Opinion Magazine
Number of visits: 9573424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકતંત્રને હાણ પહોંચાડતી સંસદીય કાર્યવાહી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 October 2020

ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૦૦માં, સંસદના એક સત્રની અંતિમ બેઠક અને આગામી સત્રની પ્રથમ બેઠકની નિયત તારીખો વચ્ચે છ માસનું અંતર ન હોવું જોઈએ, એવી જોગવાઈ છે. સંસદ અને રાજ્યોના વિધાનગૃહોની બેઠકો દર છ મહિને એકવાર તો મળવી અનિવાર્ય છે એવી બંધારણમાં જોગવાઈને અનુસરીને કોરોનાકાળમાં સંસદ અને રાજ્યોની વિધાનસભાઓની બેઠકો મળી અને પૂરી પણ થઈ ગઈ. આ વરસના માર્ચ મહિનામાં કોવિડ ૧૯ મહામારીએ દેશમાં પગરણ માંડ્યા ત્યારે સંસદ અને વિધાનસભાઓના અંદાજપત્ર સત્રો ચાલતા હતા. તે અધવચ્ચે સંકેલી લેવાયા હતા અને હવે છ મહિનાની બંધારણીય જોગવાઈ સાંચવવા જાણે કે ઔપચારિકતા નિભાવવાની હોય તેમ સત્રો બોલાવાયા અને આટોપાયા છે. સામાન્ય રીતે વર્ષા-સત્રો જુલાઈના અંતિમ સપ્તાહથી ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધીના એક મહિનાના હોય છે. પણ આ વખતે તે છેક સપ્ટેમ્બરમાં યોજાયાં અને ફટાફટ સમાપ્ત કરી દેવાયાં. કેટલીક રાજ્ય વિધાનસભાઓની બેઠકો તો માત્ર એક જ દિવસ માટે મળી. લોકતંત્રને અને બંધારણીય જોગવાઈઓને સત્તાપક્ષો કેવી હળવાશથી લે છે તેનું આ દ્યોતક છે.

નકરી ઔપચારિકતા માટે મળેલા સંસદ અને વિધાનગૃહોના વર્ષા-સત્રોમાં ઉપલક અને ઉતાવળે પણ અધધ કામો થયાં છે તે મોટો વિરોધાભાસ છે. ગુજરાત વિધાનસભાનું વર્ષા-સત્ર પાંચ દિવસ માટે જ મળ્યું. ગૃહની ૬ બેઠકોએ ૪૩ કલાક ૩૫ મિનિટ કામ કર્યું અને અનેકગણા મહત્ત્વના તથા દીર્ઘકાલીન અસરકર્તા એવા ૨૦ વિધેયકો પસાર કર્યા. બહુ જલદી સમેટાઈ ગયેલા લોકસભા અને રાજ્યસભાના સત્રોમાં પચીસ –પચીસ વિધેયકો પસાર થયાં. તે ઉપરાંત લોકસભામાં નવા  ૧૬ અને રાજ્યસભામાં ૬ વિધેયકો રજૂ થયાં. આટલા ઓછા સમયમાં આટલા બધા વિધેયકોનું પસાર થવું અને દાખલ થવું તે પોતે જ એક વિક્રમ છે.

સંસદીય ચર્ચા અને વિમર્શ લોકતંત્રનો પ્રાણ છે. પરંતુ જો સંસદ કે વિધાનગૃહો મળે જ નહીં, ટૂંકા ગાળા માટે મળે અને તે ય ખાનાપૂર્તિ માટે મળે તો તે લોકશાહી માટે ઘાતક છે. મહામારીની રોકથામમાં વહીવટી તંત્ર રોકાયેલું હોવાના બહાને સંસદમાં પ્રશ્નોત્તરી રદ્દ કરવામાં આવી. પછી ગુજરાત સહિતના ઘણાં રાજ્યો તેને અનુસર્યા. આ બાબતમાં બધા પક્ષો એકસરખા હતા. જે વિપક્ષો સંસદમાં પ્રશ્નકાળની માંગણી કરતા હતા તે જે રાજ્યોમાં સત્તામાં હતા ત્યાં તેમણે પણ પ્રશ્નકાળ ઉડાવી દીધો હતા. સંસદમાં અડધા કલાકનો શૂન્યકાળ તો રાજ્ય વિધાનસભામાં ટૂંકી મુદ્દતની જાહેર અગત્યની બાબતોની ચર્ચા રાખીને સંસદધર્મ નિભાવાયો છે. સંસદસભ્યો કે વિધાનસભ્યોના કોઈ ખાનગી બિલ કે બિનસરકારી સંકલ્પોને આ સત્રમાં સ્થાન ન આપીને વિરોધના અવાજને ક્ષીણ કરવામાં આવ્યો છે.

સર્વાનુમતે નહીં પણ બહુમતીએ લેવાતા નિર્ણયો લોકતંત્રની મોટી મર્યાદા છે. મહામારીના ગાળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વટહુકમોથી કામ ચલાવ્યું હતું. હવે તે વટહુકમોને કાયદાનું સ્વરૂપ આપવાનું થયું ત્યારે તેના પર અપૂરતી ચર્ચા અને બહુમતી વિના નિર્ણયો થયા. રાજ્યસભામાં કૃષિ ખરડા જે રીતે પસાર થયા તે મોટો વિવાદ જગવી ગયા. સૌ જાણે છે કે રાજ્યસભામાં સરકારની પાસે બહુમતી નથી. પરંતુ કેટલાક ગરજાઉ પ્રાદેશિક પક્ષોના સહારે સરકાર દર વખતે બહુમતી મેળવી લેતી હતી. સરકારના સમર્થક પક્ષો, બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, કૃષિ ખરડાને હાલને હાલ પસાર કરવાને બદલે પ્રવર સમિતિને સોંપવાના મતના હતા. એન.ડી.એ.નો જૂનો સાથી પક્ષ અકાલી દળ તો નવો સાથી પક્ષ અન્ના દ્રમુક બિલના  વિરોધમાં હતાં. એક માત્ર આંધ્રની વાય.એસ.આ.ર. કૉન્ગ્રેસ જ સરકારનું ખૂલીને સમર્થન કરતી હતી. આ સ્થિતિમાં સરકાર પાસે બહુમતી નહોતી. એટલે રાજ્યસભાના સત્તાધારી ગઠબંધનના સાથી પક્ષના ઉપાધ્યક્ષ હરિવંશે તેને મતદાન માટે મૂકવાને બદલે સભ્યોની મૌખિક સંમતિ માટેના ધ્વનિમતનો આશરો લીધો. એ રીતે સરકારે વગર બહુમતીએ દેશના કિસાનોના જીવન પર કાયમી અસર કરનારા કૃષિ બિલો પસાર કરી દીધા. આ પરાણે ઊભી કરેલી કે આભાસી બહુમતી હતી. રાજ્યસભામાં વિપક્ષી સભ્યોના સસ્પેન્શન અને તેના વિરોધમાં વિપક્ષના સંસદ બહિષ્કારનો ફાયદો ઉઠાવીને સરકારે ત્રણ લેબર બિલ્સ, આવશ્યક ચીજ વસ્તુ ધારામાં સુધારા, સહકારી બેન્કોને રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકતો ખરડો અને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટમાં સંશોધન ખરડો જેવા ઘણા અગત્યના બિલો વગર ચર્ચાએ, વિપક્ષની અનુપસ્થિતિમાં પસાર કરી નાંખ્યા છે.

કેન્દ્રના વિવિધ મંત્રાલયોની સાંસદોની બનેલી ચોવીસ સ્થાયી સમિતિઓ હાલ અસ્તિત્વમાં છે. આ સમિતિઓને જો ખરડા સોંપવામાં આવે તો તેના પર વધુ બારીકાઈથી, સમયના બંધન વિના ચર્ચાઓ થઈ શકે અને સર્વસંમતિ પણ ઊભી થઈ શકે છે. સંસદના પૂર્ણ ગૃહોને બદલે સમિતિની ચર્ચાઓ ખરડાઓને વધુ સારી રીતે રજૂ કરવામાં મદદરૂપ બને છે. પી.આર.એસ. લેજિસ્લેટિવ ડેટાના જણાવ્યા મુજબ ચૌદમી લોકસભામાં ૭૧ ટકા અને પંદરમી લોકસભામાં ૬૦ ટકા ખરડા સંસદીય સમિતિઓ મારફત ગૃહ સમક્ષ આવ્યા હતા. જ્યારે સોળમી લોકસભામાં માત્ર ૨૫ ટકા જ ખરડા સંસદીય સમિતિ સમક્ષ ગયા હતા. આ સંશોધન સંસ્થાએ એ પણ નોંધ્યું છે કે ૨૦૧૪થી ૨૦૧૯ના સમયગાળાની લોકસભામાં ૩૨ ટકા વિધેયકો ત્રણ કલાક કરતાં વધુ સમયની ચર્ચા પછી પસાર કરાયા હતા. જ્યારે તે પૂર્વેની યુ.પી.એ.-૧ અને ૨ના સમયની  લોકસભામાં આવી લાંબી ચર્ચા પછી પસાર થયેલા બિલોની સંખ્યા અનુક્રમે ૧૪ અને ૨૨ ટકા હતી. અગાઉના કાર્યકાળ કરતાં આ વખતની લોકસભામાં વિધેયકો પર વધુ સમય ચર્ચા થાય છે તેનું કારણ વિપક્ષને ચર્ચા માટે વધુ સમય મળે છે એ જેટલું સાચું છે એટલું એ પણ સાચું છે કે સત્તાપક્ષ પોતાની વાહવાહી કરાવવા વધુ સમય ફાળવે છે.

૨૦૧૯માં વર્તમાન લોકસભાની ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે મનમોહન સિંઘના નેતૃત્વ હેઠળના પ્રધાન મંડળની બેઠકોનો સરેરાશ સમય વીસ મિનિટનો જ હતો. જ્યારે એમની સરકારના મંત્રીમંડળોની બેઠકોનો સરેરાશ સમય ત્રણ કલાકનો છે! પ્રધાન મંત્રીની વાત સ્વીકારી લઈ તો સવાલ થાય કે જો કેબિનેટમાં આટલો લાંબો સમય ચર્ચાઓ થાય છે તો અકાલી દળના કેબિનેટ મંત્રી કૃષિ-બિલના વિરોધમાં સરકાર અને એન.ડી.એ. ગઠબંધન કેમ છોડે છે ? ચર્ચાનો સમયગાળો માપદંડ છે કે તેમાં થતી સાર્થક ચર્ચા અને સર્વસંમતિનો પ્રયાસ ?સંસદ કે વિધાનસભાની મંજૂરી વિના સરકાર એક રૂપિયો પણ ખર્ચી શકતી નથી. સોળમી લોકસભાના ગાળામાં સંસદની કુલ ચર્ચામાં સત્તર ટકા ચર્ચા અંદાજપત્રની થઈ હતી. અને અગાઉની લોકસભા કરતાં ૧૫ ટકા વધુ અર્થાત્‌ ૧૩૩ વિધેયકો તેણે પસાર કર્યા હતા. તે જાણીને જરૂર હરખાઈએ પરંતુ એ જાણીને ખેદ પણ થવો જોઈએ કે  મોટા ભાગના વિભાગોની બજેટ માંગણીઓ વગર ચર્ચાએ પસાર થઈ ગઈ હતી. પ્રશ્ન કાળનો ઉપયોગ ઘટ્યો છે. મંત્રીઓ બિન જરૂરી લંબાણથી જવાબો આપતા હોવાનું બને છે. છેલ્લી ચાર લોકસભામાં લોકતંત્રના મહત્ત્વના અંગ એવા પ્રશ્નકાળ માટે ફાળવાયેલા સમયનો ૫૯ ટકા જ ઉપયોગ થયો છે. રાજ્યસભામાં તે એના કરતાં પણ ઓછો છે. પંદરમી અને સોળમી લોકસભાના કાર્યકાળ દરમિયાનના રાજ્યસભાના કાર્યકાળમાં પ્રશ્નકાળનો ૪૧ ટકા સમય જ વપરાયો હતો અને ૫૯ ટકા વેડફાયો હતો ! એટલે ગંભીર અને સાર્થક ચર્ચા વિનાની સંસદીય કાર્યવાહીનું પ્રમાણ વધે તે પૂર્વે જાગી જવાની જરૂર છે.

(તા.૦૭-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

આપવીતી

રૂપાલી બર્ક|Opinion - Opinion|7 October 2020

અંગ્રેજી લિપ્યંતર અને ગુજરાતી અનુવાદ : 

The fire that you see                                             ઝાડવા વચ્ચેથી સળગતો
Burning through the trees                                     જે અગ્નિ તમને દેખાય છે   
That is me.                                                            તે હું છું.
My body being burnt.                                            મારું શરીર સળગી રહ્યું છે.
If I had been alive                                                 જો હું જીવતી હોત
I would have wanted my family                            તો હું ચાહત કે મારી અંતિમ ક્રિયામાં
To be there at my last rites.                                  મારા કુટુંબીજનો હાજર હોય.
But I am dead                                                       પરન્તુ હું મરી ચૂકી છું
Ah! I have no rights                                              આહ! મારે કોઈ હક નથી
I’m a woman                                                        હું સ્ત્રી છું
I have no rights.                                                   મારે કોઈ હક નથી.
This is the road where I walked last.                   આ રસ્તા પર હું છેલ્લી વખત ચાલી હતી.
You see the foliage on the sides                          બન્ને તરફ લીલોતરી દેખાય છે ને
I was dragged inside that                                     એમાં મને ઢસડીને લઈ ગયેલા
I was raped and assaulted                                   મારી પર બળાત્કાર કર્યો, હુમલો કર્યો
I am a woman                                                      હું સ્ત્રી છું
I was a woman                                                     હું સ્ત્રી હતી
Now I am dead.                                                   હવે હું મરી ચૂકી છું.
And they burnt my body                                      એમણે મારું શબ બાળી નાખ્યું
In the middle of the night                                     મધરાતે
With the police cordon all around.                       ફરતે પોલીસના પહેરા વચ્ચે.
Can you imagine the importance                         એક મૃત, દલિત, બળાત્કાર કરાયેલી
Of being a dead, Dalit, raped woman?                સ્ત્રી હોવાના મહત્ત્વનો અંદાજ કરી શકો છો?
That’s me.                                                            એ હું છું.
This is my village of nineteen years                     ઓગણીસ વર્ષ માટે આ મારું ગામ હતું
That’s the entire span of my life.                          કારણ મારું આયુષ્ય એટલું હતું.
Nineteen years                                                    ઓગણીસ વર્ષ
I worked on these fields                                       મેં આ ખેતરોમાં કામ કર્યું
I milked the buffaloes                                           ભેંસો દોહી
I did the household chores                                   ઘરકામ કર્યું
I went to school                                                    શાળામાં ગઈ
I studied till Class III.                                            ત્રણ ચોપડી ભણી.
If your asked the neighbours                                પાડોશીઓને જો તમે પૂછો
They would probably say                                      તે કદાચ કહેશે
She was a simple, homely girl                              સીધીસાદી, ઘરેલું છોકરી હતી એ
She worked the fields                                           ખેતરમાં કામ કરતી
Cooked for her family                                           એના પરિવાર માટે રસોઈ બનાવતી
They would say.                                                   એવું કહેત એ લોકો.
I did what a village girl does                                 ગામડાંની છોકરી કરે એ કર્યું
I was what a village girl was                                 ગામડાંની છોકરી હોય એવી હતી
Invisible                                                                 અદૃશ્ય
I was no one                                                         હું કોઈ ખાસ નહોતી
I was like anybody else.                                       બીજાં બધાં જેવી હતી.
This is where I spent                                            મારા જીવનનો અંતિમ દિવસ
The last day of my life                                          મેં અહીં ગાળ્યો
This is a hospital bed.                                          આ હૉસ્પિટલનો ખાટલો છે.
I was paralysed                                                    મને લકવા થઈ ગયો હતો
My spine was broken.                                          મારી કરોડરજ્જુ ભાંગી ગયેલી.
On my deathbed                                                  મરણપથારીએથી મેં
I told my sister-in-law                                           મારી ભાભીને કહેલું
To tell Ma                                                              માને કહેજો
That I will return home soon                                 હું જલ્દી ઘેર પાછી આવીશ.
But you know that I won’t.                                    પણ તમે જાણો છો હું નહીં આવું.
The fire that you see                                            ઝાડવા વચ્ચેથી સળગતો
Burning through the trees                                    જે અગ્નિ તમને દેખાય છે
That is me.                                                           તે હું છું.
My body being burnt                                            મારું શરીર સળગી રહ્યું છે.
I was raped and assaulted                                  મારી પર બળાત્કાર કર્યો, હુમલો કર્યો
I am a woman                                                      હું સ્ત્રી છું
I was a woman                                                    હું સ્ત્રી હતી
Now I am dead.                                                  હવે હું મરી ચૂકી છું.

સ્રોત : India Today પર હાથરસમાં દલિત કન્યા મનીષા પર થયેલા પાશવી સામૂહિક બળાત્કારની ઘટના અંગે રાજદીપ સરદેસાઈના કાર્યક્રમમાં પઠન કરાયેલી પંક્તિઓ.

Loading

ગાંધીજીના અંતેવાસી મીરાબહેનની નજરે બાલાકોટ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|7 October 2020

ગાંધીજી રાષ્ટ્રપિતાનું બિરુદ પામ્યા કારણ કે તેમણે પોતે અથવા અનુયાયી કાર્યકરો દ્વારા ભારતના ખૂણે ખૂણે સામાન્ય માણસ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. ગયા વર્ષે ભારતે આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે હાલ પાકિસ્તાનમાં આવેલ બાલાકોટમાં હવાઈ હુમલા કર્યા. તે આ પ્રદેશ ધ્યાનમાં આવ્યો.

પરંતુ આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં ગાંધીના અંતેવાસી મીરાબહેન (મેડેલીન સ્લેડ) આપણી સામે આ જ પ્રદેશનું વિભાજન પહેલાનું જરા જુદું ચિત્ર રજૂ કરે છે. આમ તો ઇતિહાસમાં જે બન્યું તેનો જ અભ્યાસ કરવામાં આવે છે … એક ઘડી એ વિચાર ચોક્કસ આવે કે મીરાબહેન – બાદશાહ ખાનના પ્રભાવ હેઠળ આ પ્રદેશમાં ગાંધીનું રચનાત્મક કામ વિકસ્યું હોત તો આજે ત્યાં કેવી પરિસ્થિતિ હોત?!

− સંપાદક

સૈન્યનો ઇતિહાસ લખનાર માટે બાલાકોટ એક એવી જગ્યા છે કે જ્યાં ૧૮૩૧માં મહારાજા રણજીતસિંહ અને સૈયદ અહમદ બરેલવીની સેના વચ્ચે મોટું યુદ્ધ થયું હતું. જ્યારે સામાન્ય વ્યક્તિ માટે બાલાકોટ જાણીતું બન્યું ફેબ્રુઆરી ૨૦૧૯માં, જ્યારે ભારતીય સેના દ્વારા જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગકેમ્પ પર હુમલો કરવામાં આવેલો.

આ લેખનો વિષય પણ બાલાકોટ જ છે પરંતુ એનો સંબંધ એક ત્રીજી ઘટના સાથે છે, જે બાકીની બે ઘટનાઓ વચ્ચેના સમયગાળામાં બની હતી. મે ૧૯૩૯માં એક મહાન દેશભક્તે બાલાકોટ અને એની આસપાસના પ્રદેશની યાત્રા કરી. આ ભારતીયએ પોતાની ડાયરીમાં આ પ્રદેશના ભૂગોળ અને લોકો વિશેનું વર્ણન લખ્યું છે. હાલમાં જ મને એમની અપ્રકાશિત ડાયરી આર્કાઇવસમાંથી મળી આવી.

આ ભારતીય દેશભક્તનું નામ ક્યારેક મેડલીન સ્લેડ હતું. તેઓ એક અંગ્રેજ એડમિરલનાં દીકરી, જે આગળ જતાં મહાત્મા ગાંધીના અનુયાયી બન્યાં અને અમદાવાદ અને સેવાગ્રામ સ્થિત આશ્રમોમાં રહ્યાં. તેમણે પોતાનું નામ મીરા રાખ્યું હતું. ભારત માટે એટલો પ્રેમ હતો કે તેમણે આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને ઘણા લાંબા સમય સુધી જેલમાં રહ્યાં. મીરાબહેને શોષિતના હક માટે રાષ્ટ્ર અને વંશની દીવાલ તોડી દીધી હતી. ભારતીય સ્વતંત્રતા અંદોલન સમયના સાહિત્યમાં તેમને ખૂબ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.

હું મીરાબહેન વિશે ઘણું જાણું છું, તેમ છતાં ય મને હાલમાં જ ખબર પડી કે તેમણે ૧૯૩૯માં બાલાકોટનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારત અને પાકિસ્તાન અલગ રાષ્ટ્રો ન હતા. બાલાકોટ બ્રિટિશ ભારતના નોર્થ વેસ્ટ પ્રોવિન્સમાં આવતું હતું. આ પ્રદેશમાં ખુદાઇ ખિદમતગાર નામનો એક સમૂહ પણ સક્રિય હતો. એની કમાન એવા વ્યક્તિના હાથમાં હતી જે મીરાબહેન કરતાં પણ ગાંધીના મોટા અનુયાયી હતા. એમનું નામ અબ્દુલ ગફ્ફાર ખાન હતું. એમને પોતાના નૈતિક બળ વડે સામાન્ય રીતે આક્રમક માનસ ધરાવતા પઠાણોને અહિંસા અને સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા.

૧૯૩૯ની વસંત ઋતુની વાત છે. ગાંધીજીએ મીરાબહેનને ફ્રંટિયર પ્રોવીન્સ મોકલ્યા. તેમનો હેતુ એ વિસ્તારમાં ચરખા કાંતણ અને વણાટના પ્રસારનો હતો. એ યાત્રા દરમ્યાન મીરાબહેન એબટાબાદ(જ્યાં અમેરિકના નેવી સિલ્સે ઓસામા બિન લાદેનને માર્યો હતો)ના રસ્તે બાલાકોટ ગયા હતાં. મીરાબહેન પોતાની ડાયરીમાં એ યાત્રાનું વર્ણન કંઇક આ રીતે કરે છે : ‘ગામ-ખેતરોની ચારે બાજુ અને પાણીના નાળાઓના કિનારે લીલાછમ વૃક્ષો દેખાય છે. પહાડોના ઢોળાવો પરના પગથિયાં આકારના ખેતરો દરિયાનાં મોજાં જેવાં દેખાય છે, જેમાં ભૂરા અને લીલા રંગોની વિવિધતાના દર્શન થાય છે. આ નાની દુનિયા વાદળી પહાડીઓથી ઘેરાયેલી છે જેની પેલે પાર વિશાળ હિમશિખર છે.”

બાલકોટ જતા અડધે રસ્તે પહોચ્યાં પછી મીરાબહેન અને એમના ખુદાઇ ખિતમતગાર સાથી એક જગ્યાએ રાત વિતાવા રોકાયાં. બીજા દિવસે સવારે જલદી ઊઠીને મીરાબહેન ચાલવા ગયાં. એમણે લખ્યું કે, ’ખેતરોમાં કામ શરૂ થઈ ગયું હતું. મકાઈનો પાક ખળામાં હતો અને સાથે તેની વાવણીનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે તે પોતાને ઠેકાણે પાછા પહોંચી રહ્યાં હતાં ત્યારે તેમને કોયલનો મીઠો કલરવ સંભળાયો.’

નાસ્તો કર્યા પછી મીરાબહેન અને એમના સાથી બાલકોટ તરફ રવાના થઈ ગયાં. રસ્તામાં તેમને વન વિભાગનો એક બંગલો દેખાયો. જે જોઈને મીરાબહેનને વિચાર આવ્યો કે ‘આ જગ્યાએ બાપુજી થોડો આરામ કરી શકે છે.’ તે બંગલો ૩,૯૦૦ ફૂટની ઊંચાઈ પર અને આરામદાયક હતો : ‘જંગલ વચ્ચે એકલી ઇમારત હતી જેની પાછળ હિમ શિખર હતું અને નીચે પર્વતો અને ઘાટીઓ, આ ઘણું આકર્ષક રહેઠાણ હતું. પરંતુ ત્યાં પાણીની તંગી હતી.’ (ગાંધી ગયા વર્ષે ફ્રંટીયર પ્રોવિન્સે આવ્યા હતા અને પછી અહીંની યાત્રા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ તે થઈ ન શક્યું. જ્યારે આજે આ વિચારીને ને જ અજબ લાગી રહ્યું છે કે બાલાકોટની આટલી નજીક આવેલા બંગલામાં સ્વાસ્થ્ય લાભ લઇ શકતા હતા.)

બાલાકોટ ગામનો રસ્તો કુનહર નદીની ઘાટીમાંથી પસાર થાય છે. રસ્તો ‘સાંકડો’ અને ‘ખરાબ’ હતો. ‘સીધું ચઢાણ અને વળાંકો’ હતા. ખાડા અને વળાંકવાળા રસ્તા પર ગાડી બહુ જ મુશ્કેલીથી ચાલી રહી હતી. મીરાબહેને લખ્યું છેકે તેઓ ત્યાંની સુંદરતામાં ખોવાઈ ગયા હતાં. તેમના શબ્દો છે, ‘જો કે રસ્તો નદીના ડાબા કિનારાની સાથે સાથે ચાલતો હતો અને બરફના પહાડોમાંથી નીચે આવી રહેલી એ નદીનું સ્વરૂપ ખૂબ જ રૌદ્ર હતું. પહાડના ઢોળાવો પરથી ઝડપથી નીચે ઊતરતી અને કેટલા ય વળાંકોને અથડાઈને આવતી નદીમાં એવી વિશાળ લહેરો ઊઠી રહી હતી કે જેવી સાબરમતીમાં પૂર દરમ્યાન ઊઠતી હોય છે. એના કિનારા પર જ્યાં-ત્યાં વિશાળ વૃક્ષોના થડ પડેલા હતા જે તેના પ્રવાહમાં આવી ગયા હતા.’

પોતાની મંઝિલ પર પહોંચીને પણ મીરાબહેને તે સ્થાનનું જીવંત વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, ’બાલાકોટ એક નાની પહાડીની એક બાજુએ વસેલું મોટું અને નજીક-નજીક વસેલું (ગીચ) ગામ છે જે મધમાખીના મધપૂડા જેવુ લાગે છે. તે કંગન ઘાટીના મુખ પર વસેલું છે. અહીં કોઈ જ રસ્તા નથી. માત્ર પથ્થરોથી બનેલી પગદંડીઓ છે જે આમ તો પગથિયાં જેવું વધારે લાગે છે. ઘણીવાર તે રસ્તાઓમાંથી પાણીની કોઈક ધારાઓ પસાર થતી હોય છે. બજાર પણ જરા ગીચ છે અને નીચેના ઘરની છત ઉપર આવેલાં ઘર માટે પાયાનું કામ કરે છે. બજારમાં ઘણા હિન્દુ અને શીખ દુકાનદારો છે.’

મીરાબેહેનને કહેવામાં આવ્યું હતું કે બાલાકોટમાં રહેનારા ગુજ્જર કાંતણ અને વણાટ કરે છે અને બહુ જ સારા ધાબળા બનાવે છે. પરંતુ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ગુજ્જરો ત્યાં ન હતા. વસંત ઋતુને કારણે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંચા પહાડોમાં ગોચર તરફ જતાં રહ્યા છે. તેમની સાથે આવેલ ખુદાઇ ખિદમતગારના નેતા અબ્બાસ ખાનના કહેવાથી ગુજ્જરોને ખબર મોકલતા તેમનામાંથી કેટલાક નીચે (ઘાટીમાં) એટલે કે ગામમાં આવ્યા પછી મીરાબહેને એમને કામ વિશે વાતચીત કરી.

બાલાકોટથી મીરાબહેન અને તેમના સાથીઓ વધુ ઊંચા પહાડો તરફ ગયાં. તેઓ ભોગરમંગ નામના ગામમાં રોકાયા. અહીં સરસ રીતે તૈયાર થયેલા ડાંગરના ખેતરો હતા અને ગામ લોકો વણાટ અને મધમાખી પાલનનું કામ કરતાં હતાં. મીરાબહેન તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયાં. પરંતુ મહત્ત્વની વાત એ હતી કે જેના અંગે તેમણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે, ‘જે બાબતની મને સૌથી વધારે ખુશી છે તે છે હિન્દુ-મુસ્લિમ એકતા … એક હિન્દુ પરિવાર, જેમના વડીલ, શ્વેત કેશધારી, ગામના જુવાન ખાન સમુદાય સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા. લોકોનું કહેવું હતુ કે આ વ્યક્તિ, તેમના પિતા અને દાદાના મિત્ર રહ્યા છે અને બંને સમુદાયો વચ્ચેનો સંબંધ હંમેશાં પરસ્પર સહયોગ અને એકબીજાંનું ધ્યાન રાખવાનો રહ્યો છે.’ આ સાંભળીને મીરાબહેન આગળ લખે છે, ’સ્વાભાવિકપણે મારા હૃદયમાં પ્રાર્થના ઊઠી કે કોઈ નેતા આ નાનકડા ગામ ન પહુંચે, અને અહીંના સહજ જીવન પર ગ્રહણ ન લગાડે.’

હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ સમું આ ગામ મીરાબહેનની યાત્રાનો છેલ્લો પડાવ હતો. બીજી સવારે તેઓ એબટાબાદ પાછા ફર્યાં. સપ્ટેમ્બર ૧૯૩૯માં યુરોપમાં જે વિશ્વયુદ્ધ છેડાયું તેણે ઇતિહાસને હંમેશાં માટે બદલી નાખ્યો. ભારત માટે આ લડાઈનું એક પરિણામ એ હતું કે હિન્દુ અને મુસલમાન વચ્ચેની ખાઈ વધારે પહોળી થઈ. મીરાબહેનને જે આશંકા હતી તેમ આ આગને નેતાઓ જ વધારે ભડકાવી રહ્યા હતા. જે બંને તરફથી ઘણી મોટી સંખ્યામાં હતા. યુદ્ધ જેમ-જેમ આગળ વધતું ગયું, ફ્રંટિયર પ્રોવીન્સમાંથી ગફ્ફારખાનની પાર્ટીનો આધાર ઝડપથી ઓસરતો ગયો અને મુસ્લિમ લીગનો પ્રભાવ વધતો ગયો. તેની સાથે સાંપ્રદાયિક સહિષ્ણુતા પૂરેપૂરી ખલાસ થઈ ગઈ. જો કે અહીંયા ઓગસ્ટ ૧૯૪૭ જેવા ખૂની દંગા તો નથી થયા. જેવા પંજાબમાં થયા હતા. પરંતુ ત્યાં રહેનારા હિન્દુ અને શીખોએ પાકિસ્તાન છોડીને ભારતમાં શરણ લેવી પડી.

જે બાલાકોટમાં મીરાબહેન ૧૯૩૯માં ગયા હતાં તે આજે તો સાવ જ બદલાઈ ગયું છે. હવે અહીંનું વાતાવરણ બહુ ધાર્મિક રહ્યું નથી. એના બદલે અહીંયાં ઇસ્લામીક કટ્ટરવાદને જ પ્રોત્સાહન આપવા વાળા જિહાદીઓના ટ્રેનીગ કેમ્પ છે. બાલાકોટના દ્રશ્યો પણ ઘણા બદલાઈ ગયા હશે જેવા દક્ષિણ એશિયાના બીજા પર્વતીય વિસ્તારોમાં થયું છે, જ્યાં જંગલ ઝડપથી ઘટી રહ્યાં છે અને પથ્થર અને લાકડાનાં સુંદર મકાનોની જગ્યા કોંક્રીટના કદરૂપા ઢાંચાઓએ લઈ લીધી છે. બાલાકોટની સ્થાનિક શિલ્પ કળાઓ પણ વિલુપ્તિને આરે પહોંચી ગઈ હશે.

આ લેખમાં આપણે ઐતિહાસિક સ્મૃતિના એક ભાગની વાત કરી. પરંતુ છેલ્લે હું એ બાબત પર વિચાર કરવા માંગુ છું કે એ ભૂતકાળ પાસેથી આપણે વર્તમાનમાં શું બોધ લઈ શકીએ છે? નોર્થ વેસ્ટ ફ્રાંટિયર પ્રોવીન્સને આજે ખૈબર પખ્તૂનખ્વા કહેવામા આવે છે જ્યાં મુઠ્ઠીભર જ હિન્દુ અને શીખ રહ્યા છે. જ્યારે ભારતના મોટા ભાગના રાજ્યોમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની સંખ્યા નોંધપાત્ર છે. શું આપણે આશા રાખી શકીએ કે આ દેશનાં ગામડાંઓમાં હિન્દુઓ અને મુસલમાન વચ્ચે પરસ્પર સહયોગ અને એકબીજાંનો ખ્યાલ રાખવાનું વાતાવરણ બનાવી શકાશે? કે પછી આપણાં ‘નેતાઓ’ એવું નહીં થવા દે?

(‘ધ ટેલિગ્રાફ’માં પ્રકાશિત લેખનો અનુવાદ; મૂળ લેખની લિંક નીચે આપી છે. − વિ.ક.)

રામચંદ્ર ગુહા જાણીતા ઇતિહાસકાર તેમ જ કટાર લેખક છે. હાલના સમયમાં તેઓ ગાંધીજીના જીવનચરિત્રકાર તરીકે વિશેષ જાણીતા છે. તેમના સંશોધનના વિષયોમાં પર્યાવરણ, રાજકીય, સામાજિક, અર્થતંત્ર, સમકાલીન બાબતો તેમ જ ક્રિકેટના ઇતિહાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પ્રકાશિત પુસ્તક ‘ગાંધી : ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ છે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 01 ઑક્ટોબર 2020

https://www.telegraphindia.com/opinion/mira-behn-and-lessons-from-the-history-of-balakot-and-khyber-pakhtunkhwa/cid/1785224

Loading

...102030...2,1392,1402,1412,142...2,1502,1602,170...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved