Opinion Magazine
Number of visits: 9964351
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યાદ રહે

રચનાકાર : માર્ક ઓગર્ટશ્નિગ • અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|18 May 2021

એક દુનિયામાં પોઢ્યાં
અને બીજીમાં જાગ્યાં
એકાએક ડિઝનીનું જાદું ગાયબ છે
પૅરિસ હવે રોમાંચક નથી રહ્યું
ન્યુયોર્ક ટ્ટટાર નથી ખડું હવે
ચીની દિવાલ નથી રહી ગઢ
અને મક્કા નિર્જન છે
આલિંગનો અને ચૂંબનો
અચાનક હથિયાર બની ગયા છે
માબાપ અને મિત્રોને મળવાનું ટાળવું
પ્રેમનું કૃત્ય મનાય છે.
અચાનક આપણને ભાન થાય છે કે સત્તા,
સૌંદર્ય તથા નાણાનું કાંઈ મૂલ્ય નથી
અને જેની તાતી જરૂર છે એ ઑક્સિજન
મેળવી આપવામાં અસક્ષમ છે.
દુનિયા એનું જીવન ચાલું રાખે છે
અને એ સુંદર છે
એ માત્ર મનુષ્યોને પિંજરે પૂરે છે
મને લાગે છે આપણને સંદેશો આપવા માગે છે :
“તમે અનિવાર્ય નથી
તમારા વગર
વાયુ, ધરતી, જળ અને આકાશ
મજામાં છે
પાછા ફરો ત્યારે યાદ રહે
તમે મારા મહેમાન છો
માલિક નહીં.”

સ્રોત : MARKOGERTSCHNIG.com

Loading

કવીશ્વર દલપતરામ અને ‘સોસાયટી’

દીપક મહેતા|Opinion - Literature|18 May 2021

ઇસ્વિસો અઢારે અડતાલીસની સાલે શુભ,
તારિખ તો છવ્વીસમી ડીસેમ્બર માસની,
મંગળ વાસરે મહા માંગલિક ક્રિયા કીધી,
કિન્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની.
સ્થાપી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે,
અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની,
દ્વિજ દલપતરામે દિલથી આશિષ દીધી,
આજથી સોસાયટી તું થજે અવિનાશની.

(ઉપરની પંક્તિઓમાં તથા હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મરવા પડેલું શહેર હતું. ‘અમદાવાદનો ઇતિહાસ’ (૧૮૫૧) પુસ્તકમાં મગનલાલ વખતચંદ નોંધે છે: 'ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.’ 

૧૮૪૬ના નવેમ્બરમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઈ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : ‘મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં ‘બુધવારિયાં’ આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ્ય નથી. ત્હારી ને મ્હારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’

હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે: ‘મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.’ (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧)

ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઈ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઈ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : ‘તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઈ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઈ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.’ (દલપત ગ્રંથાવલી, ભાગ ૫)

ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ પહેલી બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. પહેલા વરસની ‘કમિટી’માં નીચેના સભ્યોનો સમાવેશ થતો હતો : કેપ્ટન વોલેસ, કેપ્ટન ફૂલજેમ્સ, રેવરન્ડ આર.ઈ. ટીરવીટ, રેવરન્ડ જી. ડબલ્યુ. પેરિટ્સ, એ.કે. ફાર્બસ, અને ઈ.જી. ફોસેટ. તેમાંથી સોસાયટીના પહેલા સેક્રેટરી તરીકે ફાર્બસની નિમણૂક થઈ. 

ત્યાર બાદ આ ‘કમિટી’ની પહેલી બેઠક ૧૮૪૯ના જાન્યુઆરીની ચોથી તારીખે મળી હતી. તેમાં આ સંસ્થાના પેટ્રન બનવા માટે મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને વિનંતી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઉપરાંત પુસ્તકાલય, છાપખાનું, ઇનામી નિબંધ-સ્પર્ધા વગેરે અંગે ઠરાવો પસાર થયા હતા. આ બધાં કામો માટે તે જ વખતે ફાળો ઉઘરાવાયો હતો જેમાં ૨,૯૫૦ રૂપિયા ભેગા થયા હતા. આ રકમ કુલ ૨૯ અંગ્રેજોએ એકઠી કરી હતી. હકીકતમાં ૧૮૫૪ સુધી સોસાયટીની ‘કમિટી’માં એક પણ ‘દેશી’ નામ દેખાતું નથી. એ વરસમાં પહેલી વાર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ જોવા મળે છે. એટલે કે, સોસાયટી શરૂ થઈ ત્યારે દલપતરામ તેની સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા. ફાર્બસને ત્યાં નોકરી કરતા હોવાથી તેમના કહેવાથી સોસાયટીનાં નાનાં-મોટાં કામ કરતા હોય એ, અલબત્ત, શક્ય છે. 

સોસાયટીની સ્થાપના થઈ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. ‘રાસમાળા’ના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગ્સને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : ‘ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.'

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઈ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઇચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિનિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો.

અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઈ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની અંગત નોકરી છોડી દલપતરામ સરકારી નોકરીમાં જોડાયા. ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ અને તેમનાં પત્ની હિન્દુસ્તાન પાછાં આવ્યાં.

દલપતરામનો સોસાયટી સાથેનો ખરેખરો પ્રત્યક્ષ સંબંધ શરૂ થયો તે ફાર્બસનાં સલાહ-સૂચનથી, પણ તેમની ગેરહાજરીમાં. ૧૮૫૪ના સપ્ટેમ્બરની ચોથી તારીખે દલપતરામ સાદરાથી કાવ્યપઠન કરવા અમદાવાદ ગયા હતા. એ વખતે સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટિસે સરકારી નોકરી છોડીને સોસાયટીની નોકરી સ્વીકારવાનું સૂચન દલપતરામને કર્યું હતું. પણ દલપતરામે જવાબ આપ્યો કે ‘મહિકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકસાહેબ સોસાયટીના મેમ્બર છે, તેઓની મારા પર ઘણી મહેરબાની છે તેથી સરકારી ખાતામાં મને મોટે અધિકારે ચડવાની આશા છે. માટે હું ત્યાં રહીને સોસાયટીને મદદ કરતો રહીશ.’ આ જવાબ આપીને તેઓ સાદરા પાછા ગયા.

સોસાયટીની લાયબ્રેરી ચાલુ રાખવામાં જો ‘દેશી’ઓને રસ ન હોય તો તે બંધ કરવી એવી માગણી ૧૮૫૫ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેટલાક અંગ્રેજ સભ્યોએ કરી. એટલે કર્ટિસે ફાર્બસને કાગળ લખી જણાવ્યું કે અત્યારની મુશ્કેલીમાંથી સોસાયટીને બચાવી શકે એવો એક જ માણસ છે, દલપતરામ. તમે તેને સોસાયટીની નોકરીમાં જોડાવા સમજાવો. એટલે ફાર્બસે પત્ર લખી દલપતરામને સોસાયટીની નોકરી સ્વીકારવા સમજાવ્યા. સાથે એમ પણ લખ્યું કે ‘જો સોસાયટી ભાંગી પડશે તો તમારી આખી ઉંમર સુધીની ફિકર હું રાખીશ.’ એ જ અરસામાં કર્ટિસે પણ પત્ર લખી નોકરીની ઓફર મોકલી. દલપતરામ રાજી થયા, પણ પોલિટિકલ એજન્ટ તેમને છૂટા કરવા તૈયાર નહોતા. તેમણે એ વાત પત્ર લખીને સોસાયટીના સેક્રેટરીને જણાવી. પણ છેવટે તેમણે દલપતરામને નોકરીમાંથી છૂટા કર્યા. પછી દલપતરામે કર્ટિસને પત્ર લખી જણાવ્યું:

‘સ્વદેશનું શુભ ચાહીને આવીશ અમદાવાદ,
સોસાઈટીને સેવવા, બાર-તેર દિન બાદ.’

અને ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી મહીને ૩૦ રૂપિયાના પગારે દલપતરામ સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. અને તે દિવસથી દલપતરામના જીવનનું જ નહિ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસનું પણ એક નવું અને સમૃદ્ધ પ્રકરણ શરૂ થયું. 

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”, ઍપ્રિલ 2021

Loading

ડી.એલ. શેઠ, બહાદરપુર યુનિવર્સિટીના વિદ્યાવાચસ્પતિ

બીરેન કોઠારી|Opinion - Opinion|17 May 2021

“બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને ‘બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે અને બૌદ્ધિકોનું’ સંશોધન કરતા લોકો.” ધીરુભાઈ શેઠને મળતાં, તેમની સાથે વાત કરતાં આ માન્યતાનો છેદ ઊડી જતો જણાતો. ૭ મે, ૨૦૨૧ના રોજ, ૮૫ વર્ષની વયે દિલ્હીમાં તેમનું અવસાન થયું, એ દેશના બૌદ્ધિક જગતને પડેલી મોટી ખોટ કહી શકાય.

તેમના પ્રદાનને શબ્દોમાં સમાવવું મુશ્કેલ પડે એટલું તે બહોળું હતું.

જાતિ અને અસ્પૃશ્યતા, વિકાસ, લઘુમતીના હકો જેવા વિવિધ વિષયો પરના ધીરુભાઈના અનેક લેખો વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થયા. તેમની નિગેહબાની હેઠળ ‘વર્લ્ડ ઑર્ડર મૉડેલ્સ પ્રોજેક્ટ’ જેવો સમગ્ર વિશ્વનું સુચારુ ઢબે સંચાલન કરવાના ખ્યાલને કેન્દ્રસ્થાને રાખતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સંપન્ન થયો હતો. તેમના ‘લોકાયન’ જેવા ભારતભરમાં નેટવર્ક ધરાવતા પ્રોજેક્ટને નોબેલ પારિતોષિક સમકક્ષ ગણાતો ‘રાઇટ લાઇવલીહૂડ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો હતો. પી.યુ.સી.એલ.(દિલ્હી)ના તેઓ ચૅરપર્સન રહી ચૂક્યા હતા અને છેલ્લા એકાદ દાયકામાં દક્ષિણ એશિયાના અનેક દેશોમાં અનેક રાજકીય તેમ જ સામાજિક સંશોધનોમાં તેમની સક્રિય સેવા લેવાઈ રહી હતી. નેશનલ કમિશન ફોર બેક્વર્ડ ક્લાસના સભ્ય તરીકે પણ તેમની સેવાઓ લેવામાં આવી. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ૨૦૦૪ના ભારત અંગેના ‘રિપોર્ટ ઑન ઇન્ક્લુઝિવ સોસાયટીઝ’માં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું. સિમલાની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ’ના તેઓ નેશનલ ફેલો રહી ચૂક્યા હતા અને તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ’ના નૅશનલ ફેલો પણ નિમાયા હતા. આ યાદી હજી લાંબી થઈ શકે.

રાજનીતિના અને સમાજના વિવિધ પ્રવાહો અંગે સંશોધન કરતી દેશની સાવ આરંભિક જૂજ સંસ્થાઓમાંની એક એવા દિલ્હીના ‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) સાથે ધીરુભાઈ તેના આરંભથી જ સંકળાયેલા અને દિલ્હીમાં જ સ્થાયી થયેલા. આ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં ‘લોકાયન’, ‘સરાઈ’, ‘લોકનીતિ’ જેવા અત્યંત પ્રતિષ્ઠિત અને અન્ય અનેક બાબતો અંગેના સંશોધન-પ્રોજેક્ટ સામેલ છે. તંદુરસ્ત લોકશાહી માટે આ પ્રકારનાં કેન્દ્રો અનિવાર્ય ગણવામાં આવે છે. હવે તો આ સંસ્થા પચાસ વર્ષ સંપન્ન કરી ચૂકી છે.

અત્યંત ઔપચારિક અભ્યાસની કે ડિગ્રીની રીતે જોઈએ તો ધીરુભાઈ નહોતા ડિગ્રીધારી સોશિયલ સાયન્ટિસ્ટ કે નહોતા પરંપરાગત અર્થમાં પોલિટિકલ સાયન્ટિસ્ટ. આથી જ તેઓ કહી શકતા, ‘સમાજવિજ્ઞાન જેવી ચીજ ખરેખર તો હોઈ જ ન શકે. સમાજ કંઈ નિર્જીવ અને જડ પદાર્થોનો સમૂહ નથી કે તેમાં વિજ્ઞાનની જેમ સાર્વત્રિક નિયમો લાગુ પાડી શકાય. હા, સમાજ વિષેનાં જ્ઞાન, જાણકારી કે માહિતી હોઈ શકે.’ ધીરુભાઈ પોતાનામાં ઊગેલી સમજણનો તમામ યશ પોતાની ગ્રામીણ પૃષ્ઠભૂમિને આપતા. એ દૃષ્ટિએ તેમના ઉછેરની અને ઔપચારિક અભ્યાસની વિગતો ખૂબ જ રસપ્રદ છે.

વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાનું બહાદરપુર (બાધરપુર) ગામ ધીરુભાઈનું વતન. ૧૭મી માર્ચ, ૧૯૩૬ના રોજ પિતા લલ્લુભાઈ અને માતા હીરાબહેનને ત્યાં તેઓ જન્મેલા. કુલ પાંચ સંતાનોમાં ધીરુભાઈ સૌથી મોટા. દસમા ધોરણ સુધીનું તેમનું શાળાકીય શિક્ષણ બહાદરપુરની શાળામાં જ થયું. નાનપણથી જ તેમને જેટલો રસ શાળાએ જવામાં પડતો, એટલો અભ્યાસમાં પડતો નહીં. તેમણે કહેલું, ‘તે વખતે વધુ ભણવા ઇચ્છનારની મહત્ત્વાકાંક્ષા એટલી જ રહેતી કે નૉનમૅટ્રિક થઈ જવાય એટલે બસ.’ ધીંગામસ્તી અને અવળચંડાઈ એ ગાળાની મુખ્ય પ્રવૃત્તિ અને પ્રવૃત્તિઓ કેવી-કેવી? નિશાળેથી છૂટ્યા પછી ઘેર બહુ મોડેથી પહોંચવાનું. અને મોટે ભાગે જમીનમાર્ગે નહીં, પણ છાપરાં કૂદતાં કૂદતાં ‘આકાશી માર્ગે’ જવાનું. મિત્રો સાથે મળીને જાતજાતની યોજનાઓ અને તેનું અમલીકરણ, જેમ કે – શેરીની કૂતરી વિયાઈ હોય તો તેનાં ગલૂડિયાંની સંભાળ લેવાની, કૂતરીને માટે શીરો બનાવવા ઘેરઘેરથી ઉઘરાણું કરવાનું, કોઈકની બકરી દોહીને દૂધ લઈ આવવાનું, વાંદરા પકડવાં, પતંગો લૂંટવી, મેળાઓમાં જવાનું અને ત્યાંથી વસ્તુઓ સેરવી લેવાની, ગામમાં આવેલા સરકસમાં પાછલે બારણે ઘૂસ મારવી, સરકસમાં જોયેલા કૂતરાના ખેલ ઘેર આવ્યા પછી પોતે રિંગમાસ્ટર બનીને શેરીના કૂતરા પાસે કરાવવા અને તેમાંથી કમાણી કરવી – આવાં તો કેટલાં ય ‘મહત્ત્વનાં કામો’ રહેતાં. વિવિધ જ્ઞાતિઓના મિત્રોના ઘરમાં હકપૂર્વક અવરજવર પણ થયા કરતી. આવામાં ભણવાનો સમય ક્યાંથી મળે ?

દરમિયાન, ગામમાં સેવાદળની પ્રવૃત્તિ શરૂ થઈ. ધીરુભાઈએ ત્યાં જવાનું પણ શરૂ કર્યું. સેવાદળમાં જોડાયા પછી સૌ પરેડ કરતાં અને તેનાં વાદ્યો વગાડતાં શીખ્યા. પોતાની આ આવડતનો ઉપયોગ તેમણે સામાજિક ઉત્કર્ષ માટે કર્યો. શી રીતે? પંદર-વીસ મિત્રોએ ભેગા થઈને એક બૅન્ડ બનાવ્યું, જેનું નામ રખાયું ‘બંસી બૅન્ડ’. પોતાનાં કે પડોશનાં ગામોમાં કોઈ શુભપ્રસંગે આ બૅન્ડને બોલાવવામાં આવતું. ધીરુભાઈ આ બૅન્ડમાં બંસરી વગાડતા. જો કે, તેમણે કહેલું, ‘મને વગાડતાં બરાબર ફાવતું નહીં, પણ આઠ-દસ બંસરીવાદકો વચ્ચે મારું નભી જતું.’ આ બૅન્ડ થકી જે આવક થતી તે કોઈને અભ્યાસ વગેરેમાં સહાય કરવામાં વપરાતી.

તેમને સપને ય ખ્યાલ નહોતો કે કિશોરાવસ્થાના આ અનુભવો તેમને સમાજશાસ્ત્રની જટિલતાઓને સરળતાથી સમજવામાં કેટલા કામ લાગવાના છે!

તોફાનોની સમાંતરે તેમનામાં વાંચનની રુચિ પાંગરી હતી, ઇતિહાસ અને સાહિત્યમાં વિશેષ. સ્વઓળખને જાળવી રાખવાની વિવિધ જાતિઓની મથામણની વાત પ્રભાવક રીતે કોઈ ઉચ્ચ કક્ષાના પરિસંવાદોમાં રજૂ કરતી વખતે ધીરુભાઈ પોતાના બાળપણનો એક પ્રસંગ અવશ્ય ટાંકતા. કયો હતો એ પ્રસંગ ?

પંચમહાલ જિલ્લાના કંબોઈ ગામમાં તેમનો એક મિત્ર હતો, જે ભીલ હતો. બંને એક વખત રસ્તા પર દોડાદોડી કરતા હતા, ત્યાં ધ્યાન ન રહેતાં અચાનક પેલો મિત્ર પાણીના ટાંકામાં પડ્યો. જોતજોતાંમાં ટોળું ભેગું થઈ ગયું. સહુએ પ્રયત્નો કર્યા, પણ ટાંકામાંથી પેલાનું મૃત શરીર જ બહાર નીકળી શક્યું. આ દુર્ઘટનાનો જબરદસ્ત આઘાત મરનાર છોકરાની માને લાગ્યો. પછી તો તે રોજ સવારના પહોરમાં મરસિયા ગાતી. આટલાં વરસે ધીરુભાઈ ભીલી બોલીમાં બોલાયેલા એ શબ્દો તો ભૂલી ગયા છે, પણ તેનો ભાવ તેમને યથાતથ યાદ છે. મૃત પુત્રને સંબોધીને એ કહેતી, ‘હે દીકરા, તું આવતે જન્મે બ્રાહ્મણ ન બનતો, કેમ કે ચાલીચાલીને તારા પગ ઘસાઈ જશે. તું વાણિયો પણ ન બનતો, કેમ કે હિસાબ લખીલખીને તારી આંખો ફૂટી જશે. તું સોની ન બનતો. તું ભીલ જ બનજે અને મારે ખોળે જનમજે.’ 

આવા અનેક અનુભવો ધીરુભાઈના મનોવિશ્વમાં સંઘરાતા ગયા, જેણે ઘણી ઊંડી છાપ તેમના મનમાં ઉપસાવી. દસમા ધોરણ સુધી શાળાનો અભ્યાસ ગામમાં કર્યા પછી મૅટ્રિક માટે ડભોઈની શાળામાં જોડાવાનું બન્યું. મેટ્રિક બીજા પ્રયત્ને પાસ કર્યું. ત્યાર પછી તેમનું આખું કુટુંબ પણ વડોદરા આવીને સ્થાયી થયું. ધીરુભાઈને મઝા આવતી આટ્‌ર્સના વિષયોમાં, આથી તેઓ આટ્‌ર્સમાં જોડાયા, પણ પરીક્ષાનો ભારે કંટાળો. બી.એ. થયા. તેમને ખબર પડી કે એમ.એસ.ડબલ્યુ.ના કોર્સમાં પરીક્ષા આપવાની હોતી નથી. આ કારણે તેમણે બી.એ. પાસ કર્યા પછી આ કોર્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમની પ્રતિભા ઝળકી ઊઠી, કેમ કે તેમને મનગમતા વિષયો હતા અને છતાં તેને પરીક્ષા માટે યાદ રાખવાનું ભારણ નહોતું.

આ અરસામાં તેમના જીવનમાં એવી ચાર વ્યક્તિઓનો પ્રવેશ થયો, જેમણે પોતપોતાની રીતે ધીરુભાઈનું માનસઘડતર કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એ હતા તેમના મિત્ર બનેલા નીતિન ત્રિવેદી, બીજા સોશિયોલૉજી વિભાગના વડા આઈ.પી. દેસાઈ, ત્રીજા હતા રજની કોઠારી, જેમની સાથે તો તેમની કારકિર્દી પણ સંકળાઈ અને ચોથા હતા રાવજીભાઈ પટેલ (મોટા). ‘મોટા’ને ઘેર દર અઠવાડિયે નિયમિતપણે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ એકઠા થતા અને અનેક મુદ્દાઓ પર સઘન ચર્ચા કરતા. આ અનૌપચારિક સંગઠનનું નામ હતું ‘રેનેસાં ક્લબ’. ‘રેનેસાં ક્લબ’ની વાત જ ઓર હતી. અહીં કૉમર્સમાં ભણતા ધવલ મહેતા, મેડિસિનમાં ભણતા પ્રકાશ દેસાઈ, પોલિટિકલ સાયન્સ ભણાવતા તેજસ્વી પ્રોફેસર રજની કોઠારી, ભીખુભાઈ પારેખ વગેરે વિવિધ શાખાઓના લોકો મળતા. વિવિધ મુદ્દે વાદવિવાદ, તર્ક તેમ જ ચર્ચાઓની એવી રંગત જામતી કે ત્રણ-ચાર કલાક ક્યાં ય પસાર થઈ જતા અને માનસમાં એક નવી જ સમજણનો ઉઘાડ થઈ જતો.

ચાર-પાંચ વરસનો આ સમયગાળો ધીરુભાઈના જીવનમાં બહુ નિર્ણાયક બની રહ્યો. આ અરસામાં જ તેમને અભ્યાસક્રમના સામાજિક અધ્યયનના ભાગ રૂપે મહુવા જવાનું બન્યું. ત્યાં રહીને અનેક લોકોના સંપર્કમાં તે આવ્યા. આ અનુભવ તેમની કારકિર્દીમાં મહત્ત્વનો બની રહ્યો. આ વરસોમાં તેમને એવું વિચારભાથું મળ્યું અને આત્મવિશ્વાસનો એવો સંચાર થયો કે આગળ જતાં પોલિટિકલ સોશિયોલૉજિસ્ટ તરીકેની નામના તેમને મળી અને દુનિયાના કેટલા ય દેશોમાં જવાનું બન્યું, ત્યારે તેઓ પોતાની આગવી મુદ્રા વિશ્વભરમાં ઉપસાવી શક્યા.

એમ.એસ.ડબલ્યુ. થયા પછી વડોદરાની કૉલેજમાં તેમને પ્રાધ્યાપક તરીકે નોકરી મળી. હવે કંઈક નવું અને મનગમતું કરવાની ઇચ્છા પૂરી થશે એમ લાગ્યું. એ અગાઉ યુનિવર્સિટીની આંતરિક ખટપટોથી તંગ આવીને રજની કોઠારી વડોદરા છોડીને મસૂરી ગયા હતા. ત્યાં તેમને એક પ્રોજેક્ટની ઑફર મળી હતી અને તેમણે દિલ્હીમાં ‘સેન્ટર ફોર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ (સી.એસ.ડી.એસ.) શરૂ કરવાનો વિચાર કર્યો. તેમણે ધીરુભાઈને જોડાવા માટે નિમંત્રણ આપ્યું. ધીરુભાઈ રાજીનામું મૂકીને સીધા ઉપડી ગયા દિલ્હી. તેમને આ રીતે પોતાને ભરોસે બધું છોડીને આવેલા જોઈને રજની કોઠારીને પણ આશ્ચર્ય થયું, કેમ કે, અમેરિકા, યુગોસ્લાવિયા, પોલૅન્ડ અને ભારતનો આ સંયુક્ત પ્રોજેક્ટ ત્રણ વરસ સુધી ચાલવાનો હતો. ત્યાર પછી? અલ્લા જાને ક્યા હોગા આગે!

એ પ્રોજેક્ટ સંપન્ન થયો. સેન્ટર ચાલુ રહ્યું. ધીમે-ધીમે તેની પ્રતિષ્ઠા એવી ઘડાઈ કે નવાં-નવાં અધ્યયનો થતાં જ ગયાં. એ મુજબ સેન્ટરનું કાર્યક્ષેત્ર વિકસતું અને વિસ્તરતું ગયું. સમયાંતરે જરૂર મુજબ નવી-નવી પ્રતિભાઓ સેન્ટર સાથે જોડાતી ગઈ, જેમાં આશિષ નંદી, સુધીર કક્કડ, બશ્રીરુદ્દીન અહમદ, રામાશ્રય રાય, ડી.આર. નાગરાજ, ગિરિ દેશિંગકર, યોગેન્દ્ર યાદવ. પીટર ડિસોઝા, રાજીવ ભાર્ગવ, અભય દુબે વગેરે વિભિન્ન ક્ષેત્રના લોકો હતા. સેન્ટર કોઈ વ્યક્તિકેન્દ્રી નહોતું. બલકે, દરેક હોદ્દેદાર પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર હતા. આને કારણે સમગ્ર વાતાવરણમાં હકારાત્મકતા, પરિણામલક્ષીપણું અને સ્વતંત્રતાની જબરદસ્ત હવા ઊભી થઈ. એમ તો ધીરુભાઈ આગળ જતાં તેના ડાયરેક્ટરપદે પણ નિમાયા. છતાં તેઓ કહેતા એમ, ‘સેન્ટર સાથે સંકળાયેલી હરેક ફૅકલ્ટી ડાયરેક્ટર જેવી જ ગણાતી.’

ધીરુભાઈનો મૂળભૂત અભિગમ કારકિર્દીલક્ષી ક્યારે ય હતો જ નહીં. સ્વૈરવિહારીપણે કામ કરવું તેમને વધુ પસંદ હતું. છેક સુધી તેમનો આ અભિગમ જળવાઈ રહ્યો. તેમાં તેમનાં વિદુષી પત્ની સુરભિબહેનનો સહકાર મહત્ત્વનો ગણી શકાય. તેમનું ૨૦૧૭માં અવસાન થયું. પોતાનાં બંને સંતાનોનો ઉછેર તેમણે એટલી જ સહજતાથી કર્યો. મરજી મુજબની કારકિર્દી પસંદ કરવાની તેમને સ્વતંત્રતા આપી. તેમનો પુત્ર પત્રકારત્વના ક્ષેત્રે છે અને ‘બિઝનેસ વર્લ્ડ’ સાથે સંકળાયેલો છે. પુત્રી સોહા મોઇત્રા બાળઅધિકારના ક્ષેત્રે કાર્ય કરતી પ્રસિદ્ધ સંસ્થા ‘ક્રાય’(ચાઇલ્ડ રાઇટ્‌સ ઍન્ડ યુ) નું રિજિયોનલ ડાયરેક્ટર પદ શોભાવે છે.

દુનિયાના કેટલા ય દેશોમાં ધીરુભાઈને જવાનું બનતું અને વિવિધ ભાષા, સંસ્કૃતિ અને સ્તરના લોકો સાથે વૈચારિક આદાનપ્રદાન કરવાનું થતું. પણ આ તમામ વખતે કોઈ પણ મુદ્દાને મૂળમાંથી સમજવા માટે પોતાની ગ્રામીણ પૃષ્ઠભૂમિનો અનુભવ ભારે ખપમાં લાગતો. કોઈ પણ બાબતે માત્ર બ્લૅક અને વ્હાઇટ જ (એકરંગી) નહીં, પણ તેની વચ્ચે રહેલા અનેક ગ્રે શેડ પ્રત્યે તેઓ ધ્યાન દોરતા. પોતાના દૃષ્ટિકોણની રજૂઆત મુઠ્ઠી પછાડીને કે જોરશોરથી બોલીને નહીં, પણ ધીમેથી છતાં મક્કમતાપૂર્વક કરતા હોવાથી સાંભળનાર સુધી તે યોગ્ય રીતે પહોંચતી. એવું જ તેમના લેખોનું. તેમના અભ્યાસલેખો વિશ્વના પ્રસિદ્ધ સામયિકોમાં અવારનવાર પ્રસિદ્ધ થતા, તેમ અનેક અભ્યાસલક્ષી પુસ્તકોમાં પણ સ્થાન પામતા રહેતા. બૌદ્ધિક જગતના અત્યંત પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ સામયિક ‘ઑલ્ટરનેટિવ્ઝ જર્નલ’નું તેમણે બે દાયકા કરતાં વધુ સમય સુધી સંપાદન કર્યું. ‘સિટીઝન્સ ઍન્ડ પાર્ટીઝ’ (આશિષ નંદી સાથે), ‘ધ મલ્ટિવર્સ ઑફ ડેમોક્રેસી’, ‘માઇનોરિટી આઇડેન્ટિટીઝ ઍન્ડ ધ નેશન-સ્ટેટ’ (ગુરપ્રીત મહાજન સાથે) તેમ જ ‘વૅલ્યૂઝ ઍન્ડ ધ ઍક્ટિવ કમ્યુનિટી’ જેવાં ચાર અભ્યાસપૂર્ણ પુસ્તકો પણ તેમના નામે છે. અભયકુમાર દુબે દ્વારા સંપાદિત ‘સત્તા ઔર સમાજ’માં વિવિધ મુદ્દાઓ અંગેના ધીરુભાઈના દર્શનને દીર્ઘ વાતચીત સ્વરૂપે મૂકવામાં આવ્યું છે.

‘મોટે ભાગે થાય છે એવું કે સમાજવિજ્ઞાન વિષેની આપણી સમજ પશ્ચિમ પાસેથી ઉછીની લેવાયેલી છે, તેથી તેના ઉકેલ પણ એ દૃષ્ટિથી જ વિચારાય છે. કોઈ માને કે ન માને, પણ હકીકત એ છે કે મોટે ભાગે આવા તૈયાર ઉકેલ જેમાં ફિટ બેસી જાય એ જ દૃષ્ટિકોણથી સમસ્યાને જોવામાં આવે છે કે તેને ઊભી કરવામાં આવે છે.’ આમ માનતા ધીરુભાઈ કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ચર્ચા, મિટિંગ કે સેમિનારમાં સંબંધિત વિષય પર પોતાનું આગવું દૃષ્ટિબિંદુ એ રીતે રજૂ કરતા કે સૌની સમક્ષ એક નવા જ પાસાનો ઉઘાડ થતો. આથી સેમિનાર પૂરો થાય એટલે ધીરુભાઈએ પશ્ચિમની કઈ યુનિવર્સિટીમાંથી સોશિયલ સાયન્સનો અભ્યાસ કરેલો, એ સવાલ સૌના મનમાં પેદા થયા વિના રહેતો નહીં. ધીરુભાઈ આના જવાબમાં હસતાં-હસતાં જણાવતા, ‘મોજે ગામ બહાદરપુર યુનિવર્સિટીનો હું વિદ્યાર્થી છું.’ આ સાંભળીને સામેવાળો મૂંઝાય, કેમ કે તેણે તો ‘ઑક્સફર્ડ’ કે ‘યેલ’ અથવા ‘કૅમ્બ્રિજ’ કે ‘હાર્વર્ડ’ જેવા જવાબની અપેક્ષા રાખી હોય. તેને બદલે આ નવી યુનિવર્સિટી કઈ?

પોતાનાં નિરીક્ષણો, તારણો, અભ્યાસ-લેખો, સંશોધનપત્રો થકી કેવળ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા આ અગ્રણી સમાજવિજ્ઞાની પોતાની કાર્યપદ્ધતિ અંગે કહે છે, ‘તેને ‘સ્લીપવૉકિંગ’ કહી શકાય, કેમ કે મેં કદી કોઈ ધ્યેય નજર સામે રાખીને કામ કર્યું નથી. મને જેમાં રસ પડે એ હું કરતો ગયો, આગળ વધતો ગયો અને માર્ગ ખૂલતો ગયો. ‘  

**** **** ****

’ડી.એલ. શેઠ’ તરીકે ઓળખાતા ધીરુભાઈ સાથે મારો પરિચય બિપિનભાઈ શ્રોફ  દ્વારા થયેલો. વડોદરાના વિચારક રાવજીભાઈ પટેલ ’મોટા’ના જીવન વિશે પુસ્તક લખવાનું મને સોંપાયું એ પછી મોટાની ’રેનેસાં ક્લબ’ સાથે સંકળાઈ ચૂકેલા લોકોની દીર્ઘ મુલાકાત અમે લેતા હતા. એમાં બે નામ વારેવારે કાને પડતાં, અને એ બે ય દિલ્હીનાં હતાં. એક રજની કોઠારી અને બીજા ધીરુભાઈ શેઠ.

એવામાં સમાચાર મળ્યા કે ધીરુભાઈ વડોદરા આવેલા છે. બિપિનભાઈ સાથે મેં એમની મુલાકાત લીધી. એ વખતે ખબર પડી કે વડોદરામાં તેમનું મકાન છે અને તે વડોદરા લાંબું રોકાણ કરવાના છે. તેમનાં પત્ની સુરભિકાકી પણ હતાં. ધીરુભાઈનો ઇન્ટરવ્યૂ કદાચ સૌથી અઘરો હતો. કેમ કે, તે કોઈ પણ પ્રશ્નનો જવાબ વિસ્તારથી આપતા. ઇન્ટરવ્યૂનું ઑડિયો રેકોર્ડિંગ થતું હતું, એટલે મને રાહત હતી, નહીંતર તેમના ઘણા શબ્દો મારા માટે નવા હતા. એ ઇન્ટરવ્યૂ લઈને અમે બહાર નીકળ્યા પછી બિપિનભાઈને મેં કહ્યું, ’આ કાકા બહુ કડક છે. એમની પાસે વાત કઢાવવી મુશ્કેલ પડે.’ એ ઇન્ટરવ્યૂની મેં ટ્રાન્સસ્ક્રિપ્ટ કરી અને ધીરુભાઈને એ આપવા ગયો, એ અમારી બીજી મુલાકાત.

એ પછીની મુલાકાતોની ગણતરી રાખવાનું છોડી દેવું પડ્યું. મારા ઘરથી સાવ નજીક હોવાને કારણે અમે અઠવાડિયે ત્રણેક વાર તેમને ત્યાં જવા લાગ્યા. સામાન્ય રીતે તે દિલ્હીમાં શિયાળો બેસે એટલે વડોદરા આવી જતા અને પછી ત્રણ-ચાર મહિના રોકાતા.

તે વડોદરા હોય ત્યારે સાંજે પરવારીને સાડા નવ-દસે હું અને મારી પત્ની કામિની સાઇકલ લઈને એમને ત્યાં ઊપડતાં. એ દોઢ-બે કલાકમાં કંઈ કેટકેટલા વિષયો આવતા. એ રસોઈની, રેસિપીની કે બીજી કોઈ પણ વાત કરતા અને એકદમ રસપૂર્વક. ઘણી મજાકમસ્તી ચાલતી રહેતી, અને વાતો પણ. કોઈ પણ મુદ્દાને જોવાની એમની રીત આગવી. ગુજરાતના સાંપ્રત પ્રવાહોમાં એમને ઊંડો રસ. અમારી વાતોમાં એ ઉપરાંત અનેક બાબતો આવતી. ’ન્યાતભોજનની વાનગીઓ’ અમારા ચારેયનો સામાન્ય રસ. એની વાત, એની આસપાસનું વાતાવરણ અને ધીરુભાઈ દ્વારા એનો સમાજવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ – આ બધું ભેગું થાય એટલે એ વાનગીઓ ચાખ્યા જેવો જ સ્વાદ આવતો.

ધીરુભાઈનો દૃષ્ટિકોણ બૌદ્ધિક. એટલે તે દરેક બાબતને એક ઊંચાઈએથી જોતા. પહેલી મુલાકાત થકી ઉપસેલી તેમની છાપ તો ક્યારની ભૂંસાઈ ગઈ અને એક જુદી જાતની આત્મીયતા સ્થપાતી ગઈ. ’અહા! જિંદગી’ માસિકમાં મારી ’ગુર્જરરત્ન’ કૉલમ ચાલતી ત્યારે મેં એમના વિશે લખવાનો ઇરાદો વ્યક્ત કર્યો. સંપાદક દીપક સોલિયાએ મંજૂરી આપી. પણ ધીરુભાઈની જવાબ આપવાની શૈલીથી હું પૂરો પરિચિત, એટલે મેં તેમને મારા બે એક લેખ વાંચવા આપ્યા, જેથી મારી જરૂરિયાત શી છે, એ તેમને ખ્યાલ આવે. આ રીત બહુ કારગર નીવડી.

એ પછી રજની કોઠારીનું અવસાન થયું ત્યારે ધીરુભાઈ અને સુરભિકાકી વડોદરામાં હતાં. મારી ’ગુજરાતમિત્ર’ની કૉલમ માટે રજની કોઠારી વિશે લેખ લખવાનો હતો. તેમને કોઠારીના અવસાનનો ઘણો શોક હતો, છતાં એ લેખ માટે મને ઘણી માહિતી પૂરી પાડેલી, તેમ જ માહિતીને ચકાસી પણ આપી.

ધીરુભાઈના કાર્યનાં વ્યાપ, પ્રમાણ અને પ્રભાવ જોયા પછી લાગે કે કારકિર્દીની ઘેલછા ધરાવતા દરેક માબાપ પોતાનાં સંતાનોને આવું ‘સ્લીપવૉકિંગ’ કરવા દે તો?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 08-10

Loading

...102030...2,0042,0052,0062,007...2,0102,0202,030...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved