Opinion Magazine
Number of visits: 9573175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણને પાટે ન ચડાવવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 December 2020

કોરોના જોર પર હતો ત્યારે જ લોકડાઉન ઉઠાવી લેવાયું ને ધીમે ધીમે બધા જ વ્યવહારો ચાલુ થયા ને એકંદરે બધું થાળે પડવા માંડ્યું. વેપારધંધા શરૂ થયા, શેરમાર્કેટ ઊંચકાયું, સેન્સેક્સ, સોનાના ભાવો ઊંચે ગયા, સરકારી પેકેજો જાહેર થયા, વિદેશની આવનજાવન વધી, બળાત્કાર, ખૂનો વધ્યાં, રેલ આવી, વાવાઝોડાં ધમક્યાં, ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરીક્ષાઓ લેવાઈ, એડ્મિશન્સ અપાયાં, ફીનાં ઉઘરાણાં નીકળ્યાં, પણ સ્કૂલો ને કોલેજો બંધની બંધ જ રહી. કોરોના આખા દેશમાં વકર્યો, પણ તે શિક્ષણને સૌથી વધારે નડ્યો.

એવું પણ લાગે છે કે સરકારની જ ઈચ્છા એવી નથી કે સ્કૂલ, કોલેજો ખૂલે. સરકાર અત્યારે પોતાનું ભલું કરવા માંગતી હોય એવું પણ લાગે છે. જેમ કે, જાન્યુઆરીથી સ્કૂલો નહીં ખૂલે એવું તો બાપોકાર જાહેર કરી દેવાયું છે. તે સાથે એવું પણ જણાવાયું છે કે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને  પ્રાથમિક શિક્ષકો ચૂંટણીનાં કામમાં રોકાયેલા હશે એટલે ત્યારે સ્કૂલો શરૂ કરવાનું મુશ્કેલ બનશે. થયું ! ટૂંકમાં ફેબ્રુઆરીમાં પણ સ્કૂલો શરૂ કરવાની દાનત સરકારની જણાતી નથી. આ દેશમાં લાખો શિક્ષિત બેકારો છે, એમને યોગ્ય વળતર આપીને ચૂંટણીનાં કામમાં જોતરી જ શકાય, પણ સરકાર વર્ષોથી શિક્ષકોનો ઉપયોગ કરીને તેઓ શિક્ષણથી દૂર કેવી રીતે રહે તેની વેતરણમાં રહે છે જે કોઈ રીતે શિક્ષણના હિતમાં નથી જ !

ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો તે કેટલાંકને મળ્યું નથી, તો કેટલાંકને માફક પણ નથી આવ્યું. આંખોનાં ખેંચાવાની ને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમને ફાવ્યું છે એમના વાલીઓને નથી ફાવ્યું. એક જ કુટુંબમાં બે કે વધુ બાળકો માટે લેપટોપ કે મોબાઈલ કે નેટની વ્યવસ્થા કરવાનું ઘણા કુટુંબોને મુશ્કેલ થયું છે. યુનિટ ટેસ્ટનું નાટક ચાલે છે એમાં વિદ્યાર્થીએ, શિક્ષકે પહોંચાડેલાં પ્રશ્નપત્રોનો નક્કી કરેલા દિવસોની મર્યાદામાં, ઉત્તરવહીમાં ઉત્તરો આપવાના છે ને એ ઉત્તરવહી પહોંચાડવાની જવાબદારી વાલીઓ પર નખાઈ છે. આ ઉત્તરો વિદ્યાર્થી કેવી રીતે આપે છે એની ચિંતા શિક્ષણ વિભાગે કરી નથી. વિદ્યાર્થી ઉત્તરો પુસ્તક કે ગાઈડમાં જોઈને લખે છે કે વાલીઓ તેને ઉત્તરો લખાવે છે કે યાદશક્તિને આધારે લખે છે તે નક્કી કરનારું કોઈ પરિબળ સક્રિય નથી, કારણ ત્યાં સુપરવિઝન થતું નથી. આવા ઉત્તરો પરથી પરિણામ અપાય તે કેટલાં વિશ્વસનીય હોય તે સમજી શકાય એમ છે.

વારુ, બધા વિષયોની ટેસ્ટ લેવાતી નથી એટલે જે વિષયો બાકી રહી જાય છે તેનાં મૂલ્યાંકન અંગે કોઈ વ્યવસ્થા જણાતી નથી. બીજી મહત્ત્વની વાત એ કે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષકે શીખવ્યું તે વિદ્યાર્થીને પહોંચ્યું કે નહીં, તે શિક્ષક જાણી શકતો નથી કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષકને પૂછી શકતો નથી. ઓનલાઈન શિક્ષણના આ એકતરફી પ્રયત્નોથી પણ ઘણા વિદ્યાર્થીઓ વંચિત છે. ગામડાંના વિદ્યાર્થીઓ તો સાધનોને અભાવે ઓનલાઈન શિક્ષણથી ને પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત છે જ, પણ શહેરી વિદ્યાર્થીઓ પણ વંચિત છે એ અંગે શિક્ષણ વિભાગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી સી.બી.એસ.ઈ. પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં લેવાની વાત કરે છે. બીજી તરફ ગુજરાતનાં શિક્ષણ મંત્રી બોર્ડની પરીક્ષાઓ મેમાં લેવાની વાત કરે છે. એક તરફ પરીક્ષાઓ લેવાની વાત છે તો બીજી તરફ માસ પ્રમોશન આપવાની વાત પણ ચર્ચામાં છે, એમાં ક્યાં ય પ્રત્યક્ષ શિક્ષણની કે સ્કૂલ, કોલેજો ચાલુ કરવાની વાત નથી. કોરોનાની રસી આવી નથી એ સ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજોમાં બોલાવી શકાય નહીં એવો તર્ક આગળ કરાય છે ત્યારે નજીકના ભવિષ્યમાં સ્કૂલ, કોલેજો ચાલુ થવાનાં એંધાણ વર્તાતાં નથી. આ બધું છતાં મેમાં બોર્ડની પરીક્ષાઓ લેવાનું શિક્ષણ મંત્રી ભારપૂર્વક કહે છે. ભણાવવાનું અનેક રીતે ગૂંચવાયેલું છે, પણ પરીક્ષાઓ લેવા બાબતે શિક્ષણ વિભાગ મક્કમ છે. એમાં પરીક્ષાની કશી પણ ગંભીરતા નથી. પરીક્ષાનું નાટક ચાલે છે. જવાબો ગમે તેવી ભ્રષ્ટ નીતિથી આપો તેનો વાંધો નથી.  ટૂંકમાં પરીક્ષામાં પરીક્ષા સિવાય બધું જ છે. ભણાવાય કે ના ભણાવાય તેની ચિંતા નથી, પણ પરીક્ષા ન ચુકાવી જોઈએ એવું શિક્ષણ વિભાગ માને છે. એ મુદ્દો આગળ જતાં આવવાનો છે કે ભણાવાયું નથી તો પરીક્ષા શેની લેવાની? આ મુદ્દો વિદ્યાર્થીઓ ને વાલીઓ ઉઠાવે તેવી પૂરી શક્યતા છે ને આ વેપલામાં શૈક્ષણિક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તે અંગે વિચારાતું નથી.

એમ લાગે છે કે વર્ષ બગડે એની કોઈને જ ખાસ પડી નથી. સરકાર આ મામલે પૂરી બેફિકરાઈથી વર્તી રહી છે. જો બોર્ડના વિદ્યાર્થીઓનું કે કોલેજનાં અંતિમ વર્ષનાં અભ્યાસુ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગાડવું હોય ને કોઈની કેરિયર દાવ પર ન લગાવવી હોય તો, એટલાં પૂરતી પણ સ્કૂલ કોલેજો શરૂ કરવી જોઈએ. બાકીનાં ધોરણો અંગે માસ પ્રમોશનનું ભલે વિચારાય, પણ  બોર્ડની પરીક્ષાઓ ને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષાઓ ને શિક્ષણ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ. કોરોનાનું જોખમ ટળ્યું નથી એ સાચું, પણ સ્કૂલ, કોલેજ સિવાય બીજે ક્યાં ય વિદ્યાર્થીઓ પર પાબંદી ન હોય તો સ્કૂલ, કોલેજો પૂરતા જ વિદ્યાર્થીઓને રોકવાનું કોઈ રીતે ડહાપણ ભરેલું લાગતું નથી. મોડામાં મોડી સ્કૂલ, કોલેજો મકર સંક્રાંતિ પછી તરત જ શરૂ કરી દેવી જોઈએ. એને માટે એકસ્ટ્રા કેર લેવી પડે તો તે લઈને અને કોરોના સંબંધી બધી જ સાવચેતી રાખીને સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવી જોઈએ. એમાં તથ્ય ન લાગતું હોય તો ભણાવવાનું કે પરીક્ષાનું નાટક પૂરેપૂરું બંધ કરીને આખું શૈક્ષણિક વર્ષ રદ્દબાતલ જાહેર કરી દેવું જોઈએ કે ભણવાની કે પરીક્ષાની અનિશ્ચિતતામાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ને અધ્યાપકો રાહત અનુભવી શકે.

સરકાર ફીમાં રાહતની, પરીક્ષાઓની, ઓનલાઈન શિક્ષણની જે વ્યવસ્થાઓ ઉભડક જીવે કરી રહી છે એમાં શૈક્ષણિક વર્ષ માંડી વાળવાથી સૌથી વધારે રાહત કદાચ તેને જ થશે.

હા, એવું જરૂર લાગે છે કે વર્ષ બચાવી શકાય એમ છે. અહીં થોડાં સૂચનો છે. સરકાર એ અંગે વિચાર કરી શકે.

1. બોર્ડના વર્ગો અને કોલેજનાં મહત્ત્વનાં અંતિમ વર્ષો પૂરતું શિક્ષણ મોડામાં મોડું જાન્યુઆરી 15થી શરૂ કરી શકાય.

2. રવિવાર સિવાય બીજી તમામ રજાઓ રદ્દ કરીને ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઇન શિક્ષણ સઘન રીતે શરૂ કરવું.

3. શનિવારે અડધો દિવસ ચાલતી સ્કૂલો પૂરા દિવસ માટે ચાલે.

4. ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ સાથે જ શરૂ કરી શકાય ને જેમને જે ફાવે તે વિકલ્પે શિક્ષણ મેળવી શકે.

5. ધારો કે બધા જ ઓફલાઇન શિક્ષણનો આગ્રહ રાખે છે તો પણ વાંધો ન આવે, કારણ અન્ય વર્ગો બંધ હોવાથી તે વર્ગો ખાલી હશે. એ વર્ગોનો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ને અન્ય તકેદારી રાખીને ઉપયોગ કરી શકાય. એને માટે વધારાના શિક્ષકોની જરૂર પડે, તો નજીકના સમયમાં નિવૃત્ત થયા હોય એવા શિક્ષકોને યોગ્ય વળતર આપીને તેમને નિમંત્રી શકાય અથવા જે શિક્ષકોનો વર્ગખંડમાં ઉપયોગ નથી થવાનો તે શિક્ષકોને પણ આ કામમાં જોડી શકાય.

6. કોર્સ થોડો ઘટાડવો પડે તો તે ઘટાડીને અસરકારક શિક્ષણ અપાય ને એવી જ અસરકારકતાથી પરીક્ષા પણ લેવાય. સામાન્ય સંજોગોમાં જે સ્તરે પરીક્ષા લેવાતી હોય તેમ લેવાય ને એ જ રીતે પરિણામ પણ અપાય, ગયા માર્ચની પરીક્ષામાં 5 ગુણની સામે 21નું ગ્રેસિંગ અપાયું એવી જીવદયાની રીતે નહીં !

7. આવનારું વર્ષ કોરોનાને કારણે અસર ન પામે એટલા માટે બધાં જ વેકેશનો એકદમ જ ટૂંકાવાય એ અનિવાર્ય બનવું જોઈએ.    

વહીવટી મુશ્કેલીઓ પડશે, પણ આ ન થઈ શકે એવું નથી. હા, વાલીઓ ને વિદ્યાર્થીઓ તથા સંબંધિતો થોડી કાળજી લે ને વર્ષ બચાવવા તૈયાર થાય તો બધું નોર્મલ થઈ શકે એમ છે. જે ચાલે છે એ જ ઉત્તમ લાગતું હોય તો આ વર્ષનો બગાડ આવનારા વર્ષમાં પણ ખેંચાશે ને ત્યારે બધું સરભર કરવું અઘરું બનશે. રસી આવી નથી, આવશે પછી પણ વિદ્યાર્થીઓને જ તરત અપાશે એવું નક્કી નથી. રસીની બાબતમાં વિદ્યાર્થીઓ પહેલી પ્રાયોરિટી નથી જ, એટલે રસી વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચશે એ નક્કી નથી. બને કે એને મહિનાઓ લાગે ને ત્યાં સુધીમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જાય ને વિદ્યાર્થીઓ આજની જેમ જ ત્યારે પણ સ્કૂલ, કોલેજ વગરનાં જ હોય એમ બને. વળી રસી કારગત નીવડશે જ એવું પણ અત્યારે ભાખી શકાય એમ નથી. ઈચ્છીએ કે એમાં સફળતા મળે, પણ ડહાપણ ભરેલું અત્યારે તો વર્ષ બચાવવાનું જ લાગે છે. જો વિદ્યાર્થીઓનું હિત હૈયે વસતું હોય તો પૂરી સાવચેતી સાથે વહેલી તકે સ્કૂલ, કોલેજો શરૂ કરી દેવી જોઈએ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 25 ડિસેમ્બર 2020

Loading

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 December 2020

હૈયાને દરબાર

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં!

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં!

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં!

તારા ગયા પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં!

જોઈ અટૂલી મ્હેક સમય પૂછતો ફરે –
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં!

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં!

•   કવિ: રાજેન્દ્ર શુક્લ   •   સંગીતકાર: હરેશ બક્ષી-સુરેશ જોશી

ડિસેમ્બર મહિનાની ફૂલગુલાબી ઠંડીમાં ગઝલ એ એક હૂંફાળો અહેસાસ કરાવે છે. ઠંડી, મદહોશ રાતે ગઝલ સાંભળવાનું શરૂ કરો એનો નશો મનને તરબતર કરી દે છે.

ગઝલ એ સાહિત્યનું અદ્ભુત સ્વરૂપ છે. ગઝલના એક શેરની બે પંક્તિમાં ઘણું બધું કહેવાઇ જાય છે. સમજે બધા પોતપોતાની શક્તિ મુજબ. ગુજરાતી ભાષામાં કેટલાક ગઝલકારોએ સુંદર ગઝલોનું સર્જન કર્યું છે અને એ ગઝલ કર્ણપ્રિય સુરાવલિઓમાં ઘૂંટીને આપણા સંગીતકારોએ ગેય ગઝલ રૂપે આપણી સમક્ષ મૂકી. ગઝલના મુખ્ય ત્રણ તબક્કા, જેમાં પંડિત યુગ, શયદા યુગ અને આધુનિક યુગનો સમાવેશ થયેલો છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત ગઝલકારોએ ખેડાણ કર્યું છે તો યુવા ગઝલકારોની ગવાતી ગઝલોનું પ્રદાન પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે. જાણીતા અને વરિષ્ઠ ગઝલકારોમાં મરીઝ, શૂન્ય, ઘાયલ અને બેફામ પછી કેટલા ય આધુનિક ગઝલકારો જેમ કે જલન માતરી, આદિલ મન્સૂરી, અદી મિરઝા, શેખાદમ આબુવાલા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, મનોજ ખંડેરિયા, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ,  હેમેન શાહ, સુરેન ઠાકર ‘મેહુલ’, હનીફ સાહિલ, હર્ષદ ચંદારાણા, અદમ ટંકારવી, રાજેશ રેડ્ડી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અશરફ ડબાવાલા જેવા ગઝલકારોની ગઝલ ગવાઈ છે, તો એ પછીની પેઢીના ગઝલકારો હિતેન આનંદપરા, મૂકેશ જોષી, દિલીપ રાવલ, સંજય પંડ્યા, સંદીપ ભાટિયા અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડ્યા સહિત અનેક ગઝલકારોએ સુંદર ગઝલો લખી છે અને એ ગવાઈ પણ છે. મહિલા કવયિત્રીઓ પણ હવે પાછળ નથી. પન્ના નાયક, ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, યામિની વ્યાસ, પારુલ મહેતા, આશા પુરોહિત જેવી અનેક કવયિત્રીઓએ ગઝલ ક્ષેત્રે ખેડાણ કર્યું છે.

શીર્ષકમાંની જે ગઝલ છે; ‘આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં …’ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લે અદ્ભુત લખી છે. રાજેન્દ્ર શુક્લની ગઝલો આધુનિક ગઝલની ભાષા અને કલ્પનોમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત વૃત્તોનો અને તત્સમ શબ્દોનો ઉપયોગ ગઝલને નવું પરિમાણ બક્ષે છે. હરેશ બક્ષીના રાગ ચંદ્રકૌંસ પર આધારિત આ ગઝલને બંસરી યોગેન્દ્રે કંઠ આપ્યો છે. સુરેશ જોશી પણ આ ગઝલને સ્વરબદ્ધ કરીને ગાય છે.

એકાદ વ્હેંત દૂર કિનારે રહ્યા કર્યું
શ્વાસોના શ્વેત અશ્વ પછી છોડવા પડ્યા

ઉદય મઝુમદારે કમ્પોઝ કરીને ગાઈ છે.

આજે કેટલીક ગવાયેલી ગઝલોની જ વાત કરવી એટલે એનો જ ઉલ્લેખ કરીએ.

હિતેન આનંદપરાની ગઝલ

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે
એ વિનાની સર્વ વાતો તર્ક છે

આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરી છે તથા બીજી ગઝલ

પોતાનું કહી શકાય જે એ ગામ છે ગઝલ
ખુદની નજીક આવવાનું કામ છે ગઝલ

નયનેશ જાનીના સ્વરાંકનમાં રજૂ થઈ છે. મૂકેશ જોશીએ લાજવાબ ગીતો ઉપરાંત ગઝલો લખી છે જેમાં,

આંખમાંથી શું ઝરે છે શી ખબર
જે દિવસ છોડી દીધું તારું નગર

પણ નયનેશ જાનીએ સ્વરબદ્ધ કરી છે.

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે, ને ત્યારે સાલું લાગી આવે અને જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં લોકપ્રિય થઈ છે.

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને
મન છે ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને

તથા

તમે શ્યામ રૂપ લો તો

પછી આભ થઈને વ્યાપો … જેવી દિલીપ રાવલની ગઝલોને રૂપકુમાર રાઠોડે સંગીતબદ્ધ કરીને ગાઈ છે. લલિત વર્મા અને રઈશ મનીઆરે હઝલ પણ લખી. હઝલ એટલે હાસ્ય ગઝલ. રઈશની એક હઝલ સોલી કાપડિયા સરસ રજૂ કરે છે.

પન્નીને પસ્ટાય તો કે’ટો ની
વાહણ જો અઠરાય તો કે’ટો ની

અમના ટો પ્યાર જાણે રેહમની ડોરી
પછી એના પર લૂગરાં હૂકવાય તો કે’ટો ની…!

ગુજરાતી ગઝલે આજે ભાષા, ભાવ, છંદ અને ચિંતનના નવા ઉન્મેષો દાખવીને કાઠું કાઢ્યું છે. આધુનિક સંવેદનશીલતા આવકાર્ય છે પણ ગઝલના આંતર સ્વરૂપની ઉપેક્ષા ન કરી શકાય એ સમજણ પણ વિસ્તરતી રહી છે. જો કે પ્રયોગખોરી ક્યારેક ગઝલના સ્વરૂપને નષ્ટ કરે છે છતાં એટલું અવશ્ય કહેવાય એ ગઝલના આધુનિક કાળમાં ગઝલની એક નવી હવાની લહેરખી આવી છે. ગઝલ સાથે સંકળાયેલા અન્ય પ્રકારો વિશે પણ ઉલ્લેખ કરીએ તો ગઝલ પછી લોકપ્રિય કાવ્યપ્રકાર રુબાઈ છે. રુબાઈમાં વિષયની કોઇ મર્યાદા નથી. ઈશ્ક, મોહબ્બત, પ્યાર અને તત્ત્વજ્ઞાન રુબાઈનો વિષય બની શકે છે. નઝમ પણ એક કાવ્ય પ્રકાર છે. ૧૯મી સદીની આખરમાં એક વિશેષ કાવ્ય પ્રકાર તરીકે નઝમો લખાવા માંડી હતી. ઉર્દૂ કાવ્યમાં મહત્ત્વ, વિસ્તાર અને પરિણામની દૃષ્ટિએ ગઝલ પછી નઝમ આવે છે. ગુજરાતીમાં પણ ગઝલકારોએ નઝમ લખી છે. સૈફ પાલનપુરીની સૂનો ઝરૂખો એક ઉત્તમ નઝમ છે. ગઝલ, મુક્તક, રુબાઈ, નઝમ પછી ગુજરાતીમાં તઝમીન કાવ્ય પ્રકાર પણ ક્યારેક જોવા મળે છે. કોઈ શાયર બીજા કોઈ પ્રખ્યાત શાયરની એક પંક્તિ પોતાની ગઝલમાં લે અને તેના પર બીજી પંક્તિ એના જેવી જ બનાવે જેથી બંને પંક્તિ વચ્ચે સુમેળ જળવાઈ રહે એ તઝમીન કહેવાય છે. પંડિત યુગની સરખામણીએ આજે છંદોબદ્ધ રચનાઓ ઓછી જોવા મળે છે. ગઝલોમાં નવી આબોહવા સર્જાઈ છે. નયન દેસાઈની જાણીતી ગઝલ ડબલ કોર્ડ્સ સાથે લખાઈ છે જે આશિત દેસાઈએ સરસ કમ્પોઝ કરી છે:

માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે … એક લયબદ્ધ ગઝલ છે. વર્ષો સુધી આકાશવાણી સાથે સંકળાયેલા શાયર અને ગીતકાર કિરીટ બારોટે એક સુંદર ગઝલ લખી છે,

મંઝિલ મળે કે ના મળે તલાશ જારી છે
છે ખબર કે આ દિશા દિશા તમારી છે …

આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયે સરસ સ્વરબદ્ધ કરીને ગાઈ છે. હર્ષદ ચંદારાણાની આ ગઝલ સાંભળવાલાયક છે;

થીજ્યાં જળ ને ઠંડા સૂરજનો સમન્વય આંખ સામે
છે મહા પાષાણનો કોમળ પરિચય આંખ સામે

ને અચાનક ગાઢ ધુમ્મસનો અહીં પડદો પડે છે
મિત્ર વહાલો ખોઈ બેઠો હું હિમાલય આંખ સામે

આ ગઝલ સ્વરબદ્ધ કરીને ગાઈ છે ઉદય મઝુમદારે.

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના
ઊકલી શકો તો લોહીનો અજવાસ મોકલું

હનીફ સાહિલની આ સુંદર ગઝલ રાગ મધુવંતીમાં સ્વરબદ્ધ કરીને ગાઈ છે સોલી કાપડિયાએ. ‘નાદાન’ની પણ એક ગઝલ સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે જેના શબ્દો છે;

રણની ભૂમિમાં ખચિત કંઈક તો કસ લાગે છે
જ્યાં હું મૃગજળને નિહાળું કે તરસ લાગે છે …!

ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ એ આમ તો શયદા યુગના ગઝલકાર, પરંતુ ગઝલના આધુનિક કાળમાં ૧૯૯૫ પછી તેમણે ઘણી ગઝલો લખી. ૧૯૫૪માં એમણે એક શબ્દ પર ગઝલની શરૂઆત કરી જેમાં રસ્તો અને બારીની ગઝલ ખૂબ લોકપ્રિય થઈ હતી. એ પછી ઘણા ગઝલકારોએ આ પ્રકારની ગઝલ લખવાનું શરૂ કર્યું હતું. "આવી એક શબ્દની ગઝલની શરૂઆત મેં કરી હોવા છતાં મને એનો યશ ન મળ્યો, કારણ કે ૧૯૬૮માં આ ક્ષેત્ર છોડી દીધું હતું. પછી જો કે ૧૯૯૫માં લખવાનું શરૂ કર્યું અને ‘રજ રજ અચરજ’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો. હું અનુભૂતિનો અને તગઝ્ઝુલનો શાયર છું એટલે મૃત્યુની અનુભૂતિની ગઝલો પણ લખી છે. નાદાને એક મુલાકાતમાં આ વાત કરી હતી.

શોભિત દેસાઈની કેટલીક ગઝલો પણ સ્વરબદ્ધ થઈ છે જેમાં મનહર ઉધાસે ગાયેલી ગઝલ સુંદર છે,

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ જે
તું આવ દોસ્ત તારા સમ રાત બહુ ઉદાસ છે….!

આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરેલી અને ગાયેલી શોભિત દેસાઈની અન્ય બે ગઝલો છે, શુષ્ક થઇને એમને જુઓ અરે, લાગણીઓ આવો તરજુમો અરે તથા જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો, અરે લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો!

મેઘબિંદુની એક સુંદર ગઝલ બાગમાં ટહુકો છળે તો શું કરું, લાગણી ભડકે બળે તો શું કરું તથા સુરેન ઠાકર ‘મેહુલ’ની કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે છે પણ કર્ણપ્રિય ગઝલો છે.

ગઝલ ક્ષેત્રે ઉદયન ઠક્કરનું પ્રદાન નોંધનીય છે. ઉદયન ઠક્કર બહુશ્રુત કવિ છે. ક્યારેક એવું કંઈક લખી નાખે કે આપણે દાદ આપવી જ પડે. ઉદયન ઠક્કરની,

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે…
ગઝલને સોલી કાપડિયાએ ગાઈ છે. ઉદયન ઠક્કરની આ ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ છે,

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

વિવિધ પ્રકારોમાં વહેંચાયેલી ગુજરાતી સંગીતની ગઝલયાત્રામાં નવા, જૂના, નીવડેલા ગઝલકારોનો ઘણો સમાવેશ કરી શકાય એમ છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગીતકવિ રાજેન્દ્ર શાહે ‘પંચપરવા’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો છે એ બહુ ઓછાને ખબર હશે. રામ વૃંદાવનીના નામે એમણે ગઝલ અને નઝમ લખી છે. શયદા એવોર્ડ વિજેતા હેમેન શાહે પણ ગઝલની ઉપાસના કરી છે. કલ્પનની તાજગી અને અભિવ્યક્તિનું લાઘવ હેમેન શાહની ગઝલોમાં જોવા મળે છે. એમની ગઝલ તો દોસ્ત હવે સંભળાવ ગઝલ આશિત દેસાઇ સરસ કમ્પોઝ કરીને ગાય છે.

ગેય ગઝલોનું લિસ્ટ ખૂબ લાંબું થઈ શકે એમ છે, કારણ કે ઉર્દૂ પછી ગુજરાતી ભાષામાં જ ગઝલોનું જબરજસ્ત ખેડાણ થયું છે. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું.

આજે તો બસ આટલું જ. આવ્યા હવાની જેમ… હરેશ બક્ષીનું સ્વરાંકન ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી શકાશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671800

Loading

ગાંધીચીંધ્યા માર્ગે એક સ્ત્રી

ખેવના દેસાઈ|Opinion - Opinion|24 December 2020

*ગાંધીચીંધ્યા માર્ગે એક સ્ત્રી*

પૂર્વ ભૂમિકા: અન્યાય સામેની લડત કપરી અને હંફાવનારી હોય છે. ગાંધીચીંધ્યા માર્ગે ઝઝૂમતી સ્ત્રી ક્યારેક મનોમન પોતાની લડતને ગાંધી સાથે સરખાવે છે. એ વિચારને આધારે રચાયેલું કાવ્ય.

પણ એ કંઈ ગાંધીજી તો નથી
કે પોતડી બાંધી
લાકડી લઈને મચી પડે
ખુલ્લા આઝાદ મેદાને
ને મળી જાય આઝાદી
એકાદ હુક ખોલીને મોકળી છાતીએ શ્વાસ લેવા
પણ એણે તો ખાલી ખૂણો શોધવો પડે છે
પેલા ગાંધીજીને તો સારું હતું.
સાવ એકલા જ નહોતું ચાલ્યા કરવાનું
દાંડીએ દાંડીએ ….રોજ નવી દાંડી સુધી.
ટોપાવાળાને તો તોય પહોંચી વળાય
આ મહોરાંવાળા તો-
એ ય પાછા પારકા ગામના તો નહીં જ
તમે કહ્યું'તું એટલે નહીં
પણ એ એકેય ગાલ નથી ધરતી
તોય એના ગાલને
તમાચાની જોડીની ટેવ પડી ગઈ છે.
તમારા સૂત્રોએ બાંધી દીધેલા બધાંને એકસૂત્રે
એનાં સૂત્રો તો ઘણી વાર ડૂમો બનીને જ અટકી જાય છે
એકાદ દિવસ પૂરતી નહીં
પણ કલાકે કલાકે થતી હિંસા જોઈને
એનેય ઉપવાસ પર ઉતરી જવાનું મન થાય છે.
એણે તો મૌન માટે સોમવાર સાંજની રાહ પણ ક્યાં જોવાની હોય છે?
તમારા મહેતાજીથી તો વાદે વાદે હરિ-જનના વાસમાં ભજન કરવા જવાય છે
પણ અડધી રાત્રે પેલી મનીષાઓની ન નીકળેલી સ્મશાનયાત્રામાં..
બાપુ જેવા પ્રયોગો તો કર્યા જ કરે છે એ પણ,
પણ દરેક પ્રયોગનું સત્ય
બદલાઈ જાય છે.
દરેકનું જુદું, દરેક માટે
તમારે તો કાપી નાખવાનો હતો સો-બસો વરસ જૂનો પીપળો
એણે તો સદીઓ જૂના બાવળને છેક મૂળિયેથી…
લાગશે, વાર લાગશે
એને હજુ હુક ખોલતાં વાર લાગશે 
પ્રિટોરિયા જતાં સ્ટેશન પર ફંગોળાઈ તો છે પણ
પહેલા વર્ગમાં જ બેસવાની ટેક હજુ લીધી નથી.

Loading

...102030...2,0472,0482,0492,050...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved