Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—281

દીપક મહેતા|Opinion - Opinion|22 March 2025

‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.            

ઓ ઈશ્વર! શી અવધિ આજે! અકરો કેર જ કીધો;

મુંબઈમાં શી માહતમ વરસી? લહાવો શો આ લીધો?

પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;

‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.

‘દિલજાન’ નામના પારસી કવિની આ પંક્તિઓથી શરૂ થતા આ પદ્યમાં રાજાબાઈ ટાવરની, એ સમયનાં છાપાંના શબ્દો વાપરીને કહીએ તો ‘ગોઝારી ઘટના’ અંગે દિલસોજી પ્રગટ કરવામાં આવી છે. અને આમ કરવામાં આ ‘દિલજાન’ એકલા નહોતા, આવી બીજી કૃતિઓ પણ છપાઈ હતી : ‘રાજાબાઈ ટાવરની કહાની, લે. અરદેસર આદરજી ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા એક હિંદુ’, ટાવર ગરબા, લે. શેઠ ખરશેદજી બહમનજી ફરામરોઝ, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા, સરોદે પાક દામની અને સિતમે મીનાર, લે. ફિરોઝશાહ રૂસ્તમજી બાટલીવાલા, વગેરે. અલબત્ત, આ રીતે ફક્ત આ બનાવ પર જ પદ્ય કૃતિઓ લખાઈ હતી એવું નથી. એ વખતે કોઈ પણ મોટો કે ગમખ્વાર બનાવ બને ત્યારે આ રીતે પદ્યકૃતિઓ લખાતી. મુંબઈની આગ, મુંબઈની મરકી, મુંબઈના શેર બજારની ચડતી-પડતી, વગેરે બનાવો વખતે તેને લગતાં પદ્ય લખાઈને પ્રગટ થયેલાં. તેમાંનાં ઘણાંખરાં આજે ભૂલાઈ ગયાં છે, પણ  આજ સુધી ટકી રહેલી આવી એક કૃતિ તે ‘હાજી કાસમ તારી વીજળી.’

‘કૈસરે હિન્દ’ સાપ્તાહિકના એક અંકનું કવર

ખેર, આપણી ગાડી જરા જૂદે પાટે ચડી ગઈ. એટલે બચુબાઈ અને પીરોજબાઈની વાત તરફ પાછા વળીએ. બનાવના ૫૬ કલાક પછી મારવાડીની દુકાનેથી ‘ચોરીનો માલ’ જપ્ત કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. તો બીજી બાજુ અંગ્રેજ ડોક્ટર સિડની સ્મિથ અને બીજા ચાર ‘દેશી’ ડોક્ટરોએ મરનાર બાઈઓની ઓટોપ્સી કરી. બંને છોકરીઓના શરીર પર જુદે જુદે ઠેકાણે થયેલી નાની મોટી ઈજાઓ જોઈને ચાર દેશી ડોક્ટર એવા નિર્ણય પર આવ્યા કે બંને છોકરીઓ પર બળાત્કાર થયો નહોતો પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો. અને પોતાનું શિયળ બચાવવા બન્નેએ ટાવર પરથી પડતું મૂક્યું હોય એવો પૂરો સંભવ છે. પહેલાં તો અંગ્રેજ ડોકટર તેમના આ અભિપ્રાય સાથે સહમત થયો. પણ પછી તેણે ફેરવી તોળ્યું. અદાલતમાં તેણે કહ્યું કે બળાત્કાર તો થયો જ નથી પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો એમ માનવાને પૂરતાં કારણો મળતાં નથી. બંને છોકરીઓના શરીર પર જે નાની મોટી ઈજાઓ જોવા મળે છે તે તેમનાં કપડાંમાંનાં ધાતુનાં બટન શરીર સાથે ઘસાવાથી થઈ હોય. અથવા ટાવર પરથી પડતી વખતે બંનેના દેહ દીવાલમાંથી બહાર નીકળતા ‘પુસ્તા’ (buttress) સાથે અથડાયા હોય તેથી આ ઈજાઓ થઈ હોય. આમ છતાં માણેકજી અસલાજી પર ખૂન અથવા ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરવામાં આવ્યો. કોરોનરની કોર્ટમાં ખટલો ૧૯ દિવસ સુધી ચાલ્યો. અને ત્રીજી જૂનના દિવસે પુરાવાને અભાવે અસલાજીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો! 

અરદેશર બરજોરજી ગોદરેજ

નવાઈની વાત એ હતી કે આ કેસ ચાલ્યો ત્યારે કેટલાક ચશ્મદીદ ગવાહોને તો જુબાની માટે બોલાવ્યા જ નહિ! મેસર્સ કોનરોય એન્ડ બ્રાઉન સોલિસીટર્સની કંપનીમાં અસિસટન્ટ મેનેજિંગ ક્લાર્ક તરીકે કામ કરતા મિસ્ટર એન્ટીએ પોલીસને કહ્યું હતું કે તેણે બંને છોકરીઓને ટાવર પરથી પડતી નજરોનજર જોઈ હતી. પણ તેમને જુબાની માટે બોલાવ્યા જ નહિ! યુનિવર્સિટીમાં જર્મન, ફ્રેંચ, અને રશિયન ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરતા પ્રો. હેન્રી ચાર્લ્સ શોને બન્ને છોકરીઓને ટાવર પરથી પડ્યા પછી તરત જોઈ હતી. એટલું જ નહિ, તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપી અસલાજી અને પોલીસના અધિકારી મેકડેરમોટને ટાવરથી થોડે દૂર જઈને ખાનગીમાં કશીક વાત કરતા પોતે જોયા હતા. એટલું જ નહિ, તેમણે તો સામે ચાલીને કહ્યું કે ખટલા વખતે હું જુબાની આપવા આવીશ. ત્યારે મેકડેરમોટે તેમને કહ્યું કે ‘કેમ? તમે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે કે શું? આ ખટલામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.’ અને તેમને પણ અદાલતે બોલાવ્યા નહિ! ટાવર પાસેના બગીચામાં રમતાં બે બાળકોએ પણ અસલાજી વિરુદ્ધની વાત પોલીસને જણાવી હતી. પણ આવી વાતમાં બાળકોની વાત પર વિશ્વાસ મૂકી શકાય નહિ એમ જણાવી અદાલતે તેમની જુબાની નોંધી નહિ. યુનિવર્સિટીના ત્રણ નોકરો આત્મારામ બાબાજી, ગંગાજી હિરજી, અને હેમચંદ કચરાએ બંને છોકરીઓને ટાવર પર ચડતી જોઈ હતી. પણ આ ત્રણમાંથી એક્કેને અદાલતે બોલાવ્યા નહિ. એક વિક્ટોરિયાના ડ્રાઈવરે અગાઉ કહ્યું હતું કે મેકડેરમોટે તેની ગાડી ભાડે કરી હતી. સાથે એક હવાલદાર અને સકલાજી પણ હતા. સકલાજીએ નોટો ગણીને પાંચ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ ગણાય) મેકડેરમોટને અને ૫૦૦ રૂપિયા હવાલદારને આપ્યા હતા તે મેં નજરોનજર જોયું હતું. પણ તેને જ્યારે જુબાની માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ફેરવી તોળ્યું અને કહ્યું કે પોલીસ પાસે ખોટું નિવેદન કરવા માટે મને લાંચ આપવામાં આવી હતી! અદાલતે જે સાક્ષીઓને જુબાની માટે બોલાવ્યા તે બધાએ સકલાજીની તરફેણમાં જુબાની આપી હતી. અને તેમાંથી એકે સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી નહિ. 

ઘડિયાળો મૂકાયા પહેલાંનો રાજાબાઈ ટાવર

કોરોનરની કોર્ટ પછી ખટલો સેશન્સ કોર્ટમાં ગયો. પણ ત્યાં પણ સકલાજીને નિર્દોષ ઠરાવવામાં આવ્યો. માત્ર પારસી સમુદાયમાં જ નહિ, મુંબઈના લોકોના મોટા વર્ગમાં આ ફેંસલા સામે અસંતોષનો વંટોળ જાગ્યો અને આખા કેસ અંગે ફેરવિચારણા કરવા સરકારને વિનંતી કરવાનું નક્કી થયું. આ માટે એક સમિતિ બનાવાઈ હતી. સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ તેના પ્રમુખ હતા. તેમના ઉપરાંત આ સમિતિમાં નીચેના સભ્યો જોડાયા હતા : સર દીનશાહજી માણેકજી પિતિત બેરોનેટ, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતિત, ડો. કેખશરૂ નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજી. 

રાજાબાઈ ટાવરના ઉપલા માળ

આ સમિતિએ મુંબઈ સરકારને એક અરજી મોકલી હતી. તેમાં મુખ્ય માગણી એ હતી કે ‘ટાવર મર્ડર કેસ’ અંગે ઉપયોગી થાય તેવી માહિતી આપનાર વ્યક્તિ માટે સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવું જોઈએ. અને આવી માહિતીને આધારે આ કેસ ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરીથી ચલાવવો જોઈએ. ૧૦ જૂન, ૧૮૯૧ના રોજ સરકારે તેનો જવાબ આપ્યો. સરકારે જણાવ્યું કે આવી બાબતોમાં સરકારને માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે. એટલે તે માટે સરકારે ઇનામ આપવાં નહિ એવું સાત વરસ પહેલાં ગ્રેટ બ્રિટનની સરકારે ઠરાવ્યું છે તે હિન્દુસ્તાનને પણ લાગુ પડે છે. આ કેસમાં કોઈ અસાધારણ કે અપવાદરૂપ બાબત હોય તેવું સરકાર માનતી નથી. માટે આ તબક્કે સરકાર આવું કોઈ ઇનામ જાહેર કરવા માગતી નથી. અલબત્ત, ભવિષ્યમાં સંજોગો બદલાય તો સરકાર ઇનામ આપવા અંગે ફેરવિચારણા કરી શકે. વળી આ ખટલાનો ચુકાદો આવ્યા પછી કોઈ નવી હકીકતો કે પુરાવા બહાર આવ્યા નથી એટલે આ કેસ ફરી ચલાવવાની જરૂર સરકાર હાલતુરત તો જોતી નથી. 

સરકાર તરફથી આ જવાબ મળ્યા પછી મુંબઈના અખબાર ‘જામે જમશેદ’ના તંત્રીએ સરકારને લખી જણાવ્યું કે તેમના અખબાર તરફથી આવું પાંચ હજારનું ઇનામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે કોઈ ખાનગી અખબારે શું કરવું અને શું ન કરવું એ અંગે સરકાર કશું કહી શકે નહિ. પણ સરકાર એ વાત તરફ ધ્યાન દોરવા માગે છે કે આવું ઇનામ સરકાર ક્યારે ય જાહેર નહિ કરે એવું સરકારે કહ્યું નથી. ભવિષ્યમાં નવા / જુદા સંજોગો ઊભા થાય તો સરકાર પોતાના નિર્ણયમાં ફેરબદલો કરી શકે છે. પણ જો આ રીતે ખાનગી વ્યવસ્થા થઈ ચૂકી હોય તો પછી ભવિષ્યમાં સરકાર ફરીથી ઇનામ જાહેર કરી શકે નહિ. વળી એક ખાનગી અખબારે જાહેર કરેલા ઇનામના જવાબમાં મળેલી માહિતી કાયદાની અદાલતમાં સ્વીકારાય કે કેમ એ અંગે સરકારને પૂરેપૂરી શંકા છે. 

સરકારનો ઈશારો સમજી જઈને એ અખબારે ઇનામ જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ મુંબઈના લોકો? એ માની ગયા? ન માન્યા? એ અંગે વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 માર્ચ 2025 

Loading

કળા ઊંઘેલાને ઢંઢોળે છે અને ઊંઘી નહીં શકતાને પંપાળે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 March 2025

ખોટનો સોદો …

બે મિત્રોએ ભેગા મળીને દસ-વીસ છોકરીઓમાંથી એકને પસંદ કરી અને તેને બાવીસ રૂપિયા આપીને ખરીદી લીધી. 

રાત ગુજાર્યા પછી એક મિત્રએ તેને પૂછ્યું, ‘તારું નામ શું છે?’

છોકરીએ તેનું નામ કહ્યું, તો તે અકળાઈ ગયો : ‘અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે તું બીજા ધર્મની છું.’

છોકરીએ જવાબ આપ્યો : ‘તે જૂઠું બોલ્યો હતો.’

આ સાંભળીને, તે દોડતો દોડતો તેના મિત્ર પાસે ગયો : ‘એ હરામખોરે આપણી સાથે દગો કર્યો છે … આપણા જ ધર્મની પકડાવી દીધી … ચાલ, પાછી આપી આવીએ.’

— સઆદત હસન મન્ટો

——————————————

રાજ ગોસ્વામી

ગુજરાતના જાણીતા લેખક, શિક્ષક અને પત્રકાર હેમંતકુમાર શાહે, તાજેતરમાં, અમદાવાદમાં યોજાઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના જલસા ‘સપ્તક’માં હિસ્સો લેવા આવેલા વિખ્યાત સરોદવાદક અમઝદ અલી ખાંની એક વાતને ટાંકી હતી. ખાં સાહેબે ત્યાં મહાત્મા ગાંધીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની ધૂન વગાડ્યા પછી એક મહત્ત્વની વાત કહી હતી કે;

‘બીજા બધા દેશોની વાત છોડો, આપણા ભારત દેશમાં આ શું થઈ રહ્યું છે. રોજ સાંભળવા મળે છે કે મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમને ગટરમાં ફેંકી દેવામાં આવે છે, નદી-નાળાંમાં ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે! જે દેશમાં કે જ્યાં સ્ત્રી દેવી તરીકે પૂજાય છે ત્યાં આ બધું થઈ રહ્યું છે, એ ખરેખર બહુ જ દુઃખદ છે. આપણે દુર્ગા દેવીને પૂજીએ છીએ અને છતાં આ બધું થઈ રહ્યું છે એનાથી દુર્ગા દેવી રડી રહી છે.’

તેમની વાતથી પ્રભવિત થયેલા હેમંતકુમાર લખે છે કે, ‘કલાને અને સાહિત્યને માત્ર મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે, એવા આજના જમાનામાં અમઝદ અલી ખાં સાહેબની સામાજિક નિસબતને સો સો સલામ!’ 

આ વાત અગત્યની છે. સાચા કલાકારનું કામ લોકોના દુઃખને વાચા આપવાનું છે. એક કલાકારે પોતાની કળાને બજારની પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ જનહિતનું સાધન બનાવવું પડે છે. આજે આપણે જે સમાજમાં જીવીએ છીએ તે માનવદ્રોહી અને કલાદ્રોહી છે. કલાકાર આ સમાજમાંથી આવે છે, પરંતુ તેની કલા સમાજની મૂડીવાદી, મનોરંજનવાદી વિચારધારાની વિરુદ્ધ ઊભી રહે છે.

કલાનું કામ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનાં શોષણ પર આધારિત વર્તમાન સમાજ સામેના બળવામાં સૂર પુરવાનું છે. કલાકારે તમામ સામાજિક મુદ્દાઓમાં પોતાનો પક્ષ પસંદ કરવો પડે છે, તેણે દેશના નબળા, શોષિત, દબાયેલા, અન્યાયનો ભોગ બનેલા લોકોની તરફેણમાં પોતાનો અવાજ સાર્વજનિક કરવો પડે છે.

કારણ કે આજે કલાને બજારનો માલ બનાવી દેવામાં આવી આવી છે એટલે કલાની સામાજિક ભૂમિકા વિશે વાત કરવાનું ચલણ નથી. એ સંદર્ભમાં હેમંતકુમારનો મુદ્દો પ્રાસંગિક બની જાય છે. તેમણે તેમની ટીપ્પણીમાં લખ્યું પણ હતું કે, ‘મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોએ તેમના પુસ્તક ‘કળા એટલે શું?’માં કહ્યું હતું કે કળાનો જે ઇરાદો છે તે એ રહી નથી, પણ નવરા માણસોના ખોખલા આનંદનું સાધન બની ગઈ છે.’

આકરી લાગતી આ વાત સાચી છે. કલાનું કામ શું તેને લઈને દરેક સમયમાં ચર્ચા થતી રહે છે. ‘કલા’ શબ્દ ‘કલ’ ધાતુથી બનેલો છે. તેનો શાબ્દિક અર્થ છે, જે સુંદર છે, જે આનંદ આપે છે અથવા જેના દ્વારા સુંદરતા આવે છે તે. કલા તેનાં વિવિધ સ્વરૂપોમાં માનવ વૃત્તિઓની અભિવ્યક્તિ છે. મહાત્મા ગાંધી કલાને ‘આત્માનું દિવ્ય સંગીત’ ગણાવે છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે કલામાં, માણસ પોતાની જાતને વ્યક્ત કરે છે.

એકવાર એક એન્જિનિયરે તેના વ્યવસાયનો સંદર્ભ લઈને કહ્યું હતું કે એન્જિનિયરિંગમાં જ્યારે પણ કટીંગ ઓપરેશન થાય છે, ત્યારે લ્યુબ્રિકેન્ટ ઓઈલની જરૂર પડે છે જેથી ઘર્ષણ ઓછું થાય અને કામ સરળતાથી થઈ શકે. આવું જ કંઈક કદાચ સમાજ અને કલા વચ્ચે હોય છે. કલા લ્યુબ્રિકેન્ટ ઓઇલ જેવી છે, જે સમાજમાં જીવન જીવવાનું સરળ બનાવે છે. 

એક સભાન મનુષ્ય તરીકે આપણે સામાજિક સુવિધાઓ અને અસુવિધાઓ વચ્ચે રહીએ છીએ. એ બંને અંતિમો વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. માત્ર અસુવિધાઓમાં જ જીવીએ અથવા માત્ર સુવિધાઓમાં જ રહીએ તે કોઈ રીતે ઈચ્છનીય નથી. વાસ્તવમાં, કલા બંને સ્થિતિમાંથી માણસને ખલેલ પાડે છે. એ વધુ પડતી સુવિધામાં આપણે લિપ્ત થઇ ગયા હોઈએ તો ઝાટકો આપીને જગાડે છે અને વધુ પડતી અસુવિધામાં પરેશાન થઇ ગયા હોઈએ તો લ્યુબ્રિકેન્ટ ઓઇલની જેમ આપણને પંપાળે છે. 

કલા એક સામાજિક ઘટના છે. કલાકાર સમાજનો એક ભાગ છે અને તેનું સામાજિક વાતાવરણ તેની કલાને પ્રભાવિત કરે છે. કલાકારની કલા માત્ર તેના સામાજિક વાતાવરણને જ અસર કરતી નથી, પરંતુ કલા સામાજિક પણ હોય છે. અને તે સમાજને બદલવામાં ભૂમિકા ભજવે છે. 

પીડામાંથી કળા આવે છે એવું નહીં, અંગત દુઃખોને કોઈ માધ્યમથી સાર્વજનિક કરવાં કે જીવનની ટ્રેજેડીઓને સાર્વજનિક કરવી તેનું નામ કળા છે. કળાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે કળા અને ટ્રેજેડી હાથમાં હાથ નાખીને ચાલે છે. 

જે કળાકારો તેમના સમયની પીડાઓને લખાણમાં, સંગીતમાં, ચિત્રમાં કે અન્ય માધ્યમોમાં પકડી કરી શક્યા છે તેને ઇતિહાસ મહાન કળાકાર તરીકે યાદ રાખે છે. કળા એટલે કલ્પનાની અભિવ્યક્તિ માત્ર નથી. કળા એટલે આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેનો આંતરિક સંવાદ પણ છે. 

કોઈ પણ સમાજની પ્રગતિની સાબિતી, તે કેટલું મહાન સાહિત્ય, કળા અને સંગીત પેદા કરે છે, તેમાં છે. પ્રાચીનમાં ગ્રીક, રોમન અને સંસ્કૃત સમયમાં અને આધુનિકમાં યુરોપિયન, અમેરિકન, જર્મન અને ભારતમાં મુઘલ કાળમાં મહાન સર્જન આવ્યાં. જે સમાજ પતન તરફ હોય (જેમ કે નાઝી જર્મની અથવા આજનું મૂડીવાદી અમેરિકા અને બ્રિટન), તે કળાની ઉપેક્ષા કરે. કળાની ભૂમિકા, લોકોને તેમના અનુભવો માટે શબ્દો આપવાની છે. મનુષ્ય તરીકે આપણે કોણ છીએ અને શા માટે આપણે અહીં છીએ, તેની સમજ આપવાનું કામ સાહિત્ય, કળા અને સંગીતનું છે.

લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમે એકવાર અનેક લેખકો અને કલાકારોના ઇન્ટરવ્યુ કર્યાં હતાં. પછી તેના પરથી ‘સાત સવાલ’ નામનું પુસ્તક બહાર પડ્યું હતું. તેમાં એક વાતચીત તેમના પતિ અને ચિત્રકાર ઈમરોઝ સાથે પણ હતી. તેમાં આવી કંઇક વાત થઇ હતી :

અમૃતા : જીવન અને કલાને તમે અલગ ગણો છો કે એક?

ઈમરોઝ : હું માનું છું કે વર્તમાનની માટીમાં ચિંતનનું બીજ વાવીને તેને આવતીકાલના સૂરજનો તડકો આપવો એ કળા છે. બીજા શબ્દોમાં જીવન એક બિંદુ છે અને કલા એનો વિસ્તાર છે. જીવન પાણી છે અને કલા એનો પ્રવાહ.

અમૃતા : કલા અને ક્રાફટની પરિભાષા શું?

ઈમરોઝ : અહેસાસની અમીરી એક એવું દૂધ છે, જેમાં કલ્પનાનું દહીં મેળવાય છે. એ કલ્પનાનું નામ કલા. અને એને વલોવવાનું કામ એ ક્રાફ્ટ છે. ક્રાફ્ટ બહુ ઉત્તમ હોય, પણ કલાનું દહીં ના હોય તો અર્થહીન. 

અમૃતા : કલામાં અચેત ઈચ્છા અને સચેત કોશિશનું કેટલું મહત્ત્વ?

ઈમરોઝ : અચેત ઈચ્છા એક બીજ છે. અને મનની માટીને ખોદવી, એના પર ખાતર નાખવું, બીજ વાવીને પાણી સીંચવું, તડકો આપવો, છોડને કાપવો, નિંદામણ કાઢવું – આ સચેત કોશિશ છે.  

અમૃતા : એવો કોઈ કિસ્સો, જેમાં ધર્મ અને સમાજની સ્થાપિત રીતિ સામે સવાલ ઊભો થયો હોય?

ઈમરોઝ : મારા દાદા-દાદીના પાંચ દીકરા હતા. સૌથી મોટો જ પરણેલો હતો. મારો બાપ અને બીજા કુંવારા હતા. કુંવારામાંથી મોટા કાકા હતા તે ગામની છોકરીના પ્રેમમાં પડેલા. બંને ભાગી ગયા. પાછા પકડીને લાવ્યા. છોકરીને કોક ડોહા સાથે પરણાવી દીધી. એ પછી એક દિવસ દાદા-કાકાઓ પર ભાલા-તલવારો-બરછીઓ વરસી. બે લાશો પડી ગઈ. દાદા, ત્રણ ભાઈ અને મારા બાપને બાંધીની પોલીસ લઇ ગઈ. કેસ ચાલ્યો. મારો બાપ અને બે કાકા ઘટના સ્થળે ન હતા એટલે છૂટી ગયા. દાદા અને બીજા કાકાને ફાંસી થઇ. અપીલ થઇ તો ચાચાને કાળા પાણીની સજા થઇ અને દાદા મુલતાન જેલમાં ગયા. ઘર બર્બાદ થઇ ગયું. 

અમૃતા : કલા અને વિવેચકોની ફરજ શું?

ઈમરોઝ : કલાનાં ફળ-ફૂલનો માળી માત્ર કલાકાર જ છે. વિવેચક એનો માળી ન બની શકે, પણ એ એક સરસ મોસમ જરૂર હોઈ શકે. એક ઇતિહાસ છે કે વિવેચક સારી મોસમને બદલે ચોંચ મારવાવાળો પોપટ બને છે.   

અમૃતા : જીવનમાં તમે ક્યા રેય કળિયુગ કે સતયુગની ક્ષણ જોઈ છે?

ઈમરોઝ : પોતાની મનચાહી સ્ત્રી સાથે વીસ વર્ષ જીવી લેવું, એ મારા માટે સતયુગ છે. અને ૧૯૬૦માં જ્યારે મેં મારા મનની દુવિધાના કારણે એ સ્ત્રીને સ્વીકાર કરીને પણ ન સ્વીકારી, એ મારા માટે કળિયુગની ક્ષણ હતી. 

અમૃતા : આપણે ત્યાં સાત પુરી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતી અને દ્વારાવતી. સાતમી પુરી દ્વારાવતી સમુદ્ર કિનારે હતી, જે કૃષ્ણના દેહત્યાગ પછી સાતમા દિવસે સમુદ્રમાં અલોપ થઇ ગઈ. મારો સાતમો સવાલ તમારા મનના સમુદ્રમાં અલોપ થઇ ગયેલી પુરીનો છે, જેની ખોજ તમારે જાતે કરવાની છે, અને એનો ઇતિહાસ તમારે ખુદ શોધવાનો છે. 

ઈમરોઝ : હું અહીં કલેકટીવ મનની વાત કરીશ. આ મનના સમુદ્રમાં જે પુરી અલોપ થઇ ગઈ છે તે માણસના ધર્મની પુરી છે. એ દ્વારાવતી હવે અનેક ધર્મસ્થાનોના નામે અલગ-અલગ જગ્યાએ વસી છે, પણ કોઈ જગ્યાએ ધર્મનો આત્મા વસી શક્યો નથી. આત્મા સમુદ્રમાં અલોપ જ રહી ગઈ.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 31 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મડદા મિયાં

સુરેશ જાની|Opinion - Opinion|22 March 2025

સ્વ. જીવરામ જોશીએ ‘મિયાં ફૂસકી’નું અમર પાત્ર સર્જીને ગુજરાતી કિશોર કિશોરીઓને ખુશ  ખુશાલ કરી દીધા હતા. સૌને જાણ છે તેમ, એ મિયાં હળવા સ્વભાવના, થોડાક અદકપાંસળી મિજાજના અને ડરપોક હતા.

અહીં એમની વાતો વાંચવા મળવાની છે, એમ માની ખુશ ખુશાલ ન થઈ જતા! અહીં તો મડદાં ઊંચકવાનો, એમને અવલ મંઝિલ પહેલાંના થાનકે પહોંચાડવાનો ‘શોખ’ ધરાવતા અને બહાદુર  ‘અયુબ મિયાં’ વિશે ચપટીક જાણ કરાવવાની છે !

અયુબ મિયાં

અયુબ અહમદ કર્ણાટક રાજ્યના મૈસૂર શહેરનો વતની છે. એ ત્યાં ‘બોડી મિયાં’ તરીકે જાણીતો છે. પણ આપણે શબ્દોની ભેળસેળ નહીં કરીએ, અને એને ‘મડદા મિયાં’ તરીકે ઓળખીશું. અયુબ દસ વર્ષનો હતો ત્યારે એ નિશાળમાંથી ગાવલી મારીને મસ્જિદની બહાર બેસતા ભિખારીઓ સાથે સંગત કરવા લાગ્યો. એના અબ્બા અને કાકાને આ વાતની જાણ થઈ ત્યારે એને ધોલધપાટ કરવા લાગ્યા. પણ અયુબ તો કહેતો જ રહ્યો કે, એ ગરીબ લોકોને એની જરૂર છે. થોડાક દિવસ આમ ચાલ્યું, પણ અયુબ તો એની માન્યતા પર અટલ જ રહ્યો. ત્યારે  ‘અયુબ જૂદી જ ખોપરી છે’ – એનો ખ્યાલ અબ્બાને આવી ગયો. ત્યાર પછી તેમણે અયુબને ટોકવાનું બંધ કરી દીધું. થોડોક મોટો થયો ત્યારે અબ્બાને મદદ કરવા અયુબે મજૂરી કરવાનું શરૂ કર્યું.  પણ એમાંથી થતી આવકનો મોટો ભાગ તે ગરીબો અને દલિતો માટે ખર્ચી નાંખતો.

તેણે મિત્રને વિનંતી કરી કે, લાશને નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ. તેનો મિત્ર પણ દયાભાવવાળો હતો, એટલે  તે કબૂલ થયો. સહી ન શકાય તેવી દુર્ગંધ મારતી હોવા છતાં બન્નેએ ચાદરમાં લાશને લપેટી, હોસ્પિટલના મડદાં વિભાગને સુપ્રત કરી. ત્યાં હાજર રહેલા પોલિસ ઓફિસરે આ જુવાનિયાઓને આ સત્કાર્ય માટે શાબાશી આપી અને સરકારી રાહે આવી સેવા આપનાર વ્યક્તિઓને આપવા પાત્ર થતી રકમ પણ આપી દીધી.

પણ ઘેર પહોંચતાં તો અયુબની ધોલાઈ જ થઈ ગઈ. બધાંએ એને ટોક્યો કે, લાશનો ધર્મ જાણ્યા વિના એની અંતિમ ક્રિયા વિશે અયુબને શી ખબર પડે. અને એ જવાબદારી તો મરનારનાં સગાં સંબંધી કે મિત્રોની છે. એ જમાનામાં જેને ઘેર મરણ થયું હોય, ત્યાં એક મહિના સુધી નજીકના સંબંધીઓ સિવાય કોઈ મળવા પણ જતું ન હતું. કદાચ મરનારનું ભૂત એમને વળગી જાય!

ઘરમાંથી એના સત્કાર્ય વિશે કોઈ સહકાર કે પ્રશંસા નહીં મળે, તેની અયુબને ખાતરી થતાં, તે ઘર છોડીને ભાગી ગયો અને બન્ગલરુમાં રહેવા લાગ્યો. સદ્દભાગ્યે તેને પાણી સ્વચ્છ કરવાના એક પ્લાન્ટમાં નોકરી મળી ગઈ. એના કામથી માલિક એટલો બધો ખુશ થઈ ગયો કે, તેણે શનિ– રવિ બન્ગલરુમાં ફરવા હરવા રકમ આપી. સૌ કરે તેમ અયુબ પણ બન્ગલરુના વિખ્યાત ‘લાલ બાગ’માં સૌથી પહેલાં પહોંચી ગયો. ત્યાં ફરતાં ફરતાં એક ઝાડી પાસે લોકોનું ટોળું ભેગું થયેલું તેણે જોયું. બધાંની વચ્ચે ઘુસી જઈને અયુબે નજર માંડી, તો તેના સદ્દનસીબે(!) એક મડદું ત્યાં પડેલું તેને દેખાયું. તેનો સંવેદનશીલ  આત્મા કકળી ઊઠ્યો.

‘આનાં પણ કોઈ સગાં સંબંધી હશે. કેવી મજબૂરી હશે કે, અંતિમ વેળાએ તેને કોઈનો સાથ ન મળ્યો?’

કોઈની મદદ લઈ, શબને બગીચાની બહાર લઈ ગયો, અને એક રીક્ષાવાળાને કાલાવાલા કરી પોલિસ સ્ટેશને એ લાશને પહોંચાડી દીધી. પોલિસે ફરીથી તેના સત્કાર્ય માટે તેને શાબાશી તેમ જ ઈનામ આપ્યાં.

હવે અયુબને ખાતરી થઈ ગઈ કે, તે કાંઈ ખોટું કામ કરતો ન હતો. તેને હિમ્મત આવી અને પ્લાન્ટના માલિકની રજા લઈ વતન પાછો ફર્યો.

ઘેર પહોંચ્યો ત્યારે તો તેના હરખનો પાર ન રહ્યો. છાપાંમાં ફોટા સાથે આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ઘરનાં  બધાંએ તેનું હરખથી સ્વાગત કર્યું.

હવે અયુબને એના જીવન કાર્ય વિશે કોઈ જ શંકા ન રહી. તેની પાસે બન્ગલરુમાં ભેગી કરેલી ૧૦,૦૦૦ ₹ ની માતબર રકમ પણ હતી જ ને? થોડીક લોન તેણે લીધી અને તેના મિત્રની જૂની થઈ ગયેલી એમ્બેસેડર કાર તેણે ખરીદી લીધી.

તે દિવસથી અયુબ અહમદ ‘મડદાં મિયાં’ તરીકે આખા મૈસુરમાં વિખ્યાત બની ગયો. અલ્લા મિયાંની મહેર કે, એના સત્કાર્યની સુવાસે તેને જીવન સંગિની પણ મળી ગઈ. તે પણ અયુબના ઉમદા સ્વભાવ અને કોઈને પણ મદદ કરવાની વૃત્તિનો આદર કરતી હતી. સીવણ કામની તેની આવકમાંથી તે પણ અયુબને આ કામ માટે મદદ કરવા લાગી.

આજની તારીખમાં બન્નેને બે વ્હાલસોયી દીકરીઓ પણ છે, અને આખું કુટુમ્બ આ ‘પાક’ કામ માટે ગૌરવની લાગણી ધરાવે છે. અત્યાર સુધીમાં આ ‘મડદાં મિયાં’એ એક હજારથી વધારે મડદાંઓને સદ્દગતિ આપી છે.

હવે તો ફેસબુક પર પણ અયુબ કામગરો બની ગયો છે. મળેલ મડદાંના ફોટા પાડી ફેસબુક પર મુકે છે. અમુક કિસ્સાઓમાં સગાં વહાલાંને ખબર પડતાં, લાશનો કબજો લેવા આવી જાય છે. અને સાથે સાથે આ ખુદાના ફરિશ્તાનો આભાર માની સારી એવી રકમની બક્ષિસ પણ આપી જાય છે.  પણ મોટા ભાગે તો સરકાર તરફથી મળતી ૧૦૦ ₹ ની મામૂલી બક્ષિસ જ. ઘણી વખત તો લાશને દફનાવવાનો કે અગ્નિસંસ્કાર કરવાનો ખર્ચ પણ અયુબ જાતે જ ભોગવે છે.

એક વખત એને એક જ દિવસમાં ચાર લાશ મળી હતી, અને તેમને યોગ્ય સ્થાને પહોંચાડવા બહુ જ તકલીફ પડી હતી. અયુબની ઉમેદ છે – એક એમ્બ્યુલન્સ ખરીદવાની – જેથી એવા સંજોગોને પણ પહોંચી વળાય! મૈસુરના પોલિસ કમિશ્નર સુબ્રહ્મણ્યેશ્વર રાવ કહે છે, “અમને અયુબના આ ખાનદાન કામ માટે ગર્વ છે.”

આપણે પણ ‘મડદાં મિયાં’ને સલામી બક્ષીએ.

સંદર્ભ –

http://bangaloremirror.indiatimes.com/news/india/call-him-body-miyan/articleshow/57114223.cms

http://www.thebetterindia.com/89922/ayub-ahmed-body-miyan-mysuru/

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...210211212213...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved