Opinion Magazine
Number of visits: 9573416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના કાળના એક શિક્ષકનાં લેખાં-જોખાં

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

કેટકેટલું લઈ લીધું આ કોરોનાએ …પણ એનાં ગણિત અહીં નથી લગાડવા. એક જ અફસોસ વ્યક્ત કરવો છે કે વર્ગ નામે મારું સ્વર્ગ પડાવી લઈને જાણે શાપિત યક્ષની જેમ પૃથ્વી પર પટકી દીધો મને આ કોરોનાએ ..

વર્ષ શરૂ થાય ને નવાં નવાં યુવાન વિદ્યાર્થી મિત્રોને જોવા આંખો રીતસરની વાટ જુએ … એક પછી એક નવા મિત્રો સાથે પરિચય કેળવાતો જાય ને જૂના મિત્રો સાથેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બનતો જાય …

જે કંઈ નવું નવું કરવાનું મન થાય તે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીએ કે તરત બધાં ખડે પગે હાજર … એમની તત્પરતા જ મારામાં જોમ પૂરે …

હા .. ભણાવતા ભણાવતા હૈયે દાટી રાખેલી કેટકેટલી વાતો સૌથી નિકટના સ્વજન તરીકે વિદ્યાર્થી મિત્રો સમક્ષ સહજ વ્યક્ત થઈ જાય .. ગત વર્ષે વનાંચલ ભણાવતે ભણાવતે મારું વનાંચલ પણ ભણાવી દીધેલું .. ને ભીની આંખોની કોરને લૂછતાં મારાં મરદ મુછાળા વિદ્યાર્થીઓએ કહેલું કે, ‘સાહેબ, અમે બે વનાંચલ સાથે ભણ્યા ને એટલે જ ત્રીજા અમારા જીવનના વનાંચલને પણ સારી પેઠે સમજી શક્યા …'

રાપર જેવા નગરમાં જ્યાં સાહિત્યિક કાર્યક્રમો ભાગ્યે જ યોજાય ત્યાં જયંત પાઠકની શતાબ્દી વંદનાનો કાર્યક્રમ કર્યો ત્યારે કોઈ વડીલે હસતાં હસતાં પૂછેલું કે જયંત પાઠક કોનાં સગાં થાય ? એ ભાઈ જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓની તૈયારીઓ જોઈને આભા બની ગયેલા … એક એક વિદ્યાર્થીને પોતાનાં સ્વજનનાં સ્મરણો વાગોળતાં હોય એમ બોલતાં જોઈ એમને સમજાઈ ગયેલું કે જયંત પાઠક અમારા શું સગાં થતાં હતાં ….

પાંચ સાત વર્ગો ભરીને હજુ તો તાજા બંધાયેલા પ્રેમ સંબંધને વ્યક્ત કરવા પરમાર ભરત નાનકડી રબારી કન્યાનું શિલ્પ બનાવી ભેટ ધરે ત્યારે હાથની સાથે હૈયું પણ ભરાઈ જાય … ચૂપચાપ બેસી રહેતાં મિત્રો ધીરેધીરે બોલવાનું શરૂ કરે ને પછી તો એટલે સુધી વાત પહોંચે કે મારે કશું બોલવું ન પડે ને એ સમજી જાય … પ્રહ્લાદ પારેખની 'પછી તો ના વાતો .. ' પંક્તિ  મારા માટે જીવતી થઈ જાય …

વર્ગમાં નરસિંહ, મીરાં ભણતાં ભણાવતાં કોઈ પ્રકાશ જેવા ભજનિક નીકળી આવે. મુખ્ય વિષય ગુજરાતી ન હોય ને છતાં એમાં બહુ રસપૂર્વક કામ કરે એવા મિત્રોને જોઈએ ત્યારે હૈયે ટાઢક વળે ને ભાષાની સઘળી ચિંતાઓ ખરી પડે.

વર્ગમાંથી વહેલા ઘરે જતાં કોઈ મિત્રને કારણ પૂછતાં માથે હાથ મુકાઈ જાય ને ખબર પડે એ તાવથી ધગધગે છે. પગે ક્યાં ચાલ્યા એમ પૂછતાં તો પુછાઈ જાય પણ તરત યાદ આવે કે એના ખિસ્સામાં રાખેલી  દસની નોટ તો સવારે વપરાઈ ગઈ હશે …. ઈબ્રાહિમને દોડાવીને એક્ટિવા પર બેસાડી એને દવાખાને દવા લઈ ઘરે પહોંચતો કરીએ .. ને  સાંજે ખબર પૂછવા ફોન કરું ત્યારે love you sir કહીને પોતાનો સઘળો ભાવ વ્યક્ત કરી દેતા એ ભાઈબંધને જોયે કેટલો બધો સમય થઈ ગયો !

સાહેબ, આપણે ગણેશ ઉત્સવ કરીશું, નવરાત્રિમાં આ વખતે કંઈક નવું વિચારીએ … એન્યુઅલ ફંક્શન તો જોરદાર કરીશું … આવા દરેક સંવાદોમાં છલકાતો વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચાવી ગયો આ કોરોના ….

હાર્દિક ને એમની મંડળી જાણે અમારી હનુમાનમંડળી … આ મંડળી જ મારું બાહુબળ. કોઈ દિવસ કોઈ વિશેષ કપડાં પહેરીને જાઉં તો બધા સ્ટાફ રૂમમાં જોવા આવે … અમારી સાથે ફોટો પડાવોને કહી હું જાણે સેલિબ્રિટી હોઉં એવું ફીલ કરાવે … હું પણ એમ કરવા દઉં એમના રાજીપા માટે …

આજે તો બહુ ઠંડી છે ચાલોને અગાસીમાં તડકે બેસીને ભણીએ … એવું કોઈ બોલે ને અમે  નભમંડપની નીચે ગોઠવાઈ જઈએ. એકબીજાંમાં ઘૂસીને બેઠેલાં ને વચ્ચે વચ્ચે અડપલાં કરતાં એ મિત્રો વિના અગાસી સૂની પડી છે.

કોલેજમાં પગ મુકતાની સાથે ગુડ મોર્નિંગ સર, કહી વળગી પડતાં એ વિદ્યાર્થીઓ વિના કોલેજ ફૂલો વિનાના બગીચા જેવી લાગે છે.

હજુ તો આ કથા કંઈ એમ સંકેલાય એમ નથી. પણ આવા સંજોગોમાં અંદરનો શિક્ષક જૂના દિવસોને ઝંખે જરૂર પણ ચૂપચાપ બેસી તો ન જ રહે … ઓનલાઈન શિક્ષણની નવી પદ્ધતિમાં ઝડપથી ગોઠવાઈ જઈ એમ તો એમ વિદ્યાર્થીઓ સમક્ષ થયા વિના તો કેમ રહેવાય …

જ્યારે બધા ઓનલાઈન શિક્ષણમાં ગોઠવાઈ રહ્યા હતા, ત્યારે રાપર કોલેજ દ્વારા વર્ગોનો આરંભ થઈ ગયેલો … એક બહુ મોટો ફાયદો એ થયો કે હવે કોલેજના સીમાડા ઓગળી ગયા, વર્ગની ભીંતો પડી ગઈ ને એમાં પ્રવેશી ગયા ભુજ, આદિપુર, અમદાવાદ, ગઢડા જેવી કેટલી ય કોલેજના મિત્રો … પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ વિદ્યાર્થીઓનો સંગ મળ્યો એનો રાજીપો … એ બધા સાથે મૈત્રી કેળવાતી ગઈ ..  બહારના મિત્રોમાં ઘણાં ઉત્સાહી મિત્રો મળ્યા … એમની સાથે ભણવા-ભણાવાની મજા પડતી ગઈ. એ લોકો એટલાં પોતીકા થઈ પડ્યાં કે એ જાતે વર્ગો લેતાં થઈ ગયા. કેટલાં ય ઓનલાઈન કાર્યક્રમો કર્યા.  એક દિવસ તોલાણી કોલેજના એક આવા મિત્રનો ફોન આવ્યો, સાહેબ, ઘરે છો ?  ઘરે આવું ? મેં કહ્યું, જરૂર આવો. આવ્યા, મળ્યા. એક જ મિનિટમાં પાછા જવાની વાત કરી તો મેં કહ્યું કે કેમ આટલી વારમાં ? તો કહે મારી પાસે બિલકુલ સમય નહોતો પણ નિલપર પાટિયું જોયું તો તમને જોવાની ઈચ્છા રોકી ન શક્યો … હું માત્ર તમને જોવા જ આવ્યો હતો .. ક્ષણાર્ધમાં બાઈકથી સરકી જતાં એ પ્રિન્સ વાઘેલાની આંખોમાં વાંચતો પ્રેમ આ કોરોનાની જ ભેટ !!!!

કોરોનાના કારણે જ કાવ્યાસ્વાદ શ્રેણી ચલાવવાનું સૂઝ્યું ને પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી પણ એની જ સોગાદ…

નવા મિત્રોનો પ્રવેશોત્સવ પણ ઓનલાઈન થયો ને ઓરીએન્ટેશન પણ થયું ઓનલાઈન … નવા સિત્તેર જેટલાં મિત્રોનું એડમિશન થયું પણ એમાંથી વીસેક જેટલાં મિત્રો નિયમિત વફાગમાં જોડાય. બાકીના આવે જાય એવું થાય …

થોડું નવું નવું કરવાનું મન થયા કરે ને વિદ્યાર્થીઓ એને શબ્દશઃ ઝીલે પણ ખરા … આદરણીય મહેન્દ્રસિંહ પરમાર સાહેબ કેટકેટલું સાહિત્ય ઓડિયો વીડિઓ રૂપે ધરતાં જાય છે એ જોઈ વિદ્યાર્થીઓ પણ એવું કંઈક કરે એવું  વિચારી અસાઈનમેન્ટના રૂપમાં આ કામ સોંપ્યું ને વિદ્યાર્થીઓએ જે કરી બતાવ્યું તે જોઈ હરખથી છાતી ફાટફાટ થાય છે.

ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘વિદિશા’ના નિબંધોમાંથી ને સ્વામી અને સાંઈના પત્રોમાંથી વિદ્યાર્થીઓ પસાર થાય ને એમની આવડતનો ઉપયોગ કરી એને નવલાં રૂપરંગે તૈયાર કરે એવી ઈચ્છા વ્યક્ત કરી જેનાં સુફળરૂપ કેટલાંક વીડિયો … જોવાં સમ છે …

અવાજના જાદુગર હુશેન હોય કે ભાવભીનાં નરેન્દ્ર, મેરિયા પ્રકાશ હોય કે નાનકડા લખમણ. અંગ્રેજી સરસ બોલતા અરવિંદ હોય કે તડપદું બોલતા મહેશ … રૂપકડા અબ્દુલ હોય કે પરમાર ભરત .. બધાએ બહુ મહેનત કરી પત્રો તૈયાર કર્યા. તો નવા આવેલા મિત્રો રવીન્દ્ર ચાવડા, હરિજન ઊર્મિલા, અમિત રાઠોડ ને એની પ્રજાપતિ પણ પાછળ ન રહ્યાં …

હિમાંશીબહેન શેલતે પણ રાજીપો વ્યક્ત કર્યો આ બધું જોઈને.

આ બધા વીડિયો યુટ્યુબ પર મુકીશું. એક ડોક્યુમેન્ટ તૈયાર થશે. શેષ રહેતાં પત્રો બીજા અધ્યાપક મિત્રો તૈયાર કરાવે તો બધું મોબાઈલવગું થઈ જશે.

ફરિયાદના સૂર કરતાં આનંદની આ ક્ષણો વહેંચવી વધુ ગમે છે.

આ કથા ખૂટે તેમ નથી, પણ અહીં અટકું કોરોનાને એટલું કહીને કે તું જલદી જાજે જેથી મારું સ્વર્ગ મને પાછું મળે … મારા શાપનો સમય જો પૂરો થયો હોય, તો ફરી મને એ આનંદલોકમાં વિહરવાની અનુમતિ આપ .. હા … તેં જે આપ્યું છે એનો ઉપકાર પણ જિંદગી નહિ ભૂલાય. ને છતાં ઈચ્છા તો એ  જ રહેશે કે મારો જૂનો સમય ક્યારે પાછો જીવતો થાય …..

સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી આંતરીને સાભાર

Loading

જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, જ્યારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2021

અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના અન્નેનબર્ગ પબ્લિક પોલિસી સેન્ટરે કરેલા આ સર્વેમાં અમેરિકન લોકોમાં કોરનાને લઈને કારસ્તાનની ત્રણ મુખ્ય શંકાઓ હતી : એક, ચીનની સરકારે તેની જૈવિક શસ્ત્રોની નીતિ હેઠળ લેબોરેટરીમાં કોરોના વાઈરસને પેદા કરીને છોડ્યો હતો. બે, યુ.એસ. સરકારના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જીતીને ન આવે તે માટે કોરોનાનો વધારે પડતો હાઉ ઊભો કર્યો હતો, અને ત્રણ, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ તેમની દવાઓ અને પાછળથી રસીઓ વેચવા માટે આ મહામારી ઊભી કરી છે.

દુનિયાના લગભગ દરેક દેશમાં, કોરોનાને લઈને લોકોમાં જાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. દિલ્હીમાં તબલીગી જમાતના સંમેલનનો ફિયાસ્કો થયો, તે પછી આખા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે એ સંમેલનનો હેતુ જ કોરોના ફેલાવવાનો હતો. મીડિયાએ તેના માટે ‘સુપરસ્પ્રેડર’ શબ્દ ઘડી કાઢ્યો હતો. હવે એ શબ્દ ગાયબ થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને ભારતીય ન્યૂઝ ટેલિવિઝન પર બે મહિના સુધી રોજ એક નવી ‘થિયરી’ આવતી હતી.

અમેરિકાના ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર અનુસાર, કોરોનાના ઉદ્ભવને લઈને ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા પર ૧૨ લાખ વખત માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનું નામ સંડોવામાં આવ્યું હતું. કેમ? બિલ ગેટ્સે ૨૦૧૫માં વાનકોવરમાં યોજાયેલી ટેડ કોન્ફરન્સમાં સીધી જ ચેતવણી ઉચ્ચારી હતી કે, “આગામી થોડા દાયકાઓમાં કોઈ યુદ્ધ નહીં, પણ અત્યંત ચેપી વાઈરસના કારણે એક કરોડથી વધુ લોકો મરી જશે.” ગેટ્સનું ફાઉન્ડેશન એઈડ્સ અને બીજી મહામારી માટે થઈને આખા વિશ્વમાં કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન રોગોના અભ્યાસ પણ કરે છે, પરંતુ ‘વાંકદેખ્યા’ લોકોએ એવો કુતર્ક કર્યો કે ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમને કોરોનાના કારસ્તાનની આગોતરી જાણ હતી અને તેમનું ફાઉન્ડેશન કોરોનાની રસી વેચવા અને માઈક્રોચીપ બેસાડવા સક્રિય છે.

બિલ ગેટ્સ સાથેના જ એક પોડકાસ્ટમાં, ઇઝાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ કહ્યું હતું કે આપણી સામે કોરોના વાઈરસ કરતાં ય સૌથી વધુ મોટો ખતરો કારસ્તાનની આવી થિયરીઓનો છે. તેમણે કહ્યું હતું કે જૂઠ અને કલ્પનામાં ફર્ક એ છે કે જૂઠમાં તમને ખબર હોય કે તે સત્ય નથી, છતાં તમે બીજા લોકોને છેતરવા માટે તેને ફેલાવો, જયારે કલ્પનામાં તમને વિશ્વાસ હોય અને બીજા લોકો તેને માને એટલા માટે તેને ફેલાવો. દાખલા તરીકે, ધર્મમાં કે ઈશ્વરના અસ્તિત્વમાં માનવું એ જૂઠ નથી, કારણ કે તેમાં ઈરાદો બીજા લોકોને છેતરવાનો નથી, પરંતુ જર્મનીમાં નાઝી શાસકોની વંશીય થિયરી (કે એક જાતિનું લોહી શ્રેષ્ઠ છે અને બીજી જાતિનું કનિષ્ઠ છે) શુદ્ધ રૂપે જૂઠ અથવા કારસ્તાન હતું.

સવાલ એ છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વૈજ્ઞાનિક જાણકારી છે, આપણે પ્રમાણમાં ઘણા શિક્ષિત છીએ, આપણી પાસે ટેકનોલોજીઓ છે, છતાં આપણે એવું કેમ માનવા પ્રેરાઈએ છીએ કે ચીની લોકોએ વિશ્વગુરુ બનવા માટે વાઈરસને છોડીને દુનિયાને નમાવી દીધી છે અથવા દવા કંપનીઓએ ભેગા થઈને રોગનું કારસ્તાન કર્યું છે?

તેનું એક કારણ છે કે મોટા ભાગના લોકોને સાદી રીતે સમજમાં આવે તેવી વાતો વધુ સાચી લાગે છે. આપણા દિમાગની આ એક વિશેષતા છે. આપણે દિમાગને દુનિયાનું સૌથી કાર્યક્ષમ અને સૌથી વિકસિત ‘યંત્ર’ ગણીએ છીએ, જે સાચું પણ છે, પરંતુ જ્યારે પરસ્પર વિરોધાભાસી માહિતીઓ આવતી હોય અથવા ગૂંચવાડાભરી પરિસ્થિતિ હોય, ત્યારે દિમાગ સૌથી સુસંગત જાણકારીને સાચી માની લે છે. આપણને અનિશ્ચિતતા ગમતી નથી. જગત જટિલ છે તે સાચું, પરંતુ આપણા માટે રોજેરોજ જગત સાથે પનારો પાડવાની અનિવાર્યતા હોય છે, એટલે એ જરૂરી બની જાય છે કે ગમે તેવી જટિલતા હોય, પણ આપણે તેને ‘આપણી રીતે’ બોધગમ્ય બનાવીને નિત્ય જિંદગી જીવતા રહીએ.

દાખલા તરીકે, કોરોના વાઈરસને લઈને એટલી બધી વિરોધાભાસી જાણકારીઓ છે (વૈજ્ઞાનિકો પણ એકરાર કરે છે કે તેમની પાસે હજુ વાઈરસના વર્તનને લઈને સંપૂર્ણ માહિતી નથી) કે મોટા ભાગના લોકો નિષ્ણાતોની જેમાં કપાળ પર આંગળી મુકીને વાઈરસનું વિજ્ઞાન શું છે, કોરોના કેવી રીતે વિકસ્યો હશે, તેની પહેલી જાણ કોને થઇ હશે, ચીનના વડાનો પહેલો પ્રતિભાવ શું હતો, ચીને બીજા દેશોને શું જાણ કરી હતી, વગેરે સવાલોનું વિશ્લેષણ કરવા બેસી રહેતા નથી.

તેના કરતાં ‘આ ચાઇનીઝ લોકો દુષ્ટ છે અને તેમને મહાસત્તા બનવું છે એટલે વાઈરસનું કારસ્તાન ઘડ્યું છે’ એવી વાત આસાનીથી સમજમાં આવે તેવી હોય છે. બીજું એક કારણ એ છે કે લોકો તેમની સમજને અનુકૂળ આવે તેવી વાત વધુ સ્વીકારે છે. દાખલા તરીકે, ચીન પ્રત્યે અમેરિકામાં વધુ નફરત છે એટલે ‘ચીનનું કારસ્તાન છે’-વાળી વાત અમેરિકનો વધુ માને. પાકિસ્તાનમાં ચીન માટે પ્રમાણ દુશ્મનાવટની ભાવના ઓછી છે એટલે ત્યાં આ થિયરીને હસી કાઢવામાં આવે.

વાસ્તવિકતા જ્યારે અસ્પષ્ટ અને અણધારી હોય ત્યારે આપણે સહજ રીતે એવું માનવા પ્રેરાઈએ છીએ કે તે ઘટના પાછળ કોઈ યોજના હશે. આપણે તેમાં અકસ્માતની કલ્પના કરી શકતા નથી. દાખલા તરીકે જેના કારણે પોણા બે કરોડ લોકો માર્યા ગયા હોય અને જે છેલ્લા એક વર્ષથી દુનિયાના તમામ દેશોને ધમરોળી રહ્યો હોય તેવો વાઈરસ એક સાધારણ અકસ્માત કેવી રીતે હોઈ શકે?

આપણે સ્કૂલમાં હતા ત્યારે આપણને ન ગમતા છોકરાઓ કે છોકરીઓ આપણી સામે કોઈ કાવતરું ઘડી રહ્યા છે એવા વિચારને પંપાળવાનું આપણને ગમતું હતું. ઘર કે ઓફિસ બહાર પાર્ક કરેલી આપણી કારના બોનેટ પર કોઈએ તીક્ષ્ણ વસ્તુથી કોઈ અક્ષર પાડ્યો હોય, તો તે મસ્તી-મજાકનું પરિણામ છે તેવું માનવાને બદલે આપણે તેમાં ‘છૂપો’ સંદેશો શોધવા પ્રયાસ કરીએ છીએ : મને હેરાન કરવા માટે હશે? મને ધમકી હશે?

કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ છુપી રીતે અમુક કામોને અંદાજ આપી રહ્યો છે તે વિચાર એટલો તાકતવર છે કે વૈજ્ઞાનિકોથી લઈને ઓફિસનું મેનેજમેન્ટ કે એક સરકાર આવી રીતે ષડ્યંત્રકારી તરીકે કોઈને પણ નજર આવી શકે.

કારસ્તાનની થિયરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેને (સાચી નહીં) ખોટી સાબિત ન કરી શકાય! જો કોઈ એમ કહે કે બિલ ગેટ્સ જેવો માણસ એમાં સામેલ ન હોય, તો તેની સામે દલીલ એવી આવે કે એ તો તમને ગેટ્સ ફાઉન્ડેશને પૈસા આપીને ખરીદી લીધા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો વિશાળ ચાહક વર્ગ એવું માને છે કે પર્યાવરણનું સંકટ એ અમેરિકા વિરોધી દેશો, ઉધોગપતિઓ અને વૈજ્ઞાનિકોએ ઊભું કરેલું તુત છે. એટલા માટે ટ્રમ્પની સરકાર ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટેની આંતરરાષ્ટ્રીય પેરિસ સંધીમાંથી નીકળી ગઈ હતી. જો બાઈડેનની સરકાર હવે તેમાં પાછી જોડાવાની છે.

આ જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઈરસને ‘ચાઇનીઝ વાઈરસ’ કહીને તેને ચાઇનીઝ કારસ્તાનનો રંગ ચડાવ્યો હતો. પ્રોફેસર યુવલ નોઆ હરારી કહે છે કે, “કોરોના વાઈરસના ઉદ્દભવને લઈને કોઈ વ્યક્તિ તમને કોઈ થિયરી ગળે ઉતારવા મથતી હોય, તો તમારે એને કહેવું કે તમે મને વાઈરસ શું છે અને એ કેવી રીતે ફેલાય છે તે સમજાવી શકો? જો તમને એક સાદી બાયોલોજીમાં સમજણ ન પડતી હોય, તો તેમની થિયરી શું કામની !”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 03 જાન્યુઆરી 2021

Loading

ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર : સંક્ષિપ્ત કાર્ય-પરિચય

રમઝાન હસણિયા|Opinion - Opinion|5 January 2021

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ‘ભારતનો જો સર્વાંગી વિકાસ કરવો હશે તો એના ગામડાંઓને વિકસિત કરવાં પડશે.’ ગ્રામોત્થાનમાં જ દેશોત્થાનનું સપનું જોનારા ગાંધીજીના આ વિચારને પોતાનો જીવનમંત્ર બનાવી, તેમના પગલે ચાલનારા કંઈ કેટલા ય લોકો ભારતના ખૂણે ખૂણે બેસીને ચૂપચાપ કામ કરી રહ્યા છે, – ગ્રામોત્થાનનું –દેશોત્થાનનું. આવું જ ખૂણે બેસીને ઝીણું કાંતનાર, સમાજના વિકાસ માટે જીવન સમર્પિત કરી દેનાર એક વિરલ વિભૂતિ એટલે મણિભાઈ સંઘવી. આવો, એમણે સ્થાપેલી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ'નો અને એની કામગીરીનો નાનકડો પરિચય મેળવીએ …

જે વયે સૌ નિવૃત્તિ ઝંખતા હોય છે, તે ઉંમરે કચ્છના એક અદના ગાંધીજન એવા મણિભાઈ સંઘવીએ મહેરામણ અને અફાટ રણથી ઘેરાયેલા કચ્છ જિલ્લાના વાગડ જેવા અતિ પછાત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વંચિત સમુદાયોના સર્વાંગી વિકાસ માટે તથા ગામડાંઓમાં સાચું સ્વરાજ લાવવા, રાપર તાલુકાના નીલપર ગામના, સોનટેકરી પરિસર પર, ‘ગ્રામ સ્વરાજ સંઘ' નામની સંસ્થા સ્થાપીને સેવાની જે ધૂણી ધખાવેલી. તેને આજે ૪૧-૪૧ વર્ષનાં વાણાં વાઈ ગયાં છે. આટઆટલાં વર્ષોમાં વિભિન્ન પ્રકારે સાતત્યપૂર્ણ રીતે સેવાકીય પ્રવૃત્તિઓનો એક અખંડ પ્રવાહ વહેતો રહ્યો છે.

ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.

સંસ્થાના જન્મ સમયે એટલે કે વર્ષ ૧૯૭૯માં હજુ તો તે પાપા પગલી માંડતી થઈ હતી, ત્યાં જ અતિવૃષ્ટિમાં વિનાશક વરસાદને કારણે થયેલી મચ્છુ હોનારત થકી જે તારાજી સર્જાઈ ને બાપુજીની આગેવાની હેઠળ સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક સેવા અર્થે દોડી ગયા. આ હોનારતે રાપર-ભચાઉ તાલુકાના પણ અનેક ગરીબ પરિવારો પાસે ભાંગ્યાં-તૂટ્યાં ઘર અને ઘાસનાં ઝૂંપડાં પણ છીનવી લીધેલાં. તે વખતે સંસ્થા પાસે સાઈકલ લેવા માટેના નાણાના પણ ફાંફા હતા, પણ આવી પરિસ્થિતિ વખતે જંપીને બેસી રહે તો તે મણિભાઈ શાના ? તરત ટહેલ નાખી … મણિભાઈની આગવી સૂઝ અને ચીવટભર્યા આયોજન તથા કાર્યનિષ્ઠાને પરિણામે ઘરવિહોણાંને ઘર બનાવી આપવા રકમો આવતી થઈ, બહુ ટૂંકાગાળામાં મણિભાઈની દીર્ઘદ્રષ્ટિને પરિણામે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.

હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરાઉપર (વર્ષ – ૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા … ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧,૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને રૂ. ૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી, તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

વાગડની આ ઊબળ-ખાબડ અને રેતાળ જમીન પિયત પાણીનો ખૂબ વ્યય કરે. તેથી પૂરતું વળતર ન મળે. તેનો ઉપાય શોધ્યો સિમેન્ટના પાઈપોથી વાડીઓમાં પાણી પહોંચાડવાનો. આ યોજના નીચે ૧૪૧ ગામોના ૧,૦૨૯ ખેડૂતોને ૪,૬૯,૭૩૩ ફૂટ સીમેન્ટ પાઇપ આપી લાખો રૂપિયાનું ઉત્પાદન વધાર્યું અને સેંકડો લોકોને રોજગારીની તક પૂરી પાડી દુષ્કાળમાં રોજગારી અર્થે થતાં સ્થળાંતરને અટકાવ્યું.

આવાં તો અનેકાનેક કામો થયાં પણ સંસ્થાના સ્થાપક મણિભાઈ સંઘવીએ પૂજ્ય માતાજીના જાણીતા વિધાન ‘તમારા કાર્યને જ તમારા વતી બોલવા દો’ને પોતાનો જીવનમંત્ર માનેલો. આ વિધાનને અનુસરીને ચૂપચાપ જે કામો થતાં રહ્યા તેની એક આછેરી ઝલક મેળવીએ.

શિક્ષણ

સમાજમાં ઈચ્છનીય પરિવર્તન લાવવા બાળકોને સુટેવોના ઘડતર સાથેની ગાંધી વિચારધારા મુજબની અનુબંધની કેળવણી આપવાના પણ મંડાણ કર્યા, તેના પરિપાક રૂપે આજે સંસ્થાના વલ્લભપુર અને નીલપર કેમ્પસના મળીને કુલ ૫૦૦ જેટલા વંચિત સમુદાયોનાં કુમાર – કન્યાઓ પ્રતિવર્ષ ઉત્તમ શિક્ષણનો લાભ મેળવી રહ્યાં છે. આ વિસ્તારના વંચિત સમુદાયોમાં કન્યા કેળવણીનું પ્રમાણ હજીએ નહિવત છે તેથી સંસ્થાએ કન્યા કેળવણી માટેનો એક વિશેષ યજ્ઞ આદર્યો છે, જેમાં સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. દાન આધારિત આ યજ્ઞમાં પ્રતિ વર્ષ ૧૨૫ બાળાઓને મફત નિવાસી શિક્ષણ આપવામાં આવે છે, ને તેની પાછળ દર વર્ષે રૂપિયા ૨૫ લાખ જેટલો ખર્ચ થાય છે.

પર્યાવરણ સુરક્ષા –

પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧,૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બાર ગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી, સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. ભારતનાં સ્થાનિક વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે દેશી વૃક્ષો જેવાં કે લીમડો, બોરડી, વડ, ગુગળ, દેશી વગેરેનું જે લોકો મુખ્યત્વે વૃક્ષો કાપીને કોલસા બનાવે છે, એ લોકોમાં વૃક્ષો ઓછાં કપાય, દેશી વૃક્ષોને સમજીને કાપે ને કોલસા માટે માત્ર ગાંડા બાવળનાં વૃક્ષોનો ઉપયોગ કરે, આ જાતના સંસ્કાર પડે, પર્યાવરણ બાબત નિસ્બત કેળવાય અને લોક જાગૃતિ વિકસે એ પણ સંસ્થાનો મુખ્ય હેતુ છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોનાં છોડ આપીને તેમ જ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.

રાહત પ્રવૃત્તિઓ –

કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશાં અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીર ભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય … બે-ચાર ઉદાહરણ લઈએ …. ઈ.સ. ૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનોને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણાં બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ. ૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧,૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.

હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪,૪૯૬ પરિવારોને તુરત સેમી-પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સીવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧,૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડાં સામે રક્ષણ આપે તેવાં પાકાં મકાનો બનાવી આપ્યાં. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧,૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું.

પોતાના વિસ્તારમાં તો સંસ્થાએ કામ કર્યું જ છે, પણ જે પ્રદેશની ભાષા પણ ન્હોતી આવડતી એવા તમિલનાડુમાં આવેલ ત્સુનામીમાં પણ સેવાર્થે દોડી જનાર સંસ્થાઓમાં આપણી સંસ્થા અગ્રેસર રહી છે. અજાણ્યા પ્રદેશમાં આરોગ્યસેવા, બાળકો માટે વિશેષ કામગીરી, રાહત છાવણીઓની સફાઈ, કામચલાઉ નિવાસોનું નિર્માણ, શાળાનું પાક્કું મકાન બાંધવું, કમ્પ્યુટર ક્લાસ ચલાવવા, તથા એન.જી.ઓ. સંકલન જેવાં અનેકવિધ મહત્ત્વનાં કામો થઈ શક્યાં તેનો આનંદ છે.

હજી તો કંઈકેટલું કહેવાનું બાકી રહી જાય છે. અરે ! હા .. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧,૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.

લોકજાગૃતિ અને લોકસંગઠન

અહીં અંતરિયાળ વાંઢો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકો યથાર્થ રીતે તેનો લાભ લઈ શકે તે માટે સંસ્થા વર્ષોથી લોકસંગઠન અને લોકજાગૃતિના કાર્ય કરે છે. ક્રાયના સહયોગ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ અહીં શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા સામાજિક બદલાવ લાવવાનો સ્ટેપ નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે. તેમનાં આ કામનું ક્ષેત્ર પણ ઘણું વિશાળ છે. તેમના પ્રયત્નો થકી ૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ શકી છે. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરવવા મથામણ ચાલે છે. ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧,૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે. ૧૪૦ વાંઢોમાં વીજળીનું જોડાણ અપાવવામાં આવ્યું છે. ૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે, જ્યારે ૭૬ વાંઢને સરકારના સહયોગથી પાકા રસ્તા વડે જોડાણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે. ૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.

સેવાકીય પ્રવૃતિઓ

ભર ઉનાળે બે માસ સુધી ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલાં ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી રહે છે.

પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …

બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીને કોઈએ પૂછ્યું કે આટઆટલાં કામ તમે કઈ રીતે કરી શક્યા ત્યારે એમણે વિનમ્રભાવે જવાબ આપેલો કે, ‘ઈશ્વરની કરુણા, સાથીઓનો સદભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટાં કામ કરાવી શકે છે …. બાપુજીના દેહાવસાન બાદ તેમનાં અનુગામીઓએ આ કાર્ય પરંપરાને જીવંત રાખી છે. આ બધું નજીકથી નિહાળવા આપ સૌ સંસ્થાની મુલાકતે આવશો તો અમને બહુ જ ગમશે ….

સૌને જય જગત ….

સૌજન્ય : રમઝાનભાઈ હસણિયાની ફેઈસબૂક દિવાલેથી સાભાર

https://www.youtube.com/watch?fbclid=IwAR2CEOq5wgfElx9z4ew7xZjRdDzHQeSvqwbkJMi9CxLTSuKE3vDaUp2ieo0&v=BWQspzqJj24&feature=youtu.be

Loading

...102030...2,0352,0362,0372,038...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved