Opinion Magazine
Number of visits: 9663926
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિલી હવાઓં મેં ઊડને કી વો સઝા યારોં …  

સોનલ પરીખ|Opinion - Opinion|15 July 2025

પ્લેન ઊડે, ઉપર ચડે, નીચે ઊતરે, ક્યારેક પડી જાય, પણ ખોવાઈ જાય એવું બને? હા, પ્લેન ખોવાયાનો પણ એક ઇતિહાસ છે …  

સોનલ પરીખ

‘મને વિમાનમાં બેસતાં બીક લાગે છે’ તનુએ કહ્યું ત્યારે તેના પિતા હસી પડ્યા, ‘તને ખબર છે, વિમાનમાં બેસવામાં સૌથી ઓછું જોખમ છે.’ 

વાત સાવ સાચી છે. રસ્તા પર કે ટ્રેનોમાં થતાં અકસ્માતોના પ્રમાણમાં વિમાનની દુર્ઘટનાનું પ્રમાણ ઘણું ઓછું છે. પણ જે ઝડપે તે થાય છે અને જે રીતે સેંકડો માણસો પળભરમાં ખલાસ થઈ જાય છે, એ જોતાં લોકોને તેનો ડર કદાચ સૌથી વધારે લાગતો હશે. અમદાવાદમાં વિમાન ક્રેશ થયું તેની મિનિટોમાં આકાશમાં ગાઢ કાળા ધુમાડા હતા અને જમીન પર બળેલા મૃતદેહો અને કાટમાળ.

ભારતમાં સૌથી પહેલી વિમાની દુર્ઘટના 1938માં થઈ હતી. એ એર ફ્રાન્સનું વિમાન હતું. વિશ્વનો સૌથી પહેલો વિમાની અકસ્માત 1785માં આયર્લેન્ડમાં થયો હોવાનું નોંધાયું છે. 1945થી 2021 સુધીમાં સૌથી વધારે વિમાની અકસ્માત થયા હોય એવાં દેશોમાં ભારતનું નામ પણ છે. સૌથી મોટી હવાઈ દુર્ઘટના જાપાન એરલાઇન્સમાં 1985માં બની હતી જેમાં 500થી વધારે મૃત્યુ થયાં હતાં.

પ્લેન ઊડે, ઉપર ચડે, નીચે ઊતરે, ક્યારેક પડી જાય, પણ ખોવાઈ જાય એવું બને? હા, પ્લેન ખોવાયાનો પણ એક ઇતિહાસ છે. ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં આવેલા કુખ્યાત બર્મુડા ત્રિકોણમાં એક અંદાજ મુજબ વીસેક એરોપ્લેન ગુમ થઈ ગયાં છે. બર્મુડા ત્રિકોણ એ ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક પ્રદેશ છે જે અમેરિકાના દક્ષિણપૂર્વ કિનારા, બર્મુડા અને ગ્રેટર એન્ટિલેસ (ક્યુબા, હિસ્પેનિઓલા, જમૈકા અને પ્યુઅર્ટો રિકો) ટાપુઓથી ઘેરાયેલો છે. 1945માં આ વિસ્તારમાં ત્રણચાર મહિનાના અંતરે બે વિમાનો ગુમ થયાં. છેલ્લી ઘટના 2017માં બની, જો કે એનો કાટમાળ પછીથી મળી આવ્યો હતો. નિષ્ણાતો કહે છે કે કેટલાક લેખકોએ બર્મુડા ટ્રાયેંગલને બદનામ કર્યો છે, પણ ત્યાં વિશ્વમાં સૌથી વધુ ખોવાયાની ઘટના બને છે એમ નથી. બર્મુડા ત્રિકોણમાં ગાયબ થયેલા જહાજો અને વિમાનોની ચોક્કસ સંખ્યા જાણી શકાતી નથી. 

બર્મ્યુડા ટ્રાયેંગલ જેવો જ રહસ્યમય અલાસ્કા ટ્રાયેંગલ છે. એ પ્રમાણમાં ઓછો જાણીતો છે. 1970ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધીમાં ત્યાં 20,000 જેટલા લોકો ગુમ થયા છે. અલાસ્કા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સંભવત: સૌથી મોટું પણ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે. શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે 11° સેન્ટિગ્રેડ થઈ જાય છે. ઉનાળામાં વધારેમાં વધારે તાપમાન 14° સે. હોય છે. અલાસ્કા ત્રિકોણ એ ઉટકિયાવિક, એનકોરેજ અને જુનેઉ વચ્ચેનો દુર્ગમ જંગલવિસ્તાર છે. ગુમ થયેલી વ્યક્તિઓના કેસ એને લીધે વણઉકલ્યા રહી જાય છે. 

પણ 2014માં મલેશિયાથી બીજિંગ જતું એક વિમાન રહસ્યમય રીતે ગુમ થઈ ગયું એ ઘટનાને એવિએશન ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. આજ સુધી તેનું રહસ્ય ઉકલ્યું નથી. નેટફ્લિક્સ પર આ વિમાન ઊડ્યું ત્યારથી માંડી એનું શું થયું હશે તેની થિયરીઓ સહિત ત્રણ હપ્તાની ડોક્યુમેન્ટરી ‘એમ.એચ. 370 ધ પ્લેન ધેટ ડિસએપિયર્ડ’ છે, જે જોઈને હવાઈ સફરની અનિશ્ચિતતા અને વિશ્વમાં ચાલતા રાજકીય પ્રવાહો સાથે એના અનુસંધાન વિષે વિચાર કરતા થઈ જવાય. 

ફ્લાઇટ 370 8 માર્ચ 2014, શનિવારે મલેશિયાના કુઆલાલંપુરથી ચીનના બેઇજિંગ સુધી જતી બે દૈનિક ફ્લાઇટોમાંની એક હતી. સ્થાનિક સમય અનુસાર એ રાતે 12.35ના ઊપડી સવારે 6.30 વાગ્યે બીજિંગ પહોંચવાની હતી. એ પેસેન્જર જેટ બોઈંગ 777 વિમાન હતું. તેમાં બે પાઇલટ, 10 કેબિન ક્રૂ, 227 મુસાફરો અને 14,296 કિલો કાર્ગો હતા.

રાત સ્વચ્છ હતી, હવામાન બરાબર હતું. એક વાગ્યા પછી મલેશિયાની આકાશી સીમા છોડી વિમાન આગળ વધ્યું. દોઢેક વાગ્યા સુધી વિમાન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના બરાબર સંપર્કમાં હતું. ત્યાર પછી સંપર્ક કપાઈ ગયો અને તે રડાર પર દેખાતું બંધ થઈ ગયું. એ વખતે તે મલેશિયા અને થાઈલેન્ડ વચ્ચે ગલ્ફ ઑફ થાઈલેન્ડ પર ઉડતું હતું. વિમાન દેખાતું બંધ થયું કે તરત મલેશિયાએ થાઈલેન્ડ, હોંગકોંગ, વિયેતનામ અને ચીનને પણ એનો સંપર્ક કરવા વિનંતી કરી. સૌ કામે લાગ્યા, સંપર્ક થયો નહીં.

અઢી વાગ્યે તેને ખોવાયેલું માની લેવામાં આવ્યું. સૌની પહેલી ચિંતા એ હતી કે મુસાફરોના પરિવારને અને મીડિયાને શું કહીશું? મુસાફરી સાડાપાંચ કલાકની હતી, એરક્રાફ્ટમાં સાત કલાક ચાલે એટલું ઈંધણ હતું – ત્યાર પછી? વિમાનમાં ચીનના મુસાફરો સૌથી વધારે (153) હતા. ભારતના પણ પાંચ મુસાફરો હતા. 

તરત વિમાનો છૂટ્યાં, જહાજો દોડ્યાં. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ હિંદ મહાસાગરથી મધ્ય એશિયા સુધી શોધ-અભિયાન શરૂ થયું. શું થયું હશે તેની અટકળો ચાલી. દરિયામાં તૂટી પડ્યું? પણ તો પછી દિવસો સુધી તેનો કાટમાળ સપાટી પર તરતો કેમ ન દેખાયો? હાઈજેક થયું? પણ તો પછી તેના કોઈ સમાચાર કેમ ન મળ્યા? જાવાનાં જંગલોમાં તૂટી પડ્યું? એક પાઈલોટ અંગત જીવનમાં મુશ્કેલીમાં હતો તો આ શું પૂર્વયોજિત પાઇલટ-પ્રેરિત સામૂહિક હત્યા – આત્મહત્યા હતી? કાર્ગોમાં 2.5 ટન ઈલેક્ટ્રોનિક્સ હતાં. એકસરે મશીનોમાંથી એ કેવી રીતે પસાર થયાં? અમેરિકાને ખબર પડી હોય કે ‘પ્રૉબ્લેમેટિક’ કાર્ગો ચીન જઈ રહ્યા છે અને એટલે એને સપડાવ્યું અને તોડી પાડ્યું? 

વિમાનની શરૂઆતની શોધ દક્ષિણ ચીન સમુદ્ર પર કેન્દ્રિત હતી. ટ્રાન્સપોન્ડર બંધ થયાના થોડા સમય પછી ફ્લાઇટ 370 પશ્ચિમ તરફ વળ્યું હોવાનું નક્કી થયા પછી, શોધ-પ્રયાસો મલાક્કાની સ્ટ્રેટ અને આંદામાન સમુદ્ર તરફ ગયા. વિમાન બે ચાપ પર ક્યાં ય પણ હતું – એક જાવાથી દક્ષિણ તરફ ઓસ્ટ્રેલિયાના દક્ષિણપશ્ચિમમાં હિંદ મહાસાગરમાં અને બીજી એશિયામાં ઉત્તર તરફ વિયેતનામથી તુર્કમેનિસ્તાન સુધી ફેલાયેલી હતી. અંતિમ સંકેતોના વિશ્લેષણના આધારે, ઇનમારસેટ અને યુ.કે. એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે (એ.એ.આઇ.બી.) તારણ કાઢ્યું કે વિમાન ઓસ્ટ્રેલિયાથી 2,500 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હિંદ મહાસાગરના દૂરના ભાગમાં ક્રેશ થયું હશે. પણ કાટમાળ ક્યાં?  

6 એપ્રિલે એક ઓસ્ટ્રેલિયન જહાજને પાર્થથી 2000 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં બોઇંગ 777ના ફ્લાઇટ રેકોર્ડર – બ્લેક બોક્સમાંથી ઘણા એકોસ્ટિક પિંગ (એક પ્રકારના સિગ્નલ) મળ્યા. રોબોટિક સબમરિનનો ઉપયોગ કરીને વધુ શોધ હાથ ધરવામાં આવી. પણ કશું મળ્યું નહીં. 

કાટમાળનો પહેલો ટુકડો 29 જુલાઈ, 2015માં ફ્રેન્ચ ટાપુ રિયુનિયનના દરિયાકિનારા પર જમણી પાંખનો ટુકડો મળી આવ્યો. પછીના દોઢ વર્ષમાં ટાન્ઝાનિયા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર અને મોરેશિયસના કિનારે કાટમાળના 26 વધુ ટુકડા મળી આવ્યા. જે સૂચવે છે કે પ્લેન તૂટી ગયું હતું, પરંતુ પ્લેન હવામાં તૂટી ગયું હતું કે સમુદ્ર સાથે અથડાતાં તે નક્કી કરી શકાયું નહીં. કેટલાક સંશોધકો નોંધે છે કે ફ્લાઇટ 370 પાણીમાં ઊભી રીતે અથડાઈ હોઈ શકે છે. 

જાન્યુઆરી 2017માં મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનની સરકારોએ ફ્લાઇટ 370ની શોધ બંધ કરી દીધી. એક અમેરિકન કંપની ઓશન ઇન્ફિનિટીને મે 2017 સુધી શોધ ચાલુ રાખવા માટે મલેશિયા સરકાર તરફથી પરવાનગી મળી હતી, પણ કશું આગળ વધ્યું નહીં. જુલાઈ 2018માં મલેશિયાની સરકારે ફ્લાઇટ 370ના ગુમ થવા અંગેનો અંતિમ અહેવાલ જાહેર કર્યો પણ સંશોધનો કે તપાસોથી ફ્લાઇટ 370 શા માટે ગાયબ થઈ તે નક્કી થઈ શક્યું નહીં. અમદાવાદ જેવી કોઈ દુર્ઘટના બને ત્યારે આ કિસ્સો યાદ આવે છે અને ફરી ભુલાઈ જાય છે.

યાદ આવે છે વસીમ બરેલવીની પંક્તિઓ, ‘મિલી હવાઓં મેં ઊડને કી વો સઝા યારોં, કિ મૈં ઝમીન કે રિશ્તો સે કટ ગયા યારોં … તમામ શહર હી જિસકી તલાશ મેં ગુમ થા, મૈં ઉસ કે ઘર કા પતા કિસસે પૂછતા યારોં’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન  2025

Loading

બ્રિકસ : વિકાસશીલ દેશોનો સાદ, પ્રતિસાદ 

નેહા શાહ|Opinion - Opinion|14 July 2025

નેહા શાહ

૨૦૦૧માં ગોલ્ડમેન સેશ (પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ બેંક) અર્થશાસ્ત્રી જીમ ઓ’નીલે વિશ્વના ઉભરતા અર્થતંત્રમાંથી, સૌથી ઝડપથી વિકસતા દેશો તરીકે, બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા અને ચીનને જુદા તારવી ‘બ્રિક’ નામ આપ્યું અને ૨૦૫૦ સુધી આ દેશોનું વિશ્વના અર્થતંત્ર પર પ્રભુત્વ હશે એવી આગાહી કરી. ત્યારે એમની ગણતરી તો આ દેશોમાં નિવેશ કરવાની હતી. ચાર-પાંચ વર્ષ સુધી ગોલ્ડમેન સાશના વિશ્લેષકો આ ચાર દેશોના અર્થ તંત્રનું અવલોકન કરતા રહ્યા અને આ દેશોના નવા ખુલેલા મૂડી બજારમાં રોકાણ કરતા રહ્યા કારણ કે ઝડપથી વિકસતા અર્થતંત્રના મૂડી બજારમાં વળતર પણ ઝડપથી મળતું હતું. તે સમયે કોણે વિચાર્યું હતું કે આ દેશો પરસ્પર આર્થિક -રાજકીય સહકાર માટે જોડાણ કરશે જે એકાદ દાયકામાં જ વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા ઊભી કરવા સુધી પહોંચી જશે! ૨૦૦૬માં આ ચાર દેશો વચ્ચે જોડાણનો વિચાર રજૂ થયો અને ૨૦૦૯માં રશિયાની પહેલ પર, પ્રથમ બ્રિક શિખર સંમેલનનું આયોજન થયું. એક જ વર્ષમાં સાઉથ આફ્રિકા જોડાયું, બ્રિકમાંથી બ્રિકસ બન્યું અને પાંચ સભ્યો થયા. ૨૦૨૪માં પાંચમાંથી દસ થયા – ઈજીપ્ત, ઈરાન, ઈથોપિયા, સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ. જોડાયા. આ વર્ષે ઇન્ડોનેશિયા જોડાયું. બીજા ત્રીસ દેશો બ્રિકસના સભ્ય બનવા ઈચ્છે છે. હવે આ જૂથ બ્રિકસ પ્લસ તરીકે ઓળખાય છે. આ જૂથના રાષ્ટ્રો અનૌપચારિક સંઘ તરીકે કામ કરે છે. દર વર્ષે બ્રિક્સ સંમેલન ગોઠવે છે, જ્યાં સભ્ય રાજ્યોના વડાઓ આર્થિક સહકારનું નિર્માણ કરવાની દિશામાં કામ કરે છે. 

આ બધા વિકાસશીલ દેશો છે જે વૈશ્વિક વેપારમાં પશ્ચિમી દેશોના પ્રભુત્વનો વિકલ્પ શોધી રહ્યા છે, જેમાં તેમને પરસ્પરનો સહકાર જરૂરી છે. સોળ વર્ષના ઇતિહાસમાં બ્રિકસના પ્રયત્ને કેટલાક મહત્ત્વના બદલાવ ઊભા થયા છે. સૌથી નોંધપાત્ર છે ન્યુ ડેવેલપમેન્ટ બેંક. વિકાસશીલ દેશોમાં નાણાંકીય કટોકટી વખતે કે પછી મોટી માળખાંકીય સવલત ઊભી કરવા માટે વિદેશી નાણાંની મદદની જરૂર પણ રહેતી હોય છે, જેને માટે જ વિશ્વ બેંક અને વિશ્વ નાણાંકીય કોશ (આઈ.એમ.એફ.) જેવી સંસ્થા છે, પણ તેની કડક શરતો મોટે ભાગે અમેરિકા કે યુરોપના દેશોના હિતને અનુલક્ષીને ઘડવામાં આવે છે. એટલે વૈકલ્પિક બેંક ઊભી કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨ની બ્રિકસનાં સંમેલનમાં રજૂ થયો. તે સમયના પાંચેય સભ્યોએ નાણાંકીય ફાળો આપ્યો અને ૨૦૧૫માં ૧૦૦ બિલિયન ડોલરના મૂડી ભંડોળ સાથે ન્યુ ડેવેલોપમેન્ટ બેંક(એન.ડી.બી.)ના નામે કામ કરવાનું શરૂ કરી દીધું, જે સભ્ય દેશો ઉપરાંત અન્ય વિકાસશીલ દેશોને ટકાઉ વિકાસનાં કામ માટે નાણાંકીય સહાય આપે છે. આ ઉપરાંત બ્રિકસ – પે નામની આંતરરાષ્ટ્રીય નાણાં ચુકવણીની વ્યવસ્થા ઊભી થઈ છે, જે બ્રિકસના સભ્યો વચ્ચે વેપારની સરળતા ઊભી કરે છે. સભ્ય દેશો અંદરોઅંદરના વેપારમાં પોતાના ચલણ સ્વીકારવાનું શરૂ કર્યું છે, જેથી ડોલરની જરૂર ના પડે. દા.ત. ૨૦૨૨માં યુકેન સાથેના સંઘર્ષ પછી રશિયા પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધો પછી ભારત રશિયા પાસેથી જે પેટ્રોલ ખરીદે છે તેની ચુકવણી ભારતીય રૂપિયામાં અથવા ચાઇનીઝ યુઆનમાં કરે છે. બહુપક્ષીય વેપારમાં સરળતા ઊભી કરવા માટે જ બ્રિકનું પોતાનું અલગ ચલણ ઊભું કરવાની વાત ચર્ચાઈ હતી. જો એમ થાય તો સ્વાભાવિક રીતે ડોલરની આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે માંગ પર અસર થવાની અને ડોલર નબળો પડવાની શક્યતા ઊભી થવાની. વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકાનું પ્રભુત્વ ટકાવી રાખવામાં ડોલરનું આંતરરાષ્ટ્રીય ચલણ તરીકેની સ્વીકૃતિનો બહુ મોટો ફાળો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિકસ એટલે જ ‘અમેરિકા વિરોધી’ લાગે છે. એટલે જ તેઓ આ જૂથના સભ્ય દેશો પર વધારાની ૧૦ ટકા જકાત લાદવાની ધમકી આપે છે.  

જો કે, બ્રિકસ દેશો માટે નવું ચલણ ઊભું કરવું અને અમેરિકાની ધમકીઓ સામે ટકી રહેવું સહેલું નથી. એક તરફ શક્તિશાળી અમેરિકા છે તો બીજી તરફ શક્તિ વધારવા સતત પ્રયત્નશીલ ચીન અને રશિયા છે. ચીન તો ઘણા દેશોને આર્થિક મદદ કરી તેમના પર સીધું નિયંત્રણ વધારી રહ્યું છે. બ્રિકસના માધ્યમથી પણ એ પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પણ તો એક પ્રકારનો સામ્રાજ્યવાદ જ છે. ભારત જેવા દેશની હાલત કફોડી છે. એક તરફ ઉભરતા અર્થતંત્ર તરીકે પશ્ચિમી દેશોના વર્ચસ્વ ટકવા બ્રિકસનાં સભ્યો સાથેનો સહકાર આવશ્યક છે, તો બીજી બાજુ ચીનથી લશ્કરી ખતરો ઊભો થયો છે, ચીન સાથે વ્યાપાર ઘટાડવા માટેની ઝુંબેશ ઊઠી છે, જે માટે લોકમત પણ ઊભો થઇ રહ્યો છે. વ્યૂહાત્મક રીતે પણ જો ચીન પાકિસ્તાનને ટેકો કરી રહ્યું હોય તો અમેરિકા સાથે દોસ્તી ટકાવવી આવશ્યક બની જાય છે. ભારતનું આ વ્યૂહાત્મક વલણ બ્રિકસનાં હેતુ સાથે વિરોધાભાસ ઊભો કરે છે. એવી જ કાંઇક પરિસ્થિતિ મધ્ય એશિયાના દેશોની છે. ઈરાનની ન્યુક્લીઅર તાકાત સામે સાઉદી અરેબિયા કે યુ.એ.ઈ. જેવા દેશો અમેરિકા સાથેની દોસ્તીને જોખમમાં મૂકી શકે એમ નથી. 

હાલમાં તો વૈકલ્પિક ચલણ વિકસાવવાની કોઈ યોજના નથી, એવું બ્રિકસનાં મંચ પરથી જાહેર થઇ ચુક્યું છે. પણ, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થાને બદલવામાં વિકાસશીલ દેશોના જૂથની ભૂમિકા મહત્ત્વની રહેશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા

સોનલ પરીખ|Opinion - Opinion|14 July 2025

મુઝકો તુમ જો મિલે યે જહાં મિલ ગયા 

તુમ જો મેરે દિલ મેં હંસે દિલ કા કમલ દેખો ખિલ ગયા 

યે ભીગતી હુઈ ફિઝા, બરસ રહી હૈ ચાંદની

તારોં ને મિલ કે છેડ દી, મધુર મિલન કી રાગિની 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા 

જિસપે ચલ રહે હૈં હમ હૈ પ્યાર કા યે રાસ્તા 

ચાંદ ઔર સિતારોં કા, બહાર કા યે રાસ્તા 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા 

મેરે સુહાને ખ્વાબ સી તુમ મેરે સામને રહો 

ઐસી હસીન રાત હૈ દિલ કહે સહર ન હો 

લે કે કરાર, આયા હૈ પ્યાર ક્યા હૈ અગર મેરા દિલ ગયા

આ પહેલાના લેખમાં મેં લખેલું કે ગીતા દત્ત પાસે ‘અનુભવ’ ફિલ્મનાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચૂપકે સે આ કે’ ગીત ગવડાવનાર સંગીતકાર કનુ રૉય ગીતા દત્તના ભાઈ હતા. સોરી, એ મારી ભૂલ હતી. ગીતા દત્તના ભાઇનું નામ કનુ રૉય નહીં, મુકુલ રૉય હતું. મુકુલ રૉય પણ સંગીતકાર હતા. એમણે ગીતા દત્ત પાસે કેટલાંક સુંદર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાંના એક સદાબહાર ગીત ‘મુઝકો તુમ જો મિલે’ને આજે માણીશું. ગીતકાર હતા શૈલેન્દ્ર, ફિલ્મ હતી ‘ડિટેક્ટિવ’. એમાં ગીત દત્ત ઉપરાંત હેમંતકુમારનો કંઠ હતો. 

‘આરાધના’ અને ‘અમર પ્રેમ’ જેવી ચિરસ્મરણીય ફિલ્મો આપનાર શક્તિ સામંતે શરૂઆત સસ્પેન્સ થ્રીલર્સથી કરી હતી. 1957માં એમણે ‘શક્તિ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. પછીના વર્ષે એમની બે ફિલ્મો રિલિઝ થઈ, ‘ડિટેક્ટિવ’ અને ‘હાવડા બ્રિજ’. પહેલી ફ્લોપ, બીજી અત્યંત સફળ. ‘ડિટેક્ટિવ’માં આઠ ગીતો હતાં જેમાંથી પાંચ ગીત દત્તે ગાયાં હતાં. ફિલ્મ રજૂ થઈ ત્યારે ગીતા દત્ત માંડ અઠ્ઠાવીસ વર્ષની હતી. ‘મુઝકો તુમ જો મિલે’ શાંતિથી સાંભળીએ તો મુકુલ રોયની ધૂન પર હેમંતકુમારના કંઠની ગહનતા સાથે ગીતા દત્તના કંઠની મીઠાશનું જે મધુર સંયોજન રચાય છે તેનો ખ્યાલ આવે. આજે પણ આ ગીત તાજુંમાજું અને મસ્તમીઠું લાગે છે એનું કારણ એ ધૂન અને એ કંઠનું કામણ છે.

મુકુલ રૉય ગીતા દત્તના પ્રતિભાશાળી ભાઈ, સંગીતકાર અને પ્રોડ્યુસર. એમનો ઘોષ રૉય ચૌધરી પરિવાર બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામનો શ્રીમંત જમીનદાર પરિવાર હતો. આ સ્થળ હવે બાંગ્લાદેશમાં છે. 1942માં પરિવાર મુંબઈ આવ્યો ત્યારે ગીતા 12 વર્ષની અને મુકુલ 16 વર્ષના. દસ ભાઈબહેનોમાં આ બંને વચ્ચે અજબ નિકટતા અને મૈત્રી હતાં, જે છેક સુધી ટક્યાં.

ઉપલબ્ધ સ્રોતો અનુસાર મુકુલ રૉયે ત્રણ હિન્દી, બે બંગાળી અને એક ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. એમનું કામ જથ્થામાં ભલે ઓછું પણ ગુણવત્તામાં મોટું છે. એમના સંગીતમાં શાંત, પ્રવાહી, લાગણીનીતરતા બંગાળી સંગીતની સુગંધ છે. ‘ગીતા દત્ત – ધ સ્કાયલાર્ક’ પુસ્તક લખવા માટે હેમંતી બેનર્જીને મુકુલ રૉયે ઘણી મદદ કરી હતી. મુકુલ રૉયની હિન્દી ફિલ્મો છે ‘ભેદ’, ‘સૈલાબ’, અને ‘ડિટેક્ટિવ. ‘સૈલાબ’ના નિર્માતા ગીતા દત્ત અને મુકુલ રૉય બંને હતાં. ‘ડિટેક્ટિવ’ના ‘મુઝકો તુમ જો મિલે’ અને ‘સૈલાબ’ના ગીતા દત્તે ગાયેલા ‘હૈ યે દુનિયા કૌન સી’ સહિત મુકુલ રૉયનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં હતાં. 

પશ્ચિમી સંગીતમાંથી પ્રેરણા લેવી મુકુલ રોયને ગમતી. ‘ડિટેક્ટિવ’ના અન્ય ગીત ‘દો ચમકતી આંખો સે’ હેરી બેલફોન્ટના ‘જમૈકા ફેરવેલ’નું મજાનું એડેપ્ટેશન છે. મહંમદ રફીએ ગાયેલું ‘છોડીયે ગુસ્સા હુઝુર’નો ઉપાડ અને ઈન્ટરલ્યુડ પર જિમ રીવ્ઝના 19050ના ‘બિમ્બો’ની અસર હતી. મહંમદ રફી અને ગીતા દત્તે ગાયેલું ‘આ જા કર લે મુકાબલા’ સ્પેનિશ ‘રેડ બુલ’ પ્રેરિત હતું. મૂળ સ્પેનિશ મ્યુઝિક ભારતભરમાં ઘણું લોકપ્રિય થયું હતું કારણ કે બિનાકા ગીતમાલાની સિગ્નેચર ટ્યુનમાં એનો ઉપયોગ થયો હતો. ગમી ગયેલી ધૂનમાંથી પ્રેરણા લઈ પછી એને ભારતીય રંગ અને ઓપ આપવાની કલામાં મુકુલ રૉય માહેર હતા.

પછીથી તેઓ નાસિકમાં સ્થિર થયા હતા. ગીતા દત્ત અને ગુરુ દત્ત અલગ રહેવા લાગ્યા ત્યારે તેમણે મધ્યસ્થી તરીકે એમને ફરી મેળવવા પ્રયત્ન કર્યો હતો. ગીતા જ્યારે જિંદગીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી – એક તરફ અંગત જીવન ભાંગી પડ્યું હતું, બીજી તરફ આર્થિક તકલીફ હતી, ત્રીજી તરફ કામ મળતું ન હતું – ત્યારે મુકુલ રૉય એની પડખે જ હતા. એ સમયને યાદ કરતાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘દાંપત્ય તૂટ્યું એમાં ગીતાએ ખૂબ સહન કર્યું. જેની સાથે જોડાઈ તેનાથી અલગ થઈ, વ્યાવસાયિક રીતે ફરી શરૂઆત કરવા પ્રયત્ન કર્યો તો એમાં સફળ ન થઈ. બાળકોને સંભાળવાનાં હતાં. તે એટલી સંવેદનશીલ હતી કે આટલી બધી માનસિક તાણ સહન કરી શકતી ન હતી. મારો પ્રયત્ન કોઈક રીતે સમાધાન કરાવવાનો હતો. ગીતા અને ગુરુ બંને કદાચ પાછા જોડાત. એમની મળવાની તારીખ પણ નક્કી થઈ હતી. પણ મુલાકાત થાય એ પહેલા જ એક રાતે ગુરુ દત્તે ઊંઘની ગોળીઓ લીધી, સારો એવો શરાબ પણ પીધો અને સવારે ઊઠ્યો નહીં. ગીતાને એવો નર્વસ બ્રેકડાઉન થયો કે છ-સાત મહિના એ પોતાનાં બાળકોને પણ ઓળખી શકતી નહીં. ગુરુ દત્તે એના પરિવાર માટે કોઈ આર્થિક જોગવાઈ કરી ન હતી.’ 

1964માં ગુરુ દત્ત ગયા, 1972માં ગીતા દત્તે વિદાય લીધી. ત્યાર પછી મુકુલ રૉયે બાળકોનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. દત્ત દંપતીનાં ત્રણ સંતાનોમાંનાં બે દીકરાઓમાંના એકે 35 વર્ષની ઉંમરે અને બીજાએ 54 વર્ષની ઉંમરે વિદાય લીધી. દીકરી નીના હયાત છે, તેમની ઉંમર 62 વર્ષની છે. 

‘સૈલાબ’ના દિગ્દર્શક ગુરુ દત્ત હતા. નિર્માતા અને સંગીતકાર મુકુલ રૉય. દસમાંથી આઠ ગીત ગીત દત્તે ગાયાં હતા. ‘ડિટેક્ટિવ’ના આઠમાંથી પાંચ ગીત ગીતા દત્તે ગાયાં હતા. એક ખૂનીને પકડવા કલકત્તા આવેલા પોલીસ અધિકારી લૂન પેની હત્યા થાય છે. મરતા પહેલા સ્ટીમરમાં મળેલી મા શીન (માલા સિંહા) નામની યુવતીને તે એક રિપોર્ટ સોંપે છે. મુસાફરોમાં રાજા (પ્રદીપ કુમાર) પણ છે. મા શીન અને રાજા એકબીજાને ચાહવા લાગે છે, પણ લૂન પેની હત્યા કરનાર ગેંગ હવે મા શીન પાછળ પડી છે. રોમાન્સ, સંગીત અને સસ્પેન્સનું ત્યારની ઘણી ફિલ્મોમાં જોવા મળતું સુંદર મિશ્રણ ‘ડિટેક્ટિવ’માં પણ છે. ફિલ્મમાં જોની વોકર અને બાળકલાકાર ડેઈઝી ઈરાનીની પણ મજાની ભૂમિકાઓ છે.

ગીતકાર તરીકે શૈલેન્દ્રએ મુકુલ રૉય સાથે બે ફિલ્મો કરી, ‘સૈલાબ’ અને ‘ડિટેક્ટિવ’. ‘ભેદ’નાં ગીતો મધુકર રાજસ્થાનીએ લખ્યાં હતાં. એ એમની પહેલી ફિલ્મ હતી. ‘સૈલાબ’માં બીજા બે ગીતકાર પણ હતા, હસરત જયપુરી અને મજરુહ સુલતાનપુરી. આ ત્રણ દિગ્ગજોએ સાથે કામ કર્યું હોય એવી બીજી ફિલ્મ ભાગ્યે જ કોઈ હશે. ‘સૈલાબ’નું ગીત દત્તે ગાયેલું ‘યે રુત યે રાત જવાં’ શૈલેન્દ્રનું લખેલું હતું. શૈલેન્દ્રએ ગીતા દત્ત (અને મહંમદ રફી, ફિલ્મ ‘કાલા બાઝાર’) માટે લખેલા ગીતની પંક્તિઓ યાદ આવે છે, ‘જબ મિલતે હો તુમ ક્યોં છિડતે હૈં દિલ કે તાર, મિલને કો તુમસે મૈં ક્યોં થા બેકરાર, રહ જાતી હૈ ક્યોં હોઠોં પે આ કે દિલ કી બાત..’ કેટલાક ‘ક્યોં’ના જવાબ હોય છે અને નથી હોતા – પણ પ્રશ્નો થવાનું કારણ ગીતમાં જ છે – ‘રિમઝિમ કે તરાને લે કે આઈ બરસાત’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 20 જૂન  2025

Loading

...102030...214215216217...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved