Opinion Magazine
Number of visits: 9573578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.એસ.એન.એલ.ની બૂરી દશા : સરકારી સાહસોની અવિરત અવદશાનો વધુ એક નમૂનો

અશોક વાણિયા|Opinion - Opinion|28 September 2020

‘પપ્પા, આ લૅન્ડલાઇન ફોન બંધ થઈ ગયો છે. ઑનલાઇન કમ્પલેઇન કર્યે એક મહિનો થઈ ગયો. હજી રીપેર કરી નથી ગયા ને ત્યાં તો આ બિલનો મૅસેજ પણ આવી ગયો. કનેક્શન બંધ કરાવી દો.’

દીકરાનો ગુસ્સો થોડો વાજબી જણાયો.

‘હું આવતીકાલે ટેલિફોન એક્સચેન્જમાં કસ્ટમર કેરમાં તપાસ કરી આવીશ. ઓફિસરને પણ મળતો આવીશ.’

સેલફોનમાં મારી માને ફોન કરતાં કે ઉપાડતાં આવડતું નથી, મારી મા ૮૦ વર્ષનાં. તેમને લૅન્ડલાઇન  ફોન જ વધારે અનુકૂળ. જ્યારે એ સગાં સાથે વાત કરતી હોય ત્યારે એના ચહેરાનો આનંદ જોવા જેવો હોય ! એનું આ સામાજિક કનેક્શન, લૅન્ડલાઇન ફોન પર એનું ખડખડાટ હાસ્ય એના ઘડપણના સમયને  હર્યોભર્યો રાખે છે. એ કનેક્શન બંધ કરાવવું એ મને યોગ્ય લાગ્યું નહીં. એમાં મારી માની લાગણીઓને ઘસરકો પહોંચે એમ લાગ્યું. એટલે હું ખચકાયો.

બીજા દિવસે ટેલિફોન એક્સચેન્જમાં કસ્ટમર સર્વિસ સેન્ટરમાં ગયો. ત્યાં માત્ર એક ટ્યૂબલાઇટ નીચે કૉન્ટ્રાક્ટના ધોરણે કાઉન્ટર પર કામ કરતી છોકરીને જોઈને બી.એસ.એન.એલ.ની ઝળાહળા ઓફિસ ને લાગેલી લાંબી લાઇનનો ભૂતકાળ યાદ આવી ગયો. ફોન લેવા માટે સાંસદથી માંડીને લોકલ નેતાની ભલામણ કરાવવી પડતી હતી તે યાદ આવી ગયું. મારી આગળ ઊભેલા એક વડીલનો ફોન છેલ્લા એક મહિનાથી બંધ હતો. માટે, તે કનેક્શન બંધ કરાવવા માટે આવ્યા હતા. એ તો જાણે ઓફિસરને મારવા આવ્યા હોય તેવાં તેવરથી કાઉન્ટર પર બેઠેલી છોકરી ૫ર ગુસ્સો કાઢી રહ્યા હતા. કનેક્શન બંધ કરવાની વિધિ પતાવી ને બબડાટ કરતા ગયા. પછી મારો વારો આવ્યો.

‘બોલો, સર.’  

‘મારે કાકાના જેવી જ ફરિયાદ છે.’

‘કનેક્શન બંધ કરવાનું ફોર્મ જોઈતું હોય તો આપી દઉં, પાછળ મકવાણાભાઈ બેઠા છે. એમને મળશો તો વધારે સારું, હું કોન્ટ્રાક્ટ પર કામ કરું છું.’ છોકરીએ વ્યવહારુ રીતે ને વિનમ્રતાથી જવાબ આપ્યો.

મકવાણાભાઈએ મારી ઑનલાઇન ફરિયાદ જોઈ. અડધી મિનિટ મારી સામે જોઈને મનમાં જ  બબડ્યા : ‘કોમ્પ્લિકેટેડ !’ એમની આજુબાજુમાં પડેલી ભંગાર ખુરશીઓ, ટેબલ, વાયરનાં ગુંચળાં, એક બોક્સમાં પડેલો જૂના ફોનનો ઢગલો જોઈને મને અંદાજ આવી ગયો કે બી.એસ.એન.એલ.ની જાહોજલાલી લુપ્ત થઈ ગઈ છે.

‘સર, વાંધો ના હોય તો સામેની બિલ્ડિંગમાં સિંઘ સાહેબને મળશો તો પ્રેક્ટિકલ રસ્તો કાઢી આપશે.’

યુવાન ઓફિસર. સિંઘ એકલા જ બેઠા હતા.

‘ઈતના સન્નાટા ક્યું હૈ, સર.’

‘અભી એક કોરોના પૉઝિટિવકો લેકર ગયે.’

ક્વૉરન્ટાઇન થયેલા કર્મચારીઓના ટેબલ-ખુરશી જ નહોતાં. સિંઘ સાહેબ સ્ટાફ ન હોવાથી પરેશાન હતા. મારી કમ્પલેઇન સાંભળી, નંબર લખ્યો. એટલું જ બોલ્યા : ‘અભી સ્ટાફમે કોઈ ફિલ્ડકા આદમી નહીં હૈ. આપકે એરિયામે જો કેબલ કઈ સાલ પહેલે ડાલે હૈ, ઉસમે કુછ ફૉલ્ટ હોગા. અબ હમારે પાસ એસે ટેક્નિકલ લૉગ ભી કમ હૈ, સબ સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લેકે ચલે ગયે. બહોત દિક્કત હૈ, ક્યાં કરે ! ફિર ભી મૈ કુછ કરતા હું.’

ઓફિસના પગથિયાં ઊતરી ગયો. ટુ-વ્હીલરનું લૉક ખોલ્યું, સ્ટાર્ટ કર્યું. ડાબા-જમણા અરીસામાં નજર  કરી. એક વખતનું બી.એસ.એન.એલ.નું વિશાળ જગ્યા ધરાવતું બિલ્ડિંગ લાચાર થઈને મારા જેવા જૂના કસ્ટમરને જાણે કહેતું હતું : જાને કહાં ગયે વો દિન !

મુદ્દે, ન તો માત્ર બી.એસ.એન.એલ.ની વાત છે. આવા તો કઈ કેટલાંયે સરકારી જાહેર સાહસો, સરકારી કંપનીઓ, પેટ્રોલિયમ પેદાશોનાં સાહસોને ખોટ કરતાં બતાવીને બંધ કરવામાં સરકાર, ‘નબળી વહુ પર સાસુ જોર કરે’ તેમ, વ્યવહાર કરી રહી છે. સરકારની ખાટલે મોટી ખોડ એ છે રિલાયન્સ, વોડાફોન કે આઇડિયા જેવી કંપનીઓને પ્રોત્સાહન આપે છે. અરે ! વોડાફોન અને આઇડિયા તો મસમોટું દેવું હોવા છતાં નામદાર કોર્ટમાં રાહત મેળવીને એક થઈ ગઈ. ‘વી.આઇ.’ જેવું નવું નામાભિધાન કરીને વળી પાછી નવી કંપની બજારમાં લાવી રહ્યા છે, જેની લાલ ભડક જાહેરખબર થોડા દિવસ પહેલાં બધાં અખબારોના પહેલા પાને જોવા મળી હતી. કરોડો-અબજોનાં જમીનો-બિલ્ડિંગો ધરાવતી સરકારી કંપનીઓ પ્રત્યે સરકાર તરફથી સૂગ રાખવામાં આવે છે. આનો સીધેસીધો અર્થ એ થયો કે સરકારને કાં તો સરકારી કર્મચારીઓની સૂગ છે અથવા તો આવાં સાહસોની જમીન કે બિલ્ડિંગ પ્રાઇવેટ કંપનીઓને વેચી દેવાની ખોરા કોપરા જેવી દાનત છે.

કાકા ગુસ્સે થઈને ફોનનું કનેક્શન કપાવવા આવ્યા તે પહેલાં એમણે અને આપણે બધાએ મનોમંથન કરવાનો સમય આવી ગયો છે કે શું અર્થતંત્રને ખાડે મોકલવા માત્ર સરકારી કર્મચારીઓ જ દોષિત છે? લેભાગુ ઉદ્યોગપતિઓ, જાહેર ક્ષેત્રોની બેંકોનું ઉલાળિયું કરનાર સરકારનાં માનીતાં માથાં નથી ? અધિકારી સિંઘ કોરોનાનું માત્ર બહાનું કાઢે છે, સાચું તો એ છે કે પોતે લાચાર છે. યુવાન છે, સ્વૈચ્છિક રિટાયરમેન્ટ મૂકી શકે તેમ નથી. એ જ રીતે મકવાણા મિડલ ક્લાસ કર્મચારી છે, તેમને નોકરી છોડવી પોસાય તેમ નથી. કોન્ટ્રાક્ટના ધોરણે શોષાતી છોકરી પાસે નવી નોકરીની તકો નથી. જાયે તો કહાં જાયે!

ઓફિસનું કમ્પાઉન્ડ છોડતા જ સામે સરકારી જાહેરાતના મસમોટા હોર્ડીંગમાં પ્રધાનમંત્રીએ ગમછામાં મોઢું ઢાંકેલું છે, છતાંયે લાલ ટામેટાં જેવા લાગે છે. સંદેશો આપે છે : • આત્મનિર્ભર બનીએ॰

તમને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે ? આત્માને પૂછવાનો ને આત્માના અવાજને ન્યાય આપવાનો સ્તો વળી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 14 સપ્ટેમ્બર 2020; પૃ. 15-16

Loading

‘પી.એમ. કેર્સ’ નિધિ : અપારદર્શિતાનો અને સત્તાના દુરુપયોગનો અદાલતમાન્ય ઉપક્રમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 September 2020

ભારતમાં કોરોના મહામારીનો ઇતિહાસ લખાશે ત્યારે તેમાં ‘પી.એ.મ કેર્સ’(PM CARES)નો વિવાદ મહત્ત્વનું પ્રકરણ હશે.

કોવિડ-૧૯ના આરંભે જ રચાયેલા ‘પી.એમ. કેર્સ’ = ‘પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન’ (PM CARES) નિધિમાં જે પ્રકારની ગોપનીયતા રાખવામાં આવી રહી છે, અને અપારદર્શિતા જોવા મળે છે તેને કારણે તે અનેક શંકાઓ અને વિવાદો જન્માવે છે. વડાપ્રધાનના પ્રમુખસ્થાને રચાયેલા આ કહેવાતા સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ્રની નોંધણી તા. ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ હેઠળ કરવામાં આવી. બીજા દિવસે સરકારી મીડિયા એજન્સી પી.આઇ.બી. (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) દ્વારા તેની જાહેરાત થઈ હતી.

વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રના ગૃહ, સંરક્ષણ અને નાણા ખાતાના કેબિનેટ મંત્રીઓને હોદ્દાની રૂએ ટ્રસ્ટ્રી તરીકે સામેલ કરતા ‘પી.એમ. કેર્સ’ની રચનાની ઘોષણા થઈ કે તુરત જ, સૌથી પહેલાં, તેમાં દાનની જાહેરાત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં, વડાપ્રધાનનો ટી.વી. પડદે અ-રાજકીય ઈન્ટરવ્યૂ  લેનાર, ફિલ્મી નટ અક્ષયકુમારે કરી ! અને તે પછી તો ધડાધડ દાનની જાહેરાતો થવા માંડી. સ્થાપનાના પહેલા પાંચ જ દિવસમાં ‘પી.એમ. કેર્સ’ને રૂ. ૩,૦૭૬.૬૨ કરોડનું માતબર ફંડ મળ્યું અને તેમાં દેશના જાહેર ક્ષેત્રના ૩૮ એકમોનો ફાળો રૂ. ૨,૧૦૫ કરોડ જેટલો મોટો હતો. અખબારી અહેવાલો હાલમાં પી.એમ. કેર્સમાં રૂ. ૬,૩૦૦ કરોડ જમા હોવાનું જણાવે છે.

પી.એમ.નો કે ‘પી.એમ. કેર્સ’નો પ્રભાવ એટલો કે સુપ્રીમ કોર્ટના તેત્રીસ જજોએ તુરત વ્યક્તિગત રીતે રૂ. પચાસ હજાર આ ફંડમાં જમા કરાવ્યા. સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રાર રાજેશકુમાર ગોયલે  સુપ્રીમ કોર્ટના વર્ગ-૧ના ગેઝેટેડ અધિકારીઓને ત્રણ દિવસનો, વર્ગ-૨ના અધિકારીઓને બે દિવસનો અને અન્ય નાના કર્મચારીઓને તેમના માર્ચ મહિનાના પગારમાંથી એક દિવસનો પગાર જમા કરાવવા પરિપત્ર કર્યો. તેમાં એમ પણ જણાવાયું હતું કે જે કોઈ પોતાના માર્ચ મહિનાના પગારમાંથી ‘પી.એમ. કેર્સ’માં ફાળો કપાત કરાવવા ના માગતા હોય, તેમણે ૩૧મી માર્ચની સવારે દસ વાગ્યા સુધીમાં જાણ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી વખતે અને જાહેર માધ્યમોમાં ‘પી.એમ. કેર્સ’ને બંધારણ સાથેની છેતરપિંડી કહેનારા સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ દુષ્યંત દવેએ પણ પચાસ લાખ રૂપિયાનું દાન ‘પી.એમ. કેર્સ’માં કર્યું છે ! દેશની કેટલીક અદાલતોએ જામીનની રકમ પી. એમ. કેર્સમાં જમા કરાવવા આદેશો કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ તા. ૧૩મી એપ્રિલ ૨૦૨૦ના રોજ ‘પી.એમ. કેર્સ’ વિરુદ્ધની એડવોકેટ એમ.એલ. શર્માની જાહેર હિતની અરજીને રાજકીય બદઈરાદાવાળી ગણાવી હતી અને જો તે પરત ન ખેંચાય તો વકીલને દંડ કરવાનું વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ‘પી.એમ. કેર્સ’ની કાયદેસરતા સામેની રીટ નકારીને આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં પ્રશાંત ભૂષણની સંસ્થા સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને કેટલાક નવા મુદ્દા સાથે સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી હતી. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં (૧૮મી ઓગસ્ટ ૨૦૨૦) તેની વિરુદ્ધમાં ચુકાદો આપીને તેના અગાઉના વલણની પુષ્ટિ કરી તેનાથી કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ.

વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષ

દેશમાં ૧૯૪૮થી વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ (પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ – PMNRF) અમલમાં છે. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ભાગલા પછીના વિસ્થાપિતોને મદદ કરવા તેની રચના કરી હતી. આ ફંડનો ઉપયોગ કુદરતી આફતો, અકસ્માત, દુર્ઘટના વગેરેમાં દેશવાસીઓને મદદ કરવા થાય છે. વર્તમાન સરકાર પણ અત્યાર સુધી તેનો જ ઉપયોગ કરતી હતી. ‘પી.એમ. કેર્સ’ની જેમ PMNRF પણ પબ્લિક ટ્રસ્ટ છે. આવકવેરા કાયદો, ૧૯૬૧ની ધારા ૧૨-એ હેઠળ ૧૯૭૩માં તેનું પબ્લિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન થયું હતું. ૧૯૮૫માં મેનેજિંગ કમિટીએ ફંડનો સંપૂર્ણ વહીવટ વડાપ્રધાનને સોંપ્યો હતો. ટ્રસ્ટમાં કૉંગ્રેસ પ્રમુખ ઉપરાંત તાતા કંપની અને ઉદ્યોગપતિઓની સંસ્થા ‘ફિક્કી’ના પ્રતિનિધિઓ ટ્રસ્ટ્રી છે. આ ફંડને પણ માહિતી અધિકારનો કાયદો લાગુ પડતો નથી અને તેનું કોઈ સરકારી ઑડિટ પણ થતું નથી.

છેલ્લા દસ વરસોમાં એટલે કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૮-૧૯ સુધીમાં વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષમાં રૂ. ૪,૭૧૩.૫૭ કરોડ જમા હતા. તેમાંથી રૂ. ૨,૫૨૪.૭૭ કરોડ જ ખર્ચ થયો હતો. અર્થાત્‌ ૫૩.૫૬ ટકા નાણાં જ રાહત પેટે અપાયાં હતાં. ભાજપ શાસનનાં પાંચ વર્ષ, ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯માં, આ ફંડમાં જમા રકમ રૂ. ૩,૩૮૩.૯૨ કરોડ હતી. તેમાંથી માત્ર ૪૭.૧૩ ટકા (રૂ. ૧,૫૮૪.૭૮ કરોડ) જ ખર્ચાયા છે. ૨૦૧૮-૧૯ના અંતે રૂ. ૩,૮૦૦.૪૪ કરોડ જમા છે.

વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષ પણ અપારદર્શી અને ગોપનીય છે. પરંતુ જ્યારે ઉત્તરાખંડમાં પૂરથી ભારે તબાહી થઈ ત્યારે આ કોષમાંથી જે ખર્ચ થયો, તેના હિસાબોના સરકારી ઑડિટનો તેણે સ્વીકાર કર્યો હતો. ‘પી.એમ. કેર્સ’ અને PMNRFના હેતુઓ લગભગ સમાન છે. જૂના કોષમાં મોટું ફંડ જમા છે, તેમ છતાં નવું ‘પી.એમ. કેર્સ’ ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું છે તે સમજવું અઘરું છે. જો કૉંગ્રેસ પ્રમુખ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષના ટ્રસ્ટી છે તેનો વાંધો હોય, તો ગયાં છ વરસોમાં કૉંગ્રેસ-પ્રમુખના ટ્રસ્ટી હોવાના કારણે આ ટ્રસ્ટના વહીવટમાં સરકારને શું મુશ્કેલી પડી તે જાહેર કરવું જોઈએ.

નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ ૪૬(૧)માં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ (NDRF) નામક એક રાહત ફંડની રચનાની જોગવાઈ છે. રાષ્ટ્રીય આફતના ટાણે રાહત પહોંચાડવાનો તેનો ઉદ્દેશ છે. સંસદના કાયદાથી તેની રચના થઈ છે. તે સરકારી ફંડ હોવાથી તેના હિસાબોની આર.ટી.આઇ. હેઠળ માહિતી માગી શકાય છે અને તેનું ઑડિટ પણ ‘કેગ’ કરે છે. આ કારણથી આ ફંડ વધુ વિશ્વસનીય છે. તેના હિસાબોની માહિતી જાહેર કરવી પડે છે અને સરકારી ઑડિટના નિયમો તેને લાગુ પડે છે. તેથી ‘પી.એમ. કેર્સ’ જેવા અપારદર્શી નિધિ કરતાં NDRFમાં દાન કરવું વધુ સલામત, યોગ્ય અને વિશ્વસનીય છે.

પરંતુ આવી માગ ઊઠી ત્યારે જ દેશને જાણવા મળ્યું કે પંદર વરસ પહેલાં રચના થયા છતાં કેન્દ્રની યુ.પી.એ. અને એન.ડી.એ. સરકારોએ NDRFની વિધિવત્ રચના જ કરી નથી ! તેને થોડું સરકારી ફંડ મળતું હતું. પરંતુ લોકો પાસેથી કોઈ ડોનેશન મળે તેવી વ્યવસ્થા જ સરકારોએ આટલાં વરસોથી ઊભી થવા દીધી નહોતી. હવે છેક જૂન મહિનામાં ભારત સરકારે NDRFનું બજેટ હેડ માગ્યું છે અને દાનની પ્રક્રિયાને મંજૂરી આપી છે.

પી.એમ. કેર્સ

બિનસરકારી PMNRF અને સરકારી NDRF જેવાં બે રાહત ફંડ અસ્તિત્વમાં હોવા છતાં ‘પી.એમ. કેર્સ’ નામક નવું જાહેર ધર્માદા ટ્રસ્ટ કોરોના મહામારીના આરંભે ઊભું કરવામાં આવ્યું ત્યારે તેની જરૂર કેમ ઊભી થઈ તે બાબતે ભારે ઊહાપોહ થયો હતો. ‘પી.એમ. કેર્સ’ની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, તેની રચનાનો ઉદ્દેશ કોઈ પણ પ્રકારની આપાતકાલીન – કટોકટી કે સંકટની સ્થિતિને પહોંચી વળવા સમર્પિત રાષ્ટ્રીય નિધિની જરૂરિયાતને ધ્યાનમાં લઈને, તેનાથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવાનો છે. સંકટની સ્થિતિ, કુદરતી હોય કે બીજી, તેનાથી પ્રભાવિત લોકોની પીડા ઓછી કરવા, પાયાની માળખાગત સુવિધાઓ અને ક્ષમતાઓને થયેલું નુકસાન નિયંત્રિત કે ઓછું કરવા માટે આ ફંડમાં મળેલાં નાણાનો ઉપયોગ કરવાની નેમ પણ તેમાં વ્યક્ત કરવામાં આવી છે.

વડા પ્રધાન કાર્યાલયના સરનામે ‘પી.એમ. કેર્સ’ની નોંધણી થઈ છે. તા ૨૩ એપ્રિલ, ૨૦૨૦ની ટ્રસ્ટ્રીઓની બીજી બેઠકમાં જુદાં જુદાં ક્ષેત્રોની ત્રણ વ્યક્તિઓનો સમાવેશ ટ્રસ્ટ્રી મંડળમાં કરવાની સત્તા વડા પ્રધાનને આપવામાં આવી છે. આ બેઠકમાં વડા પ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ તેના વહીવટમાં માનદ્ સેવા આપશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. ’પી.એમ. કેર્સ’નો સમાવેશ માહિતી અધિકારના કાયદામાં થતો નથી અને અગાઉ જણાવ્યા પ્રમાણે, તેનું સરકારી ઑડિટ સંસ્થા ‘કેગ’ મારફત ઑડિટ કરાવવામાં આવતું નથી. ત્રણ વરસ માટે ‘પી.એમ. કેર્સ’નું ઑડિટ ખાનગી ઑડિટર દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાર્ક એસોસિયેશન દ્વારા કરાવવામાં આવશે. આ ઑડિટર વડા પ્રધાન રાષ્ટ્રીય રાહતકોષનું પણ ઑડિટ કરે છે.

‘પી.એમ. કેર્સ’માં મળેલા દાન ગુપ્ત રાખવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી જાહેર કરાતી નથી. આર.ટી.આઇ. એકટ પણ તેને લાગુ પડતો નથી કે સરકારી ઑડિટ થઈ શકતું નથી. બીજી તરફ તેને ધડાધડ સરકારી ફાયદા મળે છે. આવકવેરા કાયદા ૧૯૬૧ની ધારા ૮૦-જી હેઠળ ‘પી.એમ. કેર્સ’ને મળેલા કોઈ પણ દાનને તરત જ આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. કંપનીઓએ ‘પી.એમ. કેર્સ’ને આપેલ ડોનેશનને  કંપનીઝ એકટ ૨૦૧૩ હેઠળ  કોર્પોરેટ સોશ્યલ રિસ્પોંન્સિબિલિટી (સી.એસ.આર.) માનવામાં આવશે, તેવો કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. તાતાએ રૂ. ૧,૫૦૦ કરોડ અને વિપ્રોએ રૂ. ૧,૧૨૫ કરોડનું માતબર દાન ‘પી.એ.મ કેર્સ’માં કર્યું છે. તે ઉપરાત રિલાયન્સ, બજાજ, એલ. એન્ડ ટી., અદાણી, ટોરેન્ટ, ઈન્ફોસિસ, એરટેલ અને પતંજલિએ પણ મોટાં દાન કર્યાં છે. કદાચ આ બધાં દાન સી.એસ.આર. તરીકે ગણાઈ શકે છે.

‘પી.એમ. કેર્સ’ અંગેનો અદાલતી વિવાદ

સર્વોચ્ચ અદાલતે ‘પી.એમ. કેર્સ’ની અસ્તિત્વની કાયદેસરતા પડકારતી રિટ કાઢી નાંખી, તે પછી સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની જનહિત અરજીમાં કોવિડ-૧૯ના મુકાબલા માટે, આપત્તિ પ્રબંધન અધિનિયમની ધારા-૧૧ મુજબ, એક નવી રાષ્ટ્રીય યોજના બનાવવા અને અવિશ્વસનીય, ગોપનીય તથા અપારદર્શી એવા બિનસરકારી ‘પી.એમ. કેર્સ’ ફંડનાં નાણા સરકારી રાહતકોષ NDRFમાં તબદિલ કરવા સરકારને આદેશ કરવા દાદ માગવામાં આવી હતી.

જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડી અને એમ.આર. શાહની ખંડપીઠે પંચોતેર પાનાંના ચુકાદામાં ‘પી.એમ. કેર્સ’ના નાણાં NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગણી ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું છે કે આ બંને ફંડ અલગ છે. ‘પી.એમ. કેર્સ’ સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ છે. એટલે તેમાં એકત્ર થયેલી રકમ સરકારી ફંડ એવા NDRFમાં તબદિલ થઈ શકે નહીં. સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટને આર.ટી.આઇ.ના દાયરામાં પણ લાવી શકાય નહીં કે તેનું ‘ કેગ’ મારફત ઑડિટ પણ થઈ શકે નહીં. અદાલતના આ ચુકાદાને ‘પી.એમ. કેર્સ’ના તરફદારો અને ખુદ સરકાર મોટો વિજય ગણે છે. ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી નડ્ડાએ ૧૯મી ઓગસ્ટે અંગ્રેજી-હિદી અખબારોમાં લેખ દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ‘ખાન માર્કેટ ગેંગ’ અને ‘પી.આઇ.એલ. લૉબી’ સામેનો વિજય ગણાવ્યો હતો.

ચુકાદો જાહેર થયો કે તુરત જ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જાહેર કર્યું હતું કે ‘પી.એમ. કેર્સ’માંથી રૂ.૨,૦૦૦ કરોડ ૫૦,૦૦૦ વેન્ટીલેટર્સ માટે, રૂ.૧,૦૦૦ કરોડ સ્થળાંતરિત કામદારો માટે અને રૂ. ૧૦૦ કરોડ કોવિડ-૧૯ની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. જો કે રૂ.૩,૧૦૦ કરોડની આ ફાળવણીની વિગતવાર માહિતી આપવામાં આવતી નથી.

‘પી.એમ. કેર્સ’ સામેનો વિવાદ સમાપ્ત થઈ જશે ?

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ‘પી.એ.મ કેર્સ’ વિરુદ્ધનો સઘળો વિવાદ હવે સમાપ્ત થઈ જશે એમ લાગતું નથી. હા. હવે તેની સામેનો અદાલતી ન્યાયનો માર્ગ કદાચ બંધ થઈ ગયો છે. અદાલત કહે છે અને તે સાચું પણ છે કે ‘પી.એમ. કેર્સ’ એક ચૅરિટેબલ ટ્રસ્ટ છે અને તેને સરકાર સાથે કોઈ સંબંધ નથી. પરંતુ શું કોઈ ટ્રસ્ટ્રનું સરનામુ દિલ્હીના પ્રધાનમંત્રી કાર્યાલયનું હોઈ શકે ? આટલો વિશેષાધિકાર કોઈ અન્ય ટ્રસ્ટને મળી શકે ખરો? જો ‘પી.એમ. કેર્સ’ને સરકાર સાથે સંબંધ ન હોત તો તેની રચનાની જાણ કરતી પ્રેસનોટ સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફોરમેશન બ્યૂરો દ્વારા માધ્યમોને મળી શકે ખરી? દેશનાં કેટલા ટ્રસ્ટોને આવી સગવડો મળે છે? જો ‘પી.એમ. કેર્સ’માં કશું છૂપાવવા જેવું નથી તો તેની કાર્યપ્રણાલીમાં આટલી ગોપનીયતા શા માટે છે? ‘પી.એમ. કેર્સ’ને જે ઝડપે આવકવેરામાંથી મુક્તિ અને એફ.સી.આર.એ. નંબર મળ્યો છે, તેનું ડોનેશન સી.એસ.આર. ગણાશે તેવો તત્કાલ કાયદામાં સુધારો થયો છે તે જ દર્શાવે છે કે તેને સરકાર સાથે સીધો સંબંધ છે.

‘પી.એમ. કેર્સ’ને કંપનીઓ દ્વારા મળનારું દાન કંપનીઝ એકટ, ૨૦૧૩માં સુધારો કરીને સી.એસ.આર. પેટે ગણવામાં આવે છે. સી.એસ.આર.ની જોગવાઈ સંસદના કાયદા દ્વારા કરવામાં આવી છે. આ ફંડનો ઉપયોગ પ્રોજેકટ વિસ્તારના વિકાસ કાર્યો માટે કરવાનો હોય છે. તેને ‘પી.એમ. કેર્સ’ ડોનેશન બનાવી દેવામાં આવ્યું છે ‘પી.એમ. કેર્સ’ને લગતી તમામ કામગીરી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જ થાય છે. ‘પી.એમ. કેર્સ’માં દાન માટેનો પ્રચાર સરકારી મશીનરી દ્વારા કરવામાં આવે છે. વડા પ્રધાન કાર્યાલયના બે અધિકારીઓને માનદ્ ધોરણે તેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ બાબતો સ્પષ્ટ કરે છે ‘પી.એમ. કેર્સ’ સરકારી કામગીરીનો એક ભાગ છે. પરંતુ તેની અપારદર્શિતા જાળવી રાખવા જાહેર ટ્રસ્ટનો મુખવટો ઓઢાડવામાં આવ્યો છે. આર.ટી.આઈ.ના દાયરાથી મુક્ત અને પબ્લિક ઓથોરિટી ન ગણાવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ગણાવાય છે.

NDRF જેવું સંપૂર્ણ પારદર્શી અને જવાબદેહ સરકારી રાષ્ટ્રીય ફંડ દેશમાં ઉપલબ્ધ હોય ત્યારે તેને બાજુ પર મૂકીને નવું ‘પી.એમ. કેર્સ’ ફંડ ઊભું થાય તે શંકા અને વિવાદ જન્માવે જ. હાલ તો ‘પી.એમ. કેર્સ’નું ઑડિટ અન્ય ટ્રસ્ટોની જેમ ખાનગી રાહે કરાવવાનું છે. પણ ટ્રસ્ટે વિવાદ કે શંકામુક્તિ માટે નહીં, પોતાની જવાબદેહિતા અને પારદર્શિતા પુરવાર કરવા માટે ‘કેગ’ના ઑડિટ અને માહિતી અધિકાર કાયદાનો દાયરો સ્વીકારી લેવો જોઈએ કે પછી NDRFના હેતુઓમાં સુધારા કરીને તેને મજબૂત કરવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 14 સપ્ટેમ્બર 2020; પૃ. 03-06

Loading

પિતૃસત્તા સામે સ્ત્રીઓના સજ્જડ પ્રતિકારની ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’

રૂપાલી બર્ક|Opinion - Opinion|28 September 2020

“Art is a tool of social responsibility, so the filmmaking is secondary; the content should push a viewer towards social awareness.”

— P A Ranjith

(Times L!fe)

“કલા સામાજિક જવાબદારીનું માધ્યમ છે, માટે ફિલ્મનિર્માણ બીજા ક્રમે આવે છે; વિષયવસ્તુએ દર્શકને સામાજિક જાગરુક્તા તરફ ધક્કો મારવો જોઈએ.”

— પી.એ. રનજીત

(ટાઇમ્સ લાઇફ)

આ લેખમાં ફિલ્મનો રિવ્યુ કરવાનો આશય નથી બલકે ફિલ્મને પાઠ કે વાચના (text) તરીકે વાંચવાનો ઉદ્દેશ છે, માટે ફિલ્મનિર્માણના પાસાઓ કરતાં ફિલ્મના વિષયવસ્તુની ચર્ચા હાથ ધરી છે. પિતૃસત્તાની અન્યાયી વ્યવસ્થામાં થતા સ્ત્રીઓના દમન-શોષણ અંગે પ્રેક્ષકને હેલ્લારો મારીને સામાજીક જાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ છે. એટલે જ ફિલ્મમાં કોઈ જ બાબતે અતિશયોક્તિ દર્શાવી નથી. ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપવા પડે એવી ફિલ્મ છે. દિગ્દર્શન, સિનેમૅટોગ્રાફી, પરિવેશ, પાત્ર પસંદગી, સ્ક્રીનપ્લે-સંવાદ, ગરબાના લિરીક્સ – સંગીત, વસ્ત્રપરિધાન, અભિનય, બધું જ પરફેક્ટ. કોઈ એક પાસું કે કલાકર નબળા નહીં. ટીમવર્કની મહેનતથી ફિલ્મ ચમકે છે. અભિષેક શાહ લિખિત-દિગ્દર્શિત ‘હેલ્લારો’ એમની પ્રથમ ફિલ્મ છે અને રાષ્ટ્રિય અવોર્ડ જીતી છે એ વાત એમને બેવડા અભિનંદનને પાત્ર બનાવે છે.

પ્રકાશ ગૌડાના અંગ્રેજી રિવ્યુમાં ‘હેલ્લારો’નો અર્થ ‘strong gust of wind’ (પવનની થપાટ) તો વળી ‘कर्तव्य साधना’માં ફિલ્મ દિગ્દર્શક અભિષેક શાહ મુજબ ‘હેલ્લારો’નો અર્થ ‘rising tide or wave of water’ (પાણીનું ઊછળતું મોજુ કે ભરતી) થાય છે. સાર્થ જોડણીકોશ મુજબ ‘હેલારો’(શબ્દની બીજી જોડણી)નો અર્થ છે ‘આંચકો, ધક્કો, ઝપાટો, હરકત, નુકશાન, વાહનનું ઉછળવું’. ભગવદ્ગોમંડલમાં ‘હેલારો’નો અર્થ આ મુજબ છે : ‘ધક્કો, ઠેલો, હડસેલો, મોજું, લહેર’.

ફિલ્મ જોનાર પ્રત્યેક કહેશે કે આવા જ વિષય પર ત્રણ દાયકા પહેલા બનેલી કેતન મહેતાની સિમાચિહ્ન ફિલ્મ ‘મિર્ચ મસાલા’ (૧૯૮૬) પછી ગુજરાતીમાં બીજી યાદગાર ફિલ્મ બની. આવા વિષયને અડકવાનું સાહસ કાંઈ બધાંમાં થોડું હોય! આ બન્ને ફિલ્મો ભારતીય સમાજમાં જ્ઞાતિ, ધર્મ, લિંગ અને જાતીયતા સંદર્ભે ફેલાયેલા સુવ્યવસ્થિત દમનને આયનો ધરવાનું કામ કરે છે. બન્ને ફિલ્મોમાં પુરુષપ્રધાન સમાજમાં ઘરમાં અને ઘરની બહાર પુરુષોના દમનનો ભોગ બનતી સ્ત્રીઓનું નિરૂપણ છે.  જોગાનુજોગ ભૌગોલિક વિસ્તાર ભલે કચ્છનું રણ રહ્યું બન્ને ફિલ્મોમાં પણ માત્ર કચ્છ નહીં, ભારતનો કોઈ પણ હિસ્સો આવા દમનની હાજરી વગરનો મળે તેમ નથી.

કચ્છના એક પુરુષપ્રધાન ગામના કૂપમંડૂક જેવા પુરુષોની નાગચૂડમાંથી થોડી ક્ષણો છૂટીને ગરબા રમી સ્વતંત્રતાનો ખુલ્લો શ્વાસ માણતી ગામની સ્ત્રીઓનો ભેદ ખૂલી જાય છે ત્યારે ગામના પુરુષો જોરદાર આંચકો અનુભવે છે, સ્તબ્ધ બની જાય છે. સમાજ અને ઘરમાં સ્ત્રીઓ પર પુરુષોની નાગચૂડ એટલે પિતૃસત્તા. સદીઓ જૂની એ સડેલી માન્યતા કે પુરુષ એટલે સ્ત્રીનો માલિક, સ્ત્રી એટલે પુરુષની મિલ્કત, પુરુષની મરજી પ્રમાણે જ ચાલે બધું, સ્ત્રીની મરજી હોવી જ ના જોઈએ, પુરુષને આવક હોવી જોઈએ, સ્ત્રી માટે આવક હરામ છે, પુરુષ એ જ સાચો જે સ્ત્રીને અંકુશમાં રાખી જાણે, પત્નીત્વ ને માતૃત્વ એ જ સ્ત્રીઓનો પરમ ધર્મ, વગેરે, વગેરે.

ફિલ્મની શરૂઆતમાં સ્ત્રીઓનાં રાખોડી રંગનાં વસ્ત્રો એમની નિરસ અને રંગવિહીન જિંદગીની ચાડી ખાય છે. ઘરમાં, કુટંબના સભ્યો પાસેથી, અરે, પતિ પાસેથી પણ બે મીઠા બોલ કે સહેજ સરખો વહાલભર્યો સ્પર્શ આ સ્ત્રીઓનાં નસીબમાં નથી. પ્રથા મુજબ પુરુષો સજીધજીને ગરબે ઘૂમે ને સ્ત્રીઓએ ઘરમાંથી સંતાઈને ગરબા જોવાના. એક ભૂંગામાં પુરુષ બહાર જવા નિકળતો હોય છે ત્યારે એની દીકરી પૂછે છે કેમ અમારાથી ગરબા ના રમાય. એની મા એને સમજાવે છે કે એવો નિયમ છે માટે. પિતા એને કહે છે સવાલ પણ ના પુછાય. ને બીજા તબક્કે એ જ છોકરીનો ભાઈ સજીધજીને ગરબા રમવા નિકળતો હોય છે ત્યારે એ બોલવા જાય છે એ પહેલા એની બહેન કહે છે ખબર છે મારાથી ના રમાય. પણ આ વખતે ફરક એટલો છે કે જ્યારથી સ્ત્રીઓ તળાવે ગરબા રમતી થઈ આ નાની દીકરીને પણ એની મા ગરબાની મોજ માણવા સાથે લઈ જતી હતી. દીકરી મનમાં કહેતી હશે કે તમે પુરુષો કરો ગામમાં ગરબા, અમે તો તળાવે ઘૂમીએ છીએ.

સ્ત્રીઓને નાનપણથી મગજમાં એવું જડબેસલાક ઠાંસી દીધું હોય છે કે પિતા, ભાઈ, પતિ, સસરા, વગેરે વગેરે જે લક્ષ્મણરેખા દોરી આપે એ ઓળંગવાની નહીં. સમાજના શોષિત સમૂહો, સ્ત્રીઓ હોય કે દલિતો, એમના પર જે પાબંદીઓ ફટકારવામાં આવે છે એ ડરની મારી સ્ત્રીઓમાં એટલી ઘર કરી જાય છે (internalise) કે એ પણ એ જ ભાષા બોલતાં થઈ જાય છે અને એ જ પ્રમાણે જિંદગી જીવવાં લાગે છે. જ્યારે એક સગર્ભા સ્ત્રીને મૃત બાળકી જન્મે છે, એકબેને બાદ કરતાં બાકીની સ્ત્રીઓ ક્ષણવારમાં માતાજીના કોપના કારણે આમ થયાની વાત કરે છે ને નવી વહુ પર દોષનો ટોપલો નાખે છે. પણ બાળક ખોયેલી સ્ત્રી કહે છે મારી દીકરી પણ માતાજીનું જ સ્વરૂપ હતી ને. માતાજી સ્ત્રી થઈને આપણને સજા થોડી કરે. સારુ થયું, મારી દીકરી આવા નર્કમાં જન્મતા અટકી ગઈ. યે જીના ભી કોઈ જીના હે, એવો સૂર વારંવાર પ્રગટે છે આ સ્ત્રીઓના મનમાં.

નિયમની ઐસી કી તૈસી કરીને સ્ત્રીઓ ગરબા રમી જાણે પોતાના શરીર પરની માલિકી પાછી મેળવી લીધી છે એ જાહેરાત કરે છે, કારણ કે ફિલ્મમાં દર્શાવ્યું છે તેમ સ્ત્રીઓએ પોતાનું શરીર ઘરકામ ને માતૃત્વમાં, સાસુના પગ દબાવવામાં (આધેડ પતિ એની પત્ની પાસે પગ દબાવે પોતાની સત્તા દર્શાવવા અને સાસુ એ જ હેતુથી પુત્રવધૂ પાસે પગ દબાવડાવે. સાચે જ જરૂર હોય તો દબાવવા જ જોઈએ પણ રોજના ધોરણે નિયમરૂપે થતી આ ક્રિયાનો સંકેત પગ દબાવનારનું દાસત્વ દર્શાવવાનો હોય છે. માલિક નોકર પાસે પગ દબાવડાવે તે રીતે), પતિની વાસના સંતોષવામાં અને પતિનો માર ખાવામાં ઘસી નાખવાનું, વગેરે સ્થળ-કાળ આધિન અનેક બાબતો સામાન્યત: પિતૃસત્તાના વણલખાયેલા નિયમો હોય છે.

‘૭૦ના દાયકામાં ભારતમાં વિમેન્સ સ્ટડીઝ નામની નવી વિદ્યાશાખા ઊભી થઈ. એમાં સંશોધન કરતી મહિલાઓએ ભારતમાં સ્ત્રીઓ સાથેના દુરવ્યવહારથી (ઘરેલું હિંસા, દહેજ માટે પત્નીને બાળી નાખવી, આદિવાસી અને દલિત મહિલાઓનું યૌન શોષણ, વગેરે) હેબતાઈને પીડિત સ્ત્રીઓને સંગઠિત કરવાના પ્રયાસો કર્યા. પુરુષપ્રધાન સમાજના અન્યાયી માળખા અને આજ્ઞાઓ સામે રૅઝિસટન્સ અને ડિફાયન્સ એટલે જ નારીવાદ. નારીવાદ એટલે પુરુષો પ્રત્યે નફરત (misandry) એ ખ્યાલ ભૂલ ભરેલો છે. જ્યાં ન્યાયી વ્યવસ્થા છે ત્યાં વિદ્રોહની જરૂર જ નથી હોતી.

ફિલ્મમાં દર્શાવેલી ગ્રામીણ સ્ત્રીઓ સૈદ્ધાંતિક ‘નારીવાદ’ને જાણતી નથી. નવી વહુ સાત ચોપડી ભણેલી છે એટલે આગેવાની કરે છે એવું પણ સાવ નથી. દૈનિકોમાં આઈ.પી.એસ. મહિલા ઓફિસર પણ ઘરેલુ હિંસાનો ભોગ બન્યાના સમાચાર વાંચ્યાનું બરાબર યાદ છે. પોતાની અસ્મિતાનું, માનવ અધિકારનું ભાન હોય ત્યારે મનમાં વિદ્રોહ સહજ રીતે પેદા થાય છે. પછી તે રેઝિસ્ટન્સ (પ્રતિકાર) અને ડિફાયન્સ(ઉલ્લંઘન)ના સ્વરૂપમાં દેખા દે છે. મનમાં વલોણુ થાય ને એ મુજબ પગલું લેવાની હિંમત આવવી જોઈએ. મનમાં જન્મેલા પ્રતિકારને આચરણમાં મુકવાથી જ દમન સામે લડી શકાય છે.

માનવ ઇતિહાસનાં જુદાં જુદાં સ્થળ-કાળ મુજબ પિતૃસત્તા સ્ત્રીઓ માટે ‘નિષેધ’ બાબતો જાહેર કરતી આવી છે — એટલે કે કોઈ સ્થળ કે સામાજિક જૂથ કે વ્યક્તિ કે  સામાજિક વ્યવહાર પર પ્રતિબંધ મૂકે છે. ઘરની ચાર દિવાલોમાં કેદ રાખીને કે લાજ કઢાવીને પણ પુરુષ સ્ત્રીને બહારની દુનિયાથી દૂર રાખે છે. વળી, ઘરકામમાં પુરુષોએ કોઈ જ પ્રકારની મદદ નહીં કરવાની, આ પણ ‘નિષેધ’ના જ પ્રકાર છે. ‘હેલ્લારો’માં સ્ત્રીઓ માટે ભરતકામ કરવું, ગરબા ગાવા, વિધવા સાથે વાતચીત કરવી નિષેધ છે. ઘરમાં પુરાઈ રહેવું પણ એમની નિયતિ છે.

ફિલ્મમાં ભૂતકાળમાં એક સ્ત્રીનાં ભરતકામ કરેલાં કાપડ ગામમાં આવતો વેપારી ખાનગી રીતે શહેરમાં વેચીને એ સ્ત્રીને એના પૈસા આપતો હતો. વાત જાહેર થઈ જતાં મોતને ઘાટ ઉતારવામાં આવે એ પહેલા એ સ્ત્રી વેપારી જોડે નાસી છૂટે છે. બસ ત્યારથી ગામના પુરુષો સ્ત્રીઓને ભરતકામ કરવાની મનાઈ ફરમાવે છે. ખાપ પંચાયત માત્ર હરિયાણામાં થોડી છે! નગરથી નવી આવેલી દીકરાની વહુને ભરતકામ કરતા જોઈ એની સાસુ આ પાબંદી અંગે સાવચેત કરે છે. તો વળી પરણીને ઓરડામાં પગ મુકતાની સાથે એનો ફૌજી પતિ એને પૂછે છે કે ભણેલી છે? જ્યારે પત્ની હા પાડે છે તો પૂછે છે કેટલું ભણેલી છે? સાત ચોપડી, પત્ની જવાબ આપે છે. પોતાનું ઘર છોડીને  =આવેલી પત્નીને વહાલ દર્શાવવાને બદલે ઘૂરક્યા કરી પતિ ચેતવણી ઉચ્ચારે છે કે ભણેલી છે એટલે પાંખ કે શિંગડા ઊગે, તે જાતે જ કાપી નાખજે નહીં તો હું કાપીશ તો બહુ દુખાશે. બીજે જ દિવસે નવી વહુના માથેથી સાસુ લગ્નની ઓઢણી કાઢી લઈને સાદી ઓઢણી ને પાણીના બેડા પકડાવી દે છે. એમને ક્યાં ખબર હતી કે આ ભણેલી વહુ મુસીબતને તકમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે. તળાવે સાથે આવેલી સ્ત્રીઓ એને અજાણ્યા પુરુષને પાણી આપવાની મનાઈ ફરમાવે છે. પણ નવી વહુ તો બેભાન ઢોલીને પાણી પીવડાવે છે. બીજી સ્ત્રીઓ હેબતાઈ જાય છે. ગામમાં ગરબા માતાજીના હોય પણ સ્ત્રીઓને ગાવાની મનાઈ. એટલે નવી વહુ ઢોલીના તાલે ગરબા કરવાનું સૂચવે છે અને ગરબો કરવા લાગે છે ત્યારે પણ બીજી સ્ત્રીઓ એવી જ પ્રતિક્રિયા આપે છે. જુવાન વિધવા સાથે વાત કરવાની શરૂઆત વખતે પણ એ જ બાબતનું પુનરાવર્તન.

ફિલ્મનું અર્પણ વાક્ય છે:

This film is dedicated to the struggles of countless women who thrive in the face of patriarchal mandate.

પિતૃસત્તાના ફરમાન સામે અવાજ ઉઠાવતી અસંખ્ય સ્ત્રીઓના સંઘર્ષને આ ફિલ્મ અર્પણ કરીએ છીએ.

વી. ગીતા પ્રમાણે પિતૃસત્તા એટલે ‘પુરુષો દ્વારા દમન’, ‘સ્ત્રીઓ પ્રત્યે પુરુષોનો પૂર્વગ્રહ’ અથવા સાવ સાદા શબ્દોમાં ‘પુરુષ સત્તા’. એટલું જ નહીં ગરીબ, નીચલી જ્ઞાતિના પુરુષો પણ પિતૃસત્તાનો ભોગ બનતા હોય છે. (V. Geetha, Patriarchy. Calcutta: Stree, 2007) આ બન્ને બાબતો ‘હેલ્લારો’ ફિલ્મમાં ગામની સ્ત્રીઓ અને ઢોલી સાથેનો ગામના પુરુષોના દુર્વ્યવહાર દ્વારા ખૂબ અસરકારકતાથી દર્શાવેલી છે. ઢોલી એની નાની દીકરીને ખુશ કરવા હોળી આગળ ગરબા કરવા દે છે એટલે હોળી અભડાવવાના ગુના માટે એના ગામના ઉચ્ચ વર્ણના પુરુષો એના ભૂંગાને આગ લગાડી દે છે જેમાં એની પત્ની અને દીકરી ભુંજાઈ મરે છે.

ફિલ્મનો સમય ૧૯૭૫ રાખેલો છે. કારણ? આજના સમયમાં વાસ્તવથી બહુ દૂર લાગે એટલે. જાગરૂક વાચક કહેશે આ ખોટી વાત છે. પિતૃસત્તાની પકડ હજુ એવી જ છે. શું શહેર ને શું ગામ? આજની કોઈ પણ સ્ત્રીને પૂછો — એ કહેશે કે ઘરમાં, નહીં તે સમાજમાં, નોકરીના સ્થળે, જે કોઈ પણ ક્ષેત્રમાં એ સંકળાયેલી હોય એને પુરુષપ્રધાન વ્યવસ્થામાં ઓછા વધતા ધોરણે દાઝવાનું આવતું જ હોય છે. અરે, હાલના જ લૉકડાઉન દરમ્યાન ઘરેલું હિંસાના બનાવો કૂદકે ને ભૂસકે વધ્યાં છે એ આપણે સૌ જાણીએ જ છે. દમનકારી વર્ગ તો કહેવાનો જ કે આભડછેટ જેવું હવે કંઈ રહ્યું નથી સમાજમાં, હવે તો સ્ત્રી પુરુષ સમોવડી છે. બન્ને દાવા વાસ્તવથી જોજનો દૂર છે.

સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં શબ્દબહુલ (verbose) હોય છે. ‘હેલ્લારો’ના ટૂંકા પણ ચોટદાર (succinct) બિલકુલ નિશાન પર જઈ વાગે એવા સંવાદો છે. ફિલ્મનું વિષયવસ્તુ જ એટલું નક્કર છે અને દિગ્દર્શન, અભિનય એટલી સુક્ષ્મતાથી કરામત બતાવે છે કે એના દ્વારા જ ઘણું બધું કહેવાઈ જાય છે. આ ફિલ્મ આર્ટહાઉઝ ફિલ્મ હોઈ એમાં આમે ય અતિશયોક્તિને અવકાશ નથી.

કૂવા કે નદી-તળાવે પાણી ભરવા કે કપડાં ધોવા જવું, ખુલ્લામાં હાજતે જવું, ઢોર માટે ચારો લેવા જવો, બળતણ વીણવા જવું ગ્રામીણ સ્ત્રીઓને ઘરના ગૂંગળાવતા વાતાવરણમાંથી છુટવા માટે, ઘરકામના થાકમાંથી શ્વાસ લેવા માટે ખૂબ અનુકૂળ આવે છે. આ જગ્યાઓેએ સ્ત્રીઓ સમૂહમાં જતી હોય છે.  ઘર-પાડોશમાં મુક્ત મને જે વાતોની આપ-લે ના કરી શકાય તે વાતો કરવા, પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, એકબીજાને ટેકો આપવા-લેવા માટે એમને પૂરી મોકળાશ મળી રહે છે. સામાન્ય રીતે પુરુષો માટેની જગા ‘ઘરની બહાર’ અને સ્ત્રીઓ માટેની જગા ‘ઘરની અંદર’ એવું ચુસ્તપણે ઠેરવેલું હોય છે. કૂવા કે તળાવે પાણી ભરવા જવું કે બળતણનાં લાકડાં વીણવા જવું કે ઢોર ચારવાને બહાને સ્ત્રીઓ બહાર નીકળી ‘નિષેધ’ બાબતો કરી એક રીતે પિતૃસત્તા સામે ડિફાયન્સ કરીને બદલો વાળે છે. (Fernando Franco et al., The Silken Swing: The Cultural Universe of  Dalit Women. Calcutta: Stree, 2000)

તળાવને કિનારે ઢોલીના તાલે પાણી ભરવા ગયેલી સ્ત્રીઓ ગામના પુરુષોની જાણ બહાર ગરબા રમી પોતાની કામના પૂરી કરે છે. પણ જ્યારે બધાંને ખબર પડી જાય છે ત્યારે એક પછી એક સ્ત્રીઓ માથે ઓઢણી ઢાંક્યા વગર ઘરના ઉંબરા ઓળંગી ગામના વડીલો, મુખી ને પારકા પુરુષોની હાજરીમાં ગરબે ઝૂમીને ખુલ્લો પ્રતિકાર કરીને પુરુષોને જોરદાર હેલ્લારો મારે છે. જુવાન વિધવા પણ કોઈ છોછ વિના ગરબામાં જોડાય છે. તળાવ કિનારે ગરબા કરતી વખતે મન-હૃદયમાં દબાવેલી ઊર્મીઓની અભિવ્યક્તિની મોકળાશ મળતા સ્ત્રીઓનાં શરીરની લવચીકતા અને હળવાશને બદલે અંતમાં ગામના ચોરામાં ગરબા રમતી વખતે દેહભાષા અકડાઈ અને લડાયક્તા સૂચવે છે. ગરબો યુદ્ધમાં ફેરવાઈ જાય છે.

પકડાઈ ગયા પછી ઢોલીને થાંબલે બાંધવામાં આવે છે. એનો બલિ ચડાવવાનું નક્કી થાય છે.  એકેએક ભૂંગામાં સ્ત્રીઓ સાથે મારપીટ કરવામાં આવે છે. સ્ત્રીઓની ચીસોથી ગગન ભરાઈ જાય છે. ઢોલીની છેલ્લી ઈચ્છા પ્રમાણે એને ઢોલ વગાડવાની છૂટ અપાય છે. માર ખાધેલી સ્ત્રીઓ પણ પોતાનો જાન જોખમમાં મૂકી ઘરની બહાર નિકળી આવે છે. પોતાના પર લાદેલા આવા દમનને મૂંગે મોઢે સહન કરતી ને પછી નિર્ભયતાથી અન્યાયની ધૂંસરી ફગાવી દેતી સ્ત્રીઓ આ ફિલ્મની સંદેશાવાહકની ભૂમિકા ખૂબ જવાબદારીપૂર્ણ રીતે નિભાવે છે. પુરુષો પોતાની લાજ ખાતર મોતને ઘાટ (honour killing) ઊતારી દેશે એનો સ્ત્રીઓને ભય નથી. આવા નરકમાં જીવવા કરતાં તો મોત લાખ દરજ્જે સારું. છૂટીશું. હાશ. સ્ત્રીઓ અને નીચલી વર્ણનો ઢોલી બન્ને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાના શિકાર છે અને બન્ને બંડ પોકારી પિતૃસત્તાની ધૂંસરી ફગાવી દે છે. આ અવિસ્મર્ણીય ફિલ્મ અચૂક જોશો.

તા.ક.

આ લેખ પૂરો કર્યો પછી ૨૬ સપ્ટેમ્બરની સવારે 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના તંત્રીલેખમાં વાંચ્યું તે અક્ષરશ: અનુવાદ કરી મુકું છું:

છૂપી કટોકટી

મહામારી દરમ્યાન ઘરેલું હિંસા વકરી છે

વિશ્વ આખું કોવીડ-૧૯ની મહામારીથી દેખીતી રીતે પીડિત છે. પણ બંધ બારણે બીજો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે. એન્તોનિયો ગોતરેસે સ્ત્રીઓ અને છોકરીઓએ પોતાના જ ઘરમાં સામનો કરવી પડતી હિંસામાં આવેલા "ભયાનક વૈશ્વિક ઉછાળા"નું નામ પાડ્યું છે. અમુક દેશોએ ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ૩૦%નો વધારો ગણાવ્યો છે, સતામણીથી બચવા મદદ માટેના કૉલ્સ બમણા ને ત્રણ ગણા થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ તમામ સરકારોને પોતાની મહામારીની વ્યૂહરચનાના ભાગરૂપે આ કટોકટીને ધ્યાનમાં લેવા સૂચન કર્યું છે.

ઘરેલું હિંસા વ્યાપક ગુનો છે ને સ્થળ, વર્ગ, ઉંમર, ધર્મ કે વર્ણ/વંશના ભેદ ઓળખતો નથી. એને પિતૃસત્તાક આતંકવાદ તરીકે વર્ણવ્યો છે — પીડિતા સતત ભયમાં જીવે છે કારણ કે દમનકાર એની સત્તા અને અંકુશ અમલમાં મુકવાના પ્રયત્નો કરતો રહે છે. ઘરેલું હિંસા પેઢી દર પેઢી ચાલતી રહે છે;  ફફડતી અને ભયભીત બની મા જીવતી હોય એવા ઘરમાં ઉછરેલા સંતાનો એવા જ અનુભવમાંથી પસાર થાય છે. ઘર આશ્રયસ્થાન હોવું જોઈએ, એને બદલે ત્યાં એ ત્રસિત અને અસુરક્ષિત મહેસૂસ કરે છે. સ્ત્રીઓ મોટા ભાગે ખોરાક અને રહેઠાણ માટે એમના પતિ પર નિર્ભર હોય છે, એમની ગૃહસ્થી અને સંતાનોથી કપાઈ જવાનો ડર એમને સતાવે છે. વળી, એમની પાસે આજીવિકાનો સ્રોત હોતો નથી.

આ ગુનાને પહોંચી વળવા માટે નવો સંકલ્પ લેવાની જરૂર છે. ઘણા દેશોએ સ્ત્રીઓ પોતાની સતામણીના સંકેત આપી શકે એના માટે નવા રસ્તા શોધ્યા છે. અમુક દેશોએ ડિલીવરી બૉય્ઝ અને ટપાલખાતાના કામદારોને આ અત્યાચારોની જાણ કરવા માટે જોતર્યા છે. ઘણા દેશોએ હિંસાની પીડિતાઓને આશરો આપવા આરોગ્ય કેન્દ્રોની ક્ષમતા વિકસાવી છે. કોવીડ-૧૯ મહામારી પાછળની આ મહામારીને ભારત પણ અવગણી શકે એમ નથી.

~

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...2,1592,1602,1612,162...2,1702,1802,190...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved