Opinion Magazine
Number of visits: 9573965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથે — 2

ગૌરાંગ જાની|Opinion - Opinion|21 September 2020

૭ : અમદાવાદના ઇતિહાસમાં સેક્સવર્કર બહેનોનો પ્રથમ સર્વે :

આપણે અગાઉ જોયું તેમ અમદાવાદ શહેરની સેક્સવર્કર બહેનોની ઊંડાણપૂર્વકની મારી મુલાકાતે સામાજિક સંશોધનમાં icebreaking અને Rapport-buildingનો પાયો નાખ્યો. પણ મોટી સંખ્યામાં તેઓ વિશેની જરૂરી અનેકવિધ માહિતી અર્થે સર્વે અનિવાર્ય હતો, જેને પરિણામે તેઓને એચ.આઈ.વી. સંક્રમણથી બચાવની રણનીતિ ઘડી શકાય.

ઇંગ્લૅંન્ડની સંસ્થા DFIDની મદદથી જ્યોતિ સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટીના ઉપક્રમે મારા નેતૃત્વ હેઠળ ૧૯૯૭માં સર્વે તૈયાર કર્યો. (Sex Industry And Commercial Sex Workers of Ahmedabad) જૂન, ૧૯૯૭થી ઑક્ટોબર, ૧૯૯૭ દરમિયાન એ માટેનું ફિલ્ડવર્ક કર્યું. સંશોધન ટીમને તાલીમ આપવા ૪/૬/૯૭થી ૯/૬/૯૭ સુધી જ્યોતિ સંઘમાં વર્કશૉપનું આયોજન થયું અને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી. તેમાં કે. પ્રદીપ, ડૉ સેક્સના, ડૉ મલોડિયા, તથા, સરોજબહેન વર્મા અને ગૌરાંગ જાની દ્વારા વિવિધ પાસાંઓ વિશે રજૂઆત થઈ.

૧૪૮ બહેનોના આ સર્વે દ્વારા અમે અમદાવાદમાં એ સમયે કુલ ૬ પ્રકારની સેક્સવર્કર બહેનોને શોધી : રસ્તા પર કામ કરતી, કૉલગર્લ્સ, ઘરમાં રહીને કામ કરતી, બ્રોથેલ, ગેસ્ટહાઉસમાં કામ કરતી અને અન્ય. આ અભ્યાસ અમારા ભવિષ્યના પ્રોજેક્ટ અર્થે પાયાનો અને માર્ગદર્શક બની રહ્યો.

૮ : અમદાવાદે ઊજવ્યું એક અનોખું રક્ષાબંધન! ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર સેક્સવર્કર બહેનોએ સેંકડો પોલીસ-કર્મચારીઓને રાખડી બાંધી. હા, પ્રથમ વાર એટલા માટે કે જે શહેરોમાં રેડલાઇટ એરિયા નથી અને બહેનો છૂટીછવાઈ દેહવ્યાપાર કરે છે, એવાં ભારતીય શહેરોમાં અમદાવાદે પહેલ કરી.

વાત વર્ષ ૨૦૦૪ની છે.અમદાવાદ શહેરના પોલીસ સેક્સવર્કર બહેનો સાથે એક નાગરિક તરીકે વર્તે નહિ કે ગુનેગાર તરીકે એ મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે મને હંમેશાં એવું સમજાતું કે જે લોકો રસ્તા પર ધંધો કરે છે, એ સૌ વચ્ચે કૉમરેડશિપ હોવી જોઈએ, એકતા હોવી જોઈએ પછી તે પોલીસ હોય કે રસ્તા પર ગ્રાહક શોધતી રૂપજીવિની કેમ ના હોય. આ વિચારે મને એવું લાગ્યું કે આપણાં સાંસ્કૃતિક પ્રતીકોનો ઉપયોગ એચ.આઈ.વી. રોકથામ માટે કરવો જોઈએ. આ મુદ્દો જ્યોતિ સંઘના સૌ કાર્યકરો અને મૅનેજમેન્ટ સમક્ષ મેં મૂક્યો અને નક્કી થયું કે આપણે એક અનોખું રક્ષાબંધન ઊજવીએ.

વર્ષ ૨૦૦૪માં અમે સેક્સવર્કર બહેનો સાથે મિટિંગ કરી નક્કી કર્યું કે શકય હોય, તો અમદાવાદનાં તમામ પોલીસ-સ્ટેશનમાં જઈને પોલીસ ભાઈઓને રાખડી બાંધવી, પણ એ ભાઈબહેનની નહિ પણ એઇડ્‌સથી સુરક્ષાની. સવાલ આવ્યો કે આવી રાખડી કેવી હશે અને મને એકાએક વિચાર સ્ફૂર્યો કે આ રાખડી એઇડ્‌સના પ્રતીક રેડ રિબનની બનાવીએ અને તે બનાવે શહેરની  HIV ગ્રસ્ત વ્યક્તિઓ.

લગભગ ૧૫ દિવસ સુધી HIV ગ્રસ્ત વ્યક્તિઓ અને સેક્સવર્કર બહેનોએ ભેગાં થઈ સેંકડો રાખડી બનાવી. રક્ષાબંધનને દિવસે બહેનો જુદી-જુદી ટુકડીમાં વહેંચાઈ. સાથે અમે  જ્યોતિ સંઘના સૌ કાર્યકરો જોડાયા અને શહેરનાં ૧૫ પોલીસ સ્ટેશનમાં જઈ બહેનોએ પોલીસ ભાઈઓના કાંડે આ રાખડી બાંધી. ખૂબ લાગણીસભર દૃશ્યો સર્જાયાં. અનેક પોલીસોની આંખો ભીની થઈ. કેટલાક પોલીસોએ બહેનોને પૈસા, સાડી કે અન્ય ભેટ પણ આપી. સાથે બહેનોએ એઇડ્‌સ-જાગૃતિ માટેની એક પત્રિકા પણ પોલીસ ભાઈઓને આપી. એ પત્રિકા અત્યારે હાથવગી નથી. પણ એ જ વર્ષે પહેલી ડિસેમ્બર, વિશ્વ એઇડ્‌સ દિવસે પોલીસ ભાઈઓને વહેંચેલી પત્રિકા આ અહીં મૂકી છે.

અમે અગાઉથી પ્રેસ અને ટી.વી.-પત્રકારોને નિમંત્રણ પાઠવેલું અને ખૂબ ઉમળકાભેર પત્રકારો અને પ્રેસ ફોટોગ્રાફરો પોલીસ સ્ટેશનોએ પહોંચેલા. જે બહેનોને પોતાની તસ્વીર છપાય એમ વાંધો ન હતો તેઓની પોલીસને રાખડી બાંધતી તસ્વીર બીજે દિવસે ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત થઈ. તેના અહેવાલ દેશભરમાં પ્રગટ થયા. પોલીસનો સહકાર આ પછી સતત વધતો રહ્યો. બહેનો સાથેના ગેરકાનૂની વ્યવહારો ઘટતા ગયા અને એક નવો જ સંબંધ કાનૂન અને દેહવ્યાપર સાથેનો સ્થપાયો. આનંદની વાત તો એ છે કે એ પછી વર્ષોવર્ષ પોલીસ અગાઉથી બહેનોને રાખડી બાંધવાનું નિમંત્રણ આપતા થયા.

એ દિવસે એ સમયના ગુજરાતના આરોગ્યપ્રધાન અશોક ભટ્ટ પણ રિલીફ રોડ પર આવેલી જ્યોતિ સંઘની ઑફિસે આવ્યા અને અનેક સેક્સવર્કર બહેનોના હાથે રાખડી બંધાવી. તેમના બંને હાથ રાખડીઓથી ભરાઈ ગયા હતા.

૯ : ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં ગણિકાઓ વિષે સૌથી પ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ કોઈએ સર્જ્યો હોય, તો આદરપૂર્વક નામ લેવું પડે રમણલાલ વ. દેસાઈ(૧૮૯૨થી ૧૯૫૪)નું. પાંચ ગ્રંથોમાં ૧,૨૦૦થી વધુ પૃષ્ઠોમાં સમાજમાં વર્ષોથી તિરસ્કૃત ગણિકાઓનો ઇતિહાસ ’અપ્સરા’માં સંગૃહીત છે.

૧૯૯૭માં જ્યારે મેં અમદાવાદની સેક્સવર્કર બહેનો માટેના એચ.આઈ.વી. / એઇડ્‌સ રોકથામ માટેના પ્રોજેક્ટમાં ટેક્નિલક કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું, ત્યારે આ બહેનો વિષેના સાહિત્યનું વાચન અનિવાર્ય બન્યું. એ દિવસોમાં મારા પિતાએ મને ‘અપ્સરા’ વાંચવાનું કહ્યું. તેઓ તેમની યુવાનીમાં રમણલાલ વ. દેસાઈના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમના સૂચનથી ‘અપ્સરા’ વાચવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે એક મહત્ત્વની વાત કરી. તેમણે ‘અપ્સરા’ વાચવાનો પોતાનો અનુભવ કહેતા દર્શાવ્યું કે તેમના જમાનામાં ‘અપ્સરા’ વાંચવી એટલે જાણે કોઈ ગંદું સહિત્ય વાંચવું એવું પણ મનાતું. એટલે વિદ્યાર્થીઓ ‘અપ્સરા’ પુસ્તકને ગણિતના પુસ્તકમાં છુપાવીને વાંચતાં.

૧૯૪૩માં ‘અપ્સરા’નો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો અને ૧૯૫૨માં પાંચ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા હતા. ગુજરાતમાં એ હકીકત જાણીને આશ્ચર્ય થાય એવું નથી કે ના તો સાહિત્યના કે ના તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને દાયકાઓ દરમિયાન આ ગ્રંથોનો પરિચય કરાવવામાં ના આવ્યો. રમણલાલ વ. દેસાઈ તેઓની પ્રસ્તાવનામાં લખે છે, ‘આવા વિષયમાં સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ અને વિવેચકો તરફથી મને માર્ગદર્શન મળે એવું વિવેચન થયું નથી, એમ મારું મન કહે છે. જો કે સામાન્ય સાહિત્યિક વિવેચન તો થયું છે’.

‘અપ્સરા’ પૂર્વે એક દાયકા પહેલાં રમણલાલ વ. દેસાઈએ ’પૂર્ણિમા’ નામે ગણિકાઓના જીવનને રજૂ કરતી નવલકથા પણ લખી હતી. આર.આર. શેઠની કંપનીએ ‘અપ્સરા'ના પાંચ ગ્રંથ પ્રકાશિત કરેલા. રમણલાલ વ. દેસાઈની જન્મશતાબ્દી નિમિત્તે વર્ષ ૧૯૯૩માં તેનું વિશેષ પુનઃમુદ્રણ થયેલું. નારીકેન્દ્રી લખાણો લખતા અને જેન્ડર સૉશિયોલૉજી ભણાવતા તેમ જ સમાજકાર્યનું શિક્ષણ આપતા અધ્યાપકોએ ’અપ્સરા’ને વિસારે પાડી છે, ત્યારે ગુજરાતની ઊગતી પેઢી આ અમૂલ્ય પ્રદાનથી છેવાડાની મહિલાઓ વિશેની સમજ અને સંવેદનશીલતા વિકસિત કરે એવી આશા.

૧૦ : કૉન્ડોમ રાખવું કે તેનો ઉપયોગ કરવો શું ગુનો છે ?

આ સવાલ વાંચી તમને આશ્ચર્ય થશે પણ અમદાવાદની સેક્સવર્કર બહેનોએ જ્યારે સલામત સેક્સ માટે કૉન્ડોમનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે પોલીસ આવું જ માનતી હતી. જ્યોતિ સંઘના PSH (પાર્ટનરશિપ ફોર સેક્સુઅલ હેલ્થ) પ્રોજેક્ટના કાર્યકરોએ સેક્સવર્કર બહેનોને સલામત જાતીય સંબંધ અર્થે, નિયમિત અને પ્રત્યેક ગ્રાહક સાથે કૉન્ડોમ વાપરવાની સમજ આપી અને બહેનો પણ એ માટે સજ્જ અને સંમત થઈ. આ સંદર્ભે અમે બહેનોને એક પર્સ આપ્યું જેના પર જ્યોતિ સંઘનું નામ પ્રોજેક્ટની વિગત દર્શાવી હતી. આ પર્સમાં રોજ ઓછામાં ઓછાં ૧૦ કૉન્ડોમ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની તેઓએ શરૂઆત કરી. ’નો કૉન્ડોમ, નો સેક્સ’નો મંત્ર પણ તેઓએ અપનાવ્યો. આજથી બે દાયકા-પૂર્વે અમદાવાદ, ગુજરાત કે દેશમાં પણ ગ્રાહકો સેક્સવર્કર સાથે દેહ-સંબંધ દરમિયાન કૉન્ડોમનો મર્યાદિત ઉપયોગ કરતા. આજે પણ ભારતમાં ૧૫થી ૪૫ વય જૂથના માત્ર ૫ ટકા પુરુષો જ કૉન્ડોમનો ઉપયોગ કરે છે. (NFHS સર્વે ૨૦૧૬). તેને કારણે અસલામત જાતીય સંબંધને પરિણામે HIV ચેપનું ઘણું જોખમ એ દિવસોમાં રહેતું.

અમદાવાદમાં બહેનો કૉન્ડોમના ઉપયોગને લઈ ઉત્સાહિત હતી અને ગ્રાહકોને પણ તેના ઉપયોગ માટે તૈયાર કરતી. આવા વાતાવરણમાં અમદાવાદમાં લાલદરવાજા અને ભદ્રકાળી મંદિરની આસપાસ રસ્તા પર ઊભા રહી ધંધો કરતી બહેનોને પોલીસે પકડવાનું શરૂ કર્યું અને FIR કરી તેમાં નોંધવા માંડ્યું કે સેક્સવર્કર પાસેથી કૉન્ડોમ પકડાયાં. તેનો આધાર લઈ પોલીસ ગેરકાનૂની રીતે બહેનોને હેરાન કરવા લાગી. તેની નકારાત્મક અસર એ થઈ કે બહેનો મારી પાસે આવી અને કૉન્ડોમ પાછાં આપવા માંડી, કારણ કે તેઓને એવું લાગ્યું કે કૉન્ડોમ પાસે રાખવાથી પોલીસ કેસ કરે છે.

મારા અને કાર્યકરોના મનમાં સવાલો ઊઠ્યા કે હવે શું કરવું. હજુ તો પ્રોજેકટની શરૂઆત હતી અને તેનો મુખ્ય હેતુ સલામત જાતીય સંબંધની જાગૃતિ દ્વારા બહેનો અને ગ્રાહકોમાં એચ.આઈ.વી. સંક્રમણ રોકવાનો હતો. જે પોલીસ સ્ટેશને આવા કેસ કર્યા હતા – ત્યાંના પોલીસ-ઇન્સ્પેક્ટરને હું મળવા ગયો અને દલીલ કરી કે આ દેશનો આરોગ્ય વિભાગ કૉન્ડોમ મફત વહેંચે છે અને તે વિભાગ દ્વારા જ આ પ્રોજેક્ટ ચાલે છે ત્યારે કૉન્ડોમનો ઉપયોગ ગુનો કેવી રીતે બને? મેં એમ પણ કહ્યું કે એક જ દેશના બે વિભાગો આરોગ્ય અને ગૃહ આમને સામને કેવી રીતે હોય ? પણ આવી દલીલ અને નક્કર હકીકતની કોઈ અસર ના થઈ. પણ અમે હિંમત ન હાર્યા, કારણ કે સેક્સવર્કર બહેનો હવે જાગૃત થઈ હતી અને આગળ વધવા માંગતી હતી. આવી સમસ્યા જે પોલીસના વિચાર અને આચારથી ઊભી થઈ હતી તેનો કેવો દૂરગામી ઉકેલ અમે લાવ્યા તે હવે પછી !

સેક્સવર્કરની સંગાથે-(૧૧) :

પોલીસ-કમિશનર સાથે ૧૬ સેક્સવર્કરની મુલાકાત : ભારતના ઇતિહાસમાં કદાચ એવી પહેલી ઘટના હશે. જ્યારે કોઈ શહેરના પોલીસ કમિશનરને એકસાથે ૧૬ સેક્સવર્કર બહેનો ફરિયાદ અને તેના ઉકેલ માટે તેમની ઑફિસમાં ચર્ચા કરવા આવી હશે.

હું આપ સૌને એ જણાવી ગયો કે અમદાવાદ પોલીસ સેક્સવર્કરને પકડતી. ત્યારે તેની પાસેનાં કૉન્ડોમ તેનો ગુનો બનતો અને એફ.આઈ.આર.-માં તે નોંધતો. તેને પરિણામે પોતાની પાસે હંમેશાં કૉન્ડોમ રાખતી સેક્સવર્કર બહેનો કૉન્ડોમથી દૂર થવા માંડી. આ સમસ્યા સેક્સવર્કર અને તેઓના ગ્રાહકોના જાતીય આરોગ્ય માટે ખતરારૂપ બની. તેના ઉકેલ માટે અમે એવું નક્કી કર્યું કે આ અંગે સમદાવાદના પોલીસ-કમિશનરને મળવું. સેક્સવર્કર કદી કલ્પના પણ ના કરી શકે કે પોલીસ કમિશનર તેઓને મળવા બોલાવે. પણ એ શક્ય બન્યું, તેનાં ત્રણ કારણો હતાં. પ્રથમ કારણ એ હતું કે માત્ર ૨ વર્ષના સમયમાં અમદાવાદની સેક્સવર્કર બહેનોએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને તે પણ મહિલાસંસ્થા જ્યોતિ સંઘના સહકારથી. બીજું કારણ એ સમયના અમદાવાદના પોલીસ કમિશનર પી.સી. પાંડે જેઓ આ બહેનોની સમસ્યાને સમજવા તૈયાર હતા. ત્રીજું કારણ એ સમયના પોલીસ કમિશનર ઑફિસના પી.આર.ઓ. અશ્વિન જાની, જેઓ મારા મોટા ભાઈ. તેઓએ અમને આ સંદર્ભે ખૂબ મદદ કરી.

૧૯૯૯ના ફેબ્રુઆરી મહિનામાં મારી સાથે ૧૬ સેક્સવર્કર બહેનો કમિશનર-કચેરીમાં પહોંચ્યાં. કચેરીમાં દાખલ થયાં ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ભાઈઓ નવાઇ ભરી નજરે અમને જોતા હતા. કારણ કે આટલી મોટી સંખ્યામાં સેક્સવર્કર બહેનો કમિશનરસાહેબની ચેમ્બરમાં પ્રવેશ પામી શકી હતી.

પાંડેસાહેબે અમને ઊભા થઇ આવકાર્યાં. મેં વાતની શરૂઆત કરી અને કહ્યું કે સાહેબ આજે હું નહિ બોલું. અમારી બહેનો જ બોલશે. શરૂઆતમાં બહેનો થોડી સંકોચાઈ અને કેવી રીતે વાત કરવી એ વિશે મૂંઝાઈ, પણ મિટિંગ પહેલાં અમે એક પત્ર પણ તૈયાર કરેલો અને ઠીક-ઠીક ચર્ચા કરેલી. પાંડેસાહેબે પણ ઉમળકાથી સૌને વાત કરવા કહ્યું અને એક પછી એક બહેનોએ પોલીસ સાથેની અનેક સમસ્યા અને તેઓ સાથે થતું ગેરકાનૂની વર્તન અને અંગત સમસ્યાઓ પણ જણાવી.

પાંડેસાહેબે બધી વાત શાંતિથી સાંભળી. લગભગ એક કલાક ચાલેલી આ મિટિંગના બે ખૂબ મહત્ત્વના પરિણામ આવ્યાં. બીજે જ દિવસે સાહેબે તેમની સહીથી એક પત્ર શહેરનાં તમામ પોલીસ સ્ટેશનને જારી કર્યો. એ પત્રમાં સ્પષ્ટ સૂચના કરવામાં આવી હતી કે દેહવ્યાપાર કરતી બહેનો સાથે પોલીસે માનવીય વર્તન કરવું અને કોઈ પ્રકારની હેરાનગતિ કરવી નહિ. બીજું પરિણામ એ આવ્યું કે અમારી માંગણીને માન આપી શહેરના તમામ પોલિસ-ઇન્સ્પેકટરોની એક દિવસીય તાલીમ HIV અને કાનૂન-જાગૃતિ અંગેની અયોજવાનું નક્કી કર્યું અને તે પણ જ્યોતિ સંઘની ઑફિસમાં.

આ મિટિંગ બાદ એક અનેરો ઉત્સાહ અમારી બહેનોમાં છવાયો અને પોલીસ-ઇન્સ્પેક્ટરોની તાલીમની તારીખ ક્યારે ગોઠવવી, એની ચર્ચા અમે શરૂ કરી. અને કમિશનરસાહેબની સહીવાળો પત્ર સેંકડોની સંખ્યામાં ઝૅરોક્ષ થયો અને બહેનો તેઓના પર્સમાં એ પત્રની નકલ રાખી આત્મવિશ્વાસના પંથે ડગ માંડતી થઈ.

સેક્સવર્કરની સંગાથે-(૧૨)  :

ભારતના પોલીસ-ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૨૯ પોલીસ-સ્ટેશનના ૨૯ પોલીસ સબઇન્સ્પેક્ટરનો સેક્સવર્કરના અધિકાર મુદ્દે તાલીમ વર્કશૉપ : અમદાવાદનાં પોલીસ કમિશનર પી.સી. પાંડે સાથેની સેક્સવર્કર બહેનોની સફળ મિટિંગ બાદ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૯૯ના દિવસે એક ઇતિહાસ રચાયો. એ દિવસે જ્યોતિ સંઘના હૉલમાં એક દિવસીય વર્કશૉપનું આયોજન થયું. એ સમયે શહેરમાં ૨૯ પોલીસ-સ્ટેશન હતાં. તેમાં કાર્યરત ૨૯ પોલીસ સબઇન્સ્પેકટર સવારે ૯ વાગે રિલીફ રોડ પરના જ્યોતિ સંઘના બિલ્ડિંગમાં આવેલા હૉલમાં એકત્રિત થયા.

આ વર્કશૉપનો હેતુ પોલીસ-ઑફિસરમાં એચ.આઈ.વી. સંદર્ભે જાગૃતિ ઊભી થાય અને સેક્સવર્કર બહેનોના માનવીય અધિકારો માટે તેઓ તૈયાર થાય એ હતો. વર્કશૉપનું ઉદ્‌ઘાટન જ્યોતિ સંઘના પ્રમુખ, પોલીસ અધિકારી દ્વારા થયું. ડૉ સક્સેનાએ અમદાવાદ અને ગુજરાતમાં એચ.આઈ.વી. /એઇડ્‌સની પરિસ્થિતિનો ચિતાર આપ્યો. ડૉ લક્ષ્મણ મલોડિયાએ જોખમી વર્તન કરતાં જૂથો વિશે રજૂઆત કરી. ગૌરાંગ જાનીએ એઇડ્‌સને એક સામાજિક સમસ્યા તરીકે સમજાવી. સૌથી મહત્ત્વની અને પાયાની રજૂઆત ગુજરાત હાઈકોર્ટના જાણીતાં ઍડ્‌વોકેટ  અમી યાજ્ઞિકે કરી સેક્સવર્કર, ભારતીય બંધારણ અને પ્રિવેન્શન ઑફ ઇંમોરલ ટ્રાફિક ઍક્ટ વિશે તેમણે વિસ્તૃત છણાવટ કરી.

વર્કશૉપમાં પિયર એજ્યુકેટર સેક્સવર્કર બહેનોએ પોલીસ સાથેના અનુભવો વર્ણવ્યા. તમામ રજૂઆતો બાદ થયેલી પ્રશ્નોત્તરી સમગ્ર વર્કશૉપનું પ્રોત્સાહક પાસું બની રહ્યું. બન્યું એવું કે એક સિનિયર પોલીસ-ઑફિસરે ઊભા થઈ હાથ જોડી આંખમાં આંસુ સાથે જણાવ્યું કે અમારું વર્તન સેક્સવર્કર બહેનો સાથે શરમજનક છે, ગેરકાનૂની છે. એ બદલ અમે માફી માગીએ છીએ. તેમના બાદ અન્ય પાંચ ઑફિસરોએ પણ ઊભા થઇ રજૂઆત કરી કે એચ.આઈ,વી.ના ચેપને  અટકાવવા સેક્સવર્કર બહેનોના સલામત જાતીય સંબંધો માટેના પ્રયત્નોમાં તેઓના માનવીય અધિકારોનું હનન ના થાય એવું પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવા સહકાર આપશે. અંતે પોલિસ ઑફિસરોએ સૂચન કર્યું કે તેઓના પોલીસ-સ્ટેશનના અન્ય કર્મચારીઓને પણ એઇડ્‌સ રોકથામ વિશેની જાણકારી આપવામાં આવે.

સેક્સવર્કરની સંગાથે-(૧૩) :

અમદાવાદની સેક્સવર્કર બહેનોના આરોગ્યના પહેરેદાર એટલે ડૉ. ચૈતન્ય શુક્લ. બન્યું એવું કે અમારો જ્યોતિ સંઘનો પ્રોજેક્ટ શરૂ થયો. ત્યારે ટેક્નિક કન્સલ્ટન્ટ તરીકે અનેક મૂંઝવતી સમસ્યાઓ મારી અને સંસ્થા સામે હતી. તેમાં તાત્કાલિક ઉકેલ માંગતી સમસ્યા હતી કે શહેરની સેક્સવર્કર બહેનોના જાતીય આરોગ્યની તપાસ કોણ કરશે ? વળી, એવા ડૉક્ટર જોઈએ જે આ બહેનો પ્રતિ સંવેદનશીલ હોય અને ઉત્તમ ડૉક્ટર પણ હોય. અનેક પ્રયત્નો કર્યા પણ કોઈ નામ સામે ના આવ્યું. એટલે એ સમયે ઉપયોગી એવી યલો પેજિસની ડાયરી લઈને બેઠો. ચામડીના રોગના નિષ્ણાત અર્થાત ડરમીટલોજીસ્ટની જરૂર હતી. અનેક ડૉક્ટરને ફોન કર્યા અને વિનંતી કરી કે અમારી સાથે વ્યાવસાયિક રીતે જોડાઓ. પણ સેક્સવર્કરનું નામ સાંભળતાં કોઈ તૈયાર ન થયું. પણ એવામાં મારો ફોન ઉપાડ્યો ડૉ. ચૈતન્ય શુક્લએ. ખૂબ મૃદુ અવાજ અને શાંતિથી વાત કરી અને એ તૈયાર થઈ ગયા.

દર શનિવારે જ્યોતિ સંઘમાં જ અમે ક્લિનિક શરૂ કર્યું અને ધીમે ધીમે બહેનો આવવા માંડી અને શુક્લસાહેબની તપાસ અને સલાહે બહેનોમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો કે તેઓના આરોગ્યવિષયક પ્રશ્નોનો ઉકેલ આવશે તે એક ઉત્તમ ડૉક્ટર દ્વારા અને નિઃશુલ્ક. જેમજેમ બહેનો અમારી સાથે જોડાતી ગઈ એમ અમે આ સેવાનું વિકેન્દ્રીકરણ કરવાનું શરૂ કર્યું અને ખાસ કરીને શહેરના પૂર્વ શ્રમજીવી વિસ્તારોમાં અઠવાડિયે એક વાર ક્લિનિક શરૂ કર્યાં. ત્યાં પણ શુક્લસાહેબ સેવા આપતા. બહેનોના જાતીય રોગોની તપાસ અને તેના ઉકેલ આવવા માંડ્યા. દવાઓ પણ નિઃશુલ્ક અપાતી.

માત્ર ક્લિનિક નહિ, પણ પ્રોજેક્ટના મૂલ્યાંકન અર્થે ૩ આંતરરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસો થયા. જેમાં બહેનોમાં એચ.આઈ.વી. અને જાતીય રોગોનું પ્રમાણ જાણવાનું હતું. એમાં પણ ડૉ શુક્લએ અદ્‌ભુત પ્રદાન કર્યું. સતત બે દાયકા સુધી તેઓ અમદાવાદની સેક્સવર્કર બહેનોના આરોગ્યના પહેરેદાર રહ્યા અને બહેનોને સલામત જાતીય સંબંધોના વૈજ્ઞાનિક પાઠ ભણાવી તેઓમાં એચ.આઈ.વી. સંક્રમણને નિયંત્રિત રાખ્યું. પદ્મશ્રી તો એમને જ મળવા જેવો હતો. સાહેબ આપનો ખૂબ આભાર.    

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 13-15

Loading

રિયા અને કંગના એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ, જે તેમની રખેવાળ હતી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2020

એક જેલમાં છે અને એકનું ઘર-ઓફિસ કાટમાળ બની ગયું છે. એક ચોર-ઉચ્ચકી સ્ત્રીઓ વચ્ચે કોટડીમાં છે, અને એક બીજી પોલીસ અને કમાન્ડોથી ઘેરાયેલી છે. એકની હત્યા અને હવાલાના મામલે પૂછતાછ બાકી છે, અને બીજી સામે અધ્યયન સુમન સાથે ડ્રગ્સની આપલેની વાતો બદલ પોલીસ તપાસ માથા છે. રિયા ચક્રવર્તી અને કંગના રનૌત જિંદગીના જે પડાવ પર અત્યારે છે, તેનો તેમને અંદાજ નહીં હોય. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેમને એ પણ કલ્પના નહીં હોય કે તે જ્યારે તેમની જિંદગીનો આ પડાવ છોડીને આગળ વધી જશે, ત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં હશે. ભવિષ્યમાં એ જ્યાં હશે, તે આજના કરતાં સારું હશે કે બદતર?

૯મી સપ્ટેમ્બરે કંગના જ્યારે મુંબઈ આવી, ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઇ હતી, જે બે વિરોધાભાસી જિંદગીનું પ્રતિક હતી; એક તસવીરમાં નશાબંધી વિભાગ સમક્ષ બયાન આપવા માટે ઉપસ્થિત થઇ ત્યારે મીડિયાકર્મીઓનાં ટોળાં વચ્ચે ઘેરાઈ ગયેલી રિયા ચક્રવર્તી હતી, તો બીજી તસવીરમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ બહાર સી.આર.પી.એફ.ના જવાનોની ઘેરાબંધી વચ્ચે બહાર નીકળતી કંગના રનૌતની હતી.

બે યુવાન અને આશાસ્પદ સ્ત્રીઓની પ્રવર્તમાન પરિસ્થિતિનો આ વિરોધાભાસ દેશના લોકોની નજરમાંથી ચુકાયો ન હતો. બંને એ જ સિનેમા ઉદ્યોગથી જખ્મી થઇ હતી, જે ક્યારેક તેમનો રખેવાળ હતો. બંને મધ્યમ વર્ગની તેજસ્વી છોકરીઓ હતી, જેમને નામ અને દામની ભૂખ હતી. બંનેની આસપાસ એવા લોકો હતા, જેમને ખરાબ તો નહીં, પણ અનુચિત તો કહી શકાય. સિનેમાની દુનિયાની ઝગમગાટમાં તેમને સંબંધોની નકલી ચમક ના દેખાઈ. એક આજીવન કલંક લઈને જેલમાં છે અને બીજી બોલીવુડનાં કલંક ધોવા માટે મેદાને પડી છે. એકની જિંદગી 'બિહારના સપૂત'ના અપમૃત્યુથી અત્યારે નરકમાં છે, બીજી શાસનના સમર્થનથી તેના જીવનમાં સ્વર્ગ બનાવવાની આશા રાખે છે.

એક આશાસ્પદ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું અકાળ અવસાન બે સ્ત્રીઓ માટે અણધાર્યા પરિવર્તનનું કારણ બન્યું છે, જેની પાછળ દેશની ક્રૂર રાજનીતિ, મીડિયાની ટી.આર.પી. ભૂખ અને સમાજની પછાત માનસિકતાનો બિહામણો પડછાયો છે.

મીડિયામાં અને આમ જનતામાં એક વર્ગ છે, જે બંને યુવતીઓને 'બહાદુર' ગણે છે, જેનાં કારણો ગેરવ્યાજબી હોઈ શકે. રિયા અપરાધી હોય, તો તેને સજા થવી જ જોઈએ, પણ મીડિયાએ તો તેને પહેલેથી જ અપરાધી જાહેર કરીને જે બદ્દસલુકાઈ કરી છે, તે કોઈ પણ સભ્ય પરિવારમાં સ્વીકાર્ય નહીં હોય. ટી.વી. મીડિયાની અનુચિત ટ્રાયલ અને સોશ્યલ મીડિયાના અણછાજ્યા આરોપો વચ્ચે રિયાએ તપાસકર્તા એજન્સીઓને જે શાલીનતાથી સહકાર આપ્યો છે, તે સાહસ માગી લે છે.

કંગના પૈદાઈશી બળવાખોર છે. રૂઢિચુસ્ત અને કંઇક અંશે ક્રૂર પરિવારથી છેડો ફાડીને તે ખુદના દમ પર આ ઊંચાઈ પર પહોંચી છે. એ યાત્રામાં એ જખ્મી થઇ હતી. જે વરુઓ આજે રિયાને ફરી વળ્યા હતા, તે જ વરુઓ ત્યારે કંગનાની આજુબાજુમાં હતા. કંગના સાચા અર્થમાં પથ્થર પર પગ મારીને પાણી કાઢવાવાળી છે. હિમાચલના નાના ગામડાની હતી. અંગેજી તો ઠીક, સરખું હિન્દી બોલતા પણ આવડતું ન હતું. તેના ઉચ્ચારોની મજાક થતી હતી. દેખાવડી હતી, એટલે લોકો આગળપાછળ ફરતા હતા, જેને કંગનાએ હિતેચ્છુઓ ગણી લીધા હતા. તેની કહાનીઓ અને ગોસિપ બહુ જાણીતી છે.

કોઇ પણ નાદાન છોકરી એમાં લપસીને બરબાદ થઇ જાય, પણ એ બધા વચ્ચે કંગનાએ તેના પરફોર્મન્સ પર નજર ખોડી રાખી. તેને એ ખબર હતી કે તે એકટર છે અને છેવટે તો માત્ર તેની એકટીંગની જ ગણતરી થવાની છે. એમાંથી એ ભ્રમિત ના થઇ અને એટલે જ એ 'ક્વીન' બની. કાંગનાને સફળતાનું સુખ મળ્યું? કદાચ ના.

એની નકારાત્મકતામાં ઔર ઉમેરો થયો. તેની જખ્મી ચેતનાના ઘા રૂઝાવાને બદલે વકરતા રહ્યા. એને 'રંજાડનારા' અને તેનું 'શોષણ' કરનારાઓને તે ભૂલી ન હતી. 'પંગો' લેવો તેની વૃત્તિમાં હતું. તેણે સૌથી પહેલીવાર તેના પિતા સાથે ૧૫ વર્ષની ઉંમરે 'પંગો' લીધો હતો. તેના પિતાને કંગનાને તેના 'અનુચિત' વ્યવહાર માટે લાફો માર્યો હતો અને કંગનાએ કહ્યું હતું કે ફરી હાથ ઉપાડ્યો તો હું ય લાફો મારી દઈશ. પિતાને તેને ઘરમાં ચાલ્યા જવાનું કહ્યું અને કંગના એક રૂપિયો લીધા વગર નીકળી ગઈ હતી.

બોલીવુડને જાણનારાઓ, આજના અને વીતેલા સમયના, તેને ક્રૂર દુનિયા કહે છે. અહીં બધા જ સંબંધો સ્વાર્થના છે. અહીં સફળતા અને નિષ્ફળતાને દિલ પર લેવાનું પરવડે તેવું નથી, પણ એવું ક્યા વ્યવસાયમાં નથી? બોલીવુડમાં આવીને કંગનાના જૂના જખ્મો ઔર વકર્યાં છે. એ કહે છે તેને બોલીવુડમાં ખરાબ અનુભવ થયા છે. હકીકત એ પણ છે કે તેની કારકિર્દી પણ એટલી જ નક્કર બની છે.

જે હિન્દી સિનેમાએ તેને પ્રતિષ્ઠા, પ્રેમ અને પૈસો આપ્યો છે, તે જ દુનિયાના લોકોના ‘સ્વાર્થી’ વ્યવહારને તે ભૂલી નથી. કંગનાને સંતોષ ઓછો અને ફરિયાદો બહુ છે. તેને બદલો લેવો છે. તેણે હિંમતથી ‘પંગો’ લીધો છે અને તેની આજુબાજુ અનુકૂળ લોકો ભેગા થઇ ગયા છે. તેનામાં હિંમત તો હતી જ, હવે તેને સમર્થન પણ મળ્યું છે.

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી રિયા ચક્રવર્તી પર તો ફોકસ બહુ પાછળથી આવ્યું, પણ કંગનાએ સૌથી પહેલાં બોલીવુડમાં નેપોટિઝમ(સગાં-વહાલાંવાદ)નો મુદ્દો છેડ્યો હતો અને સુશાંતને ‘બોલીવુડવાળા અને બોલીવુડની બહારવાળા’ ભેદભાવનો શિકાર ગણાવ્યો હતો. એ તો બિહારમાં ચૂંટણીના કારણે આખી વાત ‘બિહારના સપૂત’ને ન્યાય અપાવવાના નામે મહારાષ્ટ્રની શિવસેના-કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સરકાર સામેનું યુદ્ધ બની ગઈ અને નેપોટિઝમ બાજુમાં રહી ગયું. એમાં કંગનાને નવો ઢાળ મળ્યો છે અને બોલીવુડમાં જે કંઈ ખરાબી છે, તેની સફાઈ કરવાનું મિશન હાથ ધર્યું છે.

આ સાફ-સફાઈમાં કંગનાએ સૌથી પહેલાં રિયા ચક્રવર્તીની જ મદદ કરવી જોઈએ, કારણ એ પણ કંગનાની જેમ જ આ દુનિયામાં નામ અને દામ કમાવા આવી હતી.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

[રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલ પરેથી સ-આદર સાભાર]

Loading

દક્ષિણ આફ્રિકામાં ગાંધી મોહનમાંથી મહાત્મા બન્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2020

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ૨૧ વર્ષ રહ્યા હતા અને એ ૨૧ વર્ષ આફ્રિકાના સર્વોચ્ચ નેતા નેલ્સન મંડેલાના શબ્દોમાં કહીએ તો મોહનમાંથી મહાત્મા બનવાનાં વર્ષો હતાં. એ એક ધીમી, લાંબી અને અનોખી પ્રક્રિયા હતી. એ ગાંધીજીની તપશ્ચર્યાનાં વર્ષો હતાં અને દક્ષિણ આફ્રિકા ગાંધીજીની તપોભૂમિ હતી. એ વર્ષોમાં મોહનદાસ ગાંધીએ જે ખાસ પ્રકારનો મોહનનો મસાલો વિકસાવ્યો હતો એ સંક્ષેપમાં આ મુજબ હતો:

૧. પહેલો પદાર્થ હતો, માત્ર અને માત્ર સત્ત્વનું ગ્રહણ અને સત્ત્વ ન હોય તેનો ત્યાગ પછી ભલે એ ગમે ત્યાંથી મળ્યું હોય અને ગમે તેનું હોય. આની થોડી વાત આગળ કહેવાઈ ગઈ છે. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ઈશ્વર, કોઈ મસીહા, કોઈ પેગંબર, કોઈ અવતારપુરુષ, કોઈ ગ્રંથ, કોઈ સભ્યતા, કોઈ સંસ્કૃતિ, કોઈ પ્રજા, કોઈ વંશ, કોઈ દેશ, કોઈ પ્રદેશ, કોઈ રાષ્ટ્ર, કોઈ વિચારક, કોઈ વિચારધારા અને બીજું જે કાંઈ. ફલાણાનું છે માટે અનિવાર્યપણે શ્રેષ્ઠ છે કે સંપૂર્ણ છે અથવા ફલાણાનું છે એટલે એમાં સત્ત્વ હોય જ નહીં એમ માનવાનું નહીં. કોઈને લાગશે કે આ માણસ તો જબરો નકારનારો હતો, પણ તેમના વ્યક્તિત્વનું રહસ્ય એ હતું કે એ નકારનારો નહોતો સ્વીકારનારો હતો.

ગાંધીજી લોકોને નથી સમજાતા અથવા ગાંધીજી વિશે અંદાજે એક લાખ પુસ્તક લખાયાં છે અને લગભગ દરેક કલાસ્વરૂપમાં આવિષ્કાર પામ્યા છે એનું કારણ આ કોયડો છે. ઘણાને લાગે છે કે એ સ્વીકારનારો હતો અને ઘણાને લાગે છે કે એ નકારનારો હતો. ગાંધીમાં એક જ સમયે અને એક સાથે બન્ને વસ્તુ હતી એ લોકોને ધ્યાનમાં આવતી નથી અથવા ધ્યાનમાં લેવી પરવડતી નથી. મળે ત્યાંથી સત્ત્વને સારવી લેવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી અને પુરુષાર્થ એટલો પ્રચંડ હતો કે તપશ્ચર્યામાં કોઈ મુમુક્ષુનો ગજ પણ ટૂંકો પડે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાનાં સાથી મિલી પોલાકે લખ્યું છે કે સામાન્ય વાતચીતમાં પણ ગાંધીજી તમારી સામે એવી રીતે જુએ અને એવી રીતે સાંભળે કે જાણે આ ધરતી ઉપર તમારા કરતાં વધારે મહત્ત્વની કોઈ વ્યક્તિ નથી અને તમે જે કહો છો એનાથી અગત્યની કોઈ વાત નથી. કારેલાંમાંથી બિયાં કેમ કાઢવાં અને ત્રણ પાઉન્ડનો દંડ કેમ દૂર કરવો એ બંને વાત તેમને માટે એક સરખી મહત્ત્વ ધરાવતી હોય. આવો અનુભવ બીજા સેંકડો લોકોને થયો છે અને અનેકે એ નોંધ્યો પણ છે.

સત્ત્વ હાથમાંથી સરકી ન જવું જોઈએ અને જેમાં સત્ત્વ નથી એ અનાવધાને અંદર પ્રવેશવું ન જોઈએ. નિરંતર ખબરદારી. સત્ત્વ પરાયું હોય તો પણ ગ્રાહ્ય અને સત્વહીન આપણું પોતાનું હોય તો પણ અગ્રાહ્ય. એક બાજુએ જ્યાંથી જે ખપનું મળે એ મેળવી લેવાની બાળસહજ તત્પરતા પણ જોવા મળે અને ગમતાંનો ગુલાલ કરીને તેને વહેંચવાની આસક્તિમાં માતાનું વાત્સલ્ય પણ જોવા મળે તો બીજી બાજુએ જે ખપનું નથી એનું ગ્રહણ ન થઈ જાય અને તે લોકો સુધી તેમના હાથે ન પહોંચે એ માટે યોગીની દક્ષતા અને રુક્ષતા પણ જોવા મળે.

સ્વીકાર અને અસ્વીકારના ગાંધીજીનાં આવાં વસ્તુનિષ્ઠ વલણને કારણે અનેક લોકો ગાંધીજીનો જ સ્વીકાર કરવામાં અને અસ્વીકાર કરવામાં થાપ ખાઈ જાય છે. ગાંધીજીએ અમારું સ્વીકાર્યું એ જોઇને રાજીના રેડ થઈ જનારાઓ ગાંધીજીએ અમારું નકાર્યું એ જોઇને દુઃખી થઈ જાય છે. પણ આ તો એવો માણસ છે જે કોઈનું ય પૂરું સ્વીકારતો નથી અને કોઈનું ય પૂરું નકારતો નથી. તો પછી આ છે કોણ સ્વીકારનારો કે નકારનારો? લોકો પોતપોતાની સગવડ મુજબ ગાંધીજીના સ્વીકાર-નકારને જોઇને ગાંધીજીનો સ્વીકાર-નકાર કરે છે. ગાંધીજી ભારત આવશે ત્યારે ભારતની કહેવાતી જાગૃત પ્રજા માટે અને તેના નેતાઓ માટે આ મોટો કોયડો બનવાનો છે. આ માણસનું કરવું શું? સ્વીકારવો કે નકારવો?

૨. મોહનના મસાલાનો બીજો પદાર્થ હતો; નિર્વૈર. પશ્ચિમની શ્વેત પ્રજા ભેદભાવ કરે એ સ્વીકાર્ય નથી અને એટલો અસ્વીકાર પૂરતો છે. આ સિવાય હજુ પણ શ્વેત પ્રજાનું જે કાંઈ અસ્વીકાર  કરવા જેવું લાગશે એનો ધરાર અસ્વીકાર કરીશું, પણ એને માટે વેરવૃત્તિ ધરાવવાની અને એને પાળવાની શી જરૂર છે? યુરોપની ગોરી પ્રજા કેવી છે, એણે ભૂતકાળમાં કઈ પ્રજા સાથે કેવાકેવા દુરાચાર કર્યા છે, તેમનો ધર્મ તેમને શું શીખવાડે છે વગેરે ઇતિહાસ અને ધર્મની કુંડળી કાઢીને નફરતનું દ્રવ્ય એકઠું કરવાની શી જરૂર છે? ગાંધીજી કહેતા કે તેમની પાસેથી શીખવા જેવું પણ ઘણું છે. એક કથન તેઓ અનેક વાર કહેતા કે ભારત તેમણે પુરુષાર્થથી મેળવ્યું છે અને આપણે આપણી મર્યાદાઓને કારણે ગુલામી વહોરી છે. આપણે તેમની પાસેથી પુરુષાર્થ શીખવો જોઈએ પછી તમારી દૃષ્ટિએ એ ગમે તેવી ખરાબ પ્રજા હોય અને આપણે આપણી મર્યાદા છોડવી જોઈએ પછી તમારી દૃષ્ટિએ આપણે ગમે તેવી મહાન પ્રજા હોઈએ.

પ્રજાનો સ્વભાવ એવો છે કે જેની સામે લડવું હોય એની સામે નફરતનો મસાલો એકઠો ન કરીએ ત્યાં સુધી કોટો ન ચડે. આંખમાં તેલ રેડીને રાત ઉજાગરા કરીને આપણે સાચો-ખોટો નફરતનો મસાલો શોધીએ છીએ અને પછી તેને ઘૂંટીએ છીએ. આ બાજુ આપણા શ્રેષ્ઠત્વનો પણ સાચો-ખોટો મસાલો શીધીએ છીએ અને તેને પણ ઘૂંટીએ છીએ. જ્યાં સુધી આપણા માટેનો અનુરાગ અને બીજા માટેનો દ્વેષ આપણા સ્વભાવનો હિસ્સો ન બની જાય ત્યાં સુધી આપણે તેને ઘૂંટતા રહીએ છીએ.

પણ ગાંધીજી તો કહેતા કે લડવા માટે વેરભાવની જરૂર નથી, સત્યનિષ્ઠાની જરૂર છે. તમે શ્વેત પ્રજા અશ્વેત પ્રજા સાથે ભેદભાવ કરો છો એ ખોટું છે. અન્યાય છે. અમાનવીયતા છે. અસ્વીકાર્ય છે. મને સત્ય સમજાઈ ગયું છે અને મારા સ્વમાન માટે હું લડવાનો છું. એકલો હોઈશ તો એકલો લડીશ, પણ જે અસ્વીકાર્ય છે તેનો ડરીને સ્વીકાર નહીં કરું. એકલો છે માટે સ્વીકાર નહીં કરું. તમારું રાજ છે, તમારી પાસે પોલીસ અને લશ્કર છે માટે સ્વીકાર નહીં કરું. અંતે તમે મને સત્ય ખાતર ખપી જતા રોકી નહીં શકો. એ મારો અધિકાર છે જેના ઉપર તમારું અધિપત્ય કે શાસન નથી. મારા અંતરાત્મા ઉપર મારું શાસન છે. તમારું શાસન ગમે તેવું શક્તિશાળી અને નિર્દયી હોય, તેનું આધિપત્ય મારા અંતરાત્માના દરવાજે પૂરું થઈ જાય છે. અહીંથી મારું શાસન શરૂ થાય છે. માટે તેમણે મૅરિત્ઝબર્ગ સ્ટેશનની વાત કરતાં આત્મકથામાં લખ્યું છે; 'તેનો (શ્વેત પ્રજાનો) વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ મોહનદાસ છેક ૧૮૯૩માં આમ વિચારતો હતો.

૩. સ્વાભાવિકપણે મોહનના મસાલાનો ત્રીજો પદાર્થ હતો નિર્ભયતા. ગાંધીજીને કોઈ વાતનો ભય નહોતો. તેમણે ૧૯૦૫ની સાલમાં પોતાના મોટાભાઈને લખેલા પત્રમાં કહ્યું હતું કે ભય શું કહેવાય એ હું જાણતો નથી. તેમને મોતનો ડર નહોતો. એકલા પડી જવાનો ડર નહોતો. કોણ શું કહેશે એનો ડર નહોતો. ઇતિહાસ તેમને કઈ રીતે મૂલવશે એનો ડર નહોતો. ૧૯૪૬-૧૯૪૭ના નોઆખલીની કલ્પના કરો! જ્યાં કોમી રાજકારણ ચાલતું હતું, જે પ્રદેશ પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં હિંદુઓને ભગાડવા કોમી રમખાણો થયાં હતાં, શાંતિ સ્થાપવા માટે ગયેલા ગાંધીજીને જ્યાંથી કાઢવા માટે ખટપટ કરવામાં આવતી હતી ત્યાં બીજો કોઈ માણસ બ્રહ્મચર્યનો પ્રયોગ કરે? કરે તો કમરાની કૂંડી વાસીને છાને ખૂણે કરે, દરવાજો ઉઘાડો રાખીને કરે? અને આશ્ચર્ય હવે આવશે; પોતે શું પ્રયોગ કરી રહ્યા છે એ પ્રાર્થનાસભામાં લોકોને કહે અને બંગાળીમાં તેનો તરજુમો કરાવે.

આ એ જ માણસ કરી શકે જે સત્યનિષ્ઠ હોય, જે નિર્વૈર હોય અને જે નિર્ભય હોય.

મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં આ ત્રણ મૂડી રળીને ૧૯૧૫માં ભારત આવ્યા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1672,1682,1692,170...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved