Opinion Magazine
Number of visits: 9747538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દોહ્યલો માણસ

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|28 January 2021

પ્રજ્ઞાબહેન – જયેશભાઈ, હંસાબહેન – દીપકભાઈ, હેમાબહેન – હસમુખભાઈ તેમ જ સમગ્ર માણેક પરિવારમાં દરેક નસીબદાર છે, તેમને આદરણીય બાભાઈ સરીખા વડીલ મળ્યા. મારે તો ફક્ત 45 સાલનો જ ભર્યો ભર્યો સંપર્ક. પણ કેવો સંતર્પક.

હવે તો તે વાતને ય વરસો શું, દાયકાઓ થયા. 1976ના અરસે દાદા આદરણીય રૂગનાથભાઈ જેરાજ માણેકને ડાહ્યાભાઈ પટેલ – રતિલાલ જોબનપુત્રાની 44 ઇલિંગ રોડ પરે, પહેલે માળે આવી ઓફિસે મળવાનું થતું. અમે હોંશે વાતો કરતા; અને એમણે તો વળતા ભારે સ્નેહ વહેતો રાખ્યો હતો. જયન્તભાઈ મ. પંડ્યાએ નોંધ્યું છે તેમ, ‘કોઠાસૂઝવાળા માણસ, વાંચન બહોળું અને જીવ સાહિત્યપ્રેમી’. મારી ભાળ-સંભાળ રાખવાનું ય પરિવારને કહીને ગયા હતા; ખરું ને ? બાભાઈ એમનું ઘરનું હૂલામણું નામ. ખરું નામ તો પ્રભુદાસભાઈ માણેક. એમણે અને વારસાદારોએ કુન્તલને, કુંજને તથા મને અદકાં જાણી ભારે સાંચવી જાણ્યાં છે.

દાદાજીને મળાયું તે પછીનો પરિચય તે હસમુખભાઈ જોડેનો અને પછી બાભાઈ સંગાથે. છાપામાં હતો ત્યારે હસમુખભાઈને મળવાનું થતું. છાપું છૂટ્યું; પૉસ્ટ ઑફિસમાં કામે વળગ્યો. એ દિવસોમાં ક્રિકલવૂડ પૉસ્ટ ઑફિસમાં હતો. હર સાંજ વેળા બાભાઈ આવતા. એમની રોજગારી અંગેનું કામ આટોપતા અને અમે આમતેમ ખબરઅંતર પૂછી લેતા. એ સિલસિલો બારેક મહિના ચાલ્યો હોવો જોઈએ.

ત્યારે એમનું નિવાસસ્થાન સડબરી હિલ વિસ્તારમાં હતું. એકાદબેવાર આવી ગયો હોઈશ. અને પછી બાભાઈની દૂરંદેશીએ ત્રણે ય સંતાનો ભણ્યા, આગળ વધ્યા અને સારી પેઠે ઠરીઠામ પણ થયા.

જાણકારોને સાંભરતું હશે, રૂગનાથભાઈ તો યુગાન્ડામાં લોહાણા સમાજમાં આગેવાની રાખીને ખૂંપી ગયા હતા. આ જેટલું આવકાર્ય હતું, એટલું પરિવારને સંસાર ચલાવવા અઘરું બનતું. તેમ છતાં, મને કહેવા દો : દાદાજી જેવા દોલા ને દોહ્યલા આદમી સહેલાઈએ સાંપડવાના નથી !

પ્રભુદાસભાઈ માણેક, જયન્તભાઈએ લખ્યા મુજબ ‘સ્વસ્થ, સૌમ્ય અને પોતાની ગતિમિત પ્રમાણે જીવનપંથ કાપનારા.’ હોઈ શકે, બાભાઈએ આમાંથી પદાર્થપાઠ લીધો હોય તેમ સમજું છું. શાળા-કૉલેજના દિવસો વેળા કે પછી, હસમુખભાઈએ જાહેર જીવનનો કેડો લેવાનો રાખેલો અને ‘યુવક સંઘ’ની અહીં રચના કરીને ગુજરાતી ભાષાશિક્ષણની પ્રવૃત્તિઓ, નાટક, ગીતોના વિધવિધ કાર્યક્રમો વગેરેમાં ઓતપ્રોત થવાનું જોયું. સમજું છું, બાભાઈએ પરિસ્થિતિ હાથ લીધી − અને પછીનો ઇતિહાસ નોખો છે. ક્યાં સડબરી હિલનું જીવન અને ક્યાં હેરોડિન રોડ કે પછી સાઉથ હિલ એવન્યુનું જીવન.

પ્રભુદાસભાઈએ દેકારા વિના જીવનનાં વહેણને સુપેરે વહેવાં દીધાં. સલામ, પ્રભુદાસભાઈને. … આપણા આ બાભાઈ નિર્લેપી સજ્જન. બહુ જ ઓછું બોલે, ખપ પૂરતું જ. આ માણસને માણસમાં ભારે ઊંડી શ્રદ્ધા, પણ કાચુંપોચું એમને સતત કઠે. જ્યારે જ્યારે મળવાનું થયું છે ત્યારે ત્યારે બાભાઈના મોં પરે ‘સાત્ત્વિક પરિતોષની લાગણી’ ઝળાંહળાં થતી જોઈ છે.

એમને ચિત્રકળા અને સાહિત્યમાં રસ પડે. યુગાન્ડાના દિવસોમાં એ પણ એક અચ્છા ચિત્રકાર હતા. પોપટલાલભાઈ ગજજ્રર, અરવિંદભાઈ ઓઝા અને પ્રભુદાસભાઈ માણેકની ચિત્રકાર – ત્રિપુટી. પોપટલાલભાઈએ તેમ જ અરવિંદભાઈએ અહીં સ્થળાંતર થયા બાદ પણ તે પ્રવૃત્તિને વિસ્તારી હતી. પ્રભુદાસભાઈએ એ લલિતકળાને અહીં આવતાં પહેલાં જ સંકોરી લીધેલી અને એનાથી પર થઈ ગયા હતા. આવું કેમ, ભલા, કર્યું હશે ? પૂછતાછ કર્યા કેડે ય મને સાચુકલો ઉત્તર જ્ડયો નથી !

પરંતુ, પ્રભુદાસભાઈની કમાલનો પરચો “ઓપિનિયન”કારને સતત થયા કરેલો. એમણે કેટકેટલાંને વાંચતા કર્યાં. પોતાને અનુકૂળ હતું તે લેખનકાર્ય પણ કર્યું અને યુગાન્ડા માંહેની આપણી વસાહત વિશેની કેટકેટલી નરવી વિગતો એમણે શબ્દોમાં કંડારી, સાંચવી લીધી. આપણી વસાહતના ઇતિહાસ માટેના અને કામના એ ઓજારો સાબિત થાય તેમ છે. મોટાભાઈ તુલસીદાસ અંગેનો લેખ મારે મન એક સોજ્જું ચરિત્ર બન્યો છે.

આમ લાંબે પટે વિચારું છું ત્યારે એક વાત સ્પષ્ટ વર્તાય છે. એમણે સંતાનોમાં જે દીધું છે તે ગૌરવ અપાવે તેવો વારસો છે. ધન અગત્યનું છે. ઘર સંસાર ચલાવવા તેનું સ્થાન છે જ છે. પણ સંસ્કાર, વિનય, વિવેક, સાહિત્ય, કલા પ્રત્યેની અભરુચિનું સિંચન કરીને સંતાનોનો ઉછેર કરવામાં બાભાઈએ અને ભાભીએ લગીર મણાં નથી રાખી. પરિવારના કોઈ પણ સ્તરના સભ્યને મળતાં હળતાં આ સ્પષ્ટપણે જોવા સાંપડે જ સાંપડે.

આવો એક દોલો માણસ, નેવું નેવું દાયકાઓને પાર આયખું ભોગવીને જાય ત્યારે ભારે દુ:ખ પહોંચે, વેદના થાય, ચિત્કારી જવાય; પરંતુ બીજી પા, તેનો ઉત્સવ પણ હોય. છેવટે તો મરણની પેલે પાર હવે સ્મરણ જ કેડો બને છે. અને તેથીસ્તો કવિમિત્ર હરીન્દ્ર દવેની આ કવિતા સાદર કરું :

                     મૃત્યુ ન કહો

મ્હેકમાં મ્હેક  મળી  જાય  તો  મૃત્યુ ન કહો
તેજમાં તેજ   ભળી  જાય  તો  મૃત્યુ ન કહો
રાહ જુદો  જ  જો  ફંટાય  તો  મૃત્યુ ન કહો
શ્વાસની  લીલા  સમેટાય   તો  મૃત્યુ ન કહો

દીર્ઘ યાત્રાની  જરૂરતથી  સજ્જ   થઈ  જઈને
એક  મંઝિલની લગન  આંખે  ઊતરવા દઈને
ભાનની   ક્ષણને   કાળજીથી   સમેટી  લઈને
‘આવજો’ કહીને  કોઈ જાય  તો મૃત્યુ ન કહો

જે  નરી  આંખે  જણાયાં ન  એ તત્ત્વો કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા
દૂર   દુનિયાનાં  રહસ્યોનો   તાગ   મેળવવા
દૃષ્ટિ જો  આંખથી છલકાય તો  મૃત્યુ ન કહો

શબ્દ ક્યાં પહોંચે છે  તે  જાતે નીરખવા માટે
ભાનની   સૃષ્ટિની   સીમાને   પરખવા  માટે
દિલના  વિસ્તારની  દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફિલથી  ઊઠી જાય તો  મૃત્યુ ન કહો

                                                                     – હરીન્દ્ર દવે 

હૅરો, 27 જાન્યુઆરી 2021

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

“The hill we climb / કપરા ચઢાણ”

Poem by Amanda Gorman - ભાવાનુવાદ : ડૉ દુર્ગેશ મોદી|Poetry|26 January 2021

"The hill we climb / કપરા ચઢાણ”

Poem by Amanda Gorman (Recited at America's 46th president Joe Biden's inaugural ceremony on 20/01/21)

દિવસ એ આવી ચઢે, પૂછીએ જાતને જ્યાં 
અનંત આ અંધકારમાં, પ્રકાશ શોધવો ક્યાં? 
નુકસાન વેઠતાં, નવયુગી ઉદધિ વલોવતાં, 
જાણે વિકરાળ કેસરિયાળને પંપાળતાં 
અમો શીખ્યા, જે શાંત દેખાય તે સદૈવ શાંતિપૂર્ણ શાં? 
મૂલ્યો ને ધોરણો ને ચાલી આવતી પરંપરાઓ, ન્યાય કાં ? 
એ છતાં, આવનારી પરોઢ આપણી 
અજાણતાં જ, અગમ્ય ઢબે
ઝંઝાવાતોને સામી છાતીએ ઝીલનાર 
એ રાષ્ટ્ર, અપૂર્ણ છતાં ય અતૂટ
એ દેશના અમે વારસ, 
જ્યાં ગુલામોની આ વંશજ 
એકલ માતાથી ઉછેરેલ
એક દૂબળીપાતળી કાળી છોકરી પણ, 
ન માત્ર રાષ્ટ્રપતિ થવાનું સ્વપ્ન સેવી શકે, 
એના રાષ્ટ્રપતિને પોતાના આ વિચાર પ્રત્યક્ષ કહી શકે!

ન આપણે બેદાગ, ન આપણે પવિત્ર 
સંઘર્ષ એ ન કે બને ગણસંઘ સંપૂર્ણ; 
સંઘર્ષ એ જ કે બને ગણસંઘ સઉદ્દેશ્ય. 
સર્વ સંસ્કૃતિ, ધરમ, વરણ સમાવિષ્ટ 
દેશ આખો માણસમાત્રને પ્રતિબદ્ધ. 
ઊઠો, જાગો અને મંડ્યા રહો, 
માંહેના કલહ નહીં, સામેના પડકાર ઝીલો, 
ભેદ ભગાવી ભવિષ્ય બનાવો 
હથિયાર ફગાવી હાથ મિલાવો
હાનિ હટાવી હામ બંધાવો. 
દુનિયા આખીને આ હકીકત માલૂમ થજો, 
કે વિષાદમાં પણ આપણે વિકાસ સાધ્યો છે, 
કે યાતના છતાં આપણે યત્ન જરૂર આદર્યો છે, 
કે આઘાતમાં ય આપણે આશ જાળવી છે, 
કે વૈવિધ્ય છતાં એકતા આપણી કાયમ છે, 
વિજયી ભવ; 
એટલે નહીં કે આપણે ફરીથી કદી હાર જાણશું નહીં, 
પરંતુ એટલે કે આપણે ફરીથી કદી ભાગલા વાવશું નહીં. 

ધર્મગ્રંથ પરિકલ્પે
ખેડે તેની જમીન ને વાવે તેનું વૃક્ષ 
રહે ન તેમને કોઈનો ડર, 
જો રહેવું સમયના પ્રવાહની સાથ
તો ફતેહ નથી તલવારની ધાર સંગ, 
તું સંબંધોના સેતુ બાંધતો ચાલ 
વચન તને, ગાઢ વગડામાં ય ઉમંગ. 
કપરા ચઢાણ 
હિંમત દેખાડ 
'અમેરિકન હોવું' એ આપણી પરંપરાઓમાં 
ગૌરવ લેવા પૂરતું સીમિત નથ્ય,
કાળના વહેણમાં ડગ માંડ
એમાં સુધાર કરવાની ફરજ પણ સામેલ. 
આપણે એ તાકાતો રૂબરૂ ભાળી ખરે 
દેશની અસ્મિતાને જે વહેંચે નહીં, વિભાજિત કરે
લોકના શાસનને વિલંબિત કરવા જે રાષ્ટ્રનો જ વિનાશ ચહે 
એ પ્રયાસ થયો માંડ વિફળ અરેરે! 
લોકશાહીને કાળાંતરે કોઈ હડદોલી ય કાઢે 
પણ કાયમી હરાવી કદાપિ ના શકે. 
આ સત્યમાં
આ આસ્થામાં, અમને વિશ્વાસ. 
મીટ ભલે માંડીયે આપણે ભાવિ તરફે
સ્વયં ઇતિહાસની નજર આપણા પરે
યુગ નૂતન, બન મુક્તિ ભાણ 
આરંભ પ્રચંડ, શંકા નવ આણ 
ભયાવહ કાળ, મ્હોમાં પ્રાણ 
અંદર જ શક્તિ, એટલું જાણ 
કાગળ પર નવ અધ્યાય તાણ 
આસ ને હાસ ખૂલીને માણ. 
ના પૂછ પંથ શી આફત ખડી છે,
ઉત્પાત ઉથાપ, હાકલ પડી છે. 
કદમ કદમ બઢે ચલો, 
પાછાજોણું નહીં, આગળ વધો, 
દેશ આ અઘાત નહીં, પણ અખંડ ખસૂસ
પરોપકાર તથાપિ સાહસયુક્ત,
પ્રખર જોમ અને હૈયા મુક્ત
રોક્યા અમે રોકાશું ના, 
ડરાવ્યા અમે ડરશું ના, 
જાણજો કે આપણાં અકર્મણ્યતા ને આળસ
બનશે આવનાર પેઢીના અનિવાર્ય ભારણ 
બાંધો મનમાં એક ગાંઠ :
જો ભેળવીએ કરુણામાં કૌવત 
મિલાવીએ અનુકંપા અને અધિકાર,
તો વ્હાલપના બનશે સૌ વારસદાર 
ને પરિવર્તન હશે જન્માધિકાર. 
તો ચાલો, એક બહેતર દેશ બનાવીએ 
મારી તામ્રવર્ણી છાતીમાંથી ઉફળતો દરેક શ્વાસ કહે,
ઘવાયેલ આ વિશ્વમાં, સારપના દ્યોતક બનીએ 
ઊઠો સૌ બિરાદર
આથમણે સ્વર્ણલિપ્ત કરાડો માંહેથી ઊઠો,
ક્રાંતિની જ્વાળા જગવતાં ઓતરાદા વાયરામાંથી ઊઠો, 
મધ્યપશ્ચિમના તાલનગરોમાંથી ઊઠો,
સૂર્યતપ્ત દખ્ખણમાંથી ઊઠો, 
પુનર્નિર્માણ, પુનર્વિચાર અને પુનર્વિકાસ
આ દેશના ખૂણેખૂણાનો, છેવાડેછેવાડાનો. 
દેશબંધુ ઊઠો, લોક ભિન્ન છતાં સુભગ 
દેશબંધુ ઊઠો, લોક ભગ્ન તોયે સુભગ
ઊંડા અંધારેથી, બંધુ! પરમ તેજે તું લઈ જા
ભયમુક્ત, આઝાદ નવી પ્રભાતે તું લઈ જા
પ્રકાશ છે જ, બસ શોધતો જા 
પ્રકાશ છે જ, તું સ્વયં થઈ જા.

e.mail : durgeshmodi@yahoo.in

•••••••••

When day comes we ask ourselves,
where can we find light in this never-ending shade?
The loss we carry,
a sea we must wade
We've braved the belly of the beast
We've learned that quiet isn't always peace
And the norms and notions
of what just is
Isn't always just-ice
And yet the dawn is ours
before we knew it
Somehow we do it
Somehow we've weathered and witnessed
a nation that isn't broken
but simply unfinished
We the successors of a country and a time
Where a skinny Black girl
descended from slaves and raised by a single mother
can dream of becoming president
only to find herself reciting for one

And yes we are far from polished
far from pristine
but that doesn't mean we are
striving to form a union that is perfect
We are striving to forge a union with purpose
To compose a country committed to all cultures, colors, characters and
conditions of man
And so we lift our gazes not to what stands between us
but what stands before us
We close the divide because we know, to put our future first,
we must first put our differences aside
We lay down our arms
so we can reach out our arms
to one another
We seek harm to none and harmony for all 
Let the globe, if nothing else, say this is true:
That even as we grieved, we grew
That even as we hurt, we hoped
That even as we tired, we tried
That we'll forever be tied together, victorious
Not because we will never again know defeat
but because we will never again sow division
Scripture tells us to envision
that everyone shall sit under their own vine and fig tree (Micah 4.4, King James Bible) 
And no one shall make them afraid
If we're to live up to our own time
Then victory won't lie in the blade
But in all the bridges we've made
That is the promise to glade
The hill we climb
If only we dare
It's because being American is more than a pride we inherit,
it's the past we step into
and how we repair it
 We've seen a force that would shatter our nation
rather than share it
Would destroy our country if it meant delaying democracy
And this effort very nearly succeeded
But while democracy can be periodically delayed
it can never be permanently defeated
In this truth
in this faith we trust
For while we have our eyes on the future
history has its eyes on us
This is the era of just redemption
We feared at its inception
We did not feel prepared to be the heirs
of such a terrifying hour
but within it we found the power
to author a new chapter
To offer hope and laughter to ourselves
So while once we asked,
how could we possibly prevail over catastrophe?
Now we assert
How could catastrophe possibly prevail over us?
 
We will not march back to what was
but move to what shall be
A country that is bruised but whole,
benevolent but bold,
fierce and free
We will not be turned around
or interrupted by intimidation
because we know our inaction and inertia
will be the inheritance of the next generation
Our blunders become their burdens
§But one thing is certain:
If we merge mercy with might,
and might with right,
then love becomes our legacy
and change our children's birthright

So let us leave behind a country
better than the one we were left with
Every breath from my bronze-pounded chest,
we will raise this wounded world into a wondrous one
We will rise from the gold-limbed hills of the west,
we will rise from the windswept northeast
where our forefathers first realized revolution
We will rise from the lake-rimmed cities of the midwestern states,
we will rise from the sunbaked south
We will rebuild, reconcile and recover
and every known nook of our nation and
every corner called our country,
our people diverse and beautiful will emerge,
battered and beautiful
When day comes we step out of the shade,
aflame and unafraid
The new dawn blooms as we free it
For there is always light,
if only we're brave enough to see it
If only we're brave enough to be it

https://www.theguardian.com/us-news/2021/jan/20/amanda-gorman-poem-biden-inauguration-transcript

Loading

અમેરિકામાં ગુજરાતી સાહિત્ય — નાયગ્રામાં તરતી નૌકા

નટવર ગાંધી|Diaspora - Features|26 January 2021

1977માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા, ત્યારે એમણે એવું સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને નિયમિત સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ખ્યાલમાં રાખી અહીંના થોડાંક સાહિત્યરસિક મિત્રોએ ‘ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા’ નામે એક સંસ્થા સ્થાપી. આ અકાદમી હવે રામભાઈ ગઢવી અને અશોક મેઘાણીના પ્રશંસાપાત્ર નેતૃત્વ નીચે, દર બે વરસે, જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્યનું  સમ્મેલન યોજે છે જેમાં દેશમાંથી જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાનાં મોટાં શહેરોમાં એમની બેઠકો યોજાય છે. આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી “દર્શક,” ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, મણિલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, ચિનુ મોદી, હરીશ મીનાશ્રુ, મનોજ ખંડેરિયા, હિમાંશી શેલત, રતિલાલ બોરીસાગર જેવાં ખ્યાતનામ સાહિત્યકારો અમેરિકામાં આવી ગયાં.  વધુમાં સુરેશ દલાલ, બકુલ ત્રિપાઠી, સિતાંશુ યશશ્ચન્દ્ર, ચંદ્રકાંત ટોપીવાળા, ધીરુભાઈ પરીખ, બળવન્તરાય જાની, શોભિત દેસાઈ જેવા જાણીતા સાહિત્યકારો પણ અમેરિકા આવી ગયા જેની ઉપસ્થિતિનો પણ અકાદમીને લાભ  મળ્યો છે.

અકાદમીના આ દ્વિવર્ષીય સમ્મેલન ઉપરાંત દેશમાંથી આવતા જતા અનેક કલાકારો અને સાહિત્યકારોના કાર્યક્રમો ખાસ તો ન્યુ યોર્ક અને ન્યુ જર્સી એરિયામાં વારંવાર થાય છે જેમાં આશિષ દેસાઈ અને ગીની માલવિયા અગત્યનો ભાગ ભજવે છે. વધુમાં આજે જો કોરોના વાયરસને કારણે આ કાર્યક્રમો બંધ થઈ ગયા છે, તો આ બન્ને ઉત્સાહી અને કુશળ કાર્યકર્તાઓએ ઓનલાઇન ઝૂમની વ્યવસ્થા કરી મૂલ્યવાન સાહિત્યિક શિબિરો શરૂ કરી છે. હમણાં જ જાણીતા નાટ્યલેખક અને વાર્તાકાર મધુ રાયની દોરવણી નીચે એક વાર્તા લેખનની શિબિર યોજાઈ હતી. એ પહેલા રઈશ મનીઆરના માર્ગદર્શન નીચે એક ગઝલ લેખનની શિબિર પણ થઈ હતી. અમેરિકામાં વસતા ઘણા સાહિત્યરસિકોએ આ બન્ને શિબિરોમાં ભાગ લીધો હતો.

અકાદમી જેમ જ બીજી સંસ્થાઓને આશ્રયે જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી રહે છે.  ફિલાડેલ્ફિયાની એક જાણીતી સંસ્થા ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ વરસે બે વરસે અહીંના જાણીતા સાહિત્યકારોનું મૂલ્યાંકન કરતાં સુંદર કાર્યક્રમો યોજે છે. આ પ્રવૃત્તિમાં પન્ના નાયક, મધુ રાય, અને બાબુ સુથારના સુંદર કાર્યક્રમો સાહિત્યપ્રેમી સુચી અને ગિરીશ વ્યાસના નેતૃત્વ નીચે થઈ ગયા.  આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાંથી છેલ્લાં ત્રીસેક વરસથી કિશોર દેસાઈ સંપાદિત “શિષ્ટ સાહિત્યનું” સામયિક ‘ગુર્જરી’ નીકળે છે. વધુમાં ત્યાંથી જ બાબુ સુથારે થોડાં વર્ષો ‘સંધિ’ જેવું ઉચ્ચ કક્ષાનું મેગેઝિન પ્રકાશિત કર્યું હતું. ગુજરાતી સાહિત્યનું પહેલું ડિજીટલ ગુજરાતી મેગેઝિન “કેસૂડાં” પણ થોડાં વર્ષો ફિલાડેલ્ફિયા નિવાસી સ્વ. કિશોર રાવળે સૂક્ષ્મ કલાસૂઝથી ચલાવેલું. ગુજરાતીઓની પ્રમાણમાં ઝાઝી સંખ્યા હોવાને કારણે ન્યૂ જર્સીમાં “ચલો ગુજરાત,” કે “ગ્લોરિયસ ગુજરાત” જેવા મેળાઓ ભરાય ત્યારે એના આશ્રયે કવિસમ્મેલન અને મુશાયરા જરૂર યોજાય અને દેશમાંથી લોકપ્રિય કવિઓ અને ગઝલકારોને લોકો હજારોની સંખ્યામાં સાંભળે.

કવિ દંપતી મધુમતી મહેતા અને અશરફ ડબાવાલા વર્ષોથી શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે સાહિત્યિક કાર્યક્રમો કરે છે. કેલીફૉનિયામાં કવિ જયશ્રી મર્ચન્ટ સાહિત્યિક કાર્યક્રમો ઉપરાંત સ્વ. પી.કે. દાવડાનો જાણીતો બ્લોગ “દાવડાનું  આંગણું” હવે ચલાવે છે. તો વાર્તાકાર પ્રવીણ શાસ્ત્રીએ પોતાના નોંધપાત્ર બ્લોગમાં એક આગવી મુદ્રા ઘડી છે. હ્યુસ્ટનનું ગુજરાતી સાહિત્ય સરિતા ગ્રુપ પણ અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. આમ અમેરિકાનાં નાનાંમોટાં શહેરોમાં કઈંક ને કંઈક સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ થતી રહે છે.

ડાયસ્પોરા સાહિત્ય?

આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે અમેરિકામાં વસતા સાહિત્યકારોને ઘણું પ્રોત્સાહન મળે છે. અને અહીં ઢગલાબંધ લખાય પણ છે. જો કે આ સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહેવું કે નહીં તે વિવાદાસ્પદ પ્રશ્ન છે.  ડાયસ્પોરા સાહિત્યનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બહુ મોટો છે.  હડધૂત થયેલી યહૂદી પ્રજાએ અસહિષ્ણુ ત્રાસવાદીઓથી બચવા પોતાના ઘરબાર છોડીને દુનિયામાં રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરા સાહિત્યની મુખ્યત્વે શરૂઆત થઈ. એના મૂળમાં સ્વદેશમાં પાછા જવાની, મા ભોમના ખોળામાં ફરી રમવાની ઝંખના છે. આવું ઘરઝુરાપાનું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય.

યહૂદીઓ પર જે યાતનાઓ પડી તે આજે ઓછા વધુ પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર પડી રહી છે. આખી ય વીસમી સદીમાં અને આ સદીનાં પહેલાં વીસ વરસમાં નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદી સરમુખત્યારો કે અન્ય અત્યાચારીઓની કોઈ કમી નથી. આપણી આંખ સામે અત્યારે મિડલ ઇસ્ટમાંથી હજારો અને લાખોની સંખ્યામાં લોકો પહેર્યે કપડે નીકળી પડે છે અને યુરોપનાં બારણાં ખખડાવે છે. વધુમાં માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે પગપાળે ચાલી આવતા લેટિન અમેરિકાના હજારો નિરાશ્રિતો અમેરિકાનો આશરો માગે છે. આ અસહ્ય યાતના અને દુઃખદ અનુભવમાંથી નોંધપાત્ર ડાયાસ્પોરા સાહિત્ય જરૂર રચાશે.

આ દૃષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા એમ પશ્ચિમના દેશોમાં આવ્યા અને સ્થાયી થયા.  પશ્ચિમના સુંવાળા અને સુખાવળા જીવનથી એ ટેવાઈ ગયા છે. ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે. એટલે સાચા અર્થમાં અહીં રચાતું ગુજરાતી સાહિત્ય એ ઘરઝુરાપાનું સાહિત્ય નથી. અને છતાં અહીં આવનારાઓમાંથી ઘણા સાહિત્યરસિકોને લખવું છે અને લખે પણ છે. આ સાહિત્યની દેશમાં નોંધ પણ લેવાય છે.  ગ્રીડ ઇન્સ્ટિટ્યૂટ અને તેના નિયામક બળવંત જાની આ પરદેશમાં લખાતા સાહિત્યને સંગ્રહિત કરી એનો દસ્તાવેજી ઇતિહાસ તૈયાર કરે છે. જાણીતા વિવેચક અને સૂક્ષ્મ સાહિત્યમર્મી મધુસૂદન કાપડિયાએ પણ અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકારોનો ઊંડો અભ્યાસ કરી એક પુસ્તક તૈયાર કર્યું છે તે અભ્યાસીઓને ખૂબ ઉપયોગી નીવડશે. [1]

પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ જ છે, એને સાહિત્ય પણ કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે. અહીંના લખનારાઓ પ્રયત્ન જરૂર કરે છે, પણ એમની સજ્જતા ઓછી.  એમની લેખનપ્રવૃત્તિમાં દેશમાં જે અને જેવું લખાય છે તેનું અનુકરણ જોવા મળે છે. એ જ વિષયો–રાધા, કૃષ્ણ, ગોપી, રામ-શબરી,  સીમ, સહિયર, ફૂલ, મેંદી, પતંગિયા, પાનખર, ટહુકો, માટીની મહેક વગેરે — અને એ જ ગીત ગઝલનો રાફડો. વધુમાં ઘરઝુરાપાની બોદી વાતો. એકાદ બે અપવાદ સિવાય એમ કહી શકાય કે આ સાહિત્યકારો અમેરિકા ન આવ્યા હોત તો દેશમાં એ આવું જ કઈંક લખતા હોત. જે દેશ અને સમાજમાં દાયકાઓથી વસે છે એના વાતાવરણનો એમને જાણે કે કોઈ સ્પર્શ જ થયો નથી એમ લાગે છે. છતાં એમને કવિ થવું ગમે છે. તેમાં તે ગ્લેમર જુએ છે. પણ સાહિત્યસર્જન માટે જે તૈયારી કરવી પડે, જે વાંચવું પડે, લખ-છેક-ભૂંસ કરવું પડે, તે એમને માન્ય નથી. અંગ્રેજી કે વિશ્વસાહિત્યની વાત બાજુમાં મુકો, એમણે અગત્યનું ગુજરાતી સાહિત્ય પણ વાંચ્યું નથી. 

દેશના શિષ્ટ સાહિત્યકારોમાં અહીં લખાતા સાહિત્ય વિષે બહુ ઊંચો અભિપ્રાય નથી. છતાં આ સાહિત્ય વિષે પ્રામાણિક વિવેચન જોવા મળતું નથી. આ કારણે અહીં લખનારાઓ પોતે કવિ કે લેખક હોવાના ભ્રમમાં રહે છે. વધુમાં દેશના કેટલાક સાહિત્યકારો–વિવેચકો, સંપાદકો, સંયોજકો, વગેરે — પોતાના સ્વાર્થ માટે અહીંના કવિ લેખકોની નામના મેળવવાની તીવ્ર ઘેલછાનો લાભ લે છે. દેશના આ સાહિત્યકારોને વારંવાર અમેરિકા આવવું છે. વગર ખર્ચે લાંબો સમય અહીં રહીને અમેરિકન આતિથ્ય માણવુ છે. બદલામાં તેઓ અહીંના કવિ લેખકોના સાહિત્યિક ગુણવત્તા વગરનાં પુસ્તકો પબ્લિશ કરી આપે છે, એમને એવોર્ડ મળે અને દેશમાં એમના કાર્યક્રમો થાય, એવી વ્યવસ્થા કરી આપે છે. આ વાટકી વ્યવહારમાં અહીંના લખનારાઓ હરખપદૂડા થઈને એટલો જ  ભાગ લે છે અને દેશના મુલાકાતીઓનું હોંશે હોંશે આતિથ્ય કરે છે. વધુમાં પોતે પૈસેટકે સુખી હોવાથી ગાંઠનું ગોપીચંદન કરી પુસ્તકો છપાવે છે.  પ્રકાશકો માટે આ તો ભાવતું’તું અને વૈદ્યે કીધા જેવું થયું! અહીંના સાહિત્યકારોને મુખ્યત્વે ખ્યાતિ, નામના જોઈએ છે, માન સન્માન જોઈએ છે. દેશમાં જાય ત્યારે સાહિત્યસમારંભોમાં પહોળા થઈને બેસવું હોય છે. સ્ત્રી સાહિત્યકારોને નવી ફેશનની સાડી પહેરી, મેકપ કરીને પોતાનાં ગીત ગઝલ ગાવાં વાંચવાં હોય છે. આ પ્રપંચમાં બન્ને બાજુ રાજી રહે છે. માત્ર સાહિત્યને જ હાનિ પહોંચે છે.

હવે તો કોરોના વાયરસને કારણે સાહિત્યના કાર્યક્રમો, ખાસ કરીને કવિ સમ્મેલનો મોટા પ્રમાણમાં ઝૂમ પર થવા લાગ્યા. દર શનિ-રવિએ આવા કાર્યક્રમો થતાં હોય છે. ઝૂમની ટેક્નોલોજીને કારણે એનું ઓડિયન્સ પણ હવે દેશના સીમાડાઓ વટાવીને આંતરરાષ્ટ્રિય થયું છે. આ સાહિત્યકારો હવે માત્ર અમેરિકા જ નહીં, પણ દુનિયાના બીજા સમૃદ્ધ દેશોમાં પણ પોતાની જાળ પાથરે છે. જેમ એમણે અમેરિકાના કવિ લેખકોને લલચાવ્યા છે તેવી જ રીતે અન્ય દેશોમાં પણ એમની આ રમત રમાય છે. જ્યાં જ્યાં આપણા સાહસિક અને સમૃદ્ધ ગુજરાતીઓ વસ્યા છે ત્યાં બધે આપણા વેપારી સાહિત્યકારો પહોંચી જાય છે!

જે કૂવામાં તે હવાડામાં

જો કે દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવુંતેવું લખાય છે. વળી જેવું લખાય છે તેવું જ છપાય છે. કદાચ આ ટેકનોલોજીનું પરિણામ હશે. કહેવાય છે કે આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લોગ ચાલે છે. અને એટલી જ સંખ્યામાં પુસ્તકો, ખાસ કરીને કાવ્યસંગ્રહો પણ નિયમિત પ્રગટ થાય છે.  જેની પાસે લેપ ટોપ તે હવે લેખક! જેવું લખાય તેવું જ ફેઈસ બુક, યુટ્યુબ કે વોટ્સએપ જેવા સોશ્યિલ મીડિયાની આઉટલેટ પર મુકાઈ જાય. હજારો અને લાખોની સંખ્યામાં લોકો તુરત જ  “લાઈક” કરે, “શેર” કરે. વીસમી સદીના પૂર્વાર્ધના કોઈ સાહિત્યકારે કલ્પના પણ નહીં કરી હોય કે એટલા વિશાળ વાચક વર્ગ પાસે કોઈ કવિ લેખક આટલી સહેલાઈથી પહોંચી શકે. એક વખતે ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલની (door keeper)ની જે અમૂલ્ય પ્રથા હતી તે લગભગ ભૂંસાઈ ગઈ છે.  એક જમાનામાં કવિ થવું હોય તો બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા દુરારાધ્ય તંત્રીઓની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડતું. અને પછી જ કવિતા ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના મેગેઝિનમાં પ્રગટ થાય. આ દ્વારપાળોને સાહિત્યનાં ઊંચાં ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવી હતી. જો કે આવા સામયિકોની ગ્રાહક સંખ્યા પણ ઘણી મર્યાદિત હોય છે. કહેવાય છે કે ગુજરાતી સાહિત્યનું ઉત્તમ ગણાતું સામયિક ‘સંસ્કૃતિ’ જ્યારે બંધ થયું ત્યારે એની ગ્રાહક સંખ્યા માત્ર સાતસોએક જેટલી હતી.  

વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી પ્રાથમિક  સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી. ગુજરાતીમાં જોડણીભૂલો વગરનાં પુસ્તકો જોવાં એ હવે વિરલ વાત બની ગઈ છે. જૂના જમાનામાં પત્રો નીચે એક નોંધ મૂકાતી, “તા.ક. ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતિ.”  મને લાગે છે કે હવે એવી વિનંતિભરી ચેતવણી લગભગ બધા જ ગુજરાતી પુસ્તકોમાં મૂકવી અનિવાર્ય થઈ ગઈ છે. એમ પણ થાય છે કે સ્વામી આનંદ જેવા અત્યંત ચીકણા લેખક જે એમના પ્રગટ થયેલા લેખોમાં એક પણ જોડણી ભૂલ ન ચલાવી લે તે કદાચ હવે કાંઈ પ્રગટ જ ન કરી શકે.

આજનો ગઝલકાર કે ગીતકાર તો રમત રમતમાં કમ્પ્યુટર પર ગઝલ લખી નાખે અને તરત વેબ ઉપર પોતાના બ્લોગમાં કે સોશિયલ મીડિયામાં મૂકી દે. એને કોણ કહે કે આવું ન લખાય? એને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. અને જો પરીક્ષા ન આપવાની હોય તો પછી તૈયારી કરવાની શી જરૂર? કશું પણ લખતાં પહેલાં સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રથાને આત્મસાત્ કરવા જે અસાધારણ પરિશ્રમ કરવો પડે, અઢળક વાંચન અને અભ્યાસ કરવા પડે, એવી સુફિયાણી વાત હવે કોઈ કરતું નથી. વધુમાં કેટલાક ગુજરાતી લેખકો તો હવે લખતા પણ નથી, લખાવે છે! જેવું બોલાય, તેવું ટાઈપીસ્ટ ટાઈપ કરે અને તેવું જ પ્રેસમાં જાય! દર અઠવાડિયે એકાદ બે કોલમ અને દર વરસે બે ત્રણ દળદાર પુસ્તકો પ્રગટ થઈ જાય. આવા ગુજરાતી સાહિત્યકારોનાં નામે દોઢસો બસો પુસ્તકો તો રમત રમતમાં જ  થઇ જાય!

સાહિત્યની અધકચરી સમજ

જો ગુજરાતમાં કવિ લેખકોની ખોટ નથી તો સુજ્ઞ વાંચકોની તો છે જ. જે વંચાય છે તે બહુધા પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો, અને ખાસ તો તેમાં આવતી કોલમો. મુંબઈની પરાંની ટ્રેનમાં લોકોના હાથમાં પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો વધુ જોવા મળે. એક જમાનામાં થોડા ઘણા પણ લોકો રમણલાલ વસંતલાલ દેસાઈ કે કનૈયાલાલ મુન્શીની નવલકથાનાં દળદાર પુસ્તકો વાંચતા. હવે મુખ્યત્વે છાપાં કે મેગેઝિનોમાં ધારાવાહિક આવતી નવલકથાઓ વંચાય છે. લોકોનો વાંચવાનો સમય ટી.વી. અને સોશિયલ મીડિયાએ  ભરખી ખાધો છે. વધુમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ ક્ષીણ થતું જાય છે. મુંબઈમાં તો ગુજરાતી માધ્યમની શાળાઓનો લગભગ અસ્ત આવી ગયો છે. મોટા શહેરોના ગુજરાતી કુટુંબોમાં ઉછરતી પેઢીનાં બાળકો ભલે ગુજરાતી બોલે, પણ એમનું ગુજરાતી વાંચન કે લેખન તો નહિવત્ થઈ ગયું છે.

મોટાં શહેરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે. જો કે આ બાબતમાં ગુજરાતી માબાપનો વાંક કાઢવો બરાબર નથી. જેમ પ્રોફેસર નગીનદાસ સંઘવી કહ્યું છે  તેમ, “આપણુ બંધારણ અંગ્રેજીમાં લખાયું છે, આપણા કાયદાઓ અંગ્રેજી ભાષામાં ઘડાય છે, દેશના શ્રેષ્ઠ અખબારો, ગ્રંથો અંગ્રેજીમાં હોય છે, અને જ્ઞાન વિજ્ઞાનની પરિભાષા હજુ પણ અંગ્રેજીમાં છે.” [2] વધુમાં જેની પાર્લામેન્ટમાં અને કોર્ટમાં ચર્ચાઓ હજી એંગ્રેજીમાં થતી હોય, જેની મોટી મોટી કંપનીઓનો વ્યવહાર મુખ્યત્વે અંગ્રેજીમાં થતો હોય, એવા દેશમાં માબાપ પોતાના સંતાનોનું ભવિષ્ય સુધારવા માટે તેમને અંગ્રેજી માધ્યમમાં મૂકે એમાં નવાઈ શી?

પણ વધુમાં કિરીટ દૂધાતે નોંધ્યું તેમ, “ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્યકારો (હાજી, આ બન્ને અલગ જાતિઓ છે!) વધુ ને વધુ લઘુ થતા” જાય છે. [3] જો કે મારી દૃષ્ટિએ ગુજરાતીઓ — શું દેશના કે શું અમેરિકાના — પહેલા હતા તેવા જ છે, પણ સાહિત્યકારો જરૂર લઘુ થતા જાય છે. ગુજરાતી ભાષા-સાહિત્યના વેરાનમાં હરિશ્ચન્દ્ર ભટ્ટ કે સુરેશ જોશી જેવા સાહિત્યકાર ઉપજે એ જ એક અકસ્માત છે. બાકી તો બજારમાં  જે ખપે છે, જેની ફેશન છે, તે લખાય છે, તે પબ્લિશ થાય છે અને તે વેચાય છે. આમ માર્કેટ જ સાહિત્યનું ધોરણ બની ગઈ છે. જેવું ટૂથપેસ્ટ કે ચોકલેટનું તેવું જ સાહિત્યનું! તેથી આપણે ત્યાં ભાગ્યે જ કોઈ પ્રકાશક એડિટર કે ફેક્ટચેકર રાખવાનો ખર્ચો કરે. એ તો નફામાં નુકસાન કરવાની વાત થઈ. વળી એડિટર અને ફેક્ટચેકર તો હા-ના કરે, સુધારા-વધારા કરે, એ કેમ ચાલે? પુસ્તક પ્રકાશન એ નર્યો પૈસા બનાવવાનો ધંધો નથી, પણ સાથે સાથે એ એક સાંસ્કૃતિક જવાબદારી પણ છે એ સમજનો આપણા પ્રકાશકોમાં મુખ્યત્વે અભાવ છે.

શું ખપશે અને શું નહીં ખપે એ બાબતની આપણા વર્તમાન સાહિત્યકારોની માર્કેટ સૂઝ કોઈ એમ.બી.એ.ને શરમાવે એવી છે. જેમ કોઈ હોશિયાર માર્કેટિંગ મેનેજર માર્કેટ સેગ્મેન્ટેશન કરે તેમ, આ વેપારી સાહિત્યકારો કવિ લેખકોના જુદા જુદા ચોકા પાડે છે અને વાચકોને અનુરૂપ વિધવિધ કાર્યક્રમો કરે છે. આમ અત્યારે સ્ત્રી કવિઓ, ગઝલકારો, દલિત લેખકો, ચારણ, મેમણ જેવા હાંસિયામાં રહી ગયેલા સર્જકોના વિશિષ્ટ કાર્યક્રમો યોજાય છે. સાહિત્યમાં માત્ર કૃતિ કેન્દ્રિત જ વિચાર વિવેચન હોય, નહીં કે સર્જક કેન્દ્રિત એ મૂળભૂત વાત હવે બાજુમાં મુકાઈ છે. જે કઈ લખાયું છે તે સાહિત્યિક કૃતિ થઈ છે કે નહીં એ અગત્યનો પ્રશ્ન છે, નહીં કે કોણે ક્યારે લખ્યું છે.  લખનાર સ્ત્રી છે, દલિત છે, ચારણ છે, અને ક્યારે લખાયું છે એ હકીકત ગૌણ છે. તેથી જ તો એવો કોઈ વિચારભેદ કર્યા વગર આજે પણ આપણે નરસિંહ મહેતા કે મીરાંનાં પદો કે અખાના છપ્પાઓ ઉત્તમ સાહિત્ય ગણીને માણીયે છીએ.

ચિંતાજનક વાત તો એ છે કે આજના સાહિત્યકારને જ પોતાની જવાબદારીનું ભાન નથી.  સાહિત્ય એ એક Heroic Struggle  (શૂરાનો જંગ?) છે, એ પાર્ટટાઈમ કામ નથી, કે પૈસા કમાવાનું એક સાધન નથી, અને એની સાધનામાં આખુંએ જીવન હોમી દેવું પડે, એવી સમજ નથી. મારા મર્યાદિત વિચાર વિનિમયમાં મને માત્ર ઉમાશંકર જોશી, સુરેશ જોષી, અને નિરંજન ભગતમાં જ સાહિત્ય વિશેની આ સમજ અને જીવનભરની સાધનાવૃત્તિ જોવા મળી હતી. વીસમી સદીના અમેરિકન સાહિત્યકારોમાં આ પ્રકારની ધગશ એડમન્ડ વિલ્સન અને લાયોનલ ટ્રીલિંગમાં જેવા અગ્રગણ્ય સાહિત્યકારોમાં જોવા મળી છે.

હું જ્યારે જ્યારે અમદાવાદ કે મુંબઈ જાઉં છું ત્યારે કવિઓ, લેખકો, પ્રાધ્યાપકો અને અન્ય બૌદ્ધિકોને મળવા અને એમની સાથે વિચારવિનિમય કરવા પ્રયત્ન કરું છું. એમને મળ્યા પછી બહુ જ ઓછા અપવાદ સિવાય, એવી છાપ પડે છે કે એમાંના મોટા ભાગનાને વિશ્વસાહિત્ય કે વિચારની વાત તો બાજુ મૂકો, દેશની અન્ય ભાષા-સાહિત્યનો પણ ઝાઝો પરિચય નથી. એમ લાગે કે એમણે વૈચારિક કે બૌદ્ધિક કુતૂહલ જ કેળવ્યું નથી. આવી પરિસ્થિતિ જો દેશમાં હોય તો અહીંના સાહિત્યકારો પાસેથી જુદી અપેક્ષા કેમ રાખી શકાય? આખરે એ કવિ લેખકો ત્યાંથી જ આવ્યા છે ને? જે કૂવામાં હોય તે હવાડામાં આવે. ત્યાંના ગુજરાતીઓ જે લખે વાંચે છે તે અહીંના ગુજરાતીઓ લખે વાંચે છે.

નાયગ્રામાં તરતી નૌકા

દેશમાં ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જન થતું હોત તો પણ હું અમેરિકામાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઉજ્જવળ ભવિષ્ય જોતો નથી, કારણ કે અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઓ એ અમેરિકામાં વસતા ગુજરાતીઓની પહેલી પેઢીની જ રમત છે. વધુમાં અહીંની સંસ્થાઓ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવવા જે કાંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે મુખ્યત્વે ઉપરછલ્લા અને અધકચરા છે.  આ બધામાં પહેલી પેઢીના ભારતીયોના વિદેશવાસનાં વલખાં સિવાય બીજું બહુ ઓછું છે. અહીં કાર્યક્રમોમાં જઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે એમાં હાજર રહેતા લોકો બહુધા 60-70ની ઉંમરના પેલી પેઢીના ઇમિગ્રન્ટ્સ હોય છે. આવા કાર્યક્રમોમાં અન્ય સમવયસ્ક ગુજરાતીઓને  હળવામળવાથી એમને પરાઈ ભૂમિમાં થોડી ઘણી ધરપત મળે છે. પોતે ગુજરાતી ભાષા અને સાહિત્ય અહીં ટકાવી રાખે છે એવો આભાસ થાય છે. આ બાબતમાં દેશમાંથી આવતા સાહિત્યકારો આગળ જણાવ્યું તેમ એમને પ્રોત્સાહન આપે છે અને એમના ભ્રમને જાળવી રાખે છે.  દેશમાં જે કાંઈ અને જેટલું વાંચતા હતા તે અહીં વાંચવું અને ત્યાં જે કવિ લેખકોને સાંભળતા હતા તેમને અહીં બોલાવીને સાંભળવા એમાં જ એમની સાહિત્યપ્રીતિ સમાઈ જતી હોય એમ લાગે છે. જ્યારે અહીંની મહાન યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અમેરિકનો દ્વારા ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સમજવા અને સમજાવવા જે પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી આપણા ગુજરાતીઓ મોટા ભાગે અજાણ હોય છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ અમેરિકામાં વસતા ગુજરાતીઓનું ભવિષ્ય શું છે? પોતે ક્યાં સુધી દેશના જ ગુજરાતી જ રહેશે? (આ બાબતમાં ઉમાશંકર જોશીનો પ્રશ્ન અહીંના ગુજરાતીઓને વધુ લાગુ પડે છે : એ તો કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?).  ઉપરાંત આ ગુજરાતીઓ એમના સંતાનોના અમેરિકીકરણમાં શો ભાગ ભજવશે? દરેક ઈમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢી પોતાના વિશિષ્ટ સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવી રાખવા પ્રયત્ન કરે છે,  તેમ આ ગુજરાતીઓ આવી પ્રવૃત્તિઓ કરે તેમાં નવાઈ નથી. પરંતુ આ સાહિત્યિક પ્રવૃત્તિઓ, સાહિત્યકારો, સુગમ સંગીતકારો, વગેરેનું  મહત્ત્વ જ્યાં સુધી આ પહેલી પેઢી હયાત છે ત્યાં સુધી છે. અહીં જન્મીને અહીં જ ઊછરેલી બીજી, ત્રીજી કે ચોથી પેઢીના ગુજરાતીઓ માટે આ બધું એકમાત્ર વિસ્મયનો જ વિષય બની રહેશે.

અહીંની નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની પ્રવૃત્તિઓમાં કોઈ ઝાઝો રસ નથી. અહીં ઉછરેલા સંતાનોની ગુજરાતી ભાષાની જાણકારી ઉપરછલ્લી હોય છે, અને સાહિત્યની સમજૂતી તો નહિવત જ હોય છે. આ નવી પેઢીના સંતાનો ગુજરાતી નથી પણ અમેરિકન છે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ છે. એનો અર્થ એ નથી કે એ પેઢી ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય વંશીય પ્રજા પોતાના પૂર્વજોના મૂળ શોધવા પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે તેવી જ રીતે આ પેઢી પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિષે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે. એ અમેરિકન પ્રજાનો ભારતીય સંસ્કૃતિ અને જીવન પ્રત્યેનો રસ તે ઐતિહાસિક સંશોધન અને પ્રદર્શનથી વધુ નહીં હોય. ધર્મ અને વાણીસ્વાતંત્ર્યના આ દેશમાં સૌને પોતાની સંસ્કૃતિ જાળવવાની છૂટ છે, પણ તે જાળવણી અહીં ઊછરતી ગુજરાતી પ્રજા અમેરિકન ઢબે અને અહીં યોગ્ય થઈ રહે તેવી જ રીતે કરશે.

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ગુજરાતીઓ પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે એમની અહીં ઊછરતી અમેરિકન પ્રજાને ગુજરાતી બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું પણ ગુજરાતી બનીને રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. અહીં આવેલી અન્ય ઇમિગ્રન્ટ પ્રજાઓએ આવા પ્રયત્નો જરૂર કર્યા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના લેન્કેસ્ટર જિલ્લામાં જર્મન અને સ્વિસ ઈમિગ્રન્ટ્સ દાયકાઓથી ઠરીઠામ થયેલી એમિશ પ્રજામાં આવા અખતરાનો એક દાખલો મળે છે. એમિશ પ્રજાએ આજે દાયકાઓના અમેરિકન વસવાટ પછી પણ પોતાના રીતરિવાજો, રૂઢિઓ અને વિશિષ્ટ જીવનપ્રણાલી જાળવી રાખવા પ્રયત્નો કર્યો છે. વીસમી સદીનાં આધુનિક અમેરિકામાં એમિશ લોકો અઢારમી સદીનું જર્મનજીવન જીવવા મથે છે, અને આધુનિક અમેરિકાથી અસ્પૃષ્ટ રહીને પોતાનાં ધર્મ અને સંસ્કૃતિ જાળવવાનો ભગીરથ પ્રયત્ન કરે છે. પરંતુ એમનું અપવાદરૂપ બની ગયેલું જીવન, બંધિયાર જીવનવ્યવસ્થા, ઘટતી જતી વસતી, અને તેમનું પ્રદર્શનરૂપ બની ગયેલું અસ્તિત્વ — આ બધામાંથી જે ઈમિગ્રન્ટ લોકો કોઈ પણ શરતે અમેરિકામાં પોતાની ભાષા સંસ્કૃતિનો જુદો તંબૂ તાણવા મથે છે તેમણે ચેતવણી લેવાની જરૂર છે.

હિન્દુ સંસ્કૃતિની એક વિશિષ્ટતા એ છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન અને હિન્દુ સમાજ વગર અસંભવિત છે. આ દૃષ્ટિએ હિન્દુ સંસ્કૃતિનું યહૂદી સાથે સામ્ય છે. આપણી સંસ્કૃતિમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, નાગપાંચમ, રાંધણછઠ અને શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને મહાશિવરાત્રિ — આ બધા તહેવારોનું સાંસ્કૃતિક મહત્ત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે. તેવી જ રીતે આપણા વર્ણાશ્રમો અને જ્ઞાતિપ્રથાનું સાંસ્કૃતિક સત્ત્વ એના સામાજિક સંદર્ભમાં જ છે. આ બાબતમાં સરખામણીએ ખ્રિસ્તી, ઇસ્લામ અને બૌદ્ધ સંસ્કૃતિને સામાજિક સંદર્ભની અનિવાર્યતા નથી. આથી આ ત્રણે સંસ્કૃતિનો દુનિયાના વિધવિધ દેશોનો પ્રચાર થઈ શક્યો છે. અત્યંત ઔદ્યોગિક અને આધુનિક પશ્ચિમના દેશો હોય કે સંસ્કૃતિસમૃદ્ધ અને સદીઓ જૂના એશિયાના દેશો હોય — આ વિભિન્ન સામાજિક અને ભૌગોલિક વાતાવરણોમાં ખ્રિસ્તી સંસ્કૃતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આમ જ ઇસ્લામનું અને બૌદ્ધ સંસ્કૃતિનો પ્રચાર સાવ નિરાળા અને અજાણ્યા દેશોમાં થઈ શક્યો.

હિન્દુ સંસ્કૃતિને જો સામાજિક સંદર્ભની અનિવાર્યતા હોય તો પછી અમેરિકામાં એ સંસ્કૃતિ લાવવા અને પેઢીઓ સુધી જાળવવા માટે આપણે હિન્દુ જીવન લાવવું અને જાળવવું જોઈએ. આ શક્ય છે ખરું? આ બાબતનો આકરો અખતરો હરેકૃષ્ણ સંપ્રદાયના અમેરિકન અનુયાયીઓ અત્યારે કરી રહ્યા છે. અત્યારે તો આ કઠોર પ્રયોગ નાના પાયા ઉપર થઈ રહ્યો છે. આધુનિક અમેરિકન જીવનથી વિમુખ અને અપવાદરૂપ એમનું અસ્તિત્વ વિસ્તરશે કે વિલીન થશે એ વાત ભવિષ્ય જ કહી શકે.  પરંતુ અહીંના ગુજરાતીઓ કે બીજા ભારતીયો હરેકૃષ્ણવાળાઓ સાથે જોડાય એ બહુ સંભવિત દેખાતું નથી. જે હોંશ અને ઉમળકાથી આ ભારતીયો અમેરિકન સુવિધાઓ, સાધનસામગ્રી, સમૃદ્ધ જીવનધોરણ અને સ્વતંત્ર જીવનશૈલી અપનાવે છે અને માણે છે તે બતાવે છે કે એમણે હરેકૃષ્ણ ધર્મના આકરા જીવનને દૂરથી જ નમસ્કાર કર્યા છે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ગુજરાતી ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે વિશિષ્ટતા — એમની ગુજરાતીતા — હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં ય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. જેવું ગુજરાતીઓનું તેવું જ અહીં આવેલી અન્ય ભારતીય પ્ર્જાઓનું.  અમેરિકીકરણના આ ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું પડશે. વિશાળ નાયગ્રા નદીના ધસમસતા પ્રવાહમાં કોઈ નાનકડી નૌકા જેમ લાંબો સમય તરી ન શકે તેમ અમેરિકાના ભરખી ખાતા મેલ્ટીંગ પોટમાં ગુજરાતી ભાષા કે સાહિત્ય પહેલી પેઢીથી આગળ ઝાઝો સમય ટકી રહે એમ લાગતું નથી.

(શબ્દ સંખ્યા 3136)

[1] મધુસૂદન કાપડિયા, અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, ગાંધીનગર: ગુજરાતી સાહિત્ય અકાદમી, 2011

[2] નગીનદાસ સંઘવી, નગીનદાસ સંઘવીની સોંસરી વાત, રાજકોટ, કે બૂક્સ, 2019, પાનું.186

[3] કિરીટ દૂધાત, ‘નવનીત સમર્પણ’ એપ્રિલ 2018, પાનું 56

4301 Military Road NW, #510, Washington, DC 20015

e.mail : natgandhi@yahoo.com

‘એતદ્દ”, ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના અંકમાં, પૃ. 81-87 વચ્ચે પ્રથમ પ્રકાશિત આ લેખમાં, લેખકે જરૂરી સુધારાવધારા કર્યા હોઈ, આને સંવર્ધિત આવૃત્તિ લેખવી.  − વિ.ક. 

Loading

...102030...2,0822,0832,0842,085...2,0902,1002,110...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved