Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર : સંક્ષિપ્ત કાર્ય-પરિચય

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘ભારતનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એના ગામડાંઓને વિકસિત કરવાં પડશે.’ ગ્રામોત્થાનમાં જ દેશોત્થાનનું સપનું જોનારા ગાંધીજીના આ વિચારને પોતાનો જીવનમંત્ર બનાવી, તેમના પગલે ચાલનારા કંઈ કેટલા ય લોકો ભારતના ખૂણે ખૂણે બેસીને ચૂપચાપ કામ કરી રહ્યા છે, – ગ્રામોત્થાનનું –દેશોત્થાનનું. આવું જ ખૂણે બેસીને ઝીણું કાંતનાર, સમાજના વિકાસ માટે જીવન સમર્પિત કરી દેનાર એક વિરલ વિભૂતિ એટલે મણિભાઈ સંઘવી. આવો, એમણે સ્થાપેલી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ'નો અને એની કામગીરીનો નાનકડો પરિચય મેળવીએ …

જે વયે સૌ નિવૃત્તિ ઝંખતા હોય છે, તે ઉંમરે કચ્છના એક અદના ગાંધીજન એવા મણિભાઈ સંઘવીએ મહેરામણ અને અફાટ રણથી ઘેરાયેલા કચ્છ જિલ્લાના વાગડ જેવા અતિ પછાત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે તથા ગામડાંઓમાં સાચું સ્વરાજ લાવવા, રાપર તાલુકાના નીલપર ગામના, સોનટેકરી પરિસર પર, ‘ગ્રામ સ્વરાજ સંઘ' નામની સંસ્થા સ્થાપીને સેવાની જે ધૂણી ધખાવેલી. તેને આજે ૪૧-૪૧ વર્ષનાં વાણાં વાઈ ગયાં છે. આટઆટલાં વર્ષોમાં વિભિન્ન પ્રકારે સાતત્યપૂર્ણ રીતે સેવાકીય પ્રવૃત્તિઓનો એક અખંડ પ્રવાહ વહેતો રહ્યો છે.

ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.

સંસ્થાના જન્મ સમયે એટલે કે વર્ષ ૧૯૭૯માં હજુ તો તે પાપા પગલી માંડતી થઈ હતી, ત્યાં જ અતિવૃષ્ટિમાં વિનાશક વરસાદને કારણે થયેલી મચ્છુ હોનારત થકી જે તારાજી સર્જાઈ ને બાપુજીની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક સેવા અર્થે દોડી ગયા. આ હોનારતે રાપર-ભચાઉ તાલુકાના પણ અનેક ગરીબ પરિવારો પાસે ભાંગ્યાં-તૂટ્યાં ઘર અને ઘાસનાં ઝૂંપડાં પણ છીનવી લીધેલાં. તે વખતે સંસ્થા પાસે સાઈકલ લેવા માટેના નાણાના પણ ફાંફા હતા, પણ આવી પરિસ્થિતિ વખતે જંપીને બેસી રહે તો તે મણિભાઈ શાના ? તરત ટહેલ નાખી … મણિભાઈની આગવી સૂઝ અને ચીવટભર્યા આયોજન તથા કાર્યનિષ્ઠાને પરિણામે ઘરવિહોણાંને ઘર બનાવી આપવા રકમો આવતી થઈ, બહુ ટૂંકાગાળામાં મણિભાઈની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.

હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરાઉપર (વર્ષ – ૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા … ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧,૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને રૂ. ૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી, તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

વાગડની આ ઊબળ-ખાબડ અને રેતાળ જમીન પિયત પાણીનો ખૂબ વ્યય કરે. તેથી પૂરતું વળતર ન મળે. તેનો ઉપાય શોધ્યો સિમેન્ટના પાઈપોથી વાડીઓમાં પાણી પહોંચાડવાનો. આ યોજના નીચે ૧૪૧ ગામોના ૧,૦૨૯ ખેડૂતોને ૪,૬૯,૭૩૩ ફૂટ સીમેન્ટ પાઇપ આપી લાખો રૂપિયાનું ઉત્પાદન વધાર્યું અને સેંકડો લોકોને રોજગારીની તક પૂરી પાડી દુષ્કાળમાં રોજગારી અર્થે થતાં સ્થળાંતરને અટકાવ્યું.

આવાં તો અનેકાનેક કામો થયાં પણ સંસ્થાના સ્થાપક મણિભાઈ સંઘવીએ પૂજ્ય માતાજીના જાણીતા વિધાન ‘તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો’ને પોતાનો જીવનમંત્ર માનેલો. આ વિધાનને અનુસરીને ચૂપચાપ જે કામો થતાં રહ્યા તેની એક આછેરી ઝલક મેળવીએ.

શિક્ષણ

સમાજમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા બાળકોને સુટેવોના ઘડતર સાથેની ગાંધી વિચારધારા મુજબની અનુબંધની કેળવણી આપવાના પણ મંડાણ કર્યા, તેના પરિપાક રૂપે આજે સંસ્થાના વલ્લભપુર અને નીલપર કેમ્પસના મળીને કુલ ૫૦૦ જેટલા વંચિત સમુદાયોનાં કુમાર – કન્યાઓ પ્રતિવર્ષ ઉત્તમ શિક્ષણનો લાભ મેળવી રહ્યાં છે. આ વિસ્તારના વંચિત સમુદાયોમાં કન્યા કેળવણીનું પ્રમાણ હજીએ નહિવત છે તેથી સંસ્થાએ કન્યા કેળવણી માટેનો એક વિશેષ યજ્ઞ આદર્યો છે, જેમાં સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. દાન આધારિત આ યજ્ઞમાં પ્રતિ વર્ષ ૧૨૫ બાળાઓને મફત નિવાસી શિક્ષણ આપવામાં આવે છે, ને તેની પાછળ દર વર્ષે રૂપિયા ૨૫ લાખ જેટલો ખર્ચ થાય છે.

પર્યાવરણ સુરક્ષા –

પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧,૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બાર ગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી, સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. ભારતનાં સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે દેશી વૃક્ષો જેવાં કે લીમડો, બોરડી, વડ, ગુગળ, દેશી વગેરેનું જે લોકો મુખ્યત્વે વૃક્ષો કાપીને કોલસા બનાવે છે, એ લોકોમાં વૃક્ષો ઓછાં કપાય, દેશી વૃક્ષોને સમજીને કાપે ને કોલસા માટે માત્ર ગાંડા બાવળનાં વૃક્ષોનો ઉપયોગ કરે, આ જાતના સંસ્કાર પડે, પર્યાવરણ બાબત નિસ્બત કેળવાય અને લોક જાગૃતિ વિકસે એ પણ સંસ્થાનો મુખ્ય હેતુ છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોનાં છોડ આપીને તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.

રાહત પ્રવૃત્તિઓ –

કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય … બે-ચાર ઉદાહરણ લઈએ …. ઈ.સ. ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનોને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણાં બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ. ૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧,૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.

હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪,૪૯૬ પરિવારોને તુરત સેમી-પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સીવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧,૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડાં સામે રક્ષણ આપે તેવાં પાકાં મકાનો બનાવી આપ્યાં. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧,૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું.

પોતાના વિસ્તારમાં તો સંસ્થાએ કામ કર્યું જ છે, પણ જે પ્રદેશની ભાષા પણ ન્હોતી આવડતી એવા તમિલનાડુમાં આવેલ ત્સુનામીમાં પણ સેવાર્થે દોડી જનાર સંસ્થાઓમાં આપણી સંસ્થા અગ્રેસર રહી છે. અજાણ્યા પ્રદેશમાં આરોગ્યસેવા, બાળકો માટે વિશેષ કામગીરી, રાહત છાવણીઓની સફાઈ, કામચલાઉ નિવાસોનું નિર્માણ, શાળાનું પાક્કું મકાન બાંધવું, કમ્પ્યુટર ક્લાસ ચલાવવા, તથા એન.જી.ઓ. સંકલન જેવાં અનેકવિધ મહત્ત્વનાં કામો થઈ શક્યાં તેનો આનંદ છે.

હજી તો કંઈકેટલું કહેવાનું બાકી રહી જાય છે. અરે ! હા .. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧,૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.

લોકજાગૃતિ અને લોકસંગઠન

અહીં અંતરિયાળ વાંઢો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકો યથાર્થ રીતે તેનો લાભ લઈ શકે તે માટે સંસ્થા વર્ષોથી લોકસંગઠન અને લોકજાગૃતિના કાર્ય કરે છે. ક્રાયના સહયોગ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ અહીં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો સ્ટેપ નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે. તેમનાં આ કામનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. તેમના પ્રયત્નો થકી ૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકી છે. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરવવા મથામણ ચાલે છે. ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧,૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ૧૪૦ વાંઢોમાં વીજળીનું જોડાણ અપાવવામાં આવ્યું છે. ૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે, જ્યારે ૭૬ વાંઢને સરકારના સહયોગથી પાકા રસ્તા વડે જોડાણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે. ૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.

સેવાકીય પ્રવૃતિઓ

ભર ઉનાળે બે માસ સુધી ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલાં ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી રહે છે.

પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …

બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીને કોઈએ પૂછ્યું કે આટઆટલાં કામ તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એમણે વિનમ્રભાવે જવાબ આપેલો કે, ‘ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટાં કામ કરાવી શકે છે …. બાપુજીના દેહાવસાન બાદ તેમનાં અનુગામીઓએ આ કાર્ય પરંપરાને જીવંત રાખી છે. આ બધું નજીકથી નિહાળવા આપ સૌ સંસ્થાની મુલાકતે આવશો તો અમને બહુ જ ગમશે ….

સૌને જય જગત ….

સૌજન્ય : રમઝાનભાઈ હસણિયાની ફેઈસબૂક દિવાલેથી સાભાર

https://www.youtube.com/watch?fbclid=IwAR2CEOq5wgfElx9z4ew7xZjRdDzHQeSvqwbkJMi9CxLTSuKE3vDaUp2ieo0&v=BWQspzqJj24&feature=youtu.be

Loading

જગતમાં સ્ત્રી જ એવી છે જેને મૃત્યુ, જન્મ પહેલાં પણ મળે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 January 2021

એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.

આવું કેમ?

બન્યું એવું કે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને ઘર સંભાળવાની જવાબદારી આવી ને ઘર માટે કમાવાની જવાબદારી પુરુષે ઉપાડી. ઘરમાં રસોઈ કરતી સ્ત્રીને રૂપિયો મળતો ન હતો, એ જ રસોઈ બહાર કરવાના પુરુષને પૈસા મળતા હતા. સ્ત્રીને ઘરમાં કપડાં ધોવાનું કૈં મળતું ન હતું, જ્યારે પુરુષ ધોબી તરીકે રૂપિયા ગાંઠે બાંધતો હતો. એવું જ બધાં કામોનું હતું. પુરુષ કમાતો હતો ને એ જ કામ ઘરમાં કરવાને લીધે સ્ત્રીને કૈં મળતું ન હતું, એ તો ઠીક, પણ કામ કરવા છતાં સ્ત્રીને અપજશ મળતો હતો. એટલે વ્યવસ્થા એવી થઈ આવી કે જેની પાસે આર્થિક કમાણી છે તે જ સત્તા પણ ભોગવે ને જ્યાં સત્તા હાથમાં આવી ત્યાં શોષણ પણ શરૂ થયું.

જ્યાં સત્તા સ્ત્રીના હાથમાં આવી ત્યાં તેણે પણ પુરુષોનું શોષણ કરવામાં કૈં બાકી રાખ્યું નથી. જ્યાં પણ રાજકારણમાં ને ઓફિસોમાં સ્ત્રી ઉચ્ચ સ્થાનો પર રહી છે ત્યાં તે પુરુષની જેમ જ શોષણખોર રહી છે. આમ છતાં સ્ત્રીઓનાં શોષણની ટકાવારી, પુરુષે કરેલાં શોષણની ટકાવારી કરતાં વધારે જ છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.

એક સમય એવો હતો કે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, વિજ્ઞાન એટલું વિકસ્યું ન હતું, એટલે ઘરમાં અવતરતું બાળક છોકરો છે કે છોકરી, તે જન્મ પછી જ જાણી શકાતું ને જન્મનાર છોકરી હોય તો પણ તેનો ઈલાજ નથી એમ માની મન મનાવી લેવાતું તો કેટલાક કિસ્સાઓમાં બાળકીને દૂધપીતી પણ કરાતી. એ પછી શિક્ષણ વધ્યું, વિજ્ઞાન વિકસ્યું ને એવો “વિકાસ” થયો કે ગર્ભમાં જ બાળકની જાતિની ખબર પડવા માંડી ને આમ પણ બાળકી ઇચ્છનીય ન હતી એટલે જેમને જોઈતી ન હતી તેમણે ગર્ભમાં જ તેને મારી નાખવા માંડી ને એમ સ્ત્રીના જન્મનો દર ઘટવા લાગ્યો. 1951માં દર હજાર પુરુષે સ્ત્રીઓનુ પ્રમાણ 946 હતું તે 2001માં 933 થયું. ગુજરાતમાં એ પ્રમાણ 920નું છે. સ્ત્રીભ્રૂણ હત્યા ગુનો છે, છતાં તેનું પ્રમાણ વધતું આવે છે તે સૂચક છે. કોઈ પશુ, પંખીમાં પણ જન્મ પહેલાં માદાને અકુદરતી મૃત્યુ મળતું  નથી, એમાં જગત આખામાં સ્ત્રી જ અપવાદ છે, તેને મૃત્યુ જન્મ પહેલાં પણ મળે છે.

આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, બાળકીનો જન્મ હવે વધાવાય પણ છે, છતાં સ્ત્રીઓ સંદર્ભે થતા ગુનાઓનું પ્રમાણ વધતું જ આવે છે. બળાત્કારીઓને કેટલાક કિસ્સાઓમાં ફાંસીની સજા થઈ છે, છતાં બળાત્કારનું પ્રમાણ ઘટતું નથી. સજાનો ખોફ પણ બળાત્કારીઓને રોકી શકતો નથી તે હકીકત છે. દહેજ દૂષણ છે, તે સજાપાત્ર ગુનો છે, તેમ છતાં તે નાબૂદ થતું નથી તે પણ એટલું જ સાચું છે. શિક્ષણ વધ્યું, સમજ વધી તે સાથે શોષણ પણ વધુ સૂક્ષ્મ થતું આવ્યું છે. દહેજ માંગવાની રીતો બદલાઈ છે, પણ તે માંગવાનુ બંધ થયું નથી. હવે શોષણ સહાનૂભૂતિની આડમાં એવી રીતે થાય છે કે એકાએક ખ્યાલ ન આવે. બળાત્કાર કરવાને બદલે સ્ત્રીને જ એટલી લાચાર કરવામાં આવે કે તે સામે ચાલીને સમર્પિત થાય. ઓફિસોમાં કે ફિલ્મ જગતમાં પ્રમોશન કે કામ આપવાને બહાને સ્ત્રીઓને એટલી મજબૂર કરાય છે કે બળાત્કાર થાય ખરો, પણ ગુનો ન બને.

દલિત કે પછાત જાતિની સ્ત્રીઓનું બેવડું શોષણ થાય છે. ઘરમાં તો તે શોષણનો ભોગ બને જ છે તે સાથે જ, બહાર પણ તે અમુક તમુક જાતિની હોવાને કારણે શારીરિક ને અન્ય પ્રકારનાં શોષણનો ભોગ બને છે. આ શોષણ, સ્ત્રી, સવર્ણ હોવાને નાતે ઘરમાં ને બહાર ન જ થાય એવું નથી. એનું પ્રમાણ ઓછું હશે, પણ તે નથી એવું નથી. ટૂંકમાં, સ્ત્રીનું હોવું જ પૂરતું છે, બાકી, તેનું શોષણ થયા વિના ભાગ્યે જ રહે છે.

સ્ત્રી બહાર સલામત નથી એ જ રીતે તે ઘરમાં પણ સુરક્ષિત નથી તે તાજેતરના આંકડાઓએ પુરવાર કર્યું છે. શોષણનો કોઈ માર્ગ એવો નથી જે પુરુષે ન અજમાવ્યો હોય. આ ન ગમે એવી વરવી વાસ્તવિક્તા છે.

2020નાં માર્ચની 24મીથી દેશ આખામાં લોકડાઉન લાગુ થયું. શરૂઆતમાં તો બધું ઠીક ચાલ્યું. પ્રદૂષણ ઘટ્યું, ઓઝોનનું ગાબડું પૂરાયું, હવાપાણી ચોખ્ખા થયાં એવો રાજીપો પણ વ્યક્ત કરાયો, પણ પછી જે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ તેણે ઘરની શાંતિને જોખમમાં મૂકી. પુરુષો ઘરકામ કરતા થયા એ દરમિયાન જ સ્ત્રીઓ ઘરકામ કેવી રીતે કરે છે એનો ખ્યાલ પણ એમને આવ્યો, પણ આવક ઘટી તે સાથે ખર્ચ તો ચાલુ જ હતો ને એ ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ થવા લાગ્યું. ચાપાણી વધ્યાં, ખોરાક વધ્યો ને નવરાશ પણ વધી. તેણે અનેક પ્રશ્નો ઊભા કર્યા. જે સ્ત્રીઓ, બહાર કામ કે નોકરી કરતી હતી એની નોકરી કે કામ છૂટ્યાં. એથી પણ આવકમાં ઘટાડો જ થયો, એનું પરિણામ એ આવ્યું કે પુરુષ ને સ્ત્રી નાની નાની વાતોમાં ઉશ્કેરાવા લાગ્યાં. બીજી તરફ સ્ત્રીનું કામ ઘરમાં વધ્યું. કચરાપોતાં કામવાળી કરતી હતી તે આવતી બંધ થઈ, રસોઈવાળી બાઈ આવતી હતી તે બંધ થઈ એટલે તે કામ પણ વધ્યું. જે ઘરમાં બધાં કુટુંબો સહવાસનો આનંદ માણી રહ્યાં હતાં તે સૌ એકબીજાથી કંટાળવા લાગ્યાં. નાનીનાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. એમાં સૌથી વધુ અપમાનિત ઘરની છોકરીઓ, વહુઓ, નણંદો, દેરાણીઓ થવાં લાગી. એમાં જ કંકાસ વધ્યો, મારપીટ વધી ને અપમાન પણ વધ્યું.

આમ તો આ બધું આડે દિવસે પણ થતું જ રહેતું હતું, પણ ઘરેલુ હિંસાની ટકાવારી લોકડાઉનમાં 24થી 26 ટકાની હતી તે વધીને 42થી 44 ટકા પર પહોંચી. “અભયમ હેલ્પલાઇન”નો નંબર 181 ઘરેલુ હિંસા વધી છે એની સાક્ષી પૂરતો રહ્યો. લોકડાઉનમાં શારીરિક, આર્થિક, માનસિક, જાતીય સતામણીના કિસ્સાઓ વધ્યા છે. એમાં સોશિયલ મીડિયા દ્વારા થતી સતામણીનો ઉમેરો થયો છે ને સ્ત્રી સાથેના દુર્વ્યવહારો અનેક પ્રકારે વધ્યાં છે. એમ લાગે છે કે શિક્ષણ હવે નવા ગુનાઓ કરવામાં અને કર્યા પછી તેમાંથી છટકવામાં વધારે ઉપયોગી થતું આવ્યું છે. તે વગર હેલ્પલાઇનની સંખ્યાઓ વધે?

સુરત શહેર-જિલ્લાની જ વાત કરીએ તો 2020માં ઘરેલુ હિંસાના 3,480, પડોશી સાથેના ઝઘડાના 511, મોબાઈલ દ્વારા હેરાન ગતિના 251, વ્યસનીઓ દ્વારા હિંસાના-કનડગતના 521, બાળલગ્ન સંદર્ભે 3 મળીને કુલ 4,766 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો 181 હેલ્પલાઇન નંબરનો આંકડો સ્વીકારીએ તો આ પ્રકારની હિંસાના 26,000થી વધુ બનાવો બન્યા છે તે નોંધવું ઘટે. આ માત્ર સુરતના આંકડાઓ છે. એ પરથી દેશના આંકડાઓની સંખ્યાઓ કેટલી મોટી હશે એનો અંદાજ લગાવવાનો રહે.

એ પણ સાચું છે કે પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી આવે છે, દહેજની માંગણી કરી છે – એવી ખોટી ફરિયાદો નોંધાવીને સ્ત્રીઓએ સાસુ, સસરાને કે પતિને જેલના સળિયા પણ ગણાવ્યા છે, છતાં સ્ત્રીઓનું અનેક પ્રકારે શોષણ થતું જ રહે છે તેની ના પાડી શકશે નહીં. શિક્ષણ, સમજ ને સમાજ વિક્સ્યાં છે, છતાં સ્ત્રીઓનું શોષણ અટકતું નથી એ બતાવે છે કે શિક્ષણ, શોષણના નવા પ્રકારો અજમાવવા જ કદાચ ખપનું રહ્યું છે. એનું કારણ એ પણ છે કે આજે પણ ઘણુંખરું સત્તા ને સંપત્તિ પુરુષના હાથમાં જ છે. આમાં ઘણું સમજથી ને સમાજથી ઉકેલાઈ શકે, પણ એ સ્થિતિ હાલ તુરત તો દૂર જ લાગે છે. જે દેશની અડધી વસતિ શોષિત હોય એ દેશ અડધો ગુલામ જ ગણાય. સદભાવ, સ્નેહ ને સમજદારી જ આનો ઉકેલ આપી શકે. એ દાખવવામાં નહીં આવે તો આ દેશનું એ મોટું દુર્ભાગ્ય ગણાય, વધારે શું કહેવું?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જાન્યુઆરી 2021

Loading

રાજધાની દિલ્હીના નિર્માણનો સંવાદભર્યો ઇતિહાસ

કિરણ કાપુરે|Opinion - Opinion|4 January 2021

1910માં ઇંગ્લેન્ડના રાજા રહેલા જ્યોર્જ પાંચમા અવિભાજિત ભારતના પણ સર્વેસર્વા બન્યા હતા. પછીના એક જ વર્ષમાં તેમણે જે મહત્ત્વના નિર્ણય લીધા, તેમાં એક નિર્ણય હિંદુસ્તાનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી કરવાનો હતો. દિલ્હી અગાઉ મુઘલો અને સલ્તનતોનું શહેર રહ્યું હતું, જે હવે હિંદુસ્તાનની રાજધાની થવાની હતી. દિલ્હી કેવી રીતે રાજધાની બની અને તેનું આર્કિટેક કેવી રીતે નક્કી થયું તે વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં અદ્રિજા રાયચૌધરીએ સુંદર લેખ લખ્યો છે. કેવી રીતે કોઈ શહેર એક ઓળખ મેળવે છે તેનું પણ તેમાં આલેખન છે. તે સમયે દિલ્હીમાં સંસદ ભવન સહિત અન્ય ઇમારતો નિર્માણ પામી રહી હતી. બ્રિટિશ આર્કિટેકોએ કેવી રીતે તેને આકાર આપ્યો હતો તેનું વિસ્તૃત વર્ણન અદ્રિજાએ કર્યું છે. હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનાં સંસદ ભવન સહિત અન્ય સ્ટ્રક્ચરને નવો ઓપ આપવા માટે ભૂમિપૂજન કર્યું છે, ત્યારે ‘લ્યૂટન્સ દિલ્હી’ નામે ઓળખાતું આ ક્ષેત્ર કેવી રીતે ડેવલપ થયું હતું તે જાણવા જેવું છે.

દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવાનું જ્યારે નિશ્ચિત થઈ ગયું, ત્યારે જ્યોર્જ પાંચમાએ એક વાત ઠોસ રીતે જણાવી દીધી હતી કે, અહીંયા જે કોઈ સરકારી ઇમારતો નિર્માણ કરવામાં આવે તે આ પ્રાચીન શહેરને છાજે એવી હોવી જોઈએ. કલકત્તાથી રાજધાની દિલ્હી લાવવાનો નિર્ણય અંગ્રેજોએ રાતોરાત નહોતો કર્યો, પણ 1905માં બંગાળના ભાગલા થયા બાદ ત્યાં માહોલ સ્થિર નહોતો; ને ત્યાં અવારનવાર ઊભી થતી સ્થિતિથી અંગ્રેજોને વહીવટમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત, દિલ્હીને રાજધાની તરીકે પસંદગી ઊતારવાનું એક કારણ ભારતીયો સાથે આ શહેરનું ઐતિહાસિક જોડાણ હતું. આ સમયગાળા દરમિયાન અંગ્રેજો હિંદુસ્તાનના પ્રાંતીય નેતૃત્વોની વધુ સામેલગીરી માટે તૈયારી દાખવી રહ્યા હતા. રાજધાનીનું સ્થાન બદલીને અંગ્રેજો પોતાના શાસનની ઢબ પણ બદલવાનો અવકાશ જોઈ રહ્યા હતા. પૂરા દેશમાં અંગ્રેજોને દિલ્હીના મુકાબલે આવે તેવું કોઈ અન્ય શહેર મળવાનું નહોતું. આમે ય તેરમી સદીથી વિવિધ શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે અવારનવાર સ્થાન આપ્યું હતું.

દિલ્હીને રાજધાની તરીકે સ્થાપિત કરવાનું નક્કી થયું ત્યાર બાદ તેના પર કામ શરૂ થયું. અંગ્રેજો વતી એવું નક્કી થઈ ચૂક્યું હતું કે રાજધાનીનું મેકઓવર વધુ ‘ઇન્ડિયન ફ્રેન્ડલી’ હોવું જોઈએ. પછી જે વાત આવી તે હતી આર્કિટેક્ચર સ્ટ્રક્ચરની. આર્કિટેકમાં જ્યોર્જ કિંગે તો સૂચના તો આપી હતી, પણ સાથે-સાથે તે સૂચનાનો અમલ કરવા માટે તત્કાલિન વાઇસરોય લોર્ડ હાર્ડિંગે પણ પ્રયત્ન કર્યા. લોર્ડ હાર્ડિંગનો આગ્રહ હતો કે રાજધાનીનું આર્કિટેક યુરોપિયન ઢબની જેમ ભલે થાય, પણ તેમાં પૂર્વનો આત્મા ધબકવો જોઈએ. હાર્ડિંગ પૂરી બાબતને રાજકીય રીતે પણ મહત્ત્વની જોતા હતા. આ અંગે તેઓ એક અધિકારીને લખેલા જણાવે છે કે, હિંદુસ્તાનીઓને એમ ન લાગવું જોઈએ કે તેઓ રાજધાનીની ડિઝાઈનમાં ક્યાં ય નથી, છતાં તે માટે થનારા ખર્ચમાં તેમણે કિંમત ચૂકવવાની છે!

ચર્ચા આગળ વધી તેમાં આર્કિટેકોના નિષ્ણાતોનો મત એવો પણ આવ્યો કે, દિલ્હીને રાજધાની તરીકે નિર્માણ કરવા જઈ રહ્યા છે, ત્યારે મુઘલના હૃદયરૂપી આ સ્થાનને વધુ મજબૂત ઓળખથી ઊભી કરવાની તક છે. જેમ અકબરે ફતેહપુર સિકરી અને શાહજહાંએ શાહજહાનબાદ નિર્માણ કરાવ્યું હતું તે રીતે. દિલ્હી રાજધાની નિર્માણ પ્રક્રિયામાં અનેક નિષ્ણાતોનો અભિપ્રાયો મંગાવવામાં આવ્યાં હતાં. તેના પ્રતિક્રિયારૂપે ‘કલકત્તા સ્કૂલ ઓફ આર્ટ’ના નિવૃત્ત પ્રિન્સિપાલ ઇ.બી. હવેલે પણ પોતોની રજૂઆત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીને નિર્માણ કરતી વેળાએ યુરોપિયન આર્કિટેક શૈલીનું ખરાબ અનુકરણ ન થવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી લખ્યું હતું કે, બ્રિટિશ સરકારે આર્કિટેક માટે મંદિરનિર્માણ કરનાર બિલ્ડર્સની સેવા લેવી જોઈએ જેઓ મુઘલ ડિઝાઈને વધુ સારી રીતે લાવીને તેની શોભા વધારી શકશે.

રાજધાની નિર્માણમાં અંગ્રેજોની પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેમાં સમાજ-સંસ્કૃતિ અને ભારતીયોની આશા-આકાંક્ષાનાં પ્રતિબિંબિત થાય છે કે નહીં; તે નિષ્ણાતો જોઈ રહ્યા હતા. જે હિંદુસ્તાન પર અંગ્રેજો શાસન કરી રહ્યા હતા, તે અંગ્રેજોમાંથી જાણીતા આર્ટિસ્ટ, સ્કોલર્સ અને સંસદસભ્યોએ મળીને હિંદુસ્તાનના વાઇસરોયની ઓફિસને એવો પત્ર લખ્યો હતો કે, નવી રાજધાની નિર્માણ માટે વધુને વધુ હિંદુસ્તાનીઓને સામેલ કરવા જોઈએ! એક તરફ રાજધાનીને હિંદુસ્તાનીઓ વડે અને તેનાં આર્કિટેક મુજબ નિર્માણ કરવાની વાત હતી, ત્યાં બીજી તરફ એક જૂથ તેના વિરોધમાં પણ હતું. આ વિરોધમાં મુખ્યત્વે એક હતા, એડવિન લ્યૂટન્સ અને બીજા હતા હાર્બર્ટ બેકર. આજે દિલ્હીમાં અંગ્રેજોના સમયની જે પણ ઇમારતો છે તેનો શ્રેય એડવિન લ્યૂટન્સને આપવામાં આવે છે, પરંતુ ઇન્ડિયન આર્કિટેક્ચર ટ્રેડિશનના સૌથી વધુ ટીકાકાર હોય તો તે એડવિન લ્યૂટન્સ  હતા. માર્ચ 1912માં જ્યારે તેઓ હિંદુસ્તાન આવ્યા ત્યારે તેમણે પત્નીને લખેલાં એક પત્રમાં જે વિગત મળે છે તે કંઈક આવી છે : ‘હું નથી માનતો કે વાસ્તવમાં કોઈ ભારતીય આર્કિટેક હોય અથવા તો તેમની ઇમારતોને અંગે કોઈ મહાન પરંપરા હોય.’ આજે દિલ્હીના સંસદથી માંડીને અન્ય રાજકીય ઇમારતોના ક્ષેત્રને ભલે લ્યૂટન્સ દિલ્હી તરીકે ઓળખ મળી હોય, પણ લ્યૂટન્સને યુરોપિયન આર્કિટેકના તરફદરાર રહ્યા હતા. આ જ કારણે તેમણે તત્કાલિન વાઇસરોય હાર્ડિંગની વાતને પણ ખારીજ કરી દીધી અને લખ્યું છે કે, 'હું જૂના ઇંગ્લન્ડને અહીં નિર્માણ કરવા માંગુ છું જેની મહાન પરંપરા રહી છે, ન કે મુઘલ-હિંદ સ્ટ્રક્ચર.’

આ અંગે ચર્ચા પછી એટલી આગળ વધી કે ત્યારે તે વાત ટાઉન પ્લાનિંગ કમિટિ સુધી પણ પહોંચી. જો કે હાર્બટ બેકરે એડવિન લ્યૂટન્સ અને વાઇસરોય હાર્ડિંગ વચ્ચેના આર્કિટેક સ્ટ્રેક્ચરના ગજગ્રાહનો વચલો માર્ગ કાઢી આપ્યો. હર્બટ બેકર વાઇસરોય હાર્ડિંગની એ વાતથી સહમત થયા કે દિલ્હીમાં સામ્રાજ્યની છબિ પ્રગટ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ ઉદ્દેશને પાર પાડવા અર્થે પૂર્વ-પશ્ચિમ બંનેની શૈલી ઝળકવી જોઈએ. જો કે હાર્બટ બેકર એ વાતથી લ્યૂટન્સના સમર્થક રહ્યા કે રાજધાનીમાં યુરોપિયન શૈલીની સર્વોપરિતા ઝળકવી જોઈએ અને તેમાં સજાવટની રીતે માત્ર ભારતીય પરંપરાનો ઉપયોગ થવો જોઈએ. દિલ્હી નિર્માણના પ્રોજેક્ટમાં એક અન્ય આર્કિટેક સ્ટિન્ટોન જેકબ હતા. તેઓએ ભારતીય આર્કિટક શૈલીમાં ઘણુ કામ કર્યું હતું, જેથી તેઓનો લ્યૂટન્સના દૃષ્ટિકોણ સામે ભારે વિરોધ હતો. તેઓનો આગ્રહ હતો કે આર્કિટેકમાં છજ્જા અને છત્રીનો ઉપયોગ થવો જોઈએ. જેકબનું માનવું હતું કે આમાં હિંદુસ્તાનના જાણીતા આર્કિટેકનો સમાવેશ થવો જોઈએ. તેમ ન થયું અને છેલ્લે જેકબે રાજીનામું આપ્યું હતું.

અંતે ભારતીય આર્કિટેક શૈલીને રાજધાનીના ડિઝાઈનમાં જગ્યા આપવાનું નક્કી થયું. આ માટે લ્યૂટન્સ અને બેકર હિંદુસ્તાનભરમાં ફર્યા અને સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો. અને છેવટે છત્રી, છજ્જા અને જાળીનો ઉપયોગ થયો. તેમાં અર્ધગોળાકારનો પણ ઉપયોગ થયો, જે મહદંશે ભારતીય ડિઝાઈનની ઓળખ છે. આ રીતે રાજધાની દિલ્હી અને તેમાં નિર્માણ પામેલી અગત્યની ઇમારતો જેમ કે રાષ્ટ્રપતિ ભવન, સંસદની ઇમારતોમાં બ્રિટિશ ઢબની સાથે-સાથે ભારતીયપણું પણ દેખાય છે. સંસદ ભવનની ડિઝાઈન તો મધ્યપ્રદેશમાં મોરેના જિલ્લામાં આવેલા ચૌસઠ યોગિની મંદિરની જેમ કરવામાં આવી છે, તેવું અનુમાન અનેક નિષ્ણાતો લગાવે છે. અંગ્રેજોએ આર્કિટેકમાં જે ઉદારતા દાખવી હતી તેને અભ્યાસીઓ એ રીતે પણ જોવે છે કે, અંગ્રેજોને પણ એવો ખ્યાલ હતો કે તેમનું સામ્રાજ્ય લાંબા સમય સુધી ટકવાનું નથી. જો કે આ લાંબી ચર્ચા પછી રાજધાનીનું એક એવું મોડલ બન્યું જે ભારતીયોએ સ્વીકાર્યું અને આજ દિન સુધી તે આપણને પોતીકી લાગતું રહ્યું છે.

હવે આ ડિઝાઈનને ઘરમૂળથી ફેરફાર કરવાનો વર્તમાન સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય સાચો હોય તેમ છતાં જે સંવાદ-ચર્ચાની પ્રક્રિયા થવી જોઈએ તે આ કિસ્સામાં ન થઈ. તેની બ્લ્યુ પ્રિન્ટ બનાવીને સીધી જાહેર કરવામાં આવી. ઉપરાંત જે રીતે આર્કિટેક બિમલ પટેલની કંપનીને આ પ્રોજેકટ મળ્યો છે તેને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે વર્તમાન સરકાર ઊઠતાં સવાલોને અવગણીને આગળ વધવામાં માનતી આવી છે; પછી તે ખેડૂત બિલ હોય કે સંસદની નવી ઇમારતનું નિર્માણ.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...2,0732,0742,0752,076...2,0802,0902,100...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved