Opinion Magazine
Number of visits: 9663878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખો પહાડ જાણે ગુસ્સો કરતો હોય તેવું લાગે !

રમેશ સવાણી|Diaspora - Features|20 July 2025

રમેશ સવાણી

18 જુલાઈ 2025ના રોજ સવારે બ્રેકફાસ્ટ કરી, 6.15 વાગ્યે, ફરી Yellowstone – યલોસ્ટોન નેશનલ પાર્કમાં જવા નીકળ્યા. અમારા રેન્ટલ હાઉસથી યલોસ્ટોન નેશનલ પાર્ક 20 માઈલ દૂર છે. 

ફરતાં ફરતાં Gibbon Falls – ગિબન ધોધના દર્શન કર્યા. ઉત્તરપશ્ચિમ યલોસ્ટોન નેશનલ પાર્કમાં ગિબન નદી પર આ ધોધ છે. ધોધની ઊંડાઈ 84 ફૂટ(26 મીટર)ની છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં ઓછામાં ઓછા 45 નામાંકિત ધોધ અને કાસ્કેડ છે.

Norris Geyser Basin પહોંચ્યા. આ બેસિન અનોખું લેન્ડસ્કેપ છે. નજર કરો ત્યાં વરાળ નીકળતી 193 જેટલી ધૂણીઓ જોવા મળે. તેમને નજીકથી જોવા માટે 3 માઈલ લાંબો Boardwalks અને trails છે. વિશાળ પટમાં અનેક ગીઝર-ધૂણીઓ વરાળના વાદળ બનાવતી હોવાથી જાણે આકાશમાં વિહરતા હોઈએ તેવું લાગે. આવું અદ્દભુત દૃશ્ય પહેલી વખત જોયું. 

અહીં Steamboat Geyser – સ્ટીમબોટ ગીઝર છે. આ વિશ્વનો સૌથી ઊંચો સક્રિય ગીઝર છે. વિસ્ફોટ સમયે તેની ઊંચાઈ 300 ફૂટ / 91 મીટરથી વધુ હોય છે. આવા મોટા વિસ્ફોટ અણધાર્યા થાય છે. સ્ટીમબોટમાં નાના વિસ્ફોટો વારંવાર થાય છે, જે પાણીને 10-40 ફૂટ ઊંચું બહાર ફેંકે છે. દૂર રહી હું વીડિયો શૂટ કરતો હતો ત્યારે પાણીના છાંટાં મારી પર પડતાં હતા. આકાશને આંબતી વરાળનો ધુમાડો આશ્ચર્યચકિત કરી દે છે.

યલોસ્ટોનના મિડવે ગીઝર બેસિનમાં એક્સેલસિયર ગીઝર અને ગ્રાન્ડ લૂપ રોડ પર Roaring Mountain – રોરિંગ માઉન્ટેનની ઉત્તરે સેમી-સેન્ટેનિયલ ગીઝર સ્ટીમબોટ જેટલા ઊંચા હોવાનું નોંધાયું છે. જો કે, 1985 પછી એક્સેલસિયર ફાટી નીકળ્યો નથી, અને તે ગરમ ઝરણા તરીકે કાર્ય કરે છે, અને સેમી-સેન્ટેનિયલમાં આ ઊંચાઈનો એક વિસ્ફોટ 1922માં નોંધાયો હતો અને ત્યારથી તે નિષ્ક્રિય છે. સ્ટીમબોટના મુખ્ય વિસ્ફોટો સામાન્ય રીતે 3 થી 40 મિનિટ સુધી ચાલે છે. વિસ્ફોટ પછી, ગીઝર ઘણીવાર 48 કલાક સુધી મોટી માત્રામાં વરાળ બહાર કાઢે છે. સ્ટીમબોટ ગીઝરનો સૌથી તાજેતરનો વિસ્ફોટ 14 એપ્રિલ, 2025ના રોજ થયો હતો. 2018ની શરૂઆતમાં તે ફરીથી સક્રિય થયા પછી આ 171મો વિસ્ફોટ હતો.

રોરિંગ માઉન્ટેનનું નામ અસંખ્ય Fumaroles – ફ્યુમરોલ્સના કારણે રાખવામાં આવ્યું છે, જેનો અવાજ ઘણા માઇલ સુધી સંભળાતો હતો. રોરિંગ માઉન્ટેન એટલે ગર્જના કરતો પર્વત ! steam અને sulfur-rich gasesના વાદળો જોવા મળે છે. રોરિંગ માઉન્ટેન નોરિસ ગીઝર બેસિનની ઉત્તરે 5 માઇલ અને ઓબ્સિડિયન ક્લિફની દક્ષિણે છે અને પાર્કના રસ્તાઓ પરથી સરળતાથી જોઈ શકાય છે. રોરિંગ માઉન્ટેનની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 8,152 જેટલી છે. આખો પહાડ જાણે ગુસ્સો કરતો હોય તેવું લાગે ! 

ફ્યુમરોલ એ ખડકાળ સપાટી પર એક વેન્ટ છે જેમાંથી ગરમ જ્વાળામુખી વાયુઓ અને વરાળ ઉત્સર્જિત થાય છે, જેમાં કોઈપણ પ્રવાહી અથવા ઘન પદાર્થોનો સમાવેશ થતો નથી. ફ્યુમરોલ જ્વાળામુખીની પ્રવૃત્તિના અંતિમ તબક્કાની લાક્ષણિકતા છે, પરંતુ ફ્યુમરોલ પ્રવૃત્તિ જ્વાળામુખી વિસ્ફોટ પહેલા પણ થઈ શકે છે અને તેનો ઉપયોગ વિસ્ફોટની આગાહી માટે કરવામાં આવે છે. મોટાભાગના ફ્યુમરોલ વિસ્ફોટના અંતના થોડા દિવસોમાં સમાપ્ત થઈ જાય છે. પરંતુ કેટલાક સતત દાયકાઓ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે. ફ્યુમરોલ ધરાવતા વિસ્તારને fumarole field કહે છે.

બપોરે દોઢ વાગ્યે રેન્ટલ હાઉસ પરત આવ્યા. લંચ કરી આરામ કર્યો. સાડા ત્રણ વાગ્યે જોરદાર વરસાદ આવ્યો. વરસાદની ઉજવણી કરવા મરચાં / ડુંગળી / બટાકાના ભજિયાં બનાવ્યાં ને પેટ ભરીને ઝાપટ્યા ! મોજ પડી ગઈ. અમારી ભજિયાં પાર્ટી તો યલોસ્ટોન નેશનલ પાર્ક પણ યાદ રાખશે ! પ્રવાસનો હેતુ જ આનંદપ્રાપ્તિનો હોય છે !

20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ સંસ્કૃતિના ઠેકેદારો આશ્રમ વ્યવસ્થાનું પાલન કરેકરાવે ખરા? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 July 2025

હેમન્તકુમાર શાહ

હિંદુ સંસ્કૃતિમાં મનુષ્યના સો વર્ષના જીવનને ચાર અવસ્થામાં અથવા કહો કે ચાર આશ્રમ વ્યવસ્થામાં વહેંચી નાખવામાં આવ્યું છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.

આ આશ્રમ વ્યવસ્થા મુજબ આટલું તો થવું જ જોઈએ :

(૧) ૨૫ વર્ષની વય પહેલાં કોઈનું લગ્ન થવું જોઈએ નહીં. ત્યાં સુધી તો માત્ર ભણવાનું જ હોય, કમાવાનું હોય જ નહીં. એટલે જેમનાં લગ્ન થઈ ગયાં હોય તે બધાં લગ્ન ફોક ગણવામાં આવે. વળી, ૨૫ વર્ષની વય સુધીનાં બધાં યુવકો અને યુવતીઓ જો અત્યારે કમાતા હોય તો એ બધાંને નોકરીમાંથી કાઢી મૂકીને ભણવા મોકલી દેવાનાં. કોઈ પણ કારખાના કે ઓફિસમાં ૨૫ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કામ કરતી હોવી જોઈએ જ નહીં. 

(૨) ૨૫થી ૫૦ની વય દરમ્યાન જ કમાવાનું કામ કરવાનું, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં. કોઈ રાજનેતા પણ આ ઉંમરમાં જ થાય, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં.

(૩) ૫૦ વર્ષની વય થાય એટલે ઘરબાર છોડીને જંગલમાં જતા રહેવાનું. અથવા ઘરમાં રહીને પણ જંગલમાં રહેતા હોવ એ રીતે જ રહેવાનું. એનો અર્થ એ પણ છે કે આર્થિક કમાણી કરવાનું બંધ કરવાનું. પેન્શન પણ લેવાનું નહીં. 

(૪) ૭૫ની વય થાય એટલે સંન્યાસ લઈ લેવાનો, ભગવાં વસ્ત્રો ધારણ કરવાનાં, ભીખ માગીને જ ખાવાનું અને આત્માનો ઉદ્ધાર કરવાનો અને પરમાત્માને મળવાની તૈયારી કરવાની. ૭૫ વર્ષની વય પહેલાં સાધુ થવાનું જ નહીં, અને કોઈને સાધુ બનાવવાના પણ નહીં. 

આજકાલ હિંદુ સંસ્કૃતિની બહુ દુહાઈ દેવામાં આવે છે. અને વળી, જગતની શ્રેષ્ઠ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે એમ ઢોલ પીટીને કહેવામાં આવે છે. તો જેઓ આવો દાવો કરે છે એ બધાએ આ આશ્રમ વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ કે નહીં? 

આ જંબુદ્વીપમાં કે ભારતવર્ષમાં ભૂતકાળમાં બધું બહુ મહાન હતું એમ કહેવામાં આવે છે. તો આશ્રમ વ્યવસ્થા બહુ સારી અને મહાન હતી કે નહીં? તેનું પાલન આવો દાવો કરનારા લોકોએ જાતે કરીને મહાન અને દિવ્ય ભારતમાં આખા વિશ્વ માટે દાખલો બેસાડવો જોઈએ કે નહીં? એમ કરવાથી આ ભારતવર્ષ કે આર્યાવર્ત વિશ્વગુરુ થાય કે નહીં? અને હા, એ બધાને મોક્ષ મળે કે નહીં? 

તા.૨૦-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણી આસપાસનાં સેવક અને રક્ષક

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2025

રમેશ ઓઝા

વર્તમાન શાસકો ધાર્યું નહોતું એટલા પ્રમાણમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને પ્રાસંગિક બનાવી રહ્યા છે. જેને તેઓ ગાળો આપે છે અને બદનામ કરે છે તેમની જ તેઓ સેવા કરી રહ્યા છે. ચીન અને તિબેટના પ્રશ્ને આ જોવા મળ્યું અને હવે હિન્દી ભાષાના પ્રશ્ને આ જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં લોકો અંગ્રેજીમાં બોલવામાં શરમ અનુભવશે. રાષ્ટ્રનિર્માણ માટે એક રાષ્ટ્ર એક ભાષા અનિવાર્ય છે અને હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રવાદની આ વિભાવના છે અને તેને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક શાળામાં હિન્દીને ફરજિયાત કરી. કરી તો કરી, બીજા દિવસે રાજ્યભરમાં હોબાળો થયો અને ત્રીજા દિવસે નિર્ણય પાછો લીધો. ચૂંટણી હારવાનો અને સત્તા ગુમાવવાનો તેમને ડર છે. 

અહી બે સવાલ છે. રાષ્ટ્રવાદની રૂઢ કલ્પના એમ કહે છે કે રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી ઘટકોમાં એક ઘટક ભાષા છે. બહુમતી પ્રજા જે ભાષા બોલતી હોય એ ભાષા બાકીની પ્રજાએ અપનાવવી જોઈએ. દેશનું શાસન અને વ્યવહાર એ ભાષામાં ચાલવાં જોઈએ. અંગત વ્યવહાર અને ભારત જેવા બહુભાષિક દેશમાં રાજ્ય સ્તરે શાસકીય વ્યવહાર સ્થાનિક ભાષામાં ચાલી શકે. આ યુરોપમાં વિકસિત થયેલી રાષ્ટ્રવાદની કલ્પના છે જે યુરોપની ગુલામીથી આઝાદ થવા માગનારા દેશોએ અપનાવી હતી. આઝાદ થવું હોય તો ગુલામ પ્રજાની અંદર રાષ્ટ્રીય ચેતના જગાડવી પડે અને પ્રજાને એક સૂત્રે બાંધવા માટે ભાષા કામની છે. પણ હમણાં કહ્યું એમ રાષ્ટ્રવાદની આ કલ્પના યુરોપમાં વિકસી હતી જ્યાંનો સમાજ જૂદો હતો અને જરૂરિયાત જૂદી હતી. એ દેશોમાં વિવિધતા ઓછી હતી એટલે વિભિન્ન સૂર ઓછા હતા એટલે બીજા સાથે અસમંત થવાનું કે તેની રાષ્ટ્રનિષ્ઠા વિષે શંકા કરવાનું ઓછું બનતું હતું. 

યુરોપથી ઊલટું એશિયા અને આફ્રિકાના દેશોમાં વિવિધતા અનેકગણી છે અને ભારતમાં તો હજાર ગણી છે. વિશ્વનો પહેલા નંબરનો વિવિધતાવાળો દેશ. આ સ્થિતિમાં યુરોપનો રાષ્ટ્રવાદ એના એ સ્વરૂપમાં એશિયા અને આફ્રિકાના દેશોમાં ચાલી શકે નહીં અને ભારતમાં તો જરા પણ ન ચાલે. એ દેશોમાં કેટલાક લોકોએ પોતાની જરૂરિયાત મુજબ માફક આવે એવો રાષ્ટ્રવાદ અપનાવ્યો જેને કંપોઝીટ નેશનાલિઝમ (સેન્દ્રીય રાષ્ટ્રવાદ) તરીકે ઓળખાવવામાં આવે છે. આ સેન્દ્રીય રાષ્ટ્રવાદમાં બહુમતી પ્રજાનો આગ્રહ નહોતો. દાદાગીરીનો તો સવાલ જ નહોતો. રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વિષે શંકા કરવામાં નહોતી આવતી, પણ અલગ વાતને સાંભળવામાં આવતી હતી. આ ઉપરાંત સંવાદ કરવામાં  આવતો હતો અને આપલેની ભાવના હતી. આખરે એક પરિવાર છે જેમાં કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. સૌહાર્દ કેન્દ્રમાં હોવો જોઈએ. તેમને ખબર હતી કે બહુ તાણવામાં તૂટી જવાનો સંભવ છે અને દેશમાં અરાજકતા પેદા થાય અને વખતે દેશના ટૂકડા પણ થાય.

બીજી બાજુ સામે પક્ષે એક જમાત એવી હતી જે સહિયારાની જગ્યાએ બહુમતી રાષ્ટ્રવાદમાં માનતી હતી. લઘુમતીએ બહુમતી પ્રજાની આશા અને એષણાનો આદર કરવો જોઈએ, તેમને અનુકૂળ થવું જોઈએ, તેમની સંસ્કૃતિ, ભાષા વગેરે અપનાવવાં જોઈએ, થોડી બાંધછોડ કરવી જોઈએ. આખરે દેશ માટે આટલું ન કરી શકો? તમે જો બહુમતીમાં હોત તો અમે તમને અનુસર્યા હોત. 

રાષ્ટ્રવાદનો આ બીજો માર્ગ પણ તમને પહેલી નજરે ગળે ઉતરે એવો લાગશે, પણ સવાલ અભિગમનો છે. લઘુમતી જો બહુમતીને અનુકૂળ ન થયા તો? તો યાદ રહે અમે બહુમતીમાં છીએ. સમસ્યા અહીંથી શરૂ થાય છે. પાશ્ચાત્ય બહુમતી રાષ્ટ્રવાદ હિન્દુત્વવાદીઓએ એટલા માટે અપનાવ્યો કે તે મુસલમાનોને દબાવવા માટે કામનો છે. ઇતિહાસની સાચીખોટી ઘટનાઓનું વેર વાળવા માટે કામનો છે. ખોટો ઇતિહાસ ભણાવીને હિંદુઓની અંદર મિથ્યા ગર્વ અને અભિમાન પેદા કરવા માટે કામનો છે. હિંદુમાનસમાં તામસિકતા પેદા કરવા માટે કામનો છે. જેઓ દાદાગીરી કરનારું તામસિક માનસ ધારાવે છે તેને વાડામાં પૂરી રાખવા માટે કામનો છે. આ દ્વારા તેઓ પોતાને હિંદુરક્ષક તરીકે સ્થાપિત કરી શકે. 

હવે એક નજર રાષ્ટ્રપટ પર કરો. આ દેશમાં તમને હિંદુરક્ષક મળશે અને હિંદુસેવક પણ મળશે. મુસલમાનોમાં ઇસ્લામ રક્ષક મળશે અને ઇસ્લામનો સેવક પણ મળશે. આ દેશમાં જે તે ધર્મનો ધર્મસેવક મળશે અને ધર્મરક્ષક પણ મળશે. આ દેશમાં દેશરક્ષક મળશે અને દેશસેવક પણ મળશે. આ દેશમાં હિન્દીરક્ષક મળશે અને હિન્દીસેવક પણ મળશે. સંસ્કૃતસેવક અને સંસ્કૃતરક્ષક મળશે. આ દેશમાં ગોરક્ષક મળશે અને ગોસેવક પણ મળશે. મરાઠી રક્ષક અને સેવક બન્ને મળશે. દ્રવિડસેવક અને રક્ષક મળશે. મરાઠા કે પટેલ સેવક અને રક્ષક મળશે. સ્ત્રીની ગરિમાનો આદર કરનાર સ્ત્રીસેવક મળશે અને સ્ત્રીરક્ષક પણ મળશે. ગમે તે સમાજની કલ્પના કરો, સેવક અને રક્ષક બન્ને મળશે. 

હવે એ તો દેખીતી વાત છે કે સેવક અને રક્ષકનો માર્ગ ભિન્ન હોવાનો અને આ મુદ્દાને બહુ વિસ્તારથી સમજાવવાની જરૂર નથી. ભાષાની વાત કરીએ તો અનેક લોકોએ પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવાનો, વ્યાકરણને લોકસુલભ બનાવવાનો, લિપિ સુધારવાનો, સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો, અન્ય ભાષાના અમર સાહિત્યનો અનુવાદ કરીને સ્વ-ભાષિક પ્રજાનાં જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવાનો, શબ્દકોશ તૈયાર કરવાનો, સભા સેમીનાર, પુરસ્કાર, પ્રોત્સાહન કે ફોલોશીપ આપવાનો વગેરે વગેરે પ્રકારના પ્રયાસ કરશે. આ સેવકોનો અભિગમ છે. ગોસેવક ગોશાળા બાંધશે, નસ્લના સંવર્ધન માટે કામ કરશે, તેનાં આરોગ્ય માટે કામ કરશે, ગોવિજ્ઞાન વિકસાવશે, રખડતી ગાયોને ખીલે બાંધશે વગેરે. આ ગોસેવકનો અભિગમ હશે. આ જ વાત અલગ અલગ રીતે ધર્મ, દેશ અને બીજી દરેક વાતને લાગું પડશે. સેવકોના અભિગમમાં રચનાત્મકતા જોવા મળશે. 

રક્ષકોનો માર્ગ જૂદો છે. હિન્દીસેવક બનવું હોય તો શુદ્ધ ભાષા આવડવી જોઈએ, વાંચન કરવું જોઈએ, ઉચ્ચારશુદ્ધિ કેળવવી જોઈએ, ભાવક તરીકે રસિકતા કેળવવી જોઈએ, બીજા હિન્દીભાષીકોની રૂચી કેળવવા કામ કરવું જોઈએ પણ રક્ષક બનવા માટે આમાંની કશી ચીજની જરૂર હોતી નથી. એને માટે દંડુકો પૂરતો છે. જગતમાં અનેક પ્રકારનાં ટીચિંગ માટે કોર્સ વિકસ્યા છે, પણ ગુરખા ટ્રેનીંગ ઇન્સ્ટિટયૂટ જોવા નહીં મળે. ગુરખો બનવા માટે ભણવાની જરૂર જ પડતી નથી. બાવડાનું બળ, સંખ્યાનું બળ અને સત્તાનું બળ દંડુકાના પ્રકાર છે. જાડી બુદ્ધિ ધરાવનારા અભણ અને અસંવેદનશીલ લોકોનું આ ક્ષેત્ર છે. આ જગતમાં દરેક જગ્યાએ સ્વઘોષિત રક્ષકોએ કાળો કેર વરસાવ્યો છે. 

અને છેલ્લે એક નજર તમારી આસપાસ કરો. કોણે તમારા પરિવારને, તમારા સમાજને, તમારા પ્રદેશને, તમારી ભાષાને, તમારી સંસ્કૃતિને, તમારી જ્ઞાતિની સ્ત્રીઓને, તમારે ત્યાંના પછાત વર્ગને, ગરીબોને ઉપર ઉઠાવવામાં યોગદાન આપ્યું છે? યાદી કરશો તો જોવા મળશે કે દરેક સેવક હશે, રક્ષક એક પણ નહીં હોય. દાદાગીરી-જોહુકમી અને વાત્સલ્ય એક સાથે ન રહી શકે. અને હજુ એક વાત. રક્ષકો પરાયા ઉપર જેટલી નજર રાખે છે એનાં કરતાં પોતાનાંઓ પર વધુ નજર રાખે છે. આ આપણો થઈને પરાયાનું ઉપરાણું તો નથી લેતો ને? એ પરાયાને તો સતાવતો સતાવશે, પોતાનાંને વધારે સતાવશે. તેના પર વધુ નજર રાખશે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી હિંદુરક્ષકો મુસલમાનો કરતાં હિંદુઓ પર વધારે નજર રાખે છે અને તેમને નાસ્તિક, ફિરંગીની ઓલાદ, મેકોલેની ઓલાદ, દેશદ્રોહી, ધર્મદ્રોહી, અર્બન નક્સલ વગેરે લેબલ લગાડીને સતાવે છે. 

રક્ષકનો આ સ્વભાવ છે. રક્ષક સેવક ન બની શકે. એટલે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું યોગદાન નથી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025

Loading

...102030...207208209210...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved