Opinion Magazine
Number of visits: 9574343
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના મૅનેજમૅન્ટ પછી હવે અસરગ્રસ્તોના આંકડા અંગે હાથ ઊંચા કરી દેતી કેન્દ્ર સરકાર

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|30 September 2020

ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓની સંખ્યા 56 લાખ ઉપર અને મૃતકોની સંખ્યા 96 હજારથી વધુ સત્તાવાર જાહેર થઈ. આ બાબતે વિશ્વભરમાં અમેરિકા પછી ભારત બીજા ક્રમે છે. સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે લૉક ડાઉનના કારણે ચાલતા જઈ રહેલા કે પાછળથી શરૂ કરાયેલી ખાસ શ્રમિક ટ્રેનોમાં, બીમારીથી કે ભૂખમરાથી શ્રમિકોનાં થયેલ મૃત્યુ વિશે સરકાર પાસે કશી માહિતી નથી.

ગત મે માસમાં વતન મધ્ય પ્રદેશ જઈ રહેલ 16 શ્રમિકો જાલના અને ઔરંગાબાદ વચ્ચે કચડાઇ મૂઆ હતા. તે જ દિવસોમાં મુઝફ્ફરપુર રેલવે પ્લેટફોર્મ પર બાળક ભૂખમરાથી મૃત્યુ પામેલી માતાને જગાડવા પ્રયાસ કરી રહ્યાનાં કરુણ દૃશ્યોનો વીડિયો વાઇરલ થયો હતો. અમદાવાદથી ટ્રેનમાં આવેલ આ સ્ત્રી ભૂખમરાથી મૃત્યુ પામી હતી. મુઝફ્ફરપુર જિલ્લા વહીવટીતંત્ર તેમ જ રેલવે સત્તાવાળાઓએ એવો ખુલાસો કર્યો કે આ સ્ત્રી તેના કોઈ શારીરિક રોગના કારણે મૃત્યુ પામી હતી. શ્રમિકોની ખરાબ દશા અંગેના અનેક વીડિયો વાઇરલ થયા હતા.

સરકારના દાવા પ્રમાણે શ્રમિકો માટે 4,611 ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનો મારફત આશરે 63 લાખ શ્રમિકોને તેમના વતન ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા વ. રાજ્યોમાં પરત મોકલાયા. તેમાંના કેટલાક રાજ્યોએ આ મુસાફરી દરમિયાન પાણી તેમ જ ખોરાકની વ્યવસ્થા પૂરી પાડી હતી.

આમ છતાં કેન્દ્રીય શ્રમ મંત્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ જાહેર કર્યું કે શ્રમિકોનાં થયેલ મોત સંબંધમાં કોઈ માહિતી ન હોવાથી તેમના કુટુંબીજનોને વળતર ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સંસદના પ્રથમ દિવસે સરકારના આ જવાબથી સંસદમાં અને બહાર ઘણો ઊહાપોહ મચ્યો છે. રેલવે મંત્રાલયે સંસદમાં જાહેર કર્યું છે કે મુસાફરી દરમિયાન 97 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. સરકારે પ્રથમ વખત લોકડાઉન દરમિયાન શ્રમિકોનાં મોત બાબતે સંસદમાં કબૂલાત કરી છે.

આવી જ મૂંઝવણ સરકારે દેશમાં કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ પામેલા આરોગ્ય કાર્યકરોના સંબંધમાં આપેલા જવાબથી ઉત્પન્ન થઈ છે. એક પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું કે આરોગ્ય એ રાજ્યનો વિષય હોવાથી તે સંબંધના આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે ઉપલબ્ધ નથી. જે સરકારે કોવિડ સારવાર કરી રહેલ તબીબો અને આરોગ્યકર્મીઓને ‘યોદ્ધા’ જાહેર કર્યા અને તેમના પર હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસાવ્યાં તેના વિશેની માહિતી હોવાનો હવે તે ઇનકાર કરે છે તે વિચિત્ર જણાય છે. આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન રોષે ભરાયું છે. તેણે 381 તબીબોની યાદી જાહેર કરી છે, જેમનું સારવાર કરતાં મૃત્યુ થયું હોય. એસોસિયેશને જાહેર કર્યું છે કે જો સરકાર કોરોના સંક્રમણની સારવાર કરતાં મૃત્યુ પામેલા તબીબો અને આરોગ્યકર્મીઓના આંકડા ન ધરાવતી હોય, તો તે મહામારીનો વહીવટ કરવાની નૈતિક જવાબદારી પણ ગુમાવે છે.

કોરોનાના ચેપથી મૃત્યુ પામેલા સફાઈ કામદારો બાબતમાં પણ સરકારે આવો જ ઉડાઉ જવાબ આપ્યો. સામાજિક ન્યાય મંત્રાલયે પ્રશ્નના જવાબમાં જાહેર કર્યું કે હોસ્પિટલ સફાઈ રાજ્ય વિષય હોવાથી તે અંગેના કોઈ આંકડા કેન્દ્ર સરકાર પાસે ઉપલબ્ધ નથી. આમ, જશ લેવામાં દોડી જતી કેન્દ્ર સરકાર આવા અનેક મુદ્દા અંગે જવાબદારી લેવાની આવે ત્યારે તે બીજા ભણી આંગળી ચીંધીને પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી રહી છે. આ મહામારીમાં લોકોનાં જીવન-મરણનો સવાલ છે. એવા સમયે સરકારે માહિતી એકત્ર કરીને મૃતકોના કુટુંબીજનોને વળતર ચૂકવવું જોઈએ. એવું થાય, તો જ સરકારે સામાજિક ન્યાયનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું કહેવાય.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 16

Loading

ફોજદારી કાયદાના સુધારામાં ‘ફોજદારી’ ના ચાલે

સુબોધ પરમાર|Opinion - Opinion|30 September 2020

કોરોના મહામારીના કાળમાં સરકારો દેશના લોકશાહી મૂલ્યોનો મૃત્યુઘંટ વગાડી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ધારાગૃહો બોલાવી શકાય એમ નથી, એમ કહીને વટહુકમોના બહાને બંધારણીય મૂલ્યો અને લોકશાહી સાથે છડેચોક બે-રોકટોક ચેડાં કરી રહી છે એ ખરેખર આવનારા દિવસોનું ચિંતા ઉપજાવે તેવું ચિત્ર છે. કોરોના મહામારીનો કપરો કાળ સરકાર માટે વરદાનરૂપ સાબિત થયો છે. વટહુકમના નામે સત્તાનો બેફામ ઉપયોગ થાય છે.

ફોજદારી કાયદામાં સુધારા માટે સમિતિ

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ભારત સરકાર દ્વારા તા. ૪ મે, ૨૦૨૦ના નૉટિફિકેશનથી ફોજદારી કાયદાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય કક્ષાની પાંચ સભ્યોની સમિતિ, નેશનલ લૉ યુનિવર્સિટી, દિલ્હીના કુલપતિ રણબીર સિંઘના અધ્યક્ષસ્થાને રચવામાં આવી છે. તે લગભગ દોઢસો વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહેલા ફોજદારી કાયદાઓનું પુનઃઅવલોકન કરીને હાલની સામાજિક સ્થિતિ અને બંધારણીય ભાવનાને સુસંગત હોય તે રીતે સુધારા સૂચવશે.

ભારતીય ફોજદારી ધારાની વ્યાખ્યાઓ, સજાનો પ્રકાર, સજાનો દર, સામાન્ય અપવાદો, પુનઃનિરીક્ષણ, ફેરફાર, નવા સ્વરૂપોનું ઉમેરણ-બાદબાકી, ભારતીય ફોજદારી ધારાના પ્રકરણ-૩માં સમાવિષ્ટ સજાના માળખાનું પુનઃનિરીક્ષણ અને પુનઃવિચારણા, ઇન્ડિયન પિનલ કોડમાં ઉમેરવા અને બાદ કરવાલાયક ગુનાઓની ઓળખ, ઇ.પી.કો.ના ગુનાઓનું પુનઃ.વર્ગીકરણ જેવા મહત્ત્વના અને દરેક નાગરિકને અસર કરતાં સુધારા કરવાની હિલચાલ ચાલી રહી છે.

સમિતિ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર(ફોજદારી કાર્યરીતિ સંહિતા)ના માળખામાં સુધારા કરીને ફક્ત પીડિત અને આરોપીઓના અધિકારો વિષે જ નહીં, પણ જનતાની સુરક્ષાને પણ આવરી લે. સી.આર.પી.સી.ની મૂળભૂત વ્યાખ્યાઓ અને વર્ગીકરણમાં સુધારો કરવો પુરાવાના કાયદામાં પુરાવાની ગ્રાહ્યતા, સાબિતીનો ભાર, ઈલેક્ટ્રોનિક પુરાવાની ગ્રાહ્યતા, ફોરેન્સિક વિજ્ઞાનની હાલની ટેક્નોલોજીને અનુરૂપ કાયદાની જોગવાઈઓને સુધારવા બાબતે વિચારણા કરશે. અગાઉની સમિતિઓ અને કમિશનના અહેવાલો અને ભલામણોની સમીક્ષા કરીને જ્યાં કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ ના હોય ત્યાં ન્યાયિક ચુકાદાઓ સાથે સુસંગત રહીને કાયદામાં સુધારા કરવાની બાબત પણ વિચારશે.

દોઢસો વરસ જૂના કાયદામાં દોઢ દિવસમાં સુધારા?

અંગ્રેજોના જમાનાના અપરાધિક કાનૂનોની સંહિતામાં ઇન્ડિયન પિનલ કોડ, ૧૮૬૦, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ૧૯૭૩ અને ઇન્ડિયન એવિડન્સ એકટ, ૧૮૭૨નો સમાવેશ થાય છે. ભારતના ફોજદારી કાયદાઓ અપરાધની સજા માટે રચાયેલા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, મારપીટ, લૂંટ, અપહરણ, છેતરપિંડી ચોરી જેવા ગુનાઓની સજા અને પોલીસ કાર્યવાહી ફોજદારી કાયદાઓ અન્વયે થાય છે. હાલના કાયદા અને કાર્યવાહી અપરાધનો ભોગ બનેલા ને બદલે અપરાધી તરફ ઝૂકેલા છે. તેથી તેમાં સુધારા જરૂરી છે. પરંતુ હાલના મહામારીના સમયમાં સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તે ટીકાપાત્ર છે. સમિતિને માત્ર છ માસમાં પોતાનો રિપોર્ટ જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે સમિતિએ લોકો સાથે ચોથી જુલાઈથી ઑનલાઈન પરામર્શ શરૂ કર્યો છે. આગામી ત્રણ મહિનામાં તે પૂર્ણ કરીને છ માસમાં રિપોર્ટ જમા કરાવવાની તજવીજ હાથ ધરી છે.

સામાન્ય રીતે આ પ્રકારના સુધારા કરવા માટે લૉ કમિશનની રચના કરવામાં આવે છે, જેમાં સરકારી અધિકારીઓ ઉપરાંત વિષયનિષ્ણાતો અને ધારાશાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. લૉ કમિશન ત્રણ વર્ષ સુધી લોકો સાથે રાષ્ટ્રવ્યાપી પરામર્શ કરીને રિપોર્ટ આપે છે. કાયદા મંત્રાલય આ રિપોર્ટનો અભ્યાસ કરીને તેને સંસદમાં મૂકે છે. પરંતુ, હાલ તો સરકારે નેશનલ લૉ યુનિવર્સિટીના કુલપતિને આ કામ સોંપ્યું છે અને છ મહિનાનો ટૂંકો સમય આપ્યો છે. તેથી સરકારની મંશા સામે સવાલો ઉઠાવીને સમગ્ર પ્રક્રિયા અંગે સમાજના વિવિધ વર્ગો, સામાજિક સંસ્થાઓ, ક્ષેત્ર નિષ્ણાતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

સુધારણા સમિતિનો સાર્વર્ત્રિક વિરોધ

બાર કાઉન્સિલ ઑફ દિલ્હી દ્વારા સૌ પ્રથમ આ સમિતિમાં વકીલોની અને વકીલમંડળની થયેલી અવગણના બાબતે વાંધો લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયાધીશો અને સિનિયર વકીલો દ્વારા સમિતિના સભ્યોમાં વિવિધતાનો અભાવ, મર્યાદિત સમય, સુધારણાના હેતુઓમાં સ્પષ્ટતાનો અભાવ જેવી બાબતોએ પણ  વિરોધ છે.

દેશના મહિલાઓના બાર દ્વારા કમિટીના ગઠનનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને નવેસરથી કમિટી બનાવવાની માગ ઉઠાવવામાં આવી છે. દિલ્હી, બૉમ્બે, કલકત્તા, બેંગલોર અને મદ્રાસ હાઇકોર્ટનાં ૧૧૨ મહિલા વકીલોએ આ કમિટીના ચેરમેનને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે સુધારણા સંસ્થાનવાદ પછીના અને બિનપિતૃસત્તાક પાસાં ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓમાં સુધારણા કરવાનું વિચારી રહી છે તેમાં મહિલા, લઘુમતી અને સમાજના હાંસિયામાં ધકેલાયા વર્ગનું પ્રતિનિધિત્વ જાળવવામાં આવ્યું નથી.

સમિતિએ પરામર્શ માટે પ્રશ્નોત્તરીની કાર્યપદ્ધતિ અપનાવી છે. તેથી આ બાબતમાં મુક્ત રીતે ચર્ચા કરીને સુધારાઓમાં કોને મહત્ત્વ આપવુ તેના વિચારને બદલે સમિતિ દ્વારા અગાઉથી જ સુધારાઓ નક્કી કરવામાં આવ્યા છે અને તેના પર લોકમત લેવાની નીતિ અપનાવી છે.

જુલાઇ ૮, ૨૦૨૦ના રોજ ૬૯ પૂર્વ ન્યાયાધીશો, નિવૃત્ત નોકરશાહો, જાણીતા વકીલો, શિક્ષણ અને કાયદાવિદોએ સમિતિને તેની રચના, કાર્ય અને પરમર્શનમાં સંપૂર્ણ પારદર્શિતા, વિશ્વનીયતા અને પ્રતિબદ્ધતા દર્શાવવા અનુરોધ કર્યો. જુલાઇ ૯, ૨૦૨૦ના રોજ ઇન્દિરા જયસિંઘ, પ્રિયા હિંગોરાની, ગાયત્રીસિંઘ અને અન્ય નામી મહિલા વકીલોએ મહિલા પ્રતિનિધિત્વના મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. (સમિતિમાં એક પણ મહિલા સભ્ય નથી!) આ ઉપરાંત, દલિત, ધાર્મિક લઘુમતી, દિવ્યાંગ વકીલો, એલ.જી.બી.ટી. અને સમાજના પાયાના કાર્યકરોની ઉપેક્ષા વિશે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ઓગસ્ટ ૧૩, ૨૦૨૦ના રોજ નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટના ગૃહમંત્રી જોગ પત્રમાં પણ પ્રતિનિધિત્વના મુદ્દાની વાત કરવામાં આવી. ઓગસ્ટ ૨૧, ૨૦૨૦ના સોથી વધુ શિક્ષણવિદોના પત્રમાં સમિતિની સમગ્ર પ્રક્રિયા મુદ્દે વાંધા અને મંતવ્યો જણાવાયાં હતાં. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન લોકુરે પણ એક ઈન્ટરવ્યૂમાં પારદર્શિતા મુદ્દે સવાલો ઉપસ્થિત કર્યા છે.

ફોજદારી કાયદાઓમાં સુધારા કરવા માટે અગાઉ માધવ મેનન અને મલીમથ સમિતિની રચના કરવામાં આવેલી. વાજપાઈ સરકારે રચેલી મલીમથ સમિતિએ તેનો અહેવાલ ૨૦૦૩માં સુપરત કરેલો, જેનો ક્યારે ય સ્વીકાર કરવામાં આવ્યો નથી.

શા માટે સુધારા સમિતિનો વિરોધ ?

હાલની સમિતિને વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે, પોતાના વાંધા-વિરોધ વ્યક્ત કર્યા છે તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

૧. સમયમર્યાદા જસ્ટિસ મલીમથ કમિટીએ આ જ પ્રકારના સુધારા સુચવવા લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લીધેલો ત્યાર બાદ જ સુધારા સૂચવી શકાયેલા, જ્યારે હાલની કમિટીને આ કામ માત્ર છ માસમાં પૂરું કરવાનું સરકારનું ફરમાન છે.

૨. કાર્યપદ્ધતિ લોકસંવાદિતાનો અભાવ:  સમગ્ર પ્રક્રિયામાં લોકપરામર્શ પ્રશ્નોત્તરી મારફત થઈ રહ્યો છે, જે અલગ-અલગ સમયે છ ભાગોમાં વહેંચીને પ્રસારિત કરવામાં આવે છે. શરૂઆતમાં આ પ્રશ્નોત્તરી સંદર્ભે વાંધા રજૂ કરવા માત્ર ૨૦૦ શબ્દોની મર્યાદા જ આપવામાં આવેલી. ભારે વિરોધને પગલે જુલાઇ ૮, ૨૦૨૦ની નોટિસથી તે દૂર કરવામાં આવી છે. સમિતિએ પ્રસારિત કરેલા પ્રશ્નો ઉપરથી આવ્યા હોય એ પ્રકારના છે. હકીકતમાં તે સામાન્ય રીતે લોકો સાથે ચર્ચા કરીને પછી નક્કી કરવા જોઈએ. અહીં તો બધા પ્રશ્નો સમિતિએ આપ્યા છે. જે લોકો ફોજદારી કાયદાઓમાં પોતાનું ‘એક્સપર્ટ’ તરીકે રજિસ્ટ્રેશન કરાવશે તેમને જ સૂચનો કરવાની તક મળવાની છે. જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે તે અત્યંત લાંબી છે ને માત્ર ‘એક્સપર્ટ’ લોકો માટે જ ખુલ્લી છે. આ સુધારા વિશે મંતવ્યો જણાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમાં સંસ્થાનું નામ અને હોદ્દો જણાવવો પડે. આ બધું criminallawreforms.in નામની વેબસાઇટ પર અંગ્રેજીમાં જ મૂકવામાં આવી છે. એનો અર્થ કે વિમર્શમાં માત્ર અંગ્રેજી ભાષાના જાણકાર જ જોડાઈ શકશે (કાશ, આ કાયદા પણ જેમને અંગ્રેજી આવડતું હોય તેમને જ લાગુ પડવાના હોત!) અંગ્રેજી સિવાયની ભાષા જાણતા અને ઇન્ટરનેટ વિનાના છેવાડાના માણસને આ વિમર્શમાંથી બાદ કરી દેવામાં આવ્યો છે.

૩. કમિટીની રચનામાં વિવિધતાનો અભાવ સૌએ એકસૂરે કમિટીની રચનાને વખોડી છે. તમામનું કહેવું છે કે આ કમિટીમાં વિવિધતાનો સદંતર અભાવ છે. એ વાત સર્વવિદિત છે કે આ સુધારણાની સમાજના અલગ અલગ ક્ષેત્રના લોકો પર જુદી જુદી અસર થવાની છે. ત્યારે આ કમિટી જે માત્ર પાંચ પુરુષ સભ્યોની બનેલી છે એમાં દલિત, આદિવાસી, LGBTQIA+, દિવ્યાંગો, મહિલાઓ, કર્મશીલો વગેરેના પ્રતિનિધિત્વના નામે મીંડુ છે. આ કમિટીની રચના સંદર્ભે જે પત્રો લખવામાં આવ્યા છે, તેમાં એવો આક્ષેપ થયો છે કે આ પાંચેય પુરુષો ભારતીય સમાજના ભદ્ર વર્ગમાંથી આવે છે અને કહેવાતી ભદ્ર એવી દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટી સાથે ઘરોબો ધરાવે છે તેથી તેઓ સમાજના દરેક વર્ગના ફોજદારી કાયદાઓ સંબંધિત પ્રશ્નોને વાચા આપી શકશે એવો વિશ્વાસ સંપાદિત નથી કરી શકતા. લૉ કમિશનની માફક આ કમિટીમાં કોઈ પૂર્ણકાલીન સભ્યો નથી. આ તમામ સભ્યો પોતાની વ્યાવસાયિક ઉપરાંત વધારાની ફરજના ભાગરૂપે આ કામ કરી રહ્યા છે. તે સ્થિતિમાં સમિતિ માત્ર છ માસના સમયગાળામાં ૧૫૦ વર્ષથી વિકસિત થયેલા આ કાયદાઓને કેવી રીતે યોગ્ય અને અસરકારક રીતે સુધારી શકશે? એક માગ એ પણ ઊઠી છે કે સમાજના વિવિધ તબક્કાના લોકો ઉપરાંત હાઇ કોર્ટ અને જિલ્લા કોર્ટોના પૂર્વ ન્યાયાધીશોને પણ આ કમિટીમાં સમાવવા જોઈએ.

૪. સુધારણાનો સમય ૧૫૦ વર્ષથી જૂના કાયદાઓ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે બંધબારણે સુધારવાની કાર્યપદ્ધતિ કેટલી યોગ્ય છે? લોકોના જીવન સાથે જોડાયેલા કાયદાઓમાં સુધારણા કરવા માટે વ્યાપક પ્રમાણમા સહમતી અને ભાગીદારી જરૂરી છે. જ્યારે સમગ્ર દેશ લોકડાઉન વચ્ચે મજૂરોની કફોડી પરિસ્થિતિ અને તૂટતાં અર્થતંત્રનો સાક્ષી બની રહ્યો હોય એવા સમયે અચાનક આ કાયદાઓમાં સુધારણા કરવાની નોટિસ એ સરકારના લોકશાહીવિરોધી માનસની ચાડી ખાય છે. સમગ્ર ન્યાયતંત્રની કાર્યવાહી અત્યારે પૂરી સક્રિયતા-પૂરેપૂરી ક્ષમતા સાથે ચાલતી ન હોય, ત્યારે અતિ મહત્ત્વના કાયદાઓમાં સુધારણા કરવાની સરકારને કેમ ઉતાવળ છે એ સમજાતું નથી.

૫.પારદર્શિતાનો અભાવ સમિતિને મર્યાદિત સમયમાં કામ કરવાનું છે. પરંતુ હજી સુધી કમિટીના ટર્મ ઑફ રૅફરન્સ લોકો સમક્ષ મૂકવામાં આવ્યા નથી. કમિટીની રચના માટેના કોઈ પ્રસ્તાવ અને એની પર શું ચર્ચા કરવામાં આવી તથા કમિટીના સદસ્યોની પસંદગી કેવી રીતે કરવામાં આવી એ બાબત પણ સ્પષ્ટ કરવામાં આવી નથી. જે પ્રશ્નોત્તરી મૂકવામાં આવી છે તે લોકો સમક્ષ મૂકવાના બદલે, ફક્ત કહેવાતા ‘એક્સપર્ટ’ માટે જ ખુલ્લી મૂકવામાં આવી છે. સરકાર અને કમિટી આ પ્રશ્નોત્તરી અંગે લોકોનાં સૂચનો મંગાવીને પછી કઈ પ્રક્રિયા અનુસરીને આ કાયદાઓમાં સુધારો કરવાની છે અને કમિટીના રિપોર્ટનું શું કરવાની છે એ બાબતે પણ કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો. કમિટી દ્વારા જે અંતિમ અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે તે સંદર્ભે લોકોને કોઈ વાંધા-સૂચનો હોય તો એ તક લોકોને મળવાની છે કે કેમ, એ પ્રશ્નનો જવાબ પણ અધ્ધરતાલ જ છે.

૬. પ્રથમ લો કમિશન સાથે સરખામણી ભારતના પ્રથમ લૉ કમિશને છ હજાર કરતાં પણ વધારે પ્રશ્નોત્તરીની નકલો વ્યક્તિગત, હાઇ કોર્ટ-બાર એસોસિયેશન-ચેમ્બર ઑફ કૉમર્સ વગેરે સંસ્થાઓમાં વહેંચી હતી, ૧૪ હાઇ કોર્ટની મુલાકાત લીધેલી. ૧૪ રાજ્યોના બે-બે સભ્યોનો સમાવેશ કર્યો હતો અને ૪૭૩ વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. આ બધુ એ વખતે થયેલું, જેનું ભૂત વર્તમાન પ્રધાનમંત્રીને કામ કરવા નથી દેતું! જ્યારે હાલમાં લોકોની સહભાગિતા ફક્ત ઇન્ટરનેટના માધ્યમ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે.

સમિતિ સર્વસમાવેશી અને પારદર્શી બને

કમિટી જે પ્રશ્નો પર સૂચનો મંગાવવા ઇચ્છતી હોય તે બધા પ્રશ્નો એકસાથે જાહેર કરી દેવા. ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ભારતીય પુરાવાનો કાયદો એ તમામ એકબીજા સાથે જોડાયેલા છે. જેથી એક કાયદામાં અમુક સુધારણાથી એની સાથે જોડાયેલા બીજા કાયદાઓમાં શું અસર પડશે અને આની લોકો પર શું અસર થવાની છે એ જાણ્યા વગર જ અલગ-અલગ પ્રશ્નો પૂછીને એના જવાબો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાથી વિપરીત પરિણામો આવવાની શક્યતાઓ રહેલી છે જેથી આ ગૂંચવણ સત્વરે નિવારવી જોઈએ.

જે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે એના પર પ્રતિક્રિયા, વાંધા-સૂચનો આપવા માટે ઓછામાં ઓછો ત્રણ માસનો સમયગાળો આપવામાં આવે. જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે એ તમામ ભારતીય ભાષાઓમાં જાહેર કરવામાં આવે. સમાજના વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓને સમાવવામાં આવે તથા કમિટી દ્વારા જે પ્રશ્નોત્તરી જાહેર કરવામાં આવી છે તેમાંથી અમુક પ્રશ્નોની બાદબાકી તથા નવા પ્રશ્નોનો ઉમેરો કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. કમિટીને મળેલા તમામ પ્રતિભાવ વેબસાઇટ પર જાહેર કરવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ અંગે યથાયોગ્ય કાર્યવાહી કરવાને બદલે આપખુદ પદ્ધતિથી કામ લેવામાં આવશે તો તે સરકારની બિનલોકશાહી નીતિરીતિનો વધુ એક નમૂનો બની રહેશે.

subodhparmar90@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 09-12

Loading

દવા એ જ દારૂ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 September 2020

'હેલો, આ એકટ્રેસોનું શું છે?'
'શું હોય? બધીઓ માંદી છે.'
'મેં તો જુદું જ સાંભળ્યું છે.'
'શું?'
'એ જ કે બધી ડ્રગ્સ લે છે.'
'તે બરાબર જ છેને ! '
'એ કઈ રીતે?'
'માંદી હોય તો જ ડ્રગ્સ લેને!'
'હેલો, તું ડોબીની ડોબી જ રહી !'
'તે કઈ રીતે?'
'હું દવાની નહીં, 'ડ્રગ્સ'ની વાત કરું છું.'
'ડોબી હું નથી, તું છે.'
'તે કઈ રીતે?'
'હવે માંદા હોય તે જ ડ્રગ્સ લે એવું નથી.'
'એમ? તો, તો કાલથી હું પણ લઈશ.'
'હવે તો લોકો જુદી રીતે નશો કરે છે.'
'મને તો ખબર જ નહીં !'
'તો શું? આ લોકો તો ખાંસીના સિરપ લે છે,'
'તે તો ખાંસી રોકવા હશે.'
'કપાળ તારું. ખાંસી રોકવા આખી બાટલી ?'
'ઓત્તારીની ! આ હાળું ખરું.'
'લોકો તો સિરપમાં સોડા નાખીને ઢીંચે છે.'
'એ ખરું. દવાની દવા ને નશાનો નશો.'
'દવા ને દારૂ એ બધું જુદું નથી કૈં !'
'હા, હવે તો દવા જ દારૂ થઈ ગઈ છે !'

૦

દંડને દંડવત …

૦

પોલીસ : એઈ, માસ્ક ક્યાં છે?
ચોર : આ રહ્યું.
પોલીસ : તે ગજવામાં કેમ રાખ્યું છે?
ચોર : માસ્ક ચોરેલું છે.
પો : તે પહેર્યું કેમ નથી?
ચો : પહેરું તો ચોર લાગુને !
પો : એ તો મંત્રીઓ પણ પહેરે, ને તું તો ચોર જ –
ચો : ચોર નથી. ખાલી માસ્ક ચોર્યું છે.
પો : તે ચોર જ કહેવાય.
ચો : સોરી. માસ્ક ચોર્યું, પણ પહેર્યું નથી.
પો : પહેર્યું કેમ નથી?'
ચો : પહેરતાં આવડતું નથી.
પો : પહેરાવી આપું. બોલતો કેમ નથી?
ચો : થેંક યુ !
પો : એઈ, જાય છે ક્યાં?
ચો : હવે શું છે?
પો : દંડ લાવ.
ચો : શેનો દંડ?
પો : માસ્ક નથી પહેર્યું તેનો.
ચો : આ શું, માસ્ક પહેરેલું તો છે.
પો : પહેલાં નો'તું પહેર્યુને !
ચો : હવે તો પહેરેલું છેને !
પો : તે નહીં ચાલે.
ચો : તો કાઢી નાખું?
પો : બકવાસ નહીં ! ફાઈન ભર ! 
ચો : ફાઈન? વેરી ફાઈન !
પો : વેરી ફાઈન નહીં, ફાઈન !  દંડ !
ચો : કેટલો?
પો : હજાર રુપિયા !
ચો : પૈસા જ નથી.
પો : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ ચાલશે.
ચો : કાર્ડ હોત તો માસ્ક શું કામ ચોરતે ?

૦ 

અટપટું ચટપટું

૦

'પપ્પા, આ વિચિત્ર લિંક ભણવામાં આવી છે.'
'અરે ! આ તો deoએ મોકલી છે ! '
'એ શું છે?'
'એ પોર્ન લિંક છે.'
'એટલે શું? સમજાયું નહીં.'
'એ તો તારા deoને પણ સમજાયું નથી.'
'આવું મારે ભણવાનું?'
'મારે ભણવાનું તે તને મોકલી દીધું લાગે છે.'

૦

'હવે દાળ-શાક આવશ્યક ચીજોમાંથી પણ બાકાત?'

'હા. ગરીબો માટે ઝેર જ આવશ્યક રહ્યું છે હવે તો!'

૦

૦૦૦   

પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 30 સપ્ટેમ્બર 2020

Loading

...102030...2,1542,1552,1562,157...2,1602,1702,180...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved