઆખલીની કલ્પના કરો! જ્યાં કોમી રાજકારણ ચાલતું હતું, જે પ્રદેશ પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં હિંદુઓને ભગાડવા કોમી રમખાણો થયાં હતાં, શાંતિ સ્થાપવા માટે ગયેલા ગાંધીજીને જ્યાંથી કાઢવા માટે ખટપટ કરવામાં આવતી હતી ત્યાં બીજો કોઈ માણસ બ્રહ્મચર્યનો પ્રયોગ કરે? કરે તો કમરાની કૂંડી વાસીને છાને ખૂણે કરે, દરવાજો ઉઘાડો રાખીને કરે? અને આશ્ચર્ય હવે આવશે; પોતે શું પ્રયોગ કરી રહ્યા છે એ પ્રાર્થનાસભામાં લોકોને કહે અને બંગાળીમાં તેનો તરજુમો કરાવે.

આ એ જ માણસ કરી શકે જે સત્યનિષ્ઠ હોય, જે નિર્વૈર હોય અને જે નિર્ભય હોય.

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આ ત્રણ મૂડી રળીને ૧૯૧૫માં ભારત આવ્યા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1682,1692,1702,171...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved