અમસ્તા કોઈને અજમાવતો નથી,
ખોટી ભ્રમણામાં ભરમાવતો નથી.
મદદ ન કરી શકું ત્યાં મૌન રહું છું,
દશા યાદ કરાવી શરમાવતો નથી.
સંપૂર્ણ ખીલવવાના પ્રયાસ કરું છું,
પાનખરના ડરથી કરમાવતો નથી.
સમય સામે ઝઝૂમવા હિંમત આપું,
નકારાત્મક વલણથી ડરાવતો નથી.
જોહુકમી પ્રત્યે છે મને ય અણગમો,
વિનંતીના નામે હુકમ ફરમાવતો નથી.
‘હિંમતે મર્દા’ સૂત્ર સદા લલકારતો રહું,
ભયસ્થાનો દર્શાવીને ગભરાવતો નથી.
સેવા-પૂજા કરે સંપૂર્ણ નિષ્ઠાથી ‘મૂકેશ’,
મેળવવાની આશે ભોગ ધરાવતો નથી.
e.mail : mparikh@usa.com
![]()



ઉમેશ સોલંકીનાં કાવ્યો “નિરીક્ષક” તેમ જ “નિર્ધાર” સામાયિકમાં વાંચેલાં અને એક સશક્ત કવિઅવાજની પણ પ્રતીતિ થયેલી. જ્યારે ‘ફેરફાર' નવલકથામાંથી પસાર થયો, ત્યારે દલિત નવકલકથામાં હું જે ઝંખું છું તે, સાંપ્રત સમય ઝિલાયેલો નજરે પડતાં મને ગમી.
અત્યારે તો નવીપેઢીના લેખક ઉમેશ સોલંકીએ ‘ફેરફાર' નવલકથા દ્વારા જે દલિત નવલકથાની દિશા તરફ સંકેત કર્યો છે તે નોંધપાત્ર લાગ્યો છે તેની ચર્ચા કરવાની ઈચ્છા છે. વીસમી સદીના પ્રારંભે ટાગોરે હિંદુત્વની, અસ્મિતાની ખોજ કરતાં નાયકને ‘ગોરા'માં આલેખ્યો હતો. ત્યાં નવાસવાં ગ્રેજ્યુએટસ્ થયેલાં છોકરડાંઓ નિબંધ લખતાં, ચર્ચા કરતાં આલેખાયાં છે. પરિણામે ‘ગોરા’ નવલકથા વિચારપ્રધાન (novel of ideas) નવલકથા બને છે. સવર્ણ અને મધ્યમવર્ગીય સમાજ સુધી અક્ષરજ્ઞાન પહોંચેલું જે ધીરે ધીરે દલિત સમાજ સુધી પણ પહોંચ્યું. હવે દલિત વિધાર્થીઓ સરકારી હોસ્ટેલોમાં ભણતા થયાં, આંબેડકર-ફૂલે-કબીર-ગાંધી વાંચતા થયાં. તેથી શિક્ષિત દલિતોને કેન્દ્રમાં રાખીને પણ અસ્મિતાની ખોજ આલેખી શકાય તેવી પૂરી સંભાવના, શક્યતા રચાઇ છે. જેનો અભાવ મને ગુજરાતી સાહિત્યમાં ખટકતો હતો. “ફેરફાર’ નિમિત્તે એ ખોટ પૂરી થઈ છે તેનો આનંદ છે. ફેરફારને ‘ગોરા'ની અડોઅડ મૂકી શકાય તેમ છે. ગૌરમોહન હિંદુઅસ્મિતાની ખોજ કરે છે. ચુસ્ત હિંદુ બને છે. પછડાય છે. એ આયરીશ બાળક હતો કેવળ અપનાવેલો તેથી પિતા એને ધાર્મિકવિધિથી દૂર રાખે છે અને એ સત્ય જાણે છે. પછી ગૌરમોહન ઘરમાં કામ કરવા આવતી લછમનિયાના હાથનું પાણી પીવે છે! એ પૂર્વ એ લછમનિયાની ચિંતા કરતો, માન જાળવતો પણ સ્પર્શતો નહીં. ‘ફેરફાર' નવલકથામાં તો એ કહેવા માંગે છે કે અહીં તો અમે એ દૂરતાનો ક્ષણેક્ષણ અનુભવ કર્યો છે. હિંદુ સમાજનો સભ્ય (insider) ગૌરમોહન જે ઘડીએ બહારનો (outsider) છે તે પ્રતીતિ થતાં જ એની ધાર્મિક ઓળખ ખરી પડે છે. જ્યારે ‘ફેરફાર'નો નાયક પ્રકાશ વડાલિયા તો સદીઓથી અસ્પૃશ્ય-બહિષ્કૃત, બહારનો(outsider) ગણાતો દલિત છે. તેથી એણે તો હિંદુત્વના ચાબખાં દિનપ્રતિદિન ખાધાં છે. તેથી એ પોતાની આગવી ઓળખ માટે મથ છે.