Opinion Magazine
Number of visits: 9762073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુણ્ય

પ્રીતિ સેનગુપ્તા|Opinion - Short Stories|10 February 2021

અઠવાડિયાની શરૂઆતથી જ ઘરમાં ઉત્સાહ વર્તાતો હતો. આ વખતે ચોથી જુલાઈનો દિવસ શનિવારે આવતો હતો. એટલે બધી રીતે મઝા, એમ ઉજાસને લાગતું હતું. લૉરેનને એ કહે, મૉમ, દર વર્ષે આવું જ થતું હોય તો. શુક્રવારે ઑફિશિયલ રજા, અને શનિવારે ચોથી જુલાઇ. રાતે મોડે સુધી જાગીને છેક કૅલિફૉર્નિયામાંની ઉજવણી દર વર્ષે ટૅલિવિઝન પર જોઈ શકાય. નૂરા રોજ અધીરાઇથી કહે, ઓ મૉમ, શનિવાર ક્યારે આવશે? તેજ તો સાવ નાનો. એ મોટાં ભાઇ-બહેનની પાછળ પાછળ ફરતો જાય, ને શનિવાર, શનિવાર ગાતો જાય.

કુંજીબહેને લૉરેનને પૂછ્યું, કેમ આ વખતે મોટાં બે ઘેલાં થયાં છે?

લૉરેન કહે, આ વખતે ચિરાગે એમને કહ્યું છે કે એ પણ સાથે આવશે. ડૅડી સાથે પિકનિક પર જવા ક્યારે મળે? પેલાં બેનું જોઈને તેજ પણ ખુશ ખુશ છે. બે વર્ષ પહેલાં હું એમને લઈ ગઇ હતી, પણ તેજને એ ક્યાંથી યાદ હોય?

પછી એણે ઊમેર્યું, અમ્મા – છોકરાંઓની સાથે એ પણ કુંજીબહેનને હવે અમ્મા કહેતી – તમે તમારાં ઓળખીતાંમાંથી ત્રણેક જણને ઈન્વાઇટ કરજો. તમને કંપની રહેશે. ને એ સિનિયર્સને ગમશે પણ ખરું.

પણ લૉરેન, બધાં ગાડીમાં માશે નહીં, કુંજીબહેન બોલ્યાં.

અમ્મા, આપણે બે ગાડી લઈ લઈશું. છોકરાંઓને ડૅડી સાથે એકલાં જવા મળશે એટલે એ તો જાણે ગાંડાં જ થઈ જવાનાં. ચિરાગ સાથે મારે વાત થઈ ગઈ છે.

કુંજીબહેનને મનોમન હસવું આવ્યું કે હવે એ પણ છોકરાંઓની જેમ જરા ઘેલાં થવાનાં હતાં. એમણે એમનાં સિનિયર બહેનપણીઓને ફોન કરવા ડાયરી ખોલી. પહેલા જ ફોને સુશીબાએ તો સાંભળીને તરત હા પાડી દીધી. કહે, મને તો આવવું બહુ ગમશે, ને તમે કહો તો હું શાંતાબેનને પૂછું. એમને બહાર નીકળવાનું ઓછું, એટલે આપણે પૂછીશું તો એમને સારું લાગશે.

હા, હા, તમે જરૂર પૂછી જુઓ. પછી મને જણાવજો એટલે ખબર પડે કે બીજા કોઈને પૂછું કે નહીં. આપણે ત્રણ થતાં હોઈશું તો તો બસ છે. નિરાંતે વાતો થશે, બરાબરને?

શનિવારની સવારથી જ લૉરેને ગોઠવણ શરૂ કરી દીધેલી. પિકનિક માટે છોકરાંઓ માટે સૅન્ડવિચ બનાવી, અમને ભાવતી બ્રાઉની બેક કરી, પોતાને અને ચિરાગને માટે થોડું સાલાડ કાપી રાખ્યું, ચિઝ અને ક્રૅકર બહાર કાઢ્યાં, દ્રાક્ષ અને સફરજન પૂરતાં છે કે નહીં તેની ખાતરી કરી લીધી. કુંજબહેન મદદ કરવા ગયાં તો કહે, અમ્મા, કાંઈ જ કામ નથી. હું પણ આવીને તમારી સાથે હમણાં બેસું જ છું.

ચૌદેક વર્ષ પહેલાં ચિરાગે એમને અને નવીનભાઈને જણાવ્યું કે એ લૉરેન નામની, મૂળ આર્જેન્ટિનાની છોકરી સાથે લગ્ન કરવાનો હતો ત્યારે એ બંનેને આઘાત લાગેલો. બંનેએ ઘણો જીવ બાળેલો કે એકના એક દીકરાએ છેવટે આવું કર્યું? પણ જ્યારે ચિરાગ લૉરેનને લઈને દેશ આવ્યો ત્યારે જોતાંની સાથે જ બંનેને એ ગમી ગઈ. ઊંચી, પાતળી, કાળા વાળ, હસતી આંખો, અને પંજાબી ડ્રેસ પહેરીને આવેલી. કપાળમાં ચાંદલો કરવાનું એને કોણે શીખવાડ્યું હશે?, કુંજીબહેને વિચારેલું. બંને હાથમાં જોકે સાદી બંગડીઓ હતી. એમની નજરને જોઈને ચિરાગે કહેલું, મા, અમારા રાલે શહેરમાં સોનાની સારી બંગડીઓ અમને મળી નહીં.

લૉરેને કુંજીબહેનને અને નવીનભાઈને નીચા નમીને પ્રણામ કરેલાં, અને જૅશીરીક્રિશના કહેલું. જીવતી રહે, બેટા, આપોઆપ નવીનભાઈથી કહેવાઈ ગયેલું. કુંજીબહેન જલદી અંદર જઈ પોતાની રોજ પહેરવા કરાવેલી  હીરાની બે બંગડીઓ લઈ આવેલાં, અને અંગ્રેજીમાં પૂછેલું, વિલ ધે ફિટ યુ?

કુંજીબહેનના હાથ પકડીને લૉરેન બોલેલી, મા, મને જરૂર થશે. બહુ જ સરસ બંગડીઓ છે.

પોતાનાં માતા-પિતાનાં મોં પહોળાં થઈ ગયેલાં જોઈ ચિરાગે હસતાં હસતાં કહેલું, મા, લૉરેન લિંગ્વિસ્ટ છે. મને મળી તે પહેલાં એ હિન્દી શીખતી હતી. હવે ગુજરાતી શીખવા માંડી છે. બોલે છે હજી થોડું, પણ સમજે છે લગભગ બધું.

ચિરાગ જરૂરી પેપર્સ લેતો આવેલો. અમેરિકા પાછાં જતાં પહેલાં એણે માતા-પિતાને ત્યાં લઈ જવાની એપ્લિકેશન કરી દીધી. લૉરેન કહેતી ગયેલી, મા, પપ્પાજી, અમે તમારા આવવાની રાહ જોઈશું.

કુંજીબહેન અને નવીનભાઈ અમેરિકા જવા નીકળ્યાં ત્યારે ચિરાગ અને લૉરેન એમને ફ્રાંસમાં મળેલાં, અને સાથે યુરોપમાં થોડા દિવસ ફરેલાં. વચ્ચેના મહિનાઓમાં લૉરેન સ્પષ્ટ રીતે જયશ્રીક્રિષ્ણ કહેતી થઈ ગઈ હતી. ઉપરાંત, ફ્રાંસ, જર્મની અને સ્પેઇનમાં ત્યાં ત્યાંની ભાષાઓની એની જાણકારી બહુ કામમાં આવેલી – ખાસ કરીને બધાં માટે ખાવાનું મેળવવામાં. એ પોતે પણ વેજીટેરિયન હતી – વર્ષોથી. દીકરા-વહુની સાથે પહેલી જ વાર પરદેશની ભૂમિ પર ફરવાનો એ સમય વડીલો માટે ઘણો કિમતી હતો.

એમેરિકા પહોંચીને રાલે શહેરના શાંત વિસ્તારમાંનું સરસ ઘર જોઈને નવીનભાઈથી બોલાઈ ગયું હતું, ચિરાગ, આ તો જાણે ફાઇવ-સ્ટાર હોટેલ જેવું છે.

ના, પપ્પા, તમે જોજો, હોટેલથી પણ વધારે કમ્ફર્ટેબલ લાગશે, ચિરાગે કહ્યું હતું.

કેટલું સાચું કહ્યું હતું દીકરાએ, કુંજીબહેન વિચારતાં હતાં. આટલાં વર્ષોમાં જ્યારે જ્યારે અમેરિકા આવ્યાં ત્યારે કોઈ તકલીફ પડવા દીધી નહતી એણે અને લૉરેને. નવીનભાઈના ગુજરી ગયા પછી ચિરાગે માને પોતાની પાસે બોલાવી લીધેલાં, અને ગ્રીન કાર્ડ લઈ લેવા માટે આગ્રહ કરવા માંડેલો. હમણાં તો વરસનો વીઝા છે ને, ભઈ. પછી જોઈશું, કુંજીબહેને કહેલું. ધીરે ધીરે કરતાં ત્યાંના ગુજરાતી સમાજમાં એમને થોડી ઓળખાણો થયેલી, અને થોડી પ્રવ્રૃત્તિઓમાં એ કયારેક જોડાતાં પણ ખરાં, છતાં આખો વખત અમેરિકામાં રહેવાનો વિચાર એ કરી શકતાં નહતાં.

ચોથી જુલાઇનો જાહેર ઉત્સવ જોવાનો એમને માટે આ પહેલો જ પ્રસંગ હતો. સાંજ થતાં ઉજાસ અને નૂરા ડૅડી સાથે નીકળી ગયાં. નાનો તેજ અમ્માને છોડવા તૈયાર નહતો. બીજી ગાડીમાં લૉરેને કુંજીબહેન, તેજ અને પછી સુશીબા અને શાંતાબહેનને લઈ લીધાં. બધાં નક્કી કર્યા પ્રમાણે પાર્કમાં ભેગાં થઈ ગયાં. ચોખ્ખી જગ્યા શોધી સાથે લાવેલી દરીઓને લૉરેને ઘાસ પર પાથરી, અને નાસ્તાની વસ્તુઓ વચમાં ગોઠવી. મા, તમારા અને માશીઓ માટે સરપ્રાઇઝ છે, કહી ચિરાગે પોપ્યુલર રાણી-ફૂડના બોક્સ બહાર કાઢ્યા. સમોસાં, કચોરી, ખમણ અને ખારી પૂરી. ભાવશે ને?

માશીઓ એક સાથે બોલ્યાં, આટલી બધી તકલીફ શું કામ, ભાઈ?

લૉરેન કહે, હજી એક સરપ્રાઇઝ છે. આપણે બધાં માટે હું થરમોસમાં ચ્હા પણ લાવી છું.

વાહ, બેટા, વાહ, સુશીબાએ કહ્યું.

બધાંએ ચ્હા કે જ્યૂસ અને નાસ્તો કર્યો, ને થોડી વાર પછી છોકરાંઓને લઈને ચિરાગ અને લૉરેન પાર્કમાં ચાલવા, દોડાદોડ કરવા, રમવા ઊઠ્યાં. તેજ માંડ માંડ માન્યો. સુશીબા કહે, કુંજીબેન, એ નાનકો તમને સાથે લઈ જવા માગતો હતો.

હા, ખરી વાત છે. મને એટલો વળગેલો રહે છે. આટલું વ્હાલ તો મારા ચિરાગે પણ મને નહીં કર્યું હોય.

અચાનક ભીની થઈ આવેલી આંખો લૂછતાં શાંતાબહેન બોલ્યાં, તમારાં ગયા જન્મનાં પુણ્ય હશે, બે’ન. આ જમાનામાં છોકરાં તો શું દીકરા-વહુ પાસેથી પણ કશા ભાવની આશા રખાય તેમ નથી રહ્યું. પણ બે’ન, તમારા કુટુંબની તો વાત જ જુદી લાગે છે.

થોડું અંધારું થયું એટલે પહેલો એક સૂસવાટો સંભળાયો. જુઓ, જુઓ, ડૅડ, ફાયરવર્ક શરૂ થઈ ગયું.

પછીની ચાલીસ મિનિટ નાનું-મોટું દરેક જણ તલ્લીન થઈને આકાશ તરફ જોતું રહ્યું. આ કાંઈ કોઠી અને તારામંડળની વાત નહતી. અહીં તો કળા તેમ જ કૌશલ્યપૂર્વક ગૂંથેલા હજારો ગુબ્બારા ખૂબ ઊંચે જઈને છૂટા પડતા હતા, અને કેટલીયે જાતની ડિઝાઇન સર્જતા જતા હતા. ગોળમાંથી ગોળ બને, એક સીધા લિસોટામાંથી ઉપર ફૂલ જેવો આકાર બને, અસંખ્ય તારા ચમકી જતા લાગે. ઉપરાંત, લાલ, લીલા, સોનેરી, રૂપેરી જેવા રંગ દેખાય. જોવા આવેલા બધાં લોકોના આનંદનો પાર નહીં.

સ્વાતંત્ર્ય દિનની કેવી ભવ્ય ઉજવણી થાય છે આ દેશમાં, નહીં? ને તે પણ ગામે ગામે, કુંજીબહેને કહ્યું. આજે આપણને સરસ તક મળી આવું જોવાની, નહીં? સુશીબા અને શાંતાબહેને વારંવાર લૉરેનનો આભાર માન્યા કર્યો. જિન્દગીમાં આવું પહેલાં ક્યારે ય જોયું નહતું, હોં બેટા, બંનેએ કહ્યું.

આ પછી કુંજીબહેનનું મન ચુપચાપ કશાક વિચારે ચઢી ગયું. ચારેક દિવસ પછી એમણે ચિરાગને કહ્યું, જરા ટાઇમ હોય ત્યારે મારે એક વાત કરવી છે, ભઈ. એનું મોઢું જોઈ કુંજીબહેન ઉતાવળે બોલ્યાં, ચિંતા જેવું કાંઈ નથી. આ તો એક વિચાર તને જણાવવો છે.

એ રાતે જમવાનું ને હોમવર્ક પતાવીને છોકરાં સૂવા ગયાં પછી ચિરાગ અને લૉરેન મા પાસે આવ્યાં. બંનેનાં મોંઢાં પર ચિંતા દેખાતી હતી. અરે, ખરેખર ચિંતા કરવા જેવું કાંઈ નથી, ભઈ, કુંજીબહેને ખાતરી આપી.

બંનેને પાસે બેસાડીને એ કહેવા લાગ્યાં, જુઓ બેટા, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે મારે મદદરૂપ થવું છે. બહુ જણને સામટાં નહીં, પણ બે જણ-ત્રણ જણને એક સાથે મદદ કરી શકાય. એ રાતે આપણે પાર્કમાં ગયાં, સાથે આનંદ કર્યો, અને બે માશીઓને આનંદ કરાવ્યો પણ ખરો. પછી સોમવારે સવારે જ સુશીબાનો ફોન આવ્યો હતો. એમણે શાંતાબહેનની થોડી વાત કરી.

શાંતાબહેનની આંખોમાં આંસુ આવેલાં મેં જોયેલાં, પણ એમના જીવનની કોઈ વિગત મને ખબર નહતી. એમના વર પોણા બેએક વર્ષ પહેલાં અહીં જ ગુજરી ગયા. ત્યાર પછી એ સાવ એકલાં થઈ ગયાં છે. ઘરમાં કોઈ દિવસમાં બે વાત પણ નથી કરતું. નહીં વહુ, નહીં દીકરો કે નહીં છોકરાં. ક્યાં ય જવા-આવવાનું પણ ભાગ્યે જ. એમની પાસે નથી દેશ જઈ આવવાના પૈસા, કે નથી એ દીકરા પાસેથી માગી શકતાં. સાવ ઓશિયાળા થઈને રહેવું પડે છે એમને. મારો બહુ જીવ બળતો રહ્યો છે ત્યારથી.

આવાં તો કેટલાંયે માશીઓ હશે અહીં. મા ને બાપ બંને હોય ત્યારે પણ દીકરો-વહુ ઉપેક્ષા અને અપમાન કરતાં રહેતાં હોય એવું પણ બને છે. એક કિસ્સામાં તો મા-બાપને શૉપિંગ મૉલમાં લઈ ગયેલાં, ને હમણાં આવીએ છીએ કહી ત્યાં જ મૂકીને દીકરો-વહુ જતાં રહ્યાં હોય તેવું પણ સાંભળ્યું છે.

ચિરાગ જરા જોરથી બોલી ઊઠ્યો, ના, આવું તો ના જ બની શકે.

સાવ સાચી વાત છે, ભઇ. છાપામાં પણ આવી ગયેલું આ તો.

ખેર, કુંજીબહેન આગળ બોલ્યાં, મેં નક્કી કર્યું છે કે હવે મારે આવાં જણને મદદરૂપ થવું છે. ઇન્ડિયામાં ઘરડાંનાં ઘર થયાં છે, દુઃખિયારી બહેનોની સહાય માટે વિકાસગ્રૃહ ને વનિતા આશ્રમ જેવી સંસ્થાઓ છે, પણ અહીં અમેરિકામાં વિધવા થયેલી, કે વૃદ્ધ થતી જતી આપણી મોટી બહેનો, માશીઓ માટે કશું જ નથી. જો ભઈ, મને થાય છે કે ત્યાં આપણું મોટું ઘર છે, પૈસાની પૂરતી સગવડ તારા પપ્પાજી મૂકતા ગયા છે. દર શિયાળે બે કે ત્રણ આવી મોટી બહેનોને હું આપણે ત્યાં લઈ જાઉં, રાખું, બને તો નજીકમાં ક્યાંક ફરવા લઈ જાઉં. અહીંની ઠંડીમાંથી છૂટકારો તો મળે થોડો વખત. ને જરૂર હોય તેમને માટે હું ટિકિટના પૈસા ખર્ચવા પણ તૈયાર છું.

ઓ અમ્મા, લૉરેને કુંજીબહેનને ભેટતાં કહ્યું.

ચિરાગ સોફા પરથી ઊતરી એમના પગ પાસે બેસી ગયો. મા, તું – તને — એ વધારે બોલી ના શક્યો.

ભઈ, મારે તને અને લૉરેનને એ પૂછવું છે કે ઘર અને પૈસા આ રીતે વપરાય એમાં તમને કોઈ વાંધો નથીને.

અરે મા, શું કહે છે તું? બધું તારું જ છે ને?

હા અમ્મા, ત્યાંનું જ નહીં, અહીંનું બધું પણ તમારું જ છે હોં.

પણ મા, તેં બધો વિચાર કર્યો છે?

હા. ભઇ. હું વિચારું છું કે શોખ ને આવડત હોય તે પ્રમાણે માશીઓને ચિત્ર, ભરત-ગૂંથણ, ભજન વગેરે શીખવાડવા ટીચર ગોઠવી શકાય. સામે કોઈ માશી આજુબાજુની છોકરીઓને વાંચતાં-લખતાં અને થોડું અંગ્રેજી પણ શીખવાડી શકે. બધાંને ફાયદો થાય. વળી મને એમ છે કે શાંતાબહેન જેવાં ત્યાં લાંબું રહી શકે તો આખું વર્ષ આ મદદ આપણે આપી શકીએ.

એ ખરું, ચિરાગે કહ્યું, પણ આપણે જવાબદારી વિષે ખાસ વિચારવું પડે. કોઈ માશી ત્યાં માંદાં પડે તો શું? કોઈનાં સગાં કશો વાંધો કાઢે તો શું? એક માશી વધારેમાં વધારે કેટલું રહી શકે? કે પછી અમુક જણને જ દર વર્ષે આ લાભ આપવો છે? વગેરે બાબતો પર ધ્યાન આપવું પડે. તારે તો નિઃસ્વાર્થ ભાવે મદદ કરવી છે. તારે કોઈ પણ રીતે હેરાન થવું પડે એમ ના બનવું જોઈએ.

ભઇ, તમારાં બંનેની સલાહ વગર હું કશું જ નથી કરવાની.

લૉરેન કહે, હજી તો જુલાઈ શરૂ થયો છે. શિયાળાને હજી વાર છે. એ દરમ્યાન આપણે બધી જરૂરી બાબતોની ચર્ચા કરતાં રહીશું. પણ અમ્મા, તમારા પ્રોજેક્ટમાં મદદ કરવા હું તો થોડો વખત ત્યાં આવી જ જવાની, હોં.

ચિરાગ ઉતાવળે બોલ્યો, તો હું પણ આવી જઈશ.

કુંજીબહેન હળવાશથી કહે, જેમને ખરેખર મદદની જરૂર હોય તેવાં માટે ઘરમાં રૂમો ખાલી રહેવા દેજો, હોં ભઇસાબ.

સવારે ઊઠીને તેજ કાગળ વાળીને ઉજાસે બનાવી આપેલું તીર હાથમાં લઈને, એરપ્લેન ઉડાડતો હોય એમ આખા ઘરમાં દોડતો ફરતો હતો. કુંજીબહેનની પાસે આવીને મીઠડો થઈને કહે, અમ્મા, તું ને મું આ પ્લેનમાં બેસીને ઝુંઇઇઇઇઇઇઇ —– 

(૧,૭૮૪ શબ્દો)

e.mail : preetynyc@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (50)

સુમન શાહ|Opinion - Opinion|9 February 2021

હર્ડ ઇમ્મ્યુનિટી અને હર્ડ મૉરાલિટી

= = = = માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે = = = =

= = = = દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી = = = =

આજકાલ હવે સમગ્ર વિશ્વનું ધ્યાન વૅક્સીન, એટલે કે, રસી પર છે. અનેક દેશોમાં કોવિડ-૧૯ની સામે વૅક્સીનેશન – રસીકરણ – ચાલુ થઈ ગયું છે. ચેપગ્રસ્તોની સરખામણીમાં રસીકરણ પામેલી વ્યક્તિઓ, બને કે માંદગી અને મૃત્યુથી બચી શકે.

વૅક્સીનેશનના આ નવા સંદર્ભ વચ્ચે એક શબ્દગુચ્છ ખાસ સાંભળવા મળે છે : હર્ડ ઇમ્મ્યુનિટી : એથી શું સમજવું?

રોગ ધીમો પડી જાય, ચેપી રોગની સામે વસતીનો એક નૉંધપાત્ર સંવિભાગ, એક કૉમ્યુનિટી, રોગપ્રતિરોધક શક્તિ મેળવી લે, એને હર્ડ ઇમ્મ્યુનિટી કહેવાય.

હર્ડ એટલે ઢોરાંનું ધણ, લોકટોળું, લોકસમુદાય, કૉમ્યુનિટી. અને, ઇમ્મ્યુનિટી એટલે રોગપ્રતિરોધકતા અથવા રોગપ્રતિરોધક શક્તિ.

એથી રોગનો પ્રસાર સીમિત થઈ શકે છે. અમુક વસતીમાં અમુક સંખ્યામાં કોવિડ-૧૯નો શિકાર બનેલા લોકો સાજા થઈ ગયા હોય અથવા એમને વૅક્સીન લીધી હોય, તો એમને લીધે, જેમણે વૅક્સીન નથી લીધી એવા લોકોની રક્ષા થઈ શકે છે. વસતીનો વૅક્સીનથી સાજો થયેલો સંવિભાગ એ પ્રકારે બીજાઓને બચાવી શકે છે.

સવાલ એ છે કે હર્ડ ઇમ્મ્યુનિટી આવશે ક્યારે. કોઇ પણ કૉમ્યુનિટીમાં આવે એ બાબતે ઘણાં પરિબળો ભાગ ભજવે છે. નિષ્ણાતો હજી એવા નર્ણય પર નથી આવી શક્યા કે કેટલા લોકો રોગપ્રતિરોધકતા મેળવી શક્યા હોય તો હર્ડ ઇમ્મ્યુનિટી આવે. એ આવે ને ફરી પાછા આપણે બૅક ટુ નૉર્મલ લાઇફને પામી શકીએ એ વાત હવે અસંભવ તો નથી પણ આપણે સૌએ જેમ બને એમ જલ્દીથી વૅક્સીન લેવી જોઈશે.

તેમ છતાં, કોરોનાવાયરસ પૃથ્વી પર ફેલાઈ ગયો છે, અતિશય ચેપી છે, વળી, બદલાતો રહે છે. એ કારણોથી નિષ્ણાતો એમ પણ માને છે કે એને નજીકના ભવિષ્યમાં સમ્પૂર્ણપણે નેસ્તનાબૂદ તો નહીં કરી શકાય, પણ જો એને આ રીતે કાબૂમાં લઈ શકાશે, તો ક્રમશ: એ એક સાદો રોગ ગણાતો થઈ જશે.

આ તો થઈ હર્ડ ઇમ્મ્યુનિટીની વાત. એક ઉપકારક વસ્તુ. આમે ય દુનિયા હમેશાં સારાં-સાજાં જનોથી જ ચાલે છે; જેટલી એમની સંખ્યા મોટી, માનવજાતને રાહત પણ એટલી જ મોટી.

પણ નિત્શે હર્ડ મૉરાલિટીની વાત કરે છે – ટોળાની નીતિમત્તા.

Picture – Herd Immunity : Courtesy: News Medical

આપણને ટોળાની માનસિકતાની અને એમના સર્વસામાન્ય વર્તનની ખબર છે. ટોળાને મગજ નથી હોતું અથવા એમાં જોડાયેલી વ્યક્તિઓ પોતાના મગજને ઘેર મૂકીને નીકળી પડી હોય છે. ટોળાને દિશા નથી હોતી એમ નહીં કહેવાય પણ એ દિશા કઈ તેની એને ખબર નથી હોતી. ખબર પડે છે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હોય છે. મોટા ભાગનાં જાનવરો ટોળામાં જીવે છે અને એવું જ જીવે છે. ઊંધું ઘાલીને સાથે સાથે ચાલતાં ઘેટાં, કાફલામાં ઊડતાં પક્ષીઓ, કેટલીક માછલીઓ, મધમાંખીઓ, વગેરેને આપણે જાણીએ છીએ. હુલ્લડ, સરઘસ, હડતાળો પણ ટોળાશાહી વર્તનો છે. પક્ષાપક્ષી, જૂથબંધી, વાડાબંધી પણ ટોળાશાહી વર્તનના જ પ્રકારો છે.

નિ:સામાન્ય સરેરાશ લોકસમુદાયને નિત્શે હર્ડ કહે છે; એ બધાં હર્ડ ઍનિમલ્સ છે. કહે છે, એ લોકો પાસે વૈયક્તિક ઇચ્છાશક્તિ નથી હોતી, તેઓ સામૂહિક વૃત્તિઓથી જીવે છે. ટોળાની નીતિમત્તાને નિત્શે લોકશાહીય ઈચ્છાશક્તિ ગણે છે ખરા પણ એ એવી કે એને કારણે દરેક જણ સરેરાશ સમાન લાગે. નિત્શે માનતા હતા કે ધર્મ લોકોને નર્કનો ભય બતાવે છે, એકહથ્થુ સત્તાધીશો પ્રજાને બીવરાવે છે, અને ટોળાશાહી માનસ ધરાવતા પ્રજાસમૂહો રોજ હર્ડ મૉરાલિટીનો ભોગ બની રહ્યા છે. સ્ત્રીઓ, ગુલામો, કામદારો, માંદા અને ખરડાયેલાં છે. નિત્શેએ જોયું કે યુરપના કામદારોને હલકાં કામો કરવાં પડે છે, કેમ કે એ લોકો જીવનની સમુચિત રીત ભૂલી ગયા છે, કહો કે એમને એમ ભૂલવાની ફરજ પડી છે.

Picture – Herd Morality : Courtesy: Big Think

નિત્શેનું મન્તવ્ય એમ બને છે કે હર્ડ – ટોળું – હાનિકારક છે. એની પાસે નીતિમત્તા છે ખરી પણ એને નીતિમત્તા ય કહેવી કે કેમ એ પ્રશ્ન છે, બલકે એ નીતિ સ્વયં ભયકારી છે. નિત્શે એને કૃતક તેમ જ બધા ‘ભયોનો ભય’ કહે છે.

એ કૃતક નીતિમત્તાનું વિશ્લેક્ષણ કરતાં નિત્શે જણાવે છે કે વ્યક્તિઓના બે પ્રકાર છે : એક પ્રકાર, મહાન મનુષ્યોનો અને બીજો, ટોળામાં જીવનારાઓનો. પહેલા પ્રકારમાં એમણે એક પેટા પ્રકાર વર્ણવ્યો છે, ‘ધ વિલ ટુ પાવર’ – ગ્રન્થમાં, સર્જક પ્રતિભા ધરાવતી મહાન વ્યક્તિઓનો. એ સર્જકો હર્ડમાં નથી. એ પછી પણ કેટલાક મહાન મનુષ્યો મળે છે. એટલું જ કે તેઓ લોકોની નજરે ચડ્યા હોતા નથી. ‘ધ ડોન’-માં નિત્શેએ એમને ‘ગીત અને ગીત-ગાયકો વિનાના’ કહ્યા છે. એ સજ્જનો પણ હર્ડમાં નથી.

મહાન વ્યક્તિઓના એ બન્ને વર્ગ પછી જે બચે છે તે હર્ડ છે – ટોળું. ટોળામાં છે, છેવાડાના જનો, ગુલામો. એ જનો સાવ જ સરેરાશ છે. એમને માત્ર આરામ અને ધરવ જોઈએ છે. પરિણામે એ વર્ગ આળસુ અને તિરસ્કરણીય બની ગયો હોય છે. એમનામાં કશી સર્જનપરક આરત બચી હોતી નથી. સર્જનાત્મકતાને શક્ય બનાવે એ ઉચ્ચ મૂલ્યો એ વર્ગને કદી દેખાતાં નથી. એ સૌ ગુલામ છે, નબળા છે, માંદા છે. એમનાં દુ:ખોનું કારણ તેઓ પોતે જ છે. એમનામાં એક રીસ કડવાશ રોષ હોય છે, જેને નિત્શે ‘રીસેન્ટમૅન્ટ’ કહે છે.

એને કારણે ગુલામોમાં ઇર્ષા જોવા મળે છે. એમને ખૂંચે છે – હું વેઠું છું એવું બીજાઓ નથી વેઠતા – ખાસ તો પેલા મહાનો ! એવી ઇર્ષાને લીધે ગુલામોમાં વૈર વૃત્તિ જન્મે છે. તેઓ સમાનતા માગે છે. પણ એ માટે તેઓ ઘણા નીચલા સ્તરે ઊતરી આવે છે. એમનામાં એક પ્રકારની મૉરાલિટી જન્મે છે. એ હર્ડ મૉરાલિટી છે. એથી જીવનનાં કુદરતી મૂલ્યો ઊંધાં વળી જાય છે. એમાં જીવનનો ધરાર નકાર છે. એથી પતનની દિશા ખૂલે છે. એ મૉરાલિટી માણસને, માણસ નથી રહેવા દેતી; એ કહે છે : હું પડી રહ્યો છું, તમારે બધાએ પણ પડવું જ રહ્યું ! : નિત્શે સૂચવે છે કે માણસે માણસજાતને આ જ શીખવ્યું છે.

એટલે નિત્શેએ હર્ડ મૉરાલિટીમાં ‘ભયોનો ભય’ જોયો. એ જો વધુ ને વધુ આગળ વધે તો જે કંઈ ઉચ્ચ અને અસાધારણ છે તેનો નાશ થવાનો અને વિશ્વ પર ધીમે ધીમે શૂન્યતા છવાઈ જવાની. ‘એક્સ હોમો’-માં નિત્શે જણાવે છે કે આરામ અને ધરવનાં મૂલ્યોની જ ભક્તિ થવાની. એ જ સાચાં ગણાવાનાં. પરિણામ એ આવશે કે હર્ડ માનવતાને ગળી જશે અને અસ્તિત્વ એનાં ઉચ્ચોચ્ચ લક્ષણ વગરનું થઈ જશે.

આપણે જોઈએ છીએ કે કેટલા ય લોકોને નીતિપરક સવાલ થતો જ નથી. એમને થતું જ નથી કે શા માટે અમુક વસ્તુઓ સારીભલી ગણાય છે ને શા માટે અમુક નઠારી. તેઓ પોતાના સમાજમાં વર્ચસ્વી બનેલાં ભલા-બૂરાપરક મૂલ્યોને સ્વીકારીને બસ, જીવતા હોય છે.

નિત્શે અનુસાર, છેલ્લાં ૨૦૦૦ વર્ષથી, પશ્ચિમમાં જે નીતિનું વર્ચસ્ રહ્યું છે તે નીતિ ‘જીવનની મૂળ વૃત્તિઓની વિરોધી’ છે – કૃતક છે. એમણે પ્રયોજેલો શબ્દ છે, ઍન્ટિ-નૅચરલ. નિત્શેએ સમગ્ર પશ્ચિમ પર એનો પ્રભાવ જોયો હતો. જનસામાન્યથી વધારે સમર્થ વ્યક્તિઓ ય એના દબાવમાં જીવતી હતી, અને, નિત્શે એમના ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’ ગ્રન્થમાં કહે છે કે એ વ્યક્તિઓ વધુ ને વધુ નાની, કહો કે, હાસ્યાસ્પદ પ્રકારની – ટોળામાંના જાનવર જેવી – થઈ ગઈ’તી. સૌને રાજી રાખવાને તલપે, મનોરોગી, ને સરેરાશ.

એમણે કહ્યું છે : મહાન સર્જકતા ધરાવતી વ્યક્તિઓ મારી સમજ અનુસાર, ખરેખર મહાન છે. તેઓ નેચર અને નર્ચરના વિરલ સંયોજનથી પોતાના જીવનને ઘડે છે અને વિશ્વને સુન્દરની મૂર્તિઓનું / કૃતિઓનું અર્પણ કરે છે. એ જાતનાં ઉમદા કાર્ય માટે એ જનોએ હર્ડથી બચવાનું હોય છે. ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં નિત્શે કહે છે : હર્ડ એટલે ગણ્યા ગણાય નહીં એટલા બધા, નાનકુડા અને દયનીય લોકો. એમનાથી છૂટીને સર્જકોએ એકાન્ત અને સ્વતન્ત્રતા મેળવવાં પડે છે. ‘બીયૉન્ડ ગુડ ઍન્ડ ઇવિલ’-માં મહાનતાની વ્યાખ્યા કરતાં કહે છે : મહાન હોવું એટલે ઉમદા હોવું. જાતે જ જાત માટે તત્પર રહેવું. બીજાઓથી જુદા પડાય, એવું સામર્થ્ય મેળવવું. એકલા ઊભા રહીને સ્વાયત્ત રહીને જીવવું.

આ સૌ મહાન વ્યક્તિઓ પાસે હમેશાં એક યુનિફાઇન્ગ લાઇફ પ્રોજેક્ટ હોય છે. અને તેઓ એને પાર પાડીને જંપે છે. એ પ્રોજેક્ટ ટૂંકા ગાળાનો કશો કામચલાઉ પ્રોજેક્ટ નથી હોતો. એ તો એક દીર્ઘકાલીન ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જન્મ્યો હોય છે ને તેથી એ સદીઓ લગી પરખાયા કરે છે – ભલે ને એ મહાનો ખપી ગયા હોય.

‘હ્યુમન ઑલ ટૂ હ્યુમન’-માં નિત્શે કહે છે : વ્યક્તિ આજે પોતાના ટૂંકા આયુષ્ય વિશે ઘણું ધ્યાન આપે છે. પોતે ઉગાડેલાં વૃક્ષનાં ફળ પોતે તોડવા માગે છે. નિરન્તરના ઉછેર માટે સદીની જરૂરત પડે ને જેનો છાયો પેઢી દર પેઢી પામે, એ એવાં વૃક્ષ ઉગાડવા નથી માગતો.

વિશ્વ આવું રાંક બની જશે એ વાતની નિત્શેને ખબર પડી ગયેલી. ‘ઑન ધ જિનિયૉલૉજિ’-માં કહ્યું છે : મહાન થવા માગતું હોય એવું કશું આજે આપણને જોવા નથી મળતું, આપણને દહેશત છે કે વસ્તુઓ હજી વધુ ને વધુ પતન પામશે; લોક વધુ ને વધુ આછાઓછા થશે – ઠીકઠાક, શાણા, આરામખોર, બેતમા … આ જ છે વિનાશ.

માણસ માણસથી બીવે છે. માણસને માટેનો આપણે પ્રેમ પણ ગુમાવ્યો છે, આદર, અને એને માટેની આશાઓ ઇચ્છાઓ પણ ગુમાવ્યાં છે.

માણસને ભાળીને આજે આપણે કંટાળીએ છીએ, થાક લાગે છે. આપણને માણસનો થાક લાગવા લાગ્યો છે.

આ હર્ડ ઇમ્મ્યુનિટી અને આ હર્ડ મૉરાલિટી વચ્ચે કોઈ સમ્બન્ધ હશે ખરો? વિચારીએ …

= = =

(February 5, 2021: USA)

Loading

દિલ્હી સિવાયના શહેરમાં રાજધાની હોવી જોઈએ, એ વાત નવી નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 February 2021

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૂચન કર્યું છે કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ. ૨૩મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "કોલકત્તા દેશની રાજધાની કેમ ન હોય- સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમારા યોગદાનના કારણે હું આ કહું છું.  હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ – એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, એક પૂર્વમાં અને એક ઉત્તર પૂર્વમાં. આ ચાર જગ્યામાં સંસદનું સત્ર વારાફરતી યોજાવું જોઈએ."

મમતા બેનરજીના સૂચનમાં ભલે રાજકારણનો સૂર હોય, પણ ભારતની રાજધાની દિલ્હી સિવાયના બીજા કોઈ સ્થળે કેમ ન હોય, તે પ્રશ્ન નવો નથી. અલગ-અલગ રીતે તે પૂછાતો રહ્યો છે. અગાઉ આ સ્થળે આપણે ચર્ચા કરી હતી કે દેશની સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં હોવાથી તેની અમુક વ્યવહારુ મુશ્કેલીઓ છે, એ જ તર્ક રાજધાનીને પણ લાગુ પડે છે. તે લેખમાં આપણે જસ્ટિસ વી.આર. કૃષ્ણ ઐયરને ટાંક્યા હતા કે, "લોકશાહી જો લોકો માટે હોય, તો સુપ્રીમ કોર્ટ બ્રિટિશરોએ તેમના સામ્રાજ્યવાદ માટે સ્થાપેલી દિલ્હીમાં નહીં, પણ ફરિયાદીઓ વચ્ચે હોવી જોઈએ. આટલા મોટા દેશમાં દિલ્હી તો એક ખૂણો છે, જ્યારે લોકો તો મોટા ભાગે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં રહે છે. (એટલે સુપ્રીમ કોર્ટ ત્યાં હોવી જોઈએ.)”

આ જ સુપ્રીમ કોર્ટે, ૨૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ દિલ્હીના હવાઈ પ્રદૂષણને લગતી એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે, "દિલ્હી નરક કરતાં પણ બદતર છે. લોકો શું કરવા આ ગેસ ચેમ્બરને સહન કરે? કેન્સર જેવા આ રોગમાં સબડવા કરતાં બીજે ક્યાંક જતા રહેવું જોઈએ." ૨૦૧૨માં, મુંબઈના અગ્રણી નાગરિકોએ તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી બંધિયાર અને નિસ્તેજ થઇ ગયું છે એટલે વાઈબ્રન્ટ અને કોસ્મોપોલિટન મુંબઈને દેશની રાજધાની બનાવવું જોઈએ અથવા તેને બીજી રાજધાનીનો દરજ્જો આપવો જોઈએ.

બંધારણના રચિયતા ડો. બાબાસાહેબ આંબેડકરે ૫૦ના દાયકામાં લખેલા તેમના પુસ્તક 'થોટ્સ ઓન લિંગ્વીસ્ટિક સ્ટેટ્સ'(ભાષાકીય રાજ્યો પર વિચારો)માં ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના તનાવને ઓછો કરવા માટે હૈદરાબાદને રાજધાની બનાવવાનું સૂચન કર્યું હતું. તેઓ લખે છે, "ભારત બીજી રાજધાની બનાવી શકે? આપણી પાસે એક રાજધાની છે એનો અર્થ એ નહીં કે આ પ્રશ્ન ન પુછાય. રાજધાનીની જગ્યા ઉચિત ન હોય, તો આ પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે. તે વખતે (મુઘલો અને બ્રિટિશરો વખતે) લોકોની સરકાર ન હતી, પણ હવે ચૂંટાયેલી સરકાર છે અને જનતાની સગવડતા અગત્યની છે, ત્યારે એ સમજવું જોઈએ કે અંતર અને તીવ્ર ઠંડી-ગરમીના કારણે દક્ષિણના લોકો માટે દિલ્હી બહુ અગવડતાભર્યું શહેર છે. ઉત્તર ભારતના લોકો માટે પણ દિલ્હીનો ઉનાળો આકરો છે. વધુ તો દિલ્હી પાડોશી દેશોના હુમલા માટેનું સરળ નિશાન છે."

દિલ્હીની સૌથી મોટી સમસ્યા તેના હવા-પાણીનું દૂષણ, રહેઠાણોની અછત, ગુનાખોરી, ટ્રાફિક અને દુર્ઘટના છે. આ સમસ્યાઓ રાતોરાત કે પ્રાકૃતિક નથી. દાયકાઓથી દિલ્હી બદથી બદતર થતું રહ્યું છે. મુખ્યત્વે આ વહીવટી ત્રુટિ છે. દિલ્હી રાજધાની પણ છે અને રાજ્ય પણ છે. ૧૯૦૧માં, ૪,૦૦,૦૦૦ની વસ્તી સાથે દિલ્હી દેશનું સાતમું મોટું શહેર હતું (સૌથી મોટું કલકત્તા હતું). આજે દિલ્હીની વસ્તી ૧.૮ કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રનો શહેરીકરણનો અહેવાલ કહે છે કે ૨૦૨૮ સુધીમાં દિલ્હી કદાચ દુનિયાનું સૌથી વધુ ગીચ (૩.૭ કરોડ) શહેર થઇ જશે. તે વખતે કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે તેની કલ્પના કરવી અઘરી નથી.

દિલ્હી દેશની રાજધાની હોવાનું એક માત્ર કારણ ઐતિહાસિક છે. બહુ નજીકની વાત કરીએ તો મુઘલો અને બ્રિટિશરોએ દિલ્હીમાં બેસીને દેશ ચલાવ્યો છે, તે કારણથી જ દિલ્હી આજે પણ રાજધાની છે, પરંતુ એવું કાયમથી નથી. મહમ્મદ બિન તુઘલકે ૧૩૨૭માં રાજધાનીને દિલ્હીથી દોલતબાદ ખસેડવા પ્રયાસ કર્યો હતો. સિકંદર લોદીએ ૧૫૦૬માં આગ્રાને બીજી રાજધાની બનાવ્યું હતું.

મુઘલોના પણ શાસનમાં આગ્રા રાજધાની હતું. બ્રિટિશરોની પહેલી રાજધાની કલકત્તા હતું. ૧૯૧૧માં તેઓ રાજધાનીને દિલ્હી લઇ ગયા હતા. ત્યાં પણ તેમણે નવું દિલ્હી વસાવ્યું હતું.

રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવાનું મૂળ કારણ બંગાળની રાષ્ટ્રવાદી ચળવળ હતી, જેનું કેન્દ્ર કલકત્તા હતું. એક સદી અગાઉ, ભારતના વાઈસરોય લોર્ડ હાર્ડિંગે બ્રિટિશ રાજ્યને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “બ્રિટિશ શાસન સામે કલકત્તામાં વધી રહેલા વિરોધને જોતાં અહીં રહેવાનું હિતાવહ નથી.” ભારતમાં બ્રિટિશ સરકાર કેમ કલકત્તાથી નાસી રહી છે તેને બ્રિટનમાં આમ સભામાં સમજાવતાં ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ કર્ઝને કહ્યું હતું, “એ લોકોને બંગાળના ઉકળતા ચરુમાંથી છૂટવું છે.”

રાજધાનીઓ બદલવી એ દુનિયામાં નવાઈ નથી. વિવિધ કારણોસર અનેક દેશોએ આવું કર્યું છે. બ્રાઝિલમાં રિઓ ડે જનેરો સદીઓથી રાજધાની હતું, પરંતુ શહેર એટલું બધું ગીચ અને સરકારી ઈમારતો એટલી છૂટી છવાઈ હતી કે સરકારે ૧૦૦૦ કિલોમીટર દૂર બ્રાસીલિયામાં નવી રાજધાની વસાવી હતી.

નાઇજીરિયાની રાજધાની લાગોસ પણ ગીચ શહેર થઇ ગયું હતું એટલે ૧૯૯૧માં અબૂજાને રાજધાની બનાવાયું હતું. ઈજીપ્તની રાજધાની કૈરો ભવિષ્યનો વસ્તી વધારો ખમી શકે તેમ નથી એટલે ત્યાં ૪૫ કિલોમીટર દૂર નવું શહેર બની રહ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ રાજધાનીને જાકાર્તામાંથી ખસેડીને જાવા દ્વીપ પર લઇ જવાની ઘોષણા કરી છે. ચીને તેની રાજધાની બેજિંગને ફાટફાટ થતી અટકવવા માટે તેની વસ્તીની મર્યાદા બાંધી દીધી છે, અને નવી વસ્તીને હવે બીજી વસાહતોમાં વસાવવામાં આવે છે.

એ જાણવું રસપ્રદ છે કે વિકસિત દેશોની રાજધાનીઓની વસ્તી બહુ જ સીમિત છે, એટલે ત્યાંનું જીવન ધોરણ બહુ સારું છે. વોશિંગ્ટનની વસ્તી ૭,૫૦,૦૦૦ છે. બર્લિન ૩૦ લાખ લોકોની રાજધાની છે. પેરીસમાં ૨૦ લાખ લોકો રહે છે. લંડનની જનસંખ્યા ૮૦ લાખ છે અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા) ૪૦ લાખ લોકોની રાજધાની છે. દુનિયામાં ૩૬ દેશો એવા છે જેમની રાજધાનીઓની ગણના દેશના સૌથી મોટા શહેરમાં થતી નથી.

બીજો એક મહત્ત્વનો ફર્ક એ છે ભારત એક માત્ર મહાસત્તા છે, જેની રાજધાનીની આસપાસ બંદર પર નથી. લંડન અને ટોકિયો દુનિયાનાં મોટાં બંદરો છે. વોશિંગ્ટનની પડોશમાં ચેસપીકે ખાડીમાં અનેક બંદરો છે. મોસ્કો મોટી નહેરો મારફતે પાંચ સમુદ્રો સાથે જોડાયેલું છે. બર્લિનમાં ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રમાં જવાના વિશાળ જળમાર્ગો છે. પેરિસનાં બંદરો પ્રમાણમાં નાનાં છે, પણ જેન્નેવીલિયર્સ બંદર ખાસું અસરકારક છે.

રાજધાની તરીકે દિલ્હીની પસંદગી, કલકત્તા કે મુંબઈની જેમ, તેના વાણિજ્યના કારણે નહીં, પણ ભૌગોલિક રીતે તે કેન્દ્રમાં હોવાથી થઇ છે. એક જમાનામાં દિલ્હી કરતાં તો પટના, મથુરા કે વારાણસીમાં વાણિજ્યની વધુ સુવિધાઓ હતી. નવી દિલ્હીનો પાયો ભારતના તત્કાલીન શહેનશાહ જ્યોર્જ પંચમે નાખ્યો હતો અને બે બ્રિટિશ આર્કિટેક્સ સર હર્બટ બેકર અને સર એડવિન લૂટિયન્સે તેનું પ્લાનિંગ કર્યું હતું. ૩૧ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવીને નવી રાજધાની તરીકે નવી દિલ્હીનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકાર આ લૂટિયન્સ દિલ્હીમાં રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાનું નવનિર્માણ કરી રહી છે. ૨૦૨૪માં તેનું ઉદ્ઘાટન થશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,0732,0742,0752,076...2,0802,0902,100...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved