Opinion Magazine
Number of visits: 9680473
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજસત્તા સામે સ્વાયત્તતાનાં મૂલ્યની હૅટ ટ્રિક

પ્રવીણ પંડયા|Opinion - Opinion|1 November 2020

ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે  સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.

રાજકીય પક્ષો સત્તાની ઘોડાદોડમાં જોતરાય ત્યારે વિચારધારાઓને લૂણો ય લાગે,પણ મૂલ્યોનો દૃઢ પાયો ધરાવતી સંસ્થાઓ જેમ જેમ જૂની થાય એમ વધુ પક્વ વિકસિત અને વિચારવંત બને. ગુજરાતી સાહિત્ય પરિષદ આનું ઉદાહરણ છે. આનું કારણ પણ સાવ સીધું સાદું અને સમજાય એવું છે.પક્ષોનું ચાલક બળ વિચારધારા હોય છે અને ધ્યેય દરેક ક્ષેત્રમાં સત્તા સ્થાપવાનું હોય છે; સાહિત્યનું ચાલક બળ મૂલ્ય છે, અને ધ્યેય કલાસર્જન વડે મૂલ્ય રક્ષા અને હર્ષ આદિની પ્રાપ્તિ. આમ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. સાહિત્ય એક વિવિધરંગી મેઘધનુષ છે તો રાજકીય પક્ષો એકરંગી ઓળખ ધરાવતાં સંગઠન. કોઈ એક રંગ ક્યારેય સમસ્ત સાહિત્યને પોતાનાં રંગે ન રંગી શકે. આવો પ્રયાસ જ બાલિશતા છે જે અહીં હાલની ભાજપ સરકાર કરી રહી છે. સરકારોની આવી મૂલ્ય આધારિત તુલના કે ટીકાટિપ્પણી એ સાહિત્યકારનો બંધારણે આપેલો અભિવ્યક્તિનો જ નહીં પણ કળાએ બક્ષેલો માધ્યમગત અધિકાર પણ છે. અને એ બદલ કોઈ રાજકીય પક્ષ જો સાહિત્યકારો કે કલાકારોને ટેગ કે ટ્રોલ કરે અથવા દંડિત કરે તો એ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રાજસત્તાનો ઘોર દુરુપયોગ જ કહેવાય. પણ અત્યારે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપી એ વિચારીએ કે સાહિત્ય સમાજે બહુમતીથી રાજસત્તા સામે પોતાની સ્વાયત્તતા માટે લડતી આ સંસ્થામાં સરકાર તરફી પ્રમુખપદના ઉમેદવારને એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરાજય કેમ આપ્યો? કારણ માત્ર એટલું જ કે જુદી જુદી રાજકીય સમજણ ધરાવતા તમામ અગ્રણી સાહિત્યકારો સ્વાયત્તતાનાં મૂલ્યને પક્ષે છે. અને આનું ઉજ્જવળ ઉદાહરણ આ વખતના પ્રમુખપદ માટેના ત્રિપાંખિયા જંગે પૂરું પડ્યું છે એટલું જ નહીં પણ શાસક પક્ષને એ પણ બોધપાઠ આપ્યો છે કે સાહિત્યનું લોકતંત્ર; સાહિત્યની રાજનીતિ તમારી સત્તાની સીમિત સમજથી ઘણે દૂરની વાત છે, એનાં પર તમે ‘હું સીમિત રાજનીતિનો માણસ છું’ એવો વ્યંગ કરી શકો પણ લોભ-લાલચ કે કપટથી જેમ અન્ય ક્ષેત્રોમાં તમારો ઝંડો ફરકાવો છો એમ અહીં ન ફરકાવી શકો. અમે એ સંસ્કૃત વિદ્વાન રાજશેખરના વંશજો છીએ જે રાજાઓને પણ એ સલાહ આપતા કે રાજદરબારમાં સાહિત્યકારોનું ક્યાં અને કેવું સ્થાન હોવું જોઈએ. તમે આ નહીં સમજો તો દરબારી સાહિત્યકારો ભલે તમારો ‘જય હો.. જય હો’ કરે પણ પોતાની ‘સીમિત રાજનીતિ’ની સમજ સાથે જ સમેટાઇ જશો.

ગઈ બે ચૂંટણીમાં સરકાર પક્ષે પરિષદ પ્રમુખપદ માટે ટોપીવાળા અને સિતાંશુ ‘એઝ અ બ્રાન્ડ’ (ભા.જ.પ.) પોતાનાં ઉમેદવાર સામે અનુક્રમે નાનુભાઈ નાયક અને બળવંત જાની ઉતાર્યા હતા. આ બંને ભલે જુદી રાજકીય સમજ ધરાવતા હોય પણ આપણાં માટે સાહિત્યકાર તરીકે સન્નમાનનીય જ છે; પણ રાજસત્તાનું પૂરું પીઠબળ હોવા છતાં  તેઓ જંગી બહુમતીથી પ્રમુખપદ માટે પરાજિત થયા. આ વખતે રણનીતિ બદલાઈ. ઉમેદવાર તરીકે પરિષદ સાથે સતત સંકળાયેલા રહેલા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ત્રણ ભૂતપૂર્વ મહામાત્રોને પરિષદનો કોઠો ભેદવા મેદાનમાં ઉતાર્યા જેમના એક ૬૩ વર્ષનાને પ્રમુખપદના યુવાન ઉમેદવાર તરીકે મૂક્યા. પ્રચાર પણ કમાલનો કર્યો. અન્ય બે ઉમેદવારમાં પ્રકાશ. ન. શાહ (૮૧ વર્ષ) અને હરિકૃષ્ણ પાઠક (૮૩ વર્ષ). હર્ષદ ત્રિવેદી તરફે સરકાર તરફી બળો અગાઉની જેમ જ કાર્યરત રહ્યાં, ‘પેલી સીમિત રાજનીતિના માણસવાળી’ દલીલની જેમ એમણે ‘યુવાનોનાં હાથમાં પરિષદનું સુકાન સોંપો’નું ‘નાગપુરી’ લૉજિક આગળ કર્યું અને પ્ર.ન. શા. ઘરડા છે ને’ સાહિત્યકાર તરીકે નહીં પણ પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે એવો ‘ડંક-નાદ’ કર્યો. પાઠકસાહેબનો પણ ‘વૃદ્ધ છે’ના લૉજિકથી છેદ ઊડાડવાની કોશિશ થઈ. સાહિત્યની રાજનીતિ પોતાની લીટી લાંબી કરવાની વિધેયાત્મક રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. ‘સીમિત રાજનીતિની’ સમજમાં નહીં. પરિષદના શાણા મતદારોએ પરિણામ આ પ્રમાણે આપ્યુંઃ પ્રમુખપદના વિજેતા પ્રકાશ. ન. શાહ; ૫૬૨ મત, હર્ષદ ત્રિવેદી ૫૩૩, હરિકૃષ્ણ પાઠક ૧૯૭, કુલ મત ૧૨૯૨. સાર એ કે સાહિત્ય પરિષદ સાહિત્યની સંસ્થા છે એટલે એમાં મૂલ્ય આધારિત લોકતંત્ર જ ચાલે છે. પ્રકાશભાઈ અને પાઠકસાહેબ (ઘરડા, પણ ગાડાં વાળે એવા) બંનેની રાજકીય વિચારધારામાં તફાવત હશે, પણ સ્વાયત્તતાના મુદ્દે બંને સ્પષ્ટ હતા, જ્યારે હર્ષદ ત્રિવેદી અસ્પષ્ટ. આ વિજય સ્વાયત્તતાના મૂલ્યનો – પ્રકાશભાઈ ૫૬૨ + હરિકૃષ્ણભાઈ ૧૯૭, બહુમતીએ થયેલો સ્વાયત્તતાનો વિજય છે. સ્વાયત્તતાની આ હૅટ ટ્રિકને વધાવી આપણે સહુ હારજીત ભૂલીને કામે લાગીએ.

તારીખઃ ૨૬/૧૦/૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 03

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદઃ હવે કઈ દિશા?

રમણ સોની|Opinion - Opinion|1 November 2020

સ્નેહાદરણી / નવનિર્વાચિત પ્રમુખશ્રી પ્રકાશભાઈ,

તમને ને નવી મધ્યસ્થ સમિતિના મિત્રોને હાર્દિક અભિનંદન આપીને તરત જ એમ કહેવાનું થાય છે કે તમારી સૌની જવાબદારી બેવડી થઈ જાય એવી આજે પરિષદની સ્થિતિ છે. પ્રશ્નો ઘણા છે ને એટલે દૃષ્ટિપૂર્વકનો પરિશ્રમ પણ એટલો જ રહેવાનો …

પરિષદની એક તાસીર એ રહી છે કે કેટલાંક ઉત્તમ કામો આદરીને એણે અધૂરાં મૂકી દીધાં છે. પરિષદમાં ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર’ ચાલતું હતું, સરસ રીતે ચાલતું હતું. સાહિત્યના લેખકો-શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત પણ કેટલા બધા જિજ્ઞાસુઓને ગુજરાતી ભાષાની સમજ અંગેના એ વર્ગોમાં રસ પડતો હતો ને પ્રતિપોષણ મળતું હતું. પણ પછી એનું શું થયું? એ જ રીતે, બીજું એક અત્યંત જરૂરી ‘અનુવાદ કેન્દ્ર’ સ્થપાયું હતું. એ કાગળમાંથી બહાર નીકળીને કેટલું કાર્યરત રહ્યું? અનુવાદના વર્ગો પણ કેટલોક વખત ચાલીને વિરામ પામ્યા. છેલ્લાં વર્ષોમાં આવા વિરામોની સંખ્યા જ વધી છે. ભૂતપૂર્વ પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પરિસંવાદના કેટલાક નવતર કાર્યક્રમો ઉપરાંત પરિષદ-પ્રકાશનોના વક્તવ્ય-વિમર્શની પરિપાટી રચેલી. પછી એ અટકી તે અટકી. જ્ઞાનસત્રોમાં, સરજાતા સાહિત્યનું બે વર્ષનું સરવૈયું રજૂ થાય એવી, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યવાળી પરંપરા હતી એ પણ સમેટાઈ ગઈ. દલપતરામની દ્વિજન્મશતાબ્દી અને ઉશનસ્‌- જયંત પાઠકની જન્મશતાબ્દીઓ ગઈ, પણ એની કોઈ ગુંજ પરિષદમાં સંભળાઈ?

પરિષદે કર્યો જ છે, ને પરિષદ જ કરી શકે એવાં કેટલાંક કામ સાતત્યથી ચાલતાં રહેવાં જોઈતાં હતાં. ૧૯૮૦ આસપાસ આરંભાયેલું ને સતત ચાલતું રહેલું સાહિત્ય-કોશનું કાર્ય ૧૯૮૯ પછી પ્રકાશિત થતું રહ્યું પણ પછી એનું કોઈ સાતત્ય રહ્યું? જેમ કે, અર્વાચીનકાળને લગતો કોશનો ખંડઃ૨ પ્રગટ થયો (૧૯૯૦) ત્યારે એમાં ૧૯૫૦ સુધીમાં જન્મેલા લેખકોનો સમાવેશ થયેલો. ૧૯૫૦ પછી જન્મેલા લેખકમાંના કેટલાક હવે ૭૦ની વયના થવા આવ્યા, ને એમનાં સર્વ લેખનકાર્ય સાથે એ કોશની બહાર છે! એ કોશખંડનું પરિષદે શું વિચાર્યું? એ કાર્યનું કોઈ અનુસંધાન કે સાતત્ય રહ્યું છે ખરું? સાહિત્યસમાજની અપેક્ષા આવાં મૂળગામી અને ઇતિહાસદર્શી કાર્યોની હોય. હવેના પ્રમુખ અને વહીવટી મંડળી આવાં કાર્યોને અગ્રતા આપશે એવી અપેક્ષા રાખીએ.

પરિષદની એક ઊજળી પરંપરા હતી સાહિત્ય અને સાહિત્યવિદ્યા-વિમર્શ અંગેની કેન્દ્રવર્તી પ્રવૃત્તિઓની. નજીકનાં વર્ષોમાં પરિષદભવનમાં એવા કોઈ મહત્ત્વના પરિસંવાદો થયા? કોઈ સઘન પરિચર્ચાઓ યોજાઈ? ('અનુબંધ’, ‘આનંદની ઉજાણી’, વગેરે પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલી એ તો સાહિત્યના વ્યાપક પણ પ્રાથમિક સંપર્ક માટેની, પરિઘ પરની પ્રવૃત્તિઓ ગણાય. કેટલીક ઉત્તમ શાળાઓ પણ આવા કાર્યક્રમ કરતી હોય છે). એ અલબત્ત,એક ઉપયોગી વિસ્તરણ-પ્રવૃત્તિ ગણાય, પણ પરિષદનું એ મુખ્ય કેન્દ્રીય કામ ગણાશે? સાહિત્યના સુજ્ઞ રસિકોની ને વિદગ્ધોની, પરિષદ જેવી માતૃસંસ્થા પાસે રહે એવી વાજબી અપેક્ષાઓ કેટલી સંતોષાઈ? નવી મંડળી આના પર કેન્દ્રિત થાય એવી આશા અને અપેક્ષા છે.

અલબત્ત, પ્રવૃત્તિઓના સંચાર માટે આર્થિક ચાલક બળની જરૂર રહે. પરંતુ પરિષદની એ મુશ્કેલીનો ઉકેલ તો કર્યે જ છૂટકો. નહીં તો પરિષદના અસ્તિત્વનો જ પ્રશ્ન થાય. પરિષદ સરકારી સંસ્થા નથી, પ્રજાની – સાહિત્યરસિક પ્રજાવર્ગની સંસ્થા છે. પ્રકાશભાઈ, તમારો એક ગમતો શબ્દ છે – ‘પ્રજાસૂય’. તો લેખકો-ભાવકોની આ સંસ્થાના સંચાલન માટે, જરૂર પડ્યે, દરેક સાહિત્યરસિકની યથાશક્ય હિસ્સેદારીનું, સહાયનું પણ વિચારી શકાય. એવી પણ એક ઝુંબેશ હોઈ શકે. નવી મંડળી, ઉત્તમ સાહિત્યપ્રવૃત્તિઓથી સૌને પ્રતીતિ કરાવી શકે તો એ ઝુંબેશ સફળ થઈ પણ શકે.

અહીં જ સ્વાયત્તતાનો મુદ્દો પણ વિચારી લેવા જેવો છે. સ્વાયત્તતા આમ તો લેખકમાત્રના વ્યક્તિગત સ્વમાનનો ને ગૌરવનો મુદ્દો છે. પણ સરકારી અકાદમી સાથેના સંબંધો બાબતે આપણા ઘણા લેખકોએ સ્વમાનનું તળિયું બતાવી દીધું છે! આપણને જાણે ટટ્ટાર રહેવાનું ફાવતું (કે પાલવતું?) જ નથી!. સાહિત્ય પરિષદે સ્વાયત્તતા અંગે જે સંકલ્પ કરેલો છે  –  ને આજસુધીના બધા જ પ્રમુખો એને વળગી રહ્યા છે – એ આનંદનો વિષય છે. પણ સ્વાયત્તતાની લડત અંગે બે મુદ્દા વિચારી લેવા જેવા છે. એક તો એ કે, માત્ર ઠરાવો કે વિચારોથી સ્વાયત્તતા હાંસલ નહીં થઈ શકે, આંદોલન જ પરિણામગામી રસ્તો છે. બીજું એ કે, ગુજરાત સાહિત્ય અકાદમીની કોઈપણ પ્રવૃત્તિ સાથે ન જોડાવા અંગે મધ્યસ્થ-કારોબારી-હોદ્દેદારોને માટે પરિષદે નીતિલક્ષી નિર્ણય લીધો હોય તે બરાબર છે પણ સર્વ લેખકોને માટે પણ એની અજમાયશ કરવી એ બરાબર નથી. પરિષદના હોદ્દેદાર ન હોય એવા પણ ઘણા લેખકોએ ગુજરાત સાહિત્ય અકાદમીનો સ્વૈચ્છિક બહિષ્કાર કરેલો છે, કેટલાકે ન પણ કર્યો હોય, એટલે પરિષદના કાર્યક્રમોમાં વક્તવ્ય, ‘પરબ’માં લેખન, એ બધું દરેક લેખક માટે – એની યોગ્યતા-અનુસાર – ખુલ્લું રહેવું જોઈએ. વળી આ પ્રકારની અતાર્કિકતા અને મતાગ્રહ-આવેશ લોકશાહી-નિષ્ઠ સંસ્થાને શોભે નહીં. એને કારણે તો, પરિષદ જે ક્યારે ય ઈચ્છતી નથી એ પ્રતિસ્પર્ધા ભાવ નાહક વ્યાપક બનતો જશે.

સ્વાયત્તતાનો આગ્રહ એ પરિષદનો એક સ્પષ્ટ સંકલ્પ છે, પણ એ આગ્રહમાં જ પરિષદની ક્રિયાશીલતા સમાપ્ત થતી નથી, ન થવી જોઈએ. ખરેખર તો, પોતીકી મુદ્રા ઉપસાવતી ઉત્તમ અને નક્કર સાહિત્યપ્રવૃત્તિઓથી જ પરિષદ સ્વાયત્ત સંસ્થા એટલે શું એનું, વગરબોલ્યું, પ્રતિમાન રચી શકે – બલકે એ જ કર્તવ્ય કાર્ય છે.

આસન્ન ભૂતકાળના અનુભવોથી રહીરહીને એવો સંદેહ થાય છે કે આ નવું વહીવટી મંડળ એ જ ચાલતા ઢાળ પરથી ઢળી જવાનો સુકર રસ્તો લેશે કે કાર્યસઘન નવી ઉપત્યકાઓ રચવાનું સ્વીકારશે?

પરંતુ એવી આશા રાખવી જ અત્યારે તો ઈષ્ટ લાગે છે, પ્રકાશભાઈ, કે તમારા સરખા વિચારશીલ પ્રમુખની નરવી દોરવણીથી ને તમારી સંવાદી – પણ ક્રિયાવર્તી બનનારી – કાર્યશૈલી સાથે આ નવી મંડળી પરિષદને વિશ્વસનીયતાથી અને કાર્યનિષ્ઠાથી નવું અજવાળું આપે. એ પડકાર પણ આનંદદાયક નીવડે.

— ર.સો.

ઑક્ટોબર ૨૮, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 04

Loading

ચલ મન મુંબઈ નગરી—68

દીપક મહેતા|Opinion - Opinion|31 October 2020

૧૯૦૭ની એક સવારે ચર્ની રોડ સ્ટેશન પર ઉતરેલો એ યુવાન કોણ હતો?

ઉછીનો લાવેલ કાળો કોટ પહેરીને કોર્ટમાં જનાર એ યુવાન કોણ હતો?

ઘનશ્યામ વ્યાસના નામે નવલકથા લખનાર એ યુવાન કોણ હતો?

ઈ.સ. ૧૮૮૭ની એક સવારે ચર્ની રોડ સ્ટેશન પાસેથી ૧૮-૧૯ વરસનો એક જુવાન, નામે સરસ્વતીચંદ્ર, ઘર છોડીને, મુંબઈથી દૂર ચાલ્યો ગયો હતો અને પહોંચ્યો હતો ભદ્રા નદી અને સાગરના સંગમ પાસે આવેલા સુવર્ણપુરમાં. બરાબર વીસ વરસ પછી બહાર ગામથી આવતી ટ્રેનમાંથી એ જ ચર્ની રોડ સ્ટેશન પર વીસ વરસનો એક યુવાન ઉતરે છે. નર્મદા નદી અને સાગરના સંગમ નજીક આવેલા ભરૂચ શહેરથી એ આવ્યો છે. તેણે પહેલી વાર મુંબઈમાં પગ મૂક્યો એ અગાઉ ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે સરસ્વતીચંદ્રના સર્જક ગોવર્ધનરામનું મુંબઈમાં અવસાન થયું હતું. સરસ્વતીચંદ્ર ગયા પછી તેના ઘરની ઘોડા ગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવી હતી. વીસ વરસ પછી આ યુવક ઉતરે છે ત્યારે ઘરની ઘોડા ગાડી તો નથી. પણ ભાડાની વિક્ટોરિયા તો ઊભી છે સ્ટેશનની બહાર. પણ આ યુવાન વિક્ટોરિયામાં બેસવાને બદલે, મજૂરને માથે સામાન ચડાવી, તેની સાથે ચાલવા લાગે છે. કેમ? વિક્ટોરિયાનું બાર આનાનું ભાડું પોસાય તેમ નથી. મજૂર ચાર આના લે. આઠ આના બચતા હોય તો ગિરગામ વિસ્તારમાં આવેલી પીપળ વાડી સુધી ચાલવામાં આ જુવાનને વાંધો નથી.

વકીલ કનૈયાલાલ મુનશી

બી.એ. એલએલ.બી. થઈને સરસ્વતીચંદ્રે મુંબઈ છોડ્યું હતું. વિદ્યાર્થી મટી અનુભવાર્થી થવા નીકળ્યો હતો. વીસ વરસ પછી આ યુવક બી.એ. થયો હતો અને એલએલ.બી. થવા મુંબઈ આવ્યો હતો. ના, ઓગણીસમી સદીમાં ગયેલો યુવાન સરસ્વતીચંદ્ર વીસમી સદીમાં પાછો આવ્યો નહોતો. તે પાછો આવી શકે એ શક્ય જ નહોતું. આ તો વીસમી સદીનો સ્વપ્નદ્રષ્ટા આવ્યો હતો. પોતાની સૃષ્ટિ પોતે રચીને તેનો નાથ થવા સર્જાયેલો આ યુવક હતો. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને દસ ડગલાં આગળ લઈ જવા સર્જાયેલો આ યુવક હતો. પણ એ વાતની એ વખતે કોઈને ખબર નહોતી  –  એ યુવકને પોતાને પણ નહિ. વીસેક મિનિટ ચાલીને એ પીપળ વાડી આવી પહોંચ્યો, એના ત્રણ સાવકા મામાઓને ઘેર. કોઈ બંગલામાં નહોતા રહેતા આ ત્રણ મામા. પીપળ વાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતા હતા. મોટા મામા અને મામી રસોડામાં સૂતાં. બીજા બે મામા અને આ યુવાન આગલી રૂમમાં કે છજામાં સૂતા.

એ યુવાનનું નામ? કનૈયાલાલ માણેકલાલ મુનશી. જે વર્ષે ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો એ જ વર્ષે, ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે, બપોરે બાર વાગે ભરૂચમાં જન્મ. એ જમાનાના રિવાજ પ્રમાણે ૧૩ વરસની ઉંમરે, ઈ.સ. ૧૯૦૦માં તો તેનાં લગ્ન થઈ ગયાં હતાં, અતિલક્ષ્મી પાઠક સાથે. ગ્રેજ્યુએટ થવા માટે બરોડા કોલેજમાં ૧૯૦૨માં દાખલ થયા, જ્યાં અરવિંદ ઘોષ તેમના અધ્યાપકોમાંના એક. બી.એ.માં એલિયટ મેમોરિયલ પ્રાઈઝ મેળવેલું.

કેવું હતું મુંબઈની ચાલીનું એ જીવન? મુનશીના જ શબ્દોમાં જોઈએ: “ચારે તરફ ગંદવાડ, રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. ખંડોમાં પરસેવાની ગંધ મારે. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે. કોલાહલ કરતા આ જનસમૂહના વાસમાં આખો દિવસ ‘નળ બંધ કરો’ની બૂમો ઉપલા માળવાળા નીચલા માળવાળાને કાને પહોંચાડતા. નીચે કેરી વેચનારાઓ ઉપરવાળાને સંભળાવવા મોટેથી બૂમ મારતા : ‘પાયરી, આફૂસ.’ જેનો જવાબ અમે ‘બૈરી ડફઉઉફસ’ કરીને વાળતા ને મોઢામાં કેરીનો સ્વાદ આણતા.”

મુંબઈની ચાલ

થોડા દિવસ તો આ રીતે માંડ માંડ કાઢ્યા. પછી એલએલ.બી. ભણતા બે મિત્રો સાથે મળીને ‘ખોલી’ ભાડે રાખીને રહેવાનું નક્કી કર્યું. એક પછી એક મકાનનાં પગથિયાં ઘસવા માંડ્યાં. પણ જ્યાં જાય ત્યાં સૌથી પહેલો એક જ સવાલ: ‘બૈરી સાથે છો ને’? પણ મુનશી પત્નીને ભરૂચ રાખીને આવેલા અને બીજા બે મિત્રો હજી કુંવારા હતા. એટલે જવાબમાં ‘ના’ પાડે કે તરત મહેતાજી જ ‘આવજો’ કહી દે. છેવટે કાંદાવાડીમાં આવેલી કાનજી ખેતસીની ચાલમાં હિંમત કરી સીધા ટ્રસ્ટી પાસે પહોંચ્યા. ટ્રસ્ટીએ નામ સાંભળી પૂછ્યું: 'ડાકોરમાં અધુભાઈ મુનશી હતા તેના તમે કંઈ સગા થાવ?’ ‘હા, હું એમનો ભત્રીજો થાઉં.’ આ સાંભળી ટ્રસ્ટીએ હુકમ કર્યો: ‘ભૈયાજી, ઉન કો અચ્છી ખોલી દે દો.’ આ અંગે મુનશી લખે છે: ‘એ જ ચાલોનો એક દિવસ હું ટ્રસ્ટી થવાનો છું એ ખ્યાલ ત્યારે તો સ્વપ્નામાં પણ નહોતો.’ પણ સ્વપ્નામાં પણ ન કલ્પ્યું હોય એવું તો ઘણું ઘણું બનવાનું હતું આગળ જતાં. 

કવિ નર્મદની જન્મભૂમિ સુરત, પણ કર્મભૂમિ મુંબઈ. ગોવર્ધનરામની જન્મભૂમિ નડિયાદ, પણ કર્મભૂમિ મુંબઈ. તેવી જ રીતે મુનશીની જન્મભૂમિ ભરૂચ, પણ કર્મભૂમિ મુંબઈ. આત્મકથા ‘સીધાં ચઢાણ’માં મુનશી કહે છે : ‘જૂન ૧૯૦૭ની શરૂઆતમાં હું એલએલ.બી.નો અભ્યાસ કરવા મુંબઈ આવ્યો, ત્યારથી મુંબઈગરો થયો.’ મુનશી જેવા અત્યંત મહત્ત્વાકાંક્ષી માણસ મુંબઈ જેવા મહાનગર પ્રત્યે ન આકર્ષાય તો જ નવાઈ. મુનશીના વ્યક્તિત્વમાં, તેમનાં પોશાક, રહેણીકરણી, વિચારો, વાણી-વર્તન અને આદર્શોમાં, મહાનગરની વિશાળતા અને ઊંચાઈ છે. તેમનાં લખાણોમાં જે સફાઈ, સુઘડતા, વ્યવવસ્થા, મુક્તિ, અને પરિષ્કૃત સંસ્કારીતા સતત જોવા મળે છે તે તેમના મહાનગરવાસની નિશાની છે.

ભરૂચમાં હતા ત્યારથી જ મુનશીને નાટક જોવાનો ગાંડો શોખ. મુંબઈ આવીને પણ જૂની રંગભૂમિનાં અનેક નાટક જોયાં. નાટકમાં બે અંક વચ્ચે પડદો પડે ને પછી પાછો ઊપડે. ઊપડે ત્યારે દૃષ્ય બદલાઈ ગયું હોય. મુનશીના જીવન-નાટકનો પડદો ઊપડે છે અને એક નવું દૃષ્ય. સમય છે ૧૯૧૨નો જૂન મહિનો. અમદાવાદથી પ્રગટ થતું એક માસિક, નામે ‘સુંદરી-સુબોધ’. એ મહિનાના અંકમાં એક ટૂંકી વાર્તા પ્રગટ થાય છે : ‘મ્હારી કમલા.’ (પછીથી જોડણી બદલીને ‘મારી કમલા’) લેખકનું નામ લખ્યું છે : કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ., એલએલ.બી. ગુજરાતીમાં છપાયેલી મુનશીની આ પહેલવહેલી કૃતિ, લખાઈ મુંબઈમાં. પછીથી મુનશીએ પોતે નોંધ્યું છે : ‘ચંદ્રશંકર માસ્તર અને કાન્તિલાલ પંડ્યા ગુજરાતીમાં લખવા માટે મને પ્રેર્યા કરતા હતા, પણ મારી હિમ્મત ચાલતી નહોતી. હું નિશાળમાં ગુજરાતી ભણ્યો નહોતો. ગુજરાતીમાં એક સારો પત્ર પણ લખવાનું મારાથી બની શકતું નહિ. જ્યારે જયારે મને કોઈ પણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે તેને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી, પણ તે અંગ્રેજીમાં જ. ૧૯૧૨માં મને એવો ઉદ્વેગ થયો ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત થઈ શકશે કે કેમ તેનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી.’ અને તે દિવસે મુંબઈમાં ગુજરાતી ભાષાને મળ્યો એનો દિગ્ગજ ગદ્યકાર, સાહિત્યકાર, સર્જક. કમલાથી કૃષ્ણાવતાર સુધીની મુનશીની લેખનયાત્રા ચાલી મુંબઈમાં.

પણ મુનશી માત્ર સર્જક નહોતા, મોટા ગજાના વિધાયક હતા. અને એમની વિધાયક શક્તિ એક બાજુથી સાહિત્યમાં પ્રગટ થઈ, તો બીજી બાજુથી સંસ્થાઓમાં છવાઈ ગઈ. મુનશી ‘એકલો જાને રે’ના માણસ નહોતા. સૌનો સાથ લઈને ચાલનારા માણસ હતા. ૧૯૧૨માં જ મુંબઈની ‘ગુર્જર સભા’ સાથે મુનશી સંકળાયા. થોડાં વરસ પછી તેમને લાગ્યું કે મુંબઈના ગુજરાતી સાહિત્યકારોને એકબીજા સાથે સાંકળવાની જરૂર છે. અને તેથી ૧૯૨૨માં તેમણે ‘સાહિત્ય સંસદ’ શરૂ કરી. ‘ગુજરાત’ નામનું માસિક શરૂ કર્યું જેણે એ વખતનાં આગળ પડતાં ગુજરાતી સામયિકોની હરોળમાં સ્થાન મેળવી લીધું. મુનશી ‘ઉપરથી આવતી’ પ્રેરણાના માણસ નહોતા. પરસેવાના અને પ્રયત્નના માણસ હતા. એટલે જ લખે છે : ‘મારી સર્જન શક્તિનું મને ભાન આવ્યું એટલે સાહિત્ય સંસદ અને ગુજરાત માસિક દ્વારા ગુર્જરી સાહિત્ય અને સંસ્કારનાં વિકાસ ને વિસ્તાર સાધવા માટે હું તત્પર બન્યો.’ સાહિત્ય સંસદ અને ‘ગુજરાતી’ માસિક એ મુનશીની ગુજરાત અને ગુજરાતી સાહિત્યને મુંબઈથી અપાયેલી પહેલી ભેટ.

બોમ્બે હાઈ કોર્ટ – ૨૦મી સદીની શરૂઆતમાં

ફરી દૃષ્ય બદલાય છે. ૧૯૧૩ના માર્ચ મહિનાની પંદરમી તારીખે સવારે સાડા અગિયાર વાગે મુનશીના જીવનનું એક નવું દૃષ્ય શરૂ થાય છે. વકીલનો કાળો ઝભ્ભો અને સફેદ ‘ફરફરિયાં’ (કોલર પર બાંધવાના બેન્ડઝ) ખરીદવાના પૈસા ખિસ્સામાં નથી એટલે કોઈકનાં માગીતાગીને લાવ્યા છે. એ પહેરીને બોમ્બે હાઈ કોર્ટમાં મુનશી દાખલ થાય છે, ન્યાયમૂર્તિ બીમન સાથે શેક-હેન્ડ કરે છે અને એડવોકેટ ઓ.એસ. (ઓરિજિનલ સાઈડ) બની તેમની વચ્ચે જઈ બેસે છે. પછીથી છેક ૧૯૬૨માં એ અંગે મુનશી લખે છે : ‘જાણે ડૂબતો હોઉં તેવો મને ભાસ થયો.’ પછી થાણાની કોર્ટમાં પહેલી વાર દલીલો કરવા ઊભા થાય છે. ‘હું અપીલ ચલાવવા ઊભો થયો ત્યારે મારી આંખ આગાળ કોર્ટ ચક્કર ચક્કર ફરતી હતી. મારો અવાજ ગળાની બહાર નીકળી શકતો નહોતો. કાનમાં તો જોરથી ઘંટનાદ સંભળાતા હતા. પંદર-વીસ મિનિટે મને શુદ્ધિ આવી, ને હું બરાબર બોલવા લાગ્યો.’ પછી તો વખત જતાં મુનશીની ગણના બોમ્બે હાઈ કોર્ટના અગ્રણી વકીલોમાં થવા લાગી. ઊછીનો ઝબ્બો અને ફરફરિયાં પહેરીને પહેલી વાર કોર્ટમાં દાખલ થનાર મુનશી લખે છે : ‘૧૯૨૨ના છેલ્લા ત્રણ માસની મારી આવક વિશુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકના અધિકારી બનાવે તેટલી મોટી હતી.’

૧૯૧૩ના વર્ષમાં બીજી પણ એક મહત્ત્વની ઘટના બને છે જે આગળ જતાં ગુજરાતી નવલકથાની દશા અને દિશા બદલી નાખે છે. એ જમાનામાં ‘ગુજરાતી’ નામના સાપ્તાહિકની બોલબાલા હતી. તેના સ્થાપક તન્ત્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની તેમાં પ્રગટ થતી ધારાવાહિક નવલકથાઓ તેનું એક મુખ્ય આકર્ષણ હતી. પણ ૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઇચ્છારામનું અવસાન થયું તે પહેલાં કેટલાક વખતથી તેમણે લખવાનું લગભગ બંધ કર્યું હતું. એટલે ‘ગુજરાતી’ને નવા નવલકથાકારની તાતી જરૂર હતી. એ સાપ્તાહિક સાથે સંકળાયેલા અંબાલાલ જાની મુનશીના મિત્ર. તેઓ ‘ગુજરાતી’ માટે ધારાવાહિક નવલકથા લખવા મુનશીને સૂચવે છે. અને મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ગુજરાતી’ સાપ્તાહિકના ૧૯૧૩ના ઓગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થાય છે. હજી વકીલાતની શરૂઆતના દિવસો. પોતાને નામે એ નવલકથા પ્રગટ કરવાનું યોગ્ય ન લાગ્યું. ન કરે નારાયણ, ને કોઈક તકલીફ ઊભી થાય તો! એટલે એ નવલકથા ‘ઘનશ્યામ વ્યાસ’ તખલ્લુસથી પ્રગટ થાય છે. ભેદભરમ, કાવાદાવા, વેર અને તેની વસૂલાત વગેરેથી ઊભરાતી આ નવલકથાને વાચકો વધાવી લે છે. પણ આ નવલકથા લખવા પાછળનું ખરું કારણ શુ હતું? વર્ષો પછી મુનશી લખે છે : ‘કોલમના ચૌદ આના (આજના ૮૫ પૈસા!) જતા કરવાનું રુચ્યું નહિ, એટલે વારતા લખવાનો નિશ્ચય કર્યો ને વેરની વસૂલાત લખી.’

પણ મુંબઈમાં રહીને મુનશીએ વેરની વસૂલાત ન કરી, જાણે આગલા ભવનું લેણું ચૂકવતા હોય તેમ અનેક ક્ષેત્રોમાં અઢળક કામ કર્યું. તેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 31 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1392,1402,1412,142...2,1502,1602,170...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved