Opinion Magazine
Number of visits: 9572541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિપૂર્વકના વિરોધી દેખાવો આખરે હિંસક દુર્ઘટનાઓમાં કેમ ફેરવાય છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 January 2021

ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગ છે જેની શરૂઆત તો શાંતિથી જ થઇ હતી, પણ અંત હિંસા અને અરાજકતાથી ભરપૂર હોય છે

૭૨મો પ્રજાસત્તાક દિવસ કમનસીબે લાલ કિલ્લા પર થયેલાં હોબાળા, રમખાણ, તોડફોડ અને હિંસાને કારણે પણ આપણને યાદ રહેશે. ખેડૂતોના બિલના વિરોધમાં થઇ રહેલા દેખાવો બે મહિનાથી ચાલી રહ્યા હતા, અને ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી નીકળશેની જાહેરાત થઇ. આ પરેડને દિલ્હી પોલીસે રૂટ્સ નિયત કરીને પરવાનગી આપી હતી પણ છતાં પણ સોમવારે મધરાતે નેતૃત્વહિન કેટલાંક ટોળાં ગમેતેમ કરીને લાલ કિલ્લા પર પહોંચવા માગતા હતા અને મંગળવારે સવારે સિંઘુ બોર્ડર તરફના, ઉત્તરપશ્ચિમી બેરિકેડ્ઝ તોડીને કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિનાં લોકો ટોળાંબંધ શહેરમાં આવ્યાં અને બપોરના પહેલા હિસ્સા સુધીમાં લાલ કિલ્લાની દિશાએ પહોંચ્યાં. જે પણ અરાજકતા ફેલાઇ તેને પગલે દિલ્હી પોલીસનાં ૮૩ કર્મચારીઓને ઇજા થઇ, એક સામાન્ય નાગરિક ઘવાયો અને એક ખેડૂતનું મોત પણ થયું. જે દેખાવો શાંતિથી કરવાના હતા તે હિંસક કેવી રીતે થઇ ગયા તેની પર ચર્ચાઓ પણ ચાલી. ખેડૂતોના શાંતિપૂર્વકના વિરોધોના હિંસક સ્વરૂપ પાછળ રાજકીય રમતની બૂ પણ આવવા માંડી. આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં ઘણી ચોખવટો થઇ હશે, જેને પોતાના ગુના નહીં સ્વીકારવા હોય તે વધુ દેકારા કરતા હશે અને વિવિધ પ્રકારના પિષ્ટપેષણ થયાં હશે.

અહીં વાત ખેડૂતોના વિરોધની અને દેખાવો નથી પણ લોકશાહીમાં દેખાવો કરીને પોતાનો મુદ્દો રજૂ કરવાની ઘટના કેટલી સામન્ય છે, તેની તથા કઇ રીતે શાંતિપૂર્વક જે દેખાવો કરવાના હોય છે તે હિંસક થઇ જાય છે તે અંગેની છે. ગયા મે મહિનામાં આપણને હજી વાઇરસના આગમનનો આઘાત વર્તાઇ રહ્યો હતો, ત્યારે અમેરિકામાં એક અશ્વેતની પોલીસ અધિકારીએ હત્યા કરી. જ્યોર્જ ફ્લોઇડની ધરપકડ કરવા ગયેલા અમેરિકી પોલીસ અધિકારી ડેરેક શોવિને નીચે પાડ્યો અને ઘૂંટણથી તેની ડોક દબાવી રાખી અને પણ ત્યાં સુધી દબાવી જ્યાં સુધી જ્યોર્જ ફ્લોઇડને શ્વાસ લેવાના ફાંફા ન પડવા માંડ્યા અને એક સમયે તેણે કોઇપણ પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું. જ્યોર્જ ફ્લોઇડને હૉસ્પિટલમાં લઇ ગયા પછી મૃત જાહેર કરાયો અને અમેરિકી પોલીસ ઑફિસર પર હત્યાનો ચાર્જ મૂકાયો. આ ઘટનાને પગલે વાઇરસનો ડર હોવા છતાં ય યુ.એસ.એ.ના અલગ અલગ શહેરોમાં દેખાવો થયા. મોટા ભાગના દેખાવો શાંતિપૂર્વકના હતા પણ ઘણાં શહેરોમાં વિરોધ કરનારાઓ પોલીસ સાથે બાથ ભીડી, દુકાનો લૂંટાઈ, પોલીસની કાર્સને આગ લગાડી દેવાઈ. શાંતિપૂર્વકના દેખાવોએ હિંસાનું રૂપ લીધું. આ દેખાવોમાં ૧૨ જણાનો મોત થયા અને ૨૦,૦૦૦ જેટલા નેશનલ ગાર્ડ્ઝ યુ.એસ.એ.ના અલગ અલગ સ્ટેટ્સમાં પરિસ્થિતિ કાબૂમાં લાવવા કામે લગાડાયા હતા.

આવું જ કંઇક ૨૦૧૧માં ઇગ્લેંન્ડમાં બન્યું. લંડન રાયટ્સ તરીકે જાણીતા આ બનાવમાં પોલીસે જ્યારે માર્ક ડગ્ગન નામના એક માણસને ગોળીએ દઇ દીધો, ત્યારે વિરોધીઓ તોત્તેનહેમ હેલ લંડનમાં દેખાવો કરવા એકઠા થયા. શાંતિપૂર્વકના દેખાવોનો માહોલ હજી તો ગોઠવાય ત્યાં તો આમ જનતાને પોલીસ સાથે મૂઠભેડ થવા માંડી, પોલીસના વાહનોને નુકસાન પહોંચાડાયું, દુકાનો લુંટાઈ, આસપાસના ઘરોની પણ તોડફોડ થઈ. મોટી સંખ્યામાં પોલીસો તૈનાત કરાયા હતા અને છ દિવસ ચાલેલા આ રમખાણોમાં પાંચ જણના મોત થયા હતા.

વિરોધોનું હિંસક બનાવોમાં ફેરવાઇ જવું આજકાલની વાત નથી. ૧૫૧૭ની સાલમાં જર્મન પ્રોફેસર માર્ટિન લ્યૂથરે પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશનની શરૂઆત કરી ત્યારે તે કદાચ સૌથી વધુ શાંતિપ્રિય રીતે શરૂ થયેલા વિરોધ હતા. જર્મન ચર્ચના દરવાજે કેથોલિસિઝમના દમન અંગેની ટ્રિટીઝનો દસ્તાવેજ ખીલ્લી લઇ ઠોકી દેવાથી આ વિરોધની શરૂઆત થઇ. કમનસીબે ધર્મના દમન સામે ઊઠેલા અવાજે પણ લોહિયાળ ક્રાંતિનુ રૂપ લઇ લીધું. આવું જ કંઇક ૧૭૯૮ની ફ્રેંચ ક્રાંતિમાં બન્યું. ઇતિહાસકારોએ ફ્રેંચ ક્રાંતિની હિંસાને અલબત્ત કેન્દ્રમાં રાખી છે પણ પેરિસના વિરોધીઓએ હિંસા ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો હતો; પરંતુ ફ્રેંચ ક્રાંતિની વ્યાપકતામાં આ અહિંસક પ્રયાસો વર્તાયા નહોતા. બેઇજિંગના ટિઆનાનેમ સ્ક્વેરમાં લોકશાહી સુધારા ઇચ્છતા વિદ્યાર્થીઓનો મોટો સમુદાય શાંતિપૂર્વકના દેખાવો કરવા પહોંચ્યો. દસ લાખ જેટલા વિદ્યાર્થીઓએ સાત અઠવાડિયા આ કર્યું પણ પછી ચાઇનિઝ સૈન્ય ટેન્કસ લઇને તેમની પર ફરી વળ્યું અને અનેક વિરોધીઓના મોત થયા જેને પગલે ચીનનું આ પગલું ખૂબ વખોડાયું.

શાંતિપૂર્વકના દેખાવો હિંસક ઘટનામાં ફેરવાઇ જાય તેની પાછળ ઘણાં કારણો હોય છે. ખેડૂતોનું લાલ કિલ્લા પર ફરી વળવું એમાં રાજકીય રમત ચોક્કસ છે, કારણ કે આ કરનારામાં કેટલાક એવા પણ હતા જે ખેડૂતો હતા જ નહીં. પરંતુ ઇતિહાસની બીજી ઘટનાઓ પર નજર કરીએ તો પોલીસ વિરોધ કરનારાઓના જોશ પ્રત્યે કેવો પ્રતિભાવ આપે છે તેની ઘણી અસર રહે છે. ટોળાંમાંથી કેટલાંક લોકો પોલીસ સાથે માથાકૂટ કરવા માંડે અને પછી જો પોલીસ પરિસ્થિતિને કૂનેહથી ન સંભાળે તો ઉશ્કેરાટ વધે અને પછી ટોળાંને કાબૂમાં લેવું મુશ્કેલ થઇ જાય. નૈતિકતા અંગે વિરોધીઓનો અભિગમ પણ સંજોગોને બગડતા અટકાવી શકે છે. વળી સોશ્યલ મીડિયા પર થતો દેકારો ટોળાંઓમાં જૂદું જ ઝનૂન ભરે છે, એટલે એ પણ જોખમી સાબિત થઇ શકે છે. ટોળાંઓ ઝનૂને ભરાઇને આસપાસની દુકાનો લૂંટવા માંડે, તોડફોડ કરવા માંડે એ તેમને માટે એક રીતે શક્તિ પ્રદર્શન થઇ જાય છે, તેમને એમ કરવામાં પોતાની પાસે કોઇ સત્તા છે તેવી લાગણી થવા માંડે છે. કોઇ પણ વિરોધ પ્રદર્શન જ્યારે સુકાની વગરનું થઇ જાય પછી તે દિશા હીન અને ગાંડાતૂર થયેલા હાથી જેવું જ થઇ જાય છે અને પરિસ્થિતિ હાથની બહાર ચાલી જાય છે. જ્યારે શાંતિપૂર્વકના દેખાવો હિંસક બની જાય છે પછી વિરોધનો હેતુ ફંગોળાઇ જાય છે અને પછી અરાજકતા સિવાય કંઇ બચતું નથી.

બાય ધી વેઃ

એવા પણ વિરોધો થયા છે જેમાં હિંસા કાં તો એક તરફી હતી અથવા તો હતી જ નહીં અને તે સફળ પણ રહ્યા છે. જેમ કે બાપુના મીઠાના સત્ચાગ્રહની વાત કરીએ તો ખ્યાલ આવે કે ધરાસણામાં સવારથી સાંજ સુધી વિરોધીઓ મુંગા મોંએ ઊભા રહેતા. બ્રિટિશરોએ ૨૧ દિવસ દંડાવાળી કર્યા પછી જે રિપોર્ટ તૈયાર કરાવ્યો એમાં બહાર આવ્યું કે સત્યાગ્રહીઓને માથે અને ખભે ફ્રેક્ચર્સ હતા, આંગળીઓ કે હાથ પર નહીં કારણ કે સવારના સાડા છથી સાંજના સાડાચાર વાગ્યા સુધી લાઠી ખાનારાઓએ બચાવમાં હાથ સુદ્ધાં આડો નહોતો ધર્યો. શાંતિપ્રિય વિરોધનું આનાથી બહેતર અને દર્દનાક ઉદાહરણ શું હોઇ શકે, ભલા? આ એક તરફી હિંસા વાળો વિરોધ હતો તો ૨૦૧૭માં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી મહિલાઓના અધિકાર માટે અને ટ્રમ્પના મહિલા વિરોધી વહેવારને લઇને વિરોધીએ દેખાવો કર્યા ત્યારે ૬૦૦ જેટલી કૂચ યુ.એસ.એ.ના અલગ અલગ હિસ્સાઓમાં થઇ અને અન્ય ૮૧ દેશોમાં પણ દેખાવો થયા. આ યુ.એસ.એ.ની હિસ્ટ્રીમાં એક જ દિવસમાં થયેલું સૌથી મોટું વિરોધ પ્રદર્શન હતું જેમાં કોઇ હિંસા નહોતી થઇ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  31 જાન્યુઆરી 2021 

Loading

આઝાદી માટે શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવો : શહીદ ભગતસિંહ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 January 2021

ગયા અઠવાડિયે લેખ પૂરો કરતા મેં લખ્યું હતું કે કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતા જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

શા માટે તેમનાં સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં અવ્યવહારુ હતાં? આનો જવાબ શહીદ ભગતસિંહ સિવાય બીજું કોણ આપી શકે? ભગતસિંહ પોતે એક ક્રાંતિકારી હતો, બુદ્ધિમાન ક્રાંતિકારી હતો, ભારતના ઇતિહાસ અને સામાજિક વાસ્તવનો તેનો ઉંમર નાની હોવા છતાં ઊંડો અભ્યાસ હતો અને સૌથી મોટી વાત તો એ કે તે બીજા કેટલાક લોકોની માફક પોતે સલામત જિંદગી જીવીને ક્રાંતિનાં સપનાં વેચતો નહોતો, ખૂદ ક્રાંતિકારી હતો અને પોતાના જાનને ન્યોચ્છાવર કરી શકવાની બહાદૂરી ધરાવતો હતો. ગાંધીજીની જેમ જે કહે તે કરવાની પ્રામાણિકતા તેમનામાં હતી.

આવા પ્રમાણિક અને બહાદૂર ક્રાંતિકારી ભગતસિંહે તેને ફાંસી આપવામાં આવી તેની પૂર્વ સંધ્યાએ જેલમાંથી યુવાનોને સંબોધીને એક પત્ર લખ્યો હતો જે સશસ્ત્ર ક્રાંતિના વિકલ્પને વ્યવહારુ સમજનારાઓએ વાંચવાની જરૂર છે. તેણે એ પત્રમાં લખ્યું હતું કે ભારતને આઝાદી માત્ર અને માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા મળી શકે જેવાં આંદોલનો ગાંધીજી કરી રહ્યા છે, અહીં તહીં ગોળીઓ ચલાવવાથી અને છૂટક હિંસા કરવાથી ન મળી શકે. તેમણે યુવાનોને શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.

અહીં તેના શબ્દપ્રયોગ તરફ ધ્યાન આપવામાં આવે. તેણે શાંતિમય લોકઆંદોલન (peaceful mass agitation) શબ્દપ્રયોગ કર્યો છે, અહિંસક લોકઆંદોલન એવો શબ્દપ્રયોગ નહોતો કર્યો. આનો અર્થ એ થયો કે તેને ગાંધીજી માટે માન હતું, ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા લોકઆંદોલનની વ્યવહારુતા તેને સ્વીકાર્ય હતી, માત્ર ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ અથવા શરત તેમને માન્ય નહોતાં. જરૂર પડે અને સરકાર જો જલિયાંવાલા બાગમાં કરવામાં આવી હતી એવી હિંસા કરે અને જો પ્રજા તેનો હિંસાથી જવાબ આપવાની સ્થિતિમાં હોય તો એ માર્ગ અપનાવવો જોઈએ. ટૂંકમાં જવાબી હિંસાનો માર્ગ લોકો માટે ખુલ્લો હોવો જોઈએ અને એ પણ તો જ જો પ્રજાને પરવડે એવો પરિણામલક્ષી હોય.

આશા રાખું છું કે વાચકોને ગાંધીજી અને ભગતસિંહના માર્ગમાં નજરે પડતા સામ્ય અને ભેદ નજરમાં આવ્યા હશે. ગાંધીજીની માફક ભગતસિંહ પણ માનતો હતો કે સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન જ છે, હિંસા નથી. હિંસા અવ્યવહારુ માર્ગ છે. બન્ને વચ્ચે જે અંતર હતું એ અહિંસાની બાબતે હતું. ગાંધીજી માટે અહિંસા નિષ્ઠા હતી જ્યારે ભગતસિંહ એવી કોઈ નિષ્ઠા નહોતો ધરાવતો. ગાંધીજી માટે અહિંસાનો આગ્રહ દુરાગ્રહ નહોતો પણ તેઓ ખરેખર એમ માનતા હતા કે અહિંસા એક નિષ્ઠા તરીકે પણ વ્યવહારુ નીવડી શકે છે જો નિષ્ઠા સાચી અને ટકોરાબંધ હોય. ભગતસિંહને એમ લાગતું હતું કે અહિંસા શાંતિના સ્વરૂપમાં વ્યવહારુ છે, નિષ્ઠા તરીકે વ્યવહારુ ન હોઈ શકે. આ અર્થમાં ભગતસિંહ ગાંધીવાદી નહોતો અને છતાં ય તેણે ફાંસીને માચડે ચડતાં પહેલાં યુવાનોને સલાહ આપી હતી કે તેમણે ગાંધીજીના વ્યાપક લોકઆંદોલનમાં ભાગ લેવો જોઈએ.

થોડી પુનરુક્તિ કરીને હજુ એક વાર ફોડ પાડું કે ભગતસિંહ અને ગાંધીજીમાં બે વાતે એકમતી હતી. એક તો એ કે આઝાદી માટેનો વ્યવહારુ માર્ગ લોકઆંદોલન જ છે અને બીજી સમાનતા એ વાતે કે હિંસાનો માર્ગ વ્યવહારુ નથી. ભગતસિંહના શબ્દોમાં અહીં તહીં છૂટક હિંસા કરવાથી આઝાદી ન મળી શકે.

ભગતસિંહના શબ્દો પકડીને જ અહીંથી આગળ વધીએ. શા માટે અહીંતહીં છૂટક હિંસા એમ તેણે કહ્યું છે? શું સમગ્ર દેશને આવરી લે અને અંગ્રેજોએ જાન બચાવવા ભાગવું પડે એવી દેશભરમાં વ્યાપક હિંસા ન થઈ શકે? આખો દેશ સળગે તો અંગ્રેજો ક્યાં જાય? તેમની સંખ્યા કેટલી? તેમને તેમના રંગના કારણે ઓળખવા પણ મુશ્કેલ નથી. લક્ષ્મણ ભોપટકર નામના ‘હિંદુ મહાસભા’ના એક મરાઠી નેતાએ તો થોડી જાડી ભાષામાં એમ કહ્યું હતું કે ભારતની પ્રજા જો એક સાથે પેશાબ કરે તો પણ અંગ્રેજો તણાઈ જાય. જેમણે જિંદગીમાં હાથમાં તણખલું પણ ઉપાડ્યું નહોતું એવા ભોપટકર જેવા લોકો સશસ્ત્ર ક્રાંતિની આવી ભાષામાં વકીલાત કરતા હતા અને જેણે ખરેખર બહાદૂરી બતાવી હતી તે દયાની અરજી કર્યા વિના ફાંસીને માચડે ચડી ગયો હતો.

બાય ધ વે, ભગતસિંહને અનેક લોકોએ સલાહ આપી હતી કે તે સરકારને સજા ઘટાડવા દયાની અરજી કરે. તેણે જ્યારે અરજી કરવાની ના પાડી ત્યારે તેના પિતાને લોકોએ સલાહ આપી હતી કે તે પોતાના યુવાન પુત્રને બચાવવા માટે સરકાર સમક્ષ દયાની અરજી કરે. ભગતસિંહે તેના પિતાને જેલમાંથી પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પુત્રપ્રેમથી પ્રેરાઈને આવી કોઈ અરજી ન કરે. ભગતસિંહે તેના પિતાને એવી પણ સલાહ આપી હતી કે તેઓ ગાંધીજીની મદદ પણ ન માગે. આવો રોમરોમમાં મરદ માણસ હતો ભગતસિંહ. જે ‘સ્વાતંત્ર્યવીર’ તરીકે ઓળખાય છે એ  વિનાયક દામોદર સાવરકરનો ક્રાંતિનો ઇતિહાસ આનાથી ઠીક સામેના છેડાનો છે.

તો સવાલ એ છે કે આવા મરદ માણસને એમ કેમ નહોતું લાગ્યું કે આખો દેશ સશસ્ત્ર ક્રાંતિથી સળગે અને અંગ્રેજોએ જીવ બચાવવા ભાગવું પડે એ શક્ય છે? જેમને કાંઈ કરવું નહોતું અને કર્યું નહોતું એવા લોકોને એમ લાગતું હતું હિંસક ક્રાંતિ થઈ શકે છે અને તેની વકીલાત કરતા હતા અને જેણે કરી બતાવ્યું એ પોતાના અનુયાયી યુવકોને કહીને જાય છે કે અખિલ ભારતીય સશસ્ત્ર ક્રાંતિ શક્ય નથી. આખરે વ્યવહારુતા અને અવ્યવહારુતા ચકાસવાની જરૂર તો એને જ પડે જેમણે કાંઈ કરવું હોય, પસંદ કરેલા માર્ગે ચાલવું હોય, જોખમ ઉઠાવવું હોય; પણ જેને કાંઈ કરવું જ નથી અને માત્ર જહાલ ભાષણ કરવાં છે, ધગધગતી ભાષામાં લેખો લખવા છે અને યુવાનોને ઉશ્કેરવા છે તેમને વ્યવહારુતા ચકાસવાની ક્યાં કોઈ જરૂર પડવાની!

આઝાદી પહેલાં ક્રાંતિકારીઓના આવા બે વર્ગ હતા. એક શબ્દાળુ ક્રાંતિકારીઓ હતા જેઓ હિંસક ક્રાંતિની માત્ર વકીલાત કરતા હતા અને પ્રત્યક્ષ પોતે કાંઈ નહોતા કરતા. શેકેલો પાપડ પણ નહોતો ભાંગ્યો. બીજા પોતાના અમૂલ્ય જીવને ફગાવી દેનારા ક્રાંતિકારીઓ હતા. શબ્દાળુ ક્રાંતિકારીઓ ક્રાંતિની વકીલાત ત્રણ કારણે કરતા હતા. એક તો એની વકીલાત કરીને ગાંધીજીને કાયર ઠરાવી શકાય. ‘આવા વેવલા માર્ગે તે કાંઈ દેશ આઝાદ થતો હશે! દેશને મર્દાનગીની જરૂર છે.’ અનેક લોકોને તેમની આ દલીલ ગળે ઊતરતી હતી અને વાટ જોતા હતા કે એક દિવસ તેઓ ઝંપલાવશે અને દેશને આઝાદી અપાવશે. પણ આવું ક્યારે ય બન્યું નહીં અને દેશ તેમની મર્દાનગી વિના વેવલા માર્ગે આઝાદ થઈ ગયો. બીજું કારણ એ હતું કે ગાંધીજીને કાયર અને વેવલા ઠરાવીને આઝાદીના આંદોલનમાં ભાગ લેવાથી બચી શકાય. જેલ જવાથી બચી શકાય. પોલીસની લાઠી ખાવાથી બચી શકાય. ‘શું કરીએ અમને ગાંધીજીની કાયરતા કબૂલ નથી. અમારો તેમની સાથે મૂળભૂત મતભેદ છે.’ ત્રીજું કારણ એ કે સમય અને શક્તિ બચાવીને તેને મુસલમાનો સામે વાપરી શકાય. આઝાદી તો એક દિવસ મળી જશે, પણ એ મળે એ પહેલાં મુસલમાનોને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ.

આ બાજુ જેમણે ખરેખર મર્દાનગી બતાવી તેમનો ઇતિહાસ આપણને એમ કહે છે કે એ તેમનું વ્યક્તિગત કે બે-ચાર જણાનું સાહસ હતું, વ્યાપક હિંસા નહોતી. પ્રજાની કોઈ વ્યાપક ભાગીદારી નહોતી. એવા ક્રાંતિકારીઓમાં જે સૌથી વિચક્ષણ હતો એ કહીને ગયો કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા આઝાદી મળવી અશક્ય છે, માત્ર શાંતિમય લોકઆંદોલન દ્વારા જ મળી શકે.

શા માટે? એની ચકાસણી હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જાન્યુઆરી 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—81

દીપક મહેતા|Opinion - Opinion|31 January 2021

મુંબઈ : રોજ નવી આકૃતિ, નવી ભાત, નવા રંગ, નવું ચિત્ર

જ્યારે મુંબઈમાં ગેસ અને વીજળીના દીવા સંપીને રહેતા

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેને મુંબઈમાં શું જોયું?

સાંજ ઢળી ચૂકી છે. હમણાં આવું છું, આવું છું હોં, એમ કહી અંધારું જાણે ધમકાવી રહ્યું છે. છ-સાત વરસની ઉંમરનો એક છોકરો તેની જમણી બાજુ નજર ખોડીને ઊભો છે. એ રહે છે ગિરગામ રોડ અને દાદીશેઠ અગિયારી લેનના નાકા પર આવેલા એક મકાનના ચોથે માળે. સીધી લાઈનમાં આવેલા ચાર રૂમ. ચારે રૂમને જોડતી ૪૦-૫૦ ફૂટ લાંબી લાકડાના કઠેરાવાળી ગેલેરી. એ ગેલેરીમાં ઊભા રહીને આ રીતે રોજ સાંજે ઊભા રહેવાની એ છોકરાને ટેવ. ના, કહો કે વળગણ. પણ કેમ? એ બાજુ દૂર પહેલો ગેસનો દીવો પ્રગટે એ જોઈને રોજ છોકરો રાજીનો રેડ થઈ જાય. પોતડી પહેરેલો એક માણસ દોડતો દોડતો આવતો હોય. એના હાથમાં એક લાંબો વાંસ. એની ટોચ પર એક હૂક અને એક સળગતી જામગરી. હૂકની મદદથી થાંભલા પરના કાચના ફાનસનું બારણું ઉઘાડે. પછી ઝડપથી જામગરી ચાંપે. અને ગેસ લાઈટ ઝગમગી ઊઠે. ફરી હૂકની મદદથી ફાનસનું બારણું બંધ કરે. ફરી દોડવા લાગે. બીજો થાંભલો, ત્રીજો, ચોથો … એક પછી એક ગેસ લાઈટ ઝગમગતી થાય. આખી દાદીશેઠ અગિયારી લેન ઝળાંહળાં. એ વખતે પેલા છોકરાને કોઈએ પૂછ્યું હોત કે મોટો થઈને તું શું થઈશ? તો તેણે જવાબ આપ્યો હોત : રોજ સાંજે ગેસ લાઈટ સળગાવનાર જામગરીવાળો થઈશ. મોટો થઈને એ છોકરો જામગરીવાળો તો ન થયો, પણ આજે તેને વિષે લખતો તો થયો. આ વાત ૧૯૪૫-૪૬ના અરસાની. એ વખતે મુંબઈના રસ્તા બે ભાગમાં વહેંચાયેલા : એક, ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટવાળા મોટા, ધોરી રસ્તા. અને બીજા, ગેસ લાઈટવાળી ‘લેન’ કહેતાં ગલ્લીઓ. બંને પ્રકારનાં અજવાળાં અડખેપડખે સંપીને રહે. બંનેનો પ્રકાશ તો આછો પીળો. હા, એકનો થોડો ઝાંખો.

ગેસ લાઈટનું અજવાળું પાથરનાર

૧૮૬૨ની સાલમાં મુંબઈ સરકારે બોમ્બે ગેસ કંપનીની શરૂઆત કરી. ૧૮૬૫માં આર્થર ક્રાફર્ડ મુંબઈના પહેલા મ્યુનિસિપલ કમિશનર બન્યા. હા, આ એ જ ક્રાફર્ડ, જેમના નામની ક્રાફર્ડ માર્કેટ પછીથી બની. તેમને થયું કે બ્રિટિશ સામ્રાજ્યનું મોખરાનું મુંબઈ જેવું શહેર, પણ એમાં સ્ટ્રીટ લાઈટ ઘાસલેટની? એટલે તેમણે બોમ્બે ગેસ કંપનીને કહ્યું કે આ અંગે કોઈક યોજના વિચારો. એટલે ૧૮૬૬માં કંપનીએ કોલસો વાપરીને ગેસ બનાવવાનો પ્લાન્ટ પરેલ ખાતે નાખ્યો. ત્યાં પેદા થયેલા ગેસના દીવા સૌ પહેલાં નખાયા ત્રણ રસ્તા પર. પહેલો, એસ્પ્લનેડ રોડ, એટલે કે આજનો મહાત્મા ગાંધી રોડ. બીજો ચર્ચગેટ સ્ટ્રીટ કહેતાં વીર નરીમાન રોડ. અને ત્રીજો વિસ્તાર તે ભીંડી બજાર. ૧૮૬૫ના ઓક્ટોબરની સાતમી તારીખ, શનિવાર. સવારથી લોકો આતુર હતા, એક કૌતુક જોવા માટે. પહેલેથી ધાર્યું હતું કે આ નવી નવાઈ જોવા લોકો ઊમટી પડશે. એટલે ભર બપોરે આ ત્રણે રસ્તા પર ગેસના દીવા સળગાવવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે આ લાઈટ સળગાવનારો જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ લોકોનાં ટોળાં તેની પાછળ પાછળ જતાં હતાં. ત્રણે રસ્તા ઉપર બધું મળીને ૧૩૩ ગેસ લાઈટ ગોઠવી હતી. લોકોને આ નવી નવાઈ એટલી તો પસંદ પડી ગઈ કે ઘણા પૈસાદાર શેઠોએ સુશોભિત, નકશીદાર થાંભલા અને ફાનસ મ્યુનિસિપાલિટીને ભેટ આપ્યાં. આમાંનાં કેટલાંક આજ સુધી યાદગીરી રૂપે સાચવી રાખવામાં આવ્યાં છે. આવો એક સુશોભિત ગેસ લાઈટ સાથેનો થાંભલો ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે જોવા મળે છે. ૧૮૭૪ સુધીમાં મુંબઈ શહેરમાં કુલ ૨,૪૧૫ ગેસની સ્ટ્રીટ લાઈટ હતી, જેમાંની ૭૨ તો ક્વીન્સ રોડ, આજનો મહર્ષિ કર્વે રોડ, પર હતી.

સાપ ગયા ને લિસોટા રહી ગયા: ગેસ કંપની લેન

આ ગેસ કંપની નાનાંમોટાં કારખાનાંને પણ ગેસ પૂરો પાડતી. બે પાંદડે સુખી હોય તેવા કેટલાક લોકોના ઘરમાં પણ ગેસના ચૂલા રસોઈ માટે વપરાતા. પણ આમાં બે મુશ્કેલી હતી. પહેલી એ કે કોલસા બાળીને ગેસ મેળવતા હતા એટલે તેનું દબાણ એક સરખું રહેતું નહિ, તેમાં વધઘટ થયા કરતી. પણ વધુ મોટી સમસ્યા એ કે પરેલ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાતી થઈ. વળી એ જ વિસ્તારમાં હતી સંખ્યાબંધ કાપડ મિલો. તેમાંથી ઊડતી રૂની રજકણો અને ગેસ પ્લાન્ટમાંથી નીકળતી પ્રદૂષિત હવા. બન્નેએ એ વિસ્તારના લોકોનું જીવવાનું ઝેર કરી નાખ્યું. પ્રખ્યાત મરાઠી કવિ દિલીપ ચિત્રે તેમના જાણીતા કાવ્ય ‘ચિંચપોકળીનું દ્રશ્ય’માં કહે છે :

સિલિંગ ફેન

ઘરઘરાટી કરતો ફરી રહ્યો છે,
છતાં મને પરસેવો થતો રહે છે.
હું શ્વાસમાં લઉં છુ બોમ્બે ગેસ કંપનીએ
છોડેલો સલ્ફર ડાયોક્સાઈડ ગેસ
જેમાં ભળેલા છે કપાસના રેસા
અને કાર્બનના કણ આસપાસની
કાપડ મિલોમાંથી ઠલવાતા.
પણ હા, આ જ મિલો લાખો લોકોને
લંગોટી માટેનું કાપડ પૂરું પાડે છે.

પછી ૧૮૮૨માં મુંબઈમાં પહેલી વાર વીજળીના દીવા આવ્યા. એક ખાનગી કંપનીએ ક્રાફર્ડ માર્કેટને અજવાળવા માટે ત્યાં ખાસ જનરેટર ગોઠવ્યું. એ વખતે ક્રાફર્ડ માર્કેટ એ મુંબઈનું એક માત્ર જથ્થાબંધ બજાર. એ જ વરસે ગોંડળના મહારાજા ભગવતસિંહજીએ મુંબઈની મુલાકાત લીધી ત્યારે તેઓ ખાસ ક્રાફર્ડ માર્કેટ જોવા ગયા હતા અને ત્યાં વીજળીના દીવાની રોશની જોઈ એટલા તો પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના રાજ્યમાં એવા દીવા ગોઠવવાનું નક્કી કર્યું હતું. પણ આ અજવાળું તો ચાર રાતની ચાંદની પુરવાર થયું. થોડા વખત પછી પેલી ખાનગી કંપની ફડચામાં ગઈ. એટલે ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક લાઈટ એન્ડ પાવર કંપનીએ કામ હાથમાં લીધું. પણ થોડા વખતમાં તેણે પણ દેવાળું કાઢ્યું. અને ફરી ગેસને ઠામે ગેસ ઠરી રહ્યો.

પણ વાઘ એક વાર લોહી ચાખી જાય પછી છોડે નહિ. વીજળી પૂરી પાડનાર કંપની નથી તો શું થયું? આપણે પોતાનું જનરેટર વસાવીને વીજળી મેળવીએ. ૧૮૯૦થી કેટલાક તવંગર લોકોનાં ઘર, કેટલીક હોટેલ, કેટલાંક કારખાનાં પોતાનું જનરેટર વસાવીને વીજળી વાપરવા લાગ્યાં. ૧૯૦૩માં ગેટ વે ઓફ ઇન્ડિયાની સામે તાજ મહાલ હોટેલની ઇમારત બંધાઈ ત્યારે તેમાં ઇલેક્ટ્રિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે ઉદ્ઘાટનના દિવસે તે ઈમારત વીજળીના દીવાથી ઝગમગી ઊઠી. આ માટે તેના બગીચામાં વરાળથી ચાલતું જનરેટર રાખવામાં આવ્યું હતું. અગાઉ કોઈ જાહેર મકાનમાં આ રીતે વીજળીનો ઉપયોગ થયો નહોતો. પણ ન કરે નારાયણ, ને વીજળી ગુલ થઈ જાય તો? એટલે દરેક રૂમમાં સાથોસાથ ગેસના દીવા પણ લગાડ્યા હતા! એ વખતે તાજ મુંબઈની સૌથી મોંઘી હોટેલ હતી. એનું ભાડું કેટલું હતું ત્યારે? ઓછામાં ઓછું ભાડું હતું દિવસના છ રૂપિયા, જે અંગ્રેજો કે દેશી અમીરોને જ પોસાતું!

BEST કંપનીનું પાવર સ્ટેશન

મુંબઈનાં લોકો, ઉદ્યોગો, વાહન-વ્યવહાર વગેરે માટે વીજળીની જરૂરિયાત કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. તેને ધ્યાનમાં લઈને મુંબઈ મ્યુનિસિપાલિટીએ ૧૯૦૫માં બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામવેઝ નામની બ્રિટિશ કંપનીને શહેરને વીજળી પૂરી પાડવાનો પરવાનો આપ્યો. તેણે પોતાનું થર્મલ (કોલસાથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કર્યું અને મુંબઈમાં ઇલેક્ટ્રિક ટ્રામની શરૂઆત કરી. ૧૯૦૭ના મે મહિનાની ૭મી તારીખે સાંજે સાડા પાંચ વાગે મ્યુનિસિપાલિટીના મુખ્યાલય સામેથી શરૂ થઈને આ ટ્રામ ક્રાફર્ડ માર્કેટ પહોંચી. ત્યાં થોડી વાર રોકાઈને પાછી ફરી. તે સાંજે ઘોડાથી ચાલતી ટ્રામનો સૂરજ મુંબઈમાં આથમ્યો.

શરૂઆતની ઇલેક્ટ્રિક ટ્રામ

પણ આ કંપની જે વીજળી પેદા કરતી હતી તે લગભગ બધી ટ્રામ ચલાવવા પાછળ વપરાઈ જતી હતી. અને શહેરની વીજળી માટેની ભૂખ તો રોજ વધતી જતી હતી. ૧૯૦૭ના ઓક્ટોબરમાં સર જ્યોર્જ ક્લાર્ક મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં આ વાત આવી અને તેમણે તે જ વરસે મુંબઈ શહેરને વીજળી પૂરી પાડવા માટે હાઈડ્રોલિક (પાણીથી ચાલતું) પાવર સ્ટેશન શરૂ કરવાનો પરવાનો તાતા પાવર કંપનીને આપ્યો. ૧૯૧૫માં તેના ખપોલી પાવર પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન શરૂ થયું અને ૪૩ માઈલ લાંબી ટ્રાન્સમિશન લાઈન દ્વારા એ વીજળી મુંબઈ પહોંચાડવામાં આવી. જો કે એ વખતે એ વીજળી માત્ર મોટા ઉદ્યોગોને જ પૂરી પાડવાની મંજૂરી એ કંપનીને મળી હતી. પણ આ ખાનગી સાહસને એટલી તો સફળતા મળી કે ૧૯૨૫માં BEST કંપનીએ પોતાનો થર્મલ પાવર પ્લાન્ટ બંધ કર્યો અને તાતા પાસેથી જ વીજળી ખરીદવાનું શરૂ કર્યું! એટલે શહેરને વીજળી પૂરી પાડવાની તેને અપાયેલી મોનોપોલી રદ્દ થઈ અને હવે મુંબઈનાં ઘરોને, નાનાં કારખાનાંઓને, બીજી હર કોઈ જરૂરિયાત માટે વીજળી પૂરી પાડવાનો માર્ગ તાતાની કંપની માટે ખૂલી ગયો. ૧૯૦૫માં તેના ઘરાકોની સંખ્યા ૧૦૭ની હતી, તે વધીને ૧૯૩૫ સુધીમાં ૬૫,૪૧૨ સુધી પહોંચી ગઈ.

૧૯૫૦માં BEST કંપનીએ શહેરમાંના ગેસના બધા દીવા કાઢીને તેની જગ્યાએ વીજળીના દીવા મૂકવાનું શરૂ કર્યું. અને એક અણધારી વાત બની. મુંબઈના લોકોએ તેનો વિરોધ કર્યો. ઘણાને માટે ગેસના દીવાની તોલે વીજળીના દીવા ન આવે. એટલે BEST કંપનીએ શું કર્યું? શહેરનાં મુખ્ય જન્કશનો પર ગેસના અને વીજળીના દીવા અડખે પડખે ગોઠવ્યા – જુદા જુદા રંગના, વધતા-ઓછા અજવાળું આપતા દીવા. નીચે થાંભલા પર મત પેટીઓ મૂકી અને લોકોને બેમાંથી એક પ્રકારના દીવાને મત આપવા વિનંતી કરી. અને અ ચૂંટણીમાં ગેસના દીવા હાર્યા, વીજળીના દીવા જીત્યા. પછી થોડા જ વખતમાં મુંબઈના રસ્તાઓ પરથી ગેસના દીવા ગુલ થઈ ગયા.

૧૯૦૩માં તાજ મહાલ હોટેલના ઉદ્ઘાટનની જાહેર ખબર

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેન ૧૮૯૬માં વિશ્વ પ્રવાસે નીકળ્યા હતા. તે દરમ્યાન તેઓ મુંબઈ પણ આવ્યા હતા અને વોટસન હોટેલમાં રોકાયા હતા. ૧૮૬૭-૧૮૬૯ દરમ્યાન કાળા ઘોડા નજીક બંધાયેલી આ હોટેલ એ જમાનામાં મુંબઈની સર્વોત્તમ હોટેલ મનાતી હતી. મકાન બંધાઈ રહ્યા પછી રૂમોને સજાવવામાં ઘણો વખત ગયો, એટલે તેનું ઉદ્ઘાટન છેક ૧૮૭૧ના ફેબ્રુઆરીની ચોથી તારીખે થયું. સ્વદેશ પાછા ફર્યા પછી ૧૮૯૭માં માર્ક ટ્વેને આ વિશ્વ પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક લખ્યું હતું, ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’. તેમાં મુંબઈ વિષે તેમણે લખ્યું છે : ‘આજે, સ્થળ અને સમય, બંનેની દૃષ્ટિએ હું મુંબઈથી ઘણો દૂર આવી ગયો છું. છતાં મુંબઈનો વિચાર કરું છું ત્યારે જાણે હું કલાઈડોસ્કોપમાં ક્ષણે ક્ષણે બદલાતી આકૃતિઓ જોતો હોઉં એવું લાગે છે. કાચના ટુકડાનો આછો ખખડાટ સંભળાય છે. એક આકૃતિ, એક ભાત, એક ચિત્ર, રચાય છે, અને બીજી પળે તો બદલાઈ જાય છે. ફરી નવું ચિત્ર, ફરી નવું, ફરી … નવું કૌતુક, નવો આનંદ. સપનામાં જોયેલી આકૃતિઓની જેમ ઝડપથી રચાય છે અને ઝડપથી ઓગળી જાય છે. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો, પણ આજે જ્યારે આંખ સામેથી પસાર થતાં એ ચિત્રો જોઉં છું ત્યારે લાગે છે કે મુંબઈનો મારો અનુભવ માંડ એકાદ કલાકનો હતો.’ મુંબઈનું કોઈ નવું ચિત્ર, નવું કૌતુક, નવી આકૃતિની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0112,0122,0132,014...2,0202,0302,040...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved