Opinion Magazine
Number of visits: 9573440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (46)

સુમન શાહ|Opinion - Opinion|15 December 2020

= = = = કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે = = = =

= = = = મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ = = = =

‘કોરોના’, ‘કોવિડ-૧૯’, ‘માસ્ક’, ‘લૉકડાઉન’ – આ ૪ શબ્દોમાંથી બને કે ‘માસ્ક’ અને ‘લૉકડાઉન’ માટે કોઈ કોઈ ભાષામાં તેના અનુવાદો થઈ શક્યા હોય. પણ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’ તો ઘણા હઠીલા તે દુનિયાની એકોએક ભાષામાં એવા ને એવા ચૉંટી ગયા છે. સાવ અનનુવાદ્ય. અનુવાદ કરવાની ચેષ્ટા પણ ન કરવી જોઈએ.

આ ક્ષણે મને યાદ આવે છે એક પ્રસંગ. આપણા એક હૉંશીલા વિવેચક ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ વિશે વ્યાખ્યાન આપી રહ્યા’તા. એમણે એ શીર્ષકનો અનુવાદ કરી નાખેલો – ‘બૂઢો અને સાગર’. વ્યાખ્યાન દરમ્યાન કંઈ કેટલીયે વાર બોલેલા, ‘બૂઢો અને સાગર’. એમને ‘અર્નેસ્ટ હૅમિન્ગ્વે’-માંના ‘અર્નેસ્ટ’-નો અનુવાદ જડ્યો તો હશે – ‘ગમ્ભીર’, ‘નિષ્ઠાવાન’, ‘આગ્રહી’, પણ ખંચકાયા હશે, અને ‘હૅમિન્ગ્વે’-નો તો નહીં જ આવડ્યો હોય, બીજું શું ! એમને જો વ્યાખ્યાનમાં ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ વર્જિનિયા વૂલ્ફ’ બોલવાની જરૂર પડી હોય તો તેઓ તેનું શું કરે? ‘કોણ ડરે છે વર્જિનિયા વૂઉલ્ફ…’ ‘વૂલ્ફ’ પાસે અટકી ગયા હોત કેમ કે, એમને ખબર કે એટલે તો, ‘વરુ’ ! એમની રસવૃત્તિ કેળવાયેલી એટલે સમજે કે વર્જિનિયા વરુ ન હોય, ન હોવી જોઈએ. શીર્ષકનો અનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત થાય ત્યારે આ બરાબર કહેવાય, વ્યાખ્યાન કે વાતચીતમાં જરૂરી નથી.

દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો અનેક કારણોસર, આ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’-ની જેમ, ઘૂસી જાય અથવા કહો કે પ્રવેશ પામે, એ એક સ્વાભાવિક ઘટના છે. આપણી ગુજરાતી ભાષામાં જ સંસ્કૃત અને અરબી-ફારસી મૂળના તો ખરા જ પણ અગણિત અંગ્રેજી શબ્દો ઘૂસીને એટલા તો ઓળઘોળ થઈ ગયા છે કે એમ બોલવું ય વ્યર્થ ભાસે છે. આપણે ‘ટેબલ’ માટે ‘મેજ’ શોધી તો કાઢ્યો પણ એ યે પર-ભાષા, ફારસીમાંથી આવેલો છે ! ‘યુનિવર્સિટી’ માટે ‘વિદ્યાપીઠ’ ‘કૉલેજ’ માટે ‘મહાશાળા’ સારા અનુવાદો છે, સંસ્કૃત છે, પણ વપરાય છે કેટલા? કોઈ વાપરવા જાય તો ભૉંઠો પડી જાય છે. આ ‘કોરોના-કોવિડ’-નું કશું ન કરશો, પ્લીઝ.

કોઈ માતા-પિતાએ પોતાની દીકરીને ‘કોરોના’ નામ આપ્યું ને કોઈ બીજાં મા-બાપે પોતાના દીકરાને ‘કોવિડ’ -એ રીતે બને કે કોરોના-આફ્ટરમાથમાં એ બન્ને શબ્દોને વ્હાલ કરવાનું આપણને સૌને મન થઈ આવે. માનવજાત એ અર્થમાં ઘણી સ્થિતિસ્થાપક છે.

એક વાત ઉમેરું. અમારી દશાલાડ વાણિયાની નાત. આમ તો અમે બધા ‘શાહ’, પણ લગભગ દરેક કુટુમ્બની એક વિશિષ્ટ, વધારાની અટક છે. સાંભળો, બહુ રમૂજ થશે : ઘાઘરીવાળા. હાથપગવાળા. ઉંદેડીવાળા. બે-માથાંવાળા. ટૂંકાવાળા. અમારી અટક, દીવાસળીવાળા. એટલે એવું બને કે ભવિષ્યમાં અમુક કુટુમ્બો પોતાને ‘કોરોનાવાળા’ કે ‘કોવિડવાળા’ કહેવરાવે – બચી ગયા હોય, એટલે … આ મુશ્કેલ સમયમાં આવી રમૂજને ભલે બ્લૅક હ્યુમર કહેવાય પણ ન કરવી જોઈએ …

પર-ભાષાના એવા પ્રવેશથી કોઈની માતૃભાષાનો નાશ નથી થતો. અંગ્રેજી જેવી પર-ભાષાના શબ્દો વપરાય કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલે, તેથી ગભરાઈને ભાષા ‘મરવા પડી છે, મરવા પડી છે’ એમ કકલાણ કરવાનો કોઈ સાર નથી. થોડાંક શ્હૅરોનાં થોડાંક પરિવારોને અને એમનાં બાળકોને ગૉટપિટ કરવાથી સારું લાગે છે, તો ભલે કરે. પોતાની પ્રગતિ માટે એમને અંગ્રેજીની જરૂરત પડી છે. એમની સમજ બંધાઈ છે કે અંગ્રેજીના જ્ઞાનને સહારે દુનિયાભરમાં પ્હૉંચી જવાય છે. તો ભલે. પણ એ સિવાયનાં શ્હૅરો જિલ્લા કસબા ગામો અને ગામડાંથી જે 'અસલી' ગુજરાત બન્યું છે ત્યાંનાં મનુષ્યો તો બધો જ જીવનવ્યહાર ગુજરાતીમાં કરે છે. ૭.૦૪ કરોડના ગુજરાતમાં કોની ગુજરાતી ક્યાં ને શેને મરી ગઈ? કોઈ સમજાવો તો …

A girl finding the definitions of 'Man' and 'Woman' in the dictionary. [Courtesy: Latestly]

મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ.

પોતાને પૂછવાનું કે મને કેટલાં ક્રિયાપદો કે ક્રિયાવાચી પદો આવડે છે. જો આવડતાં હોય તો ચિન્તા નહીં કરવાની ને સમજી લેવાનું કે ગુજરાતી ભાષા જીવે છે, મરી નથી. જાતને કહેવાનું કે હું પણ છું, પતી નથી ગયો.

મને કેટલાંક વાક્યો સૂઝ્યાં (તમને પણ સૂઝી શકે) ને વિશ્વાસ બેઠો (તમને પણ બેસી શકે) કે મને (તમને પણ) ભાષા જોડે અને ભાષાને મારી જોડે (તમારી જોડે પણ) બનતર છે, બન્નેનું સ્વાસ્થ્ય સારું છે, બન્ને જીવે છે.

આ રહ્યાં એ વાક્યો :

જગુએ ચૂંટણી જીતવા બહુ ‘દાવપેચ કર્યા’ પણ ‘પાસા પોબારા ન પડ્યા’.

રમા-રમેશ એકમેકમાં એવાં ‘ઓળઘોળ થઈ ગયાં છે’, શું ક્હૅવું …

એ ટોળકીએ સામાવાળાઓની ખાસ્સી ‘મારપીટ કરી’.

તમે પશાભૈ, નાહકની ‘હડિયાદોટ કરો છો’, કશું ‘લાભવાના નથી’.

એને તો આપણી દરેક વાતમાં ‘છીંડાં શોધવાની’ કટેવ છે.

સોહને રમણને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ત્યારથી ખોટું કરવાની ‘ખો ભૂલી ગયો’.

પછી રમાએ ‘મને-કમને સ્વીકારી લીધું’ કે જે છે, એ બરોબર છે.

છગન જોઈને ન્હૉતો ચાલતો તે ‘અડવડિયું ખાઈને પડ્યો’.

મગનને મંગુ ક્યાંયે દેખાઈ નહીં તે ‘રઘવાયો થૈ જ્યો’.

પોતાને એમ પણ પૂછવાનું કે મને (તમને પણ) કેટલા શબ્દો આવડે છે – મારું (તમારું પણ) શબ્દભંડોળ કેવુંક છે.

મને કેટલાક શબ્દો સૂઝ્યા ને ભરોસો બેઠો કે વાંધો આવે એમ નથી, ચાલશે.

આ રહ્યા એ શબ્દો :

અલ્લડ. કામુક. ઘૅલો. લૂગડું. બળદિયો. સુપરત. મલગોબો. ફોદું. પાણિયારી. ઝડતી. રકઝક. ઝાકમઝોળ. ઢેફું. રાતવાસો. આંગણું. મહેતાગીરી. રોકકળ. લાપરવાહી.

થયું કે વગેરે વગેરે મને ઘણા આવડે છે, ચાલશે.

કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે. હા, છાપામાં ‘કોરોના’ ને ‘કોવિડ-૧૯’ વારે ઘડીએ જરૂર ભટકાશે, પણ જોડણીકોશમાં કદાચ હવે પછીનાં વરસોમાં…

= = =

(December 14, 2020: USA)

Loading

Political Ideology of BJP: Pragya Singh Thakur

Ram Puniyani|English Bazaar Patrika - OPED|15 December 2020

Pragya Singh Thakur is no ordinary member of BJP, the ruling dispensation in the country. She is a MP from Bhopal and was also made the member of defense committee before she was removed from that committee for her statement hailing Nathuram Godse. She first came to lime light after the Malegaon blasts, in which six people were killed. Hemant Karkare, the police officer who was killed in 26/11 (2008) attack was investigating the case and he came across the fact that the motor cycle used in Malegaon blast was previously owned by Thakur. That led to her arrest and unearthing of the plot in which many were arrested. She is currently under bail on medical grounds.

Then she came to prominence as she stated that Karkare had tortured her and it is due to her shap (curse) that Karkare got killed. Under pressure from top, she withdrew this statement. After this she went to state that Nathuram Godse was a nationalist, is a nationalist and will remain a nationalist. Again she was pressurized to withdraw this statement, and Mr. Modi even said he will not be able to forgive Thakur.

Latest in the series of her statement come the one about Varna system. On one hand she stated (on 13 12 2020) that “shudras “feel bad” when they are called shudras due to “ignorance” about the social system. Addressing a gathering of the Kshatriya Mahasabha, Thakur said that society has been divided into four categories in “our dharmashastra (social treatise)”. In the same vein she commented that “Today’s kshatriya  need to understand their duties and produce more and more children to induct them into the Armed Forces so that they can fight for the nation and strengthen its security.”

It is likely that she may be pressurized once again to withdraw these utterances of hers’, but it is not just incidental that what she says is the part of deeper understanding of sectarian nationalists. Despite the meticulous investigation of Karkare, what is being propagated currently that it was the UPA II which wanted to implicate Hindu right wings groups. Two of RSS workers have been in jail for the blasts around that time. Many of those against whom cases were going on, were given bail or exonerated. The reason for this has been that the prosecuting authorities have been told to go soft on these cases. Rohini Salian the Public Prosecutor (PP) in Mumbai court stated this and she refused to budge. Thereby she was removed as PP.

As far statement about Godse is concerned they are so many from the cabal of Thakur who have been openly celebrating Godse, temples in his name are coming up. Even that act of assassination of Gandhi was recreated by Poonam Pandey of Hindu Mahasabha on 30th January 2019.

Caste Varna has been the thorn in the flesh of this sectarian nationalist ideology. While Ambedkar burnt Mausmriti for its prescriptions of Varna and Gender hierarchy, the second Sarsanghchalak of RSS, M.S. Golwalkar praised the laws of Lord Manu and stated that these ancient laws are matter of admiration even today. RSS mouthpiece Organizer criticized the Indian Constitution on the ground that it does not draw from the great laws given in Manu Smiriti and many from Hindu nationalist argued that India does not need a new Constitution as it already has the one, Mausmriti.

The dilemma for this sectarian ideology is to keep talking in the language which should appear to fit into the contemporary times, to keep giving lip service to the Indian Constitution, while doing everything to undermine it in practice. While demonizing Muslims has been the starting point of consolidating Hindus and mobilizing them but keeping dalits in subjugation as a strategy has been more complex.

Ambedkar aimed at caste annihilation, the ideology of Hindu nationalism has floated ‘Samajik Samrasta Manch’ (Social Harmony Forum). The projection here is that in ancient times all castes were equal and living in harmony. It was due to coming of Muslims, who wanted to convert and as natives offered resistance, were displaced leading to castes becoming unequal. Mr. Modi in his book, Karmayog, since withdrawn, tells us that Manual scavengers are not doing so just for the sake of livelihood but for the spiritual pleasure which they derive from that. The process of social engineering, in co-opting the sections of dalits into Hindutva political fold has been very deep, and dalit-Adivasis have even been used as foot soldiers of Hindu nationalist politics.

BJP has also succeeded in incorporating many dalit leaders by luring them with power. What Pragya Singh Thakur says is not out of the sync with what the ruling dispensation and RSS plan. It is a question what to say and what to mean. Closest analogy may be that of Elephant’s teeth, what is seen, shown and what is visible is different from the real one. The biggest challenge for this ideological organization is to take the name of Gandhi while keeping Godse alive in their ideology. Keeping caste-Varna system alive, while mouthing equality, is their aim.

As far as Khstriyas producing more children, it is being heard for the first time in a loud and clear manner. So far different RSS Chiefs have opposed family planning programs on the ground that Muslims don’t follow it, Hindus follow it so the Muslim population will go up. Most of these celibate propagators so far have been advising Hindu women to produce more children. Thakur is bringing forth the Varna, among Hindus and saying that Khstriyas (Warrior group) should produce more children. This is novel. Whether this will also be followed by the recruitment policies of the armed forces will become clear over a period of time.

It is the ilk of Thakur which shows us the deeper agenda of sectarianism, it is not only marginalizing of minorities, it is also aims at putting up the show of Hindu unity, while retaining the caste/Varna hierarchy.

Loading

આંદોલન, શાસન અને પ્રજાજન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 December 2020

આ લખી રહ્યો છું ત્યારે ઓગણીસ દિવસથી અણથંભ્યો કિસાન ઉઠાવ બરકરાર છે અને કેન્દ્ર સરકારની ભરચક કોશિશ છતાં તે સમેટાવાનું નામ લેતો નથી. આ કોશિશમાં જેમ ખાસો મોડો પડેલ વિનયઅનુનય છે તેમ ખાલિસ્તાની, પાકિસ્તાની, દેશદ્રોહી ને નક્સલ તરેહના આળકારણનો રાબેતો પણ છે. અહીં બહુ ગવાયેલ ત્રણ કાયદાની કે ખેડૂતોની માંગની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે સરકારે અભદ્ર અધીરાઈ અને અણઘડ ઉતાવળથી હંકારવાનો રવૈયો લેતાં શું લીધો પણ હવે એ એનો ભાર વેંઢારી રહી છે.

હમણાં આળકારણની જિકર કરી તે બાબતે અહીં બે શબ્દો કહેવા લાજિમ છે. મુક્ત ચર્ચાની પૂરા કદની ગુંજાશ વિનાની લોકશાહી એક પા રાજમહેલાતી રાજકારણને સારુ તો બીજી પા ભોમભીતર હિલચાલ સારુ સુવાણ સરજતી હોય છે. માનવ અધિકારને અનુલક્ષીને બંધારણીય મોકળાશમાં ચાલવી જોઈતી ચર્ચા અને ચર્યા પરત્વે વળતા આળકારણની રીતે સત્તાવાર પેશ આવવું એ શોભીતું જ નહીં સલાહભર્યું પણ નથી. ‘રુલ ઑફ લૉ’ની ધોરણસરની બાલાશ જાણવી અને બ્રાન્ડિંગની ગેરધોરણી રૂખ અપનાવવી એમાં લોકતંત્રને હિસાબે પથ્યાપથ્યવિવેક અપેક્ષિત છે. રણોદ્યત કિસાન જમાવડાને પોતા પૈકી કેટલાકથી (કેમ કે એમણે માનવ અધિકાર દિવસે સંદિગ્ધ શૈલીએ જેલમાં નખાયેલાઓ વિશે નિસબત પ્રગટ કરી) કિનારો કરવાનું સૂઝી રહ્યું એ આ બ્રાન્ડિંગથી બચવા સારુ હશે એમ સમજાય છે. પરંતુ, એક પછી એક પકડાતા ગયા ત્યારે હું ન બોલ્યો; પણ છેવટે જ્યારે મને પકડવા આવ્યા ત્યારે મારે વિશે બોલવા કોઈ ન બચ્યું એ યુગબોધ હાલના પ્રભાવક ઉઠાવને હોવો જોઈશે.

ગમે તેમ પણ, આવતીકાલે માનો કે ખરું ખોટું પણ સમાધાન થઈ ગયું કે ઉઠાવવીરો થાક્યા અને સરકારની જિત જેવો દેખાવ થયો તો પણ સુધરે નહીં એ હદે વાસ્તવિક શાસન અને પ્રશાસન-પ્રજાજન પરત્વે અપેક્ષિત પારસ્પર્યનું ટાંચું પડ્યું તે પડ્યું એવા હાલ છે.

જે તે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નના મૂળમાં વ્યક્તિશઃ નહીં જતાં પારસ્પર્યના મુદ્દે કુંઠા અને પ્રતિઘાતનું આ જે ચિત્ર ઉપસે છે એમાં સર્વાધિક બહાર આવતું કોઈ એક વાનું હોય તો તે એ છે કે આ સરકાર જે તે સમુદાય સહિત વ્યાપક પ્રજાવર્ગ સાથે સંવાદમાં માનતી નથી. એની આ સંવાદશૂન્ય ‘મન કી બાત’ની તરાહ ને તાસીરનો કોઈ એક જ નાદર નમૂનો ટાંકવો હોય તો મે ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન એકવાર પણ વડા પ્રધાને સત્તાવાર પત્રકાર પરિષદ યોજવાપણું જોયું નથી. પ્રસંગે એ લાંબીલચ તકરીર કરી શરૂશરૂમાં હેરતઅંગેજ પેશ આવ્યા એ ખરું; પણ એક તરફી વક્તવ્યચર્ચા એ એમનો સિગ્નેચર ટ્યુન બની રહી છે. ચીનના મામલે જવાહરલાલ નહેરુની ગૃહમાં હાજરી અને ચર્ચામાં દરમિયાનગીરી સાથે નમોની હાજરી અને દરમિયાનગીરી સરખાવી જુઓ એટલે લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે ચાલવો જોઈતો સંવાદ કઈ હદે બાષ્પીભૂત થઈ ગયો છે તે સમજાઈ રહેશે.

જવાહરલાલ સાથેનો આ પેરેલલ અહીં શૂળ પેઠે સાંભરી આવ્યો તે એટલા વાસ્તે કે નવા સંસદભવનનું ભૂમિપૂજન કરતાં નમોએ બોલવું ને સાંભળવું એ લોકશાહીના કાળજાની કોર છે એવું વિધાન ઘટતા આવર્તનભેર કર્યું હતું – અને તે પણ આ જ દિવસો અને આ જ કલાકોમાં ! સંકેલાતે અઠવાડિયે ઉદ્યોગધંધાના ફિક્કી જમાવડામાં એમણે કોર્પોરેટ થેલીશાહોને કૃષિવિભાગમાં વધુ ને વધુ રોકાણ કરી સરકારને (અને કિસાનોને) સહાયરૂપ થવા કહ્યું, કેમ કે ‘નીતિસે ઔર નિયતસે’ અમે કિસાન કલ્યાણને વરેલા છીએ. પણ, પૂરતી ચર્ચા વિના પરબારા લદાયેલા કૃષિકાયદા બાબતે ખેડૂત છેડેથી ફરિયાદ છે કે તમે અમને કોર્પોરેટ પરિબળોને હવાલે કરી રહ્યા છો. હવે સરકાર આ જ કોર્પોરેટ મંડળીને કહે છે કે તમે કૃષિક્ષેત્રે રોકાણમાં ઓર આગે બઢો!

આ આગેકૂચમાં નડે છે શું. પૂછો નીતિ આયોગને. આયોજન પંચનો વીંટો વાળી દેવાયો અને અંતરીક્ષેથી સહસા નીતિ આયોગે ઉતરાણ કીધું ત્યારે દેશજનતાને વિધિવત્‌ જે કહેવાયું હતું તે યાદ છે? આપણને કહેવામાં આવ્યું હતું કે નીતિ આયોગ આ દેશની સર્વાગ્ર વિચારમજૂસ (પ્રિમિયર પૉલિસી થિંક ટૅંક) છે, અને તે જોશે કે રાષ્ટ્રીય વિકાસનું એક સહિયારું દર્શન ઉત્ક્રાન્ત થતું ચાલે અને દેશમાં સહયોગી સમવાયતંત્ર ખીલતું આવે.

આ સહિયારું દર્શન આજે સમુક્રાન્તિના કિયે તબક્કે છે, વારુ. તમે અને હું વિમાસણની વનરામાં રખે ને ભૂલા પડીએ એની દાઝ જાણીને હોય કે અન્યથા પણ નીતિ આયોગના વહીવટી વડા અમિતાભ કાન્ત એક પ્રેમશૌર્યસિક્ત (શિવલરસ) વીરની પેઠે સહસા પડમાં પધાર્યા છે અને એમણે કહ્યું છે કે આપણે ત્યાં લોકશાહીનો અતિ પ્રવર્તે છે … વાલામૂઈ એ સુધારાને ભરખી જાય છે. કેન્દ્ર સરકારે અને સત્તાપક્ષે રાજ્યે રાજ્યે આ ત્રણ કાયદાની સમજૂત આપતા સંવાદો યોજવાનો અભિગમ રહીરહીને હાથ ધર્યો છે ત્યારે બિલકુલ એ જ ટાંકણે સરકારી નીતિ આયોગે વ્યક્ત કરેલ આ માનસિકતામાં શું વાંચવું, સિવાય કે લોકો આપણને સૂંડલામોંઢે મત આપે તે પૂરતું છે. જનતાએ તો આપણને ચૂંટી કાઢીને પોતાનું અવતારકાર્ય કરી નાખ્યું છે … દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે!

આ માનસિકતા અને આ અભિગમ કથિત ખેડૂતહિતૈષી સુધારા સુધ્ધાંના હિતમાં નથી. એટલું જ નહીં, છેલ્લાં છ વરસમાં એવા સંખ્યાબંધ કાયદા ને નીતિવિષયક નિર્ણયો થયા છે જેમાં સત્તાપક્ષે ન તો વિપક્ષ સાથે વિગતે વિચારવિનિમય કર્યો છે, ન તો નાગરિક સમાજ સાથે વિમર્શની દરકાર કરી છે.

યુ.પી.એ. શાસનમાં જે બે મોટી વાત બની આવી તે માહિતી અધિકાર અને મનરેગાની હતી. સત્તાના મેદ અને કાટની પરિસ્થિતિમાં મુકાયેલા કૉંગ્રેસ કાર્યકરોએ આ બે જ મુદ્દે ખરેખાત મચી પડવાપણું જોયું હોત તો એકંદર સમાજમાં ચયાપચય અને રુધિરાભિસરણની રચનાત્મક રાજનીતિમાં એમનું નિર્ણાયક યોગદાન હોત અને સ્વરાજની વડી પાર્ટીને છાજતું જીવનદાન બલકે નવજીવન પણ તે બની રહ્યું હોત.

કૉંગ્રેસનું તો જે થવાનું હશે તે થશે, પણ અભૂતપૂર્વ સંખ્યામાં સ્વયંસેવી કાર્યકરોનો દાવો કરતા ભા.જ.પે. સીધા લોકસંપર્કની શૈલીને સ્થાને જે કેન્દ્રીય કન્ટ્રોલ તળેની લગભગ મોનોલોગી શૈલી વિકસાવી છે તે વસ્તુતઃ એની અભૂતપૂર્વ જેવી સંસદીય બહુમતીયે અહેવાલનારૂપ છે. કૉંગ્રેસમુક્ત ભારત અને કૉંગ્રેસયુક્ત ભા.જ.પ.નો એનો વર્તમાન વ્યૂહ હાલપૂરતો એને ફળતો લાગે તો પણ સરવાળે આપણી લોકશાહી માટે અને વડા લોકશાહી પક્ષ તરીકે એને ખુદને માટે વિપરીતપરિણામી પુરવાર થશે.

નમો ભા.જ.પ.ની બીજી પારીની શરૂઆતના ગાળામાં શાહીનબાગ અને કિસાન ઉઠાવ એ બે ચાલુ પક્ષોથી ઉફરી મોટી ઘટનાઓ બની. બંનેને વિધાયક પ્રતિસાદ આપી શકાયો હોત તો ભા.જ.પ. અને ભારત બેઉને ફળી શકે, પણ …

ડિસેમ્બર ૧૪, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 01-02

Loading

...102030...2,0552,0562,0572,058...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved