Opinion Magazine
Number of visits: 9680512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—69

દીપક મહેતા|Opinion - Opinion|7 November 2020

વાવ્યો હતો તુલસીનો છોડ, પણ ઊગ્યું વટવૃક્ષ

આઠ લાખ રૂપિયાનું દાન આપનાર મેલોઘેલો માણસ કોણ હતો?

મુનશીને આપેલા કાગળમાં ગાંધીજીએ શું લખ્યું હતું?

વરસ ૧૯૩૮, મહિનો નવેમ્બર, તારીખ સાત, વાર સોમ. હા, આજથી બરાબર ૮૨ વરસ પહેલાંની આ વાત. એકાદ વરસ પહેલાં જ માટુંગામાં શરૂ થયેલી ગુરુ નાનક ખાલસા કોલેજનો એક સભાખંડ. મુંબઈના કેટલાક અગ્રણી નાગરિકો અહીં ભેગા થયા છે. એ બધાથી વીંટળાયેલા બેઠા છે કનૈયાલાલ મુનશી. એક પછી એક ભાષણ થતાં જાય છે. મુનશી બોલવા ઊભા થાય છે. અને જાહેરાત કરે છે એક સંસ્થાની સ્થાપના કરવાની. જાણે એક નાનકડા કુંડામાં તુલસીનો છોડ રોપાય છે. એ વખતે તો કોઈને ખ્યાલ નહોતો, મુનશીને પોતાને પણ નહિ હોય, કે આજે જે વવાયું છે તે તુલસીનો છોડ નહિ, પણ એક વટવૃક્ષ છે. એની ડાળીઓ દેશમાં અનેક જગ્યાએ અને દેશની બહાર પણ કેટલીક જગ્યાએ ફેલાવાની છે. એ દિવસે મુનશીએ માત્ર મુંબઈને જ નહિ, દેશ અને દુનિયાને એક કિંમતી ભેટ આપી. એ ભેટનું નામ – ભારતીય વિદ્યા ભવન. ભારતીય સંસ્કૃતિનાં બધાં પાસાંને આવરી લેતી અનેકવિધ પ્રવૃત્તિઓ આટલાં વર્ષોથી સતત કરતી રહેલી સંસ્થા મહાનગર મુંબઈ સિવાય દેશના બીજા કોઈ ભાગમાં ભાગ્યે જ જોવા મળે.

જ્યાં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના થઇ તે ખાલસા કોલેજ

એ વખતે મુનશીની ઉંમર એકાવન વરસની. અત્યંત સફળ વકીલ તરીકેની કારકિર્દી પાછળ છોડી દીધી હતી. આઝાદી માટેની લડતમાં ઝંપલાવ્યું હતું અને ત્રણ વખત જેલમાં જઈ આવ્યા હતા. માર્ગદર્શક ભૂલાભાઈ દેસાઈની સલાહ પ્રમાણે ૧૯૩૭ની મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ચૂંટાઈ આવ્યા હતા. બોમ્બે પ્રોવિન્સની એ પહેલવહેલી દેશી, કોન્ગ્રેસી સરકાર. મુખ્ય પ્રધાન હતા બી.જી.ખેર,અને ગૃહ ખાતાના પ્રધાન બન્યા હતા મુનશી. જે બોમ્બે હાઈ કોર્ટમાં વરસો સુધી વકીલાત કરેલી એ જ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પણ મતભેદ થયો ત્યારે મક્કમ ઊભા રહેલા. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. કેટલાંક અખબારોએ તેમાં થયેલી હત્યાઓના આંકડા કોમ પ્રમાણે છાપ્યા. મુનશીએ એ   અખબારોને આ અંગે ચેતવણી આપી. ત્રણ-ચાર અખબારોએ ચેતવણીનો અમલ ન કર્યો. એટલે મુનશીએ ફોજદારી ધારાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી કરવાને લગતો હુકમ કઢાવ્યો. એનો હેતુ સર્યા પછી ત્રણ-ચાર દિવસમાં એ હુકમ પાછો ખેંચી લીધેલો. પણ એક અખબારે એ હુકમ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી મુખ્ય ન્યાયમૂર્તિ સર જોન વિલિયમ બોમન્ટને મળ્યા. તેમણે વિજેતાની અદાથી કહ્યું: ‘મિસ્ટર મુનશી, તમારા હુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ મુનશીએ મક્કમતાથી જવાબ આપ્યો: ‘જો ફરી રમખાણો થશે અને મને જરૂર લાગશે તો હું ફરી એવો જ હુકમ બહાર પાડીશ. મારી ફરજ વ્યવસ્થા સ્થાપવાની છે. જો વ્યવસ્થા સ્થપાય તો જ તમે તમારી ફરજ બજાવી શકશો.’ એટલે એ દિવસે સ્ટેજ પર બેઠેલા તે ભરૂચના કનુભાઈ નહિ, પણ મુંબઈ સરકારના ઓનરેબલ હોમ મિનિસ્ટર કે.એમ. મુનશી. જો કે, ૧૯૩૯ના નવેમ્બર સુધીમાં તો દેશમાંનાં બીજાં કૉન્ગ્રેસી પ્રધાન મંડળોની જેમ આ પ્રધાનમંડળે પણ રાજીનામું આપી દીધું હતું.

મુંબઈ સરકારના ગૃહ ખાતાના પ્રધાન કનૈયાલાલ મુનશી

વાવતી વખતે તો તુલસીનો છોડ માનીને વાવેલો એટલે સાધનો, પૈસા, પણ એક નાના છોડને જોઈએ તેટલાં જ હતાં. પણ મુનશીમાં નાની વસ્તુ કે નાનકડા આરંભને પણ મહાન બનાવી દેવાની નિપુણતા હતી. અને ક્યાંકને ક્યાંકથી અણધારી મદદ મળી પણ રહેતી. એક દિવસ એક મેલોઘેલો માણસ મુનશીને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ કહે છે: ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મુનશીના મનમાં શંકા થઈ કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? એટલે કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર એ ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે: ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, ‘જોઈશું.’ એટલે પછી એ પૈસા મેં તાતા ડિફર્ડ શેરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિંદુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઇક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. એમનું એ દાન બન્યું ભવનનાં સપનાંના વાવેતરનું બીજ.

ભારતીય વિદ્યા ભવન, મુંબઈ

ભારતીય વિદ્યા ભવનની સ્થાપના અને મુનશીએ ગુજરાતને આપેલ શબ્દ ‘ગુજરાતની અસ્મિતા’ એ બે વચ્ચે કેટલાકને વિરોધ દેખાય છે. ૧૯૨૩ના સપ્ટેમ્બરની બીજી તારીખે મુનશી સ્થાપિત સાહિત્ય સંસદનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું તેના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં મુનશીએ ‘ગુજરાતની અસ્મિતા’ની વાત પહેલી વાર રજૂ કરી. આ વિચારને આજે કેટલાક ટૂંકી દ્રષ્ટિનું પરિણામ ગણાવે છે. પણ મુનશીનો પ્રાદેશિક અસ્મિતાનો આ ખ્યાલ રાષ્ટ્રીયતાનો વિરોધી નહિ, પૂરક હતો. એ ભાષણમાં જ તેમણે કહેલું: ‘આર્યોના પ્રબળ આત્માએ આ બધા પ્રાંતોનાં જીવન અને સંસ્કારમાં એવી એકતાનતા આણી છે કે નિરાળા દેખાતા પ્રાંતો પર હિન્દી રાષ્ટ્રીયતાની નિશ્ચલ છાપ પડી છે. અને તેથી પ્રાંતીય અસ્મિતા મજબૂત થતાં રાષ્ટ્રીયતાનો વિકાસ અટકવાનો નથી.’

આઝાદી પછી વખત જતાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કૉન્ગ્રેસ સરકારે સ્વીકારી અને ભાષાવાર રાજ્યોની પુનર્રચનાના એક તબક્કે મુંબઈ રાજ્યને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વહેંચવાની માગણી ઊઠી. આ અંગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયાં. ‘ગુજરાતની અસ્મિતા’ના આદિ પુરસ્કર્તા તરીકે મહાગુજરાતની ચળવળનું નેતૃત્ત્વ કરવાની જ્યારે મુનશીને વિનંતી થઈ ત્યારે તેમણે તેમ કરવાની ઘસીને ન પાડી દીધી. ‘ગુજરાતની અસ્મિતા’નો સંકુચિત અર્થ જો તેમના મનમાં હોત તો તેમણે આમ કર્યું હોત ખરું? તેમણે આગેવાની લીધી હોત તો કદાચ ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન મુનશી બન્યા હોત.

ગુજરાતની અસ્મિતાની વ્યાપક ભાવનાને કારણે જ ૧૯૨૬માં મુનશીએ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં યોજવાનું આમંત્રણ પોતાની સાહિત્ય સંસદ દ્વારા આપ્યું. ત્યાં સુધીમાં મુંબઈમાં મુનશીનો વિરોધ કરનારાં જૂથો સક્રીય થઈ ચૂક્યાં હતાં. મુનશીએ જેમાં નવલકથાલેખનની શરૂઆત કરેલી તે ‘ગુજરાતી’ સાપ્તાહિક અને ગોવર્ધનરામ ત્રિપાઠીના દીકરા રમણીયરામ જેના મોભી હતા તે ‘સમાલોચક’ સામયિક મુનશીની સતત ટીકા જ નહિ, અંગત નિંદા પણ કરતાં હતાં. મુનશીને ભીડાવવા માટે વિરોધીઓએ આ અધિવેશનના પ્રમુખપદે ગાંધીજીનું નામ આગળ કર્યું. મુનશી રમણભાઈ નીલકંઠની તરફેણ કરતા હતા. મુનશી સીધા ગાંધીજીને જઈને મળ્યા, પોતાની વાત સમજાવી, અને પોતે પ્રમુખ થવા ઇચ્છતા નથી એવી મતલબનો કાગળ ગાંધીજી પાસેથી લઈ આવ્યા. અધિવેશનના પ્રમુખપદ અંગેનો નિર્ણય લેવા જ્યારે મિટિંગ મળી અને ગાંધીજીના નામની દરખાસ્ત રજૂ થઈ ત્યારે કશું બોલ્યા વગર મુનશીએ ખિસ્સામાંથી કાઢીને એ કાગળ ધરી દીધો. ૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું તે પછી ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ નોધારી થઈ ગઈ હતી ત્યારે મુનશી તેને મુંબઈ લઈ આવ્યા. તેના દ્વારા અનેક નવાં કામો કર્યાં અને કરાવ્યાં. પરિષદના ખોળિયામાં નવું ચેતન પૂર્યું. પણ આઝાદી પછી ગુજરાતી સાહિત્યની સંસ્થા મુંબઈમાં હોય તે ગુજરાતના કેટલાક લેખકોને ખૂંચવા લાગ્યું. મુનશી પર લોકશાહીવિરોધી અને એકહથ્થુ સત્તાનો આરોપ મૂકવામાં આવ્યો. અગાઉ ૧૯૩૬માં આ અંગે પરિષદના પ્રમુખસ્થાનેથી ખુદ ગાંધીજીએ કહ્યું હતું: ‘મને તો ખબર જ છે કે ક્યાં ડેમોક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છુ કે સાહિત્ય પરિષદમાં ડેમોક્રસીના બધા નિયમો નહિ હોય. હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ડેમોક્રસીનાં ધોરણે ન જ ચાલી શકે. એમાં ડેમોક્રસીનું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય.’

તો બીજી બાજુ પોતે શા માટે પરિષદથી અલગ થયા એ અંગે મુનશીએ ૧૯૬૨માં કહ્યું છે: ‘પરિષદની સેવા કરી રહેલી મારી પેઢી અને હવે આગળ આવી રહેલી ગુજરાતી સાહિત્યકારોની નવી પેઢી વચ્ચે અંતર પડવા લાગ્યું. ૧૯૫૨માં નવસારી પરિષદમાં આ અંતર વધ્યું. એ અધિવેશનમાં અલગ ગુજરાતનું સૂત્ર ન સ્વીકારવાની મારી સલાહનો અસ્વીકાર થયો. ગુજરાતની અસ્મિતા એ મારે મન અખિલ ભારતીય અસ્મિતાના સ્થાનિક અંશરૂપ જ હતી. પરંતુ નવી પેઢીના કેટલાક લેખકોનાં મન અને હૃદયમાં એ એક વિશિષ્ટ જૂથ-ભાવના બની રહી.’ ગુજરાતમાં પ્રચલિત થયેલી સંકુચિત પ્રાદેશિક ભાવના સાથે પોતાના વિચારોનો મેળ પડે તેમ નથી એમ લાગતાં મુનશીએ લેખકોના એક જૂથને ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ સોંપી દીધી. એ જ વર્ષે નડિયાદમાં મળેલા અધિવેશનના પ્રમુખપદેથી તેમણે કહ્યું હતું: ‘આપણે રાષ્ટ્રધર્મને ગુજરાતની અસ્મિતાનું સર્વોપરી અંગ માન્યું છે. જો ભારત અવિભાજ્ય રહેશે તો બધા પ્રદેશો તરી જશે. જો ભારત ભાંગશે તો કયો પ્રદેશ જીવતો રહેવાનો છે?’

ગુલાબદાસ બ્રોકર

અને છતાં, વિરોધી વિચારો ધરાવનારા લેખકો પ્રત્યે પણ મુનશી કેવી ઉદાત્ત રીતે વર્તતા એનો એક દાખલો ૧૯૮૭માં પ્રગટ થયેલા ‘કનૈયાલાલ મા. મુનશી જન્મ શતાબ્દી અધ્યયન ગ્રંથ’માં પ્રગટ થયેલા લેખમાં આપણા અગ્રણી લેખક ગુલાબદાસ બ્રોકરે નોંધ્યો છે. મુનશીની જિંદગીનાં છેલ્લાં વર્ષોની એ વાત. તેઓ સારા એવા બીમાર હતા. એક દિવસ ગુલાબદાસ બ્રોકર ઘરે મળવા ગયા. ગુલાબદાસ હજી તો કોલેજમાં ભણતા હતા ને કૉન્ગ્રેસના રાજકારણમાં પડેલા ત્યારથી મુનશી એમને ઓળખે. બ્રોકરે કહ્યું: ‘મુનશીજી, એક કામે આવ્યો છુ.’ ‘બોલો.’ થોડાં કાગળિયાં સામે ધરીને બ્રોકરે કહ્યું: ‘આપની થોડી સહીઓ લેવાની છે આ કાગળો પર.’ ‘લાવો.’ તેમણે પૂછ્યું નહિ કે શેના કાગળો છે કે શેને માટે સહી કરવાની છે. પણ બ્રોકરના હાથમાંથી કાગળિયાં લઈ લીધાં, પેન માગી, અને કહ્યું: ‘બોલો, ક્યાં ક્યાં સહી કરવાની છે?’ બ્રોકરે  જ્યાં જ્યાં બતાવ્યું ત્યાં ત્યાં સૂતાં સૂતાં, ધ્રૂજતે હાથે મુનશીએ સહી કરી આપી. પછી ‘પત્યું’ એટલું બોલી કાગળો બ્રોકરને પાછા આપી દીધા. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુંબઈમાંનું બેંક ખાતું અમદાવાદ ખસેડવા અંગેનાં એ કાગળિયાં હતાં અને પરિષદના એક ટ્રસ્ટી તરીકે તેના પર મુનશીની સહી અનિવાર્ય હતી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી બ્રોકર બોલ્યા: ‘આજ સુધી હું માનતો હતો કે આપ બહુ મોટા વકીલ છો, પણ આજે મને લાગે છે કે મારી એ માન્યતા ખોટી છે.’ મુનશી મોટેથી હસ્યા અને પૂછ્યૂં: ‘કેમ, હું નકામો વકીલ શી રીતે થઈ ગયો?’ બ્રોકરે કહ્યું: ‘કોઈ પણ સારો વકીલ પોતાની સામે પડેલા દસ્તાવેજો પૂરા જોયા વિના તેમાં આ રીતે સહી ન કરે. પાંચ રૂપિયાની લેવડ-દેવડનો હોય તોયે. ને તમે તો આ કશું જોયા વિના મત્તું મારી દીધું.' મુનશી પળવાર માટે સ્થિર નજરે બ્રોકરની સામે જોઈ રહ્યા. આંખ જરા ભીની થઈ હતી. પછી હળવે સાદે બોલ્યા: ‘ગુલાબદાસ, તમે સહી કરવા માટે મારી સામે કાગળો ધરો ને હું સહી કરતાં પહેલાં એની ચકાસણી કરવા બેસું એના કરતાં તો એ પહેલાં હું મરી જાઉં એ વધારે સારું નહીં?’

અને છતાં આજે પણ ગુજરાતના – ખાસ કરીને અમદાવાદના – ઘણા લેખકોએ પોતાના મનમાં મુનશીના નામ માટેની એલર્જી પાળી રાખી છે! મહાનગર મુંબઈ અને મહામના મુનશી વિશેની બીજી કેટલીક રસપ્રદ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 નવેમ્બર 2020

Loading

મરી નથી જતાં ત્યાં સુધી તો વૃદ્ધોને જીવવા દો !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2020

વૃદ્ધો એક સમયે આશીર્વાદ આપવા પૂરતા કામના હતા, પણ હવે અપવાદરૂપે એવું હોય તો હોય ! મોટે ભાગે વૃદ્ધો ઇચ્છનીય નથી, સિવાય કે એમની પાસેથી કોઈ આશા હોય. યુવાની જિંદગીનો સૌથી સુંદર કાળ હોય છે, એમાં બેમત નથી, પણ જગતમાં કૈં પણ, છેવટે તો પૂરું થવા માટે જ હોય છે. યૌવન પણ પૂરું થાય જ છે. અમરત્વ સરસ કલ્પના છે, પણ વાસ્તવિકતા તો મૃત્યુ જ છે. જન્મ અને મૃત્યુ એ હકીકત છે. કલ્પના કે સ્વપ્નો પણ જીવન દરમિયાન જ શક્ય છે. જીવનની બહાર કલ્પના નથી કે નથી તો સ્વપ્નો પણ ! જીવનની આગળ કે જીવનની પાછળ જે તે વ્યક્તિ માટે કૈં નથી. અન્ય વ્યક્તિ, જનાર વ્યક્તિને તેનાં કાર્યોને લીધે વખાણે કે વખોડે એ શક્ય છે, પણ જનાર વ્યક્તિને એની જાણ થતી નથી તે પણ એટલું જ સાચું છે, કારણ તે હયાત નથી.

એવું નથી કે મૃત્યુ ક્રમ કે ઉંમર જોઈને વ્યક્તિને ઉપાડે છે. તે બાળક કે યુવાનનો શિકાર પણ કરી શકે છે. પણ, કુદરતી ક્રમ બાળપણ, યુવાની અને વૃદ્ધત્વનો છે, એ હિસાબે વૃદ્ધત્વ જીવનનો છેલ્લો તબક્કો છે ને મૃત્યુ આવતું નથી ત્યાં સુધી વૃદ્ધોએ તો જીવવાનું જ હોય છે. આ સારું હોય કે ખરાબ, પણ તે છે ને તે જ છે. કોઈ અકુદરતી રીતે મૃત્યુ પામે એ જુદી વાત છે, પણ કુદરતી ક્રમ તો મૃત્યુની રાહ જોવાનો જ છે.

કેટલી ય ઘરડી આંખો ઊંઘે છે ને સવારે ઊઠે છે, ઊંઘે છે ને ઊઠે છે એમ ચાલ્યા કરે છે. એમાં જ એવું બનવાનું છે કે કોઈ સવારે આંખો નથી ખૂલવાની ને ત્યારે, આ જગતનું બારણું વસાઈ જાય છે. એટલું નક્કી છે કે એ ફરી ક્યારે ય ખૂલવાનું નથી. એટલું પણ નક્કી છે કે ફરી આ જગતમાં એ ને એ સ્વરૂપે કોઈથી કદી અવાવાનું નથી. એમાં ઈશ્વર હોય તો એ પણ બાકાત નથી. ઘણી ઝાંખી આંખોને એવું લાગે છે કે આજે જોયેલું પારિજાત કદાચ કાલે જોવા નહીં મળે, આજે માણેલી ગંધ કાલે નહીં અનુભવાય, આજે થયેલો પાંખડીઓનો રેશમી સ્પર્શ ટેરવે જ રહી જાય એવું બને.

ટૂંકમાં, જવાનું નિશ્ચિત થતું જાય છે તેમ તેમ ભય વધતો આવે છે ને ઘણીવાર તો એ ભય પણ, સામેથી મૃત્યુ તરફ જવાનું દ્વાર ખોલી આપે છે. ડરવાથી મૃત્યુ દૂર જાય છે એવું નથી. ડરીએ કે ના ડરીએ, મૃત્યુ અફર અને અટલ છે.

વૃદ્ધોની સ્થિતિ અનેક રીતે દયનીય હોય છે. તેમાં જો તેઓ કમાતા ન હોય તો વૃદ્ધ એટલે ખર્ચ – એ જ એમની વ્યાખ્યા બની રહે છે. એક સમય હતો ત્યારે એ કમાયા, હવે ઉંમરને કારણે કમાણી શક્ય નથી ને ઉંમરને કારણે જ માંદગી, સારવારના ખર્ચ વધે છે ને એ બધાં જ કુટુંબોને પરવડે એમ હોતું નથી. એમાંથી જન્મે છે સંઘર્ષ, પીડા અને સંતાપ. બધાં જ કુટુંબો વૃદ્ધોની ઉપેક્ષા કરે છે એવું નથી, પણ આવાં કુટુંબો રોજ વધતી મોંઘવારીને કારણે પહોંચી વળી શકતાં નથી ને અનિચ્છા છતાં વડીલો તરફ દુર્લક્ષ સેવતાં થઈ જાય છે. આવી સ્થિતિ મોટે ભાગે મધ્યમવર્ગની હોય છે. નીચલા થરમાં તો બધાં જ ઉપેક્ષિત હોય છે એટલે ત્યાં તો આભ ફાટે તો થીંગડાં મારવા જેવી સ્થિતિ જ હોય છે. ઉપલા થરમાં પૈસા ઘણી મુશ્કેલીઓનો ઈલાજ હોય છે એટલે ત્યાં પણ પ્રશ્નો ઓછા છે. તકલીફ મધ્યમ વર્ગની વિશેષ હોય છે. જે વડીલો કમાતા નથી એ તો બોજ જેવા લાગે જ છે, પણ જેની પેન્શન કે ધંધામાં થોડી ઘણી આવક છે એમની સ્થિતિ પણ બહુ સારી નથી જ. એમાં કોરોનાએ તો ઘણાંની હાલત પાણીથી ય પાતળી કરી નાખી છે.

કાલના જ કોઈ છાપામાં એક ફોટો જોયો જેમાં લાંબી લાઈન હતી ને એમાં વૃદ્ધ સ્ત્રી, પુરુષો ભાંગેલું, તૂટેલું ઊભાં હતાં. મોટે ભાગના ફૂટપાથની ધારે જેમ તેમ બેઠેલાં હતાં. બધા જ ચહેરા ઉદાસીના, અશક્તિના બનેલા હતા. એ બધાં પ્રોવિડન્ટ ફંડ માટે, પ્રોવિડન્ટ ફંડ ઓફિસની બહાર ઊભાં હતાં. આ રીતે સવારે સાત વાગ્યાથી આ લોકો લાઈનમાં હતાં. ફોટો એ વાતની ચાડી ખાતો હતો કે તેમની અને ભિખારીઓ વચ્ચે બહુ ઓછો ફરક આવી લાઈને રહેવા દીધો હતો. પાછલી ઉંમરે તકલીફ ન પડે એ માટે પી.એફ., પેન્શન વગેરે વ્યવસ્થાઓ આપણે ત્યાં છે, પણ તે લેવા પાછલી ઉંમરે કલાકો લાઈનમાં ઊભાં રહેવું પડે એ કોઈ રીતે યોગ્ય નથી ! લાઈનની બહુ નવાઈ આપણે ત્યાં નથી. નોટબંધી હોય કે સ્કૂલ-કોલેજમાં પ્રવેશ હોય, રેશનિંગનું અનાજ હોય કે કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર હોય, લાઈન ન લાગે તો સત્તાવાળાઓની આંખોને ઠંડક થતી નથી. આપણે ત્યાં ઘણું બધું ઓનલાઈન ચાલે છે. પેન્શન, પગાર ખાતાઓમાં જમા થઈ જાય છે, તો પી.એફ. માટે આવી લાઈનો રોકી ના શકાય એવું નથી. લાચાર, અશક્ત વૃદ્ધોને આમ લાઇનમાં કલાકો ઊભા રાખવાનો જે તે ઓફિસને સંકોચ થવો જોઈએ. કારણ કોઈ પણ હોય, આ કોઈ પણ રીતે સહ્ય નથી.

આમ સિનિયર્સ માટે વાતો તો મોટી મોટી થાય છે, તેમને ઘણી બધી રાહતો અપાયાનો રાજકીય દાવો છાશવારે થતો રહે છે, પણ સ્થિતિ જરા પણ સારી નથી. જે સિનિયર્સને પી.એફ. કે અન્ય ફંડનું વ્યાજ મેળવીને પાછલી જિંદગી જીવી જવાની આશા હતી એમને ઝેર ખાવા જેટલું પણ વ્યાજ ન મળે એટલા કંગાળ હાલના વ્યાજ દરો છે. વધારે વ્યાજ લેવા જતાં મોટે ભાગે છેતરાવાનું જ થાય છે. આમ સિનિયર્સને અડધો ટકો વધારે વ્યાજ અપાય છે ને બીજી બાજુએ ટી.ડી.એસ. એ વધારો કાતરી લે છે. સિનિયર્સ માટે જે ખાસ યોજનાઓ બહાર પડી છે એના વ્યાજ દરો પણ બદલાતા રહે છે ને એમાં બદલાવું એટલે ઘટાડો એટલો જ અર્થ હાલ બાકી બચ્યો છે. સાચું તો એ છે કે સિનિયર્સને લગતી બધી જ જાહેરાતોમાં દેખાડો અને વ્યાજમાં ઘટાડો એ જ નકરી વાસ્તવિક્તા છે.

સાંસદથી માંડીને તમામ નોકરિયાતોમાં પગાર વધે છે. ખાનગી ક્ષેત્રોમાં શોષણ હશે, પણ સરકારી અને બેંકિંગ કે વીમા ક્ષેત્રોમાં સેટલમેન્ટ પ્રમાણે પગાર વધે જ છે. સાંસદોનો પગાર વધારો તો સ્વૈચ્છિક અને મનસ્વી છે. પગાર વધારામાં હશે, પણ પેન્શનમાં કોઈ પ્રકારનું સેટલમેન્ટ નથી. બધે બેઝિક વધે છે, પણ પેન્શનમાં એ વધારો લાગુ પડતો નથી. કેમ? એટલા માટે કે પેન્શનરો નબળા, અશક્ત અને લાચાર છે? એ હડતાળ પાડે તો જ પેન્શન વધે? આમાં લાચારીનો લાભ ઉઠાવાય છે ને એ બધી રીતે શરમજનક છે. પેન્શનરોનાં યુનિયનો છે જ. તમામ પેન્શન યુનિયનોએ ભેગાં થઈને સંગઠિત અવાજ ઉઠાવીને સરકારના ટેવાયેલા બહેરા કાનો સુધી વાત પહોંચાડવી જોઈએ. કોઈ પણ સરકારમાં સમજદારી પાયામાંથી હોતી નથી. આ સ્થિતિ હોય ત્યારે યુનિયનોના હોદ્દેદારોએ આળસ ખંખેરીને, જાગતી સરકારની ઊંઘ ઉડાડવી જોઈએ. એમ થશે તો જ સિનિયર્સની સ્થિતિ સુધરશે ને તેઓ માનભેર જીવી અને ટકી શકશે.

મોટે ભાગની વૃદ્ધ આંખો આંસુ સારીને જ જિંદગી પૂરી કરતી હોય છે. એમને કુટુંબ, સમાજ, મિત્રો, સરકાર, સંસ્થાઓ પાંખમાં નહીં લે તો એ કેટલું ઊડવાના હતાં ! આમે ય તૂટેલી પાંખે આકાશે ઊડવાનું અઘરું છે. એવે વખતે સરકાર અને સમાજ, વૃદ્ધોને પાંખમાં લે એ જ એમના ટકવાનો એક માત્ર ઉપાય છે એવું નહીં?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2020

Loading

ચીનને લાગે છે તેના દિગ્વિજયને કોઈ રોકે તેમ નથી, ભારત પાસે છે જવાબ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2020

૨૦૧૦ની સાલ સુધીમાં ચીન અને ભારતનાં નામ સાથે લેવામાં આવતાં હતાં. આ બન્ને દેશોને એશિયન ટાઈગર્સ તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૦ પછીથી ભારતની ગાડી પાટેથી ઊતરી ગઈ. એક કારણ હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. ડરના માર્યા શાસકો અને અધિકારીઓ નિર્ણયો લેવાનું ટાળવા માંડ્યા હતા. ૨૦૧૦થી લઈને ૨૦૧૪ સુધીમાં ભારતમાં જાણે કે કોઈ સરકાર જ નહોતી. એમ કહી શકાય કે શાસનનો અક્ષરશ: શૂન્યાવકાશ હતો. એ તો તમે જાણો જ છો કે જે જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને આંદોલન થયાં હતાં એ બાબતે કોઈ ભ્રષ્ટાચાર અદાલતોમાં સાબિત થયો જ નથી. એક પણ આરોપ સાચો સાબિત નથી થયો પછી તે સ્પેક્ટ્રમ હોય કે કોલસાની ખાણોની ફાળવણીનો મુદ્દો હોય. અત્યારે એમ લાગે છે કે એ કૉન્ગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતે ચાર વરસ વેડફી નાખ્યાં અને ચીનને મોકળું મેદાન મળી ગયું.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્થિર સરકાર આવી ત્યારે એમ લાગતું હતું કે હવે વેડફાયેલાં વર્ષોનું સાટું વાળવામાં આવશે, પરંતુ અનુભવ એનાથી જુદો થયો. ચીન અને ભારત વચ્ચેનું અંતર દૂર કરવાની વાત બાજુએ રહી, તેમણે નોટબંધીનું દુસાહસ કરીને અંતર ઊલટું વધાર્યું. આટલું ઓછું હતું એમ જટિલ જી.એસ.ટી. લાગુ કરીને ભારતના અર્થતંત્રની ગતિ હતી એ પણ તોડી નાખી. આ સિવાય અનુભવ એમ કહે છે કે બી.જે.પી.ની વર્તમાન હિંદુ રાષ્ટ્રવાદી સરકારને હિંદુ રાષ્ટ્રવાદ સિવાય બીજા કશામાં રસ નથી અને બીજી કશી આવડત પણ નથી. ૨૦૧૦ અને ૨૦૨૦. એક દશકને અંતે સ્થિતિ એવી છે કે ભારત હવે ચીનને નજીકના ભવિષ્યમાં આંબી શકે એમ નથી. ટૂંકમાં એશિયન ટાઈગર તરીકેની ભારતની સ્ટોરી નિષ્ફળ સ્ટોરી છે આને માટે ભારતના શાસકો જવાબદાર છે.

જગત આખાના વિકસિત દેશો મંદીના શિકાર છે અને વિકાસશીલ દેશોમાં જેના ઉપર આખા જગતની આશા હતી એ ભારત શિવધનુષ ઊંચકવામાં નિષ્ફળ નીવડ્યું છે. આની હવે અણધાર્યી પ્રતિક્રિયા પેદા થઈ છે. જગત આખાને એમ લાગવા માંડ્યું છે કે ચીનની સક્સેસ સ્ટોરી લોકતંત્રના અભાવની સ્ટોરી છે. હવે જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રજાને એમ લાગવા માંડ્યું છે કે આપણે લોકતાંત્રિક રીતરસમોને કારણે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી અને આપણે પાછળ રહી ગયા છીએ અને ચીન આગળ નીકળી ગયું છે. જે ચીનની એક સમયે લોકતંત્રના અભાવ માટે નિંદા કરવામાં આવતી હતી એનું હવે અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

ઓછું લોકતંત્ર ચાલશે, ઓછા નાગરિક અધિકારો ચાલશે, અંકુશિત-નિયંત્રિત સમાજ ચાલશે; પણ ઝડપી, આક્રમક અને હિંમતભર્યા નિર્ણયો જોઈએ. જુઓ આપણે મૂલ્યોનું જતન કરતા રહ્યા અને ચીન આગળ નીકળી ગયું. ભારતે હમણાં જમીનના અને મજદૂરીના કાયદામાં જે સુધારો કર્યો એ બીજું કાંઈ જ નથી પણ ચીનનું અનુસરણ છે. લોકતંત્ર જાળવી રાખીને વિકાસનું સક્સેસફૂલ મોડલ શક્ય છે અને ભારત એ જગતને આપી શકે એમ છે એવી ભારત પાસેથી જગતની અપેક્ષા હતી, પણ એની જગ્યાએ ભારત આજે કુંઠિત લોકતંત્રના ચીનના મોડેલને અપનાવે એ શરમની વાત છે. 

જો ભારતે અમૂલ્ય વર્ષો સંસદ નહીં ચાલવા દેવામાં, ભ્રષ્ટાચારના ખોટા ગોકીરામાં અને વિકાસની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદની પાછળ વર્ષો ન બગાડ્યાં હોત અને લોકતંત્ર અને લોકતાંત્રિક જીવનમૂલ્યો જાળવી રાખીને એક આદર્શ સક્સેસ સ્ટોરીનો જગતને પરિચય કરાવ્યો હોત તો મને એમ લાગે છે કે ભારતની પ્રતિષ્ઠા ક્યાં ય હોત. ભારતની પ્રતિષ્ઠા હતી જ. ભારત તરફ જગત આશાની નજરે જોતું પણ હતું, પરંતુ આપણે ઊણા ઉતર્યા. સત્તાંધ સંસદીય રાજકારણે ભારતને પરાજીત કર્યું. દેશ ભલે પાછળ રહી જાય પણ સત્તા બીજાને ન મળવી જોઈએ કે પછી કોઈ પ્રકારની સિદ્ધિનો જશ બીજા કોઈને ન જવો જોઈએ.

અર્થતંત્રની દોડમાં જપાન ક્યારનું ય પરાજીત થયું છે. ભારતે સામે ચાલીને આત્મઘાત કર્યો અને હવે અમેરિકા અને યુરોપના દેશો પણ પરાજીત થયા છે. ચીનની અત્યારની હરકતો જોતાં એમ લાગે છે કે ચીન મદમાં છે. ચીન ઉતાવળમાં છે. ચીનને અત્યારે એમ લાગવા માંડ્યું છે કે હવે ચીનના દિગ્વિજયને કોઈ રોકી શકે એમ નથી. ચીને એક સાથે અનેક મોરચા ખોલ્યા છે. ચીનની અંદર હોંગકોંગની પ્રજાને લોકતંત્રનું આપેલું વચન પણ ચીન તોડી રહ્યું છે. આમાં કોરોના વાઈરસનું રહસ્ય શંકા પેદા કરે એવું છે. વાઈરસ ચીનમાં પેદા થયો હતો અને જ્યાં વાઈરસ પેદા થયો એ દેશ અત્યારે લગભગ વાઈરસમુક્ત છે અને જગત આખાને પરેશાન કરી રહ્યો છે. ચીન એનો લાભ લઈ રહ્યું છે.

લાગ જોઇને ચીને લડાખમાં ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2020

Loading

...102030...2,1312,1322,1332,134...2,1402,1502,160...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved