Opinion Magazine
Number of visits: 9456399
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાદેવીના જવાહરભાઈ :

હિદાયત પરમાર|Opinion - Opinion|26 March 2025

મહાદેવી વર્મા

મહાદેવી વર્મા દ્વારા લખાયેલાં રેખાચિત્ર અને સંસ્મરણો ભારતીય સાહિત્યનો વારસો છે. તેમની પાસે જવાહરલાલ નેહરુ વિશે એક એવું સંસ્મરણ પણ છે, જેનું શીર્ષક છે : ‘જવાહરભાઈ’. 

મહાદેવી નેહરુ સાથેની તેમની પ્રથમ મુલાકાત વિશે લખે છે કે તે સમયે તે અલ્હાબાદમાં ક્રાસ્થવેટ ગર્લ્સ કોલેજમાં ધોરણ 7ની વિદ્યાર્થિની હતી. એક દિવસ તેને આચાર્ય કુમારી તુલાસકર સાથે આનંદ ભવન જવાનો મોકો મળ્યો અને તે શાળાના ગણવેશમાં જ બિસ્તરા લઈ તેની શિક્ષિકા સાથે આનંદ ભવન જવા રવાના થઈ. નેહરુ સાથેની આ પ્રથમ મુલાકાતમાં, મહાદેવી તેમના મનમાં પડેલી ઊંડી છાપ વિશે લખે છે કે ‘તેમની દૃષ્ટિમાં સ્વપ્નિલ વિશેષતા હતી. સામે ઊભેલી વ્યક્તિને લાગ્યું કે જાણે એ આંખો તેની બહાર કંઈક જોઈ રહી છે.’ 

જ્યારે તે તેની શિક્ષિકા સાથે આનંદ ભવનથી પરત ફરવા લાગી, ત્યારે તે બેગ ભૂલીને બહાર આવી ગઈ. નેહરુ મહાદેવીનો થેલો બહાર લાવ્યા અને તેમને પૂછ્યું, ‘આ પુસ્તકો તમારા છે?’ જ્યારે મહાદેવીએ સ્વિકાર કરતાં માથું હલાવ્યું, ત્યારે નેહરુએ ઠપકો આપ્યો અને કહ્યું – ‘શું હાસ્યાસ્પદ વાત છે! પુસ્તકો ફેંકતા ફરી રહ્યાં છો. વાંચતા શું ધૂળ હશો?’

મહાદેવી લખે છે કે ‘શું હાસ્યાસ્પદ વાત છે’ વાળો ઠપકો તેમને નેહરુ દ્વારા પછી પણ ઘણી વખત સાંભળવા મળ્યો હતો. 

એક મોટર અકસ્માતમાં મહાદેવીનો પગ ભાંગી ગયો, નેહરુએ કહ્યું ‘કેટલી હાસ્યાસ્પદ વાત છે, તમે તમારો પગ જ ભાંગી નાખ્યો.’ જ્યારે મહાદેવી ઘણા મહિનાઓ સુધી અસ્વસ્થ રહ્યાં ત્યારે નેહરુએ કહ્યું હતું કે ‘શું હાસ્યાસ્પદ વાત છે, તમે વારંવાર બીમાર પડો છો.’ મહાદેવી લખે છે કે તેણે ત્યારથી નહેરુને સેંકડો વખત જોયા હતા, પરંતુ ‘કોઈપણ સંજોગોમાં તેમના માનવીય રૂપમાં કોઈ ફરક જોવા મળ્યો નહીં.’

તેમણે વડા પ્રધાન તરીકે નેહરુની મુલાકાતનો રસપ્રદ અહેવાલ આપ્યો છે. બન્યું એવું કે લેખકોના કોપીરાઈટ સંબંધિત મુદ્દા અંગે મૌલાના આઝાદ સાથે વાત કરવા મહાદેવીને દિલ્હી જવું પડ્યું. તેમણે નેહરુને મળવાનું પણ નક્કી કર્યું, પરંતુ મહાદેવીએ આ મુલાકાતનો સમય અગાઉથી નક્કી કર્યો ન હતો. જ્યારે તે નેહરુને મળવા તીન મૂર્તિ પહોંચ્યાં, ત્યારે તેમના અંગત સચિવે કહ્યું કે પૂર્વ-નિર્ધારિત સમય વિના તેમને મળવું શક્ય નથી, અને ‘અહીં તો લોકો 10-10 દિવસ રાહ જોઈ પડ્યા રહે છે’.

વાત મહાદેવીને ચુભી ગઈ. તેણે વળતો જવાબ આપ્યો, ‘તે વડા પ્રધાનની વ્યસ્તતાનો પુરાવો હોઈ શકે છે, પરંતુ જેઓ 10-10 દિવસ પડ્યા રહે છે, તેમની નવરાઈનો ચોક્કસ પુરાવો છે. તમે જાઓ અને તેમને જાણ કરો કે મહાદેવી પ્રયાગથી આવ્યાં છે અને તેમને આજે જ પાછા ફરવાનું છે. તેમને મળવાની રાહ જોવામાં તે જીવનના કિંમતી 10 દિવસ ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી.’ 

પછી તો શું ! જવાહરલાલ પોતે બહાર આવ્યા અને મહાદેવીને પોતાની સાથે અંદર લઈ ગયા અને કહ્યું, ‘અહીં બેસો, મને અલ્હાબાદની સ્થિતિ કહો. તને કોણે શું કહ્યું? ‘એના પછી મને જીદનું ન યાદ રહ્યું કે ન ફરિયાદ કરવાનું. પોતે વ્યસ્ત હોવા છતાં બીજાના આત્મવિશ્વાસ અને સુવિધાની ચિંતા કરવાનું તેઓ ભાગ્યે જ ભૂલતા હતા.’

એક રસપ્રદ ઘટના ભોજનના આમંત્રણ સાથે પણ જોડાયેલી છે, જે કદાચ વર્તમાન સમયમાં વધુ સુસંગત છે. એકવાર મહાદેવી અને મૈથિલીશરણ ગુપ્ત નેહરુને મળવા ગયાં. નેહરુએ બંનેને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેમને ખબર પડી કે મહાદેવી મૈથિલીશરણ ગુપ્તની જેમ શાકાહારી છે, ત્યારે નહેરુએ મહાદેવીને મજાકમાં કહ્યું, ‘શું તમે હજુ પણ ઘાસપાત ખાઓ છો’. મૈથિલીશરણજીએ જવાબ આપ્યો, ‘તમે બધાએ અમારા માટે શું બાકી રાખ્યું છે.’ પછી નેહરુએ શાકાહારી ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી. રાત્રિભોજનમાં શાકાહારી અને માંસાહારી બંને વ્યવસ્થા હતી. નેહરુએ મહાદેવીની થાળી પોતાની પાસે રાખી અને તેમને આત્મીયતાથી કહ્યું, ‘તમે જે નથી ખાતાં, તે બીજાને ખાતા જોઈને નાક ન ચડાવો, બરાબર!’

મહાદેવી આ અનોખા સંસ્મરણના અંતે લખે છે : ‘આજે તેઓ તેમના સ્વપ્નદૃષ્ટિ સાથે અદૃશ્ય થઈ ગયા છે, તેમણે સ્વપ્નદૃષ્ટા હોવાની કિંમત ચૂકવી છે અને દેશે એક સ્વપ્નદૃષ્ટા મેળવવાનો.’

[સંદર્ભ : મહાદેવી સાહિત્ય સમગ્ર, ખંડ-2.]
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમદાવાદ અધિવેશન : નવા પડકારો આપશે કે તાકાત મેળવશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 March 2025

આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ એ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું

Rare photo of Ahmedabad Congress 1921

બસ, હવે થોડા દિવસ અને અમદાવાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બનશે. અમદાવાદમાં અધિવેશનનું મળવું 1921 પછી પહેલી વારનું એટલે કે પૂરાં એકસો ચાર વરસે હશે. આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ આ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું : સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ઉભરેલા એકના એક આંદોલન પુરુષ ઇન્દુલાલ યાજ્ઞિક સ્વાગત મંત્રીઓ હતા.

પ્રકાશ ન. શાહ

કાઁગ્રેસનાં આ બધાં વરસો નકરા રાજકીય પક્ષમાંથી ઊગીને એમાં જ આથમતાં નહોતા. એ એક નેશનલ પ્લેટફોર્મ શું વ્યાપક સામાજિક-સાંસ્કૃતિક આંદોલન હતું. એ જે મિજાજ, એ જે માહોલ એની સુરેખ છબી એ પ્રસંગે યોજાયેલ પ્રદર્શનમાં સ્વાગતવચનો ઉચ્ચારતા વલ્લભભાઈના ઉદ્દગારોમાંથી ઊપસી રહે છે : ‘ભર્તૃહરિએ કહ્યું છે કે સાહિત્ય, સંગીત અને કળા એ મનુષ્યનું લક્ષણ છે. એ ત્રણેયનો યોગ મહાસભા (કાઁગ્રેસ) સાથે કરીને આપણે આપણું મનુષ્યત્વ સિદ્ધ કરી રહ્યા છીએ.’

સ્વરાજ લડતની રીતે આ કાઁગ્રેસનું અદકેરું મહત્ત્વ હતું. અસહકાર આંદોલનની અસાધારણ સફળતાપૂર્વક એ મળી રહી હતી અને 1920માં તિલકની અર્થીને ખભો આપવા સાથે ગાંધીજી સમતા-સ્વતંત્રતાને સાંકળતા અભિગમપૂર્વક જે રીતે કેન્દ્રવર્તી ભૂમિકામાં ઉભર્યા હતા એનીયે તે સાહેદી હતી. વરાયેલા પ્રમુખ ચિત્તરંજન દાસ અટકાયતમાં લેવાતા પહોંચી શક્યા નહોતા અને હકીમ અજમલખાને અધ્યક્ષતા કરી હતી. પૂર્ણ સ્વરાજનો મુદ્દો ઉઠાવનારામાં મૌલાના હસરત મોહાની મુખ્ય હતા તો રશિયાબેઠે ઉદ્દામ દૃષ્ટિબિંદુપૂર્વક વૈકલ્પિક વિચારસામગ્રી વહેંચવા થકી ક્રાંતિકાર માનવેન્દ્ર નાથ રાય(એમ.એન. રોય)ની નીચે પરોક્ષ હાજરી હતી.

આ તો 1921ની એક આછીપાતળી ઝાંખી છે, પણ એનાયે ઓગણીસ વરસ પૂર્વે 1902માં અમદાવાદે કાઁગ્રેસ અધિવેશનની યજમાની સાહી હતી. અધ્યક્ષતા સુરેન્દ્રનાથ બેનરજીએ સંભાળી હતી. એમની ગર્જનઘેરી વક્તૃતા, અંગ્રેજ જીભે ઉચ્ચાર મુશ્કેલીવશ, સુરેન્દ્રનાથને ‘સરેન્ડર નૉટ’ તરીકે ઓળખાવતી. સ્વાગત પ્રમુખ ત્યારે અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા, જેમની શાંતિદાસના જોડાની વારતા પલટાતી અર્થવ્યવસ્થા વચ્ચે ભાંગતાં ગામડાની દિલસોજ દાસ્તાં છે. એ ગયા ત્યારે રામાનંદ બાબુના ‘મોડર્ન રિવ્યૂ’માં અંજલિ રૂપ એવી એક ટિપ્પણી લખાવાની હતી કે કેટલીક બાબતોમાં એ ગાંધીપૂર્વ હતા.

હમણાં જ કહ્યું ને સ્વાતંત્ર્ય ચળવળના વડા કરણ રૂપ કાઁગ્રેસ ત્યારે એક સામાજિક-સાંસ્કૃતિક ચળવળ શી હતી. 1902ના અધિવેશનમાં ગુજરાતના જિલ્લે જિલ્લેથી લોક સામેલ થાય એની ઝુંબેશમાં જોડાયેલાઓમાં ગોવર્ધનરામ ને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરો પણ હતા. ત્યારે માંડ દસેકના ઇન્દુલાલને આત્મકથામાં સંભાર્યું છે કે ગોવર્ધનરામે એક નાનકડી સભામાં પાકી ચરોતરિયા બોલીમાં કાઁગ્રેસનું કાર્ય સમજાવેલું અને એક એક રૂપિયાની ફી ભરી એ બેઠકમાં જવા એલાન કરેલું.

1920ની આ કાઁગ્રેસ સાથે યોજાયેલ ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્દઘાટન સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું તે આ લખતાં સાંભરે છે. વડોદરાની ગાયકવાડ રાજવટે 1857થી કિનારો કર્યો હતો, પણ એ જ રાજવટ કાઁગ્રેસના ઉગમ સાથે પરોક્ષ પણ સંકળાઈ શકતી હતી. મુદ્દે, સત્તાવનનો સ્વાભાવિક મહિમા છતાં એનું સ્વરૂપ સર્વજનસમાવેશી ને અખિલ હિંદ નહોતું – અથવા મુકાબલે ઓછું, ખાસું ઓછું હતું. પૂર્વે અંગ્રેજ રાજવટ જામતી ગઈ તેમાં વેપારી વર્ગની ખાસી સામેલગીરી ને કંઈક મેળાપીપણું પણ ભાગ ભજવી ગયું હશે. દિલ્હી સલ્તનતથી ઉફરાટે હિંદવી સ્વરાજનો નેજો શિવાજીએ સોજ્જો લહેરાવ્યો હશે, પણ પેશવાઈ આવતે અટકથી કટકનો કબજો છતાં એમાં એ સમાવેશી અભિગમ રહ્યો ન હતો જે ક્યારેક શિવ છત્રપતિમાં હોઈ શકતો હતો.

અંગ્રેજી રાજને સાંસ્થાનિક હકૂમત માત્ર લેખ ખતવી દેવું ખોટું અલબત્ત નથી, પણ અધૂરું અલબત્ત છે, કેમ કે એની રાજવટ કંઈક વ્યવસ્થા બાંધી આપનારી હતી. વેપારી વર્ગને, વ્યવસ્થા સ્થપાય તો, પલટાતી રાજવટનો કદાચ એવો ને એટલો વાંધો પણ નહોતો.

1857 જેમ સંગ્રામનું તેમ યુનિવર્સિટી-સ્થાપનનુંયે વર્ષ છે. જે નવશિક્ષિત વર્ગ આવ્યો એને ભણતરમાં આ રાજ થકી સુવાણનો અનુભવ થયો ને નવી દુનિયાનો પરિચય પણ. ફાર્બસનિમંત્ર્યા દલપતરામ વઢવાણથી પગે ચાલતા અમદાવાદ પહોંચ્યા, ચાંદા-સૂરજના મહેલમાં – આજના ખાનપુરના હોલી ડે ઈન વિસ્તારમાં – ત્યારે ઇતિહાસવસ્તુ તરીકે એમણે કાપેલું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં હતું – અને એ ઘટના સત્તાવન પૂર્વે બની હતી. દુર્ગારામ મહેતાજી માનવ ધર્મ સભા લઈને આવ્યા એ પણ સત્તાવન પૂર્વ સીમાઘટના હતી. અતિશયોક્તિ વગર, એવો ને એટલો વ્યાપ હો કે ન હો, રેનેસાંના નકશા પર કોલકાતા પછી કોઈ શહેર આવ્યું હોય તો તે સુરત હતું – અને મુંબઈ પણ તે પછી, જરી મોડેથી.

હવે આ જે નવો જમાનો બેસતો આવતો હતો એનું અચ્છું ચિત્ર મંડળી મળવા ને સભા રૂપે મળવા વિશે તરુણ નર્મદના નિબંધમાંથી મળી રહે છે – એ નિબંધ પણ સત્તાવનનાં ત્રણ-ચાર વરસ પર વંચાયેલો છે. ‘ડાંડિયો’ કાઢવાનાં એના પ્રાસ્તાવિક વચનોમાંયે ‘ટેબલ ટાંક’નું મહિમામંડન તમને જોવા મળશે.

એક રીતે જોતાં, કાઁગ્રસની 1885ની શરૂઆત આજના હિસાબે મોળી લાગે, પણ નવયુગના પદચાપ તરીકે તે ન તો મોળી હતી – ન તો મોડી  પણ હતી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 માર્ચ 2025

Loading

પ્રાર્થનાસ્થળ અંગેના ખરડા વિશે રાજમોહનજીનું ‘એ’ ભાષણ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|25 March 2025

રામચંદ્ર ગુહા

હું છેલ્લાં અનેક વર્ષોથી ઇતિહાસકાર તેમ જ ચરિત્રલેખક રાજમોહન ગાંધીનો પ્રશંસક રહ્યો છું. તેમના લખેલાં પુસ્તકો તેમ જ લોકશાહી અને બહુમતીવાદ વચ્ચે થાક્યા વિના તેમણે રજૂ કરેલ જોડાણ – આ બન્ને બાબતોને લીધે તેમને માટે મને ઘણો આદર છે. તેમના સંપાદન હેઠળ પ્રકાશિત થનારું ‘હિમ્મત’ સાપ્તાહિક કટોકટી કાળમાં પોતાની કરોડરજ્જુ સીધી રાખનાર જે ગણ્યાંગાંઠ્યાં મેગેઝિનો હતાં તેમાંનું એક હતું. ભયના વાતાવરણને એક પડકાર આપવાની નિર્ભયતા આ સાપ્તાહિકે બતાવી હતી (જેવી ‘ભૂમિપુત્ર’એ પણ બતાવી હતી). તે પછીના કાળમાં રાજમોહનજીએ આધુનિક ભારત વિશે ઊંડા સંશોધન સાથેનાં એવાં જ કેટલાંક પુસ્તકો પણ આપણને આપ્યાં. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સી.રાજગોપાલાચારી ઉપરનાં અત્યંત પ્રમાણભૂત એવાં ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ભારેખમ અને અભ્યાસપૂર્ણ પુસ્તકો લખવાની સાથેસાથે એમણે રોજના સમાચારપત્રોમાં પણ નિયમિત રૂપે કોલમો લખીને સાર્વજનિક ચર્ચાના વિશ્વમાં પોતાનું આગવું યોગદાન આપ્યું. તેમના આ લેખો દર વખતે નવી વિગતો આપનારા અને વિચારપૂર્વકનું લોજીક રજૂ કરનારા રહ્યા છે.

રાજમોહન ગાંધીના એકંદર કામનું પૂરતું અને સર્વાંગી આકલન મને છે એવું હું માનતો હતો. પરંતુ, એક વિદ્વાન મિત્રે હાલમાં જ રાજમોહનના એક વ્યાખ્યાન તરફ મારું ધ્યાન ખેંચ્યું, જે મેં અગાઉ ક્યારે ય વાંચ્યું ન હતું. રાજમોહન જ્યારે થોડા વખત માટે રાજ્ય સભાના સદસ્ય હતા ત્યારે સપ્ટેમ્બર ૧૯૯૧માં તેમણે આ વ્યાખ્યાન આપ્યું હતું. આજની ભારતીય પ્રજાસત્તાકની પરિસ્થિતિ જોતાં  રાજમોહનજીના આ ભાષણના મુદ્દાઓ ખૂબ જ પ્રસ્તુત સાબિત થઈ શકે તેમ છે.

રાજ્ય સભામાં પ્રાર્થનાસ્થળ વિશેના ખરડાની પ્રસ્તુતિ સંદર્ભે થયેલી ચર્ચામાં રાજમોહનજીએ પોતાની વાત મૂકી હતી. કોઈ પણ પ્રાર્થનાસ્થળના ધર્માંતર પર પ્રતિબંધ હોવો જોઈએ અને કોઈ પણ પ્રાર્થનાસ્થળનું ધાર્મિક સ્વરૂપ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ને દિવસે જેવું હતું તેવું જ ટકાવી રાખવા માટે જરૂરી તજવીજ કરવી જોઈએ. આ માટે પ્રસ્તુત ખરડો રજૂ કરાયો હતો. પરંતુ, આ ખરડામાં અયોધ્યામાં બાબરી મસ્જિદ જ્યાં ઊભી હતી, તે સ્થળને અપવાદ માનવામાં આવ્યો હતો. એ જગ્યાને ભગવાન રામનું જન્મસ્થળ હોવાનું અનેક હિંદુઓ માને છે.

તે વખતે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર સત્તામાં હતી. પ્રાર્થનાસ્થળ વિશેના બિલને લોકસભામાં મંજૂરી મળી હતી. ભા.જ.પે. આ વિધેયકનો વિરોધ કર્યો હતો. આ ખરડો સંઘ રાજ્ય પ્રણાલીનાં તત્ત્વોનું ઉલ્લંઘન કરનારો હોઈ રાજ્ય સરકારોને તેમના નેજા હેઠળમાં જે પ્રાર્થનાસ્થાનો છે તે બાબતે તેમની ઇચ્છા અનુસાર કાર્યવાહી કરવાનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એવી દલીલ ભા.જ.પે. કરી હતી. તે પછી એ ખરડો ચર્ચા માટે રાજ્ય સભામાં આવ્યો હતો.

રાજમોહન ગાંધી

તે સમયે રાજમોહન ગાંધી જનતા દળના સભ્ય હતા. એમણે આ ખરડા અંગેની ચર્ચાની શરૂઆત રાજ્ય સભામાં કરી. જૂના જખમો પરના પોપડા ફરીથી ઉખાડવાથી કયાં કયાં જોખમ ઊભાં થઈ શકે તે અંગે ઇશારો કરીને તેમણે ભારતના ભૂતકાળ વિશે તેમનું જે ઊંડું આકલન હતું તે રજૂ કર્યું. બદલા અને દ્વેષની ભાવનાને કારણે લાખો લોકોએ જાન ગુમાવ્યાનો દાખલો આપણને મહાભારતમાં મળી આવે છે. તેવા વિનાશનો દાખલો રાજમોહનજીએ ભાષણની શરૂઆતમાં આપ્યો. “ઇતિહાસની ભૂલો દ્વેષ ભાવનાથી સુધારવા માંગતા લોકો માત્ર વિનાશ વિનાશ અને અધિકાધિક વિનાશ જ નોતરશે, મહાભારતમાંથી આટલાં વર્ષોથી આપણને શીખવા મળેલો આ પાઠ છે” એવું તેમણે કહ્યું હતું.

વિરોધ પક્ષમાં હોવા છતાં રાજમોહનજીએ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાને પોતાનું સમર્થન આપ્યું હતું. ભા.જ.પ.ના કેટલાક લોકોએ આ બિલને ‘હિંદુ વિરોધી’ કહ્યો હતો. પરંતુ, એમ કહેવું એટલે ‘આપણા દેશમાંનાં નવા અલગાવવાદીઓનો અવાજ છે’ એવી ટિપ્પણી તેમણે કરી હતી. આ લોકો અમે નવો રાષ્ટ્રવાદ દેશ સામે મૂકી રહ્યા છીએ એમ કહી રહ્યા હોય તો પણ હકીકતમાં એ નવો અલગાવવાદ છે. આ હિંદુ અલગાવવાદ એ હિંદુ ધર્મનો કમનસીબ અને વિકૃત અવતાર છે, આવું માનનારા લોકો હિંદુધર્મના તત્ત્વને સમર્પિત છે એની મને ખાતરી છે, પણ એમની આ તીવ્ર ભાવનાને લીધે તેમની દિશાભૂલ થઈ છે એવું હું માનું છું. તેઓ ભારતમાં હિંદુ પાકિસ્તાન, હિંદુ સાઉદી અરેબિયાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભૂતકાળના (વાસ્તવિક કે કાલ્પનિક) ગુનાઓ પર આટલા ભ્રમિત થઈને ધ્યાન કેન્દ્રિત કરનારો આ ‘નવો અલગાવવાદી હિંદુત્વવાદ’ વર્તમાનકાળના પ્રશ્નો , જેમ કે ભૂખમરો, અંધત્વ, ભ્રષ્ટાચાર અને હિંસાચાર તરફ જાણી જોઈને દુર્લક્ષ કરે છે, એવું રાજમોહનજીએ કહ્યું હતું. હિંદુત્વવાદી શક્તિઓ હિંદુ સ્વાભિમાનની અને હિંદુ સન્માનની પુન:સ્થાપના અંગે વાત કરતી હતી. પોતાને મુસ્લિમ વિરોધી દેખાડીને પોતાનું હિંદુત્વ સાબિત કરી બતાવવું એ કેમ જાણે નવા હિંદુ અલગતાવાદના સમર્થકોની કસોટી બની ગઈ છે, એવું પણ તેમણે કહ્યું હતું.

આ ખરડાનો વિરોધ કરનારાઓ માટે જોખમ અંગેની ચેતવણી આપતાં રાજમોહનજીએ કહ્યું હતું કે, “ખૂબ જૂના ભૂતકાળમાંના મુદ્દાઓને લઈને આજે લડવા બેસવું એ કદાચ તમને નાના કે મોટા યશ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં આવે ય ખરા, પરંતુ તેમાંથી નવી ભાવનાઓ ઉત્પન્ન થશે અને ભારતના પ્રાચીન કાળની નવી નવી ભૂલો શોધીને તે સુધારવાના પ્રયત્નો થશે અને તે સુધારવા માટે અનેક સંઘર્ષો પેદા થશે.” તેમણે માર્મિકપણે આગળ કહ્યું, “હિંદુ સ્વાભિમાનની ભાવનાનું અસ્તિત્ત્વ આપણે પૈસામાં, મતોમાં, ડરાવવા-ધમકાવવાની તાકાત દ્વારા અને બંદૂકમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ – આ એક હિંદુત્વને લાંછન લાગે એવું વર્તન આપણે કરીએ છીએ.

ભાષણના અંતે રાજમોહનજીએ ભારતીય જનતા પક્ષ અને તેના સમર્થકોને આ મુદ્દો યોગ્ય દૃષ્ટિકોણથી વિચારવા આહ્વાન કર્યું હતું, “પ્રસ્તુત ખરડો સભાગૃહમાં કઈ પ્રેરણાથી મુકાયો છે તેને સમજી લેવો જરૂરી છે. આ સમસ્યા અહીંથી આગળ ટકે જ નહીં એ માટે આપણે રાષ્ટ્રીય ધોરણે નિર્ધાર કરવો જોઈએ. વાદ-વિવાદ તો ચાલતા રહેશે પરંતુ હિંસક સંઘર્ષ ટાળવો જ જોઈએ. આપણે આજે ભૂતકાળને બદલે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો વિચાર એકત્રિત થઈને કરવો જોઈશે.”

રાજમોહન ગાંધીનું આ સુજ્ઞ ભાષણ આજે ફરી સાંભળવા જેવું છે. હવે તો ખુદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશોએ જ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાનું ગંભીર અવમૂલ્યન કર્યું છે. બનારસ સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં ઘણા સમય પહેલાંથી હિંદુ મૂર્તિ હોવાના કારણે ત્યાં આપણને પ્રાર્થના કરવાનો અધિકાર મળવો જ જોઈએ એવો દાવો કેટલાક હિંદુઓએ વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં કર્યો હતો. તે પહેલાં એક સ્થાનિક ન્યાયાલયે, પછી અલાહાબાદના ઉચ્ચ ન્યાયાલયે આ મસ્જિદ બાબતે સર્વેક્ષણ કરવાની લીલીઝંડી આપી હતી. તે ચુકાદાઓના વિરોધમાં ૨૦૨૨ના મે મહિનામાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરવામાં આવી. તે વખતના ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડએ એવો દાવો કર્યો કે ૧૯૯૧ના ખરડા ‘પ્રાર્થનાસ્થળના ભૂતકાળના કોઈ પણ તબક્કે ધાર્મિક સ્વરૂપ નક્કી કરવા’ પર પ્રતિબંધ કરવામાં આવ્યો  નથી. એટલે કે નીચલી અદાલતોને અને નીચેના ન્યાયાધીશોને (વાસ્તવિક કે કાલ્પનિક) ઇતિહાસમાં થયેલી ભૂલો સુધારવા માટે પ્રોત્સાહન આપવું હોય તો તેઓ તેમ કરી શકે છે, એવો સર્વોચ્ચ ન્યાયાધીશના વિધાનનો અર્થ હતો.

લેખક હર્ષ મંદરે નોંધ્યું છે તેમ, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના અવલોકનથી સંભલ (ઉત્તર પ્રદેશ) ખાતે દીવાની ન્યાયાધીશને સંબંધિત સર્વેક્ષણનો આદેશ આપવાની છૂટ મળી ગઈ. આ બાબતે આગળ ઘટેલા ઘટનાક્રમમાં છ માણસોનાં મૃત્યુ થયાં હતાં. જ્ઞાનવાપીની ભૂમિકાને આધારે ‘પ્રાર્થના સ્થાનોના ધાર્મિક સ્વરૂપ સામે ઘણા પડકાર’ ઊભા થયા અને તેમને આ વિધાનને કારણે પીઠબળ મળ્યું એવું ‘સુપ્રિમ કોર્ટ ઓબ્ઝર્વર’એ નિયતકાલીને નોંધ્યું હતું.

ભા.જ.પ. શાસિત રાજ્યોમાં નીચલી અદાલતોના ન્યાયાધીશોને હિંદુત્વવાદીઓથી ડરીને જીવવું પડે છે અને તેથી તેઓ કાયદાનું અર્થઘટન કરવાની બાબતે હંમેશાં વિશ્વાસપૂર્ણ રીતે વર્તે છે તેવું ન કહી શકાય. એટલું જ નહીં, તેઓ ડરથી અથવા તેમના પર સત્તાધીશોની કૃપાદૃષ્ટિ રહે તેવો (તે માટે) નિર્ણય લે તેવી શક્યતા વધુ હોય છે. આમ આવાં સ્થાનોએ પડકારો વધુ તીવ્ર બન્યા છે.

આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે એટલે કે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૪એ સર્વોચ્ચ ન્યાયાલયે પ્રાર્થનાસ્થળના ખરડાને પડકાર આપતી એક નવી અરજી અંગેની સુનાવણીની શરૂઆત કરી છે. ન્યાયાલયની બહારનું આજનું વ્યાપક રાજકીય વાતાવરણ જોઈએ તો પણ રાજમોહનજીએ ૧૯૯૧માં આપેલી તોળાઈ રહેલા જોખમની ચેતવણી ફરી યાદ કરવી જરૂરી લાગે છે. સત્તાધારી પક્ષોએ આ વર્ષે (૨૦૨૪) વિવિધ ચૂંટણીઓમાં કરેલા પ્રચાર અંગે વિચારી જુઓ. આ પ્રચારઅભિયાનમાં ભારતીય મુસલમાનોને સાતત્યપૂર્વક વિલન રૂપે ચીતરવાનો પ્રયત્ન કરાયો છે.

રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર ૧૯૮૪થી ૨૦૦૪ દરમ્યાન પ્રથમ વાર સળંગ રીતે સત્તા પર આવી ત્યારે સત્તાપક્ષના ઉચ્ચ પદે બેઠેલા નેતાઓ ભાગ્યે જ કોઈ દ્વેષ કે કટ્ટરતા વિશે કશું ખુલ્લી રીતે બોલતા હતા. હા, લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૦માં કાઢેલી રથયાત્રાને કારણે હિંસા થઈ અને લોહી રેડાયું એ એક હકીકત છે. (અલબત્ત, આ રથયાત્રા માટે આ લેખક અડવાણીને કદી પણ માફ કરી શકશે નહીં) પરંતુ જ્યારે તેઓ ૧૯૯૮થી ૨૦૦૪ દરમ્યાન કેન્દ્રના ગૃહ પ્રધાન હતા તે વખતે અડવાણીજીએ જાહેર નિવેદનોમાં સંયમિત ભાષાનો ઉપયોગ કર્યો હતો (રણનીતિના ભાગરૂપે અથવા અન્ય કારણોસર). આ સિવાય અન્ય કેબિનેટ મંત્રીઓ અને તત્કાલીન વડા પ્રધાન પણ સંયમિત ભાષામાં જ વાતો કરતા હતા.

અલબત્ત, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંઘપરિવારના ઘણાં લોકો મુસ્લિમોનો વિરોધ કરીને પોતાનું હિંદુત્વ બતાવવાનો (સાબિત કરવાનો) પ્રયત્ન કરતા હતા. જેમાં કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. પરંતુ, આજે પરિસ્થિતિ એવી છે કે દેશના સૌથી શક્તિશાળી રાજકીય નેતાઓ પણ હિંદુ ન હોય તેવા ભારતીયો પ્રત્યે નફરત વ્યક્ત કરીને પોતાના હિંદુત્વને સાબિત કરવા લાગ્યા છે. કેંદ્રીય મંત્રીઓ તેમ જ કેટલાંક રાજ્યોના મુખ્ય મંત્રીઓ પોતાનાં ભાષણોમાં નિયમિત રીતે ભારતીય મુસ્લિમોની નિંદા કરે છે. દેશના વડાએ પણ અનેક વખત આવા અર્થનાં નિવેદનો જાહેરમાં આપ્યાં છે.

હિંદુત્વમાંથી જન્મેલા આ દ્વેષના સત્તાકાંક્ષી સમર્થકો સુધરવાની હદને પાર કરી ગયા છે. પરંતુ હજુ પણ જે હિંદુઓ નિષ્પક્ષ અભિપ્રાય સાંભળીને કંઈક શીખવા માટે ખુલ્લા હોય તેમણે રાજમોહન ગાંધીના મહાભારત અંગેનાં અવલોકનો ધ્યાનમાં લેવાં જોઈએ – “ઇતિહાસમાં થયેલી ભૂલોને વેરની ભાવનાથી બીજાને બદલવા / સુધારવાનો પ્રયત્ન કરવાથી વિનાશ, વિનાશ અને વધુ વિનાશ જ થાય છે. આટલાં વર્ષોમાં મહાભારતમાંથી શીખવા મળતો આ પાઠ છે.”

(૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના ‘સાધના’ના– રામચંદ્ર ગુહા, બેંગલુરુ અંકમાંથી સાભાર અનુવાદિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 09-10 

Loading

...102030...207208209210...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved