Opinion Magazine
Number of visits: 9456468
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી 

સુમન શાહ|Opinion - Literature|19 March 2025

સુમન શાહ

સામાન્ય ગુજરાતી અધ્યયનકારને પ્રશ્ન થવાનો કે શી ઉપયોગીતા છે, દેરિદાની ફિલસૂફીની? લાભ શો? કોઈ પ્રગતિશીલ સુજ્ઞ જનને લાગે કે દેરિદા તો ગઈ કાલ કહેવાય, આજે શી જરૂર? આગે બઢો! 

પરન્તુ સામ્પ્રતને નિર્મમ થઈને ધ્યાનથી નીરખવાની જરૂરત છે : 

આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં જોઈ શકાય છે કે ધર્મસત્તા અને ધનસત્તા રાજસત્તાનું સ્વઅર્થે નિયન્ત્રણ કરી રહી છે. પૂછી શકે એવા સાત્ત્વિક વિદ્રોહી ચિન્તકો નથી રહ્યા. વિચારક લેખકો પણ populist – લોકપ્રિયતાવાદી – થવા લાગ્યા છે, વાચકોની સૉડમાં ભરાઈ રહે છે, વાતે વાતે સસ્તા વિચારો સાથે રમી લે છે. કેટલાક પ્રતિક્રિયાવાદીઓ પૂર્વ શ્રેષ્ઠ પશ્ચિમ નહીં કરતા નાનીમોટી અનુત્પાદક ચળવળો ચલાવે છે. ભારત શ્રેષ્ઠ છે, હતો અને હશે શૈલીના પોકારો વડે શાસકોનું પડખું સેવે છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ સાચું પણ રાજસત્તા વિદ્યાને જ અંકુશમાં લઈને પોતાના માપે વેતરી રહી છે. અધ્યાપક અને વિદ્યાર્થી કાં તો કર્તવ્યમૂઢ અને હતાશ છે અથવા પરિસ્થિતિથી દમિત-પ્રાણ છે. શક્ય નથી કે એ આગે બઢી શકે બલકે પીછેહઠનો શિકાર છે. આત્મરતિગ્રસ્ત સુ-શાન્ત વૃદ્ધ સાહિત્યકારોને ભાષા અને સાહિત્યનાં ધૉરણો અને મૂલ્યોનું ધોવાણ પરખાતું નથી. વિવેચન વળી પાછું નિદ્રાધીન છે. સમીક્ષા કોઈ પરગ્રહવાસી ચિડિયાનું નામ છે.  

હું તો ૧૯૯૭-થી સમજતો આવ્યો છું કે દેરિદાની વિચારસૃષ્ટિ બધા સમયોમાં કામ આવે છે. એની જ્ઞાનવિષયક પ્રશ્નકારકતા અને મનુષ્ય-સરજિત સંઘટ્ટન માત્રને વિઘટિત કરનારી સમીક્ષાબુદ્ધિ કદી કાલગ્રસ્ત નથી થવાની. લાભ તો એ કે વિઘટન સ્વાસ્થ્યપ્રદ છે. સંસ્કૃતિનો આજે કયો સંવિભાગ સ્વસ્થ છે કે જેના વિઘટનની આપણને જરૂરત નથી? 

આપણે એવા સમયમાં જીવીએ છીએ જે અતિ વેગીલો પણ છે. વિચાર કે લાગણી ઝાઝો સમય ટકતાં નથી, કેમ કે ટકે એ માટે કાળજી લેનારાં મનુષ્યો નાસભાગમાં હોય છે. સમ્બન્ધો વ્યવહારો કે લૅણદેણ એકેયના સદ્ સ્વરૂપને પામીએ એ પહેલાં તો એ બદલાઈ જાય છે. માણસમાં સંસ્થાઓમાં તન્ત્રોમાં કે રાષ્ટ્રમાં ભરોસો રાખીએ પણ થોડા જ વખતમાં એ દરેકનું અવિશ્વસનીય રૂપ સામે આવે છે. તેમછતાં માણસ જીવનપુરુષાર્થ પરત્વે નિષ્ઠાવાન હોય છે. સંસાર એક જૂઠાણું હોય તો પણ એને સાચો ગણવાની કેટલી તો તત્પરતા બતાવતો હોય છે! જીવન અર્થશૂન્ય છે એમ જાણવા છતાં અર્થ માટે ઘડીએ ને પલકે કેટલું તો મથતો હોય છે!

+ +

પણ એ નિષ્ઠા તત્પરતા કે મથામણને વ્યક્ત કરવાનું સાધન તો માણસ પાસે ભાષા છે. એટલે ક્રમે ક્રમે આપણે માણસો ભાષામાં અને તેથી સંભવેલી ભાષિક-પેદાશોમાં વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ. ભાષા વિનાનું જગત કેવું હશે એની કલ્પના કરી શકાય છે પણ તરત ભાન થાય છે કે હવે તો જગત પોતે જ ભાષામય છે. વ્યક્તિને થતો અસ્તિત્વબોધ પણ ભાષામય છે. જુઓ ને, નાનપણમાં ‘ક’ ‘ખ’ ‘ગ’ અને ‘પગ’, ‘વડ’ કે ‘ઢબુ’-નો ‘ઢ’ કે ‘ફૅણ’-નો ‘ણ’ આવડી ગયા પછી એ પર દૃષ્ટિ પડતાં, એ બધા અક્ષરો જરા ય ક્ષર્યા વિના જીવન્ત થઈ ઊઠતા’તા! એટલે સ્તો મોટપણે ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ ‘આતુરતા’ જેવા શબ્દો માણસને ખરા અને રણકતા લાગતા હોય છે. કોઈ કહે કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ શબ્દાવલિ મધુર પંક્તિ રૂપે ચિત્તમાં ગુંજ્યા કરે છે, માણસને થાય છે, આથી તો સાચું શું હોય વળી! 

એમાં ય જો પ્રેમપત્રમાં લખીને જણાવાયું હોય કે ‘હું તને પ્રેમ કરું છું’ તો એ વાક્યને માણસ હૃદયસ્થ કરી લેતો હોય છે. એણે ‘મા ફલેષુ કદાચન્’ વચન સાંભળ્યું હોય અને “ગીતા”-માં લિખિતરૂપમાં જુએ, એટલે સાંભળેલું એને સાચું લાગે, પ્રસન્ન થઈ જાય. મૂલ્યવાન ભાષિક-પેદાશ સાહિત્યકલા છે. પ્લેટોને ભલે એ સત્યની નકલની ય નકલ લાગી, રસિયાઓને સાહિત્યથી વધારે સાચું કશું લાગતું નથી, સાહિત્યને સવાઈ સત્ય કહીને જ જંપે છે! હકીકત એમ ઠરે છે કે લિખિત ભાષા માણસને ખાતરીથી જીવન-સંતોષ આપે છે. 

જો કે જીવનમાં બનાવો એવા બને કે પેલો લિખિત પ્રેમપત્ર કે કોઈ દસ્તાવેજ ગૂમ થઈ જાય ચોરાઈ જાય ફાટી જાય બળી જાય; અને એવું અવારનવાર બને એટલે લિખિત પરનો ભરોસો ડગી જાય, આપણે એકબીજાના બોલ પર વિશ્વાસ કરતા થઈ જઈએ. લેખનની શોધ ન્હૉતી થઈ ત્યારે તો એમ જ હતું, માણસો ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ એવી ઉક્તિ પ્રયોજતા હતા. બોલનારો આપણી સામે હોય, આપણે એની સામે હોઈએ, એથી મોટી તે કઈ ખાતરી વળી! જીવન-સંતોષ ત્યારે પણ લાધે છે. 

આમ સૌ પહેલાં ભાષામાં અને ક્રમે ક્રમે લિખિત અને વાણીસ્વરૂપ ભાષિક-પેદાશોમાં આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ.   

પરન્તુ કદી આપણે વિચાર્યું છે ખરું કે ભાષા પણ અવિશ્વસનીય ચીજ છે? પેલો સંતોષ બરાબર પણ વિચાર્યું છે કે એ ખાતરી શું છે? ‘પ્રેમ’ ‘લાગણી’ ‘શોક’ ‘વેદના’ કે ‘આતુરતા’ શબ્દો ખરા લાગેલા પણ એ શબ્દોના ખરાપણા વિશે કદી આપણને પ્રશ્ન થયો છે? લિખિત પ્રેમપત્ર સાચો પણ ‘હું તને પ્રેમ કરું છું’ એ ચારે ચાર શબ્દોના અર્થની સચ્ચાઈ વિશે કે ‘પ્રાણ જાય …’ વગેરે બોલના મતલબ વિશે એને શંકા પડેલી ખરી? સાહિત્ય સવાયું સત્ય રજૂ કરે પણ એ જેનું બન્યું છે એ ભાષા કયા સત્ય પર ઊભી છે એ સવાલ સાહિત્યકારોને થયો છે? ભાષાનો લિખિત કે ઉચ્ચરિત શબ્દમાત્ર રસળતો છે, શબ્દ પોતાનો આપે છે તે અર્થ પૂરો નથી અધૂરોપધૂરો છે એમ લાગ્યું છે ક્યારે ય? ભાષા આપણને હમેશાં પોતામાં જોતરી રાખે છે એવું સમજાયું છે કદી? શબ્દ પછી શબ્દ આપણે લવ્યા કે લખ્યા જ કરીએ છીએ પણ એ સાતત્ય અન્તહીન છે એવો વિચાર પણ આવ્યો છે? 

+ +

રીઢા ચોર જેવા આપણે ભાષા-રીઢા છીએ એટલે એવા પ્રશ્નો શી રીતે થાય? ન જ થાય. એ રીઢાપણાને કોઈ પછાડે તો આપણે ખળભળી ઊઠીએ. એવો ખળભળાટ મચાવનાર હતો ૨૦-મી સદીનો મહાન ફ્રૅન્ચ ફિલસૂફ Jacques Derrida (1930-2004). મારે ‘ઝા’ક ડે’રીડાહ્’ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા’ લખતો આવ્યો છું. દેરિદાએ પરમ્પરાઓને તળેઉપર કરી નાખી હતી; ભાષાતત્ત્વ વિશે પ્રચણ્ડ પ્રશ્નો કરીને જ્ઞાનપરક સમૂળી ક્રાન્તિ સરજી હતી. પરિણામે, સુજ્ઞજનોને સંસ્થાઓને તન્ત્રોને કે વિદ્યાશાખાઓને પુનર્વિચારની ફરજ પડી હતી. વાતાવરણમાં નવેસરનો પ્રાણસંચાર થયો હતો.

‘ઝા‘ક ડે‘રીડાહ્‘ લખવું જોઈએ, પણ હું ‘ઝાક દેરિદા‘ લખતો આવ્યો છું

દેરિદાનાં બે જ્વલન્ત મન્તવ્યો :

૧

દેરિદાએ પહેલું મન્તવ્ય ફરિયાદ રૂપે રજૂ કર્યું. એમ કે પશ્ચિમની ફિલસૂફીવિષયક સમગ્ર પરમ્પરા logocentric છે. એમ કહીને એમણે લોગોસૅન્ટ્રિક પરમ્પરાનો છેદ ઉડાવ્યો એ ૨૦-મી સદીની મહત્તમ બૌદ્ધિક ઘટના છે. એમાં કૃતિથી સંસ્કૃતિ સુધી વિસ્તરેલા જ્ઞાન-પુરુષાર્થને તેમ જ પરિવારથી રાષ્ટ્ર લગી વિકસેલા વ્યવસ્થા-તન્ત્રને ચકાસવાનો પ્રચ્છન્ન આદેશ છે. એમાં આત્મનિરીક્ષણ અને પરીક્ષણ આધારિત પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકનની તકો છે.

‘લોગોસ’ એટલે, સામાન્યપણે, શબ્દો. જેના કેન્દ્રમાં શબ્દ, વિચાર, તર્ક, સિદ્ધાન્ત અને વાણીની સ્થાપના થઈ હોય, આધિપત્ય ઊભું થયું હોય, એ ફિલસૂફી લોગોસૅન્ટ્રિક છે. સમજાય છે એવું કે એથી જ જાણે વાસ્તવિકતાનો બોધ થવાનો હોય. બાકી, અર્થ કે સત્યને વ્યક્ત કરવા શબ્દો કે તર્કને અગ્રિમતા આપવાની જરૂરત નથી. અન્ત:સ્ફુરણા કલ્પનો પ્રતીકો લાગણીઓ ભાવભાવનાઓ કે સૂઝબૂઝથી પણ એ કામ થઈ શકે છે. રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો સાંસ્કૃતિક આવિષ્કારો કે જીવનમાં પ્રવેશતી રહેતી ફૅશનો પણ એ કામ કરી શકે છે. 

એક અધ્યેતા તરીકે હું જોઈ શકું છું અને અનેક અધ્યેતાઓ જોઈ શક્યા છે, કે દેરિદા શબ્દથી સંજ્ઞા ભણી, ભાષાવિજ્ઞાનથી સૉસ્યૂરના સંકેતવિજ્ઞાન ભણી, નૉમિનોલૉજીથી હ્યુસેર્લની ફીનૉમિનૉલૉજિ ભણી, ખાસ્સું વળ્યા છે. એટલું જ નહીં, સંરચનાવાદી વિચાર પછીના અનુ-સંરચનાવાદી વિચારને વિકસાવી રહ્યા છે. મારે અહીં જ ઉમેરવું ઘટે કે સંરચનાવાદ માનવીય અનુભવના ઘડતરમાં ભાષા સંસ્કૃતિ સમાજ જેવી અન્તર્ગત સંરચનાઓને સ્થિર અને સાર્વત્રિક ગણે છે. જ્યારે, અનુ-સંરચનાવાદ સંરચનાઓ અને અર્થોને power dynemics-થી, સત્તાકીય ગતિવિધિથી, નિયન્ત્રિત તેમ જ અસ્થિર અને પ્રવાહી ગણે છે. બન્ને વચ્ચેનો એ ઓછામાં ઓછો પણ પાયાનો તફાવત છે. 

આ સ્થિત્યન્તરને હું બીજા શબ્દોમાં મૂકું : જગપ્રસિદ્ધ ગ્રન્થ “Critic of Pure Reason”-ના રચયિતા જર્મન ફિલસૂફ Immanuel Kant (1724-1804) અનુભવોના જગતને phenomena અને ઇન્દ્રિયબોધોથી સ્વતન્ત્રપણે અસ્તિત્વ ધરાવતી વસ્તુઓના જગતને noumena કહે છે. કાન્ટ અનુસાર, જ્ઞાન અનુભવોથી સીમિત છે અને માણસનો વસ્તુઓમાં સીધો પ્રવેશ નથી. એટલે સમજદારીના વિષયમાં તર્કની ભૂમિકા અનિવાર્ય છે. એ વાત ખરી પણ એ દૃષ્ટિમતિ લોગોસૅન્ટ્રિક છે. એથી વિરુદ્ધ, ફીનૉમિનોલૉજિ અનુભવોનું અધ્યયન છે, જિવાયેલા અનુભવો અને ચેતના પર ભાર મૂકે છે, અને ભાષાથી અતિરિક્ત વસ્તુઓના સત્ત્વનો વિચાર કરે છે. એ અભિગમ નૉન-લોગોસૅન્ટ્રિક છે. 

ભાષાવિજ્ઞાન ભાષિક નિયમો અને સંરચનાઓનું અધ્યયન છે. એમાં વ્યાકરણ વાક્યાન્વય કે ધ્વનિતન્ત્રનો વિચાર કરવામાં આવે છે. જ્યારે સંકેતવિજ્ઞાન શબ્દો સંજ્ઞાઓ શબ્દેતર પ્રતીકો રંગો ઇશારાઓ ચેષ્ટાઓ રીતરિવાજો કે ફૅશનોનું અધ્યયન છે. આગળ વધીને સંકેતવિજ્ઞાન વિચારે છે કે અમુકતમુક સાંસ્કૃતિક સંદર્ભોમાં સંજ્ઞાઓ અને પ્રતીકો કઈ રીતે અર્થો સરજે છે. આ નૉન-લોગોસૅન્ટ્રિક અભિગમ છે કેમ કે એમાં દૃઢ મન્તવ્ય પ્રવર્તે છે કે અર્થો માત્ર ભાષાસાધિત નથી પણ સંકેતીકરણના વિવિધ જીવનવ્યવહારોનું પરિણામ છે. 

Ferdinand de Saussure (1857-1913) સ્વિસ ભાષાવિજ્ઞાની હતા. એમણે શબ્દ અથવા સંજ્ઞા અને અભિવ્યક્તિ માટે ‘સંકેતક’ અને એથી જે સૂચવાય તેને માટે ‘સંકેતિત’ વિભાવો રજૂ કર્યા. એ કારણે એ વિજ્ઞાન સંકેતવિજ્ઞાન કહેવાયું. Edmund Husserl (1859-1938) જર્મન ફિલસૂફ હતા. ફિનોમિનૉલોજિના પિતા મનાય છે. એમણે ચેતનાને સમજવા માટે આત્મલક્ષી અનુભવ અને વ્યક્તિના આશય ભાર મૂક્યો હતો. બન્ને વિદ્વાનોએ પોતપોતાના દૃષ્ટિકોણથી વાત તો એ જ કરી કે અર્થ કેવી રીતે ‘કન્સ્ટ્રક્ટ’ થાય છે, પણ દેરિદાએ દર્શાવ્યું કે ‘ડીકન્સ્ટ્રક્ટ’ કરીએ તો જ સમજાય કે કેવી રીતે થાય છે. ‘કન્સ્ટ્રક્શન’-ને હું ‘સંઘટ્ટન’ કહું છું, ‘ડીકન્સ્ટ્રક્શન’-ને ‘વિઘટન’.

દેરિદા સ્વયંની વ્યક્તિતા મને વિઘટનશીલ વરતાય છે. સૉસ્યૂર અને હ્યુસેર્લના વિશ્વમાં ઊંડે ઊતરીને પણ દેરિદાએ બન્નેના અભિગમોની ટીકાટિપ્પ્ણી કરી અને બન્નેના પાયા હચમચાવ્યા. દેરિદાનું કહેવું એમ છે કે આપણે બધું વિઘટિત કરીએ, ભાષા અર્થો અને અનુભવોની સીમાઓને ઉથલાવીએ, તો જ સત્યો હાથ આવે.

સૉસ્યૂરના સંકેતક-સંકેતિત ખયાલને દેરિદાએ સંરચનાવાદી કહીને પડકાર્યો. સૉસ્યૂરની સંરચનાવાદી દૃષ્ટિનો વિકાસ સંકેતવિજ્ઞાન રૂપે થયો એ બરાબર પણ દેરિદા એને પશ્ચિમની ફિલસૂફીની છેલ્લી હાંફ – final gaspe – ગણે છે એટલે કે, નાભિશ્વાસ! મૅટાફિઝિકલ સિસ્ટમ્સનો નાભિશ્વાસ! પ્લેટો-ઍરિસ્ટોટલથી પ્રારમ્ભાયેલી અને હાઇડેગર લગી પાંગરેલી યુરોપીય વિચારપ્રણાલિનો નાભિશ્વાસ! એ પૂર્વકાલીન સઘળાને દેરિદાએ લોગોસૅન્ટ્રિક કહીને પડકાર્યું અને દર્શાવ્યું કે સંકેતક-સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ સૉસ્યૂર કહે છે તેવો સ્થિર નથી. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ ફ્રૅન્ચ શબ્દ différance-ની વિભાવના રજૂ કરી અને જણાવ્યું કે અર્થો હમેશાં તફાવતને વરેલા અને વિલમ્બિત હોય છે, પ્રવહમાણ અને રમતા રહેતા લીલામય હોય છે, સ્થિર નહીં. 

Presence of meaning અને intentionality વિશેના હ્યુસેર્લના વિચારો સાથે દેરિદા જરૂર જોડાયા છે. માનવચેતના ખુરશીને બેસવાના આશયથી જુએ-અનુભવે, એ છે ખુરશીનો ઉપસ્થિત, હાજરાહજૂર અર્થ, અપરોક્ષ અનુભવ. પણ પ્રેઝન્સનો એવો જે મહિમા હ્યુસેર્લે કર્યો એ બાબતને દેરિદાએ પડકારી છે. પોતાનું મન્તવ્ય દર્શાવવા દેરિદાએ trace અને absence વિભાવો રજૂ કરીને જણાવ્યું છે કે અર્થ એમ અનુભવાય નહીં કેમ કે એ બદલાતો રહેતો પદાર્થ છે, વળી, જે હાજર નથી એ અનુપસ્થિતનાં ‘નિશાન’ લઈને આવ્યો હોય છે; કદી પૂરા સ્વરૂપે હોતો નથી.  

૨

દેરિદાએ બીજું મહા મન્તવ્ય એ ઉચ્ચાર્યું કે – there is nothing outside the text. (ફ્રૅન્ચ – Il n’y a pas de hors-texte). ટૅક્સ્ટ બહાર કશું નથી. તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ infinite અને boarderless ટૅક્સ્ટ છે, એને નથી સીમા કે નથી અન્ત. જો કે એથી જ આપણે વિશ્વને સમજી શકીએ છીએ કેમ કે માનવીય અનુભવની સમગ્રતાને આવરીને બેઠી છે એ ટૅક્સ્ટ. (‘ટૅક્સ્ટ’ શબ્દનો ગુજરાતી પર્યાય ‘પાઠ’ ‘વાચના’ કે ‘કૃતિ’ હું નહીં પ્રયોજું કેમ કે અહીં નભી શકે એમ નથી, કોઈક સ્થાને નભશે ત્યારે પ્રયોજીશ.)

માણસને પોતાની ભાષામય પરિસ્થિતિ અસ્તિત્વબોધ સંદર્ભે યોગ્ય લાગતી હોય તો એને સમજાઈ જવું જોઈશે કે એ પરિસ્થિતિ એક ટૅક્સ્ટ છે અને ‘વાંચી’ શકાય એવી છે, એને ‘વાંચવી’ એ એનું માનવીય કર્તવ્ય છે. એના કોઈપણ અંશને ‘વાંચી’ શકાય છે, વિશ્લેષણ કરી શકાય છે. એ માટેના ઉપકરણને દેરિદા deconstruction કહે છે. તદનુસારનું વિશ્લેષણ કોઈપણ સમયમાં કોઈપણ બાબતની ઉચિત સમજ માટે ચાવીરૂપ તેમ જ ઉપકારક નીવડી શકે છે. વિઘટન-વિચારની એ સાર્વત્રિક સર્વકાલીન લાક્ષણિકતાને કોઈપણ ભાવિ ફિલસૂફી નામશેષ નહીં કરી શકે. 

=== ગુજરાતી સાહિત્ય પરિષદ : ‘પરબ’ માર્ચ ૨૦૨૫-માં પ્રકાશિત લેખ ===

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુ.સી.સી.નો ઉત્તરાખંડ નમૂનો સુધારચળવળને સ્વીકાર્ય નથી   

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2025

યુનિફોર્મ સિવિલ કોડ એ સુધારેલા હિન્દુ કાયદાની બેઠ્ઠી નકલ ન હોઈ શકે: મુદ્દો કથિત ધર્મસ્વાતંત્ર્યનો નહીં પણ ‘જેન્ડર જસ્ટિસ‘ જેવાં નવ્ય મૂલ્યોને ધોરણે નવવિધાનનો છે

પ્રકાશ ન. શાહ

ગઇ ચોથી ફેબ્રુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વડા પ્રધાન મોદીના દર્શન’ મુજબ ગુજરાતમાં પણ ઉત્તરાખંડની વાંસોવાંસ યુ.સી.સી. કહેતાં યુનિફોર્મ સિવિલ કોડનું ભર્યું નાળિયેર રમતું મૂક્યું છે. ઉત્તરાખંડમાં આ મુદ્દે ન્યાયિક ક્ષેત્રે અગ્રભૂમિકા ભજવનાર, સર્વોચ્ચ અદાલતનાં સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ રંજનાકુમારીના જ નેતૃત્વમાં ગુજરાતમાં પાંચ સભ્યોની સમિતિએ યુ.સી.સી. મુદ્દે તાગ લેવાનો ને તોલ બાંધવાનો તેમ કાનૂન વાસ્તે જરૂરી ખરડો ઘડી કાઢવાનો હવાલો સંભાળ્યો છે. યુ.સી.સી.ના ક્ષેત્ર વિશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરંભે જ સ્પષ્ટતા કરી દીધી છે કે આદિવાસીઓની રૂઢિપરંપરાનો આદર થશે, એમાં કોઈ દખલ કરવામાં નહીં આવે. ઉત્તરાખંડમાં પણ આ જ વલણ હતું. હવે, રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 આરક્ષિત મળી અંદાજે 40 જેટલી બેઠકોમાં વર્ચસ ધરાવતા આદિવાસી મતદારો બાબતે આશ્વસ્ત થયા પછી સદરહુ સમિતિએ, રાજ્ય સરકારે  અને સવિશેષ અલબત્ત સત્તાપક્ષે આશરે નવ ટકે પહોંચતી મુસ્લિમ વસ્તે બાબતે કદાચ ઝાઝી ચિંતા કરવા જેવું ન હોય કેમ કે વિશાળ હિંદુ બહુમતી વત્તા 14 ટકા આદિવાસી વસ્તીને તો આ બાબતમાં સરવાળે કશું નવેસર ના’વાનીચોવાનું ક્યાંથી હોય. 

પ્રગતિશીલ કાનૂનસુધારની ચર્ચા કરતી વેળાએ ગુજરાતની વસ્તીની ટકાવારીને ધોરણે વાત કરવી આપણે સામાન્યપણે પસંદ નયે કરીએ. પણ શું ઉત્તરાખંડમાં કે શું ગુજરાતમાં, હરીફરીને આ મામલો જાડી રીતે એક યા મુસ્લિમ લઘુતમી તો બીજી પા બિનમુસ્લિમ કહેતાં હિંદુ બહુમતી એવો બની રહે છે તે એક વાસ્તવિકતા છે. 

એક અવાજ આછોપાતળો પણ આ દિવસોમાં ગુજરાતમાં સંભળાવા લાગ્યો છે – રિજેક્ટ યુ.સી.સી.. અહીં પ્રામાણિકતાથી ભલે પ્રાથમિક સ્તરે પણ મારે એક વિધાન કરવું જોઈએ કે સિવિલ કોડ કહેતાં, કુટુંબકાયદાઓમાં સમાનતા અગર સમરૂપતા આણવાનો વિચાર ચોક્કસ સંદર્ભમાં તત્ત્વતઃ ખોટો નથી. આંબેડકરે જ્યારે હિંદુ કોડ બિલની દિશામાં પ્રારંભિક કામગીરી હાથ પર લીધી ત્યારે જેમ બંધારણ બાબતે તેમ હિંદુ કુટુંબકાયદે પણ મનુસ્મૃતિ શું ખોટી એ પ્રકારની દલીલ આજે આગળ કરાતા ‘દર્શન’ના તત્કાલીન આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોની હતી. નેહરુના નેતૃત્વમાં જે પ્રક્રિયા ચાલી તેણે આ આગેવાનોથી ઉફરાહે પ્રગતિશીલ કાનૂનસુધારનો રાહ 1955માં લીધો એ ઇતિહાસવસ્તુ છે. એ જ ધોરણસર આજે હિંદુ-સ્તર તબક્કામાં કાનૂની સુધારની વાત મુદ્દલ ખોટી નથી. તેમ છતાં, રૂઢિચુસ્ત વર્તુળોની બહારથી પણ ‘રિજેક્ટ યુ.સી.સી.’ એવો પ્રતિભાવ ઊઠતો હોય તો વિપળવાર થંભીને એ બાબતે વિચાર કરવો રહે છે. 

ઉત્તરાખંડમાં ભા.જ.પ. સરકારે પસાર કરેલ યુ.સી.સી.ની વિગતોમાં નહીં જતાં એક સામાન્ય અવલોકન ખસૂસ નોંધીશું કે હિંદુ-ઇતર નાગરિકો પર બહુધા હિંદુ મુદ્રાનો આ નવો કાયદો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે જેમ ‘તીન તલાક’નો ચાલ ગયો તેમ બહુપત્નીત્વનો ખયાલ પણ ધર્મસ્વાતંત્ર્યનું ઓઠું લઈને ન ચાલી શકે તેમ પણ સમજાય એવો મુદ્દો છે. પણ યુ.સી.સી. અંગે આ તો એક તરેહનું સમલીકરણ ને સપટબયાની છે. આંબેડકર-નેહરુ પ્રક્રિયામાં આવેલ હિંદુ સિવિલ કોડમાંયે હજુ સુધારાને અવકાશ છે, અને હાલની યુ.સી.સી. ઉડ્ડાનમાં એને ખાસો અવકાશ છે, કેમ કે યુ.સી.સી. એટલે હિંદુ સિવિલ કોડ બધે ફિટ કરી દેવો એવું નથી. ‘જેન્ડર જેસ્ટિસ’ જેવાં નવ્ય મૂલ્યોના ઉજાસમાં સ્ત્રીપુરુષ સમાનતાને મુદ્દે હાલનો હિંદુ સિવિલ કોડ પણ તપાસને દુરસ્તી માગી લે છે. શાહબાનું ચુકાદા વખતથી મુસ્લિમ પર્સનલ લૉ બાબતે નાગરિક પુનર્મૂલ્યાંકનની તાકીદ સમજાઈ છે એ તો ઠીક જ છે. પણ યુ.સી.સી. જો મુસ્લિમ પર્સનલ લૉમાં નવ્ય સુધાર ઇચ્છે છે તો સુધરેલો હિંદુ કોડ પણ જ્યાં જ્યાં ખોડંગાય છે ત્યાં સુધારો અનિવાર્ય છે. 

‘રિજેક્ટ યુ.સી.સી.’ એ પ્રતિભાવ અગર પ્રતિક્રિયાને ઉપરટપકે નહીં જોતાં વ્યાપક સંદર્ભમાં જોવાપણું છે એટલું જ કહીશું.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 માર્ચ 2025

Loading

પ્યારા બાપુ

નિર્મળાબહેન શાહ|Gandhiana|18 March 2025

ગાંધીજીને આપણે પુત્ર, પતિ, પિતા અને નેતાના સ્વરૂપમાં જોયા હોય; પણ એમનું સાચું સ્વરૂપ તો બાપુના રૂપમાં જોવા મળતું.

પિતા પોતાના કુટુમ્બને માટે જે પ્રમાણે કાળજી રાખે છે અને દૂર રહેવાનું થાય તે અકળાઈ જાય છે, તેમ ગાંધીજીને પણ આશ્રમથી દૂર રહેવાનું બનતું તો તેમને ગમતું નહીં. દૂર રહે તો પણ તેમનું મન તો આશ્રમમાં ને આશ્રમમાં જ રહેતું હતું.

એક વાર ગાંધીજી દિલ્હી આવ્યા હતા, પણ સેવાગ્રામ પાછા ફરવાની તેમને તાલાવેલી લાગી હતી. જ્યારે એમણે જોયું કે જલદી પાછા નહીં જવાય, ત્યારે તેમણે મહાદેવભાઈને ઝટ સેવાગ્રામ પાછા ફરવા કહ્યું. કામ તો ખૂબ જ પડેલ હતું અને વિકટ પ્રશ્ન પણ સામે હતા, છતાં ય તેઓ જવા માટે આટલી બધી ઉતાવળ શા માટે કરે છે એ બિરલાજીને સમજાયું નહીં. તેમણે કહ્યું. “આટલું બધું કામ હોવા છતાં તમે મહાદેવભાઇને મોકલવાની ઉતાવળ કરો છો તે મને ગમતું નથી.” 

ગાંધીજીએ કહ્યું: “પણ મારી જવાબદારીનો તો ખ્યાલ કરો?! હું તો સેવાગ્રામમાં એક ટોળું લઈને બેઠો છું. ત્યાં દરદીઓ તો છે જ, પણ ગાંડપણે ય છે. કોઈ કોઈ વાર તો મનમાં થાય છે કે બસ હવે બધાંને છોડી દઉં અને કેવળ મહાદેવને જ પાસે રાખું. બા ઈચ્છે તો તે પણ રહે. પણ જ્યાં સુધી આ ટોળાની જવાબદારી લઈને બેઠો છું ત્યાં સુધી તો મારે જવાબદારી નભાવવી જ જોઈએ. આથી જ મારું શરીર તો દિલ્હીમાં છે પણ મારું મન સેવાગ્રામમાં છે.”

બાપુ તો આશ્રમના પ્રાણ હતા. બાપુજી વહાલસોયા પિતાની માફક બધા આશ્રમવાસીઓ તરફ પ્રેમ દાખવતા. જ્યારે અમારી બુદ્ધિ કામ ન કરતી ત્યારે અમે થાકીને શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં બેસતાં અને જ્ઞાન શ્રવણ કરતાં. જ્યારે બાપુ સૂવા જતા કે જમવા જતા અથવા તો એકલા હોય ત્યારે પાસે બેસતાં અને પગ દાબતાં, તે વખતે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. અનેક મીઠી મશ્કરીઓ પણ કરતાં. આવે સમયે બાપુ પાસે રહેનારને બાપુને મીઠો પ્રેમ મળતો. ગાંધીજીનાં બે રૂપ હતાં – એક મહાત્મા ગાંધીનું અને બીજું  અમારા વહાલસોયા બાપુનું.

બાપુજી જેટલો પ્રેમ પોતાના પુત્રો પર દાખવતા હતા તેટલો બીજાં પર પણ દાખવતા હતા.  ફિનિકસ આશ્રમનો આ પ્રસંગ છે. એક રવિવારે વાદળાં ઘેરાયેલા હતા અને ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આવે વખતે આશ્રમનાં નાનાંમોટાં સર્વે નાના ધોધ જોવા નીકળ્યા હતા. બાપુજી ત્યાં નહોતા આવ્યા. ત્યાં એવો નિયમ હતો કે એક વાર નિશ્ચય કરે એટલે તેનો અમલ કરવો જ જોઈએ, અને ન કરે તો કાયર ગણાય. આથી વરસાદ હતો છતાં ય ધોધ જોવા માટે સર્વે ગયાં. પહાડી રસ્તો હતો અને સાથે બોજો હતો તેથી નાના વિદ્યાર્થીઓને કેટલીક વાર ઊંચકી લેવા પડતા. પાછું આવતા અંધારું થઈ ગયું તેથી બાપુજીને ચિંતા થઈ અને તેઓ સૌને શોધવા માટે નીકળ્યા. આશ્રમથી માઈલ દૂર અમારો ભેટો થઈ ગયો. છોકરાં બાપુને વળગી પડ્યાં. બે નાના વિદ્યાર્થીઓને તો બાપુએ તેડ્યા પણ ખરા. છોકરાઓએ ના પાડી પણ બાપુ શેના માને? અને માને તો બાપુ શેના?

બાપુજી ભલે મહાત્મા તરીકે કે પ્રખર રાજ્યકર્તા તરીકે વિખ્યાત હોય, પરંતુ તેઓ તો સૌના વહાલસોયા બાપુ બનવા જ ઈચ્છતા હતા અને એ આપણા સૌના બાપુ બની પણ શક્યા ખરા. જુહૂ તટ પરનો પ્રસંગ છે. કમળાદેવી ચટ્ટોપાધ્યાય પ્રાર્થના પૂરી થયા પછી બાપુની પાસે ગયાં. બાપુ એ વખતે બાળકોને ફળ વહેચતા હતા.

વાર્તાલાપ પૂરો થયા પછી કમળાદેવીએ વંદન કર્યાં. બાપુએ એમને એમને એક ફૂલનો હાર ને કેરી આપ્યાં. કમળાદેવી હસતાં હસતાં ધીમે સાદે બોલ્યાં, “શું હું પણ નાની બાળક છું?” બાપુ બોલ્યા : “આપ બચ્ચી નહીં, મગર બાપુ તો બાપુ હૈ!”

[‘ગાંધીજી બાપુ તરીકે’]
18 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 258

Loading

...102030...214215216217...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved