Opinion Magazine
Number of visits: 9574287
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયપ્રકાશ નારાયણ તેમને ગાંધીજી પછીના ક્રમે મૂકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 September 2020

મહામારીગ્રસ્ત મહાનગર મુંબઈ આજકાલ સુશાંત અને કંગનાને કારણે ચર્ચામાં છે. એક સમયે આઝાદીના સંગ્રામના કારણે પણ ચર્ચાયું હતું.

જયપ્રકાશ નારાયણ, પ્રભાવતીદેવી, યુસૂફ મહેરઅલી અને રામમનોહર લોહિયા

સાયમન કમિશનના બહિષ્કાર આંદોલનનું નેતૃત્વ કરીને મહેરઅલીએ આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું હતું. મુંબઈમાં એમણે ગુંજતો કરેલો ‘સાયમન ગો બેક’નો નારો પછી આખા દેશનો અવાજ બની રહ્યો હતો. અહિંસક સત્યાગ્રહીઓ પર પોલીસે સિતમ ગુજાર્યો તેમાં મહેરઅલી સહિત ઘણાં ઘવાયા હતા. નિઃશસ્ત્ર અને અહિંસક સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરનારા અંગ્રેજ સાર્જન્ટ સામે મહેરઅલીએ કોર્ટમાં કેસ કરી સજા અપાવી હતી. તેથી આ કેસનો ચુકાદો આપનાર ન્યાયાધીશને સરકારે નોકરીમાં કાયમ ન કર્યા તો મહેરઅલીને લોની ડિગ્રી છતાં વકીલાત કરવાની સનદ ન મળી. આઝાદીનું આંદોલન અને અન્યાયનો પ્રતિકાર કેવાં પરિણામો નિપજાવી શકે છે તે આ બાબતોથી જણાય છે, પરંતુ ડર્યા વિના મહેરઅલી આઝાદી આંદોલનમાં ડટયા રહ્યા. ૧૯૩૨ના મીઠા સત્યાગ્રહ વખતે મુંબઈના વડાલામાં તેઓ યુવાનોનું નેતૃત્વ કરી રહ્યા હતા. સત્યાગ્રહીઓ પર ઘોડેસવારોની ટુકડી દ્વારા ચાબુકો ફ્ટકારવામાં આવતા મહેરઅલીએ અંગ્રેજ સાર્જન્ટના પૂરપાટ દોડતા ઘોડાની લગામ પકડી લઈ તેમની નીડરતાનો પરચો કરાવ્યો.

ઈ.સ. ૧૯૩૪માં આચાર્ય નરેન્દ્ર દેવ, રામમનોહર લોહિયા, જયપ્રકાશ, અચ્યુત પટવર્ધન, એસ.એમ. જોશી, અશોક મહેતા અને મિનુ મસાણી સાથે મળીને તેમણે ‘કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ’ની સ્થાપના કરી હતી. સમાજવાદને આજીવન સર્મિપત મહેરઅલીનું જીવનધ્યેય સમાજવાદી સમાજરચનાની સ્થાપનાનું હતું. સમાજવાદી પક્ષોનાં સંમેલનોમાં તેમણે સમાજવાદની બુનિયાદ વધુ ને વધુ સ્પષ્ટ કરી હતી. ૧૯૩૬માં તેમણે કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષના પ્રમુખસ્થાનેથી જમીનદારી નાબૂદીની ઘોષણા કરી હતી. વતન કચ્છની ‘પ્રજા પરિષદ’ સાથે પણ તેઓ જોડાયેલા હતા. આઝાદી માટે કચ્છના રાજા અને ગિરાસદારોનો પ્રતીકાર કરીને તેમણે લોકોને સક્રિય લડત માટે તૈયાર કર્યા હતા. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાં હતા ત્યારે જ તેમને મુંબઈના મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સમાજવાદીઓ નહેરુના પક્ષે હોવાનું જાણતા હોવા છતાં સરદાર પટેલે આ પસંદગી કરી હતી. મહેરઅલીએ પણ પોતાનાં કાર્યો થકી તેને દીપાવી. નગરપતિ તરીકેના પોતાના પ્રથમ પ્રવચનમાં, ‘હું તુમારશાહી અને રેઢિયાળપણાનો સજ્જડ વિરોધી છું.’ એમ કહીને તેમણે ‘સમાજવાદી સુધરાઈ’નો વિચાર અમલમાં મૂકવા પ્રયાસ કર્યો. મુંબઈના નાગરિકોની સુરક્ષા અંગ્રેજ સરકાર પર છોડી દેવાને બદલે તેમણે ‘પીપલ્સ વોલન્ટિયર બ્રિગેડ’ની રચના કરી. મુંબઈના ગવર્નરે મહેરઅલીને રાજભવનમાં ડિનર માટે નિમંત્ર્યા તો તેમણે ડિનરમાં તેમનો શોફર સાથે જોડાશે તેની શરત રાખી અને તેની આગોતરી પરવાનગી મળ્યા પછી જ ભોજન માટે ગયા હતા.

હિંદ છોડો ચળવળના વરસે મુંબઈના પહેલા સમાજવાદી મેયર તરીકે ચૂંટાયેલા યુસૂફ મહેરઅલીનું સ્મરણ એમના સમાજવાદી વિચારોના કારણે કરવા જેવું છે. આજથી ૧૧૭ પહેલાં, ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ જન્મેલા યુસૂફ મહેરઅલીના અવસાન(બીજી જુલાઈ, ૧૯૫૦)ને પણ સાત દાયકા થવા આવ્યા.

મૂળે કચ્છના ખોજા પરિવારના યુસૂફ મહેરઅલીનો જન્મ, ઉછેર અને ભણતર મુંબઈમાં થયાં હતાં. અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, વિદ્યાવ્યાસંગી બૌદ્ધિક અને બિનસાંપ્રદાયિકતાના જીવંત પ્રતીક એવા મહેરઅલીએ વિદ્યાર્થી અવસ્થાથી જ જાહેરજીવનમાં રસ લેવા માંડેલો. માંડ સુડતાલીસ વરસના ઝંઝાવાતી આયખામાં એમણે ઘણાં મોટાં કામો કર્યાં હતાં. તેમના સમાજવાદી સાથી જયપ્રકાશ નારાયણે ઉચિત જ કહ્યું હતું કે, “ મારા મનથી યુસૂફ મહેરઅલીનું સર્મિપત જીવન ગાંધીજીને બાદ કરતાં જીવનની સર્વોત્તમ અભિવ્યક્તિ છે. ધ્યેય પ્રતિ નિષ્ઠા અને આદર્શો પ્રત્યે આદર ગાંધીજી પછી તેમના જીવનમાં જોવા મળ્યા.”

૩૧ માર્ચ, ૧૯૪૯થી બીજી જુલાઈ ૧૯૫૦ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય હતા. સજાગ ધારાસભ્ય તરીકે સવા વરસની તેમની કામગીરી સંસદીય ઇતિહાસમાં નોંધપાત્ર છે. મહાનગરીય જન્મ ઉછેર છતાં તેમના હૈયે સદાય ગરીબો, કિસાનો, કામદારોનું હિત રહેલું હતું. ધારાસભ્ય તરીકેનું તેમનું સૌથી મહત્ત્વનું કામ ગુમાસ્તા ધારો તૈયાર કરાવવાનું છે. ભાડૂતો, કામદારો, અસંગઠિત શ્રમિકો અને સુધરાઈના પ્રશ્નો તથા નાગરિક અધિકારો માટે તેમણે ધારાસભામાં સતત અવાજ ઉઠાવ્યો હતો.

અનાજની પેદાશ વધારવા માટેની ‘લેન્ડ આર્મી’(ભૂમિસેના)ની રચના કરવામાં તેમને ઊંડો રસ હતો. અત્યંત માંદલી તબિયતે પણ તેઓ આ અંગેનો ઠરાવ ધારાસભામાં રજૂ કરવા આવ્યા હતા. ગૃહમાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને ઊંચકીને ગૃહની બહાર લઈ જવા પડયા હતા. તે પછી તેઓ કદી સાજા ન થઈ શક્યા. આટલી પ્રતિબદ્ધતા તેમને પોતાના કામ પ્રત્યે હતી.

હસ્તાક્ષર માંગનારને ‘લીવ ડેન્જરસલી’ અર્થાત્ ‘જોખમભર્યું જીવો’નો સંદેશ લખી આપનાર મહેરઅલી અનેક જોખમો લઈને જીવ્યા અને બહુ ટૂંકું આયુષ્ય ભોગવ્યું.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2020

Loading

પારદર્શી લેખક – ભાઈ નવીન બેંકરને શબ્દાંજલિ …

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|22 September 2020

બાળપણમાં જેમની સાથે જિંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય, તેવા નિકટના આત્મીય ભાઈને માટે ‘હતા’ લખવાનું આવે, ત્યારે કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યાં છીએ. અનાયાસે જ નવીનભાઈની અને મારી એક સરખી લેખનશક્તિ કેળવાઈ અને એક સરખા સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યા. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૨૬-૦૯-૧૯૪૧ થી ૨૦-૦૯-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે .. જોરથી વલોવાય છે.

ગઈ રક્ષાબંધને …

આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.
છેલ્લી ન રહે, એ ભાવ સાથે ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી.
 
ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી.
 
જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી.
 
મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને બાંધી’તી.

 
जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રદ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ …. આખરે સપ્ટેમ્બર ૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબનાં પાનેપાનાં ખુલ્લાં જ હતાં. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ ગયા.

જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું, ત્યારે તો મેં તરત લખી આપ્યું હતું, પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં … 

નવીન બેંકર એટલે એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા, મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખૂબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદુ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈ પણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા, સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

“સંકટભરી આ જિંદગીથી હારનારો હું નથી, સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે, “જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે ‘સત્યમેવ જયતે‘ સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  

કદાચ એટલે જ એ જિંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારે ય જીવી જ શક્યા નથી.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું. ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા. દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણા ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. અમે નાની ચાર બહેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટા. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા. પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાના ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા. દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઊતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરે! આ બધાં કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયા. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશાં તેમને લાગતું કે જિંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજી કી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ચાંદની’માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. ‘સ્ત્રી’, ‘શ્રી’, ‘મહેંદી’, ‘શ્રીરંગ’ ડાયજેસ્ટ, ‘આરામ’, ‘મુંબઈ સમાચાર’, ‘કંકાવટી', ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘નવચેતન’ વગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં. ‘હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ‘કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રૂપિયાની કિંમતમાં ૯૬ પાનાંની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા .. એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ. હૃદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા, જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે તેમની કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને જકડનારી રહી છે.

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ, અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી. ખરસાણી, સ્વ. વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે નામોની યાદી તો ખૂબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે. ૧૯૭૯માં અમેરિકા આવ્યા. ન્યુયોર્કની ‘Russ Togs’ નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા. પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા. ૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરીફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’, અને સીનિયર સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા. દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈ પણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે. અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડે, આશા ભોંસલે, અનુ મલિક, એ.આર. રહેમાન, ધર્મેન્દ્ર, અમીર ખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિ ઝીન્ટા, પરેશ રાવલ, પદ્મારાણી, ફાલ્ગુની પાઠક,  નાના પાટેકર, અનિલ કપૂર, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આવાં બીજાં તો અનેક. નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડિયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે. અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યા. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’ કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે, ૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો.

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખૂબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! જ્યારે જ્યારે ભારત જાય, ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જઈ નાટકો જોવા જાય જ. ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા સિદ્ધાર્થ રાંદેરિયા, અશોક દવે, વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદના પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી, ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરે. દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવાં સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતી. આ છીપલાં પણ કેવા? ખૂબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?

ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલો –

‘એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/

‘મારા સંસ્મરણો’ શીર્ષક હેઠળ પોતાની આત્મકથાનાં પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છે. કેટલાંક રેખાચિત્રો પણ આલેખ્યા છે.

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી, ચરણે તમારા, ભાવથી નમીએ અમે.
શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,
લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,
એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી, બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ
તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

અસ્તુ.

(સપ્ટે. ૨૨, ૨૦૨૦)

e.mail : ddhruva1948@yahoo.com

Loading

સેક્સવર્કરની સંગાથે — 2

ગૌરાંગ જાની|Opinion - Opinion|21 September 2020

૭ : અમદાવાદના ઇતિહાસમાં સેક્સવર્કર બહેનોનો પ્રથમ સર્વે :

આપણે અગાઉ જોયું તેમ અમદાવાદ શહેરની સેક્સવર્કર બહેનોની ઊંડાણપૂર્વકની મારી મુલાકાતે સામાજિક સંશોધનમાં icebreaking અને Rapport-buildingનો પાયો નાખ્યો. પણ મોટી સંખ્યામાં તેઓ વિશેની જરૂરી અનેકવિધ માહિતી અર્થે સર્વે અનિવાર્ય હતો, જેને પરિણામે તેઓને એચ.આઈ.વી. સંક્રમણથી બચાવની રણનીતિ ઘડી શકાય.

ઇંગ્લૅંન્ડની સંસ્થા DFIDની મદદથી જ્યોતિ સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટીના ઉપક્રમે મારા નેતૃત્વ હેઠળ ૧૯૯૭માં સર્વે તૈયાર કર્યો. (Sex Industry And Commercial Sex Workers of Ahmedabad) જૂન, ૧૯૯૭થી ઑક્ટોબર, ૧૯૯૭ દરમિયાન એ માટેનું ફિલ્ડવર્ક કર્યું. સંશોધન ટીમને તાલીમ આપવા ૪/૬/૯૭થી ૯/૬/૯૭ સુધી જ્યોતિ સંઘમાં વર્કશૉપનું આયોજન થયું અને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી. તેમાં કે. પ્રદીપ, ડૉ સેક્સના, ડૉ મલોડિયા, તથા, સરોજબહેન વર્મા અને ગૌરાંગ જાની દ્વારા વિવિધ પાસાંઓ વિશે રજૂઆત થઈ.

૧૪૮ બહેનોના આ સર્વે દ્વારા અમે અમદાવાદમાં એ સમયે કુલ ૬ પ્રકારની સેક્સવર્કર બહેનોને શોધી : રસ્તા પર કામ કરતી, કૉલગર્લ્સ, ઘરમાં રહીને કામ કરતી, બ્રોથેલ, ગેસ્ટહાઉસમાં કામ કરતી અને અન્ય. આ અભ્યાસ અમારા ભવિષ્યના પ્રોજેક્ટ અર્થે પાયાનો અને માર્ગદર્શક બની રહ્યો.

૮ : અમદાવાદે ઊજવ્યું એક અનોખું રક્ષાબંધન! ભારતના ઇતિહાસમાં પ્રથમ વાર સેક્સવર્કર બહેનોએ સેંકડો પોલીસ-કર્મચારીઓને રાખડી બાંધી. હા, પ્રથમ વાર એટલા માટે કે જે શહેરોમાં રેડલાઇટ એરિયા નથી અને બહેનો છૂટીછવાઈ દેહવ્યાપાર કરે છે, એવાં ભારતીય શહેરોમાં અમદાવાદે પહેલ કરી.

વાત વર્ષ ૨૦૦૪ની છે.અમદાવાદ શહેરના પોલીસ સેક્સવર્કર બહેનો સાથે એક નાગરિક તરીકે વર્તે નહિ કે ગુનેગાર તરીકે એ મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે મને હંમેશાં એવું સમજાતું કે જે લોકો રસ્તા પર ધંધો કરે છે, એ સૌ વચ્ચે કૉમરેડશિપ હોવી જોઈએ, એકતા હોવી જોઈએ પછી તે પોલીસ હોય કે રસ્તા પર ગ્રાહક શોધતી રૂપજીવિની કેમ ના હોય. આ વિચારે મને એવું લાગ્યું કે આપણાં સાંસ્કૃતિક પ્રતીકોનો ઉપયોગ એચ.આઈ.વી. રોકથામ માટે કરવો જોઈએ. આ મુદ્દો જ્યોતિ સંઘના સૌ કાર્યકરો અને મૅનેજમેન્ટ સમક્ષ મેં મૂક્યો અને નક્કી થયું કે આપણે એક અનોખું રક્ષાબંધન ઊજવીએ.

વર્ષ ૨૦૦૪માં અમે સેક્સવર્કર બહેનો સાથે મિટિંગ કરી નક્કી કર્યું કે શકય હોય, તો અમદાવાદનાં તમામ પોલીસ-સ્ટેશનમાં જઈને પોલીસ ભાઈઓને રાખડી બાંધવી, પણ એ ભાઈબહેનની નહિ પણ એઇડ્‌સથી સુરક્ષાની. સવાલ આવ્યો કે આવી રાખડી કેવી હશે અને મને એકાએક વિચાર સ્ફૂર્યો કે આ રાખડી એઇડ્‌સના પ્રતીક રેડ રિબનની બનાવીએ અને તે બનાવે શહેરની  HIV ગ્રસ્ત વ્યક્તિઓ.

લગભગ ૧૫ દિવસ સુધી HIV ગ્રસ્ત વ્યક્તિઓ અને સેક્સવર્કર બહેનોએ ભેગાં થઈ સેંકડો રાખડી બનાવી. રક્ષાબંધનને દિવસે બહેનો જુદી-જુદી ટુકડીમાં વહેંચાઈ. સાથે અમે  જ્યોતિ સંઘના સૌ કાર્યકરો જોડાયા અને શહેરનાં ૧૫ પોલીસ સ્ટેશનમાં જઈ બહેનોએ પોલીસ ભાઈઓના કાંડે આ રાખડી બાંધી. ખૂબ લાગણીસભર દૃશ્યો સર્જાયાં. અનેક પોલીસોની આંખો ભીની થઈ. કેટલાક પોલીસોએ બહેનોને પૈસા, સાડી કે અન્ય ભેટ પણ આપી. સાથે બહેનોએ એઇડ્‌સ-જાગૃતિ માટેની એક પત્રિકા પણ પોલીસ ભાઈઓને આપી. એ પત્રિકા અત્યારે હાથવગી નથી. પણ એ જ વર્ષે પહેલી ડિસેમ્બર, વિશ્વ એઇડ્‌સ દિવસે પોલીસ ભાઈઓને વહેંચેલી પત્રિકા આ અહીં મૂકી છે.

અમે અગાઉથી પ્રેસ અને ટી.વી.-પત્રકારોને નિમંત્રણ પાઠવેલું અને ખૂબ ઉમળકાભેર પત્રકારો અને પ્રેસ ફોટોગ્રાફરો પોલીસ સ્ટેશનોએ પહોંચેલા. જે બહેનોને પોતાની તસ્વીર છપાય એમ વાંધો ન હતો તેઓની પોલીસને રાખડી બાંધતી તસ્વીર બીજે દિવસે ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત થઈ. તેના અહેવાલ દેશભરમાં પ્રગટ થયા. પોલીસનો સહકાર આ પછી સતત વધતો રહ્યો. બહેનો સાથેના ગેરકાનૂની વ્યવહારો ઘટતા ગયા અને એક નવો જ સંબંધ કાનૂન અને દેહવ્યાપર સાથેનો સ્થપાયો. આનંદની વાત તો એ છે કે એ પછી વર્ષોવર્ષ પોલીસ અગાઉથી બહેનોને રાખડી બાંધવાનું નિમંત્રણ આપતા થયા.

એ દિવસે એ સમયના ગુજરાતના આરોગ્યપ્રધાન અશોક ભટ્ટ પણ રિલીફ રોડ પર આવેલી જ્યોતિ સંઘની ઑફિસે આવ્યા અને અનેક સેક્સવર્કર બહેનોના હાથે રાખડી બંધાવી. તેમના બંને હાથ રાખડીઓથી ભરાઈ ગયા હતા.

૯ : ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં ગણિકાઓ વિષે સૌથી પ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ કોઈએ સર્જ્યો હોય, તો આદરપૂર્વક નામ લેવું પડે રમણલાલ વ. દેસાઈ(૧૮૯૨થી ૧૯૫૪)નું. પાંચ ગ્રંથોમાં ૧,૨૦૦થી વધુ પૃષ્ઠોમાં સમાજમાં વર્ષોથી તિરસ્કૃત ગણિકાઓનો ઇતિહાસ ’અપ્સરા’માં સંગૃહીત છે.

૧૯૯૭માં જ્યારે મેં અમદાવાદની સેક્સવર્કર બહેનો માટેના એચ.આઈ.વી. / એઇડ્‌સ રોકથામ માટેના પ્રોજેક્ટમાં ટેક્નિલક કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું, ત્યારે આ બહેનો વિષેના સાહિત્યનું વાચન અનિવાર્ય બન્યું. એ દિવસોમાં મારા પિતાએ મને ‘અપ્સરા’ વાંચવાનું કહ્યું. તેઓ તેમની યુવાનીમાં રમણલાલ વ. દેસાઈના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમના સૂચનથી ‘અપ્સરા’ વાચવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે એક મહત્ત્વની વાત કરી. તેમણે ‘અપ્સરા’ વાચવાનો પોતાનો અનુભવ કહેતા દર્શાવ્યું કે તેમના જમાનામાં ‘અપ્સરા’ વાંચવી એટલે જાણે કોઈ ગંદું સહિત્ય વાંચવું એવું પણ મનાતું. એટલે વિદ્યાર્થીઓ ‘અપ્સરા’ પુસ્તકને ગણિતના પુસ્તકમાં છુપાવીને વાંચતાં.

૧૯૪૩માં ‘અપ્સરા’નો પ્રથમ ગ્રંથ પ્રકાશિત થયો અને ૧૯૫૨માં પાંચ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા હતા. ગુજરાતમાં એ હકીકત જાણીને આશ્ચર્ય થાય એવું નથી કે ના તો સાહિત્યના કે ના તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને દાયકાઓ દરમિયાન આ ગ્રંથોનો પરિચય કરાવવામાં ના આવ્યો. રમણલાલ વ. દેસાઈ તેઓની પ્રસ્તાવનામાં લખે છે, ‘આવા વિષયમાં સમાજશાસ્ત્રના અભ્યાસીઓએ અને વિવેચકો તરફથી મને માર્ગદર્શન મળે એવું વિવેચન થયું નથી, એમ મારું મન કહે છે. જો કે સામાન્ય સાહિત્યિક વિવેચન તો થયું છે’.

‘અપ્સરા’ પૂર્વે એક દાયકા પહેલાં રમણલાલ વ. દેસાઈએ ’પૂર્ણિમા’ નામે ગણિકાઓના જીવનને રજૂ કરતી નવલકથા પણ લખી હતી. આર.આર. શેઠની કંપનીએ ‘અપ્સરા'ના પાંચ ગ્રંથ પ્રકાશિત કરેલા. રમણલાલ વ. દેસાઈની જન્મશતાબ્દી નિમિત્તે વર્ષ ૧૯૯૩માં તેનું વિશેષ પુનઃમુદ્રણ થયેલું. નારીકેન્દ્રી લખાણો લખતા અને જેન્ડર સૉશિયોલૉજી ભણાવતા તેમ જ સમાજકાર્યનું શિક્ષણ આપતા અધ્યાપકોએ ’અપ્સરા’ને વિસારે પાડી છે, ત્યારે ગુજરાતની ઊગતી પેઢી આ અમૂલ્ય પ્રદાનથી છેવાડાની મહિલાઓ વિશેની સમજ અને સંવેદનશીલતા વિકસિત કરે એવી આશા.

૧૦ : કૉન્ડોમ રાખવું કે તેનો ઉપયોગ કરવો શું ગુનો છે ?

આ સવાલ વાંચી તમને આશ્ચર્ય થશે પણ અમદાવાદની સેક્સવર્કર બહેનોએ જ્યારે સલામત સેક્સ માટે કૉન્ડોમનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે પોલીસ આવું જ માનતી હતી. જ્યોતિ સંઘના PSH (પાર્ટનરશિપ ફોર સેક્સુઅલ હેલ્થ) પ્રોજેક્ટના કાર્યકરોએ સેક્સવર્કર બહેનોને સલામત જાતીય સંબંધ અર્થે, નિયમિત અને પ્રત્યેક ગ્રાહક સાથે કૉન્ડોમ વાપરવાની સમજ આપી અને બહેનો પણ એ માટે સજ્જ અને સંમત થઈ. આ સંદર્ભે અમે બહેનોને એક પર્સ આપ્યું જેના પર જ્યોતિ સંઘનું નામ પ્રોજેક્ટની વિગત દર્શાવી હતી. આ પર્સમાં રોજ ઓછામાં ઓછાં ૧૦ કૉન્ડોમ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની તેઓએ શરૂઆત કરી. ’નો કૉન્ડોમ, નો સેક્સ’નો મંત્ર પણ તેઓએ અપનાવ્યો. આજથી બે દાયકા-પૂર્વે અમદાવાદ, ગુજરાત કે દેશમાં પણ ગ્રાહકો સેક્સવર્કર સાથે દેહ-સંબંધ દરમિયાન કૉન્ડોમનો મર્યાદિત ઉપયોગ કરતા. આજે પણ ભારતમાં ૧૫થી ૪૫ વય જૂથના માત્ર ૫ ટકા પુરુષો જ કૉન્ડોમનો ઉપયોગ કરે છે. (NFHS સર્વે ૨૦૧૬). તેને કારણે અસલામત જાતીય સંબંધને પરિણામે HIV ચેપનું ઘણું જોખમ એ દિવસોમાં રહેતું.

અમદાવાદમાં બહેનો કૉન્ડોમના ઉપયોગને લઈ ઉત્સાહિત હતી અને ગ્રાહકોને પણ તેના ઉપયોગ માટે તૈયાર કરતી. આવા વાતાવરણમાં અમદાવાદમાં લાલદરવાજા અને ભદ્રકાળી મંદિરની આસપાસ રસ્તા પર ઊભા રહી ધંધો કરતી બહેનોને પોલીસે પકડવાનું શરૂ કર્યું અને FIR કરી તેમાં નોંધવા માંડ્યું કે સેક્સવર્કર પાસેથી કૉન્ડોમ પકડાયાં. તેનો આધાર લઈ પોલીસ ગેરકાનૂની રીતે બહેનોને હેરાન કરવા લાગી. તેની નકારાત્મક અસર એ થઈ કે બહેનો મારી પાસે આવી અને કૉન્ડોમ પાછાં આપવા માંડી, કારણ કે તેઓને એવું લાગ્યું કે કૉન્ડોમ પાસે રાખવાથી પોલીસ કેસ કરે છે.

મારા અને કાર્યકરોના મનમાં સવાલો ઊઠ્યા કે હવે શું કરવું. હજુ તો પ્રોજેકટની શરૂઆત હતી અને તેનો મુખ્ય હેતુ સલામત જાતીય સંબંધની જાગૃતિ દ્વારા બહેનો અને ગ્રાહકોમાં એચ.આઈ.વી. સંક્રમણ રોકવાનો હતો. જે પોલીસ સ્ટેશને આવા કેસ કર્યા હતા – ત્યાંના પોલીસ-ઇન્સ્પેક્ટરને હું મળવા ગયો અને દલીલ કરી કે આ દેશનો આરોગ્ય વિભાગ કૉન્ડોમ મફત વહેંચે છે અને તે વિભાગ દ્વારા જ આ પ્રોજેક્ટ ચાલે છે ત્યારે કૉન્ડોમનો ઉપયોગ ગુનો કેવી રીતે બને? મેં એમ પણ કહ્યું કે એક જ દેશના બે વિભાગો આરોગ્ય અને ગૃહ આમને સામને કેવી રીતે હોય ? પણ આવી દલીલ અને નક્કર હકીકતની કોઈ અસર ના થઈ. પણ અમે હિંમત ન હાર્યા, કારણ કે સેક્સવર્કર બહેનો હવે જાગૃત થઈ હતી અને આગળ વધવા માંગતી હતી. આવી સમસ્યા જે પોલીસના વિચાર અને આચારથી ઊભી થઈ હતી તેનો કેવો દૂરગામી ઉકેલ અમે લાવ્યા તે હવે પછી !

સેક્સવર્કરની સંગાથે-(૧૧) :

પોલીસ-કમિશનર સાથે ૧૬ સેક્સવર્કરની મુલાકાત : ભારતના ઇતિહાસમાં કદાચ એવી પહેલી ઘટના હશે. જ્યારે કોઈ શહેરના પોલીસ કમિશનરને એકસાથે ૧૬ સેક્સવર્કર બહેનો ફરિયાદ અને તેના ઉકેલ માટે તેમની ઑફિસમાં ચર્ચા કરવા આવી હશે.

હું આપ સૌને એ જણાવી ગયો કે અમદાવાદ પોલીસ સેક્સવર્કરને પકડતી. ત્યારે તેની પાસેનાં કૉન્ડોમ તેનો ગુનો બનતો અને એફ.આઈ.આર.-માં તે નોંધતો. તેને પરિણામે પોતાની પાસે હંમેશાં કૉન્ડોમ રાખતી સેક્સવર્કર બહેનો કૉન્ડોમથી દૂર થવા માંડી. આ સમસ્યા સેક્સવર્કર અને તેઓના ગ્રાહકોના જાતીય આરોગ્ય માટે ખતરારૂપ બની. તેના ઉકેલ માટે અમે એવું નક્કી કર્યું કે આ અંગે સમદાવાદના પોલીસ-કમિશનરને મળવું. સેક્સવર્કર કદી કલ્પના પણ ના કરી શકે કે પોલીસ કમિશનર તેઓને મળવા બોલાવે. પણ એ શક્ય બન્યું, તેનાં ત્રણ કારણો હતાં. પ્રથમ કારણ એ હતું કે માત્ર ૨ વર્ષના સમયમાં અમદાવાદની સેક્સવર્કર બહેનોએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને તે પણ મહિલાસંસ્થા જ્યોતિ સંઘના સહકારથી. બીજું કારણ એ સમયના અમદાવાદના પોલીસ કમિશનર પી.સી. પાંડે જેઓ આ બહેનોની સમસ્યાને સમજવા તૈયાર હતા. ત્રીજું કારણ એ સમયના પોલીસ કમિશનર ઑફિસના પી.આર.ઓ. અશ્વિન જાની, જેઓ મારા મોટા ભાઈ. તેઓએ અમને આ સંદર્ભે ખૂબ મદદ કરી.

૧૯૯૯ના ફેબ્રુઆરી મહિનામાં મારી સાથે ૧૬ સેક્સવર્કર બહેનો કમિશનર-કચેરીમાં પહોંચ્યાં. કચેરીમાં દાખલ થયાં ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ભાઈઓ નવાઇ ભરી નજરે અમને જોતા હતા. કારણ કે આટલી મોટી સંખ્યામાં સેક્સવર્કર બહેનો કમિશનરસાહેબની ચેમ્બરમાં પ્રવેશ પામી શકી હતી.

પાંડેસાહેબે અમને ઊભા થઇ આવકાર્યાં. મેં વાતની શરૂઆત કરી અને કહ્યું કે સાહેબ આજે હું નહિ બોલું. અમારી બહેનો જ બોલશે. શરૂઆતમાં બહેનો થોડી સંકોચાઈ અને કેવી રીતે વાત કરવી એ વિશે મૂંઝાઈ, પણ મિટિંગ પહેલાં અમે એક પત્ર પણ તૈયાર કરેલો અને ઠીક-ઠીક ચર્ચા કરેલી. પાંડેસાહેબે પણ ઉમળકાથી સૌને વાત કરવા કહ્યું અને એક પછી એક બહેનોએ પોલીસ સાથેની અનેક સમસ્યા અને તેઓ સાથે થતું ગેરકાનૂની વર્તન અને અંગત સમસ્યાઓ પણ જણાવી.

પાંડેસાહેબે બધી વાત શાંતિથી સાંભળી. લગભગ એક કલાક ચાલેલી આ મિટિંગના બે ખૂબ મહત્ત્વના પરિણામ આવ્યાં. બીજે જ દિવસે સાહેબે તેમની સહીથી એક પત્ર શહેરનાં તમામ પોલીસ સ્ટેશનને જારી કર્યો. એ પત્રમાં સ્પષ્ટ સૂચના કરવામાં આવી હતી કે દેહવ્યાપાર કરતી બહેનો સાથે પોલીસે માનવીય વર્તન કરવું અને કોઈ પ્રકારની હેરાનગતિ કરવી નહિ. બીજું પરિણામ એ આવ્યું કે અમારી માંગણીને માન આપી શહેરના તમામ પોલિસ-ઇન્સ્પેકટરોની એક દિવસીય તાલીમ HIV અને કાનૂન-જાગૃતિ અંગેની અયોજવાનું નક્કી કર્યું અને તે પણ જ્યોતિ સંઘની ઑફિસમાં.

આ મિટિંગ બાદ એક અનેરો ઉત્સાહ અમારી બહેનોમાં છવાયો અને પોલીસ-ઇન્સ્પેક્ટરોની તાલીમની તારીખ ક્યારે ગોઠવવી, એની ચર્ચા અમે શરૂ કરી. અને કમિશનરસાહેબની સહીવાળો પત્ર સેંકડોની સંખ્યામાં ઝૅરોક્ષ થયો અને બહેનો તેઓના પર્સમાં એ પત્રની નકલ રાખી આત્મવિશ્વાસના પંથે ડગ માંડતી થઈ.

સેક્સવર્કરની સંગાથે-(૧૨)  :

ભારતના પોલીસ-ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ૨૯ પોલીસ-સ્ટેશનના ૨૯ પોલીસ સબઇન્સ્પેક્ટરનો સેક્સવર્કરના અધિકાર મુદ્દે તાલીમ વર્કશૉપ : અમદાવાદનાં પોલીસ કમિશનર પી.સી. પાંડે સાથેની સેક્સવર્કર બહેનોની સફળ મિટિંગ બાદ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૯૯ના દિવસે એક ઇતિહાસ રચાયો. એ દિવસે જ્યોતિ સંઘના હૉલમાં એક દિવસીય વર્કશૉપનું આયોજન થયું. એ સમયે શહેરમાં ૨૯ પોલીસ-સ્ટેશન હતાં. તેમાં કાર્યરત ૨૯ પોલીસ સબઇન્સ્પેકટર સવારે ૯ વાગે રિલીફ રોડ પરના જ્યોતિ સંઘના બિલ્ડિંગમાં આવેલા હૉલમાં એકત્રિત થયા.

આ વર્કશૉપનો હેતુ પોલીસ-ઑફિસરમાં એચ.આઈ.વી. સંદર્ભે જાગૃતિ ઊભી થાય અને સેક્સવર્કર બહેનોના માનવીય અધિકારો માટે તેઓ તૈયાર થાય એ હતો. વર્કશૉપનું ઉદ્‌ઘાટન જ્યોતિ સંઘના પ્રમુખ, પોલીસ અધિકારી દ્વારા થયું. ડૉ સક્સેનાએ અમદાવાદ અને ગુજરાતમાં એચ.આઈ.વી. /એઇડ્‌સની પરિસ્થિતિનો ચિતાર આપ્યો. ડૉ લક્ષ્મણ મલોડિયાએ જોખમી વર્તન કરતાં જૂથો વિશે રજૂઆત કરી. ગૌરાંગ જાનીએ એઇડ્‌સને એક સામાજિક સમસ્યા તરીકે સમજાવી. સૌથી મહત્ત્વની અને પાયાની રજૂઆત ગુજરાત હાઈકોર્ટના જાણીતાં ઍડ્‌વોકેટ  અમી યાજ્ઞિકે કરી સેક્સવર્કર, ભારતીય બંધારણ અને પ્રિવેન્શન ઑફ ઇંમોરલ ટ્રાફિક ઍક્ટ વિશે તેમણે વિસ્તૃત છણાવટ કરી.

વર્કશૉપમાં પિયર એજ્યુકેટર સેક્સવર્કર બહેનોએ પોલીસ સાથેના અનુભવો વર્ણવ્યા. તમામ રજૂઆતો બાદ થયેલી પ્રશ્નોત્તરી સમગ્ર વર્કશૉપનું પ્રોત્સાહક પાસું બની રહ્યું. બન્યું એવું કે એક સિનિયર પોલીસ-ઑફિસરે ઊભા થઈ હાથ જોડી આંખમાં આંસુ સાથે જણાવ્યું કે અમારું વર્તન સેક્સવર્કર બહેનો સાથે શરમજનક છે, ગેરકાનૂની છે. એ બદલ અમે માફી માગીએ છીએ. તેમના બાદ અન્ય પાંચ ઑફિસરોએ પણ ઊભા થઇ રજૂઆત કરી કે એચ.આઈ,વી.ના ચેપને  અટકાવવા સેક્સવર્કર બહેનોના સલામત જાતીય સંબંધો માટેના પ્રયત્નોમાં તેઓના માનવીય અધિકારોનું હનન ના થાય એવું પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવા સહકાર આપશે. અંતે પોલિસ ઑફિસરોએ સૂચન કર્યું કે તેઓના પોલીસ-સ્ટેશનના અન્ય કર્મચારીઓને પણ એઇડ્‌સ રોકથામ વિશેની જાણકારી આપવામાં આવે.

સેક્સવર્કરની સંગાથે-(૧૩) :

અમદાવાદની સેક્સવર્કર બહેનોના આરોગ્યના પહેરેદાર એટલે ડૉ. ચૈતન્ય શુક્લ. બન્યું એવું કે અમારો જ્યોતિ સંઘનો પ્રોજેક્ટ શરૂ થયો. ત્યારે ટેક્નિક કન્સલ્ટન્ટ તરીકે અનેક મૂંઝવતી સમસ્યાઓ મારી અને સંસ્થા સામે હતી. તેમાં તાત્કાલિક ઉકેલ માંગતી સમસ્યા હતી કે શહેરની સેક્સવર્કર બહેનોના જાતીય આરોગ્યની તપાસ કોણ કરશે ? વળી, એવા ડૉક્ટર જોઈએ જે આ બહેનો પ્રતિ સંવેદનશીલ હોય અને ઉત્તમ ડૉક્ટર પણ હોય. અનેક પ્રયત્નો કર્યા પણ કોઈ નામ સામે ના આવ્યું. એટલે એ સમયે ઉપયોગી એવી યલો પેજિસની ડાયરી લઈને બેઠો. ચામડીના રોગના નિષ્ણાત અર્થાત ડરમીટલોજીસ્ટની જરૂર હતી. અનેક ડૉક્ટરને ફોન કર્યા અને વિનંતી કરી કે અમારી સાથે વ્યાવસાયિક રીતે જોડાઓ. પણ સેક્સવર્કરનું નામ સાંભળતાં કોઈ તૈયાર ન થયું. પણ એવામાં મારો ફોન ઉપાડ્યો ડૉ. ચૈતન્ય શુક્લએ. ખૂબ મૃદુ અવાજ અને શાંતિથી વાત કરી અને એ તૈયાર થઈ ગયા.

દર શનિવારે જ્યોતિ સંઘમાં જ અમે ક્લિનિક શરૂ કર્યું અને ધીમે ધીમે બહેનો આવવા માંડી અને શુક્લસાહેબની તપાસ અને સલાહે બહેનોમાં એક આત્મવિશ્વાસ જગાડ્યો કે તેઓના આરોગ્યવિષયક પ્રશ્નોનો ઉકેલ આવશે તે એક ઉત્તમ ડૉક્ટર દ્વારા અને નિઃશુલ્ક. જેમજેમ બહેનો અમારી સાથે જોડાતી ગઈ એમ અમે આ સેવાનું વિકેન્દ્રીકરણ કરવાનું શરૂ કર્યું અને ખાસ કરીને શહેરના પૂર્વ શ્રમજીવી વિસ્તારોમાં અઠવાડિયે એક વાર ક્લિનિક શરૂ કર્યાં. ત્યાં પણ શુક્લસાહેબ સેવા આપતા. બહેનોના જાતીય રોગોની તપાસ અને તેના ઉકેલ આવવા માંડ્યા. દવાઓ પણ નિઃશુલ્ક અપાતી.

માત્ર ક્લિનિક નહિ, પણ પ્રોજેક્ટના મૂલ્યાંકન અર્થે ૩ આંતરરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસો થયા. જેમાં બહેનોમાં એચ.આઈ.વી. અને જાતીય રોગોનું પ્રમાણ જાણવાનું હતું. એમાં પણ ડૉ શુક્લએ અદ્‌ભુત પ્રદાન કર્યું. સતત બે દાયકા સુધી તેઓ અમદાવાદની સેક્સવર્કર બહેનોના આરોગ્યના પહેરેદાર રહ્યા અને બહેનોને સલામત જાતીય સંબંધોના વૈજ્ઞાનિક પાઠ ભણાવી તેઓમાં એચ.આઈ.વી. સંક્રમણને નિયંત્રિત રાખ્યું. પદ્મશ્રી તો એમને જ મળવા જેવો હતો. સાહેબ આપનો ખૂબ આભાર.    

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 13-15

Loading

...102030...2,1662,1672,1682,169...2,1802,1902,200...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved